
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાતના રાજકીય તખ્તે સર્વોચ્ચ પદે રહીને સમાજ ઉત્થાન માટે જીવન સમર્પિત કરી દેનારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે સુરતના વરાછા રોડ, મિનિબજાર સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે સર્વજ્ઞાતિ સમાજ પ્રેરિત 24 કલાકનો શ્રદ્ધાંજલિ સમારોહ ખરા અર્થમાં સાર્થક બન્યો છે.
શનિવાર તા.7મી નવેમ્બરે સાંજે 6 ના ટકોરે શરૂ થયેલો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શનિવારે આખી રાત ધમધમતો રહ્યો. ગુજરાતના રાજકીય, સામાજિક, ધંધાકીય ક્ષેત્રના આગેવાનો એક પછી એક પોતાના કેશુબાપા સાથેના સંસ્મરણો વાગોળતા રહ્યા અને બીજી તરફ, રક્તદાન કરવા માટે સર્વજ્ઞાતિજનો સ્વયંભુ ઉમટી પડ્યા હતા.
કેશુબાપાના પરિવારજનો સાથે કાર્યક્રમ સંયોજક શ્રી કાનજીભાઇ ભાલાળા અને હરીભાઇ કથિરીયાની યાદગાર તસ્વીર

સુરત ખાતે શ્રી કેશુભાઇ પટેલ શ્રદ્ધાંજલિ આયોજન સમિતિ, સુરત સંકલિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઇ ભાલાળાની રાહબરી હેઠળ યોજાઇ રહ્યો છે અને કાર્યક્રમ શરૂ થયો ત્યારથી લઇને આજે સવારે 11 કલાકે આ લખાઇ રહ્યું હતું ત્યારે સ્વયંભુ લોકો કેશુબાપાને ભાવાંજલિ, શબ્દાંજલિ, રક્તાજંલિ અર્પણ કરવા માટે ઉમટી રહ્યા હતા.
સેંકડો લોકો આખી રાત મિનીબજાર સ્થિત સૌરાષ્ટ્ર પટેલ ભવનમાં કેશુબાપાના માનમાં બેસી રહ્યા, કેટલાકે શ્રમદાન કર્યું, કેટલાકે રક્તદાન કર્યું કેટલાકે મૌન રહીને પણ કેશુબાપાને ખરા અર્થમાં ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને કરી રહ્યા છે.
તા.8મીએ બપોરે 12 વાગ્યા સુધીમાં 511 યુનિટ રક્ત એકત્રિત
કેશુબાપાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમને સમાંતર ચાલી રહેલા રક્તદાન શિબિરમાં શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં કુલ 511 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. વધુને વધુ લોકો રક્તદાન માટે સ્વયંભુ જોડાઇ રહ્યા છે.

શનિવાર તા.7મી નવેમ્બરે સાંજે 6 વાગ્યાથી શરૂ થયો 24 કલાકનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
■ 24 કલાક રક્તદાન કેમ્પમાં રક્ત આપવા માટે સર્વજ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
■ 24 કલાક ભાવાંજલી કાર્યક્રમમાં ગુજરાતના જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોએ કેશુબાપાના સત્કાર્યોની સુવાસ શબ્દો દ્વારા મહેકાવી હતી
■ 24 કલાક લાઈવ, જુદી જુદી ગુજરાતી ચેનલો પર સમગ્ર કાર્યક્રમ લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યો છે
■ 24 કલાક સ્વ.કેશુભાઈ પટેલના જાહેરજીવનનું તાદ્શ રજૂ કરતા ચિત્રો, પ્રસંગોની સરવાણી હજારો લોકોએ જોઇને કેશુબાપા સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા
92 કિ.મી. દોડ લગાડીને યુવાને કેશુબાપાને અંજલી અર્પી

કેશુબાપાને 24 કલાક ભાવાંજલિ અર્પણ કરવાના અનોખા કાર્યક્રમના સંયોજક કાનજીભાઇ ભાલાળા

રિયલ ચેનલના ફેસબુક લાઇવ પર 15 હજારથી વધુ વિદેશી ગુજરાતીઓએ સુરતનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ લાઇવ નિહાળ્યો




























