ઇન્ડીયા Archives - Page 65 of 217 - CIA Live

May 4, 2021
ipl_suspended.jpg
1min405

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજરોજ તા.4 મે 2021ના રોજ ઇન્ડીયન પ્રીમીયર લીગ ક્રિકેટ ચેમ્પિયનશીપ, IPL-2021ને અધવચ્ચે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસો અને કેટલાક ખેલાડીઓને પણ તેનો ચેપ લાગી જતાં આઈપીએલની આ સીઝનને સસ્પેન્ડ કરી દેવાનું નક્કી કરાયું છે.

સોમવારે અમદાવાદમાં રમાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ કોરોનાને કારણે જ કેન્સલ કરી દેવામાં આવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી વરુણ ચક્રવર્તી અને બોલર સંદીપ વારિયરને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોના જણાવ્યા અનુસાર, મંગળવારે અમિત મિશ્રા અને ઋદ્ધિમાન સાહાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવાયો હતો. બીસીસીઆઈના અનેક અધિકારીઓ અને ફ્રેન્ચાઈઝીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે.

ચેન્નૈ સુપર કિંગ્સના બે સભ્યો બોલિંગ કોચ એલ. બાલાજી અને બસ ક્લીનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સીઈઓ કાશી વિશ્વનાથનનો બીજો રિપોર્ટ સોમવારે સાંજે નેગેટિવ આવ્યો હતો. જોકે, બાલાજી અને બસ ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અનેક ઓસ્ટ્રેલિયન ખેલાડી કોરોનાના વધતા કેસને કારણે જ પોતાના દેશમાં પરત ફરી ચૂક્યા છે. જેમાં એડમ જંપા, એન્ડ્રયુ ટાય અને કેન રિચર્ડસન સામેલ હતા.

રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન લિયામ લિવિંગ્સ્ટોને પણ બાયો બબલથી કંટાળીને ઈંગ્લેન્ડ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન દિલ્લી કેપિટલ્સના સ્પીનર રવિચંદ્રન અશ્વિને પણ 25 એપ્રિલે આઈપીએલમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આઈપીએલની સીઝન દુબઈમાં રમાઈ હતી. આ વખતે તો દેશમાં સ્થિતિ 2020થી પણ ખરાબ હોવા છતાં અનેક વિરોધ વચ્ચે પણ મુંબઈમાં 2021ની સીઝનની શરુઆત કરવામાં આવી હતી, જ્યારે કેટલીક મેચ અમદાવાદમાં રમાવાની હતી. તમામ ટીમો અમદાવાદ પહોંચી તેના થોડા જ સમયમાં બાયોબબલ હોવા છતાંય તેમની અંદર કોરોનાના કેસ આવવાનું શરુ થયું હતું. જેના કારણે આઈપીએલ પર ફરી એકવાર સવાલ ઉઠ્યા હતા.

May 4, 2021
SRCT.jpg
1min651

ભારતમાં ભયાનક હદે વકરતાં જતાં કોરોના સંક્રમણથી ગભરાટમાં વારંવાર સીટી સ્કેન કરાવતા લોકોને ચેતવણી આપતાં એઈમ્સના નિર્દેશક ડો. રણદીપ ગુલરિયાએ જણાવ્યું હતું કે, સીટી સ્કેન કરાવવાથી કેન્સર થવાનું જોખમ ઊભું થાય છે.

દર્દી ઘરે આઈસોલેશનમાં હોય અને હળવાં લક્ષણ હોય, તો સીટી સ્કેન ન કરાવો. કારણકે, એક સીટી સ્કેનમાં 300 છાતીના એકસ-રે જેટલું રેડિયેશન હોય છે, જે ઘાતક બની
શકે છે.

આંકડાના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે, કોરોના સંક્રમણથી દર્દીઓ ત્રણ-ત્રણ દિવસે સીટી સ્કેન કરાવી રહ્યા છે, જે ભારે હાનિકારક છે, તેની કોઈ જરૂર નથી તેવું તેમણે ઉમેર્યું હતું.
ખાસ કરીને યુવાન વયમાં એકપણ વાર સીટી સ્કેન કરાવ્યા પછી કર્કરોગ એટલે કે, કેન્સરનો ખતરો વધી જતો રહેવાની લાલબત્તી એઈમ્સના ડાયરેકટરે ધરી હતી.

