ગંગા નદીને સાફ કરાવવાની માગણી સાથે બાવીસમી જૂનથી આમરણ ઉપવાસ પર ઉતરેલા પ્રખ્યાત ૮૭ વર્ષના પર્યાવરણવાદી અને સમાજસેવક જી.ડી. અગરવાલનું ઋષિકેશમાં આવેલી એઇમ્સની હૉસ્પિટલમાં હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. બાવીસમી જૂનથી ઉપવાસ પર ઉતરેલા અગરવાલને બુધવારે દસમી ઑક્ટોબરે ૧૧ ઉપવાસ પછી બળજબરીથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેઓ ગંગાની સુરક્ષા માટે અને ગંગોત્રીથી ઉત્તરકાશી સુધી ગંગાના વહેણમાં કોઇ અડચણ ન આવે એ માટે કાયદો ઘડવાની માગણી કરી રહ્યા હતા. તેઓ સ્વામી જ્ઞાન સ્વરૂપ સાણંદ તરીકે પણ એમને ઓળખવામાં આવતા હતા. ૧૧૧ દિવસના ઉપવાસ બાદ બુધવારે પોલીસે એમને હરિદ્વારથી ઋષિકેશના એઇમ્સમાં ખસેડયા હતા.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગંગાને સાફ કરવાની માગણી કરતા આ મહાનુભાવ ઉપવાસ દરમિયાન ફક્ત મધ મેળવેલું પાણી જ પીતા હતાં. એમની માગણી માટેની વાટાઘાટ નિષ્ફળ ગયા બાદ કથિત રીતે બે દિવસ અગાઉ એમણે પાણી પીવાનું પણ બંધ કર્યું હતું. તેઓ આઇઆઇટી, કાનપુરના ભૂતપૂર્વ પ્રોફેસર હતા અને એમણે કેન્દ્રીય પ્રદૂષણ ક્ધટ્રોલ બૉર્ડમાં સભ્ય, સચિવ તરીકે પણ કામ કર્યું હતું.
આ અગાઉ પણ એમણે નદીઓને બચાવવા ઉપવાસ આંદોલન કર્યા હતા. ૨૦૦૯માં ભાગીરથી નદી પર બંધાતા બાંધને રોકવા માટે એમણે કરેલા ઉપવાસ સફળ થયા હતા.




















