CIA ALERT

ઇન્ડીયા Archives - Page 30 of 217 - CIA Live

September 20, 2024
tirupati.png
1min262
  • જગનના વિરોધમાં બહેન શર્મિલા: લાડુમાં મિલાવટના કૌભાંડની સીબીઆઈ તપાસની માગ

આંચકાજનક પર્દાફાશમાં તિરુપતિ દેવસ્થાનના તિરુપતિ મંદિરના પવિત્ર પ્રસાદમાં મટન ટેલો, માછલીનું તેલ અને પામ તેલ, ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હોવાનું પ્રકાશમાં આવતા હોબાળો મચી ગયો છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આરોપ મૂક્યો હતો કે વાયએસઆરસીપીની સરકારમાં તિરુપતિના લાડુના પવિત્ર પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબીવાળા ઘી સહિતના અશુદ્ધ તત્વોનો ઉપયોગ થતો હતો, પણ અમારી સરકાર આવતા અમે આ બધું સુધારી દીધું છે.

તેની સાથે તેમણે જગન સરકારે લોકોની ધાર્મિક લાગણી પર કુઠારાઘાત કરવાનો આરોપ મૂક્યો હતો. જો કે જગનની પાર્ટી વાયએસઆરપીએ આ દાવાને નકારી કાઢ્યો હતો. આ લેબ ટેસ્ટ ગુજરાતની લેબમાં કરાવવામાં આવ્યો હતો.નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઘએનડીડીબી)ની ગુજરાતની સેન્ટર ફોર એનાલિસિસિ એન્ડ લર્નિંગ ઇન લાઇવસ્ટોક એન્ડ ફૂડે આ રિપોર્ટ આપ્યો હતો. તિરુપતિ પ્રસાદમાં આ પ્રકારની મિલાવટ જગનની વાયએસઆરપી સરકારના કાર્યકાળમાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે વર્ષે કરોડો લોકો તિરુપતિ મંદિરની મુલાકાતે આવે છે.

તિરુપતિના લાડુનું વિતરણ તિરુપતિના શ્રી લેંકટેશ્વરા મંદિરે થાય છે. તેનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ (ટીટીડી) કરે છે. બુધવારે એનડીએની બેઠકમાં ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરના લાડુ ઉતરતી ગુણવત્તાવાળા તત્વોથી બનાવવામાં આવતા હતા. આમ કરીને લોકોની ધાર્મિક લાગણી સાથે રમત રમવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તિરુપતિ મંદિરમાં રોજના ત્રણ લાખ લાડવા બને છે અને તેના દર છ મહિને ટેન્ડર બહાર પાડવામાં આવે છે.

રાજ્યના આઇટી પ્રધાન નારા લોકેશે આ મુદ્દે વાયએસ જગન મોહન રેડ્ડી સરકારની ઝાટકણી કાઢી હતી. લોર્ડ વેંકટશ્વરા સ્વામિ મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. મને તે જાણી આંચકો લાગ્યો કે વાયએસ જગનમોહન રેડ્ડીનું તંત્ર તિરુપતિના પ્રસાદમમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબીનો ઉપયોગ કરતું હતું.

તેની સામે વાયએસઆરસીપીએ દાવો કર્યો છે કે ટીડીપી ફક્ત રાજકીય માઇલેજ મેળવવા માટે આ પ્રકારના આક્ષેપ કરી રહી છે. પક્ષનો દાવો છે કે આ પ્રકારના નિવેદનો કરીને નાયડુએ પોતે કરોડો લોકોની લાગણી પર કુઠારાઘાત કર્યો છે. પક્ષના આગેવાન સુબ્બા રેડ્ડીએ લખ્યું હતું કે આ ફરીથી પુરવાર થયું છે કે નાયડુ તેમના રાજકીય ફાયદા માટે કોઈપણ પ્રકારની પગલું ભરતાં અચકાશે નહીં.