દર્દીને ઓકિસજન પછી સ્ટીરોઈડ અને પછી લોહી ન ગંઠાય તેની દવાઓ સમયસર મળી જાય તો બીજી કોઈ દવાની જરૂર રહેતી નથી.

May 4, 2021
Mamata-Banerjee.jpg
1min473

તૃણમૂલ કૉંગ્રેસનાં વડાં મમતા બેનરજી પાંચમી મેએ પ. બંગાળનાં મુખ્ય પ્રધાન તરીકે શપથગ્રહણ કરશે, એવી જાહેરાત પક્ષે સોમવારે કરી હતી. આ સાથે જ સતત ત્રીજી વખત મમતા બેનરજી પ. બંગાળનાં મુખ્ય પ્રધાન બનશે, એમ તેમણે કહ્યું હતું.

Mamata Banerjee thanks Bengal's people after taking oath as Chief Minister  | Indiablooms - First Portal on Digital News Management
File Photo

અહીં યોજાયેલી બેઠકમાં તૃણમૂલ કૉંગ્રેસના નવા ચૂંટાઈ આવેલા વિધાનસભ્યોએ સર્વાનુમતિથી મમતા બેનરજીને પક્ષના વડાં તરીકે ચૂંટી કાઢ્યા હોવાનું પક્ષના મહામંત્રી પાર્થ ચેટરજીએ કહ્યું હતું.

પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યોએ બિમન બેનરજીને નવી વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટી કાઢ્યા હતા. નવા ચૂંટાયેલા સભ્યો વિધાનસભામાં છઠ્ઠી મેથી શપથગ્રહણ કરશે, એમ તેમણે બેઠક બાદ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

May 3, 2021
GSPC.jpg
1min402

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરી છે. જેમાં મજબૂર લોકો સામે ઈન્જેક્શનના નામે વધુ રૂપિયા પડાવનારા લેભાગુ તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.

ફાર્મસી કાઉન્સિલે રજીસ્ટર્ડ ફાર્મસીસ્ટ તેમજ સામાન્ય જનતા માટે નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે, મજબૂર લોકો પાસે ઈન્જેક્શનના વધુ રૂપિયા પડાવનારાઓ સામે મોટી કાર્યવાહી થશે. ઈન્જેક્શનની કાળાબજારી, ડુપ્લીકેટ દવા, ઈન્જેકશનનું વેચાણ, એમ.આર.પી કરતા વધારે કિંમતની વસુલાત, દવા અને ઈન્જેક્શનની સંગ્રહખોરી કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે. સરકારી તેમજ કોમ્યુનિટી ફાર્મસીસ્ટ કાળા બજાર કરતા પકડાશે તો આજીવન માટે તેમનું લાઇસન્સ રદ થશે. ઉપરાંત ફાર્મસી એક્ટ હેઠળ છ મહિના જેલની સજા પણ થશે.

જારી કરવામાં આવેલી એક નોટીસમાં જણાવ્યું હતું કે જો કોઈ ફાર્માસિસ્ટ રેમડિસીવીર ઇન્જેક્શનનની કાળાબજારીમાં સીધી અથવા તો આડકતરી રીતે સામેલ હોવાનું સામે આવશે તો તેને પોતાના ધંધાથી હાથ ધોઈ બેસવાનો વારો આવશે, એટલે કે તે ફાર્મસીસ્ટનું લાઇસન્સ આજીવન માટે રદ કરવામાં આવશે. રેમડેસિવિર ઇન્જેક્શનની માગ મોટા પ્રમાણમાં વધી છે, આ પરિસ્થિતિનો ગેરલાભ લઇ કેટલાક લોકો ઇન્જેક્શનનો સ્ટોક કરી બ્લેકમાં કિંમતથી અનેક ગણા ભાવ વસુલી રહ્યા છે. દર્દીના પરિજનો પણ નિ:સહાય બની પોતાના પરિજનોના જીવની ચિંતા કરી ઇન્જેક્શન ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નથી. જેને લઈને કાઉન્સિલે’ નિર્ણય લીધો છે. કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ મેડિકલ સંચાલક અથવા ફાર્મસીસ્ટ દ્વારા વધુ પૈસા લેવામાં આવ્યા હોય તો ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈપણ પણ વ્યક્તિ ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં આ માટે ફરિયાદ કરી શકે છે. વધુમાં રેમડેસિવિર કે અન્ય કોઈ ઇન્જેક્શન અથવા તો દવા ખરીદતા સમયે બિલનો આગ્રહ રાખવો જોઈએ તેવી પણ કાઉન્સિલે અપીલ કરી છે.

