વરિષ્ઠ સમાજસેવક અન્ના હજારેએ પોતાના એક સમયના સાથીદાર એવા આપના સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો છે જે ખૂબ ચર્ચિત બન્યો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તે પત્ર મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે.
કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ અન્ના હજારેએ પ્રથમ વખત પત્ર લખીને તેમના પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પત્રની શરૂઆતમાં અન્ના હજારેએ લખ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીની લિકર પોલિસી મામલે જે સમાચારો સામે આવી રહ્યા છે તે વાંચીને દુઃખ થાય છે.
કેજરીવાલના આરોપ પ્રમાણે આપ સરકારને બદનામ કરવા માટે ભાજપ અન્ના હજારેનો ઉપયોગ કરી રહ્યું છે. અન્ના હજારે દ્વારા લગાવવામાં આરોપો બાદ કેજરીવાલે જણાવ્યું કે, ‘તેઓ (ભાજપ) કહે છે કે, લિકર પોલિસીમાં કૌભાંડ થયું છે પરંતુ સીબીઆઈ કોઈ કૌભાંડ ન થયું હોવાનું કહે છે. જનતા ભાજપનું નથી સાંભળી રહી અને હવે તેઓ અન્ના હજારેજીના ખભે રાખીને બંદૂક ફોડી રહ્યા છે. રાજકારણમાં આ સામાન્ય વાત છે.’
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા મામલે કેજરીવાલે જણાવ્યું કે, ‘જ્યારે આપણે સાર્વજનિક જીવનમાં આવીએ છીએ ત્યારે આપણે કોઈ પણ પ્રકારની તપાસ માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. સીબીઆઈએ પોતાની તમામ તપાસ પૂરી કરી. મનીષ સિસોદિયાની 14 કલાક સુધી પુછપરછ કરી. તેમણે સવાલનો સંતોષકારક જવાબ આપ્યા. તેમને લોકરમાં પણ કશું ન મળ્યું. માટે તેમને ઔપચારિક ક્લીન ચિટ આપી દેવાઈ.’
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ મોટું એલાન કર્યું છે. તેઓ જમ્મુ કાશ્મીર પાછા આવશે અને પોતાની પાર્ટી બનાવશે. આઝાદે બીજેપીમાં સામેલ થવાની ખબરોને પણ નકારી કાઢી છે. તેમણે કહ્યું કે, મારા વિરોધી છેલ્લા 3 વર્ષથી કહી રહ્યા છે કે, હું ભાજપમાં જઈ રહ્યો છું. તેઓએ તો મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધા.
તેમણે જણાવ્યું કે, તેઓ નવી પાર્ટી બનાવશે. તેની સાથે જ તેમણે ફરી એક વખત રાષ્ટ્રીય રાજકારણથી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં પરત ફરવાનો પણ સંકેત આપી દીધો છે. આઝાદે કહ્યું કે, હું જમ્મુ પણ આવીશ, કાશ્મીર પણ આવીશ. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં અમે પોતાની પાર્ટી બનાવીશું. ત્યારબાદ રાષ્ટ્રીય સ્તરે પણ નજર આવીશું.
શું બીજેપીમાં સામેલ થશો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, મારા વિરોધીઓ આ વાત 3 વર્ષથી કહી રહ્યા છે. તેઓએ મને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ બનાવી દીધા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમને કોઈ બીજેપી નેતાનો ફોન આવ્યો? આ સવાલના જવાબ પર આઝાદે કહ્યું કે, ભાજપના નેતા મને શું કામ ફોન કરે અમે બીજેપીમાં નથી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષના નિવેદન પર ગુલામ નબી આઝાદે કહ્યું કે, અમારા બધી પાર્ટીઓ સાથે સારા સબંધ છે. અમે કોઈને પણ અપશબ્દો નથી કહ્યા. અમે બધા પક્ષોનું સમ્માન કરીએ છીએ. એટલા માટે બધા પક્ષોનું મારા પ્રત્યે સમ્માનનો ભાવ છે.
