ગેરશિસ્ત મુદ્દે ફોગાટને અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી. તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ ગેમ્સમાં ત્યાં સુધી રમી નહીં શકે જ્યાં સુધી નોટિસનો જવાબ નહીં આપે
ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ગેરશિસ્ત આચરવા સામે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ દેશની સ્ટાર પહેલવાન વિનેશ ફોગાટને અચોક્કસ સમય માટે સસ્પેન્ડ કરી દીધી છે. ફેડરેશનને ફોગાટની સાથી પહેલવાન સોનમ મલિકને પણ નોટિસ ફટકારી છે. વિનેશ ફોગાટે ફેડરેશનની કાર્યવાહી હેઠળ 16 ઓગસ્ટ સુધી પોતાની ગેરવર્તૂંણક કરવા પાછળની સ્પષ્ટતા આપવાની રહેશે. એમાં પણ વિનેશના જવાબ આપ્યા પછી છેલ્લો નિર્ણય ફેડરેશનનો રહેશે.
વિનેશે ટોકિયો ઓલિમ્પિક દરમિયાન ત્યાં રહીને ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ સાથે તાલીમ લેવાથી ઇનકાર કરી દીધો હતો. માહિતી મુજબ વિનેશ ફોગાટે ભારતીય પહેલવાન સાથે તાલીમ લેવાથી ઇનકાર કર્યો હતો. એના વર્તન પરથી લાગતું હતું કે તે ભારતીય દળ સાથે નહીં પરંતુ હંગરી ટીમ સાથે આવી હતી. આ સિવાય તેણે સ્પોન્સરની ટી-શર્ટ પહેરવાથી પણ ઇનકાર કરી દીધો હતો. મેચ દરમિયાન તે Nikeની ટી-શર્ટ પહેરની મેદાનમાં ઉતરી હતી. ટોકિયો ઓલિમ્પિકમાં હાજર અધિકારીઓ મુજબ ફોગાટે એ સમયે પણ હંગામો કર્યો હતો જ્યારે તેને ભારતીયો સાથે એક રુમની ફાલવણી કરવામાં આવી હતી. તેનું કહેવું હતું કે સાથે રહેવાથી તેની પર કોરોના સંક્રમણનું જોખમ વધી જશે.
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની માહિતી મુજબ વિનેશને ગેરશિસ્ત મુદ્દે અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની કુશ્તી પર રોક લગાવી દેવામાં આવી છે. વિનેશ ફેડરેશનની નોટિસનો જવાબ નહીં આપે ત્યાં સુધી તે રાષ્ટ્રીય કે અન્ય રેસલિંગ સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં.
કેન્દ્રે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને અગાઉ બંધારણમાં અપાયેલો ખાસ દરજ્જો રદ કરાયો તે પછી એટલે કે ૨૦૧૯ના ઑગસ્ટ બાદ (જમ્મુ અને કાશ્મીરની) બહારની એટલે કે દેશના અન્ય રાજ્યની માત્ર બે વ્યક્તિએ અત્યાર સુધીમાં ત્યાં બે પ્રૉપર્ટી ખરીદી હતી.
કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે લોકસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
તેમને લોકસભામાં પુછાયું હતું કે જમ્મુ અને કાશ્મીરને અગાઉ બંધારણમાં અપાયેલો ખાસ દરજ્જો રદ કરાયો તે પછી દેશના અન્ય રાજ્યના કેટલા લોકોએ ત્યાં પ્રૉપર્ટી ખરીદી હતી? નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે આપેલી માહિતી મુજબ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં ૨૦૧૯ ઑગસ્ટ બાદ અન્ય રાજ્યની માત્ર બે જ વ્યક્તિએ બે પ્રૉપર્ટી ખરીદી હતી.
શું જમ્મુ અને કાશ્મીરમાં દેશના અન્ય રાજ્યની વ્યક્તિને હવે પ્રૉપર્ટી ખરીદતી વખતે કોઇ મુશ્કેલી પડે છે? એવા સવાલનો જવાબ નિત્યાનંદ રાયે નકારમાં આપ્યો હતો.