May 3, 2021
remdesivir.jpg
1min400

મુંબઈની વડી અદાલતની નાગપુર બેન્ચે મહારાષ્ટ્રને ફાળવવામાં આવતાં રેમડેસિવીર ઇન્જેક્શન્સનું પ્રમાણ વધારવાનો કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું હતું કે પહેલી મેએ નોંધાયેલા ઍક્ટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં રાખતાં ફાળવણીમાં રેમડેસિવીરનો જથ્થો ઘટાડવાનો નિર્ણય વાજબી નથી. કોરોનાના ઇન્ફેક્શનની સારવાર માટે આવશ્યક મેડિકલ ઑક્સિજન અને રેમડેસિવીરની તંગી સંબંધી અરજીઓની સુનાવણીમાં ન્યાયમૂર્તિ એસ. બી. શુક્રે અને ન્યાયમૂર્તિ અવિનાશ ઘરોતેની બેન્ચે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.

બેન્ચે જણાવ્યું હતું કે ‘રેમડેસિવીરની ફાળવણીમાં ૧ મેથી ૯ મે સુધીના ગાળા માટેનો જથ્થો ઘટાડવામાં આવ્યો છે. આગલા દસ દિવસ માટે રેમડેસિવીરના ૪,૩૦,૦૦૦ વાયલ્સ ફાળવાયા હતા અને પછીના દસ દિવસ માટે ૩,૭૪,૦૦૦ વાયલ્સ ફાળવવામાં આવ્યા છે. ઍક્ટિવ કેસ ૩૦ મેએ ૬,૭૦,૦૦૦ હતા અને પહેલી મેએ ઘટીને ૬,૬૪,૦૦૦ પર પહોંચ્યા છે. સાવ નજીવો ઘટાડો છે તેથી રેમડેસિવીરનો ક્વોટા ઘટાડવો વાજબી નથી.’   

May 3, 2021
Mamata-Banerjee.jpg
2min368

વિધાનસભાની ચૂંટણીના પરિણામની રવિવારે જાહેરાત બાદ પ. બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ, આસામમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ), તમિળનાડુમાં દ્રવિડ મુનેત્ર કળગમ (દ્રમુક), પુડુચેરીમાં એનડીએ અને કેરળમાં લૅફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) સત્તા પર આવે એવી પૂરી શક્યતા છે.

Mamata made Modi-Shah bite the dust despite BJP putting all its might: Sena  - Elections News

આસામમાં ભાજપ, તમિળનાડુમાં દ્રમુક, પુડુચેરીમાં એનડીએ અને કેરળમાં એલડીએફને સરકાર રચવા માટે જરૂરી બહુમતી મળી ગઈ છે અથવા તેની નજીક છે. પ. બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસનો ભવ્ય વિજય થયો છે, પરંતુ તેનાં વડાં અને રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી નંદીગ્રામની બેઠક પરથી હારી ગયાં હતાં.

નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારીએ મમતા બેનરજીને ૧૭૩૭ મતના તફાવતથી હરાવ્યાં હતાં.

પ. બંગાળમાં ભાજપને દોઢસો જેટલી બેઠક મળવાની આશા હતી, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી.

તૃણમૂલ કૉંગ્રેસે ફરી સત્તા પર આવવા જરૂરી બેઠક જીતી લીધી છે.

મમતા બેનરજીએ પોતાના પક્ષના વિજય બાદ જણાવ્યું હતું કે કોરોનાને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિને અંકુશમાં લેવી એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા હશે.

પક્ષના વિજયનો સંપૂર્ણ યશ મમતા બેનરજીએ રાજ્યની જનતાને આપ્યો હતો.

પક્ષના કાર્યકર્તાઓને આપેલા સંદેશમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે આ બંગાળનો વિજય અને માત્ર બંગાળ જ આ કરી શકે છે.

કોરોનાને અંકુશમાં લેવો એ જ અમારી પ્રાથમિકતા છે અને એ બાબતને ધ્યાનમાં રાખીને શપથગ્રહણ વિધિનું ભવ્ય આયોજન કરવામાં નહીં આવે એમ જણાવતાં મમતા બેનરજીએ કહ્યું હતું કે કોરોનાની મહામારીની અસર પૂરી થયા બાદ જ કોલકતામાં મહા વિજય સરઘસ કાઢવામાં આવશે.

