ઇન્ડીયા Archives - Page 74 of 215 - CIA Live

March 9, 2021
jandhan.jpg
1min535

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજનામાં પંચાવન ટકા ખાતાં મહિલાઓનાં છે. મોદી સરકાર મહિલાઓને એમનાં સપનાં પૂરા કરવા અને પગભર થવા માટે પર્યાપ્ત તક આપી રહી છે.

સીતારામને આ પ્રસંગે મહિલાઓના ઉત્થાન માટેની કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે જનધન યોજનાનાં ૪૧.૯૩ કરોડ ખાતામાંથી ૨૪મી ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં ૨૩.૨૧ કરોડ ખાતાં મહિલાઓનાં હતા. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆતથી ૨૬મી ફેબ્રુઆરી સુધીમાં ૬૮ ટકા અથવા ૧૯.૦૪ કરોડ ખાતા માટે મહિલાઓને ઉદ્યોગધંધા માટે કુલ રૂ. ૬.૩૬ લાખ કરોડની રકમ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હેઠળ નાના કે લઘુ ઉદ્યોગો માટે રૂ. ૧૦ લાખ સુધીનું ઋણ આપવામાં આવે છે.

સ્ટૅન્ડ અપ ઇન્ડિયા યોજના હેઠળ ૮૧ ટકાથી વધુ અથવા ૯૧,૧૦૯ ખાતાધારક મહિલાઓને રૂ. ૨૦,૭૪૯ કરોડનું ઋણ આપવામાં આવ્યું હતું.

March 8, 2021
IPL_2021.jpg
1min416

આઈપીએલ ૨૦૨૧, ૯ એપ્રિલથી ૩૦ મે દરમિયાન રમાશે અને કોઈપણ ટીમને તેના હૉમ ગ્રાઉન્ડ પર રમવા નહિ મળે એવી જાહેરાત આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે રવિવાર તા.7મી માર્ચ 2021ના રોજ કરી હતી.

મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતા ખાતે મેચો રમાશે

કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં યજમાન શહેરોની યાદીમાં મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રારંભિક તબક્કામાં ટુર્નામેન્ટની મૅચ બંધબારણે એટલે કે પ્રેક્ષકો વિના રમાશે.પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવો કે નહીં એ અંગેનો નિર્ણય ટુર્નામેન્ટના પછીના તબક્કામાં લેવામાં આવશે.

આઈપીએલના અન્ય યજમાન શહેરોમાં મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતાનો સમાવેશ થાય છે.

૩૦ મેએ અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઈનલ યોજાશે. પ્લૅ ઑફ પણ ન.મો. સ્ટેડિયમ ખાતે જ યોજાશે. રવિવારે બીસીસીઆઈએ ૬, મે સુધીનું ચાર અઠવાડિયાનું સમયપત્રક બહાર પાડ્યું હતું. આ સમયગાળા દરમિયાન આઈપીએલની ૩૩ મૅચ રમાશે. જોકે, આ જ સમયગાળા દરમિયાન બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાવાની હોવાને કારણે કોલકાતાને એકપણ મૅચ ફાળવવામાં નથી આવી.

લીગ તબક્કામાં દરેક ટીમ ચાર સ્થળે રમશે.

૫૬ લીગ મૅચમાંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલૂરુ પ્રત્યેકમાં ૧૦ મૅચ તો દિલ્હી અને અમદાવાદ પ્રત્યેકમાં આઠ મૅચ રમાશે.

આ આઈપીએલની વિશેષ વાત એ છે કે તમામ મૅચ તટસ્થ સ્થળે રમાશે. કોઈપણ ટીમ હૉમ ગ્રાઉન્ડ પર નહિ રમે. લીગ તબક્કામાં તમામ ટીમ છ સ્થળમાંથી ચાર સ્થળે રમશે, એમ આઈપીએલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આઈપીએલની બપોરની મૅચ ૩:૩૦ વાગે અને સાંજની મૅચ ૭:૩૦ વાગે શરૂ થશે.

કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષની આઈપીએલ યુએઈમાં રમાઈ હતી, પરંતુ ત્યાર બાદ ભારતમાં કોરોનાની સ્થિતિમાં અસાધારણ સુધારો થયેલો જોવા મળ્યો હતો.

March 8, 2021
parliament.jpg
1min383

બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી એક મહિના માટે શરૂ થશે.

આ તબક્કે સરકારનો ઉદ્દેશ વર્ષ ૨૦૨૧-૨૨ માટે બજેટમાં વિવિધ કર માટેના પ્રસ્તાવો માટે મંજૂરી મેળવવાનો રહેશે.

આ સત્ર ૮મી એપ્રિલે પૂર્ણ થશે અને સત્ર દરમિયાન સરકારના એજેન્ડામાં એમણે રજૂ કરેલા અનેક બિલ પસાર કરાવવાના છે.

પેન્શન ફંડ રૅગ્યુલેટરી ઍન્ડ ડૅવલપમેન્ટ ઑથોરિટી (સુધારા) ખરડો, નેશનલ બૅન્ક ફોર ફાઈનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍન્ડ ડૅવલપમેન્ટ ખરડો, ઇલેક્ટ્રિસિટી (સુધારા) ખરડો, ક્રિપ્ટો કરન્સી ઍન્ડ રૅગ્યુલેશન ઑફ ઑફિસિયલ ડિજિટલ કરન્સી ખરડો જેવાં મહત્ત્વનાં ખરડાઓ આ સત્રમાં રજૂ થવાના છે.

સત્રનો બીજો તબક્કો એવા સમયે શરૂ થઇ રહ્યો છે, જ્યારે ચાર રાજ્ય પશ્ર્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ અને કેરળ તથા એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલ વાગી રહ્યા છે. ચૂંટણી માર્ચ-એપ્રિલમાં યોજાવાની છે.

બજેટનું પહેલું સત્ર ૨૯મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બંને સદનને સંયુક્ત રીતે કરેલા સંબોધનથી શરૂ થયું હતું. એ વખતે ખેડૂત આંદોલનને ટેકો આપવા વીસથી વધુ પક્ષોએ રાષ્ટ્રપતિના સંબોધનનો બોયકોટ કર્યો હતો.

કેન્દ્ર સરકારે ૧લી ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું. ત્યાર બાદ સતત ચાર દિવસ સુધી વિરોધ પક્ષે કૃષિ કાયદા મુદ્દે હોબાળો મચાવીને કામ ચાલવા નહોતું દીધું.

March 7, 2021
coronaupdate.jpg
1min430

Gujarat on 7/3/21

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ દિન પ્રતિદિન તેની ચરમસીમા પર આગળ વધતી જઇ રહી છે. એવું કહી શકાય કે ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ભયાનક શરૂઆત થઇ રહી છે. વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 571 કેસ નોંધાવા પામ્યા છે. તો બીજી બાજુ આજે અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થતાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 4414 થઇ છે. આજે એક્ટિવ કેસનો આંક ગુજરાતમાં ફરીવાર 3 હજારને પાર કરી ગયો છે. ગુજરાતમાં હાલ 3025 એક્ટિવ કેસ છે, જેમાં 45 વેન્ટિલેટર પર છે. જો કે, આજે ગુજરાતમાંથી 403 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા કુલ ડીસ્ચાર્જ દર્દીનો આંક 2,65,372 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં નવા નોંધાયેલા 571 કેસમાં સુરતમાં સૌથી વધુ 134, અમદાવાદમાં 124, વડોદરામાં 117, રાજકોટમાં 58, જામનગર અને ગાંધીનગરમાં 12-12, ભાવનગરમાં 10, જૂનાગઢમાં 9, કચ્છમાં 12, આણંદમાં 11, મહેસાણામાં 9, સાબરકાંઠામાં 8, ગીર સોમનાથ અને મહીસાગરમાં 7-7, ખેડામાં 6, નર્મદા અને પંચમહાલમાં 5-5, અરવલ્લી અને દાહોદમાં 4-4, બનાસકાંઠા અને ભરૂચમાં 3-3, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં 2-2 જ્યારે અમરેલી, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી પાટણ અને તાપીમાં 1-1 કેસ નોંધાવા પામ્યો છે. જ્યારે પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ મળીને 3 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