ગુલામ નબી આઝાદે પોતાના રાજીનામામાં રાહુલ ગાંધી પર લગાવેલા આરોપોના સવાલ પર કહ્યું કે, ગાંધી પરિવાર સાથે અંગત રીતે મારા ઘણા સારા સંબંધો છે. પરંતુ તે પર્સનલ રિલેશનની વાત નથી આ તો આપણે કોંગ્રેસના ડાઉનફોલની વાત કરી રહ્યા છીએ અને જેણે કોંગ્રેસમાં 50 વર્ષ વિતાવ્યા તેમને કેવું લાગી રહ્યું છે તે જણાવી રહ્યા છે.
મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાની દીકરીનો એક હોસ્પિટલમાં ડોક્ટરને થપ્પડો મારતો વિડીયો વાયરલ થયો છે. તે પછી મિઝોરમના મુખ્યમંત્રીએ જાહેરમાં માફી માગી છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કહ્યું કે, તેઓ પોતાની દીકરીના આવા વ્યવહારને કોઈ રીતે યોગ્ય ઠેરવી શકે તેમ નથી. સીએમએ કહ્યું કે, દીકરીએ ડોક્ટર પાસે જઈને તેમની માફી માગી લીધી છે. મુખ્યમંત્રીની દીકરી મિલારી છાંગતેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, જેમાં તે એક ડોક્ટરને થપ્પડો મારી રહી હતી.
17/8/22, બુધવારે બનેલી આ ઘટનાથી ડોક્ટરોમાં રોષ છે. 20/8/22, શનિવારે 800થી વધુ ડોક્ટરોએ કથિત હુમલાની ટીકા કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક ડોક્ટરે કહ્યું કે, છાંગતેએ આઈઝોલ સ્થિત ચામડીના રોગના ડોક્ટર પર હુમલો કર્યો હતો. ડોક્ટરે છાંગતેને કહ્યું કે, તેમણે ક્લિનિક પર એપોન્ટમેન્ટ લઈને આવવું જોઈતું હતું, જેના પર તે ગુસ્સે થઈ ગઈ હતી અને થપ્પડો મારી દીધી હતી.
આઈએમએના મિઝોરમ યુનિટે સ્ટેટમેન્ટમાં કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે ડોક્ટરોની સાથે આ પ્રકારનો વ્યવહાર ફરીથી ન થાય.
મુખ્યમંત્રીએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ‘ડોક્ટર સાથે મારી દીકરીએ જે વ્યવહાર કર્યો તેના બચાવમાં હું કઈ કહેવા નથી માગતો. અમે જનતા અને ડોક્ટરોની માફી માગીએ છીએ.’ ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની બીજી દીકરીએ પણ સોશિયલ મીડિયા પર પોતાની બહેન તરફથી માફી માગી હતી અને કહ્યું હતું કે, માનસિક તણાવને કારણે તેમની બહેન ગુસ્સે થઈ ગઈ હતી.
પીએમ મોદીનુ લાંબુ ભાષણ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યુ છે.જોકે એવુ નથી કે, આ પીએમ મોદીનુ લાંબામાં લાંબુ ભાષણ છે.આ પહેલા 2-21માં 15 ઓગસ્ટનુ તેમનુ ભાષણ 88 મિનિટનુ હતુ.2014માં જ્યારે તેઓ પહેલી વખત પીએમ બન્યા અને લાલ કિલ્લા પરથી ભાષણ કર્યુ ત્યારે તેનો સમયગાળો 64 મિનિટનો હતો.