પ. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ તેમણે કહ્યું હતું કે આજે બંગાળે ભારતને ઉગારી લીધું છે.

દેશના પ્રત્યેક નાગરિકને વૅક્સિન મફત આપો અન્યથા અમે વિરોધપ્રદર્શન કરીશું, એમ મમતા બેનરજીએ કહ્યું હતું.

રાજ્યમાં એલડીએફની તરફેણમાં ચુકાદો આપ્યો હોવાનું કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને કહ્યું હતું.

જોકે તેમણે કહ્યું હતું કે દેશભરમાં કોરોના વ્યાપકપણે ફેલાઈ રહ્યો હોવાને કારણે આ ઉજવણીનો સમય નથી. કોરોના સામેની લડત ચાલુ રાખવાનો આ સમય છે. કેરળમાં રવિવારે કોરોનાના નવા વધુ ૩૧,૯૫૦ કેસ અને ૪૯ મૃત્યુ નોંધાયાં હતાં.

કેરળના આરોગ્ય પ્રધાન કે. કે. શૈલજાનો મટ્ટાનુર મતદારક્ષેત્રમાંથી વિક્રમજનક ૬૦,૯૬૩ મતથી વિજય થયો હતો.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમન ચાન્ડી (કૉંગ્રેસ-યુડીએફ)નો પુથુપલ્લી મતદારક્ષેત્રમાંથી ૯૦૪૪ મતથી વિજય થયો હતો.

પ્રથમ જ વખત તમિળનાડુના મુખ્ય પ્રધાન બનવા માટે સજ્જ થયેલા દ્રમુકના પ્રમુખ એમ. કે. સ્ટાલિને પક્ષના વિજય બદલ રાજ્યના લોકોનો આભાર માન્યો હતો અને જનતા માટે કામ કરવાની બાંયધરી આપી હતી.

દરમિયાન, તમામ હૉસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રને કોઈપણ પ્રકારના અવરોધ વિના ઑક્સિજનનો પુરવઠો મળતો રહે તેની ખાતરી કરવા પર ધ્યાન આપવાની વિપક્ષે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી.

April 30, 2021
home_isolation.jpg
1min599

કેન્દ્રની નવી ગાઇડલાઇનમાં હોમ આઇસોલેશનમાં રહેલા સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને રેમડેસિવિયર ઇન્જેક્શન ખરીદવા કે લગાવવાના પ્રયત્નથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રેમડેસિવિયર માત્ર દવાખાનોમાં જ લગાવવામાં આવશે.

આ સિવાય નવી ગાઇડલાઇન મુજબ સામાન્ય લક્ષણોાવાળા દર્દીઓને સ્ટિરોઇડ ન આપવું જોઇએ અને સાત દિવસ પછી લક્ષણો જોવા મળે તો સારવાર માટે ડોક્ટરની સલાહ લીધા બાદ ઓરલ સ્ટિરોઇડ લેવું જોઇએ.નવી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકારે જણાવ્યું કે, 60 વર્ષથી વધુ વયના રોગી કે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હાર્ટ એટેક, ફેફસાં કે લીવરની બીમારીઓથી પીડિત લોકોએ તબીબની સલાહ લીધા પછી જે હોમ આઇસોલેશનમાં જવુ જોઇએ. જ્યારે ઓક્સિજન લેવલમાં ઘટાડો કે શ્વાસ લેવામાં તકલીપ પડે ત્યારે જે હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ અને તાત્કાલિક ડોક્ટર સંપર્ક કરવો જોઇએ.

આ સિવાય દર્દી દિવસ દરમિયાન ગરમ પાણના કોગળા કરી શકે છે અથવા દિવસમાં બે વાર નાસ લઇ શકે છે.

તાવ જેવુ લક્ષણ પેરાસીટામોલ 650 mg દિવસમાં ચાર વાર લેવાથી પણ કાબૂમાં નથી આવતું તો ડોક્ટર સાથે વાતચીત કરવી જોઇએ. અન્ય દવાઓમાં દિવસમાં બે વાર નેપ્રોક્સેન 250 mg લેવાની સલાહ આપે છે.

