દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં શનિવારે Date 29/10/22 એક લોકપ્રિય નાઈટ સ્પોટ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા બાદ સર્જાયેલી ભાગદોડને પગલે અનેક લોકોને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. રાષ્ટ્રપતિ યૂન સુક-યૂલે આ અંગે યોંગસાન ગૂ જીલ્લામાં આપદા ટીમને મદદ કરવા માટે આદેશ આપ્યા છે. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા પ્રમાણે હેલોવીન પ્રસંગે આ ઘટના બાદ ભારે ભીડની સ્થિતિમાં ભાગદોડ સર્જાઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 100 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા 155 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હેલોવીનની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એક સાંકડા માર્ગ પર એકત્રિત થયા હતા. ઓચિંતા જ સર્જાયેલી ભાગદોડની સ્થિતિમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. જેને પગલે આશરે 100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રીય ફાયરબ્રિગેડ એજન્સીના એક અધિકારી ચોઈ ચેઓન સિકે કહ્યું કે ઈટાવન લીઝર જિલ્લામાં કેટલી સંખ્યામાં લોકોને હૃદય સંબંધિત બીમારી સર્જાઈ હતી તે અંગે ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. જોકે આ સંખ્યા કેટલાક ડઝનમાં હોઈ શકે છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે પોલીસ વ્યાપક પ્રમાણમાં તપાસ હાથ ધરી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઈટાવોનના માર્ગો પર નોંધાયેલ લોકોને CPR આપવામાં આવી રહ્યા છે ,જ્યારે અનેક લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે પીડિતોને તાત્કાલિક સારવાર કરાવવા અને ઉત્સવ સ્થળોની સુરક્ષાની સમીક્ષા કરવા કહ્યું છે.
Tesla કંપનીના CEO ઈલોન મસ્ક આખરે સંપૂર્ણપણે Social Media Platform Twitter ટ્વિટરના માલિક બની ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરનો કંટ્રોલ હવે તેમના હાથમાં છે. અને ઈલોન મસ્ક એક્શન મોડમાં આવી ગયા હોય તેમ જણાઈ રહ્યું છે. તેમણે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત 3 ટોચના અધિકારીઓની હકાલપટ્ટી કરી છે. ટ્વિટર હેડ ક્વાર્ટરની પણ તેમણે મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ઈલોન મસ્કની ડીલ ક્લોઝ થઈ ત્યારે પરાગ અગ્રવાલ અને નેડ સેગલ સેન ફ્રાન્સિસ્કો ખાતે હેડક્વાર્ટર્સમાં જ હાજર હતા, પરંતુ પછી તેમને ત્યાંથી બહાર મોકલવામાં આવ્યા હતા. ઈલોન મસ્કનો આરોપ છે કે, આ લોકોએ તેમને અને અન્ય રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા હતા. હજી સુધી આ છટણી બાબતે ઈલોન મસ્ક, પરાગ અગ્રાવલ તેમજ અન્ય બે અધિકારીઓએ કોઈ ટિપ્પણી નથી કરી.
ઈલોન મસ્કના આ પગલાથી ટ્વિટરના કર્મચારીઓમાં ચર્ચા શરુ થઈ ગઈ હતી. જો કે, ઈલોન મસ્ક તરફથી ટ્વિટરના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તે 75 ટકા કર્મચારીઓની છટણી નહીં કરે. ઉલ્લેખનીય છે કે એવી અટકળો શરુ થઈ હતી કે ઈલોન મસ્ક 75 ટકા અથવા 5600 જેટલા કર્મચારીઓને નીકાળી દેશે. રિપોર્ટ અનુસાર, ઈલોન મસ્કે બધુવારે મોડી રાતે ટ્વિટરના હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને કર્મચારીઓને સ્પષ્ટ કરી દીધુ હતું કે તે આટલા બધા લોકોને નોકરી પરથી નહીં નીકાળે.
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter Incના સંપૂર્ણ માલિક બની ગયા છે. અમેરિકન મીડિયાના અહેવાલ અનુસાર ટ્વિટરની ડીલ થઈ ગયા પછી તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે કંપનીના ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ તેમજ બે અન્ય ઉચ્ચ અધિકારીઓને છૂટા કરી દીધા છે. આ બે અધિકારીઓમાં કંપનીના પોલિસી હેડ વિજયા ગાડ્ડે અને ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર નેડ સેગલ પણ સામેલ છે. આ સાથે જ પાછલા ઘણાં મહિનાઓથી ઈલોન મસ્ક અને ટ્વિટર વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44 અબજ ડોલરની ઓફર આપી હતી. પરંતુ ત્યારપછી તે પોતાની વાત પરથી ફરી ગયા હતા. ત્યારપછી ટ્વિટરે ઈલોન મસ્કને કોર્ટ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જો શુક્રવાર સુધી ઈલોન મસ્ક આ ડીલને આગળ ના વધારતા તો કોર્ટમાં સુનાવણી શરુ થવાની હતી. ટેસ્લાના CEO ઈલોન મસ્કે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી ડેડલાઈન પહેલા જ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પોતાના હાથમાં લઈ લીધું છે.
