ઇન્ડીયા Archives - Page 73 of 217 - CIA Live

March 23, 2021
fastag.png
1min491

ફાસ્ટટૅગના સરેરાશ દૈનિક કલેક્શનનો આંક રૂ. ૧૦૦ કરોડને પાર કરી ગયો હોવાની માહિતી કેન્દ્રના રોડ, પરિવહન અને એમએસએમઈ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે રાજ્યસભામાં આપી હતી. ગડકરીના જણાવ્યાનુસાર ૧૬, માર્ચ ૨૦૨૧ સુધીમાં દેશભરમાં ત્રણ કરોડ કરતાં પણ વધુ ફાસ્ટટૅગ આપવામાં આવ્યા હતા. ૧, માર્ચ ૨૦૨૧થી ૧૬, માર્ચ ૨૦૨૧ દરમિયાન ફાસ્ટટૅગનો સરેરાશ દૈનિક કલેક્શનનો આંક રૂ. ૧૦૦ કરોડ કરતાં વધુ રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું. નેશનલ હાઈવેના પૂરા કરાયેલા કોરિડોરમાં એનએચએઆઈ (નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયા) દ્વારા ટોલ પ્લાઝા ખાતે ૫૫૦ ઍમ્બ્યુલન્સ સેવામાં દાખલ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. આ ૫૫૦ ઍમ્બ્યુલન્સમાંથી ૧૭૧ને બૅઝિક લાઈફ સપોર્ટ માટે અપગ્રેડ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

March 23, 2021
covishield.jpg
1min559

સરકારે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવા માટેનો ગાળો અગાઉના ૪-૬ સપ્તાહથી વધારીને હવે ૪-૮ સપ્તાહ કરવાની જાહેરાત કરી છે.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક પુરાવાને આધારે કોવિડ-૧૯ના રસી કોવિશિલ્ડના બે ડોઝ લેવાનો ગાળો પહેલો ડોઝ લીધાના ૪-૬ સપ્તાહને બદલે ૪-૮ સપ્તાહમાં લઇ શકાય એવો પ્રસ્તાવ સરકારી સલાહકાર સંસ્થા એનટીએજીઆઇએ કર્યો છે. જોકે, બીજો ડોઝ આઠ સપ્તાહ પહેલા લેવો જરૂરી છે. કેન્દ્રના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું હતું કે સરકારે એનટીએજીઆઇનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. આ સાથે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાભકર્તાને કોવિશિલ્ડનો પહેલો ડોઝ આપ્યાના ૪-૮ સપ્તાહમાં બીજો ડોઝ આપવાની સલાહ આપવામાં આવી છે. જોકે, બીજો ડોઝ આપવાનો સમયગાળો આઠ સપ્તાહથી વધુ ન હોવો જોઇએ.

March 22, 2021
NFA.jpg
1min489

કોરોનાને કારણે અત્યંત વિલંબથી જાહેર થયેલા ભારતના પ્રતિષ્ઠિત એવોર્ડ, 67મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં આત્મહત્યા કરી લેનાર બોલીવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની ‘છિછોરે’ મૂવીને બેસ્ટ મૂવીનો નેશનલ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

બહુચર્ચિત અભિનેત્રી કંગના રણૌતને તેની ફિલ્મ મણિકર્ણિકા અને પંગાના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે જ કંગનાનો ચોથો નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ એક્ટરનો એવોર્ડ મનોજ બાજપાઈ તથા ધનુષને આપવામાં આવ્યો છે. મનોજ બાજપાઈને ફિલ્મ ભોસલે માટે તથા ધનુષને અસુરન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કંગના રણૌતને મણિકર્ણિકા અને પંગા ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)નો એવોર્ડ બી પ્રાકને આપવામાં આવ્યો છે. તેને ફિલ્મ કેસરીના લોકપ્રિય ગીત ‘તેરી મિટ્ટી મેં મિલ જાંવા’ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ)નો એવોર્ડ બારડોને આપવામાં આવ્યો છે. પલ્લવી જોષીએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ જ્યારે વિજય સેતુપતિએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. જલીકટ્ટુ ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

March 22, 2021
corona_india.jpg
1min417

24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 43,846 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષમાં આ એક દિવસના રેકોર્ડ કેસ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ દેશમાં કુલ કોરોના સંક્રમણના કેસો વધીને 1,15,99,130ને પાર થઈ ગયા છે. સતત 11માં દિવસે કોરોનાના દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,09,087 થઈ ગઈ છે જે કુલ કેસ લોડના 2.66 ટકા હોવાનું જણાય છે.

કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓની ટકાવારી ઘટીને 95.96 ટકા રહી છે. રવિવારે સવારના 8 વાગ્યા સુધી પ્રાપ્ત ડેટા મુજબ કોરોનાના નવા 43,846 કેસ નોંધાયા છે જે વિતેલા 115 દિવસમાં સૌથી વધુ છે. એક દિવસમાં 197 દર્દીનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 1,59,755 થઈ ગયો છે. એક દિવસમાં મોતના આંકડાની દ્રષ્ટિએ આ આંકડો વિતેલા 97 દિવસનો સૌથી વધુ છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.38 ટકા નોંધાયો છે.

આઈસીએમઆરના ડેટા મુજબ અત્યાર સુધીમાં કોરોનાના 23,35,65,119 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. 20 માર્ચના રોજ દેશમાં 11,33,602 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું. દેશમાં એક દિવસમાં 197 દર્દીનાં મોત થયા છે જે પૈકી મહારાષ્ટ્રમાં 92, પંજાબમાં 38, કેરળમાં 15 અને છત્તિસગઢમાં 11 દર્દીનાં મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના મતે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓમાં 70 ટકાનાં મોત કોરોનાની સાથે અન્ય ગંભીર બીમારીથી પણ થયા હોવાનું  જણાયું છે.

March 21, 2021
india_won.jpg
1min467
India vs England: India outplay England in high-scoring 5th T20I to seal  series 3-2 | Cricket News - Times of India

અમદાવાદમાં રમાય રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી20 શ્રેણીમાં બન્ને ટીમ 2-2થી બરાબરીએ રહ્યા બાદ આજે શ્રેણીને નામે કરવા માટે બન્ને ટીમ મેદાનમાં ઉતરી હતી. જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની આતશી ઈનિંગથી ભારતે 224 રનનો સ્કોર ઉભા’ કર્યા બાદ લક્ષ્યાંકને પાર પાડવામાં ઈંગ્લેન્ડની ટીમ નિષ્ફળ સાબિત થઈ હતી અને ભારતનો 36 રને વિજય થયો હતો. મેચમાં એક સમયે ઈંગ્લેન્ડની સ્થિતિ પણ મજબુત બની ગઈ હતી અને તોફાની બેટિંગથી ભારતના હાથમાંથી બાજી ફસકી રહી હોય તેવો માહોલ બન્યો હતો. જો કે 13મી ઓવરમાં બટલરની વિકેટ પડયા બાદ ઈંગ્લેન્ડની ટીમના હાથમાંથી બાજી ધીરે ધીરે સરકી હતી. મેચમાં ભુવનેશ્વર કુમારને બે અને ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડયા અને નટરાજનને એક એક વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી બટલરે 52 અને મલાને 68 રન કરીને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાકીના કોઈ બેટ્સમેન સફળ ન રહેતા હારનો સામનો કરવો પડયો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના નિર્ણાયક પાંચમા ટી20 મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતની શરૂઆત ખુબ જ મજબુત રહી હતી અને રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતરેલા કોહલીએ સાથે મળીને સારી શરૂઆત અપાવી હતી. રોહિત શર્માએ શરૂઆતથી જ આક્રમણ વલણ અપનાવતા તાબડતોડ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ કોહલીએ એક છેડેથી રન ઉમેરવાનું ચાલુ રાખ્યું હતું. રોહિત શર્મા 64 રનના અંગત સ્કોરે સ્ટોક્સની બોલિંગમાં આઉટ થયો હતો. રોહિતે પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. આ સમયે ભારતનો સ્કોર 8.6 ઓવરમાં 94 રન હતો. ત્યારબાદ વન ડાઉન આવેલા સુર્યકુમાર યાદવે પણ આક્રમણ વલણ યથાવત રાખ્યું હતું અને માત્ર 17 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 32 રન કર્યા હતા. સુર્યકુમાર યાદવને આદિલ રાશિદે આઉટ કર્યો હતો.

