ઇન્ડીયા Archives - Page 71 of 215 - CIA Live

March 24, 2021
coronaindia-1-1280x1044.jpg
1min478

દેશના ગૃહમંત્રાલય તરફથી તા.૨૪મી માર્ચ ૨૦૨૧ના રોજ જારી કરવામાં આવેલી નવી કોરોના ગાઈડલાઈનમાં રાજ્ય સરકારોને ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની નીતિનો સખ્તાઈથી અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ નવી માર્ગદર્શિકા 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. કેન્દ્રે રાજ્ય સરકારોને ટેસ્ટિંગ વધારવા કહેવા સાથે પોઝિટિવ આવેલા લોકોનો ઈલાજ પણ સુનિશ્ચિત કરવાં કહ્યું છે. તદુપરાંત ટ્રેક પોલિસી ઉપર કામ કરતાં ટેસ્ટમાં પોઝિટિવ આવેલા લોકોની જાણકારીઓ એકત્ર કરીને તેમની પણ સંક્રમણની તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. આવા લોકોને આઈસોલેટ એટલે કે અળગા પાડવા માટે પણ કહેવામાં આવ્યું છે. આવી જ રીતે કેન્દ્ર સરકારે જિલ્લા પ્રશાસનને પણ માઈક્રો લેવલે કન્ટેઈન્મેટન્ટ ઝોન તૈયાર કરવાં ઉપર જોર આપવા તાકીદ કરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, કન્ટેઈન્મેન્ટ ઝોનમાં નિયમોનાં પાલન માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ જવાબદાર રહેશે. આ ઉપરાંત જવાબદાર અધિકારીઓની જવાબદેહીતા પણ રાજ્ય સરકારોને નક્કી કરવાની છે. કામનાં સ્થળો ઉપર શારીરિક અંતરનાં નિયમોનું પાલન કરાવવાનો અધિકાર પણ રાજ્યોને આપવામાં આવ્યો છે. માસ્ક, સેનિટાઈઝર, સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોમાં સખ્તાઈ અને દંડ નક્કી કરવાનો અધિકાર પણ રાજ્યોને રહેશે.
આ ઉપરાંત રાજ્યોને જિલ્લા, તાલુકા અને શહેર કે વોર્ડ સ્તરે કોરોના સંબંધિત નિયંત્રણો લાગુ કરવાનો અધિકાર પણ રહેશે.

સખ્તાઈનાં આ આદેશો સાથે કેન્દ્ર તરફથી એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અન્ય રાજ્યોમાં અવરજવર ઉપર કોઈ પ્રતિબંધ નથી. રાજ્યની ભીતર પણ આવાગમન ઉપર કોઈ જ રોક નથી. આવા પરિવહન માટે કોઈ મંજૂરી કે પરમિટ પણ જરૂરી રહેશે નહીં.

March 24, 2021
vaccine-1.jpg
1min413

કોવિડ-૧૯ની કુલ ૩૨.૫૩ લાખથી વધુ રસી સોમવારે આપવામાં આવી હતી, જે અત્યાર સુધીની એક દિવસમાં આપવામાં આવેલી સૌથી વધુ રસી હતી.

આ સાથે અત્યાર સુધીમાં ૪.૮ કરોડ કોરોનાની રસી લોકોને આપવામાં આવી હોવાની માહિતી પણ મંત્રાલયે જાહેર કરી હતી.

સોમવારે ૨૩મી માર્ચ ૨૦૨૧ રસીકરણનો ૬૬મો દિવસ હતો અને એ દિવસે કુલ ૩૨,૫૩,૦૯૫ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. એમાંથી ૪૮૩૪૫ સત્રમાં ૨૯૦૩૦૩૦ લાભકર્તાને રસીનો પહેલો ડોઝ અને ૩૫૦૦૬૫ સ્વાસ્થ્ય કર્મચારીઓ તથા ફ્રન્ટલાઇન વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ૨૯૦૩૦૩૦ લાભકર્તામાં ૨૧૩૧૦૧૨ વ્યક્તિ ૬૦ વર્ષથી વધુ વયની હતી અને ૫૫૯૯૩૦ વ્યક્તિ ૪૫-૫૯ વર્ષની બહુરોગીય વ્યક્તિ હતી.