જ્યારે કોંગ્રેસે પણ આ બાબતને લઈને અગાઉની વાયએસઆર કોંગ્રેસની સરકારની ઝાટકણી કાઢી હતી. ભૂતૂપર્વ મુખ્યપ્રધાનની બહેન અને કોંગ્રેસની પક્ષપ્રમુખે ઉચ્ચસ્તરીય સીબીઆઈ તપાસની માંગ કરી હતી. તેણે જણાવ્યું હતું કે કરોડો લોકોની આસ્થા સાથે રમત રમાઈ છે અને જો અગાઉની સરકારને એમ લાગતું હોય કે તેમણે કશું ખોટું કર્યું નથી તો તેમણે સીબીઆઈ તપાસનો સામનો કરવો જોઈએ.

September 19, 2024
one-nation.png
1min304

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં એક દેશ એક ચૂંટણી (One Nation-One Election)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મોદીના નેતૃત્વ હેઠળની બેઠકમાં આજે એકસાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ અગાઉ કેન્દ્ર સરકારને વન નેશન-વન ઈલેક્શનની સંભાવના અંગે માર્ચ મહિનામાં રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં જે કોઈ મંતવ્યો આપ્યા હતા, તેમાં ખાસ કરીને લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાની ભલામણ કરવામાં આવી હતી.

પૂર્વ રાષ્ટ્રપતિની ભલામણનું સમર્થન આપ્યું સરકારે

આ બંનેની ચૂંટણી યોજ્યાના 100 દિવસમાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી યોજવાની પણ ભલામણ કરી હતી. હાલના તબક્કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ યોજવામાં આવે છે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વન નેશન-વન ઈલેક્શનની પણ ભલામણને સમર્થન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓને વન નેશન વન ઈલેક્શન યોજવા માટે અનુરોધ કરું છું, જે અત્યારના સમયની જરુરિયાત છે.

32 રાજકીય પક્ષોનું મળ્યું સમર્થન

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દે 62 પક્ષનો સંપર્ક કર્યો હતો, જ્યારે તેના જવાબ આપનારા 47 પક્ષમાંથી 32 પાર્ટીએ સમર્થન આપ્યું હતું, જ્યારે પંદર પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો. રિપોર્ટના અનુસાર પંદર પક્ષે કોઈ જવાબ આપ્યો નહોતો.

ચૂંટણી પરના ખર્ચમાં બચત થઈ શકે

કેબિનેટની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એકસાથે ચૂંટણી યોજવાને કારણે અનેક રીતે ફાયદો થશે. ચૂંટણી પર થનારા ખર્ચમાં બચત થશે, જ્યારે વારંવાર ચૂંટણી યોજવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. વિકાસલક્ષી વિવિધ કામકાજ પર ફોક્સ કરી શકાશે, જ્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા પર પણ અસર પડી શકે છે.

September 18, 2024
funding-drop.jpg
1min322

સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૪.૩ કરોડ ડોલરના ફંડિંગ સાથે સ્ટાર્ટઅપ માટે વર્ષનો સૌથી ખરાબ તબક્કો

સ્ટાર્ટઅપ ફંડિંગ એક વર્ષના નવા તળિયે

કોરોના મહામારીના તબક્કામાં કૂદકે ને ભૂસકે બિલાડીની ટોપની માફક ફાટી નીકળેલા સ્ટાર્ટઅપ્સના હવે પાણી ઓસરી રહ્યાં છે અને ફંડની ભારે અછતનો માહોલ સર્જાઈ રહ્યો છે. ૨૦૨૨ના અંતથી શરૂ થયેલા ફંડિંગ વિન્ટરની સ્થિતિ સુધરી રહી હતી પરંતુ ફરી છેલ્લા એકાદ-બે મહિનામાં સુસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું તો ફંડિંગ મામલે અનેક રેકોર્ડ તોડતું નજરે પડયું છે.

સમગ્ર વિશ્વ અને ભારતમાં બે વર્ષથી સ્ટાર્ટઅપ માટે ભંડોળ ભેગું કરવું મુશ્કેલ બન્યું છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૪.૩ કરોડ ડોલરના ફંડિંગ સાથે સ્ટાર્ટઅપ માટે વર્ષનો સૌથી ખરાબ તબક્કો રહ્યો છે. બીજા પખવાડિયામાં પણ સમાન સ્થિતિ રહેશે તો ભારત માટે આ રેકોર્ડ ખરાબ તબક્કો હશે.

