– સંસદની કુલ 780માંથી 394 બેઠકો પર એનડીએનો કબજો હોવાથી ધનખડનું ઉપરાષ્ટ્રપતિ બનવું લગભગ નિશ્ચિત
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ અને રાજસ્થાનના જાટ નેતા જગદીપ ધનખડને ભાજપે શાસનક પક્ષ એનડીએના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કરીને દેશને વધુ એક વખત ચોંકાવી દીધો છે. ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે, ખેડૂત પુત્ર જગદીપ ધનખડે પોતાને લોકોના રાજ્યપાલ તરીકે સ્થાપિત કર્યા છે. વડાપ્રધાન મોદીએ પણ ધનખડની પ્રશંસા કરતા કહ્યું, તેઓ બંધારણના જાણકાર છે.
ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં શનિવારે સાંજે ઉપરાષ્ટ્રપતિ પદના નામો અંગે ચર્ચા થઈ હતી. અગાઉ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. ઉપરાંત તેમણે શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહની પણ મુલાકાત કરી હતી. ભાજપ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સભ્યોમાં બહુમતી ધરાવતો હોવાથી ૭૧ વર્ષીય જગીદપ ધનખડનું ઉપરાષ્ટ્રપતિ બનવું નિશ્ચિત મનાય છે. સંસદની વર્તમાન કુલ ૭૮૦ બેઠકોમાંથી ભાજપ પાસે ૩૯૪ બેઠકો છે જ્યારે ઉપરાષ્ટ્રપતિના મતદાન માટે તેને ૩૯૦ સાંસદોના મતની જરૂર છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ ૧૯ જુલાઈ છે અને ૬ઠ્ઠી ઓગસ્ટે ચૂંટણી યોજાશે.
જગદીપ ધનખડના નામની જાહેરાત પછી પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું, ખેડૂત પુત્ર જગદીપ ધનખડ વિનમ્રતા માટે ઓળખાય છે. તેઓ બંધારણના જાણકાર છે. તેમને કાયદાઓનું પૂરેપૂરું જ્ઞાાન છે. તેમણે હંમેશા ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને વંચિતોના ભલા માટે કામ કર્યું છે. મને વિશ્વાસ છે કે રાજ્યસભાના સભાપતિ તરીકે દેશને આગળ વધારવાના આશયથી તેઓ ગૃહની કાર્યવાહીનું માર્ગદર્શન કરશે.
જુલાઈ ૨૦૧૯માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે હોદ્દો સંભાળ્યા પછી જગદીપ ધનખડ અને મમતા બેનરજીની સરકાર અનેક વખત આમને-સામને આવી ગઈ હતી. તેમના ઉશ્કેરણીજનક કાર્યોની શાસક તૃણમૂલ કોંગ્રેસે આકરી ટીકા કરી હતી જ્યારે ભાજપ તેનું સમર્થન કરતું હતું. બંગાળમાં મમતા બેનરજીની સરકાર અને રાજ્યપાલ જગદીપ ધનખડના સંબંધો સતત તણાવપૂર્ણ રહ્યા હતા.
જગદીપ ધનખડ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી રાજકારણમાં છે. ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં ઝુંઝુનુથી સાંસદ ચૂંટાયા હતા. ત્યાર પછી ૧૯૯૦માં સંસદીય બાબતોના રાજ્યમંત્રી તરીકે કામ કર્યું. ૧૯૯૩માં તેઓ અજમેર જિલ્લાના કિશનગઢ ચૂંટણી ક્ષેત્રમાંથી રાજસ્થાન વિધાનસભામાં ચૂંટાયા હતા.
જગદીપ ધનખડના નામની જાહેરાત થયા પહેલાં પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યોના રાજ્યપાલોએ વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી હતી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સિવાય મધ્ય પ્રદેશ અને મણિપુરના રાજ્યપાલો મંગુભાઈ પટેલ અને લા ગણેશને પણ મોદીની મુલાકાત લીધી હતી.
દેશની મહાન એથ્લીટ પીટી ઉષાને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવી છે. પીટી ઉષાની સાથે ફિલ્મ કમ્પોઝર ઇલૈયારાજા, વીરેન્દ્ર હેગડે અને વી વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને આ જાણકારી આપી હતી.