March 23, 2021
vaccine-1.jpg
1min405

દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને વિસ્તારવાનો નિર્ણય લેતાં કેન્દ્ર સરકારે ત્રીજા તબક્કાના વેક્સીનેશન પ્લાન હેઠળ આગામી તા.૧ એપ્રિલ પછી દેશમાં 45થી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને વેક્સીન માટે એલિજીબલ ગણવાની મંજૂરી આપી દીધી છે. જેમાં હવેથી વેક્સીન લેનાર વ્યક્તિએ અન્ય બીમારીના સર્ટિફિકેટ આપવાની જરુર રહેશે નહીં. સરકારે કોરોના રસી માટે બીમારીના સર્ટિફિકેટની શરતને હટાવી લીધી છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, રસી લેવા માટે 45થી વધુ ઉંમરના લોકોએ ડોક્ટરનું સર્ટિફિકેટ લાવવાની જરુર રહેશે નહીં. 45થી ઉપર ઉંમર છે તો રસી મળી જશે. તેમણે અપીલ કરી હતી કે કોરોના વેક્સીન માટે 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો તાત્કાલિક ધોરણ રજિસ્ટર કરાવી વેક્સીન ડોઝ મેળવી લેવાની પ્રક્રિયામાં સામેલ થાય. આ સિવાય તેમણે કોરોનાની અન્ય રસીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દેશમાં કેટલીક કોરોના વેક્સીન ટ્રાયલ ફેજમાં છે અને ટૂંક સમયમાં તેમને મંજૂરી મળી શકે છે.

કેન્દ્રના જણાવ્યા મુજબ દેશવ્યાપી રસીકરણના બીજા તબક્કામાં 60થી વધુ ઉંમરના લોકોને આવરી લેવાની સાથે સાથે 45થી વધુ ઉંમર ધરાવતા અન્ય બીમારીઓથી પીડિત લોકોનું વેક્સીનેશન પણ કરવામાં આવી રહ્યુ છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની માહિતી એક પત્રકાર પરિષદને સંબોધતા આપી હતી. રસીકરણ અભિયાનની માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 4 કરોડથી વધુ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે 80 લાખથી વધુ લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવાયો છે. તેમના જણાવ્યા મુજબ વિતેલા 24 કલાકમાં દેશભરમાં 32 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં તબક્કાવાર લોકોને વેક્સીન આપવાનો નિર્ણય લીધો હતો.

March 23, 2021
fastag.png
1min485

ફાસ્ટટૅગના સરેરાશ દૈનિક કલેક્શનનો આંક રૂ. ૧૦૦ કરોડને પાર કરી ગયો હોવાની માહિતી કેન્દ્રના રોડ, પરિવહન અને એમએસએમઈ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે રાજ્યસભામાં આપી હતી. ગડકરીના જણાવ્યાનુસાર ૧૬, માર્ચ ૨૦૨૧ સુધીમાં દેશભરમાં ત્રણ કરોડ કરતાં પણ વધુ ફાસ્ટટૅગ આપવામાં આવ્યા હતા. ૧, માર્ચ ૨૦૨૧થી ૧૬, માર્ચ ૨૦૨૧ દરમિયાન ફાસ્ટટૅગનો સરેરાશ દૈનિક કલેક્શનનો આંક રૂ. ૧૦૦ કરોડ કરતાં વધુ રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું. નેશનલ હાઈવેના પૂરા કરાયેલા કોરિડોરમાં એનએચએઆઈ (નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઈન્ડિયા) દ્વારા ટોલ પ્લાઝા ખાતે ૫૫૦ ઍમ્બ્યુલન્સ સેવામાં દાખલ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું. આ ૫૫૦ ઍમ્બ્યુલન્સમાંથી ૧૭૧ને બૅઝિક લાઈફ સપોર્ટ માટે અપગ્રેડ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

