ઇન્ડીયા Archives - Page 6 of 217 - CIA Live

February 28, 2026
image-36.png
1min82

જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીનો ખિતાબ પોતાને નામ કરી ઈતિહાસ રચ્યો છે. જમ્મુ-કાશ્મીરે કર્ણાટક સામેની આ મેચ પ્રથમ ઈનિંગની લીડના આધારે જીતી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરે પહેલી ઈનિંગમાં 291 રનની લીડ મેળવી હતી. જેમાં પાંચમા દિવસે જમ્મુ-કાશ્મીરે બીજી ઈનિંગમાં ચાર વિકેટ પર 342 રન કર્યા અને તેની કુલ લીડ 633 રન થઈ ગઈ હતી. જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરાએ ઈનિંગ્સ ડિકલેર કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ બંને ટીમના કેપ્ટન દિવસની રમત સમાપ્ત કરવા સંમત થયા, જેના પરિણામે મેચ ડ્રો થઈ. આમ, જમ્મુ-કાશ્મીરે ઐતિહાસિક જીત મેળવી હતી.

આ મેચમાં જમ્મુ-કાશ્મીર માટે આકિબ નબી ડારે પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં બેટર કામરાન ઈકબાલ અને સાહિલ લોટરાએ શાનદાર પ્રદર્શન કર્યું. બંને બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે અણનમ 197 રનની ભાગીદારી નોંધાવી હતી. ઈકબાલે 311 બોલમાં 16 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 160 રન બનાવ્યા હતા. જ્યારે સાહિલે 226 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 101 રન કર્યા હતા.

જમ્મુ-કાશ્મીરે પાંચમા દિવસે બીજી ઈનિંગ ચાર વિકેટ પર 186 રનથી આગળ રહી હતી. જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકની મેચમાં ઈકબાલ અને સાહિલએ અંત સુધી શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં કર્ણાટકના બોલર્સ બંનેની ભાગીદારી તોડી શક્યા ન હતા. અંતે મેચ ડ્રો થાય છે. કર્ણાટક તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ, વિજયકુમાર વિશાક અને શ્રેયસ ગોપાલે એક-એક સફળતા મળી હતી.

જમ્મુ-કાશ્મીરની પહેલી ઈનિંગના 584 રનના જવાબમાં કર્ણાટક 293 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પહેલી ઈનિંગમાં 291 રનની લીડ હોવા છતાં જમ્મુ-કાશ્મીરે ફોલો-ઓન લાગુ ન કરવાનો નિર્ણય લીધો હતો.

જમ્મુ-કાશ્મીર અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ જોવા માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના ‘X’ એકાઉન્ટ પર મેચની તસવીર શેર કરી હતી.

જમ્મુ-કાશ્મીરની સફર

  • જમ્મુ-કાશ્મીરે પહેલી વાર 1959-60ની સિઝનમાં રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો અને ત્યારથી તેને મજબૂત દાવેદાર માનવામાં આવતું નથી.
  • જમ્મુ-કાશ્મીરે આ સિઝન પહેલા 334 રણજી ટ્રોફી મેચ રમી હતી, જેમાંથી ફક્ત 45 મેચ જીતી હતી.
  • 1982-83માં સર્વિસિસ સામે તેમણે પહેલી જીત નોંધાવવામાં 44 વર્ષ લાગ્યા હતા.
  • નોકઆઉટમાં પહોંચવું ક્યારેય સરળ નહોતું, પરંતુ 2013-14માં તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા ત્યારે તેમણે મોટી સફળતા મેળવી હતી. જેમાં નેટ રન રેટ પર ગોવાને પાછળ છોડી દીધું હતું.
  • વર્ષ 2015-16માં તેમણે પરવેઝ રસૂલની કેપ્ટનશીપમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈને હરાવીને સૌથી મોટી જીત નોંધાવી હતી.
  • આ સિઝનમાં કોચ અજય શર્મા અને કેપ્ટન પારસ ડોગરાના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરે તેમના આત્મવિશ્વાસને પરિણામોમાં રૂપાંતરિત કરીને ટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી.
February 28, 2026
image-35.png
1min114

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઈઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે. આ હુમલાને પગલે ભારત સહિતના સહિત વિશ્વના અનેક દેશોએ પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ભારતે ઈરાન, ઈરાક, ઇઝરાયલ, સાઉદી અરેબિયા અને UAE સહિતના યુદ્ધગ્રસ્ત દેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે.