એક સમયે માત્ર ભારત સુધી મર્યાદિત દિવાળીની ઊજવણી હવે ગ્લોબલ ફેસ્ટીવલ બની ગઇ છે. વૈશ્વિક સ્તરે ભારતીયોનો દબદબો વધવાની સાથે હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઊજવણી પણ ભવ્ય બની છે. ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા સુધીના દેશોમાં હિન્દુઓ સહિત લોકોએ ધામધૂમથી દિવાળી ઊજવી હતી. અમેરિકન પ્રમુખ જો બાઈડેને ભારતીય મૂળના લોકો સાથે વ્હાઈટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઊજવણી કરી હતી. અમેરિકામાં આગામી વર્ષથી દિવાળીના દિવસનો જાહેર રજામાં સમાવેશ કરાયો છે. આ વૈશ્વિક સ્તરે ભારતીયોનો વધતો પ્રભાવ દર્શાવે છે.
ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા સહિત અનેક દેશોએ દિવાળીની ઊજવણી કરી. અમેરિકન પ્રમુખ જો બાઈડેને ભારતીય મૂળના લોકો સાથે વ્હાઈટ હાઉસમાં દિવાળી ઊજવી હતી. આ સમયે ફર્સ્ટ લેડી જિલ બાઈડેન, નાયબ પ્રમુખ કમલા હેરિસ સહિત ભારતીય મૂળના ૨૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા. તેઓ પરંપરાગત ભારતીય પહેરવેશ શેરવાની, સાડીમાં પહોંચ્યા હતા અને આ રંગારંગ કાર્યક્રમમાં સિતારવાદક ઋષભ વર્માએ પરફોર્મ કર્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોએ ભારતીય મીઠાઈઓનો સ્વાદ માણ્યો હતો. વ્હાઈટ હાઉસમાં સોમવારની રાતે દિવાળી પાર્ટીનું આયોજન કરાયું હતું.
અમેરિકામાં જ્યોર્જ બુશ તંત્ર દ્વારા વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઊજવણી શરૂ કરાઈ હતી. ત્યાર પછી નવેમ્બર ૨૦૦૮માં તત્કાલિન અમેરિકન પ્રમુખ બરાક ઓબામા અને ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરતાં ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત બન્યા હતા. આજે બંને દેશના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે.
બાઈડેને કહ્યું કે, દિવાળીના પ્રસંગે વ્હાઈટ હાઉસમાં પહેલી વખત આટલા મોટા પાયે રિસેપ્શન થયું છે. અમારી સરકારમા ંઅગાઉની સરકારોની સરખામણીમાં વધુ એશિયન-અમેરિકનોનો સમાવેશ છે. દિવાળીના શાનદાર આયોજનને અમેરિકન સંસ્કૃતિનો ભાગ બનાવવા માટે બધાનો આભાર.
બાઈડેને વધુમાં કહ્યું, દિવાળીના પ્રસંગે હું દુનિયાના ૧૦૦ કરોડથી વધુ હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મના લોકોને શુભેચ્છા પાઠવું છું. અત્યારે અમેરિકન સરકારમાં અલગ અલગ સંસ્કૃતિઓ સમાવિષ્ટ છે. ઉપપ્રમુખ કમલા હેરિસ આ પદે પહોંચનારાં પહેલાં અશ્વેત મહિલા છે. જિલ બાઈડને પણ એશિયન અમેરિકન સમાજના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે, આ સમુદાયના લોકોએ અમેરિકાને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસે કહ્યું કે, વ્હાઈટ હાઉસ સામાન્ય લોકોનું ઘર છે. અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઈડેને આ ઘરનું વાતાવરણ એવું બનાવ્યું છે કે અમેરિકાનો કોઈપણ નાગરિક પોતાની સંસ્કૃતિ અને તહેવારોની અહીં ઊજવણી કરી શકે છે.
દરમિયાન હિન્દુઓને દિવાળીની ઊજવણીની શુભેચ્છા પાઠવવામાં ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધીના કોઈ દેશ પાછળ નથી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસ સહિત વિશ્વના અનેક નેતાઓએ દુનિયાભરમાં દિવાળીનો તહેવાર ઊજવનારા બધા જ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થનિ અલ્બનીસે કહ્યું હતું કે, આ દિવાળી તમારા અને તમારા પ્રિયજનો માટે દરેક ખુશીઓ અને શાંતિ લઈ આવે. સાથે જ ઓસ્ટ્રેલિયામાં સિડની ઓપેરા હાઉસ પણ ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતના વિજય પછી દિવાળી પ્રસંગે ઝગમગી ઊઠયું હતું.
આ સિવાય પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પાકિસ્તાન અને દુનિયાભરના હિન્દુ સમુદાયને દિવાળી પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કરી, દિવાળી, પ્રકાશના તહેવાર પર પાકિસ્તાન અને દુનિયાના હિન્દુ સમુદાયને શુભેચ્છાઓ. આ દિવસ આપણી દુનિયામાં શાંતિ, ખુશી અને સદ્ભાવ લાવે. વિશ્વના અનેક નેતાઓએ દિવાળી પર શુભેચ્છાઓ પાઠવી. .