ભારતના વેન્ચર કેપિટલ માર્કેટમાં પણ ફંડ એકત્રીકરણ ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર ધીમું પડયું છે. ૨૦૨૪ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં માત્ર ૧.૩ અબજ ડોલરના કમિટમેન્ટ સાથે ૨૧ નવા વેન્ચર કેપિટલ ફંડ્સ બંધ થયા હતા તેમ પિચબુકના એક રિપોર્ટમાં જણાવાયું છે. સમગ્ર ૨૦૨૩ની વાત કરીએ તો ગત વર્ષે કુલ ૨૩ નવા ફંડોએ ૧.૭ અબજ ડોલર ઊભા કર્યા હતા.

લાંબાગાળાની એવરેજ પર નજર કરીએ તો ૨૦૧૫થી દર વર્ષે ૩૮-૪૯ નવા વેન્ચર કેપિટલ ફંડ્સ બંધ થયા હતા, જેમાં ૨.૪-૪.૫ અબજ ડોલર વચ્ચેની પ્રતિબદ્ધતાઓ હતી. જોકે ૨૦૨૨ એક શાનદાર વર્ષ રહ્યું હતું જેમાં વૈશ્વિક સ્તરે નીચા વ્યાજ દરો અને કોરોના બાદના બૂમને કારણે ૭૮ નવા વીસી ફંડોએ ૧૧ અબજ ડોલર એકત્ર કર્યા હતા. જોકે તેમાંથી નોંધપાત્ર હિસ્સો હજી સુધી સ્ટાર્ટઅપને નથી મળ્યો.

એક્ઝિટની વાત કરીએ તો વેન્ચર કેપિટલો આ વર્ષે જૂન સુધી ૩૦ એક્ઝિટ ડીલ કરવામાં સફળ રહ્યા છે, જેનું સંયુક્ત મૂલ્ય ૧.૨ અબજ ડોલર રહ્યું છે. તેની સરખામણીમાં ૨૦૨૩માં ૧૦૫ એક્ઝિટ ડીલમાં કુલ ૪.૮ અબજ ડોલર પરત ખેંચાયા હતા તેમ પિચબુકના ડેટા જણાવે છે.

September 18, 2024
supreme.jpg
1min283

દેશમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત કૃત્યના આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી દેવાનો ટ્રેન્ડ (Bulldozer action) વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) અગાઉ બુલડોઝર એક્શન સામે લાલ આંખ કરી હતી. Date 17 September મંગળવારે સુપ્રીમ કોર્ટે સમગ્ર ભારતમાં બુલડોઝર ડિમોલિશનને 1 ઓક્ટોબર સુધી રોક લગાવી દીધી છે, જોકે જાહેર રસ્તાઓ, જળાશયો, રેલ્વે લાઇન પર ડિમોલિશન કરી શકાશે.

સુપ્રીમ કોર્ટ કહ્યું કે મ્યુનિસિપલ કાયદા હેઠળ મિલકતોને ક્યારે અને કેવી રીતે તોડી શકાય તે અંગે અમે નિર્દેશો બનાવીશું.

ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હૃષિકેશ રોય, સુધાંશુ ધુલિયા અને એસવીએન ભાટીની બનેલી સર્વોચ્ચ અદાલતની બેન્ચે “બુલડોઝર જસ્ટીસ”ની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કાયદો સર્વોચ્ચ હોય તેવા દેશમાં આ રીતે ઘર તોડી પાડવું અસ્વીકાર્ય છે.

