જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪
તા.૨૩મી એપ્રિલ ૨૦૨૧થી કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ્સ પર એક મહિનાનો બેન (પ્રતિબંધ) લાદી દીધો છે અને આ સમાચાર સાંભળતા જ સુરત સમેત સમગ્ર ભારતના હજારો વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સામે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. સુરતમાં એવા અનેક વિદ્યાર્થીઓ છે જેમની ટિકીટ બુક હતી, એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ તા.૨૪થી ૩૦ એપ્રિલ વચ્ચે ફ્લાઇટ પકડીને કેનેડા જવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. કેનેડાના ફ્લાઇટ બેનના સમાચાર મળતા જ વિદ્યાર્થીઓ નાસીપાસ થઇ ગયા હતા. હવે તમામ વિદ્યાર્થીઓ રિશિડ્યુલિંગની કંટાળાજનક અનેે નુકસાનકારક પ્રોસેસમાં પડ્યા છે.
વિશ્વમાં હાલ કેનેડા અભ્યાસ કરવું સૌથી સરળ હોઇ, મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ જવાના હતા
સમગ્ર વિશ્વમાં હાલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જઇ રહ્યા છે તેનું કારણ એ છે કે કેનેડાની વીઝા પોલીસી સરળ છે અને પ્રવેશ કાર્યવાહી પણ બિનખર્ચાળ અને ટૂંકા ગાળામાં પૂર્ણ થઇ જાય છે અને એટલે જ સુરત સમેત ગુજરાતમાંથી હજારો વિદ્યાર્થીઓ એપ્રિલ મે જુનમાં કેનેડા જવાનું પ્લાનિંગ ધરાવે છે. અનેક વિદ્યાર્થીઓની ટિકીટ પણ બુક થઇ ચૂકી છે.
૨૭મીએ ફ્લાઇટ હતી, ૨૩મીએ સપનું તૂટી ગયું
સુરતના એક પેરેન્ટ રિતેશ પટેલે કહ્યું કે તેમના દિકરાની તા.૨૭મી એપ્રિલે ફ્લાઇટ હતી. પેકિંગથી લઇને બધી જ તૈયારી પૂર્ણ કરી દેવાઇ હતી. છેલ્લા એક વર્ષથી તો ઓનલાઇન બે સેમેસ્ટરનો અભ્યાસ ચાલી રહ્યો હતો હવે ક્યાં સુધી ઓનલાઇન ભણવું પડશે એ વિચાર જ નાસીપાસ કરી મૂકે છે. કેમકે કેનેડાની યુનિવર્સિટીઓએ ઓનલાઇન અભ્યાસની ફી પણ રેગ્યુલર અભ્યાસની ફી જેટલી રાખી છે. બીજી તરફ વર્ચ્યુઅલ એજ્યુકેશનની ક્રેડિટ ટ્રાન્સફર મળતી નથી. એટલે લાખો રૂપિયાનું નુકસાન અને સમયની બરબાદી થઇ છે.
૮ મહિનાથી તૈયારી કરી, જવાનું કેન્સલ થતાં વિદ્યાર્થિની ડિપ્રેશનમાં
એવી જ રીતે એક વિદ્યાર્થીની કેનેડા અભ્યાસ માટે જઇ રહી છે. તા.૨ મેના રોજ તેની ફ્લાઇટની ટિકીટ બુક છે પણ તમામ ફ્લાઇટ કેન્સલ થતાં એ વિદ્યાર્થીની ઘેરા ડિપ્રેશનનો ભોગ બની છે. છેલ્લા આઠ મહિનાથી તૈયારીઓ કરી રહી હતી, વિદ્યાર્થીના પેરેન્ટ શૈલેષભાઇએ જણાવ્યું કે અમને એકલાને નુકસા નથી પણ જે રીતે ફ્લાઇટ કેન્સલ થઇ છે, સુરતના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મુશ્કેલ સમય આવ્યો છે. હવે ત્યાની યુનિવર્સિટીઓ સાથે વાટાઘાટ કરવી પડશે.
સુરતના હજારો વિદ્યાર્થીઓએ ત્યાં ૧૪ દિવસના ઇન્સ્ટીટ્યુશનલ કોરોન્ટાઇનના રૂપિયા પણ ચૂકવી દીધા છે, હવે ફ્લાઇટ રદ
ગુજરાતભરના અનેક વિદ્યાર્થીઓ કેનેડાની અલગ અલગ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યો છે અને વીઝા મેળવવામાં વિલંબ થવાને કારણે તેમાંથી ઘણાં વિદ્યાર્થીઓ મે મહિનાની શરૂઆતમાં કેનેડા જવાની તૈયારીઓ કરી રહ્યા હતા. સુરતના એવા અનેક વિદ્યાર્થીઓ છે જેઓ ૧થી ૧૦ મે દરમિયાન જુદી જુદી ફ્લાઇટથી કેનેડા જવાના હતા. આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કોરોનાને ધ્યાનમાં રાખીને ત્યાની સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા કડક નિયમોના પાલન અંગેની પ્રોસીજર પણ કરી દીધી હતી. હજારો વિદ્યાર્થીઓએ કેનેડા પહોંચીને 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવાનો તેમજ આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનો નિયમ અનુસાર વધારાનો લાખો રૂપિયા ઓનલાઇન ચૂકવી પણ દીધા છે, કે જેથી કેનેડામાં લેન્ડ થયા પછી તુરત જ ઇન્સ્ટીટ્યુશનલ કોરન્ટાઇનમાં રહી શકાય. હવે આ ખર્ચા પરત મળશે કે કેમ તેનો સવાલ છે.