અધર બૅકવર્ડ ક્લાસ (ઓબીસી)ની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારને પુન:સ્થાપિત કરવા સરકારે સોમવારે લોકસભામાં કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ડ ખરડો ૨૦૨૧ લોકસભામાં રજૂ કર્યો હતો.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના પ્રધાન વીરેન્દ્રકુમારે કન્સ્ટિટ્યુશન (૧૨૭મો સુધારા)ખરડો ૨૦૨૧ સોમવારે લોકસભામાં રજૂ કર્યો હતો. આ ખરડામાં ઓબીસીની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારને પુન:સ્થાપિત કરવાની માગણી કરવામાં આવી હતી. દેશનું સ્વાયત્ત માળખું જાળવી રાખવા તેમ જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (સોશિયલ ઍન્ડ ઈકોનોમિકલી બૅકવર્ડ ક્લાસ) એસઈબીસીની પોતાની યાદી જાતે તૈયાર કરી તેને જાળવી રાખી શકે તે માટે બંધારણની કલમ ૩૪૨એ, ૩૩૮બી અને ૩૬૬માં સુધારો કરવાની જરૂર છે.
વર્ષ ૨૦૧૮ના કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ ઍક્ટમાં ઉમેરવામાં આવેલી કલમ ૩૩૮બી નેશનલ કમિશન ફૉર બૅકવર્ડ ક્લાસના માળખા, ફરજ અને સત્તા સાથે કામ પાર પાડે છે. બંધારણની કલમ ૩૪૨એ ચોક્કસ કોમની એસઈબીસી તરીકે નોંધણી કરવાની રાષ્ટ્રપતિની સત્તા અને યાદીમાં ફેરફાર કરવાની સંસદની સત્તા સાથે કામ પાર પાડે છે. બંધારણની કલમ ૩૬૬ (૨૬સી) એસઈબીસીની વ્યાખ્યા કરે છે.
૧૦૨ કન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટે નોકરી અને પ્રવેશમાં એસઈબીસીની નોંધણી કરવાની રાજ્યની સત્તા છીનવી લીધી હોવાનું જણાવતા પાંચમી મેએ આપવામાં આવેલા ચુકાદાની સમીક્ષા કરવાની માગણી કરતી કેન્દ્ર સરકારની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી.
ઓબીસીને ઓળખી કાઢી તેની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકાર અને સ્વાયત્ત માળખા પર કેન્દ્ર સરકાર હુમલો કરી રહી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો.
જોકે, કુમારે ગયા મહિને રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે કાયદાકીય નિષ્ણાતો તેમ જ કાયદા ખાતા સાથે સલાહમસલત કરી રહી છે અને ઓબીસીની યાદી તૈયાર કરવાના રાજ્યના અધિકારનું રક્ષણ કરવાના વિકલ્પોની ચકાસણી કરી રહી છે.
ન્યાયાધીશ અશોક ભૂષણના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશની બનેલી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પાંચમી મેએ મરાઠાઓને આરક્ષણ આપતા મહારાષ્ટ્ર લૉને સર્વાનુમતીથી બાજુએ મૂકી દીધો હતો અને અનામતમાં પચાસ ટકા ટોચમર્યાદા રાખવાના વર્ષ ૧૯૯૨ના મંડલના ચુકાદાને ધ્યાન પર લેવાનું નકારી કાઢ્યું હતું.
આ અગાઉ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવેલી ભારે ધાંધલધમાલ વચ્ચે લોકસભામાં સોમવારે ચર્ચા વિના જ ગણતરીની મિનિટોમાં મહત્ત્વના ત્રણ ખરડાને મંજૂરી આપી દેવામાં આવી હતી.
ધ લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ અને ધ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ઍન્ડ ક્રૅડિટ ગૅરેન્ટી કોર્પોરેશન (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ અને ધ કન્સ્ટિટ્યુશન (શિડ્યુઅલ ટ્રાઈબ) ઑર્ડર (એમેન્ડમેન્ટ) ખરડા ૨૦૨૧ એમ ત્રણ મહત્ત્વના ખરડાને સોમવારે લોકસભામાં મંજૂરી આપી દેવામાં આવી હતી.
નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આ ખરડા મંજૂરી માટે રજૂ કર્યા હતા. લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ એમેન્ડમેન્ટ ખરડા ૨૦૨૧માં લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ ઍક્ટ ૨૦૦૮માં સુધારા કરવાની માગણી કરવામાં આવી હતી.