ગુજરાતમાં ખેડા જિલ્લાના કાઠલાલમાં પ્રશાસને એક પરિવારના ઘરને બુલડોઝ કરવાની ધમકી આપી હતી, પરિવારના એક સભ્યનું નામ FIRમાં છે. જમીનના સહ-માલિક અરજદારે પ્રસાશન એક્શન સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે તેમના પરિવારની ત્રણ પેઢીઓ આ મકાનોમાં લગભગ બે દાયકાથી રહે છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, “એક દેશમાં જ્યાં રાજ્યના એક્શન કાયદાના શાસન દ્વારા સંચાલિત થાય છે, ત્યાં પરિવારના એક સભ્ય દ્વારા કરાયેલા કાયદાના ઉલ્લંઘન બદલ પરિવારના અન્ય સભ્યો પર કે તેમના કાયદેસર રીતે બાંધવામાં આવેલા નિવાસસ્થાન સામે કાર્યવાહી કરી શકાય નહીં. ગુનામાં કથિત સંડોવણી મિલકતને તોડી પાડવા માટે કારણ ન હોઈ શકે.”

September 18, 2024
harmanpreet-singh-act-win-600-1726599585.jpg
1min366

કેપ્ટન હરમનપ્રીતે મદદ કરતા જુગરાજે ગોલ કરીને ઈતિહાસ રચાવ્યો

એશિયન ચેમ્પિયન ટ્રોફી 2024ની ફાઈનલમાં ભારતીય હોકી ટીમે ચીનને 1-0થી હરાવ્યું. મેચની શરુઆતમાં બંને ટીમ તરફથી કોઈ ગોલ કરવામાં આવ્યો નહોતો, ત્યાર બાદ અંતિમ પડાવમાં જુગરાજ સિંહે છેલ્લી મિનિટમાં ગોલ કરીને ભારતીય ટીમને પાંચમી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું ગૌરવ અપાવ્યું છે.

સતત પાંચમી વખત ભારતીય ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ચીને પહેલી વખત ફાઈનલ સુધી પહોંચ્યું હતું, પરંતુ પહેલી વખત ડ્રેગન ઘરભેગું થયું હતું. પહેલા ક્વાર્ટરમાં બંને ટીમ તરફથી એક પણ ટીમ એક પણ ગોલ કરી શકી નહોતી. ભારતીય ટીમે ગોલ કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી નોહતી. ભારતીય ટીમને એક તબક્કે બે પેનલ્ટી કોર્નર પણ મળ્યા હતાં. બીજા ક્વાર્ટરમાં બંને ટીમ તરફથી કોઈ ગોલ કરી શકી નહોતી. ચીનનું ડિફેન્સ મજબૂત રહ્યું હતું, જ્યારે ભારતીય ટીમનું આક્રમક પ્રદર્શન પણ કાબીલે દાદ આપનારું રહ્યું હતું.

ત્રીજા ક્વાર્ટરમાં ચીન તરફથી અનેક વખત આક્રમણ થયું હતું, પરંતુ ભારતીય ગોલકીપર કૃષ્ણા પાઠક આગળ કંઈ કરી શક્યા નહોતા. જોકે, આજની મેચમાં છેલ્લે છેલ્લે ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે મદદ કરતા છેલ્લી ઘડીએ જુગરાજ ગોલ કરવામાં સફળ રહ્યો હતો. જુગરાજે 51મી મિનિટમાં ગોલ દાગીને ચીનને પરાસ્ત કરવામાં સિંહફાળો આપ્યો હતો. આ જીત સાથે ભારતીય ટીમને ગોલ્ડ મળ્યો છે, જ્યારે ચીનને સિલ્વર મેડર જીત્યો છે. બીજી બાજુ પાકિસ્તાન ત્રીજા ક્રમે રહ્યું છે. પાકિસ્તાને દક્ષિણ કોરિયાને 5-2થી હરાવ્યું છે.

અહીં એ જણાવવાનું કે ભારતીય હોકી ટીમનું એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. લાગલગાટ તબક્કાવાર ધુરંધર ટીમોને હરાવી હતી. છેલ્લે સેમી ફાઈનલમાં ભારતીય ટીમે દક્ષિણ કોરિયાની ટીમને આક્રમક રીતે હરાવ્યું હતું. સેમી ફાઈનલની મેચમાં કોરિયાઈ ટીમ સામે હરમનપ્રીત સિંહ, ઉત્તમ સિંહ અને જરમનપ્રીત સિંહે ગોલ કર્યો હતો. કેપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યાં હતા.