ભારતીયો માટે એડવાઈઝરી જાહેર

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગલ્ફના દેશોમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયા છે.

ઈઝરાયલમાં વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરી છે. નાગરિકોને સાવધાની રાખવા, હંમેશા સતર્ક રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ તેમજ ‘હોમ ફ્રન્ટ કમાન્ડ’ દ્વારા આપવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાનું કડક પાલન કરવા જણાવાયું છે.

આ ઉપરાંત ભારતીય નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નિયુક્ત આશ્રયસ્થાનોની નજીક રહેવા અને સ્થાનિક સમાચાર તથા કટોકટીની ચેતવણીઓ પર સતત નજર રાખવાનું જણાવાયું છે. કોઈપણ કટોકટીના સમયે મદદ માટે તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસનો 24×7 હેલ્પલાઇન નંબર +972-54-7520711 અથવા ઈ-મેલ cons1.telaviv@mea.gov.in દ્વારા સંપર્ક કરી શકાય છે.

ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકોને દૂતાવાસમાં નોંધણી કરાવવા અપીલ

ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકો કે જેમણે હજુ સુધી દૂતાવાસમાં નોંધણી કરાવી નથી, તેમને નીચેની લિંકનો ઉપયોગ કરીને નોંધણી કરાવવા વિનંતી છે:

https://indembassyisrael.gov.in/indian_national_reg

નોંધણી કરવાથી દૂતાવાસ તાત્કાલિક તમારો સંપર્ક કરી શકશે અને પરિસ્થિતિના વિકાસ દરમિયાન જરૂરી અપડેટ્સ અને સહાય પૂરી પાડી શકશે.

ભારત બાદ યુરોપિયન દેશોએ પણ જાહેર કરી એડવાઇઝરી

ભારત સરકારે અગાઉ જ સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી વર્તવા જણાવ્યું હતું. હવે બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી અને જર્મની જેવા યુરોપિયન દેશોએ પણ પોતાના નાગરિકોને આ પ્રભાવિત વિસ્તારોની મુસાફરી ટાળવા અથવા ત્યાંથી તાત્કાલિક નીકળી જવા તાકીદ કરી છે. સરકારએ ચેતવણી આપી છે કે સ્થિતિ બગડતા ફ્લાઇટ કેન્સલ થઈ શકે છે અથવા એરસ્પેસ લાંબા સમય સુધી બંધ રહી શકે છે.

યુરોપિયન દેશોએ જાહેર કરી કડક સૂચનાઓ

બ્રિટિશ સરકારે ઈરાનમાંથી પોતાના સ્ટાફને કામચલાઉ ધોરણે પાછો બોલાવી લીધો છે અને દૂતાવાસ રિમોટલી કામ કરશે તેવી જાહેરાત કરી છે. ફ્રાન્સે પણ ઈઝરાયલ, જેરૂસલેમ અને વેસ્ટ બેંકની મુસાફરી ન કરવા સલાહ આપી છે. ઇટાલીએ પ્રવાસી તરીકે ઈરાન ગયેલા પોતાના નાગરિકોને પરત ફરવા વિનંતી કરી છે અને ઈરાક તથા લેબનોન જવાની પણ સખત મનાઈ કરી છે. પોલેન્ડ અને ડચ વિદેશ મંત્રાલયે પણ પશ્ચિમ એશિયામાં સુરક્ષાની અસ્થિર સ્થિતિને જોતાં ઈઝરાયલ, ગાઝા અને લેબનોન છોડવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત સ્વીડન, ફિનલૅન્ડ, સર્બિયા અને સાયપ્રસે પણ ઈરાન અને ઈઝરાયલ માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.