‘આ દરમિયાન કોહલીએ પણ કેપ્ટન ઈનિંગ રમતા શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. અંતિમ ઓવરોમાં હાર્દિક પંડયા અને કોહલીએ સાથે મળીને ભારતનો સ્કોર 20 ઓવરમાં 2 વેકેટ 224 રન સુધી પહોંચાડયો હતો. વિરાટ કોહલી 52 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 80 રન અને હાર્દિક પંડયા 17 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. ભારતીય બેટ્સમેનો દરેક બાબતમાં ઈંગ્લેન્ડના બોલરો ઉપર ભારે રહ્યા હતા અને ઈંગ્લેન્ડના બોલરોને વિકેટ માટે ખુબ જ મહેનત કરવી પડી હતી. જો કે ભારતને વિશાળ સ્કોર કરતા રોકવામાં સફળતા મળી નહોતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડન સૌથી વધારે ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 57 રન આપ્યા હતા.

March 20, 2021
air-india.jpg
1min528

એવિએશન ટર્બાઈન ફ્લુઅલ એટલે કે એટીએફની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ડોમેસ્ટિક એર ફેરની લોઅર લિમિટ 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે.

આ જાણકારી સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ સુરીએ આપી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં સરકારે પ્લેનની ટિકિટોના પ્રાઈસ બેન્ડને વધારવાનો નિર્ણય કર્યો હતો. એ સમયે મિનિમમ ભાડામાં 10 ટકાનો અને મેક્સિમમ ભાડામાં 30 ટકાનો વધારો કરાયો હતો.

હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, પ્લેનની ટિકિટો માટે સેટ કરાયેલી લોઅર અને અપર લિમિટ એપ્રિલ અંત સુધી લાગુ રહેશે. સાથે જ એમ પણ કહ્યું છે કે, પ્લેનની ટિકિટોના દરની અપર લિમિટ વર્તમાન સ્તર પર જ રહેશે. સરકારે મે 2020માં ડોમેસ્ટિક એર ટ્રાવેલના ભાડા માટે લોઅર અને અપર લિમિટને સેટ કરાઈ હતી.

એર ટિકિટ પર લોઅર અને અપર લિમિટ સેટ કરાઈ હતી અને તેને 7 કેટેગરીમાં વહેંચવામાં આવી હતી. આ કેટેગરી ફ્લાઈટની ડ્યુરેશનના આધાર પર નક્કી કરવામાં આવી હતી. પહેલી કેટેગરી 40 મિનિટથી ઓછા ડ્યુરેશનના એર ટ્રાવેલની, બીજી કેટેગરી 40-60 મિનિટની મુસાફરી, ત્રીજી કેટેગરી 60-90 મિનિટની મુસાફરી, છઠ્ઠી કેટેગરી 150-180 મિનિટની મુસાફરી અને સાતમી કેટેગરી 180-210 મિનિટની મુસાફરીની છે. હવે વધારા બાદ 40 મિનિટથી ઓછા અંતરની ફ્લાઈટ માટે એર ફેરની લોઅર લિમિટ 2310 રૂપિયા હશે, તો 180-210 મિનિટના ડ્યુરેશનવાળા સૌથી ઉચ્ચ બેન્ડ માટે એર ફેરની લોઅર લિમિટ 760 રૂપિયા હશે.

મંત્રીએ 100 ટકા ક્ષમતા સાથે એરલાઈનના સંચાલનને લઈને કહ્યું કે, જો રોજના આધાર પર પેસેન્જરની સંખ્યા 35 લાખ ક્રોસ કરી જાય છે, તો એરલાઈનને 100 ટકા ક્ષમતા સાથે ઓપરેશનની મંજૂરી મળી જશે. જોકે, એક મહિનામાં ઓછામાં ઓછું 3 વખત એવું થવું જરૂરી છે. હાલમાં એરલાઈન્સને 80 ટકાથી વધુ ક્ષમતાની સાથે સંચાલન કરવાની મંજૂરી નથી.

