CIA ALERT

ઇન્ડીયા Archives - Page 39 of 217 - CIA Live

September 28, 2022
india-vs-sa.png
1min568

ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ટી-20 શ્રેણીનો આજે તા.28મી સપ્ટેમ્બર 2022ને બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે. પ્રથમ મેચની પૂર્વ સંધ્યાએ આફ્રિકાના કપ્તાન ટેમ્બા બાવૂમાએ કહ્યંy કે ટીમ સામે સૌથી મોટો પડકાર શરૂઆતી ઓવરોમાં સ્વિંગ થતી ઝડપી બોલનો સામનો કરવાનો હશે. આ તકે બાવુમાએ ઓસ્ટ્રેલિયા સામે 2-1થી જીત મેળવનાર ભારતીય ટીમની પ્રશંસા કરી હતી અને વિશ્વસ્તરીય ગણાવી હતી.

મેચ પૂર્વેની પત્રકાર પરિષદમાં આફ્રિકી કેપ્ટન બાવુમાએ કહ્યું કે વર્લ્ડ કપની તૈયારી માટે બન્ને ટીમ માટે આ સિરીઝ ઘણી મહત્ત્વની છે. ભારતમાં નવા દડાથી બોલરોનો સામનો કરવો ચુનૌતિપૂર્ણ બની રહેશે. શરૂઆતમાં બોલ ઘણા સ્વિંગ થાય છે. અમે આફ્રિકાની જે પરિસ્થિતિમાં ટેવાયેલા છીએ એથી ભારતીય બોલરો વધુ સ્વિંગ કરે છે.

જો કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતીય ઝડપી બોલરો બહુ પ્રભાવિત કરી શકયા નથી. આમ છતાં બાવુમા કહે છે કે સફળતા માટે અમારે શરૂઆતી ઓવરમાં વિકેટ ગુમાવતા બચવું પડશે. બુમરાહ અને ભુવનેશ્વર જેવા બોલરો હંમેશા શરૂમાં પડકાર આપે છે. જો કે આ શ્રેણીમાં ભુવનેશ્વરને વિશ્રામ અપાયો છે. બાવુમા કહે છે કે રોહિત અને વિરાટ મોટા નામ છે. તેની સાથે ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે. તેમના દેખાવથી ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. અમે ભારત સામે ખુલીને રમશું. અમે બેસ્ટ ટીમ વિરૂધ્ધ શાનદાર પ્રદર્શનની કોશિશ કરશું.

September 26, 2022
dollarvsrupeee.jpg
1min472

મંદીના ભણકારા શેરબજારમાં વેચવાલી અને અન્ય કારણોસર વૈશ્વિક બજારમાં ડોલરમાં સતત ખરીદી જોવા મળી રહી છે. સોમવારે ભારતીય ચલણ રૂપિયો ડોલર સામે આજે પહેલા નોરતેં જ વધુ એક ઐતિહાસિક નીચી સપાટીએ ખુલ્યો હતો. શુક્રવારે 80.99 બંધ રહ્યા બાદ આજે રૂપિયો 81.52 ખુલ્યો હતો.

વૈશ્વિક બજારમાં પાઉન્ડ 1985 પછીની સૌથી નીચી સપાટીએ છે. એક પાઉન્ડ ડોલર સામે અત્યારે 1.03 ની સપાટીએ છે. 

વિશ્વના છ અન્ય ચલણ સામે ડોલરનું મૂલ્ય નક્કી કરતો ડોલર ઈન્ડેક્સ સોમવારે 113.75ની બે દાયકાની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

September 25, 2022
dhoni.jpg
1min499

મહેન્દ્ર સિંહ ધોની એક ખૂબ જ અંગત જીવન જીવવાનું પસંદ કરે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ તે રાંચીમાં એક સાદગીભર્યું જીવન વિતાવી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયાથી પણ દૂર રહે છે અને ભાગ્યે જ કશુંક પોસ્ટ કરે છે. તે લાઈમલાઈટથી પણ દૂર રહે છે અને કોઈ ચાહક તેમનો ફોટો ક્લિક કરવામાં સફળ રહે ત્યારે જ ક્યાંક જોવા મળે છે. 

