CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 12 of 53 - CIA Live

June 21, 2022
cia_multi-1280x1045.jpg
4min649

Jayesh Brahmbhatt 98253 44944

મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના ક્વોટાના મંત્રી એકનાશ શિંદે સાથે સુરતમાં કમસે કમ 30 જેટલા ધારાસભ્યો હોવાની વાતને સૂત્રોએ સમર્થન આપ્યું છે. ગઇકાલે મોડી રાત્રે શિવસેનાના ધારાસભ્ય અને મહારાષ્ટ્રની અઘાડી સરકારના મંત્રી, અસંતુષ્ઠ નેતા એકનાથ શિંદે સાથે કેટલાક ધારાસભ્યો સુરત આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે સુરતની ફાઇવસ્ટાર હોટેલમાં મહારાષ્ટ્રના 24 ધારાસભ્યો હાજર હતા જેમાં હાલની અઘાડી સરકારમાં મિનિસ્ટર પદ ધરાવતા 4 નેતાઓનો પણ સમાવેશ થાય છે. એ પછી આજે મંગળવાર, તા.21મીએ સવારે પણ અન્ય ધારાસભ્યો સુરતની હોટેલ પર આવી પહોંચ્યા હતા.

Image
Image

મહારાષ્ટ્રને હચમચાવી દેનાર એકનાથ શિંદે વિશે જાણો

મહારાષ્ટ્રની રાજનીતિમાં એકનાથ શિંદે ઠાકરે પરિવારની બહાર સૌથી તાકાતવર શિવસૈનિક ગણાવાય રહ્યા છે. એવી પણ વાત જાણવા મળી કે જો 2019માં ઉદ્ધવ ઠાકરે અઘાડી સરકારમાં મુખ્યમંત્રી બનવા માટે તૈયાર નહીં થયા હોત તો એ સમયે એકનાથ શિંદે જ મુખ્યમંત્રી તરીકે વરાયા હોત.

59 વર્ષના શિંદે મહારાષ્ટ્ર સરકારમાં શહેરી વિકાસ મંત્રી છે. વર્ષ 1980માં તેઓ શિવસેનામાં શાખા પ્રમુખ તરીકે જોડાયા હતા. શિંદે થાણેની કોપરી-પંચપખાડી બેઠક પરથી 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પાર્ટી માટે તેઓ જેલ પણ ગયા છે. તેમની છબી કટ્ટર અને વફાદાર શિવસૈનિકની રહી છે.

એકનાથ શિંદે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પહારી જવાલી તાલુકાના વતની છે. થાણે શહેરમાં ગયા પછી તેમણે મંગલા હાઈસ્કૂલ અને જુનિયર કૉલેજ, થાણેમાં ધોરણ 11 સુધી અભ્યાસ કર્યો. થાણેમાં શિંદેનો પ્રભાવ એવો છે કે લોકસભા ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય તેમના ઉમેદવાર હંમેશા ચૂંટણી જીત્યા છે. એકનાથના પુત્ર શ્રીકાંત શિંદે પણ શિવસેનાની ટિકિટ પર કલ્યાણ બેઠક પરથી સાંસદ છે. તેઓ ઓક્ટોબર 2014 થી ડિસેમ્બર 2014 સુધી મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. 2014માં જ મહારાષ્ટ્ર રાજ્ય સરકારમાં PWD ના કેબિનેટ મંત્રી તરીકે નિયુક્ત થઇ હતી. 2019ની સાલમાં કેબિનેટ મંત્રી જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ (મહારાષ્ટ્ર સરકાર) નું પદ મળ્યું.

એકનાથ શિંદેની નારાજગી નવી વાત નથી, આજનો સમય યોગ્ય રહ્યો

શિવસેના હાઈકમાન્ડથી એકનાથ શિંદેની નારાજગી કોઈ નવી વાત નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ત્રણ ગઠબંધન પાર્ટી શિવસેના, કોંગ્રેસ અને એનસીપીથી નારાજ છે. અગાઉ જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા તે સમયે પણ શિવસેના હાઈકમાન્ડ સાથે એકનાથ શિંદેની ટક્કરના અહેવાલ હતા. ત્યારે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે એકનાથ શિંદે તેમના તમામ સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ શકે છે. જો કે તે સમયે આ અહેવાલો ખોટા સાબિત થયા હતા અને તેમણે પોતે આ વાતનું ખંડન કર્યું હતું. પરંતુ હવે ફરી નારાજગીનો મામલો સામે આવ્યો છે.

બીજી તરફ મહારાષ્ટ્રના કોંગ્રેસના નેતાએ સરકાર લઘુમતિમાં હોવાની વાતને પણ સમર્થન આપ્યું છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક નિવેદનમાં કહ્યું હતું કે એકનાથ શિંદે મુંબઇમાં નથી પરંતુ, એ અમારા સંપર્કમાં જરૂર છે.