વિસ્તારમાં તણાવ વધતા અમેરિકાએ પણ પોતાની સૈન્ય હાજરી મજબૂત કરી છે. અમેરિકાએ બે એરક્રાફ્ટ કેરિયર અને F-35 સ્ટીલ્થ ફાઇટર સહિત 150થી વધુ લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. સુરક્ષાના કારણોસર અમેરિકાએ બેરૂત સ્થિત પોતાના દૂતાવાસમાંથી પોતાના કર્મચારીઓને પાછા બોલાવી લીધા છે. હાલમાં ડ્રોન અને મિસાઇલ હુમલાનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે અને સ્થિતિ ગમે ત્યારે વધુ ખરાબ થઈ શકે છે તેવી આશંકા પણ છે.

February 25, 2026
image-29.png
1min119
  • ચૂંટણી રાજ્ય કેરળની ડાબેરી સરકારની ભલામણ કેન્દ્રએ સ્વીકારી
  • મલયાલમ ભાષામાં નારિયેળીને કેરા જ્યારે ભૂમિને અલમ કહેવાય જેને જોડીને ‘કેરલમ’ નામ અપાયું છે

દક્ષિણના રાજ્ય કેરળને કેરલમ (કેરળમ) નામ આપવાની રાજ્યની ડાબેરી પક્ષની સરકારની ભલામણોને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઇ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવતા હવે ઝડપથી તેનો અમલ કરી શકાશે.

કેરળમાં એપ્રીલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, આવા સમયે જ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર પાસે રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. ચૂંટણી સમયે નામને લઇને કોઇ વિવાદ ના થાય તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી તેને મંજૂરી આપી દેવામાં આવી હતી. કેરળ પોતાની ભાષા મલયાલમ અને સંસ્કૃતિને લઇને બહુ જ સંવેદનશીલ છે. જો કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવને ટાળી દેત તો કોંગ્રેસ અને ડાબેરીઓ તેને ચૂંટણી મુદ્દો બનાવી શકે તેમ હતા.

નોંધનીય છે કે કેરળમાં મલયાલમ ભાષા બોલનારા લોકો હંમેશા પોતાના રાજ્યને કેરલમ જ કહેતા આવ્યા છે. આ કોઇ નવું નામ નથી પરંતુ તે કેરળની ધરતીનું મૂળ નામ છે. મલયાલમ ભાષામાં કેરાનો અર્થ નારિયેળનું વૃક્ષ એવો થાય છે જ્યારે અલમનો મતલબ ભૂમિ સાથે જોડાયેલો છે. કેરળમાં નારિયેળનું ઉત્પાદન બહુ થતું હોય છે, જેને કારણે રાજ્યના આ મહત્વને ધ્યાનમાં રાખીને તેને સ્થાનિક રાજ્ય સરકારે કેરલમ નામ આપવાનું નક્કી કર્યું છે. જ્યારે ભાષાઓના આધાર પર રાજ્યોનું ગઠન થઇ રહ્યું હતું ત્યારે મલયાલમ બોલનારાને માલાબાર, કોચીન અને ત્રાવણકોરને ભેળવીને એક નવુ રાજ્ય બનાવવામાં આવ્યું, તે સમયે જ અંગ્રેજી અનુવાદ કેરલા (કેરળ) કરી દેવાયો હતો. હવે આ કેરળમાંથી કેરલમ થઇ ગયું છે. હાલમાં રાજ્ય સરકારના આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઇ છે હવે કેરળ (નામ સંશોધન) બિલ ૨૦૨૬ને રાષ્ટ્રપતિ દ્વારા કેરળની વિધાનસભામાં રજુ કરવામાં આવશે અને પ્રતિભાવો લેવાશે બાદમાં સંસદમાં રજુ કરાશે. જોકે સંસદમાં રજુ કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી ગણાય છે.

February 25, 2026
image-28.png
1min263

MoodXVIP, Koyal PlayPro, Digi Movieplex, Feel,Jugnu OTT પ્લેટફોર્મ્સ રાતોરાત બ્લોક

કેન્દ્ર સરકારે અશ્લીલ અને વાંધાજનક સામગ્રી (કન્ટેન્ટ) પીરસતા ડિજિટલ પ્લેટફોર્મ્સ વિરુદ્ધ લાલ આંખ કરી છે. મંગળવારે એક મોટી કાર્યવાહી કરતા સરકારે પાંચ જાણીતા OTT પ્લેટફોર્મ્સને બ્લોક કરી દીધા છે.

કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે અશ્લીલ અને અભદ્ર કન્ટેન્ટ પ્રસારિત કરવા બદલ પાંચ OTT પ્લેટફોર્મ્સને તાત્કાલિક અસરથી બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી સૂચના ટેકનોલોજી (IT) અધિનિયમ, 2000 ની કલમ 69A હેઠળ કરવામાં આવી છે. આ કલમ સરકારને રાષ્ટ્રીય હિત અને જાહેર નૈતિકતાના આધારે ઓનલાઈન કન્ટેન્ટ બ્લોક કરવાની સત્તા આપે છે.

કયા પ્લેટફોર્મ્સ થયા બ્લોક?

સરકારે જે પાંચ OTT પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં નીચે મુજબના નામો સામેલ છે:

  1. મૂડએક્સવીઆઈપી (MoodXVIP)
  2. કોયલ પ્લેપ્રો (Koyal PlayPro)
  3. ડીજી મૂવીપ્લેક્સ (Digi Movieplex)
  4. ફીલ (Feel)
  5. જુગનુ (Jugnu)

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્લેટફોર્મ્સ પર પીરસવામાં આવતું કન્ટેન્ટ જાહેર શાલીનતા અને નૈતિકતાના ધોરણોનું ઉલ્લંઘન કરતું હતું. સરકાર દ્વારા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPs) ને આ પ્લેટફોર્મ્સની એક્સેસ બંધ કરવા માટે નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર નૈતિક પત્રકારત્વ અને સામાજિક મૂલ્યો જળવાઈ રહે તે હેતુથી આ કડક પગલું ભરવામાં આવ્યું છે.

February 23, 2026
image-26.png
1min121

ભારતીય વાયુસેનાનું ગૌરવ ગણાતું સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ‘તેજસ’ તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બન્યું છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં એક ફોર્વર્ડ એરબેઝ પર ટ્રેનિંગ ફ્લાઇટ પૂર્ણ કરીને પરત ફરી રહેલું તેજસ વિમાન લેન્ડિંગ સમયે રનવેથી આગળ નીકળી ગયું હતું. આ ઘટનામાં વિમાનના એરફ્રેમને નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે રાહતની વાત એ છે કે પાયલોટે સમયસૂચકતા વાપરીને સુરક્ષિત રીતે ઇજેક્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

આ દુર્ઘટના બાદ ભારતીય વાયુસેનાએ સાવચેતીના પગલા રૂપે તેજસ વિમાનોના સમગ્ર કાફલા (Fleet) ના ઉડાન ભરવા પર કામચલાઉ રોક લગાવી દીધી છે. વાયુસેના પાસે હાલમાં લગભગ 30 જેટલા સિંગલ-સીટર તેજસ વિમાનો છે. આ તમામ જેટ્સની સંપૂર્ણ ટેકનિકલ તપાસ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. તેજસ એક સિંગલ એન્જિન મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ છે જે અત્યંત જોખમી વિસ્તારોમાં પણ ચોકસાઈથી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ ટેકનિકલ ખામીએ વાયુસેનાની ચિંતામાં વધારો કર્યો છે.

આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) તેજસ માર્ક 1A ની ડિલિવરીમાં પહેલેથી જ વિલંબ કરી રહ્યું છે. ફેબ્રુઆરી 2021માં 48,000 કરોડના ખર્ચે 83 જેટ્સ માટે થયેલા સોદાની ડેડલાઇન અનેકવાર ચૂકી જવામાં આવી છે. આ વિલંબ પાછળનું મુખ્ય કારણ અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ (GE Aerospace) દ્વારા એન્જિનની સપ્લાયમાં થઈ રહેલો મોડું હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર 2025માં સરકારે વધુ 97 તેજસ વિમાનો માટે ₹62,370 કરોડનો નવો સોદો પણ કર્યો હતો.