દેશમાં રેમડેસિવિયર ઇન્જેક્શનને લઇને ઉભા થયેલા પડકારો સામે કેન્દ્રની નવી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે, રેમડેસિવિયર ઇન્જેક્શન કે અન્ય સારવાર થેરાપી તબીબની સલાહ પર જ હોસ્પિટલની અંદર જ થવી જોઇએ. કેન્દ્રનું ગાઇડલાઇન દ્વારા કહેવુ છે કે ઘરમાં રેમડેસિવિયર ખરીદવા કે લગાવવાની જરુર નથી.

April 28, 2021
assam_quake.jpg
1min422

સવારે 7.52 કલાકે આવેલા ધરતીકંપની તીવ્રતા 6.4 નોંધાઇ, છેક પ. બંગાળના ઉત્તર વિસ્તાર સુધી ધરતીકંપ અનુભવાયો

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, આસામમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે. હું તમામ લોકોના કુશળ મંગળ હોવાની કામના કરું છું. સાથોસાથ લોકોને અલર્ટ રહેવાની સલાહ આપું છું, બાકી જિલ્લાઓથી અપડેટ લઈ રહ્યો છું. સ્વાસ્થ્ય મંત્રી શર્માએ કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ભૂકંપના કારણે મકાનોને નુકસાન પહોંચ્યું છે. યૂરોપિયન મેડિટેરેનિયન સીસ્મોલોજિકલ સેન્ટર મુજબ, ક્ષેત્રમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભારતના ઉત્તર-પૂર્વ રાજ્ય અસમમાં બુધવાર સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહેવાલ છે કે, આ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આસામથી શરૂ થઇને આ ભૂકંપના આંચકા સમગ્ર રાજ્ય, ઉત્તર બંગાળ અને ઉત્તર-પૂર્વના કેટલાક હિસ્સામાં અનુભવાયા. તેની પર રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, આસામમાં ભીષણ ભૂકંપ અનુભવાયો છે. હાલ વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે.

ભૂકંપનો ઝટકો એટલો તીવ્ર હતો કે અસમમાં કેટલીક જગ્યાએ દિવાલોમાં તિરાડ પડી ગઈ તો કેટલીક જગ્યાએ છત તૂટી પડી છે. સોશિય મીડિયામાં લોકોએ પોતોના અનુભવ દર્શાવતા જણાવ્યું કે આ ઝટકો 30 સેકન્ડ સુધી અનુભવાયો હતો. જોકે હજુ સુધી જાનમાલના કોઈ નુકસાનની માહિતી સામે આવી નથી.

અરુનાચલના ઈટાનગરથી લઈને બંગાળના કૂચબિહાર સુધી આ ઝટકા અનુભવાયા હતો. સાથે જ બિહારના પણ ઘણા જિલ્લામાં ભૂકંપના આંચકા લોકોએ સવારે 7.55 વાગ્યે અનુભવ્યા હતા. મુંગેર, કટિહાર, કિશનગંજ, ભાગલપુર, પૂર્ણિયા, ખગડિયા સહિત અનેક વિસ્તારમાં લોકોએ ભૂકંપના ઝટકા અનુભવ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીથી મળતી જાણકારી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 હતી. તેની શરૂઆત રાજ્યના તેજપુરથી થઈ હતી. સીસ્મોલોજી સેન્ટર મુજબ, પહેલો ભૂકંપ સવારે 7:51 વાગ્યે અને તેની થોડી મિનિટો બાદ વધુ બે આંચકમ અનુભવાયા. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે રાજ્યમાં અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ હોવાના અહેવાલ છે.

April 27, 2021
madras-high-court.jpg
1min500

કોવિડ-૧૯ની બીજી લહેર માટે એકમાત્ર ચૂંટણીપંચ જવાબદાર છે તેવું અવલોકન મદ્રાસ હાઈ કોર્ટે સોમવારે કર્યું હતું.

મદ્રાસ હાઈ કોર્ટે ચૂંટણીપંચને કહ્યું હતું કે, ‘કોવિડ-૧૯ની બીજી લહેર માટે એકમાત્ર તમારી સંસ્થા જવાબદાર છે. સંભવત: તમારા અધિકારીઓ સામે હત્યાના આરોપસર ફરિયાદ નોંધાવી જોઈએ, જયારે ચૂંટણી રેલીઓ યોજાઈ રહી હતી ત્યારે શું તમે બીજા ગ્રહ પર હતા?’

ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક, સેનિટાઈઝર્સ અને સામાજિક અંતર જેવી તકેદારીઓ જાળવવામાં ચૂંટણીપંચ નિષ્ફળ ગયું છે તેવું હાઈ કોર્ટે કહ્યું હતું.

ચૂંટણી પરિણામ બીજી મેના દિવસે જાહેર થવાનું છે તે દિવસે કોવિડના નિયમોનું પાલન કરવાની યોજના રજૂ કરવાનું હાઈ કોર્ટે કહ્યું હતું. નક્કર યોજના નહીં તૈયાર કરાય તો મત ગણતરી પણ બંધ કરી શકાય છે તેવું અદાલતે કહ્યું હતું.

‘પ્રજાનું સ્વાસ્થ્ય સૌથી મહત્ત્વનું છે. બંધારણીય સત્તાને યાદ અપાવવું પડે છે તે દુ:ખની બાબત છે. નાગરિક જીવશે તો જ તે ચૂંટાયેલું પ્રજાસત્તાકના હક્કો ભોગવી શકશે.’

તમિળનાડુએ પુડ્ડુચેરીમાં કોવિડ-૧૯ મહામારી પર નિયંત્રણ મેળવવા સરકારના પ્રયત્નો પર ધ્યાન રાખવા કોર્ટ દ્વારા ‘સુઓ મોટો’ (આપ મેળે) કેસ નોંધવામાં આવ્યો તે છે. તેની સુનાવણી દરમિયાન કોર્ટને આ મૌખિક અવલોકન હતું.

‘નાગરિકો રઘવાયા બનીને હૉસ્પિટલમાં દોડી જાય તેવી પરિસ્થિતિ ઊભી નહીં થવી જોઈએ અને તેમને માર્ગદર્શન આપવા તમિળનાડુ રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશે ૮-૧૦ બુલેટ પોઈન્ટ ધરાવતી નોંધ તમામ મીડિયા પર પ્રકાશિત અથવા પ્રસારણ કરવી જોઈએ.’

April 26, 2021
karnataka.jpg
1min412

કોરોનાથી સૌથી પ્રભાવી રાજ્ય, કર્ણાટકમાં આવતીકાલે 27/4/21 સાંજે છ વાગ્યાથી 14 દિવસનું જડબેસલાક લોકડાઉન લાગુ પડી જશે. કોરોનાના સતત વધતા કેસો વચ્ચે ચેઈનને બ્રેક કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ તાજેતરમાં જ રાજ્યોને લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે અજમાવવા સલાહ આપી હતી.

આજે ત્રણ કલાક સુધી ચાલેલી કેબિનેટ મિટિંગ બાદ રાજ્યના સીએમ યેદિયુરપ્પાએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે એક્સપર્ટ્સ કમિટિ સાથે સલાહ-મસલત કર્યા બાદ રાજ્ય સરકારે લોકડાઉનનો નિર્ણય લીધો છે.

દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત થતાં જ દારુની દુકાનો પર લાંબી લાઈનો લગાવી હતી. જોકે, કર્ણાટકમાં આવી સ્થિતિ ના સર્જાય તે માટે સરકારે દારુની હોમ ડિલિવરી માટે છૂટ આપી છે. સરકારે 1લી મેથી 18 વર્ષથી વધુ વય ધરાવતા તમામ નાગરિકોને ફ્રીમાં વેક્સિન આપવાની પણ જાહેરાત કરી છે.

કર્ણાટકમાં લોકડાઉન દરમિયાન જીવનજરુરિયાતની ચીજવસ્તુઓની દુકાનો પણ સવારે છથી 10 વાગ્યા સુધી જ ખૂલ્લી રહેશે. સીએમ બી.એસ. યેદિયુરપ્પાના જણાવ્યા અનુસાર, લોકડાઉન દરમિયાન કૃષિ તેમજ મેન્યુફેક્ચરિંગ સેક્ટર ચાલુ રાખી શકાશે. સરકારે રાજ્યના ચૂંટણીપંચને આગામી સમયમાં આવી રહેલી પેટાચૂંટણીને ત્રણ મહિના પાછી ઠેલવા પણ વિનંતી કરી છે.

લોકડાઉન દરમિયાન રાજ્યની અંદર કે રાજ્યની બહાર ઈમરજન્સી સિવાય પ્રવાસ કરવા પર સખ્ત નિયંત્રણ મૂકાયા છે.