જોકે ધોની હવે સોશિયલ મીડિયામાં એક ધમાકો કરવાની તૈયારીમાં છે. આજે તેઓ FACEBOOK સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ આવશે અને તેમણે પોતે જ એક ફેસબુક પોસ્ટ દ્વારા આ અંગેની જાણ કરી છે. ધોનીએ પોતે રવિવારે બપોરે 2:00 કલાકે ચાહકો સાથે એક ‘રોમાંચક સમાચાર’ શેર કરશે તેમ જણાવ્યું છે. 

ધોની ફેસબુક લાઈવ આવીને કઈ જાહેરાત કરશે તે હજુ રહસ્ય જ છે. ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસને પણ 2 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. જોકે તે હજુ પણ આઈપીએલ (IPL) રમે છે અને એવું માનવામાં આવે છે કે, આગામી આઈપીએલ ધોનીની અંતિમ આઈપીએલ હોઈ શકે છે. 

આ સંજોગોમાં ક્રિકેટના અને ખાસ કરીને ધોનીના ચાહકો તે ક્રિકેટ સંન્યાસ સાથે સંકળાયેલી કોઈ જાહેરાત તો નહીં કરેને તેવી અટકળો કરી રહ્યા છે. ધોનીએ પોતે આઈપીએલમાં પોતાના હોમ ગ્રાઉન્ડ એટલે કે, ચેન્નાઈ સુપરકિંગ્સના હોમ ગ્રાઉન્ડ પર અંતિમ મેચ રમવા ઈચ્છે છે તે જણાવી દીધેલું છે. 

September 25, 2022
5g.jpg
1min586

દેશમાં 5G સર્વિસ 1લી ઓક્ટોબરથી લોંચ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી ઓક્ટોબરના રોજ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવા લોંચ કરશે. મીડિયા અહેવાલો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં એશિયાના સૌથી મોટા ટેકનોલોજી એક્ઝિબિશન ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાનો શુભારંભ કરાવશે.

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને એશિયામાં સૌથી મોટો ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ફોરમ માનવામાં આવે છે. તેને સંયુક્ત રીતે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (Dot) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. 5Gની ઝડપ (સ્પીડ) 4G કરતાં 10 ગણી વધારે હશે. તેમા મોટા વિડિયો ગણતરીની સેકન્ડમાં જ ડાઉનલોડ કરી શકાશે. તેની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક ફિલ્મને ડાઉનલોડ કરવામાં 4G નેટવર્ક પર છ મિનિટનો સમય લાગે છે,જે 5G નેટવર્ક પર આ કામ ફક્ત 20 સેકન્ડમાં જ થઈ જશે.

અત્યાર સુધી દેશમાં લોકો 4G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. હવે 5Gના આગમન બાદ લોકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળવા લાગશે. તેનાથી સમય બચશે તેમ જ અનેક એપ્લિકેશનનો સરળતાથી ઉપયોગ કરી શકાશે. 5Gની મદદથી ગ્રાહકોનો અનુભવ અગાઉની તુલનામાં ઘણો સારો રહેશે, તે એક વર્ગ કિલોમીટરમાં આશરે એક લાખ સંચાર ઉપકરણોને સપોર્ટ કરશે.

5Gના આગમન બાદ મોબાઈલની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ જશે. 5Gની સ્પીડ 4G કરતાં 10 ગણી વધારે છે. 5Gના આગમનને લીધે ઓટોમેશન વધી જશે. અત્યાર સુધી બાબત ફક્ત શહેરો પૂરતી મર્યાદિત હતી તે ગામો સુધી પહોંચી જશે. ઈન્ટરનેટ ઓફ શિંગ્સ તથા ટેકનોલોજી IOT તથા રોબોટીક્સની ટેકનોલોજીને નવી પાંખ મળશે. દેશના અર્થતંત્રને ફાયદો થશે અને ઈ-ગવર્નન્સનું વિસ્તરણ થશે. કારોબાર, શિક્ષણ, હેલ્થ તથા કૃષિ ક્ષેત્ર જેવા સેક્ટરમાં ક્રાંતિ આવશે. 4G નેટવર્ક પર સરેરાશ ઈન્ટરનેટ સ્પીડ 45MBPS હોય છે પણ 5G નેટવર્ક પર તે વધીને 1000 MBPS સુધી પહોંચી જશે.

September 24, 2022
weather-forecast.jpg
1min523

હવામાન વિભાગે ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત ૧૭ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જારી કર્યો છે.

હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગણા, ઓડિશા, બિહાર, પશ્વિમ બંગાળ સહિત ૧૭ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી હતી. કેટલાક રાજ્યોમાં યેલ્લો એલર્ટ પણ જારી કર્યો છે. 

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા દેશના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર અને મધ્યપ્રદેશમાં સર્વાધિક વરસાદ થાય એવી શક્યતા છે. 

September 22, 2022
raid.jpg
1min458

આજે તા.22મી સપ્ટેમ્બર 2022ને ગુરુવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ EDએ આતંકવાદ સામેના અભિયાન અંતર્ગત 10થી વધુ રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડીયા સાથે સંકળાયેલા સેંકડો લોકો પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સીઓએ 10 જેટલા રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના પદાધિકારીઓના આવાસ અને કાર્યાલયો ખાતે દરોડા પાડ્યા છે. આ દરમિયાન 100થી પણ વધારે કેડરની ધરપકડ પણ કરવામાં આવી છે. આ પ્રકારની કાર્યવાહી બાદ પાર્ટીના કાર્યકરોએ કર્ણાટક અને કેરળમાં ભારે વિરોધ નોંધાવ્યો છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ટેરર ફન્ડિંગ, ટ્રેઈનિંગ કેમ્પ યોજવામાં સામેલ લોકોના આવાસ અને સત્તાવાર સ્થળોએ તલાશી હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં NIAની કાર્યવાહી ચાલુ છે. તપાસ એજન્સીઓએ 10થી પણ વધારે રાજ્યોમાં પ્રદેશ પોલીસ સાથે મળીને 100થી પણ વધારે કેડર્સની ધરપકડ કરી છે. તે સિવાય એનઆઈએએ તમિલનાડુમાં પણ કોઈમ્બતૂર, કુડ્ડલોર, રામનાદ, દિંડુગલ, થેની અને થેનકાશી સહિતના અનેક સ્થળોએ પીએફઆઈના પદાધિકારીઓના આવાસ ખાતે દરોડો પાડ્યો છે. તે સિવાય રાજધાની ચેન્નાઈમાં પીએફઆઈના પ્રદેશ હેડક્વાર્ટર ખાતે પણ તપાસ ચાલુ છે.

તપાસ એજન્સીઓએ પીએફઆઈના પ્રદેશ અને જિલ્લા સ્તરીય નેતાઓના ઘરે દરોડો પાડ્યો છે. સાથે જ મલપ્પુરમ જિલ્લાના મંજેરી ખાતે પાર્ટીના ચેરમેન સલામ પર પણ સકંજો કસાયો છે. સલામ સામેની કાર્યવાહીના વિરોધમાં પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન હાથ ધર્યું છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રવિવારે પણ આંધ્ર પ્રદેશના વિભિન્ન જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન પીએફઆઈના સદસ્યોને પુછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ હિંસા ભડકાવવા અને ગેરકાયદેસર ગતિવિધિઓ સાથે સંકળાયેલા કેસ અંતર્ગત કાર્યવાહી કરી હતી. તે દરમિયાન એનઆઈએના અધિકારીઓની 23 ટીમોએ નિઝામાબાદ, કુર્નૂલ, ગુંટૂર અને નેલ્લોર જિલ્લામાં આશરે 38 સ્થળોએ તપાસ હાથ ધરી હતી.

September 21, 2022
1min576

‘સબકો હસાને વાલા રુલા ગયા’પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રાવાસ્તવનું અવસાન થઈ ગયું છે. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમનાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પરિવારે આ વાતની જાણકારી આપી છે. 10 ઓગ્ષ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતા. ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના પરિવાર અને સહકાર્યકરો તરફથી સતત અપડેટ્સ મળી રહ્યા હતા. 

સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારાના સમાચાર પણ આવ્યા હતા પરંતુ હવે તેમના મૃત્યુના દુઃખદ સમાચારે બધાને મોટો આંચકો આપ્યો છે.

10 August 2022

રાજુ શ્રીવાસ્તવની ટીમ દ્વારા જણાવાયા અનુસાર તેઓ કોઈ કામસર દિલ્હી ગયા હતા ત્યારે જીમમાં ટ્રેડ મીલ પર વર્કઆઉટ કરી રહ્યા હતા. એ વખતે તેમને અચાનક છાતીમાં ભારે દુઃખાવો શરુ થયો હતો. 

