
આવતીકાલ રવિવાર તા.25મી નવેમ્બર 2018ના રોજ રામજન્મભૂમિ અયોધ્યા ખાતે યોજાઇ રહેલી ધર્મસભામાં દેશભરમાંથી બે લાખથી વધુ લોકો ઉમટી પડવાની વાતે લઘુમતિ સમુદાયના પરિવારોની અસુરક્ષા અહેવાલો વાઇરલ થતાં ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવડાવી છે. રાજ્ય સરકારે લખનઉ ઝોનના એડીજી આશુતોષ પાંડેય અને ઝાંસી રેન્જના આઈજી એસએસ બઘેલને સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ માટે સતત સ્ટેન્ડ ટુ રહેવાની સૂચના આપી છે. અયોધ્યામાં આજે ધર્મસભાના અેક દિવસ પૂર્વે એવો માહોલ છે કે જાણે કોઇ મોટી નવાજૂની થવાની ન હોય.
વિશ્વ હિન્દુ પરિષદના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવાર તા.25મી નવેમ્બરની ધર્મસભામાં 1,322 બસો અને 1,546 ફોર વ્હીલર્સમાં 80 હજારથી વધુ કાર્યકરો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 14 હજાર કાર્યકરો મોટરસાઈકલ પર આવશે અને 15 હજાર કાર્યકર્તાઓ ટ્રેન મારફતે અયોધ્યા પહોંચશે.
અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટે સતત સક્રીય રહેતા દેશના બે સંગઠનો આર.એસ.એસ. અને વિશ્વ હિન્દુ પરિષદ પૈકી અેકાદ લાખ સમર્થકો આરએસએસના અને દોઢેક લાખ જેટલા વીએચપીના કાર્યકરો રવિવારે અયોધ્યામાં હશે એવો અંદાજ માંડવામાં આવ્યો છે. આ ઉપરાંત મોટાપ્રમાણમાં સાધુ-સંતો પણ ઉપસ્થિત રહેશે. વીએચપીના આયોજકોનું કહેવું છે કે રવિવારના મેગા મેળાવડા માટે ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં એકત્ર થઈને 2019ની લોકસભા ચૂંટણી અગાઉ કેન્દ્રની ભાજપ સરકાર પર વટહુકમ લાવીને રામ મંદિરના નિર્માણનું દબાણ લાવવાની તૈયારી છે.