બાઈડેને મંચ પર બાળકોને બોલાવી તેમને ‘પ્રકાશપુંજ’ ગણાવ્યા
વ્હાઈટ હાઉસાં આ વર્ષના દિવાળી સમારંભમાં પ્રમુખ જો બાઈડેને મંચ પર બે બાળકોને બોલાવ્યા હતા અને તેમને પ્રકાશપુંજ તરીકે ઓળખાવ્યા હતા. પાછળથી વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, આ બંને બાળકો સાંસદ રો ખન્નાના સંતાનો સોરેન અને ઝારા છે. જો બાઈડેને ભારતીય મૂળના લોકોને સંબોધન કરતી વખતે સાંસદ રો ખન્નાના સંતાનોને મંચ પર બોલાવ્યા હતા અને સવાલ કર્યો હતો કે, તમે મંચ પર આવી શકો? તેમણે એક સાથીને બાળકોને મંચ પર લાવવા કહ્યું. આ સાથે બાઈડેને કહ્યું કે, આ બાળકો પ્રકાશપુંજ સમાન છે.
બ્રિટનમાં આર્થિક કટોકટી વચ્ચે વડાંપ્રધાન લિઝ ટ્રસે પદ સંભાળ્યાના માત્ર ૪૫ દિવસમાં જ શુક્રવારે રાજીનામું આપી દીધું હતું. આ સાથે તેમણે બ્રિટનમાં સૌથી ઓછો સમય વડાપ્રધાન રહેવાનો વિક્રમ સર્જ્યો છે. ટેક્સ કાપ સહિતના આર્થિક કાર્યક્રમો મુદ્દે લિઝ ટ્રસે આકરી ટીકાઓનો સામનો કરવો પડયો હતો અને તેમના પર રાજીનામું આપવા દબાણ હતું. ટ્રસના રાજીનામા સાથે બ્રિટનમાં ફરી એક વખત રાજીનામું ગરમાયું છે. ફરી એક વખત બ્રિટનમાં પીએમપદની રેસમાં રિશિ સુનાકનું નામ સૌથી આગળ છે. જોકે, પેની મોર્ડટ અને બોરિસ જ્હોન્સન પણ આ રેસમાં જોડાયા છે. હવે એક સપ્તાહમાં નવા વડાપ્રધાનની પસંદગીની શક્યતા છે.
લિઝ ટ્રસ વડાપ્રધાન બન્યા બાદથી જ ટેક્સ કાપના મુદ્દે વિરોધીઓના નિશાના પર હતા. આ કારણે જ તેમણે નાણામંત્રી ક્વાસી ક્વાર્ટેંગની માત્ર છ સપ્તાહમાં જ હકાલપટ્ટી કરવી પડી હતી. એક વરિષ્ઠ મંત્રીના રાજીનામા અને સંસદના નીચલા ગૃહમાં સભ્યો દ્વારા આકરી ટીકા પછી ૪૭ વર્ષનાં લિઝ ટ્રસે ગુરુવારે વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે, આગામી વડાપ્રધાનની નિમણૂક સુધી તેઓ પીએમપદે ચાલુ રહેશે. હવે એક સપ્તાહમાં નવા વડાપ્રધાનની નિમણૂક થવાની શક્યતા છે.
રોયટર્સના અહેવાલ મુજબ સાંસદોનું કહેવું છે કે તેમના ઉત્તરાધિકારી ઋષિ સુનક અથવા પેની મોર્ડટ હોઈ શકે છે. જોકે, સુનકના કટ્ટર વિરોધિ બોરિસ જ્હોન્સન પણ પીએમપદની રેસમાં જોડાયા છે. વડાપ્રધાન તરીકે લિઝ ટ્રસની પસંદગી સમયે રિશિ સુનક બીજા સ્થાને રહ્યા હતા. સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની દોડમાં સૌથી આગળ માનવામાં આવે છે, પરંતુ રિશિ સુનાક મુદ્દે બોરિસ જ્હોન્સનનું જૂથ વિરોધ કરી રહ્યું હોવાથી પક્ષની અંદર ખેંચતાણના કારણે સ્થિતિ સ્પષ્ટ નથી. બીજીબાજુ વિપક્ષ લેબર બાર્ટીએ વહેલા સામાન્ય ચૂંટણી યોજવાની માગણી કરી છે.
વડાપ્રધાન કચેરી ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટના દરવાજા બહાર ટ્રસે કબૂલ્યું કે તેઓ કન્ઝર્વેટિવ નેતા માટે રેસમાં હતા ત્યારે તેમણે જે વચનો આપ્યા હતા તે પૂરા કરી શક્યા નહીં અને તેમણે તેમના પક્ષનો વિશ્વાસ ગુમાવી દીધો. તેમણે ઉમેર્યું કે, હું માનું છું કે હું મારા વચનો પૂરા કરી શકી નથી. વર્તમાન પરિસ્થિતિ જોઈને હું એવો જનાદેશ આપી ના શકી જેના પર મને કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા ચૂંટવામાં આવી હતી. તેથી મેં મહામહિમ રાજાને સંદેશ મોકલ્યો કે હું કન્ઝર્વેટિવ પક્ષના નેતાના રૂપમાં હું રાજીનામું આપી રહી છું. પદ છોડવા અંગે તેમણે કહ્યું કે હું ભાગી નથી. જવાબદારી પૂરી કરી શકી નથી તેના કારણે પદ છોડવાની જાહેરાત કરી રહીશું.
