CIA ALERT

ઇન્ડીયા Archives - Page 5 of 215 - CIA Live

February 8, 2026
image-9.png
1min70

ભોજનના માધ્યમથી શરીરમાં ફેલાઈ રહ્યા છે રેઝિસ્ટન્સ બેક્ટેરિયા, સરકારે 37 એન્ટી માઈક્રોબિયલ દવા બૅન કરી

ભારતમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) હવે એક ગંભીર સ્વાસ્થ્ય સંકટ બની રહ્યું છે. હોસ્પિટલની દવાઓથી આગળ વધીને હવે આ પ્રતિરોધક બેક્ટેરિયા ખોરાક (માંસ, દૂધ, ઈંડા) દ્વારા સીધા માણસોના શરીરમાં પ્રવેશી રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા પશુપાલન અને માછીમારીમાં વપરાતી 37 જેટલી એન્ટિમાઇક્રોબાયલ દવાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે.

વિશ્વમાં ઉત્પાદિત થતી દર ત્રણમાંથી બે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ માણસોની સારવાર માટે નહીં, પરંતુ દૂધ, માંસ અને ઈંડાનું ઉત્પાદન વધારવા માટે પશુ-પંખીઓ પર કરવામાં આવે છે. આ આડેધડ ઉપયોગને કારણે બેક્ટેરિયા દવાઓ સામે રક્ષણ મેળવી લે છે (રેઝિસ્ટન્ટ બની જાય છે) અને જ્યારે માણસ આવા ઉત્પાદનોનું સેવન કરે છે, ત્યારે સામાન્ય ચેપની સારવારમાં પણ દવાઓ અસર કરતી નથી. ત્યારે સરકારે 18 એન્ટિબાયોટિક્સ,18 એન્ટિવાયરલ અને એક એન્ટિ-પ્રોટોઝોઆન દવાઓ પ્રતિબંધ મુક્યો છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ સ્પષ્ટ કર્યું છે કે દૂધ, માંસ અને માછલીના ઉત્પાદનમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો હવે ગુનો બનશે. ભારતીય કૃષિ સંશોધન પરિષદના વૈજ્ઞાનિકો મુજબ, ખેડૂતોમાં જાગૃતિનો અભાવ અને નબળી જૈવ સુરક્ષા (Bio-security) આ સંકટને વધુ ગંભીર બનાવી રહ્યા છે.

મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ’ ના રિપોર્ટ અનુસાર, ભારતીય હોસ્પિટલોમાં આવતા 83% દર્દીઓમાં ‘મલ્ટી ડ્રગ્સ રેઝિસ્ટન્ટ’ બેક્ટેરિયા જોવા મળે છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે, તો વર્ષ 2025 થી 2050 વચ્ચે વિશ્વમાં દર વર્ષે 3.9 કરોડ લોકો AMR ના કારણે જીવ ગુમાવી શકે છે. સામાન્ય શરદી કે તાવમાં અપાતી એન્ટિબાયોટિક્સ હવે ઘણાં દર્દીઓ પર બિનઅસરકારક સાબિત થઈ રહી છે.

આ પ્રતિરોધક બેક્ટેરિયા માત્ર ખોરાક જ નહીં, પરંતુ પશુઓના મળ-મૂત્ર દ્વારા જમીન અને પાણીના સ્ત્રોતોને પણ દૂષિત કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે આ સંકટ હવે માત્ર હોસ્પિટલ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આપણા જંગલો, નદીઓ અને ખેતરોમાં પણ ફેલાઈ ચૂક્યું છે.

•ડૉક્ટરની સલાહ વગર ક્યારેય એન્ટિબાયોટિક ન લેવી.
•ખોરાકને બરાબર રાંધીને ખાવો.
•જૈવિક કૃષિ અને પશુપાલન પેદાશોને પ્રાધાન્ય આપવું.

February 7, 2026
image-8.png
1min94

હોળીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત, મુંબઈ અને દિલ્હી જેવા દેશના વિવિધ ભાગોમાં રહેતા લોકો માટે ભારતીય રેલવેએ ખુશીના સમાચાર આપ્યા છે. તહેવાર નિમિત્તે વતન જનારા મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે રેલવે તંત્ર દ્વારા વિવિધ રૂટ પર કુલ 94 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, હોળી દરમિયાન મુસાફરોને ટિકિટ માટે પડતી મુશ્કેલીઓ નિવારવા પૂર્વ રેલવે દ્વારા આ વિશેષ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે અને જો જરૂર પડશે તો આગામી દિવસોમાં ચોક્કસ રૂટ પર વધુ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

કયા રૂટ પર કેટલી ટ્રેનો દોડશે?

ગુજરાત-મુંબઈ કનેક્ટિવિટી: માલદા ટાઉન અને ઉધના (સુરત, ગુજરાત) વચ્ચે 8 ટ્રેનો તેમજ માલદા અને મુંબઈ વચ્ચે કિઉલ-પટના થઈને 8 સ્પેશિયલ ટ્રેનો દોડશે.

ઉત્તર પ્રદેશ-બિહાર રૂટ: કોલકાતા અને રક્સૌલ વચ્ચે 10 ટ્રેનો, કોલકાતા અને મધુબની વચ્ચે 8 ટ્રેનો તેમજ કોલકાતા અને ગોરખપુર વચ્ચે પટના થઈને સૌથી વધુ 20 ટ્રેનો ચલાવાશે.

દિલ્હી અને પશ્ચિમ બંગાળ: હાવડા અને આનંદ વિહાર વચ્ચે 8 ટ્રેનો તથા માલદા ટાઉન અને આનંદ વિહાર વચ્ચે 8 ટ્રેનો ઝાઝા-ગયા થઈને દોડશે.

અન્ય રૂટ: હાવડા અને ખાતીપુરા વચ્ચે 8, સિયાલદહ અને પુરી વચ્ચે 8, આસનસોલ અને ગોરખપુર વચ્ચે 6 તેમજ કોલકાતા અને ન્યૂ જલપાઈગુડી વચ્ચે 2 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન છે.