Reported @ 7.12 am 21/6/22

મહારાષ્ટ્રની રાજનીતિમાં સુરત વાઇરલ?!, મહારાષ્ટ્રના એક નારાજ મંત્રી અનેક MLA સાથે સુરત કેમ આવ્યા?, અનેક તર્કવિતર્ક

મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇના ટોચના રાજકારણીઓથી લઇને વીવીઆઇપીઝનું ધ્યાન છેલ્લા 10 કલાકથી સુરત પર કેન્દ્રીત થયું છે. રાજકીય ગતિવિધિ એવી સર્જાઇ છે કે મહારાષ્ટ્રની શિવસેના-કોંગ્રેસ-એનસીપી સરકારના નારાજ મનાતા મંત્રી એકનાથ શિંદે સહિત કેટલાક ધારાસભ્યો એક સાથે ગઇકાલે સોમવાર, તા.20મી જૂનની મોડી રાત્રે સુરત આવી પહોંચ્યા હતા. તેઓ સુરતના અઠવાલાઇન્સ સ્થિત મેરીયોટ હોટલમાં રોકાયા છે. બસ આ જ કારણે સમગ્ર મહારાષ્ટ્રના પોલિટિક્સનું આજનું કેન્દ્ર બિંદુ સુરત બન્યું હોવાની ચર્ચા સમગ્ર દેશમાં વાઇરલ થઇ છે.

 શિવસેનાથી નારાજ મંત્રી એકનાથ સિંદે ગઈકાલ રાથી સંપર્ક વિહોણા થયા હતા. એકનાથ શિંદે સાથે શિવસેનાના 20 જેટલા ધારાસભ્યો પણ સંપર્ક વિહોણા થયાં હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણ ગરમાયું હતું.

મહારાષ્ટ્ર સરકારના નારાજ મંત્રી એકનાથ શિંદે અને તેમની સાથે ધારાસભ્યો સુરત આવીને મેરીડીયન હોટેલમાં રોકાયા હોવાની બાબતને સત્તાવાર રીતે કોઇ પુષ્ટી મળી નથી પરંતુ, હોટેલની આજુબાજુ જે રીતે પોલીસે નાકાબંધી કરીને અજાણ્યા લોકોના પ્રવેશ બંધ કરી દીધા છે એ જોતા કોઇક મોટું ડેવલપમેન્ટ હોટેલમાં થયું હોવાની વાતને સમર્થન જરૂર મળી રહ્યું છે.

મહારાષ્ટ્રના આ ધારાસભ્યો ત્યાંના વર્તુળમાંથી સંપર્ક વિહોણા ગણાવાય રહ્યા છે

  • એકનાથ શિંદે – કોપરી
  • અબ્દુલ સત્તાર – સિલ્લોડ – ઔરંગાબાદ
  • શંભૂરાજ દેસાઇ – સતારા
  • સંદિપાન ભૂમરે – પૈઠણી – ઔરંગાબાદ
  • ઉદયશસહ રાજપૂત – કન્નડ- ઔરંગાબાદ
  • ભરત ગોગાવલે – મહાડ – રાયગઢ
  • નિતીન દેશમુખ – બાળાપુર – અકોલા
  • અનિલ બાબર – ખાનાપુર – આટપાડી – સાંગલી
  • વિશ્વનાથ ભોઇર – કલ્યાણ પશ્ચિમ
  • સંજય ગાયકવાડ – બુલઢાણા
  • સંજય રામુલકર – મેહકર
  • મહેશ સિંદે – કોરેગાંવ – સતારા
  • શહાજી પાટીલ – સાંગોલા – સોલાપૂર
  • પ્રકાશ અબિટકર – રાધાપુરી – કોલ્હાપૂર
  • સંજય રાઠોડ – દિગ્રસ – યવતમાળ
  • જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ – ઉસ્માનાબાદ
  • તાનાજી સાવંત – પરોડા – ઉસ્માનાબાદ
  • સંજય શિરસાટ – ઔરંગાબાદ પશ્ચિમ
  • રમેશ બોરનારે – બૈજાપૂર – ઔરંગાબાદ
 એકનાથ સિંદે અને ધારાસભ્યો નારાજ થઈ સંપર્ક વિહોણા થયા અને સુરત આવ્યા હોવાથી આગામી દિવસમાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેર થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

રાજકીય ગતિવિધિઓ જોતા આગામી રાજ્યસભાની ચૂંટણીઓના વોટીંગ પહેલા સર્જાયેલી આ ગતિવિધિને પગલે અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે. દરમિયાન એવી પણ જાણકારી મળી છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સુરત આવેલા મહારાષ્ટ્રના મંત્રી તેમજ ધારાસભ્યો સાથે મુલાકાત પણ કરી હતી. પરંતુ, આ અંગે કોઇ આધિકારીક પુષ્ટી કરવામાં આવી નથી.