પીએમ મોદી અત્યાર સુધીમાં દેશને નવ વખત લાલ કિલ્લા પરથી સંબોધિત કરી ચુકયા છે.જેમાં માત્ર એક જ વખત 2017માં એક કલાકથી ઓછા સમયનુ ભાષણ આપ્યુ હતુ.જાણો પીએમ મોદીના અત્યાર સુધીના ભાષણોનો સમયગાળો
બિહાર (Bihar)માં ભાજપ (BJP) સાથે છેડો ફાડી અને આરજેડી (RJD) સાથે ગઠબંધન કરી મોટો રાજકીય ઉલટફેર કર્યા બાદ નીતિશ કુમાર (Nitish Kumar) બુધવારે 10/8/22, બપોરે બે કલાકે ફરીથી સીએમ પદના શપથ લેવાના છે. કુલ સાત પાર્ટીઓના સહયોગથી આ સરકાર બનવા જઈ રહી છે. નીતિશ કુમાર 8મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. તેમની સાથે તેજસ્વી યાદવ (Tejashwi Yadav) પણ શપથ લેવાના છે. તેમને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતા છે.
આ મહાગઠબંધન સરકારના મંત્રીમંડળને લઈને જે અહેવાલો સામે આવ્યા છે, તેમાં કહેવાઈ રહ્યું છે કે, 35 મંત્રીઓનું એક મજબૂત મંત્રીમંડળ જોવા મળી શકે છે. તેમાં જેડીયુ અને આરજેડીના ખાતામાં 14 મંત્રાલય આવી શકે છે. તો કોંગ્રેસને ત્રણ અને લેફ્ટને બે મંત્રાલય જઈ શકે છે. જીતન રામ માંઝીની પાર્ટીને પણ એક મંત્રાલય આપવામાં આવી શકે છે. જોકે, હજુ સુધી મંત્રીમંડળને લઈને કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
મંગળવારનો દિવસ બિહારના રાજકારણમાં મોટી ઉથલ-પાથલવાળો રહ્યો. સૌથી પહેલા નીતિશ કુમાર રાજ્યપાલને મળ્યા અને પોતાનું રાજીનામું સોપ્યું અને પછી સીધા રાબડી દેવીના ઘરે જઈ તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી. એ મુલાકાતમાં નીતિશ કુમારે મહાગઠબંધનનો સાથ છોડવા પર અફસોસ વ્યક્ત કર્યો અને એક નવી શરૂઆત પર ભાર આપ્યો. તે પછી નીતિશ અને તેજસવી બંને ફરી રાજ્યપાલને મળવા ગયા અને તેમની સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. તેમના દ્વારા કુલ 164 ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપવામાં આવ્યો.
બિહારમાં લાંબા સમયથી ચાલુ રાજકીય અટકળો પર પૂર્મ વિરામ મૂકાય ગયો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યૂનાઈટેડ (JDU) વચ્ચેનું ગઠબંધન તૂટી ગયુ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના આવાસ પર થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બિહારમાં જનતા દળ યુનાઈટેડ અને ભાજપની યુતિ સરકાર પડી ભાંગી છે. આ પહેલા રાજ્યપાલને મળવા માટે મુખ્યમંત્રી કુમારે જે સમય માંગ્યો હતો તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ સાથે બેઠકમાં કુમાર રાજીનામું આપે તેવી શક્યતા છે. આ દરમિયાન લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ અને કુમારના જનતા દળ યુનાઈટેડ વચ્ચેની એક સંયુક્ત બેઠક યોજાઈ હતી. નીતિશ કુમાર બીજેપીનો સાથ છોડશે તેવી અટકળો સતત ચાલી રહી હતી. જેના પર હવે મહોર લાગી ગઈ છે. જો કે જેડીયુ દ્વારા ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ બંને પક્ષોનું ગઠબંધન તૂટી ગયું છે. CM નીતિશ કુમાર મહાગઠબંધન સાથે સરકાર બનાવશે જેમાં આરજેડી, લેફ્ટ અને કોંગ્રેસ સામેલ છે. સાંજે જ્યારે તેઓ રાજ્યપાલની મુલાકાત કરશે ત્યારે મહાગઠબંધનના નેતા પણ તેમની સાથે હાજર રહેશે અને ગવર્નરને સમર્થન પત્ર સોંપશે.