આ ખરડાનો મુખ્ય આશય નાના અને મોટા ભાગીદારો વચ્ચે વેપાર કરવાનું સરળ બનાવવાનો છે, એમ તેમણે કહ્યું હતું.
ડીઆઈસીજીસી એમેન્ડમેન્ટ ખરડા ૨૦૨૧ તરીકે પણ જાણીતા ધ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ ઍન્ડ ક્રૅડિટ ગૅરેન્ટી કોર્પોરેશન (એમેન્ડમેન્ટ) ૨૦૨૧ ખરડામાં ડિપોઝિટ ઈન્સ્યોરન્સની કામગીરીમાં સુધારો આવી શકે તે માટે ત્રણ મહત્ત્વના સુધારા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. દરમિયાન, પૅગાસસ જાસૂસી વિવાદ, નવા કૃષિ કાયદા અને અન્ય મુદ્દાઓ અંગે વિપક્ષે સોમવારે પણ ધાંધલધમાલ ચાલુ રાખતા રાજ્યસભાની કાર્યવાહી એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. કૉંગ્રેસ, ટીએમસી અને દ્રમુકે વૉકઆઉટ કર્યો હતો.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક નિવેદનમાં કહ્યું કે કોવેક્સિન અને કોવિશિલ્ડ કોરોના રસીના મિશ્રિત ડોઝ વધારે કારગર સાબિત થઈ શકે છે.
કોરોના મહામારી સામે લડવા સમગ્ર દુનિયા સંપૂર્ણ રીતે પ્રયાસો કરી રહી છે. દેશ-વિદેશના વૈજ્ઞાનિકો આ મામલે કોઈ કસર નથી છોડી રહ્યા, કોરોનાની રસીને લઈ પણ કેટ કેટલી મથામણો કરવામાં આવી રહી છે. કોરોના રસીનો પ્રથમ અને બીજા ડોઝ માટે અલગ-અલગ વેક્સિનના વપરાશને લઈને વિશ્વભરમાં ઘણા ટ્રાયલ ચાલી રહ્યા છે. આ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક સારી માહિતી જાહેર કરી છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક નિવેદનમાં કહ્યું કે કોવેક્સિન અને કોવિશિલ્ડ કોરોના રસીના મિશ્રિત ડોઝ વધારે કારગર સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે બંને વેકિસનના ડોઝ અપાયેલાના અભ્યાસમાં પોઝિટીવ રિઝલ્ટ સામે આવ્યું છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ દાવો કર્યો છે કે કોવેક્સીન અને કોવિશિલ્ડના કોકટેલ પરના અભ્યાસમાં વધુ સારા પરિણામો જોવા મળ્યા છે. આ ઉપરાંત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રસી માત્ર સુપરક્ષિત હોવાનુ જ નહીં, પરંતુ એડેનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ આધારિત રસીના મિશ્રણ વધુ સારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ કારગર નીવડે છે.
ભારતની ડ્રગ રેગ્યુલેટર DCGIની નિષ્ણાત પેનલે કોવિશિલ્ડ અને કોવેક્સિન કોરોના રસીના મિશ્રિત ડોઝ પર અભ્યાસ કરવા માટે ભલામણ કરી હતી. વેલ્લોરમાં ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (સીએમસી) દ્વારા આ રીતના અભ્યાસ માટેની પરવાનગી માંગવામાં આવી હતી અને પછી આ ભલામણ સામે આવી છે.
આ અંગે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ જણાવ્યું કે આ અધ્યયનનો ઉદેશ્ય એ જાણવાનો છે કે એક જ વ્યક્તિને બે અલગ અલગ રસી ડોઝ આપી શકાય છે કે નહીં, તે માટે રસીકરણનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો. જો કોઈને કોવિશિલ્ડનો એક ડોઝ અને કોવોક્સિનનો એક ડોઝ આપવામાં આવે તો શું થાય અને તેની કેવી અસર થાય ? તે અંગે અભ્યાસ કરવામાં આવ્યો. જો કે, અભ્યાસમાં જાહેર થયેલા પરિણામોથી સાબિત થયુ છે કે કોવિશિલ્ડ-કોવેક્સિનના મિશ્ર ડોઝ અસરકારક નીવડે છે.
જુલાઈમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ચીફ વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી હતી કે કોઈએ પણ રસીને મિક્સ કરીને ડોઝ ના લેવા, જેના કારણે જોખમ ઉભુ થઈ શકે છે.
સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અગાઉ કેન્દ્ર સરકારે રાજ્યોને લોકો પ્લાસ્ટિકના તિરંગાનો વપરાશ ન કરે એનું ધ્યાન રાખવાનો આદેશ આપ્યો છે.
આ પાછળનું કારણ એ છે કે નોન-બાયોડિગ્રેડેબલ વસ્તુઓને નષ્ટ કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે અને એ પર્યાવરણ માટે હાનિકારક પણ છે.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલાવેલા સંદેશમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશા અને આકાંક્ષાનું પ્રતીક છે અને માટે એને ગૌરવભર્યું સ્થાન મળવું જોઇએ.
રાષ્ટ્રધ્વજ માટે બધાના મનમાં આદર, સન્માન અને લાગણીની ભાવના હોય છે, પણ એવી બાબત ધ્યાનમાં આવી છે કે મોટેભાગે લોકો, સરકારી કે અન્ય સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ ફરકાવવા બાબતના કાયદા અને નિયમોથી અજાણ હોય છે. એવી વાત ધ્યાનમાં આવી છે કે રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતના મહત્ત્વના કાર્યક્રમો વખતે કાગળને બદલે પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્લાસ્ટિકના ધ્વજ કાગળના ધ્વજની જેમ બાયોડિગ્રેડેબલ ન હોવાથી એ સરળતાથી નષ્ટ નથી થતા અને પરિણામે રાષ્ટ્રધ્વજનું આડકતરી રીતે અપમાન થતું હોય છે. આ કારણસર તમને વિનંતી કરવામાં આવે છે કે કોઇપણ પ્રકારના કાર્યક્રમો દરમિયાન ફ્લૅગ કોડ ઑફ ઇન્ડિયા, ૨૦૦૨ પ્રમાણે લોકો ફક્ત કાગળના જ રાષ્ટ્રધ્વજ વાપરે અને આવા કાગળના રાષ્ટ્રધ્વજ રસ્તા પર કે ગમે ત્યાં ફેંકાવા ન જોઇએ એની તકેદારી રાખવી. આવા ધ્વજને યોગ્ય રીતે ખાનગીમાં ધ્વજનું અપમાન ન થાય એ રીતે નષ્ટ કરવા.
ભારતના સ્ટાર ભાલાફેંક એથ્લેટ નીરજ ચોપરાએ ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક્સમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ તેણે ટ્રેક એન્ડ ફિલ્ડમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો પ્રથમ એથ્લેટ બન્યો છે. જ્યારે ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો બીજો એથ્લેટ છે. નીજર અગાઉ શૂટર અભિનવ બિન્દ્રાએ 2008 બેઈજિંગ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ફાઈનલમાં નીજર ચોપરાએ પ્રથમ પ્રયાસમાં જ 87.03 મીટર સાથે અદ્દભુત શરૂઆત કરી હતી. જ્યારે જર્મનીના સ્ટાર જોહાનીસ વેટ્ટરે 82.52 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. પ્રથમ પ્રયાસના અંતે ચોપરા પ્રથમ સ્થાને રહ્યો હતો. જ્યારે જર્મનીનો જૂલિયન વેબર 85.30 મીટર સાથે બીજા ક્રમે રહ્યો હતો. પાકિસ્તાનનો અર્શદ નદીમ 82.05 મીટર સાથે પાંચમાં ક્રમે રહ્યો હતો.
બીજા થ્રોમાં તો નીરજે વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 87.58 મીટરનો થ્રો કરીને પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે જર્મન સ્ટાર વેટ્ટર બીજા પ્રયાસમાં ફાઉલ થયો હતો. તે મેદાન પર પડી ગયો હતો અને તેને પીડા પણ થઈ રહી હતી. બીજા રાઉન્ડના અંતે પણ નીરજ ટોચ પર રહ્યો હતો. વેબર બીજા અને ચેક રિપબ્લિકનો જાકુબ વેડલેચ 83.98 મીટર સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.