રેલવેની આ વિશેષ સેવાથી હોળીના તહેવારમાં વતન જતા લાખો મુસાફરોને મોટી રાહત મળશે. ખાસ કરીને કન્ફર્મ ટિકિટ ન મળવાની સમસ્યા હળવી થશે અને મુસાફરો સુવિધાજનક રીતે મુસાફરી કરી શકશે. તહેવારના સમયે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા વસૂલવામાં આવતા મસમોટા ભાડામાંથી પણ મુસાફરોને મુક્તિ મળશે અને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ શાંતિથી પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકશે.

February 7, 2026
image-6.png
1min74

મુંબઈના ઑલરાઉન્ડર આયુષ મ્હાત્રેની કૅપ્ટન્સીમાં ભારતે અહીં શુક્રવારે ઇંગ્લૅન્ડને અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં 100 રનથી કચડીને વિક્રમજનક છઠ્ઠી વખત આ જુનિયર ફૉર્મેટનો તાજ જીતી લીધો હતો. બિહારનો વૈભવ સૂર્યવંશી (175 રન, 80 બૉલ, 15 સિક્સર, 15 ફોર) આ વિજયનો સુપરસ્ટાર હતો.

ભારતે 50 ઓવરમાં નવ વિકેટે 411 રન કર્યા બાદ બ્રિટિશ ટીમ 40.2 ઓવરમાં 311 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી અને એ સાથે ભારતના જુનિયર ક્રિકેટરોએ મેદાન પર જશન શરૂ કરી દીધું હતું. ખરેખર તો વૈભવ (VAIBHAV)ના 175 રનની ફટકાબાજી વખતે જ બ્રિટિશ ટીમ હિંમત હારી ગઈ હોય એવું લાગતું હતું. વૈભવે 32 બૉલમાં 50 રન, પંચાવન બૉલમાં 100 રન અને 71 બૉલમાં 150 રન પૂરા કર્યા હતા. આ દમામદાર વિજય સાથે ભારતે (INDIA) મેન્સ જુનિયર ક્રિકેટમાં વર્ચસ્વ વધુ મજબૂત કર્યું છે.

મોડાસાના ખિલન પટેલે ઝીલ્યો છેલ્લો કૅચ

મૂળ મોડાસાના સ્પિનર ખિલન પટેલે કનિષ્ક ચૌહાણના બૉલમાં બ્રિટિશ સેન્ચુરિયન કૅલેબ ફાલ્કનર (115 રન, 67 બૉલ, સાત સિક્સર, નવ ફોર)નો બૅકવર્ડ પૉઇન્ટ પર નીચો કૅચ ઝીલીને અફલાતૂન ફીલ્ડિંગની ઝલક આપી હતી અને એ સાથે જ ટાઇટલ ભારતના નામે લખાઈ ગયું હતું. ઇંગ્લૅન્ડ (ENGLAND)ની ટીમે 412 રનના લક્ષ્યાંક સામે જોરદાર લડત આપી હતી, પણ તેમના માટે શરૂઆતથી જ એ લક્ષ્યાંક મહાકાય હતો અને છેવટે તેઓ એ બોજ નીચે દબાઈ ગયા હતા અને હારી ગયા.

કૅલેબ ફાલ્કનર અને જેમ્સ મિન્ટો (41 બૉલમાં 28 રન) વચ્ચે આઠમી વિકેટ માટે 92 રનની ભાગીદારી થઈ હતી. એ પાર્ટનરશિપે ભારતીયોને ખૂબ હંફાવ્યા હતા અને વિજય માટે ભારતને રાહ જોવડાવી હતી. જોકે પેસ બોલર અંબરિશે મિન્ટોને આઉટ કરીને તોડી હતી. સબસ્ટિટ્યૂટ મોહમ્મદ એન્નાને તેનો કૅચ ઝીલ્યો હતો. ઇંગ્લૅન્ડે બાવીસ ઓવરમાં 175 રન કર્યા હતા, પરંતુ એમાં એણે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

એ પહેલાં, વૈભવ સૂર્યવંશીની (1983ના કપિલ દેવની ઝિમ્બાબ્વે સામેની અણનમ 175 રન જેવી) 175 રનની ધમાકેદાર બૅટિંગ પરથી પ્રેરણા લઈને ભારતીય બૅટ્સમેનોએ ઇંગ્લૅન્ડ સામે છેક છેલ્લા બૉલ સુધી ફટકાબાજી કરી હતી અને 50 ઓવરમાં નવ વિકેટે 411 રન બનાવીને બ્રિટિશ ટીમને 412 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના 400-પ્લસ રન આ ટૂર્નામેન્ટનો તમામ ટીમોમાં હાઇએસ્ટ સ્કોર છે.

જો વૈભવ સૂર્યવંશી ક્રીઝ પર વધુ ટક્યો હોત તો ભારતે કદાચ 500 રન પણ બનાવી લીધા હોત. કૅપ્ટન આયુષ મ્હાત્રે (53 રન, 51 બૉલ, બે સિક્સર, સાત ફોર), અભિજ્ઞાન કુન્ડુએ (40 રન, 31 બૉલ, એક સિક્સર, છ ફોર), કનિષ્ક ચૌહાણ (અણનમ 37 રન, 20 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર), વેદાંત ત્રિવેદી (32 રન, 36 બૉલ, ત્રણ ફોર) અને વિહાન મલ્હોત્રા (30 રન, 36 બૉલ, બે ફોર)ના પણ ભારતના 9/411ના સ્કોરમાં મહત્ત્વના યોગદાન હતા.

February 5, 2026
image-5.png
1min91

ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમનો વિજય ઉત્સવ અને સેન્ચુરી ફટકારનાર બેટ્સમેન આરોન જ્યોર્જ.
સેમિ ફાઇનલમાં કેરળના આરૉનની વિનિંગ સેન્ચુરી અને અમદાવાદના વેદાંત ત્રિવેદીનો વિનિંગ શૉટઃ શુક્રવારે ઇંગ્લૅન્ડ સામે ફાઇનલ

મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ (U-19 WORLD CUP)માં ભારતે જબરદસ્ત પર્ફોર્મ કરીને 10મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત (INDIA) પાંચ વખત ટાઇટલ જીત્યું છે અને ચાર વાર રનર-અપ રહ્યું છે.

