Jayesh Brahmbhatt 98253 44944
મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના ક્વોટાના મંત્રી એકનાશ શિંદે સાથે સુરતમાં કમસે કમ 30 જેટલા ધારાસભ્યો હોવાની વાતને સૂત્રોએ સમર્થન આપ્યું છે. ગઇકાલે મોડી રાત્રે શિવસેનાના ધારાસભ્ય અને મહારાષ્ટ્રની અઘાડી સરકારના મંત્રી, અસંતુષ્ઠ નેતા એકનાથ શિંદે સાથે કેટલાક ધારાસભ્યો સુરત આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે સુરતની ફાઇવસ્ટાર હોટેલમાં મહારાષ્ટ્રના 24 ધારાસભ્યો હાજર હતા જેમાં હાલની અઘાડી સરકારમાં મિનિસ્ટર પદ ધરાવતા 4 નેતાઓનો પણ સમાવેશ થાય છે. એ પછી આજે મંગળવાર, તા.21મીએ સવારે પણ અન્ય ધારાસભ્યો સુરતની હોટેલ પર આવી પહોંચ્યા હતા.
મહારાષ્ટ્રને હચમચાવી દેનાર એકનાથ શિંદે વિશે જાણો
મહારાષ્ટ્રની રાજનીતિમાં એકનાથ શિંદે ઠાકરે પરિવારની બહાર સૌથી તાકાતવર શિવસૈનિક ગણાવાય રહ્યા છે. એવી પણ વાત જાણવા મળી કે જો 2019માં ઉદ્ધવ ઠાકરે અઘાડી સરકારમાં મુખ્યમંત્રી બનવા માટે તૈયાર નહીં થયા હોત તો એ સમયે એકનાથ શિંદે જ મુખ્યમંત્રી તરીકે વરાયા હોત.
59 વર્ષના શિંદે મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ મંત્રી છે. વર્ષ 1980માં તેઓ શિવસેનામાં શાખા પ્રમુખ તરીકે જોડાયા હતા. શિંદે થાણેની કોપરી-પંચપખાડી બેઠક પરથી 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પાર્ટી માટે તેઓ જેલ પણ ગયા છે. તેમની છબી કટ્ટર અને વફાદાર શિવસૈનિકની રહી છે.
એકનાથ શિંદે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પહારી જવાલી તાલુકાના વતની છે. થાણે શહેરમાં ગયા પછી તેમણે મંગલા હાઈસ્કૂલ અને જુનિયર કૉલેજ, થાણેમાં ધોરણ 11 સુધી અભ્યાસ કર્યો. થાણેમાં શિંદેનો પ્રભાવ એવો છે કે લોકસભા ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય તેમના ઉમેદવાર હંમેશા ચૂંટણી જીત્યા છે. એકનાથના પુત્ર શ્રીકાંત શિંદે પણ શિવસેનાની ટિકિટ પર કલ્યાણ બેઠક પરથી સાંસદ છે. તેઓ ઓક્ટોબર 2014 થી ડિસેમ્બર 2014 સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. 2014માં જ મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં PWD ના કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થઇ હતી. 2019ની સાલમાં કેબિનેટ મંત્રી જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ (મહારાષ્ટ્ર સરકાર) નું પદ મળ્યું.
એકનાથ શિંદેની નારાજગી નવી વાત નથી, આજનો સમય યોગ્ય રહ્યો
શિવસેના હાઈકમાન્ડથી એકનાથ શિંદેની નારાજગી કોઈ નવી વાત નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ત્રણ ગઠબંધન પાર્ટી શિવસેના, કોંગ્રેસ અને એનસીપીથી નારાજ છે. અગાઉ જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા તે સમયે પણ શિવસેના હાઈકમાન્ડ સાથે એકનાથ શિંદેની ટક્કરના અહેવાલ હતા. ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે એકનાથ શિંદે તેમના તમામ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. જો કે તે સમયે આ અહેવાલો ખોટા સાબિત થયા હતા અને તેમણે પોતે આ વાતનું ખંડન કર્યું હતું. પરંતુ હવે ફરી નારાજગીનો મામલો સામે આવ્યો છે.
બીજી તરફ મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતાએ સરકાર લઘુમતિમાં હોવાની વાતને પણ સમર્થન આપ્યું છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક નિવેદનમાં કહ્યું હતું કે એકનાથ શિંદે મુંબઇમાં નથી પરંતુ, એ અમારા સંપર્કમાં જરૂર છે.
Reported @ 7.12 am 21/6/22
મહારાષ્ટ્રની રાજનીતિમાં સુરત વાઇરલ?!, મહારાષ્ટ્રના એક નારાજ મંત્રી અનેક MLA સાથે સુરત કેમ આવ્યા?, અનેક તર્કવિતર્ક
મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇના ટોચના રાજકારણીઓથી લઇને વીવીઆઇપીઝનું ધ્યાન છેલ્લા 10 કલાકથી સુરત પર કેન્દ્રીત થયું છે. રાજકીય ગતિવિધિ એવી સર્જાઇ છે કે મહારાષ્ટ્રની શિવસેના-કોંગ્રેસ-એનસીપી સરકારના નારાજ મનાતા મંત્રી એકનાથ શિંદે સહિત કેટલાક ધારાસભ્યો એક સાથે ગઇકાલે સોમવાર, તા.20મી જૂનની મોડી રાત્રે સુરત આવી પહોંચ્યા હતા. તેઓ સુરતના અઠવાલાઇન્સ સ્થિત મેરીયોટ હોટલમાં રોકાયા છે. બસ આ જ કારણે સમગ્ર મહારાષ્ટ્રના પોલિટિક્સનું આજનું કેન્દ્ર બિંદુ સુરત બન્યું હોવાની ચર્ચા સમગ્ર દેશમાં વાઇરલ થઇ છે.