ત્રીજા પ્રયાસમાં નીરજ 80 મીટરનો આંક પણ પાર કરી શક્યો ન હતો. ત્રીજા પ્રયાસમાં તેણે 76.79 મીટર થ્રો કર્યો હતો. જોકે, પોતાના શ્રેષ્ઠ 87.58 મીટરના થ્રો સાથે તેણે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જોકે, ચેક રિપબ્લિકનો વેસેલી વિટેઝસ્લાવ ત્રીજા પ્રયાસમાં 85.44 મીટરના થ્રો સાથે બીજા ક્રમે આવી ગયો હતો. નીરજનો ચોથો અને પાંચમો પ્રયાસ ફાઉલ રહ્યો હતો તેમ છતાં તે ટોચના સ્થાને રહ્યો હતો.
ભારતે શુક્રવારે મેચના ત્રીજા દિવસે 4 વિકેટે 125 રનના સ્કોરથી પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. લોકેશ રાહુલ અને રિશભ પંત બેટિંગમાં હતા. જોકે, પંત વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને 25 રન નોંધાવીને આઉટ થયો હતો. પરંતુ લોકેશ રાહુલ અને રવીન્દ્ર જાડેજાની અડધી સદી બાદ જસપ્રિત બુમરાહે રમેલી આક્રમક ઈનિંગ્સની મદદથી ભારત સરસાઈ મેળવવામાં સફળ રહ્યું હતું.
ભારત પ્રથમ દાવમાં 84.5 ઓવરમાં 278 રનમાં ઓલ-આઉટ થઈ ગયું હતું. વિરાટ કોહલીની ટીમે 95 રનની સરસાઈ મેળવી લીધી હતી. ભારતે ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 183 રનમાં સમેટી લીધો હતો. ભારત માટે રાહુલે 84 અને રવીન્દ્ર જાડેજાએ 56 રન નોંધાવ્યા હતા. જ્યારે ઓલી રોબિન્સને પાંચ અને એન્ડરસને ચાર વિકેટ ઝડપી હતી.
ઝડપી બોલર ઓલી રોબિન્સન તથા જેમ્સ એન્ડરસને તરખાટ મચાવ્યો હોવા છતાં લોકેશ રાહુલ અને રવીન્દ્ર જાડેજાની અડધી સદીની મદદથી ભારતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ નોટ્ટિંગહામમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પ્રથમ દાવમાં મહત્વની સરસાઈ મેળવી લીધી હતી. જોકે, બીજા દાવમાં ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી છે. પરંતુ ત્રીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન નડ્યું હતું અને રમત વહેલી પૂરી કરી દેવી પડી હતી.
ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ઈંગ્લેન્ડે તેના બીજા દાવમાં વિના વિકેટે 25 રન નોંધાવ્યા છે. ડોમિનિક સિબ્લી 9 અને રોરી બર્ન્સ 11 રને રમતમાં છે. હાલમાં ઈંગ્લેન્ડ 70 રન પાછળ છે.
ટોક્યો ઓલમ્પિકમાં હોકીમાં ભારતનો તિરંગો લહેરાયો છે. ભારતની પુરુષોની હોકી ટીમ આજે બ્રોન્ઝ મેડલ માટે જર્મની સામે રમવા ઊતરી હતી. ભારતીય ટીમનો જર્મની સામે 5-4થી વિજય થયો છે અને બ્રોન્ઝ મેડલ ભારતની ઝોળીમાં આવી ગયો છે.
ભારતીય પુરુષ હોકી ટીમે જર્મનીને હરાવીને ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ભારતે 1980 બાદ પહેલીવાર ઓલિમ્પિક મેડલ પાક્કો કર્યો છે. ભારતે બ્રોન્ઝ મેડલ જીતવા માટે જર્મનીને 5-4થી હરાવ્યું છે. ભારતયી પુરુષ હોકી ટીમના આ વર્ષના પ્રદર્શનના કારણે ઘણી આશાઓ હતી કે ટીમ મેડલ જીતશે અને આખરે ટીમે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં દમદાર ગણાતી જર્મનીની ટીમને શરુઆતની લીડ બાદ પછડાટ આપીને જીત હાંસલ કરી લીધી છે.