March 23, 2021
covishield.jpg
1min552

સરકારે કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવા માટેનો ગાળો અગાઉના ૪-૬ સપ્તાહથી વધારીને હવે ૪-૮ સપ્તાહ કરવાની જાહેરાત કરી છે.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક પુરાવાને આધારે કોવિડ-૧૯ના રસી કોવિશિલ્ડના બે ડોઝ લેવાનો ગાળો પહેલો ડોઝ લીધાના ૪-૬ સપ્તાહને બદલે ૪-૮ સપ્તાહમાં લઇ શકાય એવો પ્રસ્તાવ સરકારી સલાહકાર સંસ્થા એનટીએજીઆઇએ કર્યો છે. જોકે, બીજો ડોઝ આઠ સપ્તાહ પહેલા લેવો જરૂરી છે. કેન્દ્રના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું હતું કે સરકારે એનટીએજીઆઇનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. આ સાથે બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લાભકર્તાને કોવિશિલ્ડનો પહેલો ડોઝ આપ્યાના ૪-૮ સપ્તાહમાં બીજો ડોઝ આપવાની સલાહ આપવામાં આવી છે. જોકે, બીજો ડોઝ આપવાનો સમયગાળો આઠ સપ્તાહથી વધુ ન હોવો જોઇએ.

March 22, 2021
NFA.jpg
1min471

કોરોનાને કારણે અત્યંત વિલંબથી જાહેર થયેલા ભારતના પ્રતિષ્ઠિત એવોર્ડ, 67મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં આત્મહત્યા કરી લેનાર બોલીવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની ‘છિછોરે’ મૂવીને બેસ્ટ મૂવીનો નેશનલ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

બહુચર્ચિત અભિનેત્રી કંગના રણૌતને તેની ફિલ્મ મણિકર્ણિકા અને પંગાના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે જ કંગનાનો ચોથો નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ એક્ટરનો એવોર્ડ મનોજ બાજપાઈ તથા ધનુષને આપવામાં આવ્યો છે. મનોજ બાજપાઈને ફિલ્મ ભોસલે માટે તથા ધનુષને અસુરન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કંગના રણૌતને મણિકર્ણિકા અને પંગા ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)નો એવોર્ડ બી પ્રાકને આપવામાં આવ્યો છે. તેને ફિલ્મ કેસરીના લોકપ્રિય ગીત ‘તેરી મિટ્ટી મેં મિલ જાંવા’ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ)નો એવોર્ડ બારડોને આપવામાં આવ્યો છે. પલ્લવી જોષીએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ જ્યારે વિજય સેતુપતિએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. જલીકટ્ટુ ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

March 22, 2021
corona_india.jpg
1min412

24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 43,846 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષમાં આ એક દિવસના રેકોર્ડ કેસ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ દેશમાં કુલ કોરોના સંક્રમણના કેસો વધીને 1,15,99,130ને પાર થઈ ગયા છે. સતત 11માં દિવસે કોરોનાના દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા વધીને 3,09,087 થઈ ગઈ છે જે કુલ કેસ લોડના 2.66 ટકા હોવાનું જણાય છે.

કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓની ટકાવારી ઘટીને 95.96 ટકા રહી છે. રવિવારે સવારના 8 વાગ્યા સુધી પ્રાપ્ત ડેટા મુજબ કોરોનાના નવા 43,846 કેસ નોંધાયા છે જે વિતેલા 115 દિવસમાં સૌથી વધુ છે. એક દિવસમાં 197 દર્દીનાં મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 1,59,755 થઈ ગયો છે. એક દિવસમાં મોતના આંકડાની દ્રષ્ટિએ આ આંકડો વિતેલા 97 દિવસનો સૌથી વધુ છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.38 ટકા નોંધાયો છે.

આઈસીએમઆરના ડેટા મુજબ અત્યાર સુધીમાં કોરોનાના 23,35,65,119 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. 20 માર્ચના રોજ દેશમાં 11,33,602 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું. દેશમાં એક દિવસમાં 197 દર્દીનાં મોત થયા છે જે પૈકી મહારાષ્ટ્રમાં 92, પંજાબમાં 38, કેરળમાં 15 અને છત્તિસગઢમાં 11 દર્દીનાં મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના મતે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓમાં 70 ટકાનાં મોત કોરોનાની સાથે અન્ય ગંભીર બીમારીથી પણ થયા હોવાનું  જણાયું છે.