ટેક્સ કાપ સહિત તેમના આર્થિક કાર્યક્રમોના કારણે બ્રિટનના બજારમાં ઉથલ-પાથલ મચી ગઈ હતી અને રાજકીય સંકટ પેદા થઈ ગયું હતું. ત્યાર પછી ટ્રસે નાણામંત્રી બદલવા સહિત તેમની અનેક નીતિઓમાં યુ-ટર્ન લેવાની ફરજ પડી હતી. સાથે જ તેમના કાર્યકાળ દરમિયાન શાસક કન્ઝર્વેટિવ પાર્ટીમાં શિસ્તભંગની સ્થિતિ સર્જાઈ હતી. અનેક નેતાઓએ ટ્રસ પર વડાપ્રધાનપદ છોડવા દબાણ કર્યું હતું. પીએમપદેથી રાજીનામું આપતાં જ ટ્રસના નામે અનોખો રેકોર્ડ સર્જાયો છે. તેઓ બ્રિટનના સૌથી ઓછો સમય વડાપ્રધાનપદે રહેનાર નેતા બની ગયા છે. આ પહેલાં આ રેકોર્ડ જ્યોર્જ કેનિંગના નામે હતો, જેઓ ૧૮૨૭માં ૧૧૯ દિવસ સુધી પીએમપદે હતા. આ સમયે તેમનું મોત થઈ ગયું હતું.
થાઈલેન્ડમાં 6/10/22 ગરુવારે એક પૂર્વ પોલીસ અધિકારી પાન્યા ખામરાપે કત્લેઆમ કરી હતી. હુમલાખોરે પહેલાં થાઈલેન્ડની એક ડે કેર સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં ૨૪થી વધુ બાળકો સાથે ૩૪ લોકોનાં મોત થયા હતા અને ૨૨થી વધુને ઈજા પહોંચી છે. ત્યાર પછી ત્યાંથી તે પોતાના ઘરે પાછો ફર્યો. અહીં તેણે પત્ની અને બાળકને ગોળી મારી દીધી ત્યાર પછી તેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. થાઈલેન્ડના નોંગ બુઆ લામ્ફુમાં આ માસ શુટિંગ એવા સમયે થયું હતું જ્યારે દેશવાસીઓ ૪૬ વર્ષ અગાઉ થયેલા એક માસ શૂટિંગની વરસી મનાવી રહ્યા હતા. તે સમયે પણ માસ શૂટિંગમાં ૪૦ વિદ્યાર્થીનાં મોત નીપજ્યાં હતા. પોલીસે જણાવ્યું કે નોન્ગબુઆ લામ્ફુ શહેરમાં પૂર્વ પોલીસ અધિકારી ખામરાપે એક નર્સરીમાં બાળકો અને વયસ્કો પર આડેધડ ગોળીબાર કર્યો હતો અને ચાકુથી હુમલો કર્યો હતો.
આ ઘટના નજરે જોનારાઓએ કહ્યું કે, એક હેન્ડગન સાથે શકમંદને નર્સરી તરફ આવતો જોતાં તેમણે સ્કૂલનો દરવાજો બંધ કરી દીધો હતો. પરંતુ ખામરોપે તેની આરપાર ગોળીબાર કર્યો હતો. તેણે એક હેન્ડગન, એક શોટગન, એક ચાકુ સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલાખોરે સ્કૂલમાં ગોળીબાર કર્યા પછી પત્ની અને બાળકની પણ હત્યા કરી દીધી હતી. હુમલાનો આશય હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યો નથી. નેશનલ પોલીસના પ્રવક્તા અચયો ક્રેથોંગે કહ્યું કે આ ઘટના નોંગ બુઆ લામ્ફુ પ્રાંતની છે. આ સામૂહિક હત્યાકાંડમાં ઓછામાં ઓછા ૩૬ લોકો માર્યા ગયા છે. આ ઘટનાથી થાઈલેન્ડમાં હાહાકાર મચી ગયો છે. ચાઈલ્ડ ડે કેર સેન્ટરમાં ચારે બાજુ લાશો જ જોવા મળી રહી હતી. સ્કૂલમાં માર્યા ગયેલા ૩૬ લોકોમાં ૨૪ બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે.
મીડિયા અહેવાલ મુજબ ૩૪ વર્ષીય પોલીસ લેફ્ટનન્ટ પાન્યા ખામરાપે સ્કૂલ પર હુમલો કર્યો હતો. તે નજીકના પોલીસ સ્ટેશનમાં જ તૈનાત હતો. તે ડ્રગ એડિક્ટ હોવાથી થોડાક સમય પહેલાં જ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ખામરાપે ડે કેર સેન્ટરમાં ગોળીબાર કર્યો ત્યારે બાળકો સૂઈ ગયા હતા. ડેપ્યુટી નેશનલ પોલીસ ચીફ પોલ એલટી જનરલ તોરસાક સુખવિમોલે કહ્યું કે આ હુમલામાં ૨૨ લોકોને ઈજા પહોંચી છે, જેમાં આઠની હાલત ગંભીર છે.