શરુઆતમાં 0-2થી જર્મનીની ટીમ આગળ ચાલી રહી હતી પરંતુ આ પછી ભારતે શાનદાર પ્રદર્શન કરીને 3-5થી આગળ ચાલી રહ્યું હતુ અને અંતમાં મેચનું પરિણામ 5-4 રહ્યું અને ભારતે જીત મેળવી લીધી હતી. ચોથા ક્વાર્ટરમાં જર્મનીને પેનલ્ટી કોર્નરમાં ચોથો ગોલ કર્યો હતો. ફાઈનલ ક્વાર્ટરમાં ભારતીય ટીમ 5-4થી આગળ હતી. આ પછી મેચની સાતમી મિનિટે મનદીપ સિંહ પાસે સાતમો ગોલ કરવાની તક હતી પરંતુ તેમાં તેઓ અસફળ રહ્યા હતા. જોકે, ભારતીય ટીમ જર્મની ટીમને સારી ટક્કર આપીને પાંચમા ગોલ સાથે બરાબરી કરતા રોકીને મેચ પર કબજો કરી લીધો હતો.
ભારતીય બોલર્સનું શાનદાર પ્રદર્શન, પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડ 183 રનમાં આઉટ, જો રૂટની અડધી સદી
જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી સહિત બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે બુધવારથી નોટ્ટિંગહામમાં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતિ મેળવી લીધી છે. ભારતે મેચના પ્રથમ દિવસે યજમાન ટીમને આઉટ કરી દીધી હતી. ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 183 રનમાં સમેટાઈ ગયો હતો. જસપ્રિત બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે વિના વિકેટે 21 રન નોંધાવ્યા છે. લોકેશ રાહુલ અને રોહિત શર્મા 9-9 રન પર રમતમાં છે.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર ઈંગ્લેન્ડને પ્રથમ ફટકો પડ્યો હતો. જસપ્રિત બુમરાહે રોરી બર્ન્સને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. બર્ન્સ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ ડોમિનિક સિબ્લી અને ઝેક ક્રાઉલીની જોડીએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ 42 રનની ભાગીદારી નોંધાવી હતી.
પરંતુ આ જોડી વધારે જોખમી બને તે પહેલા જ મોહમ્મદ સિરાજે ક્રાઉલીને આઉટ કરીને ભારતને મહત્વની સફળતા અપાવી હતી. ક્રાઉલીએ 68 બોલમાં ચાર ચોગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મોહમ્મ શમીએ સિબ્લીને આઉટ કરવામાં સફળતા મેળવી હતી. તેણે 70 બોલમાં 18 રન નોંધાવ્યા હતા.
ત્યારબાદ સુકાની જો રૂટ અને જોની બેરસ્ટોએ ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. રૂટ અને બેરસ્ટોએ 72 રનની ભાગીદારી નોંધાવી હતી. આ જોડીએ ઈંગ્લેન્ડને મેચમાં પાછુ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેવા સમયે જ શમીએ બેરસ્ટોને આઉટ કરીને ભારતને રાહતનો શ્વાસ અપાવ્યો હતો. બેરસ્ટોએ 71 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 29 રન નોંધાવ્યા હતા. જ્યારે રૂટે અડધી સદી ફટકારી હતી. રૂટે 108 બોલમાં 64 રનની ઈનિંગ્સ રમી હતી જેમાં 11 ચોગ્ગા સામેલ હતા.
આજ (4/8/21)થી ટીમ India Vs England ટેસ્ટ ક્રિકેટ
વિરાટ કોહલીના કપ્તાનપદ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમના ઇંગ્લેન્ડ વિરૂધ્ધના પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની શરૂઆત આવતીકાલ બુધવારથી થશે. ત્યારે કપ્તાન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીની ટીમ સંયોજન પસંદ કરવાની રણનીતિ તૈયાર કરવાની પરીક્ષા થશે.
કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ઇલેવન પહેલા જાહેર કરી દીધી હતી, બાદમાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર ન કરવાનું પરિણામ સહન કરવું પડયું હતું. આવતીકાલથી શરૂ થતાં પહેલા ટેસ્ટમાં રોહિત શર્માના દાવનો પ્રારંભ કરવાનું કેએલ રાહુલનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. કારણ કે મયંક અગ્રવાલ માથાની ઇજાને લીધે પહેલા ટેસ્ટની બહાર થઇ ગયો છે. રાહુલ અનુભવી અને છે અને અભ્યાસ મેચમાં સદી કરી ચૂક્યો છે.