March 21, 2021
india_won.jpg
1min462
India vs England: India outplay England in high-scoring 5th T20I to seal  series 3-2 | Cricket News - Times of India

અમદાવાદમાં રમાય રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટી20 શ્રેણીમાં બન્ને ટીમ 2-2થી બરાબરીએ રહ્યા બાદ આજે શ્રેણીને નામે કરવા માટે બન્ને ટીમ મેદાનમાં ઉતરી હતી. જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની આતશી ઈનિંગથી ભારતે 224 રનનો સ્કોર ઉભા’ કર્યા બાદ લક્ષ્યાંકને પાર પાડવામાં ઈંગ્લેન્ડની ટીમ નિષ્ફળ સાબિત થઈ હતી અને ભારતનો 36 રને વિજય થયો હતો. મેચમાં એક સમયે ઈંગ્લેન્ડની સ્થિતિ પણ મજબુત બની ગઈ હતી અને તોફાની બેટિંગથી ભારતના હાથમાંથી બાજી ફસકી રહી હોય તેવો માહોલ બન્યો હતો. જો કે 13મી ઓવરમાં બટલરની વિકેટ પડયા બાદ ઈંગ્લેન્ડની ટીમના હાથમાંથી બાજી ધીરે ધીરે સરકી હતી. મેચમાં ભુવનેશ્વર કુમારને બે અને ઠાકુરે ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડયા અને નટરાજનને એક એક વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડ તરફથી બટલરે 52 અને મલાને 68 રન કરીને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાકીના કોઈ બેટ્સમેન સફળ ન રહેતા હારનો સામનો કરવો પડયો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના નિર્ણાયક પાંચમા ટી20 મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતની શરૂઆત ખુબ જ મજબુત રહી હતી અને રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતરેલા કોહલીએ સાથે મળીને સારી શરૂઆત અપાવી હતી. રોહિત શર્માએ શરૂઆતથી જ આક્રમણ વલણ અપનાવતા તાબડતોડ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ કોહલીએ એક છેડેથી રન ઉમેરવાનું ચાલુ રાખ્યું હતું. રોહિત શર્મા 64 રનના અંગત સ્કોરે સ્ટોક્સની બોલિંગમાં આઉટ થયો હતો. રોહિતે પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. આ સમયે ભારતનો સ્કોર 8.6 ઓવરમાં 94 રન હતો. ત્યારબાદ વન ડાઉન આવેલા સુર્યકુમાર યાદવે પણ આક્રમણ વલણ યથાવત રાખ્યું હતું અને માત્ર 17 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 32 રન કર્યા હતા. સુર્યકુમાર યાદવને આદિલ રાશિદે આઉટ કર્યો હતો.

‘આ દરમિયાન કોહલીએ પણ કેપ્ટન ઈનિંગ રમતા શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. અંતિમ ઓવરોમાં હાર્દિક પંડયા અને કોહલીએ સાથે મળીને ભારતનો સ્કોર 20 ઓવરમાં 2 વેકેટ 224 રન સુધી પહોંચાડયો હતો. વિરાટ કોહલી 52 બોલમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 80 રન અને હાર્દિક પંડયા 17 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. ભારતીય બેટ્સમેનો દરેક બાબતમાં ઈંગ્લેન્ડના બોલરો ઉપર ભારે રહ્યા હતા અને ઈંગ્લેન્ડના બોલરોને વિકેટ માટે ખુબ જ મહેનત કરવી પડી હતી. જો કે ભારતને વિશાળ સ્કોર કરતા રોકવામાં સફળતા મળી નહોતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડન સૌથી વધારે ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 57 રન આપ્યા હતા.

March 20, 2021
air-india.jpg
1min521

એવિએશન ટર્બાઈન ફ્લુઅલ એટલે કે એટીએફની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને મોદી સરકારે ડોમેસ્ટિક એર ફેરની લોઅર લિમિટ 5 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે.