છેલ્લા બે વર્ષમાં તેજસ વિમાન સાથે સંકળાયેલી આ ત્રીજી મોટી ઘટના છે. પ્રથમ અકસ્માત માર્ચ 2024માં જેસલમેર પાસે થયો હતો, જ્યારે બીજી ઘટના નવેમ્બર 2025માં દુબઈ એરશો દરમિયાન લાઈવ પ્રદર્શન વખતે બની હતી. આ વારંવાર બનતી ઘટનાઓ અને ટેકનિકલ ખામીઓને કારણે હવે સ્વદેશી લડાયક વિમાનોની ગુણવત્તા અને સુરક્ષા પાસાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. વાયુસેનાની ટેકનિકલ ટીમ હવે આ ખામીઓના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહી છે.

February 23, 2026
image-7.png
1min105

T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કા એટલે કે ‘સુપર-8’માં પહોંચી ગયો છે. 20 ટીમો વચ્ચે શરૂ થયેલો આ મહાસંગ્રામ હવે માત્ર 8 ટીમો વચ્ચે સમેટાયો છે, જ્યાં દરેક મેચ સમીકરણો બદલી રહી છે. રવિવારે અમદાવાદના મેદાન પર સાઉથ આફ્રિકા સામે ભારતની 76 રને થયેલી કારમી હારને કારણે હવે ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલની રાહ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. છેલ્લી12 મેચોથી અજેય રહેલી ભારતીય ટીમ પર હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

સુપર-8માં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત ગ્રુપ-1માં છે, જ્યાં સાઉથ આફ્રિકા અત્યારે 2 પોઈન્ટ્સ અને +3.800ના શાનદાર નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાને છે. સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા અને ભારતને માત્ર 111 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ મોટી હારને કારણે ભારત અત્યારે 0 પોઈન્ટ અને -3.800ના ખરાબ નેટ રન રેટ સાથે ચોથા સ્થાને ફેંકાઈ ગયું છે. હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતને તેની આગામી બંને મેચો(ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે) માત્ર જીતવી જ નહીં, પરંતુ મોટા અંતરથી જીતવી પડશે જેથી રન રેટમાં સુધારો થઈ શકે.

બીજી તરફ ગ્રુપ-2માં ઈંગ્લેન્ડ 2 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થતા બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યો છે, જ્યારે શ્રીલંકા હાર સાથે છેલ્લા સ્થાને છે. જો ભારત સેમીફાઈનલમાં ક્વોલિફાય કરવું હોય તો હવે નસીબ અને પ્રદર્શન બંનેનો સાથ જરૂરી છે.

ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ 4 માર્ચે અને બીજી સેમીફાઈનલ 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ વિશ્વકપનો મહામુકાબલો એટલે કે ફાઈનલ 8 માર્ચે અમદાવાદમાં યોજાવાની છે. જોકે, ફાઈનલના સ્થળ અંગેનો અંતિમ નિર્ણય પાકિસ્તાન ક્વોલિફાય થાય છે કે નહીં તેના પર નિર્ભર રહેશે.

February 19, 2026
image-21.png
1min91

: ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે દિલ્હીમાં આયોજિત ‘એઆઈ ઈમ્પેક્ટ સમિટ’માં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલી રાફેલ ફાઈટર જેટની ડીલ અંગે મોટું નિવેદન આપ્યું હતું.

જ્યારે મેક્રોનને રાફેલ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, ‘મને સમજાતું નથી કે લોકો આની ટીકા કેમ કરે છે. આનાથી તમારા દેશને જ મજબૂતી મળી છે.’ તેમણે 114 રાફેલ લડાયક વિમાનોની ડીલનો બચાવ કરતા તેના પર થઈ રહેલી ટીકાઓને ફગાવી દીધી છે. મેક્રોને વધુમાં ઉમેર્યું હતું કે આ ફાઈટર જેટ્સ ભારતને સૈન્ય રીતે વધુ શક્તિશાળી બનાવે છે અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવે છે.