India on 7/3/21

ભારત ફરી કોરોના સંક્રમણના સકંજામાં સપડાવવા માંડયું છે. આર્થિક ગતિવિધિઓ, અવર-જવરમાં વધારા વચ્ચે સામાજિક અંતર જેવાં શિસ્તના લીરા ઉડતાં શનિવારે 36 દિવસ બાદ 18 હજારથી વધુ કેસ નોંધાયા હતા. સક્રિય કેસોની સંખ્યામાં આજે લગાતાર ચોથા દિવસે વધારો થતાં સરકારો, આરોગ્યતંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. દેશમાં 24 કલાક દરમ્યાન 18,327 નવા કેસ સામે આવતાં કુલ દર્દીઓની સંખ્યા સતત વધીને 1 કરોડ, 11 લાખ, 92,088 થઇ ગઇ છે.
દેશમાં આજે સળંગ બીજા દિવસે 100થી વધુ, 108 દર્દી કોરોનાનો કોળિયો બની જતાં કુલ 1,57,656 દર્દી ઘાતક સંક્રમણમાં સપડાઇને જીવ ખોઇ ચૂક્યા છે. દેશના વિવિધ ભાગોમાં’ શનિવારે વધુ 14,234 દર્દીઓ ખતરનાક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં કુલ 1 કરોડ, 8 લાખ, 54,128 દર્દી વાયરસ મુકત થયા છે. સાજા દર્દીઓની સંખ્યા નવા દર્દીઓ સામે ઓછી રહેતાં સાજા થતા દર્દીઓનો દર એટલે કે, રિકવરી રેટ ઘટીને 96.08 ટકા થઇ ગયો છે. બીજી તરફ, આજની તારીખે 1,80,304 સંક્રમિતો સારવાર હેઠળ છે.’

March 7, 2021
vaccine-1.jpg
1min429

જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-૧૯ના કેસ વધ્યા છે અથવા જ્યાં કોરોનાના સક્રિય કેસ વધારે છે એમને રસીકરણ અને ટેસ્ટિંગ વધારવાની, કોરોનાના દરદીઓને શોધીને એમને સારવાર મળે માટે યુદ્ધસ્તરે કામ કરવાની તાકિદ કેન્દ્ર સરકારે આપી હતી. શનિવારની બેઠક દરમિયાન કેન્દ્ર સરકારે એમને ખાનગી હૉસ્પિટલોનો સહકાર લઇને ઓછામાં ઓછા ૧૫ દિવસ અને વધુમાં વધુ ૨૮ દિવસનું ટાઇમટેબલ બનાવવા જણાવ્યું હતું. આવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરટી-પીસીઆર ટેસ્ટ વધારવાની, ફરીથી સક્રિય દરદીના સંપર્કમાં આવેલા લોકોને શોધીને યોગ્ય પગલાં લેવાની, જ્યાં કેસની સંખ્યા વધારે હોય એવા જિલ્લાઓ કે વિસ્તારોમાં કોરોનાના પ્રતિબંધોનું કડકાઇથી પાલન કરવાની અને દર સક્રિય કેસનાં સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા ૨૦ જણને શોધવાની સલાહ આપવામાં આવી હતી.

