
મરાઠા આરક્ષણને મામલે સુપ્રીમ કૉર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ મહત્ત્વનો નિર્ણય લેતા અદાલતે નોકરી તેમ જ શૈક્ષણિક પ્રવેશ માટે મરાઠા આરક્ષણનો હાલ અમલ નહીં થાય એમ જણાવ્યું હતું.
મરાઠા આરક્ષણની અમલબજાવણી હાલ તુંરત નહીં થાય એમ જણાવી અદાલતે તેના પર સ્ટે આપ્યો હતો.
આ અરજીની સુનાવણી મોટી ખંડપીઠને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાને કારણે હવે મોટી ખંડપીઠ સમક્ષ તેની સુનાવણી થશે, એમ તેમણે કહ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા મરાઠા આરક્ષણને સુપ્રીમ કૉર્ટમાં પડકારવામાં આવ્યું હતું.
મરાઠા આરક્ષણને પડકારતી અરજીની સાથેસાથે દાખલ કરવામાં આવેલી અન્ય અરજીઓની સુનાવણી પણ સુપ્રીમ કૉર્ટમાં ચાલી રહી છે.
ન્યાયાધીશ હેમંત ગુપ્તા, ન્યાયાધીશ એલ. નાગેશ્ર્વર અને ન્યાયાધીશ એસ. રવીન્દ્ર ભટની ત્રણ સભ્યની બનેલી ખંડપીઠ સમક્ષ કરવામાં આવેલી અરજીની સુનાવણી મોટી ખંડપીઠ સમક્ષ કરવાની તેમ જ આરક્ષણ પર સ્ટે આપવાની માગણી કરવામાં આવી હતી જેને પગલે કૉર્ટે આ અરજીની સુનાવણી મોટી ખંડપીઠ સમક્ષ કરવાનો નિર્ણય લીધો હતો.
માત્ર, અગાઉ આપેલા ઍડમિશનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કરવાનો મહત્ત્વનો આદેશ અદાલતે આપ્યો હતો.
૧ ડિસેમ્બર ૨૦૧૮થી રાજ્યમાં મરાઠા આરક્ષણ કાયદો અમલમાં આવ્યો હતો. તત્કાલિન દેવેન્દ્ર ફડણવીસ સરકારે મરાઠા સમાજને શિક્ષણ તેમ જ નોકરીમાં ૧૬ ટકા આરક્ષણ આપવાની મરાઠા આરક્ષણ કાયદામાં વ્યવસ્થા કરી હતી.
મરાઠાઓ માટે આ એક કાળો દિવસ છે, સુપ્રિમ કોર્ટે શિક્ષણ અને નોકરીમાં મરાઠા સમુદાયને આરક્ષણ આપવાના ૨૦૧૮ કાયદાના અમલીકરણ પર સ્ટે મુક્યા પછી બુધવારે મહારાષ્ટ્ર ભાજપે રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે દાવો કર્યો હતો કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની બનેલા મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ આરક્ષણની આવશ્યકતા સુનિશ્ચિત કરવામાં ગંભીર વલણ દર્શાવતી નથી.
તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપી અધ્યક્ષ શરદ પવાર ઉપર પણ આ મામલે ધ્યાન ન આપવાનો આરોપ લગાવ્યો હતો.