પીએમ મોદીએ પીટી ઉષા અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે પીટી ઉષા રમતગમતની સિદ્ધિઓ માટે જાણીતી છે. ફક્ત એટલું જ નહી તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં નવોદિત એથ્લીટોનું માર્ગદર્શન કરવાનું શાનદાર કામ કર્યુ છે.
ઇલૈયારાજા અંગે જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે તેમણે દરેક પેઢીના લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેમની રચનાઓ અનેક પ્રકારની ભાવનાઓની સુંદરતા દર્શાવે છે. તે એક વિનમ્ર પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલા છે. વીરેન્દ્ર હેગડેને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. તે સામુદાયિક સેવામાં આગળ છે. મને ધર્મસ્થળ મંદિરમાં પ્રાર્થના કરવા, આરોગ્ય, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના દ્વારા કરવામાં આવેલા મહાન કાર્યોને જોવાની તક મળી છે. તે નિશ્ચિત રીતે સંસદીય કાર્યવાહીને વધારે સમૃદ્ધ બનાવશે.
આ ત્રણેય ઉપરાંત વી વિજયેન્દ્રપ્રસાદને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. તે દાયકાઓથી રચનાત્મક દુનિયા સાથે જોડાયેલા છે. તેમની રચનાઓ ભારતની ગૌરવશાળી સંસ્કૃતિ દર્શાવે છે અને તે વિશ્વસ્તરે પોતાની ઓળખ બનાવી ચૂકી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કેરળ ઓફિસરમાં તોડફોડ થઈ હોવાની ખબર સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર ઓફિસમાં સ્ટુડેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના કાર્યકર્તાએ કરી છે. ભારતીય યુવા કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પણ જણાવવામાં આવ્યું હતું કે, SFIના ઝંડા પકડીને ગુંડાઓએ કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરી છે. આ હુમલામાં ઓફિસના સ્ટાફને પણ ઈજા પહોંચી હોવાની જાણકારી મળી છે.
કહેવાઈ રહ્યું છે કે SFIના કાર્યકર્તાઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નારાજ હતાં, જેમાં કોર્ટે તમામ વાઈલ્ડલાઈફ સેન્ચુરી અને નેશનલ પાર્તની આસપાસના એક કિમીના ક્ષેત્રને ઈકો સેન્સિટિવ ઝોન બનાવવાનો આદેશ આપ્યો હતો. કેરળમાં સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશથી નારાજગી દર્શાવીને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ખેડૂતો છેલ્લાં બે અઠવાડિયાથી અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે. તેમણે કેન્દ્ર ચછા રાજ્ય સરકારો પાસે સંરક્ષિત વનક્ષેત્ર, નેશનલ પાર્ક અને વાઈલ્ડલાઈફ સેન્ચુરીના એક કિમીના ક્ષેત્રમાં માનવ વસતીને અલગ રાખવા કાયદાકીય પગલાં લેવાની અપીલ કરી છે.
કોંગ્રેસ નેતા કે. સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, SFIના કાર્યકર્તાઓ શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે રાહુલ ગાંધીના વાયનાડ સ્થિત ઓફિસમાં બળજબરીથી ઘુસી ગયા હતાં અને કાર્યકર્તાએ ઓફિસમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં ત્યાં ઉપસ્થિત સ્ટાફ પર પણ હુમલો કર્યો હતો. જોકે, અમે નથી જાણતાં કે તેમણે આવું શા માટે કર્યું. SFIના લોકોનું કહેવું છે કે તેઓ બફર ઝોનના મુદ્દા પર આંદોલન કરી રહ્યા છે. જોકે, મને ખબર નથી કે આમાં રાહુલ ગાંધીની ભૂમિકા શું છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ મુદ્દે જો કોઈ પગલાં ઉઠાવવામાં આવે તો તે કેરળના મુખ્ય પ્રધાન દ્વારા શક્ય છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં Dated 21/6/22, પાંચમીવાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. બીજીબાજુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કાર્યવાહી અને સેનામાં ભર્તી માટેની નવી અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે 21/6/22, કોંગ્રેસે સત્યાગ્રહ આંદોલન જારી રાખતા આજે કૂચ કાઢી હતી. જેમાં અનેક નેતાઓ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી હતી.