પરંતુ, હાલ એક વાત નિશ્ચિત છે કે મહારાષ્ટ્રના રાજકીય તખ્તે સુરત વાઇરલ થઇ ચૂક્યું છે.

મહારાષ્ટ્રના અસંતુષ્ઠ મંત્રી એકનાથ શિંદે આજે બપોરે 12 કલાકે સુરતની હોટેલમાંથી જ પત્રકાર પરિષદ કરી શકે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે બાળા સાહેબ ઠાકરેના ખાસ અને સૌથી નજીકના માનતા નેતા શિંદે પાસે સુરતમાં હોય તેનાથી વધારે ધારાસભ્યોનો ટેકો હોય શકે છે.

શિવસેનાના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન

Image

સંજય રાઉતે આ સમગ્ર ઘટનાક્રમ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સી.આર.પાટીલે જ એકનાથ શિંદે માટે રૂમ બુક કર્યા છે. સુરતમાં ભાજપે જ એકનાથ શિંદેની વ્યવસ્થા કરી. મહારાષ્ટ્રના રાજકારણમાં કોઇ ભૂકંપ આવ્યો નથી. આ બહુ મોટું ષડયંત્ર છે, શિવસેના ઇમાનદારની સેના છે.

તેમણે વધુમાં કહ્યું કે શિવસેનાના કેટલાંક ધારાસભ્ય અને એકનાથ શિંદે સાથે હાલ સંપર્ક થઇ શકયો નથી. મહાવિકાસ અઘાડીની સરકારને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ ભાજપે એ યાદ રાખવું પડશે કે મહારાષ્ટ્ર રાજસ્થાન કે મધ્યપ્રદેશથી ખૂબ જ અલગ છે.

June 12, 2022
aap.jpg
2min449

આમ આદમી પાર્ટી ગુજરાતના નવીન સંગઠનને અનુલક્ષીને પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનનું નવું માળખું જાહેર કરી દેવાયું છે. 

ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ તથા ઈન્દ્રનીલ રાજગુરૂને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કૈલાશ ગઢવીને આપ ગુજરાતના ખજાનચી તથા સાગર રબારીને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.  

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આજના દિવસને આમ આદમી પાર્ટીના કાર્યકરો માટે ઐતિહાસિક ગણાવ્યો હતો તથા શક્તિશાળી વિશાળ માળખાની જરૂર હોવાથી જૂનું માળખું વિખેરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વિધાનસભાની 182 બેઠકો પર યોજવામાં આવેલી પરિવર્તન યાત્રાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું હતું. 

ત્યાર બાદ ઈસુદાન ગઢવીએ પદાધિકારીઓના પહેલા લિસ્ટની જાહેરાત બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને હજું બીજી યાદ બહાર પડશે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, એક વિધાનસભામાં 4 સંગઠન મંત્રી રહેશે. મતલબ કે, એક વિધાનસભાના 4 બ્લોક પાડવામાં આવ્યા છે. દરેક ગામમાં 11 લોકોની ટીમ બનાવવામાં આવી છે. 

પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે ઈસુદાનનો રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવામાં આવશે તથા યોગ્ય સમયે ગુજરાતમાં આપનો મુખ્યમંત્રી પદ માટેનો ચહેરો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

કિશોર દેસાઈને મેઈન વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ (ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન) બનાવવામાં આવ્યા છે. મનોજ સોરઠિયાને મેઈન વિંગના સ્ટેટ જનરલ સેક્રેટરી, કૈલાશ ગઢવીને મેઈન વિંગના સ્ટેટ ટ્રેઝરર, જગમલ વાળા, સાગર રબારી, રિનાબેન રાવલ, અર્જુન રાઠવાને સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. જિતેન્દ્ર ઉપાધ્યાયને એજ્યુકેશન સેલના સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ, બિપીન ગામિતને બિરસા મુંડા મોર્ચાના સ્ટેટ વાઈસ પ્રેસિડેન્ટ, ભેમા ચૌધરીને કો ઓપરેટિવ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, મહેશ કોસાવાલાને જય ભીમ મોર્ચાના સ્ટેટ પ્રેસિડેન્ટ, રાજુ કપરાડાને કિસાન વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, પ્રણવ ઠાકરને લિગલ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, આરિફ અંસારીને સ્પોર્ટ્સ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, ગૌરી દેસાઈને મહિલા વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ, પ્રવીણ રામને યુથ વિંગના સ્ટેટ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના ગુજરાતના નવા સંગઠન માળખામાં કુલ 850 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સંગઠનમાં 26 લોકસભા પ્રમુખ, 42 ડિસ્ટ્રિક્ટ પ્રમુખ, 679 વિધાનસભા સંગઠન મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે.

પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ હવે આમ આદમી પાર્ટીનું ફોકસ ગુજરાત તરફ જોવા મળી રહ્યું છે. ગુજરાત વિધાન સભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ કમર કસી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે એક નવી વ્યૂહરચના બનાવી છે. આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં અને તેમના માર્ગદર્શન હેઠળ આવનારી ચૂંટણીના બાકીના મહિનાઓ માટેની નવી વ્યૂહરચના અમલમાં મૂકી છે. 

થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને પાર્ટીએ ગુજરાત પ્રદેશમાં સંગઠનના માળખાને વિખેર્યું હોવાની જાહેરાત કરી હતી. તેમાં પ્રમુખ સિવાયના તમામ હોદ્દાઓ પર નવેસરથી નિયુક્તિ કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું. માળખાના વિસર્જન અંગે સ્પષ્ટતા કરતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું, કે આજ દિન સુધીનું માળખું આમ આદમી પાર્ટીની રચનાનું હતું. ગુજરાતના ખૂણે-ખૂણા સુધી આપનો સંદેશ પહોંચાડવા માટેનું હતુ પરંતુ હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ તરીકે ભાજપ સામે બાથ ભીડવા નવી વ્યૂહરચના સાથે નવું માળખું બનશે.

June 10, 2022
rajya_sabha.jpg
1min461

15 રાજ્યની 57માંથી 41 બેઠકો ઉપર નિર્વિરોધ જીત પછી બાકીની 16 બેઠકો માટે
આજે ખરાખરીનો ખેલ: તોડજોડ અને ક્રોસવોટિંગની આશંકા વચ્ચે રિસોર્ટ પોલિટિક્સથી રોમાંચ
દેશનાં રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખનું આજે એલાન થયું છે પણ તે પહેલા અત્યારે સંસદનાં ઉપલા ગૃહ રાજ્યસભાની ચૂંટણીનો ગરમાવો અને ધમધમાટ ચરમસીમાએ છે. આવતીકાલે યોજાનારી ચૂંટણી અને તેનાં પરિણામો વચ્ચે હવે ગણતરીનાં કલાકો જ બચ્યા છે. આ વખતની રાજ્યસભાની દ્વિવાર્ષિક ચૂંટણી આમ તો 1પ રાજ્યોની કુલ મળીને પ7 બેઠકો ઉપર થવાની હતી પણ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે 41 સદસ્યો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હોવાથી હવે માત્ર 16 બેઠકો ઉપર જ કાલે ચૂંટણી યોજાશે.

અત્યાર સુધીમાં આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, તામિળનાડુ, તેલંગણ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબ એમ કુલ મળીને 11 રાજ્યોમાં વિભિન્ન પક્ષનાં 41 ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે. બાકી બચતી 16 બેઠકો માટે જ શુક્રવારે મતદાન થવાનું છે અને તેમાં કેટલીક બેઠકો ઉપર તો ભારે રોમાંચક રસાકસી જામવાની છે.
જે 16 રાજ્યસભા બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને કર્ણાટકની બેઠકોનો સમાવેશ થાય છે. પક્ષોને આમાં સોદાબાજીથી લઈને ક્રોસ વોટિંગ સુધીનો ડર સતાવી રહ્યો છે. ઉમેદવારો પણ તોડજોડનાં રાજકારણમાં વ્યસ્ત છે અને પક્ષોએ પોતાનાં આંકડા ટકાવી રાખવા માટે વિધાયકોને રિસોર્ટમાં છૂપાવવા સુધીની રણનીતિઓ અપનાવેલી છે. કોઈ ધારાસભ્ય આડાઅવળો ન થઈ જાય એટલે તેમની પહેરેદારી થઈ રહી છે.
મહારાષ્ટ્રની છ બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. જેમાં કોંગ્રેસ, એનસીપી પાસે એક-એક બેઠક જીતવા માટે પૂરતું સંખ્યાબળ છે.

તો ભાજપ પાસે બે બેઠકો માટે તાકાત છે. આવી જ રીતે શિવસેના પાસે એક બેઠક ઉપર ઉમેદવારને રાજ્યસભામાં મોકલવાની પર્યાપ્ત સંખ્યા છે. જો કે શિવસેનાએ પોતાનાં બીજા ઉમેદવારની જીત સુનિશ્ચિત કરવાં માટે પોતાનાં સહયોગી અને અપક્ષ સહિત કુલ 30 મતની આવશ્યકતા છે.