September 18, 2024
Atishi-Marlena.jpeg
1min350

દિલ્હીના આગામી મુખ્ય પ્રધાન આતિશી( Atishi Marlena) બનશે. અરવિંદ કેજરીવાલે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.
જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ, કેજરીવાલે રવિવારે પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરતા જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસમાં રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. AAP ના વિધાનસભ્યોએ મુખ્ય પ્રધાન પદના સંભવિત ઉમેદવારોની ચર્ચા કરવા માટે બેઠકો યોજી હતી.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ મંગળવારે સાંજે 4:30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મળશે અને તેમનું રાજીનામું સોંપે તેવી શક્યતા છે.

અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP)ના વિધાનસભ્ય દળની બેઠકમાં અતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિધાનસભ્યો સંમત થયા હતા.

અગાઉ, આમ આદમી પાર્ટી (AAP)ની પોલીટીકલ અફેર્સ કમિટી (PAC)ના નેતાઓએ દિલ્હીના આગામી મુખ્ય પ્રધાન તરીકે આતિશીનું નામ સૂચવ્યું હતું. ગઈકાલે સોમવારે PACની બેઠક યોજાઈ હતી.

August 27, 2024
rajyasabha.jpg
2min272

રાજ્યસભાની પેટાચૂંટણીમાં ભાજપના નવ સભ્યો અને સાથી પક્ષોના બે સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવતાં સત્તારૂઢ એનડીએ ગૃહમાં બહુમતીના આંકડા સુધી પહોંચી ગયું હતું. નવ સભ્યોના ઉમેરા સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 96 પર પહોંચી ગયું છે જ્યારે એનડીએનું સંખ્યાબળ 112 પર પહોંચી ગયું છે. અન્ય બિનહરીફ ચૂંટાયેલા સભ્યોમાં એનડીએના ઘટકપક્ષો એનસીપી (અજિત પવાર જૂથ)ના નીતિન પાટીલ અને રાષ્ટ્રીય લોક મંચના ઉપેન્દ્ર કુશવાહાનો સમાવેશ થાય છે. શાસક ગઠબંધનને છ નોમિનેટેડ સભ્યો અને એક અપક્ષ સભ્યનું સમર્થન પણ છે.

આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના એક સભ્ય પણ બિનવિરોધ ચૂંટાયા છે, જેના કારણે રાજ્યસભામાં વિપક્ષની સંખ્યા વધીને 85 થઈ ગઈ છે.

રાજ્યસભામાં 245 બેઠકો છે, જોકે હાલમાં આઠ બેઠકો જમ્મુ-કાશ્મીરમાંથી ચાર અને ચાર નોમિનેટેડ બેઠક ખાલી છે. ગૃહની વર્તમાન સભ્ય સંખ્યા 237 છે, બહુમતીનો આંકડો 119 છે.

બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોમાં

  • આસામના મિશન રંજન દાસ અને
  • રામેશ્વર તેલી,
  • બિહારથી મનન કુમાર મિશ્રા,
  • હરિયાણાથી કિરણ ચૌધરી,
  • મધ્ય પ્રદેશથી જ્યોર્જ કુરિયન,
  • મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ,
  • ઓડિશાના મમતા મોહંતા,
  • ત્રિપુરાના રાજીવ ભટ્ટાચારજી અને
  • રાજસ્થાનના રવનીત સિંહ બિટ્ટુનો સમાવેશ થાય છે.

તેલંગણામાંથી કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે એનસીપીના અજિત પવાર જૂથના નીતિન પાટીલ મહારાષ્ટ્રમાંથી ચૂંટાયા છે અને આરએલએમના ઉપેન્દ્ર કુશવાહા બિહારથી ઉપલા ગૃહમાં પહોંચ્યા છે.