ખામરાબે આ હુમલો એવા સમયે કર્યો હતો જ્યારે સમગ્ર થાઈલેન્ડ ૪૬ વર્ષ પહેલાં થયેલા માસ શૂટિંગમાં માર્યા ગયેલા ૪૦ વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલી આપી રહ્યો હતો. થાઈલેન્ડમાં ૧૯૭૬માં આજના જ દિવસે બેંગકોકની થામાસેટ યુનિવર્સિટીમાં નરસંહાર થયો હતો, જેમાં ૪૦ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. વર્ષ ૧૯૭૩માં થાઈલેન્ડમાં તાનાશાહ થાનોમ કિત્તિકાચોર્નને સત્તા પરથી હટાવી દેવાયા હતા, પરંતુ સપ્ટેમ્બર ૧૯૭૬માં તેમણે ફરી સત્તા કબજે કરી હતી.
થાનોમના પુનરાગમનના વિરોધમાં થામાસેટ યુનિવર્સિટીમાં ૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ દેખાવો કરી રહ્યા હતા ત્યારે જ યુનિવર્સિટી પરિસરમાં એક બોમ્બ ફેંકવામાં આવે છે અને પછી ગોળીબાર શરૂ થાય છે. ગોળીબાર વચ્ચે પોલીસ અને દક્ષિણપંથી કટ્ટરવાદી જૂથના લોકો યુનિવર્સિટી કેમ્પસનો દરવાજો તોડીને અંદર ઘૂસી આવે છે. ત્યાર પછી કત્લેઆમ શરૂ થાય છે, જેમાં ૪૦ વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતારી દેવાય છે.
પૂર્વ જાવાના મુખ્ય પોલીસ નિકો અફિન્ટાએ કહ્યું કે અરેમા એફસી અને પર્સેબાયા સુરાબાયા વચ્ચે મેચ પૂર્ણ થયા બાદ હારનારી ટીમના સમર્થકો પિચ પર પહોંચી ગયા હતા અને પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા, જેમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકોને ગૂંગળામણ થયા આ ઘટના સર્જાઈ હતી.
અહીં એક ફૂટબોલ મેચ દરમિયાન ભડકેલી હિંસામાં 129 લોકોના મોત થયાની ખબર સામે આવી છે, જ્યારે 180 કરતા વધારે લોકો ઘાયલ થયા છે. ઈન્ડોનેશિયા પોલીસે રવિવારે જણાવ્યું કે પૂર્વ જવા પ્રાંતમાં ફૂટબોલ મેચ દરમિયાન રાત્રે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 129 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે 108 લોકો ઘાયલ થઈ ગયા હતા. આ મામલે વધારે તપાસ કરવામાં આવી રહી છે. જે વિડીયો સામે આવી રહ્યા છે તેમાં દેખાય છે કે પોલીસ ગ્રાઉન્ડમાં ઉતરેલા લોકો સામે આક્રામક મૂડમાં દેખાઈ રહી છે.
સ્થાનિક સમાચાર ચેનલોના વીડિયો ફૂટેજમાં લોકો મલંગના સ્ટેડિયમમાં પિચ પર દોડતા લોકો દેખાઈ રહ્યા છે. ઈન્ડોનેશિયાના લીગ બાઈરઆઈ લીગ 1 મેચ પછી એક અઠવાડિયા માટે રમતોને અટકાવી દેવાઈ છે. ઈન્ડોનેશિયા ફૂટબોલ ફેડરેશને જણાવ્યું કે મેચમાં પર્સેબાયા 3-2થી જીતી ગયું હતું. જે પછી આ હિંસાની શરુઆત થઈ હતી.
જે વિડીયો સામે આવી રહ્યા છે તેમાં દેખાય છે કે બેકાબૂ બનેલા લોકોને કાબૂમાં લાવવા માટે મોટી સંખ્યામાં પોલીસના જવાનો મેદાનમાં ઉતરી આવે છે અને લાઠીચાર્જ પણ કરે છે. આ ઘટનાની શરુઆત કઈ રીતે થઈ અને બન્ને ટીમના સમર્થકો વચ્ચે કઈ રીતે અફરાતફરી મચી તે અંગે પણ સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘાયલોની સંખ્યા જોતા આગામી સમયમાં મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમેરિકામાં ઈયાન વાવાઝોડાંએ હાહાકાર મચાવ્યો છે. નેશનલ હેરિકેન સેન્ટરે લોકોને ચેતવણી આપી છે. ફ્લોરિડામાં બચાવ ટૂકડીઓએ લોકોને સલામત સ્થળે ખસેડવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને જીવન જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. અમેરિકા પર ત્રાટકેલા સૌથી શક્તિશાળી વાવાઝોડાંમાં ઈયાનનો સમાવેશ થઈ રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં જનજીવન ઠપ થઈ ગયું છે.