રાજસ્થાનની વાત કરવામાં આવે તો ત્યાં 4 બેઠકો ઉપર સીધી ટક્કર છે. કોંગ્રેસનાં ત્રણ ઉમેદવાર મુકુલ વાસનિક, રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારી મેદાને છે. આ ત્રણેય ઉમેદવાર માટે 123 વિધાયકોનાં મતની જરૂર કોંગ્રેસને છે. બદલાતા માહોલમાં જ ફક્ત ત્રણ જ વિધાયકનાં ઉલટસુલટ થઈ જાય તો કોંગ્રેસનાં ત્રીજા ઉમેદવારની હાર પણ સંભવ છે. કારણ કે કોંગ્રેસ પાસે પોતાનાં ફક્ત 108 ધારાસભ્ય છે. એક આરએલડી, 13 અપક્ષ, બે સીપીએમ અને બે બીટીપીનાં મત કોંગ્રેસને મળે ત્યારે તેના 126 મત થઈ શકે તેમ છે. ભાજપનાં સમર્થન સાથે સુભાષ ચંદ્રા અપક્ષ ઉમેદવાર બનેલા છે. તેમને 11 મતની જરૂર છે. જેમાં તેમને ભાજપનાં 30 સરપ્લસ અને આરએલપીનાં ત્રણ વિધાયકનાં મત મળી શકે તેમ છે.
હરિયાણામાં બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી થશે. અહીં કાર્તિકેય શમાએ મુકાબલાને રસાકસી ભરેલો બનાવી દીધો છે. શર્માને ભાજપનું સમર્થન છે. તેમને જીત માટે 31 મતની જરૂર છે. જે અજય માકન માટે પડકાર સમાન બની ગયું છે. માકન તો જ જીતી શકશે જો તેને કોંગ્રેસનાં 31માંથી 30 વિધાયકનાં મત મળે. એવું કહેવાય છે કે, કોંગ્રેસનાં ત્રણ મત એવા છે જેણે પોતાનાં તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.

કર્ણાટકમાં 4 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે. પહેલા અહીં આસાન ચૂંટણી દેખાતી હતી પણ કોંગ્રેસે પ્રદેશ મહાસચિવ મન્સૂર અલીને પોતાનાં ઉમેદવાર બનાવીને પેચ ફસાવી દીધો છે. ભાજપે અહીં વિધાન પરિષદનાં સભ્ય લહેરસિંહને પોતાના ત્રીજા ઉમેદવાર બનાવ્યા છે. 224 બેઠકોની કર્ણાટક વિધાનસભામાં એક રાજ્યસભા બેઠક માટે 4પ વિધાયકનાં મતની જરૂર હોય છે. કોંગ્રેસ પાસે 70 છે પણ પક્ષે જયરામ રમેશ અને મન્સૂર અલી ખાનને મેદાને ઉતારીને લડત આપવાનું મન બનાવ્યું હતું. કોંગ્રેસને હવે બીજી બેઠક માટે વધારાનાં 20 મતની જરૂર છે.

June 9, 2022
president.jpg
1min624

ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે તારીખની જાહેરાત કરી દીધી છે. આગામી 18 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાશે અને ત્યાર બાદ 21 જુલાઈના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે અને તે દિવસે જ દેશને નવા રાષ્ટ્રપતિ મળી જશે. 

આગામી તારીખ 24 જુલાઈના રોજ વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. ત્યારે તે પહેલા જ દેશના 15મા રાષ્ટ્રપતિને ચૂંટી લેવામાં આવશે. 

Presidential Election on July 18, Results to be Announced on July 21: EC

અગત્યની તારીખો-

  • 15 જૂનના રોજ ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવશે
  • – 29 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે
  • – 2 જુલાઈ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકાશે
  • – 18 જુલાઈના રોજ મતદાન યોજાશે
  • – 21 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામ જાહેર થશે. 
June 2, 2022
soniya.jpg
1min504

દેશભરમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે. કોરોનાના વધતા જતા કેસની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. હાલમાં તેઓ પોતે આઈસોલેશન થયા છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. તેઓને હળવો તાવ અને કેટલાક અન્ય લક્ષણો છે. તેથી તેમને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.  હાલમાં તે આઈસોલેશનમાં છે પરંતુ તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં હાજરી આપવામાં કોઈ અસર નહી પડશે. 

તમને જણાવી દઈએ કે, સોનિયા ગાંધીને 8મી જૂનના રોજ નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)માં હાજર થવાના હતા. તેમની સાથે તેમના પુત્ર અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને પણ હાજર કરવામાં આવશે. તેમણે (રાહુલ)ને ગુરૂવારે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ તેઓ હાલમાં દેશમાં નથી. આવી સ્થિતિમાં તેણે તપાસ એજન્સીને વિનંતી કરી છે કે, તેમને 5 જૂન બાદ કોઈપણ દિવસે હાજર થવાની તારીખ આપવામાં આવે.