ચાર દિવસમાં 40 કલાકની પૂછપરછનો સામનો કરી ચૂકેલા રાહુલ ગાંધી આજે 21/6/22, સવારે 11.1પ કલાકના સુમારે પાંચમા દિવસની પૂછપરછ માટે ઈડીનાં વડામથકે પહોંચી ગયા હતા. રાહુલની પૂછપરછ શરૂ થઈ ત્યારથી કોંગ્રેસે શરૂ કરેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાને રાખતા આજે પણ તપાસ એજન્સીનાં કાર્યાલય આસપાસ પોલીસ અને અર્ધસૈન્ય દળના જવાનોની ભારે તૈનાતી રાખવામાં આવી હતી અને 144 જેવા પ્રતિબંધાત્મક આદેશ પણ આપવામાં આવ્યા હતા.
રાહુલની પૂછપરછ મુદ્દે કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધતા કોંગ્રેસે કહ્યું હતું કે, આ કાર્યવાહી માત્રને માત્ર પક્ષનાં પૂર્વ અધ્યક્ષને નીચા દેખાડવા માટે કરવામાં આવી રહી છે, કારણ કે આ સમગ્ર પ્રક્રિયામાં કંઈપણ બંધારણીય કે કાનૂની નથી. આજે સત્યાગ્રહ કૂચ પહેલા કોંગ્રેસે એવો દાવો પણ કર્યો હતો કે, કેન્દ્ર સરકારે પક્ષનાં વડામથક સામે જ રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરી દીધી હતી.
આજે 21/6/22 કૂચ પહેલા કોંગ્રેસનાં વડામથકનાં પરિસરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ, સાંસદો એકત્રિત થયા હતા. તેમણે રાહુલ સામે કાર્યવાહી ઉપરાંત અગ્નિપથ યોજનાનો વિરોધ પણ કર્યો હતો.
ગહેલોતે કહ્યું હતું કે, કોંગ્રેસનાં નેતૃત્વ સાથે જે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તે નિંદનીય છે. આખો દેશ બધું જોઈ રહ્યો છે. આવું જ ઇન્દિરા ગાંધીનાં સમયમાં થયું હતું. આખા દેશને જાણ છે કે, રાહુલ એકમાત્ર એવા નેતા છે જે મોદીનો મુકાબલો કરી શકે છે. કોંગ્રેસનાં મુખ્યાલયેથી નેતાઓ, સાંસદો અને સમર્થકોએ કૂચ કાઢી હતી. જો કે પોલીસે તેને અટકાવી દીધી હતી.
મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના ક્વોટાના મંત્રી એકનાશ શિંદે સાથે સુરતમાં કમસે કમ 30 જેટલા ધારાસભ્યો હોવાની વાતને સૂત્રોએ સમર્થન આપ્યું છે. ગઇકાલે મોડી રાત્રે શિવસેનાના ધારાસભ્ય અને મહારાષ્ટ્રની અઘાડી સરકારના મંત્રી, અસંતુષ્ઠ નેતા એકનાથ શિંદે સાથે કેટલાક ધારાસભ્યો સુરત આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે સુરતની ફાઇવસ્ટાર હોટેલમાં મહારાષ્ટ્રના 24 ધારાસભ્યો હાજર હતા જેમાં હાલની અઘાડી સરકારમાં મિનિસ્ટર પદ ધરાવતા 4 નેતાઓનો પણ સમાવેશ થાય છે. એ પછી આજે મંગળવાર, તા.21મીએ સવારે પણ અન્ય ધારાસભ્યો સુરતની હોટેલ પર આવી પહોંચ્યા હતા.
મહારાષ્ટ્રને હચમચાવી દેનાર એકનાથ શિંદે વિશે જાણો
મહારાષ્ટ્રની રાજનીતિમાં એકનાથ શિંદે ઠાકરે પરિવારની બહાર સૌથી તાકાતવર શિવસૈનિક ગણાવાય રહ્યા છે. એવી પણ વાત જાણવા મળી કે જો 2019માં ઉદ્ધવ ઠાકરે અઘાડી સરકારમાં મુખ્યમંત્રી બનવા માટે તૈયાર નહીં થયા હોત તો એ સમયે એકનાથ શિંદે જ મુખ્યમંત્રી તરીકે વરાયા હોત.
59 વર્ષના શિંદે મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ મંત્રી છે. વર્ષ 1980માં તેઓ શિવસેનામાં શાખા પ્રમુખ તરીકે જોડાયા હતા. શિંદે થાણેની કોપરી-પંચપખાડી બેઠક પરથી 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પાર્ટી માટે તેઓ જેલ પણ ગયા છે. તેમની છબી કટ્ટર અને વફાદાર શિવસૈનિકની રહી છે.
