ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક નિવેદનમાં કહ્યું કે કોવેક્સિન અને કોવિશિલ્ડ કોરોના રસીના મિશ્રિત ડોઝ વધારે કારગર સાબિત થઈ શકે છે.

કોરોના મહામારી સામે લડવા સમગ્ર દુનિયા સંપૂર્ણ રીતે પ્રયાસો કરી રહી છે. દેશ-વિદેશના વૈજ્ઞાનિકો આ મામલે કોઈ કસર નથી છોડી રહ્યા, કોરોનાની રસીને લઈ પણ કેટ કેટલી મથામણો કરવામાં આવી રહી છે. કોરોના રસીનો પ્રથમ અને બીજા ડોઝ માટે અલગ-અલગ વેક્સિનના વપરાશને લઈને વિશ્વભરમાં ઘણા ટ્રાયલ ચાલી રહ્યા છે. આ વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક સારી માહિતી જાહેર કરી છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક નિવેદનમાં કહ્યું કે કોવેક્સિન અને કોવિશિલ્ડ કોરોના રસીના મિશ્રિત ડોઝ વધારે કારગર સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે બંને વેકિસનના ડોઝ અપાયેલાના અભ્યાસમાં પોઝિટીવ રિઝલ્ટ સામે આવ્યું છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ દાવો કર્યો છે કે કોવેક્સીન અને કોવિશિલ્ડના કોકટેલ પરના અભ્યાસમાં વધુ સારા પરિણામો જોવા મળ્યા છે. આ ઉપરાંત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રસી માત્ર સુપરક્ષિત હોવાનુ જ નહીં, પરંતુ એડેનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ આધારિત રસીના મિશ્રણ વધુ સારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ કારગર નીવડે છે.
ભારતની ડ્રગ રેગ્યુલેટર DCGIની નિષ્ણાત પેનલે કોવિશિલ્ડ અને કોવેક્સિન કોરોના રસીના મિશ્રિત ડોઝ પર અભ્યાસ કરવા માટે ભલામણ કરી હતી. વેલ્લોરમાં ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ (સીએમસી) દ્વારા આ રીતના અભ્યાસ માટેની પરવાનગી માંગવામાં આવી હતી અને પછી આ ભલામણ સામે આવી છે.
આ અંગે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ જણાવ્યું કે આ અધ્યયનનો ઉદેશ્ય એ જાણવાનો છે કે એક જ વ્યક્તિને બે અલગ અલગ રસી ડોઝ આપી શકાય છે કે નહીં, તે માટે રસીકરણનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો. જો કોઈને કોવિશિલ્ડનો એક ડોઝ અને કોવોક્સિનનો એક ડોઝ આપવામાં આવે તો શું થાય અને તેની કેવી અસર થાય ? તે અંગે અભ્યાસ કરવામાં આવ્યો. જો કે, અભ્યાસમાં જાહેર થયેલા પરિણામોથી સાબિત થયુ છે કે કોવિશિલ્ડ-કોવેક્સિનના મિશ્ર ડોઝ અસરકારક નીવડે છે.
જુલાઈમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ચીફ વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી હતી કે કોઈએ પણ રસીને મિક્સ કરીને ડોઝ ના લેવા, જેના કારણે જોખમ ઉભુ થઈ શકે છે.