ફ્લોરિડા ઉપરાંત જ્યોર્જિયા, દક્ષિણ કેરોલિના, ઉત્તર કેરોલિના, વર્જિનિયા સહિતના રાજ્યોના ગવર્નરોએ કટોકટી જાહેર કરી દીધી છે.
અમેરિકાના નેશનલ હેરિકેન સેન્ટરે જીવના જોખમની ચેતવણી આપી હતી અને આ વાવાઝોડાંને અમેરિકાના સૌથી શક્તિશાળી વાવાઝોડાં પૈકીનું એક ગણાવ્યું છે. ફ્લોરિડાના કાંઠે ૨૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાંનો વિસ્તાર ૬૫૦ કિલોમીટર સુધી ફેલાયેલો હતો. તીવ્ર પવનના કારણે અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું. રસ્તાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મોબાઈલ ટાવરોમાં નુકસાન થઈ જતાં મોબાઈલ નેટવર્કને વ્યાપક અસર થઈ હતી. સૌથી વધુ અસર ફ્લોરિડાના લી કાઉન્ટીમાં થઈ હતી. લી કાઉન્ટીના શેરિફે કહ્યું હતું કે મોબાઈલમાં નેટવર્ક આવતું ન હોવાથી એકબીજાનો સંપર્ક તૂટી ગયો છે. લાઈન સતત વ્યસ્ત આવતી હોવાથી મુશ્કેલી પડી રહી છે. લોકોને મદદ પહોંચે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે.
સેનિબેલ ટાપુને લી કાઉન્ટી સાથે જોડતો એકમાત્ર બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. તેના કારણે ટાપુ સાથે જમીની સ્તરે સંપર્ક કમાઈ જતાં હેલિકોપ્ટર્સની મદદથી રાહત કામગીરી કરવામાં આવી રહી છે. ટાપુની વસતિ ૬૫૦૦ હજાર જેટલી છે. લી કાઉન્ટી અને તેની આસપાસમાં ભારે પવનના કારણે વીજળી ગૂલ થઈ ગઈ હતી. લગભગ ૨૫ લાખ ઘરોમાં અંધારપટ્ટ થઈ જતાં લોકો વીજળી વગર રહેવા મજબૂર બન્યા હતા. ફ્લોરિડાની ૧૨ કાઉન્ટીમાં સદંતર વીજળી ગૂલ થઈ ગઈ હતી. ંએક હોસ્પિટલનું છાપરું તીવ્ર હવાથી ઉડી ગયું હતું. હોસ્પિટલના આઈસીયુમાં પાણી ભરાઈ જતાં દર્દીઓને તાત્કાલિક ખસેડવાની મથામણ શરૂ કરવામાં આવી હતી.
નેશનલ હેરિકેન સેન્ટરે આ વાવાઝોડાંને મોન્સ્ટર-૪ની કેટેગરીમાં મૂક્યું છે. કેટલાય સ્થળોએ મકાનો પાણીમાં તરતાં જોવા મળ્યા હતા. તો કાર સહિતના વાહનો પણ પાણીમાં તણાયા હતા. લી કાઉન્ટીના ઘણાં નીચાણવાળા વિસ્તારમાં પાંચ-પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા.
મહાશક્તિશાળી વાવાઝોડાનાં કારણે લાખો લોકોનાં જીવ તાળવે – મોટાપાયે સ્થળાંતર, વીજ પુરવઠો ખોરવાયો અને વૃક્ષોનો સોંથ
અત્યારે દુનિયાનાં ત્રણ દેશ પ્રાકૃતિક આફત સામે ઝૂઝી રહ્યાં છે. અમેરિકા, ફિલિપીન્સ અને કેનેડામાં ત્રણ અલગ ચક્રવાતોએ કોહરામ મચાવી દીધો છે. ત્રણેય દેશ પોતાનાં નાગરિકો માટે ચેતવણીઓ પણ જારી કરી ચૂક્યાં છે. અમેરિકાનાં ફ્લોરિડામાં ઈયાન ચક્રવાતનાં કારણે કટોકટી જાહેર કરી દેવામાં આવી છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડને ત્યાં મદદ પહોંચાડવા માટેનાં આદેશો પણ છોડી દીધા છે. તો કેનેડામાં પણ હાલત ચિંતાજનક છે. શનિવારે ત્રાટકેલા તોફાન ફિઓનાનાં કારણે ઠેકઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા છે અને વીજ પુરવઠો પણ ખોરવાયો છે. જ્યારે ફિલિપીન્સમાં હાલત નાજુક છે.