એકનાથ શિંદે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પહારી જવાલી તાલુકાના વતની છે. થાણે શહેરમાં ગયા પછી તેમણે મંગલા હાઈસ્કૂલ અને જુનિયર કૉલેજ, થાણેમાં ધોરણ 11 સુધી અભ્યાસ કર્યો. થાણેમાં શિંદેનો પ્રભાવ એવો છે કે લોકસભા ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય તેમના ઉમેદવાર હંમેશા ચૂંટણી જીત્યા છે. એકનાથના પુત્ર શ્રીકાંત શિંદે પણ શિવસેનાની ટિકિટ પર કલ્યાણ બેઠક પરથી સાંસદ છે. તેઓ ઓક્ટોબર 2014 થી ડિસેમ્બર 2014 સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. 2014માં જ મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં PWD ના કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થઇ હતી. 2019ની સાલમાં કેબિનેટ મંત્રી જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ (મહારાષ્ટ્ર સરકાર) નું પદ મળ્યું.
એકનાથ શિંદેની નારાજગી નવી વાત નથી, આજનો સમય યોગ્ય રહ્યો
શિવસેના હાઈકમાન્ડથી એકનાથ શિંદેની નારાજગી કોઈ નવી વાત નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ત્રણ ગઠબંધન પાર્ટી શિવસેના, કોંગ્રેસ અને એનસીપીથી નારાજ છે. અગાઉ જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા તે સમયે પણ શિવસેના હાઈકમાન્ડ સાથે એકનાથ શિંદેની ટક્કરના અહેવાલ હતા. ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે એકનાથ શિંદે તેમના તમામ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. જો કે તે સમયે આ અહેવાલો ખોટા સાબિત થયા હતા અને તેમણે પોતે આ વાતનું ખંડન કર્યું હતું. પરંતુ હવે ફરી નારાજગીનો મામલો સામે આવ્યો છે.
બીજી તરફ મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતાએ સરકાર લઘુમતિમાં હોવાની વાતને પણ સમર્થન આપ્યું છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક નિવેદનમાં કહ્યું હતું કે એકનાથ શિંદે મુંબઇમાં નથી પરંતુ, એ અમારા સંપર્કમાં જરૂર છે.
Reported @ 7.12 am 21/6/22
મહારાષ્ટ્રની રાજનીતિમાં સુરત વાઇરલ?!, મહારાષ્ટ્રના એક નારાજ મંત્રી અનેક MLA સાથે સુરત કેમ આવ્યા?, અનેક તર્કવિતર્ક
મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇના ટોચના રાજકારણીઓથી લઇને વીવીઆઇપીઝનું ધ્યાન છેલ્લા 10 કલાકથી સુરત પર કેન્દ્રીત થયું છે. રાજકીય ગતિવિધિ એવી સર્જાઇ છે કે મહારાષ્ટ્રની શિવસેના-કોંગ્રેસ-એનસીપી સરકારના નારાજ મનાતા મંત્રી એકનાથ શિંદે સહિત કેટલાક ધારાસભ્યો એક સાથે ગઇકાલે સોમવાર, તા.20મી જૂનની મોડી રાત્રે સુરત આવી પહોંચ્યા હતા. તેઓ સુરતના અઠવાલાઇન્સ સ્થિત મેરીયોટ હોટલમાં રોકાયા છે. બસ આ જ કારણે સમગ્ર મહારાષ્ટ્રના પોલિટિક્સનું આજનું કેન્દ્ર બિંદુ સુરત બન્યું હોવાની ચર્ચા સમગ્ર દેશમાં વાઇરલ થઇ છે.
શિવસેનાથી નારાજ મંત્રી એકનાથ સિંદે ગઈકાલ રાથી સંપર્ક વિહોણા થયા હતા. એકનાથ શિંદે સાથે શિવસેનાના 20 જેટલા ધારાસભ્યો પણ સંપર્ક વિહોણા થયાં હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણ ગરમાયું હતું.
મહારાષ્ટ્ર સરકારના નારાજ મંત્રી એકનાથ શિંદે અને તેમની સાથે ધારાસભ્યો સુરત આવીને મેરીડીયન હોટેલમાં રોકાયા હોવાની બાબતને સત્તાવાર રીતે કોઇ પુષ્ટી મળી નથી પરંતુ, હોટેલની આજુબાજુ જે રીતે પોલીસે નાકાબંધી કરીને અજાણ્યા લોકોના પ્રવેશ બંધ કરી દીધા છે એ જોતા કોઇક મોટું ડેવલપમેન્ટ હોટેલમાં થયું હોવાની વાતને સમર્થન જરૂર મળી રહ્યું છે.
મહારાષ્ટ્રના આ ધારાસભ્યો ત્યાંના વર્તુળમાંથી સંપર્ક વિહોણા ગણાવાય રહ્યા છે
એકનાથ શિંદે – કોપરી
અબ્દુલ સત્તાર – સિલ્લોડ – ઔરંગાબાદ
શંભૂરાજ દેસાઇ – સતારા
સંદિપાન ભૂમરે – પૈઠણી – ઔરંગાબાદ
ઉદયશસહ રાજપૂત – કન્નડ- ઔરંગાબાદ
ભરત ગોગાવલે – મહાડ – રાયગઢ
નિતીન દેશમુખ – બાળાપુર – અકોલા
અનિલ બાબર – ખાનાપુર – આટપાડી – સાંગલી
વિશ્વનાથ ભોઇર – કલ્યાણ પશ્ચિમ
સંજય ગાયકવાડ – બુલઢાણા
સંજય રામુલકર – મેહકર
મહેશ સિંદે – કોરેગાંવ – સતારા
શહાજી પાટીલ – સાંગોલા – સોલાપૂર
પ્રકાશ અબિટકર – રાધાપુરી – કોલ્હાપૂર
સંજય રાઠોડ – દિગ્રસ – યવતમાળ
જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ – ઉસ્માનાબાદ
તાનાજી સાવંત – પરોડા – ઉસ્માનાબાદ
સંજય શિરસાટ – ઔરંગાબાદ પશ્ચિમ
રમેશ બોરનારે – બૈજાપૂર – ઔરંગાબાદ
એકનાથ સિંદે અને ધારાસભ્યો નારાજ થઈ સંપર્ક વિહોણા થયા અને સુરત આવ્યા હોવાથી આગામી દિવસમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
રાજકીય ગતિવિધિઓ જોતા આગામી રાજ્યસભાની ચૂંટણીઓના વોટીંગ પહેલા સર્જાયેલી આ ગતિવિધિને પગલે અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે. દરમિયાન એવી પણ જાણકારી મળી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરત આવેલા મહારાષ્ટ્રના મંત્રી તેમજ ધારાસભ્યો સાથે મુલાકાત પણ કરી હતી. પરંતુ, આ અંગે કોઇ આધિકારીક પુષ્ટી કરવામાં આવી નથી.
પરંતુ, હાલ એક વાત નિશ્ચિત છે કે મહારાષ્ટ્રના રાજકીય તખ્તે સુરત વાઇરલ થઇ ચૂક્યું છે.
મહારાષ્ટ્રના અસંતુષ્ઠ મંત્રી એકનાથ શિંદે આજે બપોરે 12 કલાકે સુરતની હોટેલમાંથી જ પત્રકાર પરિષદ કરી શકે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે બાળા સાહેબ ઠાકરેના ખાસ અને સૌથી નજીકના માનતા નેતા શિંદે પાસે સુરતમાં હોય તેનાથી વધારે ધારાસભ્યોનો ટેકો હોય શકે છે.
શિવસેનાના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન
સંજય રાઉતે આ સમગ્ર ઘટનાક્રમ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સી.આર.પાટીલે જ એકનાથ શિંદે માટે રૂમ બુક કર્યા છે. સુરતમાં ભાજપે જ એકનાથ શિંદેની વ્યવસ્થા કરી. મહારાષ્ટ્રના રાજકારણમાં કોઇ ભૂકંપ આવ્યો નથી. આ બહુ મોટું ષડયંત્ર છે, શિવસેના ઇમાનદારની સેના છે.
તેમણે વધુમાં કહ્યું કે શિવસેનાના કેટલાંક ધારાસભ્ય અને એકનાથ શિંદે સાથે હાલ સંપર્ક થઇ શકયો નથી. મહાવિકાસ અઘાડીની સરકારને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ ભાજપે એ યાદ રાખવું પડશે કે મહારાષ્ટ્ર રાજસ્થાન કે મધ્યપ્રદેશથી ખૂબ જ અલગ છે.