મેક્રોને સ્પષ્ટતા કરી હતી કે આ સોદાનું વ્યાવસાયિક પાસું દસોલ્ટ એવિએશન અને ભારત સરકાર વચ્ચેના સંવાદનો એક ભાગ છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે આ ડીલ ભારતને મજબૂત બનાવે છે, વ્યૂહાત્મક સંબંધો વધારે છે અને ભારતમાં વધુ રોજગાર પણ પેદા કરે છે, તો પછી તેની ટીકા કેવી રીતે થઈ શકે?

ભારત-ફ્રાન્સ સંરક્ષણ સહયોગની પ્રશંસા કરતા મેક્રોને ખાતરી આપી હતી કે તેઓ આ બાબતે અત્યંત પ્રતિબદ્ધ છે કે રાફેલમાં મહત્તમ ભારતીય ભાગોનો ઉપયોગ કરવામાં આવે અને વધુમાં વધુ મહત્વના સાધનોનું ઉત્પાદન ભારતમાં જ થાય. તેમણે ટાટા-એરબસ ડીલનું ઉદાહરણ આપતા કહ્યું કે અમે રાફેલના કિસ્સામાં પણ એવું જ કરીશું અને તમે અમારા પર વિશ્વાસ રાખી શકો છો.

નોંધનીય છે કે, મેક્રોનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક સપ્તાહ પહેલા જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની સંરક્ષણ સંપાદન પરિષદ (DAC) એ 114 રાફેલ વિમાનોની ખરીદીને મંજૂરી આપી હતી. અંદાજે 3.25 લાખ કરોડ રૂપિયાની આ મેગા ડીલને મેક્રોનની ભારત મુલાકાત પહેલા જ લીલી ઝંડી મળી હતી.

February 13, 2026
image-18.png
1min147

13/02/2026 આજથી વડાપ્રધાન કાર્યાલયનું સરનામું બદલાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું છે. આ સંકુલમાં વડાપ્રધાન કાર્યાલય ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય આવેલું છે.

સેવા તીર્થ બિલ્ડીંગની દીવાલ ‘નાગરિકો દેવો ભવ’ સૂત્ર લખવામાં આવ્યું છે, એટલે કે ‘નાગરિકો ભગવાન સમાન છે’
સરકારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે નવી બિલ્ડીંગ ભારતની વહીવટી શાસન માટે આર્કિટેક્ચર વિકસાવવ અને વડા પ્રધાનની આધુનિક, કાર્યક્ષમ, સુલભ અને નાગરિક-કેન્દ્રિત શાસન ઇકોસિસ્ટમ બનાવવા માટેનાં પ્રયસોને દર્શાવે છે.

સેવા તીર્થ સાથે વડાપ્રધાન મોદીએ કર્તવ્ય ભવન-1 અને 2 નું પણ ઉદ્ઘાટન કર્યું છે, જેમાં નાણા, સંરક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કોર્પોરેટ બાબતો, શિક્ષણ, સંસ્કૃતિ, કાયદો અને ન્યાય, માહિતી અને પ્રસારણ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, રસાયણો અને ખાતરો અને આદિજાતિ બાબતો સહિતના કેટલાક મંત્રાલયોના કાર્યાલયો આવેલા છે.

સેવા તીર્થ અને કર્તવ્ય ભવન બંનેમાં ડિજિટલી ઇન્ટીગ્રેટેડ ઓફિસો આવેલી છે, સેન્ટ્રલાઈઝડ રિસેપ્શન ફેસિલિટી અને પબ્લિક ઇન્ટરફેસ ઝોન આવેલા છે. આ સંકુલો 4-સ્ટાર GRIHA ધોરણો અનુસાર બનાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ આજે 13 ફેબ્રુઆરીના સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું છે, આ તારીખનું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આજથી 95 વર્ષ પૂર્ણ પહેલા 13 ફેબ્રુઆરી, 1931ના રોજ નવી દિલ્હી શહેરને સતાવાર રીતે ભારતની રાજધાની જાહેર કરવામાં આવી હતી.