ઝિમ્બાબ્વેના હરારેમાં ભારતે અફઘાનિસ્તાન સામે 311 રનનો લક્ષ્યાંક માત્ર 41.1 ઓવરમાં ત્રણ જ વિકેટના ભોગે (53 બૉલ અને સાત વિકેટ બાકી રાખીને) મેળવી લીધો હતો. અન્ડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં 311 રનનો સૌથી મોટો ટાર્ગેટ સફળતાપૂર્વક મેળવીને ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. અમદાવાદના વેદાંત ત્રિવેદી (પાંચ અણનમ)એ વિનિંગ રન બનાવ્યો હતો.

આપણ વાચો: અન્ડર-19 વર્લ્ડ કપમાં આજે ભારતની સેમિ ફાઈનલ, અફઘાનિસ્તાન સામે 10-2નો જીત-હારનો રેશિયો

ઓપનર આરોન જ્યોર્જ (115 રન, 104 બૉલ, બે સિક્સર, પંદર ફોર) આ જીતનો સુપરસ્ટાર હતો. તે 40મી ઓવરમાં ભારતને 300 રન સુધી પહોંચાડ્યા બાદ આઉટ થયો હતો. ભારતે આ સેમિ ફાઇનલ જીતી લીધી અને હવે શુક્રવારે, છઠ્ઠી ફેબ્રુઆરીએ (બપોરે 1.00 વાગ્યાથી) હરારેમાં જ ભારતનો ઇંગ્લૅન્ડ સામે ફાઇનલમાં મુકાબલો થશે.

વૈભવ સૂર્યવંશી (68 રન, 33 બૉલ, ચાર સિક્સર, નવ ફોર)ની વિકેટ ગુમાવ્યા પછી આરૉન જ્યોર્જ અને કૅપ્ટન આયુષ મ્હાત્રે (62 રન, 59 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 114 રનની મોટી ભાગીદારી થઈ હતી.

સૂર્યવંશીની જેમ મ્હાત્રેએ પણ વિકેટ ગુમાવતાં પહેલાં ભારતને વિજય માટે મજબૂત પાયો નાખી આપ્યો હતો. તેની વિકેટ બાદ ઓપનર જ્યોર્જ સાથે વિહાન મલ્હોત્રા (38 અણનમ, 47 બૉલ, ત્રણ ફોર) જોડાયો હતો અને છેલ્લે વિહાને વેદાંત સાથે મળીને 11 રનની મહત્ત્વપૂર્ણ અતૂટ ભાગીદારીથી ભારતની નૌકા પાર કરાવી હતી. અફઘાનિસ્તાનના નૂરીસ્તાની ઓમરઝાઇએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

એ પહેલાં, અફઘાનિસ્તાને બૅટિંગ લીધા બાદ 50 ઓવરમાં ચાર વિકેટે 310 રન કર્યા અને ભારતને 311 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો ત્યારે એવું લાગતું હતું કે ભારત માટે આ ટાર્ગેટ મુશ્કેલ બની શકે. જોકે હાર્ડ હિટર્સથી ભરેલી ભારતીય ટીમની બૅટિંગ લાઇન-અપ આ ટૂર્નામેન્ટમાં શરૂઆતથી જ ભરોસાપાત્ર રહી છે અને આ લાઇન-અપ છેક છઠ્ઠા-સાતમા નંબર સુધીની હોવાથી ભારતના વિજયની સંભાવના વધુ હતી અને ભારતે જીતીને બતાવ્યું.

અફઘાનિસ્તાન વતી ફૈસલ શિનોઝાદા (93 બૉલમાં 110 રન) અને ઉઝૈરુલ્લા નિયાઝાઇ (86 બૉલમાં અણનમ 101)ની સેન્ચુરીએ ભારત માટે જીતવું મુશ્કેલ કરી દીધું હતું, પરંતુ ભારતના ટૉપ-ઑર્ડરે અફઘાનિસ્તાનને પરાજય તરફ ધકેલી દીધું. ભારતના છ બોલર અફઘાની બૅટ્સમેનોને કાબૂમાં નહોતા રાખી શક્યા.

ફૈસલ-ઉઝૈરુલ્લા વચ્ચે ત્રીજી વિકેટ માટે 148 રનની ભાગીદારી થઈ હતી. દીપેશ દેવેન્દ્રન તથા કનિષ્ક ચૌહાણને બે-બે વિકેટ મળી હતી. હેનિલ પટેલ, ખિલન પટેલ, આર. એસ. અંબરિશ અને કૅપ્ટન આયુષ મ્હાત્રેને વિકેટ નહોતી મળી. ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડની ટીમ મંગળવારની સેમિ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું.

February 4, 2026
image-4.png
1min96

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ સગીર સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક પગલા પાછળ ઓનલાઇન કોરિયન લવ ગેમની લત હોવાનું બહાર આવ્યું છે.

ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારની ભારત સિટી સોસાયટીમાં રહેતા ચેતન કુમારની ત્રણ દીકરીઓ – નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ) એ એકસાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ, કોરોના કાળ દરમિયાન આ ત્રણેય બહેનોને મોબાઈલ ગેમની લત લાગી હતી. તેઓ નિયમિત સ્કૂલે પણ જતી નહોતી અને પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પાછળ વિતાવતી હતી.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ બહેનો ઓનલાઇન ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. મંગળવારે મધરાત્રે આશરે 2 વાગ્યે જ્યારે આખું શહેર ઊંઘતું હતું, ત્યારે આ ત્રણેય બહેનોએ તેમના ફ્લેટની ગેલેરીમાંથી એકસાથે છલાંગ લગાવી દીધી હતી. તેમના પિતા ચેતન કુમાર હાલ આઘાતમાં છે અને કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નથી.

પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ગેમમાં તેમને આત્મહત્યા કરવા માટે કોઈ ચોક્કસ ‘ટાસ્ક’ આપવામાં આવ્યો હતો કે કેમ. આ ઘટના ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે તેઓ પોતાના બાળકોના મોબાઈલ વપરાશ અને ઓનલાઇન પ્રવૃત્તિઓ પર કડક નજર રાખે.

February 3, 2026
image-2.png
2min138
  • નરેન્દ્ર મોદી સાથે વાતચીત પછી અમેરિકન પ્રમુખ ટ્રમ્પની જાહેરાત
  • નરેન્દ્ર મોદીની વિનંતીના પગલે ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો : ભારતીય વડાપ્રધાને આનંદ વ્યકત કર્યો
  • ભારતે અમેરિકા પાસેથી ઉર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસા એમ 500 અબજ ડોલરની ખરીદીની ખાતરી આપી : ટ્રમ્પ
  • ટ્રેડ ડીલ હેઠળ અમેરિકાની દરેક પ્રોડક્ટ્સ પર ભારતમાં ઝીરો ટેક્સ, પણ યુએસમાં ભારતીય ઉત્પાદનો પર 18 ટકા ટેરિફ

Dated 02/02/2026
ભારતે યુરોપીયન યુનિયન પછી હવે અમેરિકા સાથે પણ ટ્રેડ ડીલ કરવામાં સફળતા મેળવી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પીએમ મોદી સાથે વાતચીત કર હતી અને તેના તેના પછી યુએસ-ભારત ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. તેના કારણે ભારત પર લાદવામાં આવેલો રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટીને ૧૮ ટકા થઈ જશે, એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે રશિયન ઓઇલ ખરીદી પરનો ૨૫ ટકા ટેરિફ સંપૂર્ણ નાબૂદ થશે. આમ કુલ ૫૦ ટકાના બદલે હવે ફક્ત ૧૮ ટકા જ ટેરિફ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

ભારત પર અમેરિકાએ કુલ ૫૦ ટકા ટેરિફ નાખ્યો હતો અને તેમા ૨૫ ટકા ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ નાખ્યો હતો. ટ્રમ્પે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર આ ડીલની જાહેરાત કરી હતી. હવે ભારત રશિયાના બદલ અમેરિકા પાસેથી ઓઇલ ખરીદવાનું હોઈ તે ૨૫ ટકા ટેરિફ હટી ગયો છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારતીય વડાપ્રધાન પીએમ મોદી વેપાર અને રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા સહિત ઘણા બધા પાસા પર ચર્ચા કરી. તેઓ રશિયાનું ઓઇલ ખરીદવાનું બંધ કરવા સંમત થયા છે અને વધુને વધુ પ્રમાણમા ઁઅમેરિકા પાસેથી અને મુખ્યત્વે વેનેઝુએલાનું ઓઇલ ખરીદવા સંમત થયા છે. આના કારણે યુદ્ધનો અંત લાવવામાં મદદ મળશે. રશિયા-યુક્રેન યુદ્ધમાં હજારો લોકો દર સપ્તાહે મરી રહ્યા છે. તેમની જ વિનંતીના પગલે તેમને સન્માન આપતા અમે ભારત પરનો રેસિપ્રોકલ ટેરિફ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યો છે. આ ટ્રેડ ડીલના લીધે અમેરિકાની ભારત સાથેના વેપારની ટેરિફ અને નોન-ટેરિફ બેરિયર લગભગ શૂન્ય થઈ જશે.

વડાપ્રધાને બાય અમેરિકન પ્રત્યે પ્રતિબદ્ધદા દાખવી છે. તે અમેરિકન એનર્જી, ટેકનોલોજી, કૃષિ, કોલસા અને બીજી ઘણી પ્રોડક્ટ્સના થઈને ૫૦૦ અબજ ડોલરની ખરીદી કરશે. આના કારણે બંને દેશોના વ્યાપારિક સંબંધ વધુને વધુ મજબૂત થશે. આ અગાઉ ભારત ખાતેના અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે ટ્વીટ કરી હતી કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન મોદી વચ્ચે વાતચીત ચાલી રહી છે, ગમે ત્યારે મોટી જાહેરાત આવી શકે છે. અમેરિકાનો દાવો છે કે તેના ટેરિફના દબાણના કારણે ભારતે રશિયાનું ક્રૂડ ખરીદવાનું બંધ કર્યુ છે અને તે અમારી પાસેથી ક્રૂડ ખરીદશે.

અમેરિકાએ ભારત પરનો ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરતાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને તેના કારણે અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનો સ્પર્ધા કરી શકશે તેમ જણાવ્યું હતું.

વડાપ્રધાન ટ્રેડ ડીલને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે ભારત ૧.૪ અબજ લોકો વતી અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો આભાર માને છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્રો અને વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને કામ કરશે. તેના કારણે કરોડો લોકોને નોંધપાત્ર પ્રમાણમાં ફાયદો થશે.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની નેતાગીરી વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્ત્વની છે. ભારત તેમના શાંતિ સ્થાપવાના પ્રયત્નોને સંપૂર્ણપણે સમર્થન આપે છે. અમેરિકા સાથેની ભાગીદારી નવી ઊંચાઈએ લઈ જવા પર અમે મીટ માંડી રહ્યા છીએ.

તેની સામે ભારતીય પક્ષે નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે યુરોપીયન યુનિયનના સ્વરૂપમાં અમેરિકાનું વૈકલ્પિક ભાગીદાર શોધી લેતા અમેરિકા પોતે જ ડીલ કરવા સંમત થઈ ગયું છે. તેને લાગ્યું કે જો ઇયુ સાથે ભારતનું ટ્રેડ ડીલ ઝડપથી અમલી બન્યું તો અમેરિકન કંપનીઓ પાછળ રહી જશે અને યુરોપીયન યુનિયનની કંપનીઓ ભારતીય બજારમાં પ્રભુત્વ જમાવશે. જો કે આ ટ્રેડ ડીલની જાહેરાત છતાં અમેરિકાએ ભારત પરનો સંપૂર્ણ રેસિપ્રોકલ ટેરિફ નાબૂદ કર્યો નથી તે હકીકત છે.