નોરુ વાવાઝોડું ધસમસી રહ્યું હોવાનાં કારણે રાજધાની મનિલા સહિતનાં વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. અમેરિકાનાં ફ્લોરિડામાં ઈયાન વાવાઝોડાનાં કારણે દહેશત છે. આ ચક્રવાત વધુ શક્તિશાળી બનવાની ભીતિ છે. કેમેન દ્વીપ સમૂહ પાસેથી પસાર થયેલો ચક્રવાત ગ્રેડ-3માંથી હવે 4માં તબદિલ થવાની આશંકા છે. આ તોફાનની તાકાતને ધ્યાને લેતા નાગરિકોને તમામ પ્રકારની તૈયારીઓ રાખવાની તાકીદ કરી દેવામાં આવેલી છે. આ ચક્રવાતનાં માર્ગમાં આવતાં તમામ રાજ્ય અને સ્થાનિક સરકારી તંત્રોને સંકલન સાધવાની સૂચનાઓ આપવામાં આવી છે.
કેનેડામાં આવેલા ભયંકર તોફાને શનિવારે સવારે જમીન ઉપર પ્રવેશ કર્યો હતો અને તેનાં હિસાબે પૂર્વ કેનેડામાં તેજ હવા અને તોફાની વરસાદથી પાંચ લાખ લોકોનાં ઘરની વીજળી ગુલ થઈ ગઈ છે. આ તોફાનનાં કારણે પ્યૂર્ટો રિકો અને ડોમિનિક ગણરાજ્યમાં આઠ લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળે છે. ચક્રવાતનાં માર્ગમાં આવેલા વિસ્તારોમાં મોટાપાયે ઝાડનો સોંથ વળી ગયો છે.
સુપર ટાઈફૂન નોરુ ઝડપથી ફિલિપીન્સ ભણી ધસમસી રહ્યું છે. આકલન મુજબ આ મહાતોફાનમાં 240 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની ભીતિ છે. જે વધીને 300 કિ.મી. પ્રતિકલાક પણ થઈ શકે તેવી આશંકા છે. ફિલિપીન્સનાં તટરક્ષક દળનાં જણાવ્યા અનુસાર મનિલાનાં દક્ષિણ બંદરોમાં 1200થી વધુ યાત્રીઓ અને 28 જહાજો અટવાઈ ગયેલા છે. ફિલિપીન્સમાં ભારતીય સમુદાયનાં લોકોની સંખ્યા 1.30 લાખ જેટલી છે અને તેમાં 1પ હજાર જેટલા છાત્ર છે. જે મનિલા સહિતનાં શહેરોમાં અભ્યાસ કરી રહ્યાં છે.
કેનેડામાં હેટ ક્રાઈમ, વંશીય હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત ઘટનાઓમાં વધારો થયો છે. એવામાં ત્યાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને સાવધાની રાખવવા સલાહ આપવામાં આવે છે તેમ વિદેશ મંત્રાલયે શુક્રવારે એક એડવાઈઝરીમાં જણાવ્યું હતું. વિદેશ મંત્રાલય અને કેનેડામાં ભારતીય હાઈકમિશને ત્યાંના તંત્ર સમક્ષ આ ઘટનાઓનો મુદ્દો ઉઠાવ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવા આગ્રહ કર્યો છે.
ભારતના નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જાહેર કરતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, કેનેડામાં હેટ ક્રાઈમ, વંશીય હિંસા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ સંબંધિત ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે. આવા ગૂનાઓ કરનારાઓને કેનેડામાં હજુ સુધી ન્યાયના કઠેડામાં ઊભા કરાયા નથી. કેનેડામાં ભારતીય મૂળના અંદાજે ૧૬ લાખ લોકો વસવાટ કરે છે. આ સિવાય ભારતીય મૂળના ૧૭ સાંસદ અને ત્રણ કેબિનેટ મંત્રી છે, જેમાં સંરક્ષણ મંત્રી અનીતા આનંદનો સમાવેશ થાય છે. ઉપરાંત ભારતીયોમાં હવે શિક્ષણ માટે અમેરિકાના બદલે કેનેડાનું આકર્ષણ વધ્યું છે.
ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, કેનેડામાં આવા ગુનાઓના વધતા કેસોને જોતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ તથા ત્યાં પ્રવાસ-શિક્ષણ માટે જતા ભારતીયોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે ઉમેર્યું હતું કે, કેનેડામાં ભારતથી ગયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ ઓટ્ટાવામાં ભારતના હાઈકમિશન અથવા ટોરોન્ટો અને વાનકુંવરમાં કોન્સ્યુલેટ જનરલનો તેમની સંબંધિત વેબસાઈટ્સ અથવા મદદ પોર્ટલ પર નોંધણી કરાવી શકે છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ દ્વારા નોંધણી કરાવવાથી ભારતીય હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલ માટે ઈમર્જન્સી અથવા જરૂરિયાતના સમયમાં તેમનો વધુ સારી રીતે સંપર્ક કરવો સુલભ થશે.