આ જાણકારી સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ સુરીએ આપી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં સરકારે પ્લેનની ટિકિટોના પ્રાઈસ બેન્ડને વધારવાનો નિર્ણય કર્યો હતો. એ સમયે મિનિમમ ભાડામાં 10 ટકાનો અને મેક્સિમમ ભાડામાં 30 ટકાનો વધારો કરાયો હતો.

હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, પ્લેનની ટિકિટો માટે સેટ કરાયેલી લોઅર અને અપર લિમિટ એપ્રિલ અંત સુધી લાગુ રહેશે. સાથે જ એમ પણ કહ્યું છે કે, પ્લેનની ટિકિટોના દરની અપર લિમિટ વર્તમાન સ્તર પર જ રહેશે. સરકારે મે 2020માં ડોમેસ્ટિક એર ટ્રાવેલના ભાડા માટે લોઅર અને અપર લિમિટને સેટ કરાઈ હતી.

એર ટિકિટ પર લોઅર અને અપર લિમિટ સેટ કરાઈ હતી અને તેને 7 કેટેગરીમાં વહેંચવામાં આવી હતી. આ કેટેગરી ફ્લાઈટની ડ્યુરેશનના આધાર પર નક્કી કરવામાં આવી હતી. પહેલી કેટેગરી 40 મિનિટથી ઓછા ડ્યુરેશનના એર ટ્રાવેલની, બીજી કેટેગરી 40-60 મિનિટની મુસાફરી, ત્રીજી કેટેગરી 60-90 મિનિટની મુસાફરી, છઠ્ઠી કેટેગરી 150-180 મિનિટની મુસાફરી અને સાતમી કેટેગરી 180-210 મિનિટની મુસાફરીની છે. હવે વધારા બાદ 40 મિનિટથી ઓછા અંતરની ફ્લાઈટ માટે એર ફેરની લોઅર લિમિટ 2310 રૂપિયા હશે, તો 180-210 મિનિટના ડ્યુરેશનવાળા સૌથી ઉચ્ચ બેન્ડ માટે એર ફેરની લોઅર લિમિટ 760 રૂપિયા હશે.

મંત્રીએ 100 ટકા ક્ષમતા સાથે એરલાઈનના સંચાલનને લઈને કહ્યું કે, જો રોજના આધાર પર પેસેન્જરની સંખ્યા 35 લાખ ક્રોસ કરી જાય છે, તો એરલાઈનને 100 ટકા ક્ષમતા સાથે ઓપરેશનની મંજૂરી મળી જશે. જોકે, એક મહિનામાં ઓછામાં ઓછું 3 વખત એવું થવું જરૂરી છે. હાલમાં એરલાઈન્સને 80 ટકાથી વધુ ક્ષમતાની સાથે સંચાલન કરવાની મંજૂરી નથી.

March 20, 2021
corona_india.jpg
1min744

ભારતમાં શુક્રવાર Dt. 19/3/21 110 દિવસમાં સર્વાધિક 39,726 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 કરોડ, 15 લાખને પાર પહોંચી ગઈ છે. સૌથી વધુ સંકટગ્રસ્ત મહારાષ્ટ્રમાં આજે 11 સપ્ટેમ્બર પછી સૌથી વધુ 25,833 નવા કેસ સામે આવતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. દેશમાં શુક્રવારે વધુ 154 દર્દી ‘કોરોનાનો કોળિયો’ બની જતાં મરણાંક વધીને 1,59,370 થઈ ગયો છે. જો કે, મૃત્યુદર ઘટીને 1.38 ટકા થઈ ગયો છે. ભારતમાં આજે પણ સક્રિય કેસોમાં 18,918 દર્દીનો વિક્રમી વધારો થતાં આજની તારીખે કુલ 2,71,282 સંક્રમિતો સારવાર હેઠળ છે.

રોજિંદા કેસોમાં વિક્રમસર્જક વધારાનો દોર સતત જારી રહેતાં કુલ સંક્રમિતોની સંખ્યા સામે સક્રિય કેસોનું પ્રમાણ વધીને 2.36 ટકા થઈ ગયું છે. બીજીતરફ, દેશમાં આજે વધુ 20,654 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં સાજા થયેલા સંક્રમિતોની સંખ્યા 1 કરોડ, 10 લાખ, 83,679 થઈ ગઈ છે. સાજા દર્દીનો દર એટલે કે, રિકવરી રેટ આજે વધુ ઘટીને 96.26 ટકા થઈ ગયો છે. ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)ના આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 23 કરોડ, 13 લાખથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યા છે.