તેમને તુરત જ દિલ્હી એઈમ્સમાં લઈ જવાયા હતા જ્યાં તેમને માઈલ્ડ હાર્ટ એટેક હોવાનું જણાતાં તરત જ સારવાર શરુ કરાઈ હતી. 

September 19, 2022
generic.jpg
1min528

ભારતમાં જેનેરિક દવાઓ પ્રત્યે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. હકીકતે તે દવાઓનો એક સલામત અને પરવડે તેવો વિકલ્પ છે. ભારતમાં જેનેરિક દવાઓની અગ્રણી ઓમની-ચેનલ રીટેઈલર મેડકાર્ટે તાજેતરમાં જ બે સમર્પિત ઓનલાઈન પ્લેટફૉર્મ લૉન્ચ કર્યા છે, જેમાંથી એક પોર્ટલ છે અને એક એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન છે, જે ગ્રાહકોને જેનેરિક દવાઓ શોધવા, તેના અંગે જાણકારી મેળવવા અને આ દવાઓ ખરીદવામાં મદદરૂપ બનશે.

દેશમાં લાંબાગાળાની અને જીવનશૈલી સંબંધિત બીમારીઓના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ કારણે પરિવારો પર તેનું આર્થિક ભારણ પણ વધી રહ્યું છે. જોકે તેમ છતાં ભારતીય દવાઓના કુલ વેચાણમાં જેનેરિક દવાઓનો માર્કેટ હિસ્સો ખૂબ જ સામાન્ય કહી શકાય તેવો છે.

એક અભ્યાસ પ્રમાણે કોઈ પણ બીમારી પાછળ થતાં કુલ ખર્ચામાંથી 76% ખર્ચો દવાઓ પાછળ થાય છે. ભારતની સરખામણીએ અમેરિકામાં 85% પ્રીસ્ક્રિપ્શનોમાં દવાઓના જેનેરિક્સના નામો લખવામાં આવે છે. જ્યારે ભારતમાં ડૉક્ટરો દ્વારા લખી આપવામાં આવતાં પ્રીસ્ક્રિપ્શનોમાંથી માંડ 1% પ્રીસ્ક્રિપ્શનમાં દવાઓના જેનેરિક નામ લખવામાં આવે છે. આ કારણે વિશેષ, સલામત અને પરવડે તેવા જેનેરિક વિકલ્પો અંગે જાગૃતિનો સર્વસામાન્ય અભાવ તેની લોકપ્રિયતા અને તેને મોટા પાયે અપનાવવાને આડે રહેલા મુખ્ય અવરોધોમાંથી એક છે. 

મેડકાર્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલા 2 ઓનલાઈન પ્લેટફૉર્મ ગ્રાહકોને જેનેરિક દવાઓ શોધવા, તેના અંગે જાણકારી મેળવવા અને આ દવાઓ ખરીદવામાં મદદરૂપ બનશે. ઉપયોગમાં સરળ એવા આ પ્લેટફૉર્મ પરથી જેનેરિક દવાઓ અંગેની માહિતી મળી રહેશે. તેની મદદથી ગ્રાહકો 99.9% સારવારની 4,000થી વધારે સલામત દવાઓના મોલેક્યુલ્સમાંથી સૌથી પરવડે તેવા વિકલ્પોને સમજીને પસંદ કરી શકશે.

મેડકાર્ટના સહ-સ્થાપક અંકુર અગ્રવાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘તેમના પ્લેટફૉર્મ પરથી કોઈ પણ વ્યક્તિ બ્રાન્ડના નામથી તેમજ મોલેક્યુલના નામથી પણ દવાઓ શોધી શકશે તથા ફક્ત ક્લિક અને સ્વાઈપ કરીને દરેક દવાની કિંમતો અને તેની સંરચનાની સરખામણી પણ કરી શકશે. ઉદાહરણ તરીકે કોઈ ડાયાબિટીસના દર્દીને સિટાગ્લિપ્ટિન લખી આપવામાં આવી હોય તો, તેઓ આ બ્રાન્ડના નામથી અથવા તેના મોલેક્યુલના નામથી સર્ચ કરી શકે છે તથા તેઓ તેના તમામ ઉપલબ્ધ વિકલ્પો અંગે જાણકારી મેળવી શકે છે અને તેની કિંમતોની સરખામણી પણ કરી શકે છે. તેનાથી ગ્રાહકો સૂચિત નિર્ણયો લઈ શકશે અને તેની ગુણવત્તા પ્રત્યે આશ્વસ્ત રહી શકશે, કારણ કે, મેડકાર્ટ પર રીટેઈલમાં વેચવામાં આવતી પ્રત્યેક જેનેરિક દવા ડબ્લ્યુએચઓ-જીએમપી પ્રમાણિત ઉત્પાદનકર્તાઓ પાસેથી મેળવવામાં આવે છે.’