ભારતમાં કેન્દ્રનું સત્તાબિંદુ હાંસલ કરવા માટે ગુજરાતનો રસ્તો જ અપનાવવો પડે છે તેવી માન્યતાને પગલે હવે ગુજરાતના રાજકરણમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક મોટો દાવ ખેલવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ મહિના પૂર્વે જ આપ અમુક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.
ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
– આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે
મુંબઈ, તા. 31 જુલાઈ 2022, રવિવાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ હવે શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સંજય રાઉતની ધરપકડ થઈ શકે છે. તેને પૂછપરછ માટે ED ઓફિસ લઈ જવામાં આવી શકે છે. રાઉત રૂ. 1034 કરોડના પાત્રા ચાવલ કૌભાંડમાં તપાસ હેઠળ છે અને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ છે.
શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ રવિવારે સવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ મુંબઈના ભાંડુપ સ્થિત ઘરે પહોંચી છે. મળતી માહિતી મુજબ પાત્રા ચાલ જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસમાં અસહકારના કારણે આ ટીમ તેના ઘરે પહોંચી હતી. એવું માનવામાં આવે છે કે, EDની ટીમ રાઉતને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી શકે છે.
મહારાષ્ટ્રના 1000 કરોડથી વધુના પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં EDની ટીમ સંજય રાઉતની પહેલાથી જ પૂછપરછ કરી રહી છે. ED દ્વારા તેમને 27 જુલાઈએ સમન્સ મોકલવામાં આવ્યા હતા. જોકે, તેઓ અધિકારીઓ સમક્ષ હાજર નહોતા થયા. ત્યારબાદ હવે EDના અધિકારીઓ તેના ઘરે પહોંચી ગયા છે.
બીજી તરફ EDની ટીમ સંજય રાઉતના ઘરે પહોંચી ત્યારે બીજેપી નેતા રામ કદમે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, એક નેતા છે, તેથી તેની તપાસ નહીં થાય એવું ન થઈ શકે. અખબારો સામના ચલાવી રહ્યા છે પરંતુ તપાસનો સામનો નથી કરી શકતા. દેશમાં કોઈ પણ હોય જેણે ખોટું કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
વાસ્તવમાં મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલ પાત્રા ચાલ મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીનો વિસ્તાર છે. લગભગ 1034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની 9 કરોડ રૂપિયા અને રાઉતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી ચૂકી છે.
આરોપ છે કે, રિયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવીણ રાઉતે પાત્રા ચાલમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી છે. પ્રવીણ રાઉત સંજય રાઉતના મિત્ર છે. એક ખાનગી કંપનીને આ વિસ્તારમાં 3000 ફ્લેટ બનાવવાનું કામ મળ્યું. પરંતુ 2011માં તેના કેટલાક ભાગો અન્ય બિલ્ડરોને વેચી દેવામાં આવ્યા હતા. આ કેસમાં સંજય રાઉત પર મની લોન્ડરિંગનો આરોપ છે.
અરવિંદ કેજરીવાલે સુરત ખાતેથી મોટી જાહેરાત કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત પ્રવાસે છે. સુરત પહોંચેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કરેજરીવાલે વીજળીના ભાવ ઘટાડવાની ગેરંટી આપી છે. કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં સરકાર બન્યાના 3 મહિનામાં ફ્રી વીજળી આપીશું. દરેક પરિવારને 300 યુનિટ ફ્રી વીજળી મળશે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં લોકોને ખોટા ખોટા બિલો આપવામાં આવે છે.
કેજરીવાલે કહ્યું કે, અમારી સરકાર બનતા જ 31 મહિના પહેલાના તમામ ડોમેસ્ટિક બિલ માફ કરાશે અને એવી વ્યવસ્થા કરીશું કે ખોટા બિલ નહીં આવે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લોકો માટે હાલમાં મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. તેમણે આગળ કહ્યું કે, અમે જે બોલીએ છીએ તે કરીને બતાવીએ છીએ. અમે ખોટા વચનો નથી આપતા. કેજરીવાલે દાવો કર્યો કે, આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની જેમ ભારે બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.