ફ્રાન્સ, ઈટાલી સહિત યુરોપીય દેશોની એસ્ટ્રાજેનેકાને મંજૂરી

ફ્રાન્સ, ઈટાલી સહિત યુરોપીય સંઘના અનેક દેશોએ વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ની વાત માની લેતાં આખરે એસ્ટ્રાજેનેકા રસીને પાછી મંજૂરી આપી દીધી છે. યુરોપીય તબીબી નિયામક (ઈએમએ) સંસ્થા દ્વારા પણ કોરોનારોધક એસ્ટ્રાજેનેકા રસીને સુરક્ષિત અને અસરકારક ગણાવી દીધી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) ઉપરાંત બ્રિટનના તજજ્ઞોએ પણ આ રસીને સલામત લેખાવતાં કહ્યું હતું કે, રસી ન લેવાથી વધારે ખતરો થઈ શકે છે. આવી ઘોષણા બાદ જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઈટાલી, નેધરલેન્ડ્સ, પોર્ટુગલ, લિથુઆનિયા, લાતવિયા, સ્લોવેનિયા, બલ્ગેરિયા સહિતના યુરોપીય દેશોએ આ રસીનો ઉપયોગ પુન: શરૂ કરવાનો ફેંસલો કર્યો છે.

રસીની ડીએનએ ઉપર કોઈ અસર નહીં : સ્વાસ્થ્ય મંત્રી

કોરોના વાયરસના વધી રહેલા કેસ વચ્ચે રસીને લઈને લોકોની આશંકાઓ ઉપર કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને લોકસભામાં જવાબ આપ્યો છે. તેમણે કોરોના રસીને લઈને ઉઠી રહેલી આશંકાઓને ફગાવતા કહ્યું હતું કે, દુનિયાભરમાં વૈજ્ઞાનિક વિશ્લેષણ બાદ રસીને મંજૂરી આપવામાં આવી છે. તેના ઉપર વિશ્વાસ કરવો જોઈએ.
હર્ષવર્ધને લોકસભામાં પ્રશ્નકાળમાં કહ્યું હતુ કે, દેશ-દુનિયામાં ઘણા લોકોના મનમાં આશંકા છે કે કોરોના વાયરસની રસી આગામી સમયમાં નુકશાન તો નહી પહોંચાડે ?. ભારતમાં જે બે રસી કોવિશીલ્ડ અને કોવેક્સિનના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. તે સુરક્ષા, પ્રભાવશિલતા અને પ્રતિરક્ષા ક્ષમતા પેદા કરવાના માપદંડોમાં યોગ્ય છે.

સ્પૂતનિકના 20 કરોડ ડોઝ બનાવશે બેંગલુરૂની સ્ટેલિસ ફાર્મા
ભારતના બેંગલુરૂ સિથત સ્ટેલિસ બાયોફાર્મા રશિયાની કોરોના રસી સ્પૂતનિક-વીના ઓછામાં ઓછા 20 કરોડ ડોઝ બનાવશે. કંપની આ મામલે રશિયાન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે સમજૂતિ કરી છે. ભારતમાં આઈડીઆઈએફની કોર્ડિનેશન પાર્ટનર એન્સો હેલ્થકેર એલએલપી મારફતે આઈડીઆઈએફ અને સ્ટેલિસ વચ્ચે સમજૂતિ થઈ છે. સ્ટેલિસ સ્ટ્રાઈડસ ફાર્મા સાયન્સનો હિસ્સો છે. સમજૂતિ અનુસાર ચાલુ વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપની ડોઝની સપ્લાય શરૂ કરી દેશે. સ્પૂતનિક સાથે સમજૂતિ કરનારી ચોથી ભારતીય કંપની સ્ટેલિસ છે. આ સાથે રસી બનાવવાની ભારતની ક્ષમતા 80 કરોડ ડોઝ થઈ છે.