કેનેડામાં કથિત ‘ખાલિસ્તાની જનમત સંગ્રહ’ અંગે ભારતીય નાગરિકોએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે, મિત્ર દેશમાં જ કટ્ટરપંથી તત્વોને રાજકારણ પ્રેરિત આવી પ્રવૃત્તિઓની મંજૂરી અપાય છે તે ખૂબ જ આપત્તિજનક છે. આ ઘટનાના બીજા દિવસે ભારતીય વિદેશ મંત્રાલયે આ એડવાઈઝરી જાહેર કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે ભારતે કેનેડીયન ઓથોરિટી સમક્ષ ડિપ્લોમેટિક ચેનલ મારફત ‘ખાલિસ્તાની જનમત સંગ્રહ’નો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કથિત ખાલિસ્તાની જનમત સંગ્રહને બનાવટી કવાયત ગણાવી હતી. કેનેડાએ ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાનું સન્માન કરવાની વાત કરી છે, પરંતુ એક મિત્ર દેશમાં કટ્ટરવાદી તત્વોને રાજકારણથી પ્રેરિત આવી પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી અપાય તે ખૂબ જ વાંધાજનક છે તેમ તેમણે ઉમેર્યું હતું.
હકીકતમાં આ સમગ્ર ઘટના પાકિસ્તાન પ્રાયોજિત ખાલીસ્તાની તત્વોને પ્રોત્સાહન આપવા અંગે છે. કેનેડાના બ્રામ્પ્ટનમાં જે દિવસે કથિત ખાલિસ્તાની જનમત સંગ્રહ કરાયો હતો તે દિવસે પાકિસ્તાન કોન્સલ જનરલ જનબાઝ ખાને વાનકુંવરમાં બે ખાલીસ્તાની સમર્થક ગુરુદ્વારાનો પ્રવાસ કર્યો હતો. કેનેડામાં ખાલિસ્તાની સમર્થક તત્વોની પ્રવૃત્તિઓ તાજેતરના વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોમાં અવરોધરૂપ બની છે.
આ સિવાય થોડાક દિવસ પહેલાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓએ ટોરોન્ટોના એક હિન્દુ મંદિર પર ભારત વિરોધી પોસ્ટરો લગાવવાની ઘટના પણ સામે આવી હતી. ભારતે આ ઘટનાને ધૃણાસ્પદ ગૂનો ગણાવી કેનેડિયન અધિકારીઓને આરોપીઓ વિરુદ્ધ ત્વરીત કાર્યવાહી કરવા આગ્રહ કર્યો હતો.
કેનેડાના ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, કેનેડાના ખાલિસ્તાની કટ્ટરવાદીઓ દ્વારા ટોરોન્ટોના હિન્દુ મંદિરમાં ભારત વિરોધી પોસ્ટરો લગાવવાની ઘટનાની બધાએ ટીકા કરવી જોઈએ. દેશમાં આ માત્ર એક ઘટના નથી. કેનેડાના હિન્દુ મંદિરોને તાજેતરના સમયમાં આ પ્રકારના અનેક હેટ ક્રાઈમનો સામનો કરવો પડયો છે.
બ્રિટનમાં પણ કોમી હુલ્લડોની સ્થિતિ : ભગવા ઝંડાને કટ્ટરવાદી દ્વારા ઉખાડી ફેંકવામાં આવ્યો હોવાનો વીડિયો વાઇરલ
ભારતીય હાઇ કમિશને હિન્દુઓના ધાર્મિક સ્થળ પર હુમલાની ટીકા કરી, પોલીસને કાર્યવાહીની અપીલ
બ્રિટનના લેસ્ટરમાં બે સમુદાયના લોકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ વિસ્તારમાં એક શિવ મંદિરમાં તોડફોડ થઇ હતી, જે બાદ હિન્દુઓ દ્વારા તેના વિરોધમાં પ્રદર્શનો કરાયા હતા. આ દરમિયાન કેટલાક ઇસ્લામિક કટ્ટરવાદીઓ સાથે ઘર્ષણ થયું હતું.
લેસ્ટરમાં કેટલાક કટ્ટરવાદીઓેએ મંદિરની બહાર લગાવેલા ભગવા ઝંડાને ફાડી નાખ્યા હતા. જેના વીડિયો અને તસવીરો પણ સામે આવ્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૮મી ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ક્રિકેટ મેચ બાદ જ હિન્દુ અને મુસ્લિમ સમાજના કેટલાક લોકો વચ્ચે લેસ્ટરમાં વિવાદો શરૂ થઇ ગયા હતા.
આ મેચમાં ભારતની પાકિસ્તાન સામે જીત થઇ હતી, સોશિયલ મીડિયા પર અને જાહેરમાં એકબીજા પર ટોણા મારવાને કારણે હિન્દુ અને મુસ્લિમોની વચ્ચે વિવાદ વધ્યો હતો. મંદિરમાં તોડફોડનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે એક તરફ બ્રિટનની પોલીસ તૈનાત છે અને બીજી તરફ ઉગ્રવાદીઓ હંગામો કરી રહ્યા છે. હાલ પોલીસે સ્થિતિ પર કન્ટ્રોલ કરી લીધો છે અને આરોપીઓની સામે કાર્યવાહી ચાલી રહી છે, અત્યાર સુધીમાં હિંસામાં સામેલ કુલ ૧૫ લોકોની ધરપકડ કરાઇ છે. તેમ લેસ્ટરનો પોલીસ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. જ્યારે બ્રિટન સ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા આ ઘટનાની ટિકા કરવામાં આવી હતી અને બ્રિટન પોલીસને આરોપીઓની સામે કાર્યવાહી કરવા અપીલ કરાઇ હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.