આમ આદમી પાર્ટી ગુજરાતના નવીન સંગઠનને અનુલક્ષીને પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનનું નવું માળખું જાહેર કરી દેવાયું છે.
ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ તથા ઈન્દ્રનીલ રાજગુરૂને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કૈલાશ ગઢવીને આપ ગુજરાતના ખજાનચી તથા સાગર રબારીને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજના દિવસને આમ આદમી પાર્ટીના કાર્યકરો માટે ઐતિહાસિક ગણાવ્યો હતો તથા શક્તિશાળી વિશાળ માળખાની જરૂર હોવાથી જૂનું માળખું વિખેરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વિધાનસભાની 182 બેઠકો પર યોજવામાં આવેલી પરિવર્તન યાત્રાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ ઈસુદાન ગઢવીએ પદાધિકારીઓના પહેલા લિસ્ટની જાહેરાત બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને હજું બીજી યાદ બહાર પડશે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, એક વિધાનસભામાં 4 સંગઠન મંત્રી રહેશે. મતલબ કે, એક વિધાનસભાના 4 બ્લોક પાડવામાં આવ્યા છે. દરેક ગામમાં 11 લોકોની ટીમ બનાવવામાં આવી છે.
પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે ઈસુદાનનો રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવામાં આવશે તથા યોગ્ય સમયે ગુજરાતમાં આપનો મુખ્યમંત્રી પદ માટેનો ચહેરો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના ગુજરાતના નવા સંગઠન માળખામાં કુલ 850 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંગઠનમાં 26 લોકસભા પ્રમુખ, 42 ડિસ્ટ્રિક્ટ પ્રમુખ, 679 વિધાનસભા સંગઠન મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ હવે આમ આદમી પાર્ટીનું ફોકસ ગુજરાત તરફ જોવા મળી રહ્યું છે. ગુજરાત વિધાન સભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ કમર કસી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે એક નવી વ્યૂહરચના બનાવી છે. આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં અને તેમના માર્ગદર્શન હેઠળ આવનારી ચૂંટણીના બાકીના મહિનાઓ માટેની નવી વ્યૂહરચના અમલમાં મૂકી છે.
થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને પાર્ટીએ ગુજરાત પ્રદેશમાં સંગઠનના માળખાને વિખેર્યું હોવાની જાહેરાત કરી હતી. તેમાં પ્રમુખ સિવાયના તમામ હોદ્દાઓ પર નવેસરથી નિયુક્તિ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું. માળખાના વિસર્જન અંગે સ્પષ્ટતા કરતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું, કે આજ દિન સુધીનું માળખું આમ આદમી પાર્ટીની રચનાનું હતું. ગુજરાતના ખૂણે-ખૂણા સુધી આપનો સંદેશ પહોંચાડવા માટેનું હતુ પરંતુ હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ તરીકે ભાજપ સામે બાથ ભીડવા નવી વ્યૂહરચના સાથે નવું માળખું બનશે.
15 રાજ્યની 57માંથી 41 બેઠકો ઉપર નિર્વિરોધ જીત પછી બાકીની 16 બેઠકો માટે આજે ખરાખરીનો ખેલ: તોડજોડ અને ક્રોસવોટિંગની આશંકા વચ્ચે રિસોર્ટ પોલિટિક્સથી રોમાંચ દેશનાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખનું આજે એલાન થયું છે પણ તે પહેલા અત્યારે સંસદનાં ઉપલા ગૃહ રાજ્યસભાની ચૂંટણીનો ગરમાવો અને ધમધમાટ ચરમસીમાએ છે. આવતીકાલે યોજાનારી ચૂંટણી અને તેનાં પરિણામો વચ્ચે હવે ગણતરીનાં કલાકો જ બચ્યા છે. આ વખતની રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી આમ તો 1પ રાજ્યોની કુલ મળીને પ7 બેઠકો ઉપર થવાની હતી પણ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે 41 સદસ્યો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હોવાથી હવે માત્ર 16 બેઠકો ઉપર જ કાલે ચૂંટણી યોજાશે.
અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, તામિળનાડુ, તેલંગણ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ એમ કુલ મળીને 11 રાજ્યોમાં વિભિન્ન પક્ષનાં 41 ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે. બાકી બચતી 16 બેઠકો માટે જ શુક્રવારે મતદાન થવાનું છે અને તેમાં કેટલીક બેઠકો ઉપર તો ભારે રોમાંચક રસાકસી જામવાની છે. જે 16 રાજ્યસભા બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકની બેઠકોનો સમાવેશ થાય છે. પક્ષોને આમાં સોદાબાજીથી લઈને ક્રોસ વોટિંગ સુધીનો ડર સતાવી રહ્યો છે. ઉમેદવારો પણ તોડજોડનાં રાજકારણમાં વ્યસ્ત છે અને પક્ષોએ પોતાનાં આંકડા ટકાવી રાખવા માટે વિધાયકોને રિસોર્ટમાં છૂપાવવા સુધીની રણનીતિઓ અપનાવેલી છે. કોઈ ધારાસભ્ય આડાઅવળો ન થઈ જાય એટલે તેમની પહેરેદારી થઈ રહી છે. મહારાષ્ટ્રની છ બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. જેમાં કોંગ્રેસ, એનસીપી પાસે એક-એક બેઠક જીતવા માટે પૂરતું સંખ્યાબળ છે.
તો ભાજપ પાસે બે બેઠકો માટે તાકાત છે. આવી જ રીતે શિવસેના પાસે એક બેઠક ઉપર ઉમેદવારને રાજ્યસભામાં મોકલવાની પર્યાપ્ત સંખ્યા છે. જો કે શિવસેનાએ પોતાનાં બીજા ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવાં માટે પોતાનાં સહયોગી અને અપક્ષ સહિત કુલ 30 મતની આવશ્યકતા છે.
રાજસ્થાનની વાત કરવામાં આવે તો ત્યાં 4 બેઠકો ઉપર સીધી ટક્કર છે. કોંગ્રેસનાં ત્રણ ઉમેદવાર મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાને છે. આ ત્રણેય ઉમેદવાર માટે 123 વિધાયકોનાં મતની જરૂર કોંગ્રેસને છે. બદલાતા માહોલમાં જ ફક્ત ત્રણ જ વિધાયકનાં ઉલટસુલટ થઈ જાય તો કોંગ્રેસનાં ત્રીજા ઉમેદવારની હાર પણ સંભવ છે. કારણ કે કોંગ્રેસ પાસે પોતાનાં ફક્ત 108 ધારાસભ્ય છે. એક આરએલડી, 13 અપક્ષ, બે સીપીએમ અને બે બીટીપીનાં મત કોંગ્રેસને મળે ત્યારે તેના 126 મત થઈ શકે તેમ છે. ભાજપનાં સમર્થન સાથે સુભાષ ચંદ્રા અપક્ષ ઉમેદવાર બનેલા છે. તેમને 11 મતની જરૂર છે. જેમાં તેમને ભાજપનાં 30 સરપ્લસ અને આરએલપીનાં ત્રણ વિધાયકનાં મત મળી શકે તેમ છે. હરિયાણામાં બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી થશે. અહીં કાર્તિકેય શમાએ મુકાબલાને રસાકસી ભરેલો બનાવી દીધો છે. શર્માને ભાજપનું સમર્થન છે. તેમને જીત માટે 31 મતની જરૂર છે. જે અજય માકન માટે પડકાર સમાન બની ગયું છે. માકન તો જ જીતી શકશે જો તેને કોંગ્રેસનાં 31માંથી 30 વિધાયકનાં મત મળે. એવું કહેવાય છે કે, કોંગ્રેસનાં ત્રણ મત એવા છે જેણે પોતાનાં તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.
કર્ણાટકમાં 4 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. પહેલા અહીં આસાન ચૂંટણી દેખાતી હતી પણ કોંગ્રેસે પ્રદેશ મહાસચિવ મન્સૂર અલીને પોતાનાં ઉમેદવાર બનાવીને પેચ ફસાવી દીધો છે. ભાજપે અહીં વિધાન પરિષદનાં સભ્ય લહેરસિંહને પોતાના ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે. 224 બેઠકોની કર્ણાટક વિધાનસભામાં એક રાજ્યસભા બેઠક માટે 4પ વિધાયકનાં મતની જરૂર હોય છે. કોંગ્રેસ પાસે 70 છે પણ પક્ષે જયરામ રમેશ અને મન્સૂર અલી ખાનને મેદાને ઉતારીને લડત આપવાનું મન બનાવ્યું હતું. કોંગ્રેસને હવે બીજી બેઠક માટે વધારાનાં 20 મતની જરૂર છે.
ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તારીખની જાહેરાત કરી દીધી છે. આગામી 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે અને ત્યાર બાદ 21 જુલાઈના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે અને તે દિવસે જ દેશને નવા રાષ્ટ્રપતિ મળી જશે.
આગામી તારીખ 24 જુલાઈના રોજ વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. ત્યારે તે પહેલા જ દેશના 15મા રાષ્ટ્રપતિને ચૂંટી લેવામાં આવશે.
અગત્યની તારીખો-
15 જૂનના રોજ ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે
– 29 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે
– 2 જુલાઈ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે
– 18 જુલાઈના રોજ મતદાન યોજાશે
– 21 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામ જાહેર થશે.
દેશભરમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે. કોરોનાના વધતા જતા કેસની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. હાલમાં તેઓ પોતે આઈસોલેશન થયા છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. તેઓને હળવો તાવ અને કેટલાક અન્ય લક્ષણો છે. તેથી તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં તે આઈસોલેશનમાં છે પરંતુ તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં હાજરી આપવામાં કોઈ અસર નહી પડશે.
તમને જણાવી દઈએ કે, સોનિયા ગાંધીને 8મી જૂનના રોજ નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં હાજર થવાના હતા. તેમની સાથે તેમના પુત્ર અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને પણ હાજર કરવામાં આવશે. તેમણે (રાહુલ)ને ગુરૂવારે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ તેઓ હાલમાં દેશમાં નથી. આવી સ્થિતિમાં તેણે તપાસ એજન્સીને વિનંતી કરી છે કે, તેમને 5 જૂન બાદ કોઈપણ દિવસે હાજર થવાની તારીખ આપવામાં આવે.
Enforcement Directorateએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે. મની લૉન્ડ્રિંગ સાથે જોડાયેલા કેસ મામલે તેઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં Enforcement Directorateએ મોટી કાર્યવાહી કરતા મની લૉન્ડ્રિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનના પરિવાર સાથે જોડાયેલી 4.81 કરોડની સંપત્તિને અટેચ કરી હતી. જૈનના નજીકના લોકોનો કેટલીક એવી કંપનીઓ સાથે સંબંધ હતો જેની પ્રિવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ (Prevention of Money Laundering Act) હેઠળ તપાસ ચાલી રહી હતી. અહીં નોંધનીય છે કે સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં સ્વાસ્થ્ય, વીજળી, ગૃહ, પીડબ્લ્યુડી, ઉદ્યોગ, શહેર વિકાસ, સિંચાઈ અને જળમંત્રી છે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આ ધરપકડનો વિરોધ કર્યો છે. તેમણે એક પછી એક ટ્વિટમાં જણાવ્યું કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 8 વર્ષથી એક ખોટો કેસ ચલાવાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ED તેઓને ઘણી વખત બોલાવી ચૂકી છે. વચ્ચે ઘણાં વર્ષો EDએ તેઓને બોલાવાનું બંધ કરી દીધું હતું કારણકે તેઓને કશું મળ્યું નહોતું. હવે ફરી શરૂ કર્યું છે કારણકે સત્યેન્દ્ર જૈન હિમાચલ ઈલેક્શનના ઈન્ચાર્જ છે. સિસોદિયાએ એવો દાવો કર્યો છે કે હિમાચલમાં બીજેપી હારી રહી છે. માટે સત્યેન્દ્ર જૈનની આજે ધરપકડ કરવામાં આવી છે કે જેથી તેઓ હિમાચલ ના જઈ શકે. જૈન થોડા દિવસોમાં છુટી જશે કારણકે કેસ એકદમ ખોટો છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર અને હવાલા કેસમાં જૈન સામે તપાસ ચાલી રહી હતી. સત્યેન્દ્રને અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે. બે મહિના અગાઉ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ CBI દ્વારા નોંધાયેલી FIR બાદ જૈનના પરિવાર અને કંપનીઓની રૂપિયા 4.81 કરોડની સ્થાવર મિલકતો અસ્થાયી ધોરણે ટાંચમાં લેવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.