શિવસેનાથી નારાજ મંત્રી એકનાથ સિંદે ગઈકાલ રાથી સંપર્ક વિહોણા થયા હતા. એકનાથ શિંદે સાથે શિવસેનાના 20 જેટલા ધારાસભ્યો પણ સંપર્ક વિહોણા થયાં હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણ ગરમાયું હતું.
મહારાષ્ટ્ર સરકારના નારાજ મંત્રી એકનાથ શિંદે અને તેમની સાથે ધારાસભ્યો સુરત આવીને મેરીડીયન હોટેલમાં રોકાયા હોવાની બાબતને સત્તાવાર રીતે કોઇ પુષ્ટી મળી નથી પરંતુ, હોટેલની આજુબાજુ જે રીતે પોલીસે નાકાબંધી કરીને અજાણ્યા લોકોના પ્રવેશ બંધ કરી દીધા છે એ જોતા કોઇક મોટું ડેવલપમેન્ટ હોટેલમાં થયું હોવાની વાતને સમર્થન જરૂર મળી રહ્યું છે.

મહારાષ્ટ્રના આ ધારાસભ્યો ત્યાંના વર્તુળમાંથી સંપર્ક વિહોણા ગણાવાય રહ્યા છે
- એકનાથ શિંદે – કોપરી
- અબ્દુલ સત્તાર – સિલ્લોડ – ઔરંગાબાદ
- શંભૂરાજ દેસાઇ – સતારા
- સંદિપાન ભૂમરે – પૈઠણી – ઔરંગાબાદ
- ઉદયશસહ રાજપૂત – કન્નડ- ઔરંગાબાદ
- ભરત ગોગાવલે – મહાડ – રાયગઢ
- નિતીન દેશમુખ – બાળાપુર – અકોલા
- અનિલ બાબર – ખાનાપુર – આટપાડી – સાંગલી
- વિશ્વનાથ ભોઇર – કલ્યાણ પશ્ચિમ
- સંજય ગાયકવાડ – બુલઢાણા
- સંજય રામુલકર – મેહકર
- મહેશ સિંદે – કોરેગાંવ – સતારા
- શહાજી પાટીલ – સાંગોલા – સોલાપૂર
- પ્રકાશ અબિટકર – રાધાપુરી – કોલ્હાપૂર
- સંજય રાઠોડ – દિગ્રસ – યવતમાળ
- જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ – ઉસ્માનાબાદ
- તાનાજી સાવંત – પરોડા – ઉસ્માનાબાદ
- સંજય શિરસાટ – ઔરંગાબાદ પશ્ચિમ
- રમેશ બોરનારે – બૈજાપૂર – ઔરંગાબાદ

રાજકીય ગતિવિધિઓ જોતા આગામી રાજ્યસભાની ચૂંટણીઓના વોટીંગ પહેલા સર્જાયેલી આ ગતિવિધિને પગલે અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે. દરમિયાન એવી પણ જાણકારી મળી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરત આવેલા મહારાષ્ટ્રના મંત્રી તેમજ ધારાસભ્યો સાથે મુલાકાત પણ કરી હતી. પરંતુ, આ અંગે કોઇ આધિકારીક પુષ્ટી કરવામાં આવી નથી.
પરંતુ, હાલ એક વાત નિશ્ચિત છે કે મહારાષ્ટ્રના રાજકીય તખ્તે સુરત વાઇરલ થઇ ચૂક્યું છે.
મહારાષ્ટ્રના અસંતુષ્ઠ મંત્રી એકનાથ શિંદે આજે બપોરે 12 કલાકે સુરતની હોટેલમાંથી જ પત્રકાર પરિષદ કરી શકે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે બાળા સાહેબ ઠાકરેના ખાસ અને સૌથી નજીકના માનતા નેતા શિંદે પાસે સુરતમાં હોય તેનાથી વધારે ધારાસભ્યોનો ટેકો હોય શકે છે.
શિવસેનાના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન
સંજય રાઉતે આ સમગ્ર ઘટનાક્રમ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સી.આર.પાટીલે જ એકનાથ શિંદે માટે રૂમ બુક કર્યા છે. સુરતમાં ભાજપે જ એકનાથ શિંદેની વ્યવસ્થા કરી. મહારાષ્ટ્રના રાજકારણમાં કોઇ ભૂકંપ આવ્યો નથી. આ બહુ મોટું ષડયંત્ર છે, શિવસેના ઇમાનદારની સેના છે.
તેમણે વધુમાં કહ્યું કે શિવસેનાના કેટલાંક ધારાસભ્ય અને એકનાથ શિંદે સાથે હાલ સંપર્ક થઇ શકયો નથી. મહાવિકાસ અઘાડીની સરકારને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ ભાજપે એ યાદ રાખવું પડશે કે મહારાષ્ટ્ર રાજસ્થાન કે મધ્યપ્રદેશથી ખૂબ જ અલગ છે.




