સુરતમાં આવેલા કેજરીવાલે મોટા ઉપાડે ગુજરાતની જનતાને 300 યુનિટ સુધી વીજળી વિના મુલ્યે આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ પત્રકાર પરિષદમાં વીજળીના ભાવ અને દારુ અંગે કેજરીવાલના ડબલ સ્ટાન્ડર્ડ બહાર આવ્યા હતા.
આ ઉપરાંત તમને પ્રશ્ન પૂછ્યો હતો કે સરકારની આવક વધારવા માટે દિલ્હીમાં જે રીતે શરાબના ઠેકાના કોન્ટ્રાક્ટ અપાયા છે તો ગુજરાતમાં કેવી રીતે આવક વધારાશે ? દિલ્હીના શરાબ ઠેકા અંગે તેઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. પરંતુ ગુજરાતમાં હાલ જે દારું બંધી છે તેમાં ગેરકાયદેસર દારુ આવે છે અને તેને કડકાઈથી બંધ કરાવીને ગુજરાતમાં દારૂબંધી નો અમલ કડકાઈથી કરાવીશું તેમ કહ્યું હતું.
હોટલમાં સુરતના અલગ-અલગ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી છે. કેજરીવાલે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી.
આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે ગુજરાતની જનતા ભાજપ થી ડરી રહી છે ભાજપે તેમને ડરાવી રાખી છે અને જનતાને વિકલ્પ મળતો નથી તેથી ભાજપ જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. પરંતુ આ ચૂંટણીમાં જનતાને આપ નો વિકલ્પ મળ્યો છે તેથી જનતા ગુજરાતમાં પરિવતન માગે છે.
આમ બે રાજ્યમાં વીજળી અને દારૂના પ્રશ્ન અંગે કેજરીવાલે જુદા જુદા જવાબ આપી તેમના ડબલ સ્ટાન્ડર્ડ જોવા મળ્યા હતા.
દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અહીં તેઓ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે આજે કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આપના હોદ્દેદારો તથી સંગઠનો સાથે બેઠક યોજશે.
અરવિંદ કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સતત ગુજરાત ઉપર નજર રાખીને બેઠા છે. કોંગ્રેસની ગુજરાતમાં નબળી સ્થિતિને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના તરફેણમાં પરિણામ લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.
સુરતમાં અરવિંદ કેજરીવાલના પ્રવાસને લઈને આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ સુરત મહાનગર પાલિકા દ્વારા કાઢી લેવામાં આવ્યા હતા. સુરતના અઠવાગેટ સહિત અનેક વિસ્તારમાં મંજૂરી વગર લગાડવામાં આવેલા બેનર અને હોર્ડિંગસ કાઢી લેવામાં આવ્યા હતા.
યુપીમાં સપાના બરેલીના ભોજીપુરા MLA શહઝીલ ઈસ્લામે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું છે. તેમણે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો છે. ઓડિશાથી કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ મુકીમે દાવો કર્યો છે કે, તેમણે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો છે. AIUDF ધારાસભ્ય કરીમુદ્દીન બરભુઈયાએ દાવો કર્યો છે કે, કોંગ્રેસના ધારાસભ્યોએ આસામમાં ક્રોસ વોટિંગ કર્યું છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુજરાતમાં ગાંધીનગર ખાતે પ્રથમ ક્રોસ વોટિંગ થયું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના રાષ્ટ્રપતિ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં આજે ગાંધીનગર ખાતે પોતાનો મત આપ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં મતદાન કર્યું. ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કર્યું.
આજે દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સંસદ ભવન અને રાજ્યોની વિધાનસભાઓમાં દેશભરના લગભગ 4,800 ધારાસભ્ય અને સાંસદો મત આપશે. NDA તરફથી દ્રૌપદી મુર્મૂ ઉમેદવાર છે તો વિપક્ષે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને મેદાનમાં ઉતાર્યા છે. મતોનું ગણિત જોતા NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું પલડું ભારે નજર આવી રહ્યું છે.