February 12, 2026
image-17.png
1min83

  • ત્રણ મિનિટ અને 10 સેકન્ડના છ છંદોવાળા વંદે માતરમનો દેશભરમાં અમલ
  • જ્યારે જન ગણ મન અને વંદે માતરમ સાથે ગાવાના થાય ત્યારે વંદે માતરમને પ્રાથમિકતા આપવાના આદેશથી વિવાદની શક્યતા
  • સ્કૂલ-કોલેજોમાં પણ સંપૂર્ણ વંદે માતરમ ફરજિયાત, થીયેટરોને છૂટછાટ : ગ્રહ મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી

હવેથી દેશભરમાં રાષ્ટ્રગાન વંદે માતરમ સંપૂર્ણ ગવાશે, એટલુ જ નહીં હવેથી રાષ્ટ્રગીત જન ગણ મન અને રાષ્ટ્રગાન વંદેમાતરમ બન્ને સાથે ગાવાના થાય કે વગાડવામાં આવે તો તેવી સ્થિતિમાં વંદે માતરમને પ્રાથમિકતા આપવાની રહેશે, એટલે કે પહેલા રાષ્ટ્રગાન વંદે માતરમ ગવાશે કે વગાડાશે પછી રાષ્ટ્રગીત જન ગણ મન ગવાશે. વંદે માતરમ રાષ્ટ્રગાનનું અખંડ એટલે કે પૂર્ણ વર્ઝન ત્રણ મિનિટ અને ૧૦ સેકન્ડનું માનવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને કહ્યું છે કે રાષ્ટ્રગાન વંદે માતરમના તમામ છ છંદો ગાવા કે વગાડવા ફરજિયાત રહેશે, અધુરુ વંદે માતરમ વગાડવું કે ગાવું નહીં. આ દરમિયાન તમામ નાગરિકોએ વંદે માતરમના સન્માનમાં ઉભા રહેવાનુ રહેશે, જોકે જ્યારે કોઇ ફિલ્મમાં ગાવામાં આવે કે સમાવેશ કરવામાં આવે ત્યારે દર્શકો પાસેથી ઉભા થવાની અપેક્ષા ના રાખી શકાય.

વંદે માતરમના ૧૫૦ વર્ષની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. સાથે જ સ્કૂલ પ્રશાસનને તિરંગો, રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃકતા આવે તેવા પ્રયાસો કરવા પણ કહ્યું છે. આ તમામ નવા આદેશો સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. વંદે માતરમની રચના બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી, પ્રથમ વખત ૧૮૯૬માં કલકત્તામાં કોંગ્રેસના અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગાયું હતું, જે બાદમાં દેશની સ્વતંત્રતાનો એક હિસ્સો બની ગયું અને સ્વતંત્રતા સેનાનીઓ, ક્રાતિકારીઓએ પણ તેને આઝાદીની ચળવળમાં અપનાવ્યું. અત્યાર સુધી રાષ્ટ્રગીત જન ગણ મન અને પછી રાષ્ટ્રગાન વંદે માતરમ એવો ક્રમ ચાલતો આવ્યો છે પરંતુ હવે કેન્દ્ર સરકારે રાષ્ટ્રગાન વંદે માતરમને રાષ્ટ્રગીત જન ગણ મન પહેલા પ્રાથમિકતા આપી છે. જેને કારણે રાજકીય વિવાદ છેડાય તેવી પણ શક્યતાઓ છે.

વંદે માતરમ અંગે કેન્દ્રની ગાઇડલાઇન

  • તમામ સરકારી કાર્યક્રમો, સ્કૂલોમાં સંપૂર્ણ વંદે માતરમ ગાવા કે વગાડવામાં આવશે.
  • જ્યારે પણ વંદે માતરમ ગાવા કે વગાડવામાં આવે ત્યારે તમામ લોકોએ ઉભા થવાનું રહેશે.
  • પદ્મ એવોર્ડ કાર્યક્રમોમાં પણ હવેથી વંદે માતરમ ફરજિયાત ગાવાનું રહેશે.
  • રાષ્ટ્રપતિ જે પણ કાર્યક્રમમાં હાજર રહે ત્યાં વંદે માતરમ ફરજિયાત કરવામાં આવ્યું છે.
  • થીયેટરોમાં વંદે માતરમ ફરજિયાત વગાડવાનું રહેશે પરંતુ ઉભા થવું ફરજિયાત નહીં રહે.