રાજ્યસભાની પેટાચૂંટણીમાં મતદાન પહેલાં જ ભાજપનું ખાતું ખૂલ્યું, રવનીત સિંહ બિટ્ટુ, ઉપેન્દ્ર કુશવાહા અને મનન મિશ્રા બિનહરીફ ચૂંટાયા

એનડીએ છેલ્લા એક દાયકાથી રાજ્યસભામાં બહુમતનો આંકડો હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનાથી તેના માટે બિલ પાસ કરાવવામાં સરળતા રહેશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં વિપક્ષે વારંવાર સરકારી બિલોને ઉપલા ગૃહમાં રોકી પાડ્યા હતા.
બહુમતીના આંકને સ્પર્શ્યા પછી ભાજપે મહત્વના બિલો પસાર કરવા માટે હવે બીજેડી, વાયએસઆર, બીઆરએસ, એઆઈએડીએમકે જેવા પક્ષો પર આધાર રાખવો પડશે નહીં.

બીજી તરફ કોંગ્રેસની રાજ્યસભામાં વિપક્ષના નેતાની ખુરશી પણ સુરક્ષિત રહેશે. રાજ્યસભામાં કોંગ્રેસના સંખ્યાબળમાં એકનો વધારો થતાં આ સંખ્યા બળ હવે 27 થયું છે, જે વિપક્ષના નેતા પદ માટે જરૂરી 25 બેઠકો કરતાં બે વધુ છે.

August 27, 2024
jay-shah.png
1min292

ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના ચૅરમૅનપદે ત્રીજા ભારતીય: દાલમિયા અને પવાર પ્રમુખપદે હતા

બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહ આગામી પહેલી ડિસેમ્બરે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના નવા ચૅરમૅન તરીકેનો હોદ્દો સંભાળશે. તેઓ મંગળવારે આ સર્વોચ્ચ પદ પર બિનહરીફ ચૂંટાયા હતા.

જય શાહ 35 વર્ષના છે અને આઇસીસીના સૌથી યુવાન અધ્યક્ષ બન્યા છે. તેઓ ચૅરમૅનપદ મેળવનાર એન. શ્રીનિવાસન (2014-’15) અને શશાંક મનોહર (2015-2020) પછીના ત્રીજા ભારતીય છે. ન્યૂ ઝીલૅન્ડના 62 વર્ષીય ગ્રેગ બાર્કલે પોણાચાર વર્ષ આ હોદ્દા પર રહ્યા હતા. તેઓ બે વર્ષની મુદતની ત્રીજી મુદત માટે તૈયાર ન હોવાથી ચૂંટણી થઈ હતી જેમાં જય શાહ એકેય પ્રતિસ્પર્ધી ન હોવાને કારણે સરળતાથી ચૂંટાયા હતા.

ખરેખર તો અગાઉ આઇસીસીના પ્રમુખ આ ક્રિકેટ સંસ્થાના સર્વોચ્ચ શાસક ગણાતા હતા, પરંતુ 2016માં પ્રમુખપદની પ્રથા બંધ કરવામાં આવી હતી અને ત્યારથી ચૅરમૅનનો માનદ હોદ્દો સર્વોચ્ચ ગણાય છે.

ભારતના જગમોહન દાલમિયા (1997-2000) અને શરદ પવાર (2010-2012) આઇસીસીના પ્રમુખપદે હતા.

જય શાહ ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર છે. જય શાહ 2019ની સાલથી ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી છે. તેઓ આઇસીસીના વહીવટમાં મોખરાનું (હાઈ-પ્રોફાઇલ) સ્થાન મેળવનાર (શ્રીનિવાસન, મનોહર, દાલમિયા અને પવાર પછીના) પાંચમા ભારતીય છે.

જય શાહ ક્રિકેટનો વિશ્ર્વભરમાં ફેલાવો કરવા માટે મક્કમ છે અને એ માટે તેઓ આઇસીસીની ટીમ તથા મેમ્બર-રાષ્ટ્રો સાથે મળીને કામ કરવા ઉત્સુક છે. તેમણે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ‘મને આઇસીસીનું ચૅરમૅનપદ મળ્યું એ બદલ ખુશી અને ગૌરવ અનુભવું છું. ક્રિકેટના તમામ ફૉર્મેટ વિશે સંતુલન જાળવવા, અદ્યતન ટેક્નોલૉજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમ જ મોટી ક્રિકેટ-ઇવેન્ટ્સને વૈશ્ર્વિક સ્તરે લઈ જવા માગું છું.’