  • વિદેશ મંત્રી એસ જયશંકર ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે, દુર્લભ ખનીજની બેઠકમાં ભાગ લેશે

ભારત અને અમેરિકાના સંબંધો સુધરતા હોવાનો સંકેત આપતા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથમાં પોસ્ટ મૂકી હતી. નવી દિલ્હીના આઈકોનિક ઈન્ડિયા ગેટની તસવીર મૂકીને ટ્રમ્પે કહ્યું હતું કે ભારતનું આ વિજયદ્વાર સુંદર છે. આપણું તો એનાથી પણ સુંદર હશે. અમેરિકામાં સ્વતંત્રતા ગેટ બનવાનો છે. તે સંદર્ભમાં આ પોસ્ટ મૂકાઈ હતી.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા-વેનેઝુએલા-ઈરાન જેવા દેશો પાસેથી ક્રૂડની ખરીદી મુદ્દે ભારતને ધમકી આપતા રહે છે. આ ઘટનાક્રમ વચ્ચે ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પોસ્ટ મૂકીને કહ્યું હતું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત થઈ.

એસ જયશંકર પાંચમી ફેબુ્રઆરી સુધી અમેરિકામાં છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે મુલાકાત કરશે. દુર્લભ ખનીજની બાબતમાં વિદેશ મંત્રીઓની એક મહત્ત્વની બેઠક યોજાઈ છે એમાં ભાગ લેવાના છે. જોકે, અહેવાલોમાં એવોય દાવો થઈ રહ્યો છે કે વિદેશમંત્રી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગુપ્ત બેઠક કરશે અને ભારત-અમેરિકા વચ્ચે વેપારની ડીલનું વાતાવરણ બને તેવા પ્રયાસો કરશે. ભારતની ચીજવસ્તુઓ પર ટેરિફ વધારીને ૫૦ ટકા કર્યા બાદ અને રશિયાના ક્રૂડ પર વધારાના ૨૫ ટકા ટેરિફ પછી થનારી આ મુલાકાત કેવી રહેશે તેના પર નજર રહેશે.

February 2, 2026
gold-and-silver.jpg
1min80

બજેટના બીજા દિવસે પણ ભારતીય કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ભારે વેચવાલી અને આંતરરાષ્ટ્રીય બજારની અસરોને પગલે કિંમતી ધાતુઓના ભાવ આસમાનેથી નીચે પટકાયા છે.

સોનાના ભાવમાં આજે સવારથી જ નરમાઈ જોવા મળી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ:

જૂનો બંધ ભાવ (Prev. Close): સોનું અગાઉ ₹1,47,753.00 પર બંધ થયું હતું.

આજનો 02/02/2026 ઓપન ભાવ (Open): આજે બજાર ખુલતાની સાથે જ સોનું ₹1,46,000.00 પર ટ્રેડ થવા લાગ્યું હતું.

આજનો 02/02/2026 નીચો ભાવ (Low): દિવસ દરમિયાન સોનું ગગડીને ₹1,43,321.00 ના સ્તર સુધી પહોંચી ગયું હતું.

કુલ ઘટાડો: અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ₹4,432.00 (-3.00%) નો ઘટાડો નોંધાયો છે.

ચાંદીના ભાવમાં મોટું ધોવાણ

ચાંદીમાં સોના કરતા પણ વધુ આક્રમક ઘટાડો જોવા મળ્યો છે, જેનાથી નાના રોકાણકારોમાં ચિંતા વધી છે:

જૂનો બંધ ભાવ (Prev. Close): ચાંદી અગાઉ ₹2,65,652.00 પર બંધ થઈ હતી.

આજનો ઓપન ભાવ (Open): આજે ચાંદી ₹2,67,501.00 પર ખુલી હતી, પરંતુ તે ટકી શકી નહોતી.

આજનો નીચો ભાવ (Low): બજારમાં સતત વેચવાલીને કારણે ચાંદી ₹2,49,713.00 ના સ્તરે પહોંચી ગઈ છે.

બજારના જાણકારો માને છે કે બજેટ બાદ સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં ફેરફાર અથવા વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતીને કારણે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. ખાસ કરીને ચાંદીમાં 6 ટકા જેટલો ઘટાડો એ સૂચવે છે કે બજારમાં અત્યારે પ્રોફિટ બુકિંગનો દોર ચાલી રહ્યો છે. જે રોકાણકારો ઊંચા ભાવે ખરીદી કરવાની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ એક તક સમાન હોઈ શકે છે, પરંતુ બજારમાં હજુ પણ અસ્થિરતા રહેવાની શક્યતા છે.

February 2, 2026
budget-26.png
2min75
  • દેવું કરીને ઘી પીવો, યાવત્ જીવેત સુખમ જીવેત : રૂ. 35 લાખ કરોડની આવક, રૂ. 53.5 લાખ કરોડનો ખર્ચ
  • નાણાકીય શિસ્ત જાળવતા સરકારનો રૂપિયા સમજી-વિચારીને ખર્ચ કરવા, દેવું-ખાધ ઘટાડવાના સંકેત
  • ઉદ્યોગો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકાયો : બજેટમાં રૂ. 12.22 લાખ કરોડના વિક્રમી મૂડી ખર્ચની જાહેરાત
  • દેશમાં સાત શહેરોને જોડતા હાઈ-સ્પીડ રેલવે કોરિડોર્સની જાહેરાત, સુરત સહિત સાત શહેરોને સિટી ઈકોનોમિક રિજિયન તરીકે વિકસાવાશે
  • ઈન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર નહીં કરાતા ‘કોમન મેન’ નિરાશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત એટ 2047’ના વિઝનને આગળ વધારવા માટે નાણામંત્રી નિર્મલા સીતારામને રવિવારે લોકસભામાં વર્ષ 2026-27 માટે રૂ. 53.5 લાખ કરોડનું કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું, જેમાં વિક્રમી રૂ. 12.22 લાખ કરોડના મૂડી ખર્ચનો સમાવેશ થાય છે. ટ્રમ્પના ટેરિફ વિરુદ્ધ ભારતીય નિકાસને મજબૂતી આપવા, અનેક દેશો સાથે થયેલા એફટીએની પૃષ્ઠભૂમિમાં સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન માટે આ બજેટમાં ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને ઉત્પાદનને પ્રોત્સાહન પર ભાર મૂકાયો છે. વિકસિત ભારત માટેની રિફોર્મ એક્સપ્રેસ સમાન આ બજેટમાં ઉદ્યોગો પર ધ્યાન આપવા જતા કેન્દ્ર સરકારે સામાન્ય માણસની અવગણના કરી છે. સરકારે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં કરાતા મધ્યમ વર્ગની કર રાહતોની આશા પર પાણી ફરી ગયું છે.