કેન્દ્રના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતી આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વિનોદ કે. પોલે શનિવારે હરિયાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ગોવા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી અને ચંડીગઢના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજનાના સ્વાસ્થ્ય સચિવ તથા ડિરેક્ટર સાથે વાતચીત કરી હતી. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તાજેતરમાં કોરોનાના દરદીઓમાં રોજના હિસાબે વધારો નોંધાયો હતો. બેઠક દરમિયાન એમણે કોરોનાની માર્ગદર્શિકાના પાલન અંગે સમીક્ષા કરી હતી અને દરેક રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોના જે જિલ્લાઓમાં આવા કેસની સંખ્યા વધી રહી છે, એ આસપાસનાં જિલ્લા અને રાજ્યોમાં ફેલાવાનો મોટો ભય હોવાથી એ ચિંતાનો વિષય ગણાય.

March 4, 2021
coronaupdate.jpg
1min396

India on 3/3/21 @ 9pm

સ્વાસ્થય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં Covid-19ના 17,407 નવા કેસ સામે આવ્યા છે, ત્યાર બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1,11,39,516 થઈ ગઈ છે. આ સાથે જ 89 લોકોના મોત નીપજ્યાં છે અને કોરોનાથી થયેલા મૃત્યુદર 1,57,435 થઈ ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 1,73,413 અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,08,26,075 થઈ ગઈ છે.

આઈસીએમઆર મુજબ દેશમાં 3 માર્ચ સુધી 21 કરોડ 91 લાખ 78 હજાર 908 નમૂનાઓનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી બુધવારે 7,75,631 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ સંક્રમણના કુલ 50 લાખ કેસ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઑક્ટોબરના રોજ 70 લાખ, 29 ઑક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડના પાર આંકડો ચાલી ગયો હતો.

Gujarat on 3/3/21 @ 9pm

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કુલ 475 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 358 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 264195 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 97.40%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 117, સુરતમાં 96, વડોદરામાં 94 તેમજ રાજકોટમાં 65 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 2638 એક્ટિવ કેસમાંથી 39 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 2599 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4412એ પહોંચ્યો છે.

રાજ્યમાં છોટા ઉદેપુર, ડાંગ, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 4 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.કોરોના વેક્સીનેશનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 60,093 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.

March 4, 2021
covaxin.jpg
1min657

ભારતની સ્વદેશી વેક્સિનના ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામો જાહેર કરવામાં આવ્યા

ભારત બાયોટેક Bharat Biotech દ્વારા કોરોના વાયરસ માટે બનાવવામાં આવેલી Covaxin વેક્સિન કોવિડ-19ના નવા સ્ટ્રેઈન સામે 81% સુધી અસરકારક સાબિત થઈ છે. ભારત બાયોટેકે કોરોના સામે લડવા કોવેક્સિ નામની વેક્સિન તૈયાર કરી છે. હવે કંપનીએ બુધવારે તેના ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામો જાહેર કર્યા છે.

કંપનીએ જણાવ્યું છે કે આ ટ્રાયલ્સમાં કોવેક્સિન 81% સુધી અસરકારક સાબિત થઈ છે. એટલું જ નહીં કંપનીએ કહ્યું છે કે આ કોરોનાના નવા સ્ટ્રેઈન સામે પણ રક્ષણ આપી શકે છે. નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા કોરોનાની બે વેક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. જેમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા બનાવવામાં આવી રહેલી ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ વેક્સિન છે. જ્યારે બીજી ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી વેક્સિન કોવેક્સિન છે.

હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) સાથે મળીને વેક્સિન તૈયાર કરી છે. સરકારે જ્યારે તેને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી ત્યારે તેનો વિરોધ પણ થયો હતો કેમ કે તેના ફેઝ-3ના પરિણામો અગાઉ તેને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, હવે તેના ફેઝ-3ના પરિણામો ઘણા હકારાત્મક જોવા મળ્યા છે.

ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર કૃષ્ણા એલ્લાએ જણાવ્યું હતું કે અમારા માટે આ દિવસ ઘણી મોટી સિદ્ધિનો દિવસ છે. ક્લિનિકલ ટ્રાયલ્સના ત્રણેય ફેઝમાં અમે 27,000 વોલેન્ટિયર્સ પર વેક્સિનનો પ્રયોગ કર્યો છે. ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામ સાથે તે સાબિત થઈ ગયું છે કે કોવેક્સિન કોવિડ-19 વિરુદ્ધ અસરકારક છે. આ વેક્સિન ઝડપથી બદલાઈ રહેલા કોરોનાના અન્ય સ્ટ્રેઈન સામે પણ અસરકારક છે.

આઈસીએમઆર એ જણાવ્યું છે કે સ્વતંત્ર ડેટા સેફ્ટી અને મોનિટરિંગ બોર્ડ દ્વારા ચકાસવામાં આવેલા પરિણામો દેખાડે છે કે કોવેક્સિન દેશમાં વિવિધ વયજૂથમાં અને વેરિયન્ટ્સના SARS-Cov-2 સામે ઘણી જ અસરકારક છે. સંપૂર્ણ સ્વદેશી કોવિડ-19 વેક્સિન (કોવેક્સિન)ની 8 મહિનાથી ઓછી બેન્ચ-બેડસાઈડ જર્ની વૈશ્વિક જાહેર આરોગ્ય સમુદાયમાં આવરોધો સામે લડવા અને મજબૂતી ઊભા રહેવા માટે આત્મનિર્ભર ભારતની અપાર શક્તિ દેખાડે છે.

March 3, 2021
it_raid.jpg
1min459

બોલીવુડ સ્ટાર્સ ફરી એકવાર ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના રડારમાં આવી ગયા છે. મળતી માહિતી મુજબ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અભિનેત્રી તાપસી પન્નૂ, ડિરેક્ટર અનુરાગ કશ્યપ, નિર્માતા મધુ મન્ટેના અને ડિરેક્ટર વિકાસ બહલના ઘરે દરોડા પાડ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગ ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંકળાયેલા લોકોની તપાસ કરી રહ્યું છે. ફેન્ટમ ફિલ્મ્સ પર કરચોરીનો આરોપ છે.

ફેન્ટમ ફિલ્મ્સની સ્થાપના અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણી, મધુ મન્ટેના અને વિકાસ બહલ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2018માં વિકાસ બહલ પર યોન શોષણના આરોપો બાદ આ કંપની પતી ગઈ અને ચારેય પાર્ટનર અલગ થઈ ગયા હતા. ફિલ્મ પ્રોડક્શન ઉપરાંત આ કંપની ડિસ્ટ્રિબ્યુશનનું કામ પણ કરતી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈમાં અભિનેત્રી તાપસી પન્નૂ, ડાયરેક્ટર અનુરાગ કશ્યપના ઘર સહિત 22 સ્થળોએ આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂણેમાં પણ ઘણાં સ્થળોએ આવકવેરા વિભાગની ટીમ તપાસ કરી રહી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ડમેન્ટના રડાર પર હાલમાં 4 કંપનીઓ છે.

March 3, 2021
corona_india.jpg
1min438

ભારતમાં કોરોનાના ૮૪.૧૬ ટકા અથવા ૧.૬૮ લાખ સક્રિય દરદી પાંચ રાજ્યના હોવાની અને છ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય દરદીની સાપ્તાહિક ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ બે ટકા કરતા વધારે હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આપી હતી.

દેશના કોરોનાના કુલ સક્રિય દરદીમાંથી ૬૭.૮૪ ટકા દરદી તો મહારાષ્ટ્ર અને કેરળના છે.

જે છ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય દરદીની સાપ્તાહિક ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ બે ટકા કરતા વધારે છે, એમાં મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, ચંડીગઢ, પંજાબ અને ગુજરાતનો સમાવેશ થાય છે. એમાંય સૌથી વધુ સાપ્તાહિક મહારાષ્ટ્રમાં ૧૦.૦૨ ટકા સક્રિય દરદીનો વધારો નોંધાયો હતો.