March 20, 2021
corona_india.jpg
1min757

ભારતમાં શુક્રવાર Dt. 19/3/21 110 દિવસમાં સર્વાધિક 39,726 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 કરોડ, 15 લાખને પાર પહોંચી ગઈ છે. સૌથી વધુ સંકટગ્રસ્ત મહારાષ્ટ્રમાં આજે 11 સપ્ટેમ્બર પછી સૌથી વધુ 25,833 નવા કેસ સામે આવતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. દેશમાં શુક્રવારે વધુ 154 દર્દી ‘કોરોનાનો કોળિયો’ બની જતાં મરણાંક વધીને 1,59,370 થઈ ગયો છે. જો કે, મૃત્યુદર ઘટીને 1.38 ટકા થઈ ગયો છે. ભારતમાં આજે પણ સક્રિય કેસોમાં 18,918 દર્દીનો વિક્રમી વધારો થતાં આજની તારીખે કુલ 2,71,282 સંક્રમિતો સારવાર હેઠળ છે.

રોજિંદા કેસોમાં વિક્રમસર્જક વધારાનો દોર સતત જારી રહેતાં કુલ સંક્રમિતોની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ વધીને 2.36 ટકા થઈ ગયું છે. બીજીતરફ, દેશમાં આજે વધુ 20,654 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં સાજા થયેલા સંક્રમિતોની સંખ્યા 1 કરોડ, 10 લાખ, 83,679 થઈ ગઈ છે. સાજા દર્દીનો દર એટલે કે, રિકવરી રેટ આજે વધુ ઘટીને 96.26 ટકા થઈ ગયો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 23 કરોડ, 13 લાખથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે.

ફ્રાન્સ, ઈટાલી સહિત યુરોપીય દેશોની એસ્ટ્રાજેનેકાને મંજૂરી

ફ્રાન્સ, ઈટાલી સહિત યુરોપીય સંઘના અનેક દેશોએ વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ની વાત માની લેતાં આખરે એસ્ટ્રાજેનેકા રસીને પાછી મંજૂરી આપી દીધી છે. યુરોપીય તબીબી નિયામક (ઈએમએ) સંસ્થા દ્વારા પણ કોરોનારોધક એસ્ટ્રાજેનેકા રસીને સુરક્ષિત અને અસરકારક ગણાવી દીધી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) ઉપરાંત બ્રિટનના તજજ્ઞોએ પણ આ રસીને સલામત લેખાવતાં કહ્યું હતું કે, રસી ન લેવાથી વધારે ખતરો થઈ શકે છે. આવી ઘોષણા બાદ જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઈટાલી, નેધરલેન્ડ્સ, પોર્ટુગલ, લિથુઆનિયા, લાતવિયા, સ્લોવેનિયા, બલ્ગેરિયા સહિતના યુરોપીય દેશોએ આ રસીનો ઉપયોગ પુન: શરૂ કરવાનો ફેંસલો કર્યો છે.

રસીની ડીએનએ ઉપર કોઈ અસર નહીં : સ્વાસ્થ્ય મંત્રી

કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે રસીને લઈને લોકોની આશંકાઓ ઉપર કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને લોકસભામાં જવાબ આપ્યો છે. તેમણે કોરોના રસીને લઈને ઉઠી રહેલી આશંકાઓને ફગાવતા કહ્યું હતું કે, દુનિયાભરમાં વૈજ્ઞાનિક વિશ્લેષણ બાદ રસીને મંજૂરી આપવામાં આવી છે. તેના ઉપર વિશ્વાસ કરવો જોઈએ.
હર્ષવર્ધને લોકસભામાં પ્રશ્નકાળમાં કહ્યું હતુ કે, દેશ-દુનિયામાં ઘણા લોકોના મનમાં આશંકા છે કે કોરોના વાયરસની રસી આગામી સમયમાં નુકશાન તો નહી પહોંચાડે ?. ભારતમાં જે બે રસી કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. તે સુરક્ષા, પ્રભાવશિલતા અને પ્રતિરક્ષા ક્ષમતા પેદા કરવાના માપદંડોમાં યોગ્ય છે.