સીતારામને ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં સુધારા અને નવો ઈન્કમ ટેક્સ કાયદો લાગુ કરવા સહિત મહત્વની જાહેરાતો કરતા પગારદાર વર્ગને આંશિક રાહત મળી છે. આ સિવાય સરકારે સ્ટોક માર્કેટમાં વાયદા અને ઓપ્શન્સના ટ્રેડિંગ પર ટેક્સ વધારતા શેરબજારમાં કડાકો બોલાયો હતો અને રોકાણકારો પણ ભારે નિરાશ થયા હતા.

નાણામંત્રી નિર્મલા સીતારામને રવિવારે લોકસભામાં સતત નવમી વખત બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ મુખ્ય ત્રણ મુખ્ય કર્તવ્યો આર્થિક વિકાસને ઝડપી કરવો, લોકોની આકાંક્ષાઓ પૂરી કરવી અને તેમની ક્ષમતા વધારવી, સબકા સાથ સબકા વિકાસ સુનિશ્ચિત કરવાથી પ્રેરિત હોવાના સરકારે સંકેત આપ્યા હતા.

નાણામંત્રી સીતારામને રવિવારે રજૂ કરેલા બજેટમાં આગામી વર્ષ માટે નાણાકીય ખાધને જીડીપીના 4.3 ટકા પર રાખવાનું લક્ષ્ય રાખ્યું છે, જે ચાલુ વર્ષના 4.4 ટકાથી ઓછું છે. આ બાબત બજેટની સૌથી મોટી તાકાત નાણાકીય શિસ્ત હોવા પર ભાર મૂકે છે. આ સાથે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે હવે તે રૂપિયા સમજી વિચારીને ખર્ચ કરશે. દેવું અને ખાધ ધીમે ધીમે ઘટાડશે, પરંતુ સાથે માર્ગ, શહેરો, નાના ઉદ્યોગો, સ્વાસ્થ્ય અને રોજગાર પર ધ્યાન આપશે.

નિર્મલા સીતારામને બજેટમાં વૈશ્વિક ડેટા સેન્ટરો માટે 2047 સુધી કર પ્રોત્સાહનો અને કૃષિ તથા પ્રવાસન માટે સહાયની જાહેરાત કરી. સીતારામને લોકસભામાં કહ્યું કે સરકારે ‘વિકસિત ભારત’ માટે રોજગાર સર્જન, નવી ટેક્નોલોજી અને પરંપરાગત ઉદ્યોગોના સંયોજન પર આધારિત મહત્વની યોજનાઓ અમલમાં મૂકી છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર જાળવી રાખતાં બજેટમાં 7 હાઇ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની યોજના જાહેર કરી હતી જ્યારે સંરક્ષણ ખર્ચમાં વાષક લગભગ 20 ટકાનો વધારો કરી સંરક્ષણ ક્ષેત્રમાં કુલ રૂ. 7.85 લાખ કરોડની ફાળવણી કરાઈ છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી હોવા છતાં સરકારે બજેટમાં લોકલક્ષી પગલાં ટાળ્યા છે અને નાણાકીય સંયમ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. પરંતુ ઇક્વિટી ડેરિવેટિવ્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)માં વધારાની જાહેરાત બાદ શેરબજારમાં કડાકો બોલાયો હતો અને બજાર વધ્યા મથાળેથી 2800 પોઈન્ટ જેટલું તૂટયું હતું, પરંતુ પાછળથી બજારમાં તેજી આવવા છતાં દિવસના અંતે બજાર 1500થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

વૈશ્વિક ભૌગોલિક અને ટ્રમ્પના ટેરિફના જોખમોના પગલે નાણાકીય અનિશ્ચિતતાઓ વચ્ચે સરકારે ફાર્મા, સેમિકન્ડક્ટર્સ, રેર-અર્થ મેગ્નેટ્સ, કેમિકલ્સ, કેપિટલ ગુડ્સ, ટેક્સટાઇલ્સ અને સ્પોર્ટ્સ ગુડ્સ સહિત સાત પ્રાથમિક ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટેનો ખર્ચ બમણો કરીને રૂ. 40,000 કરોડ કરવામાં આવ્યો છે, તેમજ સેમિકન્ડક્ટર મિશનની બીજી આવૃત્તિની પણ જાહેરાત કરવામાં આવી છે.

એકંદરે આ એક વૃદ્ધિલક્ષી પરંતુ નાણાકીય રીતે શિસ્તબદ્ધ બજેટ છે, જેમાં મોટી ભેટ-સોગાદો અથવા લોકપ્રિય જાહેરાતો ટાળવામાં આવી છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉત્પાદન, નોકરી, આત્મનિર્ભરતા અને યુવાન, મહિલા, ખેડૂતો પર ભાર મૂકવામાં આવ્યો છે.

  • અમેરિકા સાથેની તંગદિલી વચ્ચે ઇરાનના ચાબહાર પોર્ટ માટે ફાળવણી નહીં

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં ક્યાંય પણ ચાબહાર પોર્ટ માટે ફાળવણીનો ઉલ્લેખ કર્યો નથી. ઇરાનના સમુદ્રી કાંઠે આવેલા આ પોર્ટના વિકાસ માટે ભારત દર વર્ષે 100 કરોડ રૂપિયા છેલ્લા પાંચ વર્ષથી ફાળવતુ આવ્યું છે. ગયા વર્ષે અમેરિકાએ ઇરાન પર અનેક પ્રતિબંધો મુક્યા હતા પરંતુ ભારતને ચાબહાર પોર્ટ મુદ્દે છ મહિનાની છૂટ આપી હતી. ગયા મહિને કેન્દ્રીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ચાબહાર પોર્ટ વિવાદ મુદ્દે ભારત અમેરિકાના સંપર્કમાં છે અને ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યું છે. ઇરાન સાથે વેપાર કરનારા દેશો પર ટ્રમ્પે 25 ટકા ટેરિફ નાખવાની ધમકી આપી હતી. ભારત અને ઇરાન બન્ને સાથે મળીને ચાબહાર પોર્ટનો વિકાસ કરી રહ્યા છે.

  • રૂ. 12.2 લાખ કરોડ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
  • રૂ. 1.70 લાખ કરોડ ખાતર માટે ખર્ચાશે
  • રૂ. 40,000 કરોડ ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન
  • રૂ. 10,000 કરોડ બાયોફાર્મા શક્તિ માટે
  • રૂ. 3610 કરોડ નક્સલ ક્ષેત્રોમાં સુરક્ષા
  • રૂ. 1000 કરોડ એઆઈ મિશનને ફાળવાયા

નાણામંત્રી નિર્મલા સિતારામને રજુ કરેલા બજેટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે આ બજેટ વિકસિત ભારત 2047ની આપણી ઉંચી ઉડાનનો મજબૂત આધાર છે. મહિલા નાણામંત્રી તરીકે નિર્મલાજીએ નવમી વખત દેશનું બજેટ રજુ કરીને એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ બજેટ દેશની નારી શક્તિનું સશક્ત પ્રતિબિંબ છે, અપાર અવસરોનો રાજમાર્ગ છે, જે વર્તમાન સપનાઓને સાકાર કરે છે અને ભારતના ઉજ્જ્વળ ભવિષ્યનો પાયો મજબૂત કરે છે. આ બજેટ 2047ના વિકસિત ભારતની ઉંચી ઉડાનનો મજબૂત આધાર છે. આજે ભારત જે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે આ બજેટથી તેને નવી ઉર્જા અને ગતિ મળશે. આ બજેટ મોંઘવારીને કાબુ કરનારુ અને રાજકોષીય ખાધ ઘટાડનારું છે. સાથે જ એમએસએમઇને લોકલથી ગ્લોબલ બનાવવાની તાકાત આ બજેટમાં છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે વિશ્વમાં વિશ્વાસપાત્ર અને ક્વોલિટી સપ્લાયર તરીકે ભારતની ભૂમિકા વધી રહી છે. તાજેતરમાં જ ભારતે જ મોટી મોટી ટ્રેડ ડીલ કરી છે (મધર ઓફ ઓલ ડીલ) વગેરેનો સૌથી મોટો લાભ ભારતીય યુવાઓને મળશે. ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને થશે. બજેટ ભારતની ગ્લોબલ ભૂમિકાને વધુ મજબુત બનાવે છે.

ભારતની 1.4 અબજ જનતા માત્ર ઝડપથી વીકસી રહેલી અર્થ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી, તેઓ ભારતને ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવવા પણ ઇચ્છે છે જે લાખો દેશવાસીઓનો સંકલ્પ પણ છે. આ બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાને સશક્ત કરનારું છે.

February 2, 2026
image.png
1min73

T20 World Cup 2026 Pakistan Controversy : ભારતમાં યોજાનારા ICC T20 વર્લ્ડકપ 2026ને લઈને પાકિસ્તાને નવું નાટક શરૂ કરી દીધું છે. હંમેશા ભારતનો વિરોધ કરતી પાકિસ્તાન સરકારે તેમની ક્રિકેટ ટીમને ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે સત્તાવાર મંજૂરી આપી છે, પરંતુ આ સાથે એક એવી શરત મૂકી છે, જેનાથી ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે.

પાકિસ્તાન સરકારના સત્તાવાર એક્સ એક્સ હેન્ડલ પરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ, પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં રમશે પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચમાં ભાગ લેશે નહીં. એટલે કે પાકિસ્તાન ટુર્નામેન્ટમાં ભાગ લેશે, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચો નહીં રમાય.

પાકિસ્તાને ટુર્નામેન્ટમાં ભાગ લેવાની તૈયારી બતાવી છે પણ ભારત સામે રમવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. આ સ્થિતિમાં આખા વર્લ્ડકપનું શેડ્યૂલ ખોરવાઈ શકે છે. આ મામલે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) શું સ્ટેન્ડ લે છે તેના પર સૌની નજર છે, જોકે અત્યાર સુધી BCCI કે ICC તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો આગળ ધરીને ભારતમાં રમવાનો ઈન્કાર કર્યો હતો, જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે અને તેના બદલે સ્કોટલેન્ડને તક આપવામાં આવી છે. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાન સતત બાંગ્લાદેશના સમર્થનમાં ટુર્નામેન્ટના બહિષ્કારનો ડ્રામા કરી રહ્યું હતું, પરંતુ હવે ટુર્નામેન્ટ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ નવું નાટક શરૂ કરી દીધું છે.