September 19, 2022
fakefb.jpg
1min506

વિદ્યાર્થીઓના ડેટા મેળવીને તેમને ફોન કરીને ઓછા પૈસા અને ઓછી મહેનતમાં ડિગ્રી અને ડિપ્લોમા મેળવી આપવાની લાલચ આપતો હતો

ઉત્તર પ્રદેશમાં નોએડા પોલીસે સેક્ટર-63માંથી એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે જે દેશભરમાં બોગસ ડિગ્રીઓનું એક નેટવર્ક ચલાવી રહી હતી. આ ટોળકી 20થી 80 હજાર રૂપિયામાં MBA, MTech વગેરેની બોગસ ડિગ્રી અને ડિપ્લોમા ડિગ્રી વેચી રહી હતી. તેઓ ગૂગલ પર બોગસ જાહેરાત આપીને લોકોને ફસાવવાનું કામ કરતા હતા.

પોલીસે આ કેસમાં પટનાના રહેવાસી આનંદ શેખર અને નોએડાના રહેવાસી ચિરાગ શર્માની ધરપકડ કરી છે. બંને પાસેથી વર્ષ 2000, 2002 સુધીની બોગસ ડિગ્રી અને ડિપ્લોમા પણ મળી આવ્યા છે. ADCP સેન્ટ્રલ ઝોન સાદ મિયાંએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, પોલીસને સેક્ટર-63ની B-44 સ્થિત ઈમારતમાં નકલી માર્કશીટ, ડિપ્લોમા અને ડિગ્રી વેચવાનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી.

ત્યાર બાદ પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો જેમાં બે આરોપીઓ આનંદ અને ચિરાગની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેમના પાસેથી 85 બોગસ માર્કશીટ, 7 ખાલી માર્કશીટ, 8 નકલી સ્ટેમ્પ, 33 મોબાઈલ ફોન, 14 કોમ્પ્યુટર અને 55 સિમકાર્ડ મળી આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, નોએડા પહેલા બેંગલુરૂમાં પણ આ પ્રકારે ડિપ્લોમા અને ડિગ્રી વેચવાનો ધંધો કરવામાં આવ્યો હતો. બેંગલુરૂ પોલીસે જાન્યુઆરી 2022માં આનંદની ધરપકડ કરી હતી. ત્યાંથી જામીન મળ્યા બાદ માર્ચ 2022માં તેણે નોએડા આવીને ફરી પોતાનો ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. તેણે પોતે 10 વર્ષથી આ પ્રકારે બોગસ માર્કશીટ, ડિગ્રી અને ડિપ્લોમા વેચવાનું કામ કરી રહ્યો હોવાનો ખુલાસો કર્યો છે.

આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ દ્વારા જાહેરાત કરતો હતો. તેના માટે પ્રતિ દિવસના હિસાબથી 5,000 રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવતી હતી. આ જાહેરાતોમાં તે ડિગ્રી અને ડિપ્લોમાની લાલચ આપીને લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો અને એક વખત ફોન આવે અથવા તો કોઈ જાહેરાત પર ક્લિક કરે એટલે તે પોતે જ તે લોકોનો સંપર્ક કરતો હતો અને તેમને ઠગાઈનો શિકાર બનાવતો હતો.

તે સિવાય તે કોચિંગ સંસ્થાઓ, કોલેજીસ વગેરે પાસેથી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની વિગતો એકઠી કરીને તેમને ફોન કરતો હતો અને ઓછા પૈસા અને ઓછી મહેનતમાં ડિગ્રી અને ડિપ્લોમા મેળવી આપવાની લાલચ આપતો હતો. આ માટે તે પોતે વિદ્યા ભારતી ઈન્સ્ટિટ્યુટ અને એમ્પિરિયલ ઈન્સ્ટિટ્યુટનો સંચાલક હોવાનું જણાવતો હતો. જોકે વાસ્તવમાં આ નામના કોઈ ઈન્સ્ટિટ્યુટ જ નથી.