સંસદ ભવનમાં પહેલા માળે રૂમ નંબર 63માં મતદાન થશે. સવારે 10:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી બેલેટ પેપર દ્વારા મતદાન થશે. સાંસદોએ બેલેટ પેપર પર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ સામે તેમની પસંદગીની નોંધણી કરવાની રહેશે.મતદાનનું પરિણામ 21 જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ 25 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારંભ યોજાશે. દ્રૌપદી મુર્મૂની જીતથી આદિવાસી સમુદાયની મહિલા માટે પ્રથમ વખત દેશના ટોચના બંધારણીય પદ પર પહોંચવાનું શક્ય બનશે.
– દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટેની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મુર્મૂ આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેઓ 2015થી 2021 સુધી ઝારખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
– વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રની અલગ અલગ સરકારોમાં નાણામંત્રી અને વિદેશમંત્રી રહી ચૂકેલા સિન્હા 2018માં BJPથી અલગ થયા હતા. બાદમાં તેઓ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે, તેમણે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાયાના એક દિવસ પહેલા ટીએમસી છોડી દીધી હતી. આ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો પક્ષ મતોની દ્રષ્ટિએ મજબૂત નજર આવી રહ્યો છે. સત્તાધારી ગઠબંધન સિવાય માત્ર બીજેડી, વાયએસઆર કોંગ્રેસ, શિરોમણિ અકાલી દળ જ નહીં વિપક્ષી ટીમની માનવામાં આવતી જેડીએસ, ઝામુમો, શિવસેના અને ટીડીપી જેવી પાર્ટીઓએ પણ સમર્થનનું એલાન કર્યું છે.
– લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાને પણ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રવિવારે યોજાયેલી NDAની બેઠકમાં હાજરી આપી હતી. જેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે, 2020 બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ સત્તારૂઢ ગઠબંધનથી અલગ થઈ ગયા હતા. જો કે, ચિરાગે કહ્યું કે, મીટિંગમાં આવવાનો અર્થ એ નથી કે તે ફરીથી એનડીએનો હિસ્સો બની ગયા છે.
– આમ આદમી પાર્ટીએ વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાનું સમર્થન કરવાનો નિર્ણય કર્યો છે.
– NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો વોટ શેર લગભગ બે તૃતીયાંશ સુધી પહોંચે તેવી શક્યતા છે. આ ચૂંટણીમાં કુલ મતોનું મૂલ્ય 10,86,431 છે જેમાંથી મુર્મૂને 6,67,000 મત મળવાની શક્યતા છે.
– ચૂંટણી આયોગના કહેવા મુજબ આ વખતે એક સાંસદના મતનું મૂલ્ય 700 છે. છેલ્લી વખતે સાંસદના મતનું મૂલ્ય 708 હતું.
– ઉત્તર પ્રદેશમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 208 છે. ઝારખંડ અને તમિલનાડુના ધારાસભ્યોના મતનું મૂલ્ય 176 અને મહારાષ્ટ્રના ધારાસભ્યોના મતનું મૂલ્ય 175 છે. સિક્કિમના ધારાસભ્યના મતનું મૂલ્ય આખા દેશમાં સૌથી ઓછું છે.
– રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ઘણા રાજ્યોમાં ક્રોસ વોટિંગથી બચવા માટે પાર્ટીઓના ધારાસભ્યોને હોટેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યોને શનિવારે જ બેંગ્લોરની હોટેલમાં લઈ જવામાં આવ્યા હતા. ગોવામાં કોંગ્રેસ પાર્ટીએ તેના 11માંથી 5 ધારાસભ્યોને ચેન્નાઈ શિફ્ટ કરી દીધા હતા. બંગાળમાં પણ ભાજપે પોતાના ધારાસભ્યોને હોટેલમાં રાખ્યા હતા.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.