May 31, 2022
satyendra_jain.jpg
1min591

Enforcement Directorateએ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી છે. મની લૉન્ડ્રિંગ સાથે જોડાયેલા કેસ મામલે તેઓની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં Enforcement Directorateએ મોટી કાર્યવાહી કરતા મની લૉન્ડ્રિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનના પરિવાર સાથે જોડાયેલી 4.81 કરોડની સંપત્તિને અટેચ કરી હતી. જૈનના નજીકના લોકોનો કેટલીક એવી કંપનીઓ સાથે સંબંધ હતો જેની પ્રિવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ (Prevention of Money Laundering Act) હેઠળ તપાસ ચાલી રહી હતી. અહીં નોંધનીય છે કે સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં સ્વાસ્થ્ય, વીજળી, ગૃહ, પીડબ્લ્યુડી, ઉદ્યોગ, શહેર વિકાસ, સિંચાઈ અને જળમંત્રી છે.

લગભગ 4.81 કરોડ રૂપિયાના મૂલ્યની અચળ સંપત્તિઓ અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈંડો મેટલ ઈંપેક્સ પ્રાઈવેટ લિમિટેડ, પર્યાસ ઈંફોસોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડ, મંગલયાતન પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ, જેજે આઈડિયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડ, વૈભવ જૈનના પત્ની સ્વાતિ જૈન, અજીત પ્રસાદ જૈનના પત્ની સુશીલા જૈન અને સુનીલ જૈનના પત્ની ઈન્દુ જૈન સંબંધિત છે.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ આ ધરપકડનો વિરોધ કર્યો છે. તેમણે એક પછી એક ટ્વિટમાં જણાવ્યું કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 8 વર્ષથી એક ખોટો કેસ ચલાવાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ED તેઓને ઘણી વખત બોલાવી ચૂકી છે. વચ્ચે ઘણાં વર્ષો EDએ તેઓને બોલાવાનું બંધ કરી દીધું હતું કારણકે તેઓને કશું મળ્યું નહોતું. હવે ફરી શરૂ કર્યું છે કારણકે સત્યેન્દ્ર જૈન હિમાચલ ઈલેક્શનના ઈન્ચાર્જ છે. સિસોદિયાએ એવો દાવો કર્યો છે કે હિમાચલમાં બીજેપી હારી રહી છે. માટે સત્યેન્દ્ર જૈનની આજે ધરપકડ કરવામાં આવી છે કે જેથી તેઓ હિમાચલ ના જઈ શકે. જૈન થોડા દિવસોમાં છુટી જશે કારણકે કેસ એકદમ ખોટો છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર અને હવાલા કેસમાં જૈન સામે તપાસ ચાલી રહી હતી. સત્યેન્દ્રને અરવિંદ કેજરીવાલના નજીકના માનવામાં આવે છે. બે મહિના અગાઉ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ CBI દ્વારા નોંધાયેલી FIR બાદ જૈનના પરિવાર અને કંપનીઓની રૂપિયા 4.81 કરોડની સ્થાવર મિલકતો અસ્થાયી ધોરણે ટાંચમાં લેવામાં આવી છે.

May 26, 2022
sibal.jpg
1min603
congress leader kapil sibal pain burst out said gandhis should step aside  give some other leader chance - કપિલ સિબ્બલનો સોનિયા ગાંધી પર સીધો પ્રહાર,  કહ્યું હટે ગાંધી પરિવાર, બીજાને ...

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને દિલ્હીના રાજકારણના મહારથી કપિલ સિબલે બુધવારે કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને સમાજવાદી પક્ષના પીઠબળ સાથે રાજ્ય સભા માટે અપક્ષ ઉમેદવાર તરીકે નામંકનપત્ર ભર્યું હતું. કપિલ સિબલનું રાજીનામું લાંબા વખતથી વારંવાર ચૂંટણીઓમાં પછડાટ ખાતા પક્ષ કૉંગ્રેસ માટે વધુ એક મોટો આંચકો છે. કપિલ સિબલે જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી જે પક્ષમાં સક્રિય રહ્યો છું, એ જ પક્ષની વિચારસરણી સાથે મારો સંબંધ રહેશે. કપિલ સિબલ બુધવારે લખનઊ ખાતે ઉત્તર પ્રદેશ વિધાનસભાના પરિસરમાં રાજ્યસભાની ઉમેદવારી માટે નામાંકનપત્ર ભરવા ગયા ત્યારે તેમની જોડે સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ તથા પક્ષના અન્ય નેતા પણ હતા. કૉંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માગણી કરનારા ૨૩ નેતાઓમાં એક કપિલ સિબલના રાજ્યસભાના સભ્યપદની મુદત આવતા જુલાઈ મહિનામાં પૂરી થાય છે. 