September 17, 2022
PM_Modi.jpg
1min582

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૨મો જન્મદિવસ દેશભરમાં ઉજવાય રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે ૧૭મી સપ્ટેમ્બરે દર વર્ષે ભાજપના કાર્યકરો અને કેન્દ્ર સરકાર ૨૦૧૪થી વિવિધ લોકસેવાના કાર્યક્રમો યોજે એ રીતે આજે પણ યોજવામાં આવ્યા છે. આ વર્ષે પણ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. દિવસ દરમિયાન મોદીના ચાર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

નામિબિયાથી ભારત પહોંચેલા આઠ ચિત્તાને નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડશે. એ સાથે જ દેશમાં ચિત્તાના પુનર્વસનનો પ્રોજેક્ટ શરૂ થશે. ત્રણ નર અને પાંચ માદા ચિત્તાને નામિબિયાથી બોઈંગ ૭૪૭ વિમાનમાં જયપુર લાવવાના હતા પરંતુ આયોજનમાં ફેરફાર થયો હતો. જયપુરને બદલે ચિત્તા ગ્વાલિયર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે મધ્યપ્રદેશ લાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આપબળે આગળ વધેલી મહિલા સાહસિકોના સંમેલનને સંબોધશે. વિશ્વકર્મા જયંતી હોવાથી પીએમ મોદી આઈટીઆઈના વિદ્યાર્થીઓને પણ સંબોધન કરશે. એ કાર્યક્રમમાં ૪૦ વિદ્યાર્થીઓ જોડાશે. મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ લોજિસ્ટિક પોલિસી લોંચ કરશે અને સાથે સાથે ભાષણ પણ આપશે.

દરમિયાન ભાજપે દેશભરમાં વિવિધ લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો દેશભરમાં ભાજપના યુનિટો દ્વારા થશે. મોદીના જન્મદિવસે ભાજપ વિવિધતામાં એકતા પ્રોગ્રામ અંતર્ગત ગરીબોને સહાય કરશે, દિવ્યાંગોને પણ મદદ કરશે. તે ઉપરાંત સ્વચ્છતા અભિયાન પણ ચલાવાશે. ભાજપ પીએમ મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને ગિફ્ટ ઓફ સેવા નામનું કેમ્પેઈન શરૂ કરશે. એમાં શ્રમદાનનું મહત્ત્વ સમજીને અલગ અલગ ક્ષેત્રમાં શ્રમદાન થશે. યુપી સહિતના ઘણાં રાજ્યોમાં તળાવોની સફાઈ જશે, ક્યાંક નદીકાંઠાનો કચરો સાફ થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ અલગ સમયે જુદા જુદા લોકોએ આપેલા ઉપહારોની હરાજી તેમના જન્મદિવસથી શરૂ થશે અને ગાંધીજયંતિ સુધી ચાલશે. ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ થોડા દિવસ પહેલાં મોદીએ કર્યું હતું, તેની પ્રતિકૃતિ આ ગિફ્ટમાં સામેલ છે. તે ઉપરાંત અયોધ્યા મંદિરનું મોડેલ, વારાણસીમાં કાશી-વિશ્વનાથના મંદિરનું મોડેલ વગેરે જેવી ગિફ્ટ, જે મોદીને અલગ અલગ સમયે મળી હતી તેની હરાજી નિયત કરાયેલી વેબસાઈટમાં થશે. આ ગિફ્ટમાં રમતવીરોએ પીએમને આપેલા ઉપહારોનો પણ સમાવેશ થાય છે. હરાજી માટે ૧૦૦ રૂપિયાથી ૧૦ લાખ સુધીની બેઝ પ્રાઈઝ નક્કી કરાઈ છે. આ હરાજીથી લગભગ ૨૦ કરોડ રૂપિયા મળે એવી શક્યતા છે. હરાજીમાંથી મળનારી ધનરાશિ નમામિ ગંગે પ્રોજેક્ટમાં આપવામાં આવશે.