આઇસીસીની 75 ટકાથી વધુ કમાણી ક્રિકેટજગતની સૌથી શ્રીમંત બીસીસીઆઇ દ્વારા ઊભી કરવામાં આવતી હોય છે. એવું મનાય છે કે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડમાંથી કોઈ એક દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા ચૅરમૅનપદ માટે જય શાહનું નામ સૂચવવામાં આવ્યું હતું અને બીજા એક દેશના બોર્ડ દ્વારા તેમને સપોર્ટ કરવામાં આવ્યા હતા.

આઇસીસીના બંધારણ મુજબ કુલ 17 વોટ ધ્યાનમાં લેવાતા હોય છે. એમાં 12 ટેસ્ટ-પ્લેઇંગ રાષ્ટ્ર, ચૅરમૅન, ડેપ્યૂટી ચૅરમૅન, બે અસોસિયેટ મેમ્બર-રાષ્ટ્ર અને એક અપક્ષ મહિલા ડિરેકટરનો સમાવેશ હતો.

આગામી ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે અને એ બાબતમાં મહત્ત્વના નિર્ણયો લેવાનું સૌથી પહેલું કામ જય શાહે પાર પાડવું પડશે.

August 27, 2024
kangana.png
1min250

ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતના ખેડૂતોને લગતા વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. કંગનાના નિવેદન પર યુનાઇટેડ કિસાન મોરચા ઉપરાંત કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓ ભાજપ પર આકરા પ્રહારો કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પણ કંગનાનું નામ લીધા વિના તેની ટીકા કરી છે.

રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરી

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી લખ્યું કે, ‘આ શરમજનક ખેડૂત વિરોધી શબ્દો પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિત સમગ્ર દેશના ખેડૂતોનું અપમાન છે, જે કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. ખેડૂતોનું આંદોલન પાછું ખેંચતી વખતે રચાયેલી સરકારી સમિતિ હજુ પણ કોલ્ડ સ્ટોરેજમાં છે, સરકાર એમએસપી પર આજ સુધી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી શકી નથી, શહીદોના પરિવારોને કોઈ રાહત આપવામાં આવી નથી. અન્નદાતાઓનો અનાદર કરીને અને તેમની ગરિમા પર પ્રહાર કરીને મોદી સરકાર દ્વારા ખેડૂતો સાથે કરાયેલો વિશ્વાસઘાત છુપાવી શકાય તેમ નથી. નરેન્દ્ર મોદી અને ભાજપ ગમે તેટલું કાવતરા કરે, પરંતુ ઇન્ડિ ગઠબંધન ખેડૂતોને એમએસપીની કાયદેસર ગેરંટી આપવાનું ચાલુ રાખશે.’

મલ્લિકાર્જુન ખડગેનો પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કંગનાના નિવેદનને લઈને ભાજપ અને પીએમ મોદીને ઘેર્યા છે. ટ્વિટર પર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ પોતે સંસદમાં ખેડૂતોને “આંદોલનકારી” અને “પરજીવી” ગણાવ્યા હતા. સંસદમાં શહીદ ખેડૂતો માટે બે મિનિટનું મૌન પાળવાનો પણ ઇનકાર કર્યો હતો. મોદીજીએ એમએસપી પર કમિટી બનાવવા અને ખેડૂતોની આવક બમણી કરવાનું ખોટું વચન પણ આપ્યું હતું. જ્યારે મોદીજી પોતે આ બધું કરી શકે છે, તો પછી દેશ તેમના સમર્થકો પાસેથી શહીદ ખેડૂતોના અપમાન સિવાય બીજી શું અપેક્ષા રાખી શકે? આ શરમજનક અને અત્યંત નિંદનીય ખેડૂત વિરોધી વિચારધારા મોદી સરકારનો ડીએનએ છે.’