સ્પૂતનિકના 20 કરોડ ડોઝ બનાવશે બેંગલુરૂની સ્ટેલિસ ફાર્મા
ભારતના બેંગલુરૂ સિથત સ્ટેલિસ બાયોફાર્મા રશિયાની કોરોના રસી સ્પૂતનિક-વીના ઓછામાં ઓછા 20 કરોડ ડોઝ બનાવશે. કંપની આ મામલે રશિયાન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે સમજૂતિ કરી છે. ભારતમાં આઈડીઆઈએફની કોર્ડિનેશન પાર્ટનર એન્સો હેલ્થકેર એલએલપી મારફતે આઈડીઆઈએફ અને સ્ટેલિસ વચ્ચે સમજૂતિ થઈ છે. સ્ટેલિસ સ્ટ્રાઈડસ ફાર્મા સાયન્સનો હિસ્સો છે. સમજૂતિ અનુસાર ચાલુ વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપની ડોઝની સપ્લાય શરૂ કરી દેશે. સ્પૂતનિક સાથે સમજૂતિ કરનારી ચોથી ભારતીય કંપની સ્ટેલિસ છે. આ સાથે રસી બનાવવાની ભારતની ક્ષમતા 80 કરોડ ડોઝ થઈ છે.

March 20, 2021
Teerath.jpg
1min457

ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે શુક્રવારે ‘ફાટેલા જીન્સ’ને લગતા પોતાના નિવેદન અંગે માફી માગી હતી અને જણાવ્યું હતું કે મારા સંબંધિત નિવેદનથી કોઇની લાગણી દુભાઇ હોઇ તો હું તેમની માફી માગું છું. આમ છતાં, તેમણે જણાવ્યું હતું કે ફાટેલા જીન્સ પહેરવા અયોગ્ય છે.

તીરથસિંહ રાવતે જણાવ્યું હતું કે છોકરાઓ મોંઘાં જીન્સ ખરીદે છે અને ઘરે જઇને કાતરથી ફાડે છે.

તેમણે જણાવ્યું હતું કે જો ઘરમાં બાળકોને સારા સંસ્કાર આપીએ તો તેઓ ભવિષ્યમાં ક્યારેય નિષ્ફળ નથી જતા.

મુખ્ય પ્રધાન રાવતે જણાવ્યું હતું કે હું ગ્રામીણ વિસ્તારમાંથી આવું છું. હું શાળામાં ભણતો હતો ત્યારે ફાટેલા પૅન્ટ હોય તો શિક્ષક વઢતા હતા. બાળકોને વિવિધ સામાજિક દૂષણથી દૂર રાખવા પણ જરૂરી છે.

રાવતે એક સમયે ફ્લાઇટમાં પોતાની બાજુમાં બેઠેલી મહિલાના કપડાંનું વર્ણન કરતા જણાવ્યું હતું કે મારી બાજુમાં બેઠેલી મહિલાએ બૂટ્સ, ફાટેલા જીન્સ, બંગડીઓ પહેરી હતી. તેની સાથે તેના બાળકો પણ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા.

March 18, 2021
ritika_phoghat.jpg
1min436
Babita Phogat cousin Ritika commits suicide after losing wrestling match |Ritika  Phogat Suicide: पहलवान Babita और Geeta Phogat की बहन रितिका ने की  आत्महत्या, जानिए क्या थी वजह | Hindi News

ભારતની સ્ટાર રેસલર બબીતા ફોગાટ અને ગીતા ફોગાટની પિતરાઇ બહેન રિતિકા ફોગાટે કુશ્તી સ્પર્ધામાં મેચ હારી જતાં આત્મહત્યા કરી લીધી છે. રિતિકાએ કુશ્તીની ફાઇનલ મેચમાં મેળલી હાર સહન ન થતાં ગંભીર પગલુ ઉઠાવી લીધુ હતું, પિતરાઇ બહેનને આત્મહત્યા કરી લેવાના કારણે ગીતા ફોગાટે દુખની લાગણી વ્યક્ત કરી હતી. ગીતા ફોગાટે પ્રતિક્રિયા આપતાં કહ્યુ હતું કે, હાર અને જીત જીવનનો ભાગ હોય છે. કોઇપણ ખેલાડીએ આવુ પગલુ ન લેવું જોઇએ.

ગીતા ફોગાટે ટ્વીટર પર લખ્યું હતું કે ભગવાન મારી નાની બહેન અને મારા મામાની દિકરી રિતિકાની આત્માને શાંતિ આપે. મારા પરિવાર માટે દુખનો સમય છે. રિતિકા પ્રભાવશાળી રેસલર હતી. હાર અને જીત ખેલાડીના જીવનનો હિસ્સો હોય છે, આપણે આવુ પગલુ ન લેવુ જોઇએ.