નામાંકનપત્ર ભર્યા પછી કપિલ સિબલે જણાવ્યું હતું કે મેં રાજ્યસભાની ચૂંટણીમાં અપક્ષ સ્પર્ધક રૂપે ઉમેદવારી કરી છે. મને ટેકો આપવા બદલ હું અખિલેશજીનો આભાર માનું છું. મેં ૧૬ મેએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હું હવે કૉંગ્રેસનો વરિષ્ઠ નેતા નથી. કૉંગ્રેસ સાથે મારો પ્રગાઢ સંબંધ છે. લગભગ ૩૦-૩૧ વર્ષનો સંબંધ છે. આ નાની વાત નથી. હું ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને કારણે કૉંગ્રેસમાં જોડાયો હતો. લોકોને એવો વિચાર આવશે કે ૩૧ વર્ષે કોઈ કૉંગ્રેસને કેવી રીતે છોડી શકે? પક્ષ છોડવાનું કઈંક તો કારણ હોય ને! મારા મનમાં પણ કઈંક ખટકો છે, દિલમાં કઈંક રંજ છે. ક્યારેક આવા નિર્ણયો પણ લેવા પડે છે.

May 24, 2022
crpatil.jpg
1min528
Gujarat BJP Chief Asks MLAs, MPs To Pull Up Socks For A Massive Reachout  Effort

આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપે તેની તૈયારી પૂરજોશથી શરૂ કરી દીધી છે. ૧૫૦થી વધુ બેઠકો મેળવા માટે ભાજપે વિપક્ષ સામે લડવા અલગ સ્ટ્રેટેજી બનાવી છે. એમાં કૉંગ્રેસ માટે અલગ અને આમ આદમી પાર્ટી માટે અલગ એજન્ડા તૈયાર કરવાની દિશામાં સૂચનો આપવામાં આવ્યાં છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ દ્વારા જ્ઞાતિવાદના આધારે એટલે કે કૉંગ્રેસની વર્ષો જૂની માધવસિંહ સોલંકીની ખામ (ક્ષત્રિય, અનુસૂચિત જાતિ, આદિવાસી, મુસ્લિમ) થિયરી મુજબ જીતની ફોર્મ્યુલા અપનાવી રહી હોવાની અટકળો તેમ જ  આમ આદમી પાર્ટી દિલ્હી મોડલ સાથે સરખામણી કરી ગુજરાત મોડલને પડકાર ફેંકી રહી છે. આ ઉપરાંત આપ પંજાબ અને દિલ્હી પેટર્નથી ભાજપ સામે લડવાની સ્ટ્રેટેજી અપનાવી રહી છે. આ સંજોગોમાં ભાજપ કૉંગ્રેસ સામે લડવા જ્ઞાતિનો આધાર ઊભો કરવા અને આમ આદમી પાર્ટી સામે લડવા વિકાસને આગળ કરવા માટેની નીતિ અપનાવવાની તૈયારી શરૂ કરી શકે છે.

May 13, 2022
parliament.jpg
1min527

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧૧, તમિલનાડુ-મહારાષ્ટ્રમાં ૬-૬ બેઠકો પર ચૂંટણી યોજાશે

ભાજપને લાભ છતાં બહુમતીથી દૂર રહેવાની શક્યતા : ઉપલા ગૃહમાં આપનું પ્રભુત્વ વધશે, અકાલી દળને મોટું નુકસાન


દેશના ૧૫ રાજ્યોમાં રાજ્યસભાની ૫૭ બેઠકો પર ૧૦મી જૂને ચૂંટણી યોજાવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. આ ચૂંટણી પછી અકાલી દળ ગૃહમાં હાજરી ગુમાવશે જ્યારે ભાજપને મહત્તમ લાભ થવા છતાં તે બહુમતીથી દૂર રહેવાની શક્યતા છે. આ ચૂંટણી પછી ગૃહમાં ‘આપ’નું કદ વધશે.

ચૂંટણી પંચે ગુરુવારે Dt.12/5/22 જાહેરાત કરી હતી કે જૂન અને ઑગસ્ટ વચ્ચે વિવિધ તારીખોએ કેટલાક સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી પડનારી બેઠકો પર ચૂંટણી યોજાશે. રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સભ્યોમાં કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારામન, પિયુષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવી, કોંગ્રેસના નેતાઓ અંબિકા સોની, જયરામ રમેશ તથા કપિલ સિબલ અને બસપના સતિષ ચંદ્ર મિશ્રાનો સમાવેશ થાય છે. આ સભ્યો ૨૧મી જૂન અને ૧લી ઑગસ્ટ વચ્ચે નિવૃત્ત થશે. કેન્દ્રીય મંત્રીઓએ આ ચૂંટણીમાં ફરી ચૂંટાઈ આવવું પડશે. રાજ્યસભાની ચૂંટણીનો આગામી તબક્કો વર્ષ ૨૦૨૪માં આવશે.
રાજ્યસભાની આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની સૌથી વધુ ૧૧ બેઠકો પર મતદાન થશે જ્યારે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ૬-૬, બિહારમાં પાંચ, કર્ણાટક, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાંથી ૪-૪, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં ૩-૩, પંજાબ, ઝારખંડ, હરિયાણા, છત્તિસગઢ તથા તેલંગાણામાં ૨-૨ તથા ઉત્તરાખંડમાં એક બેઠક પર ચૂંટણી યોજાશે.

 હાલમાં ૨૪૫ સભ્યાની રાજ્યસભામાં ભાજપના ૯૫, કોંગ્રેસના ૨૯ સાંસદો છે. રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સાંસદોમાં ભાજપને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ નુકસાન થશે, જ્યાં તેના ત્રણ સભ્યો વિદાય લઈ રહ્યા છે. આ સિવાય ઝારખંડ અને રાજસ્થાનમાંથી પણ તેના સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. જોકે, ભાજપને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સૌથી વધુ લાભ મળશે. ઉત્તર પ્રદેશમાં ખાલી પડી રહેલી ૧૧ બેઠકોમાંથી પાંચ ભાજપની છે. શાસક પક્ષ ઉત્તર પ્રદેશમાં આઠ બેઠકો જીતે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં યોજાનારી રાજ્યસભાની આ ચૂંટણી ઘણી મહત્વની બની જશે.

વધુમાં આ ચૂંટણી પછી ઉપલા ગૃહમાં નવ નિશ્ચિત અને એક સંભવિત બેઠક સાથે આમ આદમી પાર્ટીની તાકાત વધશે. આ દેખાવ સાથે આપ ગૃહમાં ટોચના પાંચ પક્ષોમાં સામેલ થઈ જશે. મહારાષ્ટ્રમાં શાસક પક્ષ શિવસેના-એનસીપી-કોંગ્રેસનું જોડાણ રાજ્યની ત્રણેય બેઠકો સરળતાથી જીતી લેશે જ્યારે ભાજપ તેની ત્રણમાંથી બે બેઠકો જીતશે. આ ચૂંટણી પછી ગૃહમાંથી અકાલી દળના એકમાત્ર સભ્ય નિવૃત્ત થઈ જશે જ્યારે બસપ એક સાંસદ સુધી સિમિત થઈ જશે.

May 11, 2022
Arvind-kejriwal.jpg
1min507

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તા.11/5/22ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેમના સ્વાગતની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મુખ્યમાર્ગો પર ઠેર-ઠેર આપના ઝંડાઓ જોવા મળી રહ્યાં છે તેમજ શાત્રી મેદાન ખાતે પણ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

કેજરીવાલનું આવતીકાલે બપોરે 2.45 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આગમન થશે ત્યાંથી તે સીધા હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં રોકાણ કરશે. અહીં તેઓ સામાજિક સંગઠનો સાથે મુલાકાત કરશે બાદમાં સાંજે 7 વાગ્યે શાસ્ત્રીમેદાન ખાતે એક જનસભા સંબોધશે જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડશે. રાજકોટમાં જ તેઓ રાત્રી રોકાણ કરશે અને તા.12ના રોજ દિલ્હી જવા રવાના થશે.

દરમિયાન Dt.10/5/22 આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા રાજકોટની મુલાકાતે આવ્યાં હતાં. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ગુજરાતની અંદર આમ આદમીની પાર્ટી ગ્રાઉન્ડ લેવલથી દિવસે ને દિવસે મજબૂત બની રહી છે, ગુજરાતને ઘણા વર્ષો પછી એક વિકલ્પની રાજનીતિ મળી છે.

11/5/22 અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યાં છે ત્યારે આપના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે.’ ઈટાલિયાએ આવતીકાલના કાર્યક્રમમાં કેજરીવાલ ઉપર ભાજપના નેતાઓ-કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવે તેવી ભીતિ પણ વ્યક્ત કરી તમામને રાઉન્ડ અપ કરવાની માગણી પણ પોલીસ સમક્ષ કરી હતી.
પત્રકાર પરિષદમાં આપના શહેર પ્રમુખ શિવલાલ બારસિયા, નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા, રાજભા ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.