ખેડુત નેતા ટિકૈતે નિવેદન આપ્યું

કંગનાના નિવેદનની ટીકા કરતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું, ’13 મહિનાના ખેડૂતોના આંદોલનમાં 400 ખેડૂત સંગઠનો અને લાખો ખેડૂતોની હાજરી હોવા છતાં હિંસા નથી થઇ, 700થી વધુ ખેડૂતો શહીદ થયા, પરંતુ ખેડૂતોએ પોતાનો સંયમ નથી ગુમાવ્યો. તે અંગે બીજેપી સાંસદ કંગના રણૌતનું નિવેદન શહીદ ખેડૂતો અને દેશના કરોડો ખેડૂતોનું અપમાન છે.’

ભાજપે કંગના રણૌતના નિવેદનથી અસંમતિ વ્યક્ત કરીને પોતાને દૂર કરી છે, ભાજપના સેન્ટ્રલ મીડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, પાર્ટીએ મંડીના સાંસદને ભવિષ્યમાં આવું કોઈ નિવેદન ન આપવા માટે પણ સૂચના આપી હતી.

શું હતું કંગનાનું નિવેદન?

મીડિયા એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું હતું કે, ‘પંજાબમાં ખેડૂતોના આંદોલનના નામે બદમાશો હિંસા ફેલાવી રહ્યા છે અને ત્યાં બળાત્કાર અને હત્યાઓ થઈ રહી છે. જો ભાજપનું ટોચનું નેતૃત્વ મજબૂત ન રહ્યું હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઇ હોત. ત્રણ કૃષિ બિલો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા, નહીં તો આ બદમાશોની ખૂબ લાંબી યોજના હતી અને તેઓ દેશમાં કંઈપણ કરી શક્યા હોત.’

August 26, 2024
jharkhand.png
1min365

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યનાં રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે. રાંચીમાં ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ની રેલી દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે મારમારીની કથિત ઘટનામાં સામેલ ઓળખી કઢાયેલી 51 લોકો સહિત 12000 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

ભાજપના કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક નેતા સામે FIR

ઝારખંડ ભાજપના અધ્યક્ષ બાબુલાલ મરાંડી (Babulal Marandi), વિધાનસભામાં વિપક્ષના નેતા અમર કુમાર બાઉરી (Amar Kumar Bauri), કેન્દ્રીય મંત્રી સંજય સેઠ (Sanjay Seth) અને પૂર્વ કેન્દ્ર મંત્રી અર્જુન મુંડા (Arjun Munda) સહિત ભાજપ (BJP)ના ઘણા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કાર્યવાહી બાદ ભાજપના નેતાઓ ભડક્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન (CM Hemant Soren) સામે ગંભીર આક્ષેપ કર્યો છે.

વિનાશ કારે વિપરીત બુદ્ધિ : બાબુલાલ મરાંડી

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, ‘વિનાશ કારે વિપરીત બુદ્ધિ ! અમને માહિતી મળી છે કે, મોરાબાદી મેદાનમાં યુવા આક્રોશ રેલી યોજાઈ હતી, જેની સફળતા જોઈ મુખ્યમંત્રી હેમંત સોરેન ગભરાઈ ગયા છે અને મારા તેમજ ઝારખંડ ભાજપના નેતાઓ-કાર્યકર્તાઓ સહિત હજારો યુવા સાથીઓ પર કેસ નોંધાવ્યો છે.’

ઘટના અંગે રાંચી પોલીસે શું કહ્યું?

રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચંદન કુમાર સિંહે મીડિયાને કહ્યું કે, ‘મેજિસ્ટ્રેટ નિવેદન બાદ રાંચીના લાલપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ લોકો વિરુદ્ધ ટુંક સમયમાં કાર્યવાહી કરાશે.’ આ રેલી હેમંત સોરેન સરકારે કરેલા અન્યાય અને ચૂંટણી વચનો પૂરા કરવામાં નિષ્ફળતા વિરુદ્ધ યોજવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ભાજપ યુવા વિંગના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને બેરિકેડ્સ પણ તોડવામાં આવ્યા હતા.