17 વર્ષની રિતિકા ફોગાટે રાજસ્થાનના ભરતપુરમા લોહાગઢ સ્ટેડિયમમાં આયોજીત સ્ટેટ લેવલ સબ જૂનિયર ટૂર્નામેન્ટમાં હિસ્સો લીધો હતો. સ્પર્ધાની ફાઇનલ મેચમાં પહોંચ્યા બાદરિતિકા માત્ર એક અંકથી મેચ હારી ગઇ હતી અને આ હારથી નિરાશ થઇ તેણે ફાંસી લગાવી લીધી હતી.

માહિતી મુજબ રિતિકાએ બુધવારની રાતે આશરે 11 વાગે પોતાને ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. રિતિકાએ પોતાના ફુઆ અને ગીતા-બબીતાના પિતા મહાવીર ફોગાટ પાસેથી કુશ્તીની તાલીમ મેળવી હતી. રિતિકાની ફાઇનલ મેચ દરમિયાન મહાવીર ફોગાટ હાજર હતા.

March 18, 2021
coronaupdate.jpg
2min404

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં છેલ્લા એક દિવસ દરમિયાન કોવિડ-૧૯ના ૩૫,૮૭૧ નવા દરદી નોંધાયા હતા. આ સંખ્યા છેલ્લા ૧૦૨ દિવસની સૌથી વધુ હતી. આ સાથે દેશમાં કોરોનાના દરદીઓની કુલ સંખ્યા વધીને ૧,૧૪,૭૪,૬૦૫ થઇ ગઇ હતી.

દેશમાં છેલ્લા આઠ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે. કોવિડ-૧૯ના ઍક્ટિવ દરદીઓની સંખ્યા વધીને ૨,૫૨,૩૬૪ થઇ ગઇ છે. આ સંખ્યા કુલ દરદીઓના ૨.૨ ટકા છે. ગુરુવારે સવારના ૮ વાગ્યા સુધીમાં મળેલા દરદીઓના આંકડા મુજબ કોરોનાના દરદીઓ સાજા થવાની ટકાવારી ઘટીને ૯૬.૪૧ ટકા થઇ હતી.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાથી વધુ ૧૭૨ દરદી મૃત્યુ પામતા કુલ મરણાંક વધીને ૧,૫૯,૨૧૬ થઇ ગયો હતો.

અગાઉ, છઠ્ઠી ડિસેમ્બરે એટલે કે ૧૦૨ દિવસ પહેલાં દેશમાં કોરોનાના ૩૬,૦૧૧ દરદી નોંધાયા હતા. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યું હતું કે દેશમાં ૧૭મી માર્ચ સુધીમાં કોરોના માટે ૨૩,૦૩,૧૩,૧૬૩ સૅમ્પલ તપાસાયા હતા. 

Gujarat on 19/3

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1276 કેસો નોંધાયા છે. 899 દર્દીઓ સાજા થયા છે. કોરોના વાયરસના કારણે 3 દર્દીઓના મોત થયા.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 304 (અમદાવાદ કોર્પોરેશન 298 અને અમદાવાદ 6), સુરતમાં 395 (સુરત કોર્પોરેશન 324 અને સુરત 71), વડોદરામાં 129 (વડોદરા કોર્પોરેશનમાં 111 અને વડોદરા 18) અને રાજકોટમાં 113 કેસો (રાજકોટ કોર્પોરેશનમાં 98 અને રાજકોટ 15) કોરોના વાયરસના નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,72,332 દર્દીઓ સાજા થયા છે. આજે કુલ 1,55,174 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Reported on 18/3/21

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૮,૯૦૩ નવા કેસ નોંધાવાની સાથે દૈનિક ધોરણે આ વર્ષનો સૌથી વધુ વધારો નોંધાયો હતો અને કેસની કુલ સંખ્યા ૧,૧૪,૩૮,૭૩૪ થઇ છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

કોરોનાને કારણે થયેલાં મૃત્યુની સંખ્યા વધીને ૧,૫૯,૦૪૪ થઇ છે, જેમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલાં ૧૮૮ મૃત્યુનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં કોરોનાના ૨,૩૪, ૪૦૬ સક્રિય કેસ છે. કોરોનાથી સાજા થવાનો દર ઘટીને ૯૬.૫૬ ટકા થયો છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૧,૧૦,૪૫,૨૮૪ લોકો સાજા થયા છે. આઇસીએમઆરના જણાવ્યા મુજબ ૧૬ માર્ચ સુધીમાં ૨૨,૯૨,૪૯,૭૮૪ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં મંગળવારે કરવામાં આવેલા ૯,૬૯,૦૨૧ સેમ્પલનો સમાવેશ થાય છે.