ઇંગ્લેન્ડની ટીમ તેના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસની ગેરહાજરી સાથે મેદાને પડશે. સ્ટોકસે ફરી એકવાર માનસિક તનાવનો હવાલો આપીને ક્રિકેટમાંથી બ્રેક લીધો છે.
પહેલા ટેસ્ટમાં ભારત ચાર ઝડપી બોલર અને એક સ્પિનર સાથે ઉતરે છે કે બે સ્પિનર અને ત્રણ ઝડપી બોલર સાથે તે મહત્ત્વનું બની રહેશે. જો અશ્વિન અને રવીન્દ્ર ઇલેવનમાં સામેલ હશે તો જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાઝમાંથી એકને બહાર બેસવું પડી શકે છે. બુમરાહ પાછલા કેટલાક સમયથી તેની ધાર ખોઇ ચૂક્યો છે. અનુભવી ઇશાંત અને શમીને પડતા મૂકવાનો જુગાર ભારત ખેલી શકે નહીં. ટોસની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની બની રહેશે. જો બુધવારે વાદળછાયું વાતવરણ હશે તો ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે. પાછલા કેટલાક સમયથી ધ વોલ ચેતેશ્વર પુજારાનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. તેના પર રન કરવાનું દબાણ રહેશે. ઉપસુકાની રહાણેને ફિટનેસની સમસ્યા છે.
ભારતીય બેટધરોને ફરી એકવાર ડયૂક બોલથી દુનિયાની શ્રેષ્ઠ ઝડપી બોલિંગ જોડી જેમ્સ એન્ડરસન અને સ્ટૂઅર્ટ બ્રોડનો સામનો કરવાનો રહેશે. તેની સાથે માર્ક વૂડ અને ઓલિ રોબિન્સન હશે.
ઇંગ્લેન્ડની ટીમ જો રૂટના સુકાનીપદ હેઠળ પાંચ ટેસ્ટની શ્રેણી જીતવાનો ભરપૂર પ્રયાસ કરશે. કારણ કે બાદમાં તેમને એશિઝ સિરીઝ રમવાની છે. સુકાની રૂટ ઉપરાંત રોરી બર્ન્સ, જેક ક્રાઉલી, ડેન લોરેંસ, ઓલી પોપ અને જોસ બટલર ભારતીય બોલરોની કસોટી કરશે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારથી 3-30થી શરૂ થશે અને સોની સ્પોર્ટસની ચેનલ પરથી જીવંત પ્રસારણ થશે.
વૈશ્વિકના શેર બજારોની સાથે તેજીનું સંતુલન જાળવતા ભારતીય શેરબજારોમાં આજે આગઝરતી તેજી જોવા મળી હતી. આજે તા.3 ઓગસ્ટે બપોરે બપોરે 1 વાગ્યાની સ્થિતિએ નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્ષમાં ઐતિહાસિક 16000ની સપાટી વટાવી દીધી હતી. સેન્સેક્સમાં પણ 525 પોઈન્ટ્સના ઉછાળા સાથે 53,475ની સપાટી નોંધાઇ હતી.
આજે વધનારા શેર્સમાં મોટાભાગે બેન્કિંગ, આઈટી, ફાર્મા અને FMCG શેર્સનો સમાવેશ થાય છે. આઈટી ઈન્ડેક્સની વાત કરીએ તો એમ્ફેસિસ 3.21 ટકા અને ટાટા એલેક્સી 2.78 ટકાના ઉછાળા સાથે ટોપ પર રહ્યા છે. આ સિવાય ટીસીએસ, ઈન્ફોસિસ પણ આજની તેજીમાં દોડી રહ્યા છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં પણ ખરીદી યથાવત જોવા મળી રહી છે.
ટાઈટન 3.89 ટકાના ઉછાળા સાથે 1839ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે HDFC 3.24 ટકાના ઉછાળા સાથે બીજા નંબરે હતો. આ સિવાય સન ફાર્મા, ભારતી એરટેલ, ઈન્ડસિન્ડ બેન્ક, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, એસબીઆઈ, HUL, એક્સિસ જેવા શેર્સ પણ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. ઈન્ફોસિસનો શેર પણ આજે પોતાની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી જતાં તેનું માર્કેટ કેપ 7 લાખ કરોડના સ્તરને વટાવી ગયું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.