January 30, 2026
nirbhayasuprem.png
1min90

  • શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાની માર્ગદર્શિકામાં જ સવર્ણો વિરુદ્ધ ભેદભાવ
  • નવા નિયમોમાં સંસ્થાકીય રક્ષણમાંથી સામાન્ય વર્ગ બાકાત, માત્ર એસસી-એસટી-ઓબીસી સામે ભેદભાવ થતો હોવાનો દાવો
  • નિયમો અસ્પષ્ટ, દુરુપયોગ થવાની પૂરી સંભાવના, ભાષા સ્પષ્ટ કરવા નિષ્ણાતોની નવી સમિતિ બનાવો : મુખ્ય ન્યાયાધીશ

UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા દેશની કોલેજો અને યુનિવર્સિટીઓમાં રજૂ કરાયેલા નવા નિયમોને ભેદભાવપૂર્ણ ગણાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ પર Dated 29/01/2026 સ્ટે મુકી દીધો છે. યુજીસીના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન નિયમ, ૨૦૨૬નો દેશભરના અનેક રાજ્યોમાં સવર્ણોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ નિયમોના અમલને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો. આ મામલે થયેલી અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે યુજીસીના નવા નિયમો પર સ્ટે મૂકવાની સાથે કેન્દ્ર અને યુજીસીને નોટિસ ફટકારી હતી. સાથે જ આ મામલે વધુ સુનાવણી ૧૯ માર્ચ પર મુલતવી રાખી હતી. આથી હાલમાં ૨૦૧૨નો નિયમ લાગુ રહેશે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે નવા નિયમોમાં અલગ અલગ જાતિઓના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ હોસ્ટેલની જોગવાઈનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ભગવાન માટે આવું ના કરશો. સુપ્રીમે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે, યુજીસીના નવા નિયમના ૩(સી) (જે જાતિ આધારિત ભેદભાવને વ્યાખ્યાઈત કરે છે)ને સંપૂર્ણપણે અસ્પષ્ટ ગણાવ્યો અને તેનો દુરુપયોગ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર અને યુજીસી પાસેથી જવાબ માગ્યો.

બેન્ચે ઉમેર્યું કે, નવા નિયમો સમાજનું વિભાજન કરતા જોખમી પરિણામો લાવી શકે છે. નવા નિયમોમાં ૩(સી) હેઠળની જોગવાઈમાં સંસ્થાકીય રક્ષણમાંથી સામાન્ય વર્ગને બાકાત રાખતી જાતિ-આધારિત ભેદભાવની બિનસમાવેશક વ્યાખ્યાને સમાજ માટે જોખમી ગણાવી હતી. બેન્ચે સવાલ કર્યો કે, ૩(ઈ) હેઠળ ભેદભાવની વ્યાખ્યા તમામ પ્રકારના ભેદભાવપૂર્ણ વર્તનની કાળજી લે છે ત્યારે નવા નિયમોમાં જાતિ આધારિત ભેદભાવોને અલગથી શા માટે વ્યાખ્યાઇત કરવામાં આવ્યો? અને રેગિંગ પર બિલકુલ ધ્યાન શા માટે આપવામાં આવ્યું નથી? સુપ્રીમે કહ્યું કે આ નિયમની ભાષા ફરીથી બદલવાની જરૂર છે.

યુજીસીના નવા નિયમોને સવર્ણો માટે ભેદભાવ પેદા કરનારા ગણાવી સોશિયલ મીડિયા પર વ્યાપક સ્તર પર વિરોધ શરૂ થયો હતો, જેને પગલે શાસક પક્ષ ભાજપની અંદરથી પણ નવા નિયમો સામે અવાજ ઉઠવા લાગ્યા હતા. સાથે નવી દિલ્હીથી લઈને રાજસ્થાનથી દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી સવર્ણોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તેમણે છેલ્લા કેટલાક દિવસોથી સરકાર અને યુજીસી સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. આ દેખાવોના કારણે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓએ પક્ષમાંથી રાજીનામાં પણ આપી દીધા હતા.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના અધ્યક્ષપદે એક બેન્ચે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમે કહ્યું કે, જાતિવિહિન સમાજ બનાવવાની બાબતમાં આપણે જે પણ કંઈ મેળવ્યું છે તેને આપણે શું પાછળ છોડી રહ્યા છીએ? તેમણે નવા નિયમોમાં અલગ અલગ જાતિઓ માટે અલગ અલગ હોસ્ટેલની સૂચિત જોગવાઈ સામે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું ભગવાન માટે આવું ના કરશો. આપણે બધા એક સાથે રહીએ છીએ. આંતર જાતીય લગ્નો પણ થતા હતા. ન્યાયાધીશ બાગચીએ પણ કહ્યું કે, ભારતમાં એકતા શિક્ષણ સંસ્થાઓમાં દેખાવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમોને અસ્પષ્ટ ગણાવ્યા હતા. બેન્ચે કહ્યું, પહેલી નજરે જ આ નિયમોની ભાષા સંપૂર્ણપણે અસ્પષ્ટ છે. તેનો દુરુપયોગ થઈ શકે છે. કોઈ એક્સપર્ટ રીમોડેલિંગની સલાહ આપી શકે છે. કેન્દ્ર અને યુજીસીને નોટિસ પાઠવતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સૂચન કર્યું કે, આ નિયમો પર જાણિતા કાયદાકીય નિષ્ણાતોની એક સમિતિ મારફત ફરીથી વિચાર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૧૯ માર્ચ પર મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે કલમ ૧૪૨ હેઠળ તેની સત્તાઓનો ઉપયોગ કરી નવા આદેશો ના થાય ત્યાં સુધી યુજીસીના ૨૦૧૨ના નિયમોનો અમલ ચાલુ રાખવા જણાવ્યું હતું.

યુજીસીના વિવાદાસ્પદ નિયમમાં શું છે?

કોલેજ અને યુનિવર્સિટીમાં જાતિના આધારે થતા ભેદભાવ રોકવા માટે લવાયેલા નવા નિયમો હેઠળ સંસ્થાઓને એસસી-એસટી અને ઓબીસી વર્ગની ફરિયાદો સાંભળળા માટે વિશેષ સમિતિઓ અને હેલ્પલાઈન બનાવવાં પડશે. વિશેષરૂપે એસસી (અનુસૂચિત જનજાતિ), અનુસૂચિત જનજાતિ (આદિવાસી) કેટેગરી અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓની ફરિયાદો માટે ઉકેલ લાવવાની માગ કરાઈ હતી. યુજીસીએ ૧૩ જાન્યુઆરીએ આ નિયમોને નોટિફાઈ કર્યા હતા. જોકે, આ નવા નિયમોમાંથી શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ મુદ્દે સવર્ણોને બાકાત રખાયા અને માત્ર એસસી, એસટી, ઓબીસી વર્ગ પર જ ભેદભાવ થતો હોવાનું ચિત્ર ઉપસાવ્યું.