દેશમાં નવા નોંધાયેલા કુલ કેસમાં પાંચ રાજ્યનો હિસ્સો ૭૦ ટકાથી વધુ

દેશમાં બુધવારે કોરોનાના નવા વધુ ૨૮,૯૦૩ કેસ નોંધાયા હતા જેમાં પાંચ રાજ્ય (મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિળનાડુ)નો હિસ્સો ૭૧.૧૦ ટકા જેટલો હોવાનું આરોગ્ય ખાતાએ કહ્યું હતું.

કોરોનાના સૌથી વધુ દૈનિક નવા કેસને મામલે કેરળ છઠ્ઠા સ્થાને રહ્યું હતું.

જોકે, કેરળમાં છેલ્લાં એક મહિનાથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

કેરળ સહિત દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ કેસમાં છ રાજ્યનો હિસ્સો ૮૩.૯૧ ટકા જેટલો થતો હોવાનું તેમણે કહ્યું હતું.

એક જ દિવસમાં દેશમાં કોરોનાના નવા નોંધાયેલા કુલ ૨૮,૯૦૩ કેસમાં મહારાષ્ટ્રના ૧૭,૮૬૪ કેસનો સમાવેશ થાય છે જે કુલ કેસના ૬૧.૮ ટકા જેટલા હોવાનું તેમણે કહ્યું હતું.

દેસમાં કુલ સક્રિય કેસમાં મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબનો હિસ્સો ૭૬.૪ ટકા અને એકલા મહારાષ્ટ્રનો હિસ્સો ૬૦ ટકા જેટલો હોવાનું તેમણે કહ્યું હતું.

Gujarat

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૧૨૨ દર્દીઓ નોંધાયા હતા. તેની સામે ૭૭૫ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ કુલ ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં. જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક ૨,૮૧,૧૭૩ પર પહોંચ્યો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ ૨,૭૧,૪૩૩ છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક ૪,૪૩૦ પર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં ૩૫૩, અમદાવાદમાં ૨૭૧, વડોદરામાં ૧૧૪, રાજકોટમાં ૧૧૨, ભરૂચમાં ૨૧, મહેસાણામાં ૧૯, જામનગરમાં ૧૯, ખેડામાં ૧૮, પંચમહાલમાં ૧૮, વડોદરામાં ૧૭, ભાવનગરમાં ૨૨, ગાંધીનગરમાં ૨૪, કચ્છમાં ૧૪, આણંદમાં ૧૩, દાહોદમાં ૧૨, નર્મદામાં ૧૨, સાબરકાંઠામાં ૧૦, છોટાઉદેપુરમાં ૯, અમરેલીમાં ૮, જૂનાગઢમાં ૧૨, મહીસાગર, મોરબીમાં ૮-૮, અરવલ્લી, બનાસકાંઠા, ગીરસોમનાથમાં ૪-૪, વલસાડ, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, બોટાદ૨-૨. ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ૧-૧ નોંધાયો હતા.

રાજ્યમાં કોવિડ-૧૯ ના ૧૧૨૨ દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી ૭૭૫ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ ૯૬.૫૪ ટકા જેટલો છે. ૫,૩૧૦ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૬૧ છે. જ્યારે ૫,૨૪૯ લોકો સ્ટેબલ છે. ૨,૭૧,૪૩૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કુલ ૪,૪૩૦ લોકોનાં મોત નિપજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૨૨,૭૧,૧૪૫ વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને ૫,૫૪,૬૬૨ વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે ૬૦ વર્ષથી વધુ વયના તેમજ ૪૫ થી ૬૦ વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ ૫૨,૯૫૨ વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતું.