વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિનની ધામધૂમથી ભવ્ય ઊજવણી કરવા માટે ભાજપે તૈયારી કરી લીધી છે. પીએમ મોદીના જન્મદિનની વિશેષ ઊજવણી માટે ભાજપે દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧.૫ કરોડ લોકોને કોરોનાની રસી આપવાનું આયોજન કર્યું છે. આ સાથે ભાજપે સમગ્ર દેશમાં ૧૭મી સપ્ટેમ્બરથી ૭મી ઑક્ટોબર સુધી ૨૦ દિવસ સુધી અનેક કાર્યક્રમો યોજવાની તૈયારી કરી લીધી છે. ક્યાંક ભારત માતા મંદિરને ૭૧ હજાર દિવડાઓથી સુશોભિત કરાશે તો ક્યાંક ગંગા નદીને ૭૧ મીટરની ચૂંદડી અર્પણ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિનને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે ભાજપે સમગ્ર દેશમાં ૧.૫૦ કરોડથી વધુ લોકોને રસી આપવાની ભાજપ સંગઠને તૈયારી કરી છે. ભાજપ સૂત્રોનું કહેવું છે કે ૧૭મી સપ્ટેમ્બરના દિવસને સિમાચિહ્નરૃપ બનાવવા માટે ભાજપે તેના હેલ્થ વોલિન્ટિયર્સને પીએમ મોદીના જન્મદિને વધુમાં વધુ લોકો કોરોના રસી અપાવવાની ખાતરી કરવા જણાવ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને કોરોના વિરોધી રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનને વ્યાપક બનાવવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે હેશટેગ વેક્સિન સેવાને વ્યાપક બનાવી અત્યાર સુધીમાં જેમણે રસી નથી લીધી તેમને રસી અપાવીએ. વડાપ્રધાન માટે આ પહેલ સૌથી સારી ભેટ હશે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૭૬ કરોડથી વધુ લોકોને કોરોના વિરોધી રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧મા જન્મદિને તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ૧૭મી સપ્ટેમ્બરથી ૨૧ દિવસ સુધી ૭૧ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી ગુજરાતમાં પહેલી વખત તેમના મુખ્યમંત્રી બનવાના ૭મી ઑક્ટોબરના દિવ સુધી સેવા સમર્પણ અભિયાન ચલાવાશે. વધુમાં ભારત માતા મંદિરમાં ૭૧ હજાર દિપક પ્રગટાવાશે, ગંગામાં ૭૧ મીટરની ચૂંદડી ચઢાવાશે અને બધી જ વિધાનસભાઓમાં ૭૧-૭૧ કિલો લાડુનું વિતરણ કરાશે. ઉપરાંત જિલ્લા અને મહાનગરમાં ૭૧ મુખ્ય મંદિરોમાં આરતી અને દીપોત્સવનો કાર્યક્રમ પણ યોજાશે.
જમ્મુ-કાશ્મીર ભાજપે તેના ૨૧ દિવસના કાર્યક્રમમાંજમ્મુના ૫૦૦ બૂથમાંથી વડાપ્રધાનને પાંચ લાખ કાર્ડ મોકલવા, જળસ્રોતોની સાફ સફાઈ, વૃક્ષારોપણ અભિયાન અને રક્તદાન શિબિરના આયોજન જેવા કાર્યક્રમો યોજશે. આ સિવાય ભાજપ યુવા મોરચા દ્વારા પણ દેશભરમાં ૨૧ દિવસ સુધી વિશેષ કાર્યક્રમોના આયોજનની જાહેરાત કરાઈ છે. વડાપ્રધાન મોદીના ૭૧મા જન્મદિનની સાથે ભાજપ ૭મી ઑક્ટોબરે પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાના ૨૦ વર્ષ પૂરા થવાની પણ ઊજવણી કરવાનો નિર્ણય કરાયો છે.










