
જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્વિટર બાયો પરથી કૉંગ્રેસનું નામ હટાવી દીધું તે પછી મધ્ય પ્રદેશના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. સિંધિયાએ પોતાની ટ્વિટર પ્રોફાઈલ ટૂંકી કરીને ‘જાહેર સેવક અને ક્રિકેટપ્રેમી’ એમ કરી હતી તે પછી તે કૉંગ્રેસમાં ખુશ નથી તેવી અટકળો વાયુવેગે ફેલાઈ રહી છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથ અને તેમની વચ્ચેના મતભેદો સોશિયલ મીડિયા પર હાઈલાઈટ થઈ રહ્યા છે અને સિંધિયા કૉંગ્રેસ છોડશે તેવો પ્રશ્ર્ન સોશિયલ મીડિયા યૂઝર્સના મનમાં રમી રહ્યો છે.
મધ્ય પ્રદેશની ૧૧ મહિના જૂની કૉંગ્રેસ સરકાર ૧૧૫ વિધાનસભ્ય ધરાવે છે અને સાદી બહુમતીમાં એક સભ્ય ઓછો છે. બસપાના બે, એસપીનો એક અને ચાર અપક્ષ વિધાનસભ્ય સરકારને ટેકો આપી રહ્યા છે. ૪૭ વર્ષીય સિંધિયા મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનપદની સ્પર્ધામાં કમલનાથ સામે પાછા પડ્યા હતા અને મધ્ય પ્રદેશ કૉંગ્રેસના વડાનો તાજ પણ તેમને હજુ સુધી મળ્યો નથી.
મધ્ય પ્રદેશ ભાજપના પ્રવક્તા દીપક વિજયવર્ગીયે દાવો કર્યો હતો કે પ્રોફાઈલમાં કરાયેલો બદલાવ દર્શાવે છે કે સિંધિયા પક્ષથી ખુશ નથી. રાજ્ય સરકારની કામગીરી સામે સિંધિયા વારંવાર જાહેરમાં અસંતોષ વ્યક્ત કરતા રહ્યા છે. મધ્ય પ્રદેશ કૉંગ્રેસમાં સિંધિયા અને તેમના ટેકેદારોને ‘સાઈડલાઈન’ કરવામાં આવી રહ્યા છે. તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા ન હતા અને કૉંગ્રેસના મધ્ય પ્રદેશ એકમના પ્રમુખ તરીકે પણ તેમની નિમણૂક કરવામાંં આવી નથી. દરમ્યાન મધ્ય પ્રદેશ કૉંગ્રેસના પ્રવકતા નરેન્દ્ર સલુજાએ કહ્યું કે “ટ્વિટર હેન્ડલ સ્ટેટસમાં કરાયેલા બદલાવમાં ખોટું શું છે? હવે તે ગુનાના સાંસદ નથી. એક મહિના અગાઉ પ્રોફાઈલ બદલી હતી ત્યારે હવે કેમ અટકળો ચાલી રહી છે? સિંધિયા સાચા અને સમર્પિત નેતા છે જે પક્ષને કોઈ દિવસ છોડશે નહીં.



