મંત્રાલયે જણાવ્યા અનુસાર ભારતમાં મંગળવારે સવારે ૮ વાગ્યા સુધીમાં કોરોનાના ૧૨,૨૮૬ નવા કેસ નોંધાયા હતા અને એ સાથે કુલ કેસની સંખ્યા વધીને ૧,૧૧,૧૨,૨૪૧ થઇ હતી.

હાલ ભારતમાં ૧,૬૮,૩૫૮ સક્રિય દરદી છે, જે કુલ દરદીના ૧.૫૧ ટકા થાય છે અને એમાંથી ૮૦.૩૩ ટકા સક્રિય દરદીઓ પાંચ રાજ્યના છે.

ગત ૨૪ કલાકમાં દેશના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૬,૩૯૭ અને ત્યાર બાદ કેરળમાં ૧,૯૩૮ કેસ નોંધાયા હતા.

દેશના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૪૬.૮૨ ટકા અને ત્યાર બાદ કેરળમાં ૨૮.૬૧ ટકા કેસ છે.

કેન્દ્ર સરકાર રાજ્યોને સતત કોરોનાની માર્ગદર્શિકાનું સખતાઇથી પાલન કરાવવાની સલાહ આપતી રહે છે અને કોરોનાનો રોગચાળો વધુ ન ફેલાય એ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સતત સલાહ અને સૂચનો આપતી રહે છે.

ભારતમાં કોરોનાના મંગળવાર સુધીમાં કુલ ૧,૦૭,૯૮,૯૨૧ દરદી સાજા થયા હતા અને સાજા થનાર દરદીની ટકાવારી ૯૭.૦૭ ટકા નોંધાઇ હતી. ગત ૨૪ કલાકમાં ૯૧ વ્યક્તિએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા હતા અને એમાંથી મહારાષ્ટ્રમાં ૩૦ વ્યક્તિએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા હતા.

March 3, 2021
platform.jpg
1min451

મુંબઈ સહિત નવી મુંબઈમાં કોરોનાના કેસમાં નિરંતર વધારો થઈ રહ્યોે છે ત્યારે રેલવે સ્ટેશન પર ‘ક્રાઉડ કંટ્રોલ’ના ભાગરૂપે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ના મહત્ત્વના ટર્મિનસ ખાતે પ્લૅટફૉર્મ ટિકિટના ભાવ ૫૦ રૂપિયા લેવામાં આવશે, એમ સત્તાવાર જણાવાયું હતું.

કોવિડ-૧૯ મહામારી અને ઉનાળુ વેકેશનને કારણે મધ્ય રેલવેના સૌથી ગીચ-વ્યસ્ત સ્ટેશન પર પ્લૅટફૉર્મ ટિકિટનું ભાડું ૧૦ રૂપિયાના બદલે હવેથી ૫૦ રૂપિયા વસૂલાશે. મધ્ય રેલવેના ગીચ ટર્મિનસ પૈકી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી), દાદર, લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) સહિત મુંબઈ રિજનમાં થાણે, પનવેલ તથા ભિવંડી રોડ સ્ટેશન વગેરે ટર્મિનસ પર પ્લૅટફૉર્મની ટિકિટનું ભાડું રૂ. ૫૦ લેવામાં આવશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.

પ્લૅટફૉર્મ ટિકિટનું નવું ભાડું પહેલી માર્ચથી લઈને ૧૫મી જૂન સુધીના સમયગાળા દરમિયાન વસૂલવામાં આવશે. વેકેશનના સમયગાળા દરમિયાન કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો હોવાથી સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશને લઈ ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાથી મુંબઈ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, જેમાં અત્યાર સુધીમાં મુંબઈમાં કોરોનાના ૩.૨૫ લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે મૃતકની સંખ્યા ૧૧,૪૦૦ થઈ છે.