ઇન્ડીયા Archives - Page 133 of 217 - CIA Live

February 29, 2020
kanhaiya-kejriwal.jpg
1min5460

દિલ્હીની જવાહરલાલ નહેરુ યૂનિવર્સિટીમાં કથિત દેશ વિરોધી નારાના કેસમાં સ્પેશિયલ સેલને કેજરીવાલ સરકાર તરફથી મંજૂરી મળતા હવે જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર સામે રાજદ્રોહનો કેસ ચલાવવામાં આવશે.

સ્પેશિયલ સેલને મંજૂરી આપવાની ફાઈલ લાંબા સમયથી વિલંબમાં હતી.’ આ મામલે દિલ્હી સરકારે ઉમર ખાલીદ, અનિર્બાન, આકિબ હુસૈન, મુજીબ, ઉમર ગુલ, બશરત અલી અને ખાલિદ બસીર સામે પણ રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

થોડો સમય પહેલા પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું હતું કે દિલ્હી સરકાર તરફથી રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવાની મંજૂરી મળવાની બાકી છે. જેના કારણે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે દિલ્હી સરકારને પત્ર લખીને વલણ સ્પષ્ટ કરવા કહેવામાં આવે.

February 28, 2020
sensex_down.jpg
1min4550

કોરોનાની ગંભીર અસરના ભયે શુક્રવારે બેન્ચમાર્ક BSE સેન્સેક્સમાં 1448 પોઈન્ટ્સનો તોતિંગ કડાકો જોવા મળ્યો હતો.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 39,087.47 અને નીચામાં 38,219.97 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 1448.37 પોઈન્ટ્સ અથવા 3.64 ટકાના જંગી કડાકા સાથે 38,297.29 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 11,384.80 અને નીચામાં 11,175.05 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 414.10 પોઈન્ટ્સ અથવા 3.56 ટકા તૂટીને 11,219.20 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.13 ટકા અને 3.52 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં BSEના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, IT, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

તા.27મી ફેબ્રુઆરીને ગુરુવારે વિશ્વભરના બજારોમાં કડાકાની અસર આજે તા.28મી ફેબ્રુઆરીને શુક્રવારે સવારે એશિયાના બજારોમાં પણ જોવા મળી હતી. કોરોનાની ગંભીર અસરના ભયે આજે સવારે વિશ્વના અન્ય બજારોની જેમ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક BSE સેન્સેક્સમાં 1100 પોઈન્ટ્સનો તોતિંગ કડાકો બોલી ગયો હતો.

આજે સવારે શેરબજાર નીચે ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડ્યું હતું. સવારે 9.45 વાગ્યે BSE સેન્સેક્સ 1118.75 પોઈન્ટ્સ અથવા 2.81 ટકાના જંગી કડાકા સાથે 38,626.91 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 339.35 પોઈન્ટ્સ અથવા 2.92 ટકા તૂટીને 11,293.95 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.64 ટકા અને 3.51 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં BSEના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, IT, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

February 23, 2020
coronavirus.jpg
1min5610

જીવલેણ કોરોના વાઈરસને કારણેે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીયોને સિંગોપોરનો બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપી હતી. કાઠમંડુ, ઈન્ડોનેશિયા, વિયેતનામ અને મલયેશિયાથી આવતા પ્રવાસીઓનું ઍરપૉર્ટ પર સ્ક્રીનિંગ કરવાનું સોમવારથી શરૂ કરવાની યોજના હોવાનું તેમણે કહ્યું હતું.

હાલ ચીન, હૉંગકૉંગ, થાઈલૅન્ડ, દ. કોરિયા, સિંગાપોર અને જાપાનથી આવતા પ્રવાસીઓનું દેશના નક્કી કરાયેલા ૨૧ હવાઈમથકે સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

નવા જીવલેણ કોરોના વાઈરસ સામે લડવા માટે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કેટલા સજ્જ છે, ક્યા પગલાં લેવામાં આવ્યા છે તેની માહિતી મેળવવા કૅબિનેટ સચિવના અધ્યક્ષપદ હેઠળ મળેલી સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ કહ્યું હતું. આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં લોકોને સિંગાપોરનો બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૨૧૮૦૫ પ્રવાસીઓને દેખરેખ હેઠળ લાવવામાં આવ્યા હોવા ઉપરાંત

વધુમાં ૩,૯૭,૧૫૨ વિમાની પ્રવાસી અને ૯,૬૯૫ નૌકાપ્રવાસીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

February 21, 2020
CIA_Live_Logo_New2.jpg
1min472

દરેક સંકટમાં એક તક પણ : બાંગ્લાદેશ-શ્રીલંકામાં ચીની ફેબ્રિકનું ડમ્પિંગ ઠપ : ભારતીય ફેબ્રિકની ડિમાંડ વધી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

છેલ્લા દોઢ મહિનાથી ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસને પગલે ચીની ઉદ્યોગ ધંધા તેમની ક્ષમતા કરતા 25 ટકા કેપેસીટી પર આવી ચૂક્યા છે. ચીની ઉત્પાદકોનું ઉત્પાદન ઠપ છે અને તેની અસર ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ પર પણ પડી છે. બાંગ્લાદેશ અને ચીનમાં ઠલવાતા ચીની ફેબ્રિકનો કારોબાર ઠપ થવા પર છે અને હાલમાં આ પરિસ્થિતિનો સીધો ફાયદો ભારતના લોકલ ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને મળી રહ્યાની પુષ્ટી તાજેતરમાં કોઇમ્બતુર ખાતે યોજાયેલા ઇન્ડીય નીટ ફેરમાં ચોમેરથી મળી હતી.

ઇન્ડિયા નીટ ફેરમાં આવેલા ઉદ્યોગપતિઓએ 300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મેળામાં વિવિધ દેશોના 31 ખરીદદારો અને 142 ખરીદનાર કંપનીઓ અને એજન્ટો હાજર રહ્યા હતા. તિરૂપુર, કોઈમ્બતુર, ચેન્નઈ અને કલકત્તાના કુલ 39 મોટા નિકાસકારોએ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું.

એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન એ શક્તિવેલે જણાવ્યું કે, ચીનમાં કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળતાં ભારતીય કાપડ ઉદ્યોગને મોટો ફાયદો થઈ રહ્યો છે. યુ.એસ., યુ.કે., યુરોપ અને કેનેડાના ખરીદદારો હવે ભારતમાંથી કપડાની ખરીદીમાં વધારો કરી શકે છે, કારણ કે ચીનમાંથી સપ્લાય ખોરવાયો છે. કોઈમ્બતુર નજીક તિરૂપુર ખાતે ત્રણ દિવસીય ભારત નીટ ફેરના સમાપન પર જારી કરાયેલા એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે યુરોપિયવ સંઘથી બ્રિટન નીકળવાનો ભારતીય કાપડ ઉદ્યોગને પણ ફાયદો થઈ શકે છે.

આ દરમિયાન કેન્દ્રીય કાપડ મંત્રાલયે કહ્યું કે, ચીનમાં રોગચાળાએ વર્તાવેલ મહામારી વૈશ્વિક એપરલ બજારમાં 20 અબજ ડોલરનો કારોબારની જગ્યા છોડી છે અને ભારતીય ઉદ્યોગે તેનો લાભ ઉઠાવવો જોઈએ. એક કાર્યક્રમમાં ટેક્સટાઇલ સેક્રેટરી રવિ કપૂરે કહ્યું કે, આ રીતે પોતાને પ્રોજેકટ કરવું સારું નથી, પરંતુ દરેક સંકટમાં એક તક છુપાયેલી હોય છે. અમે ચીનને દરેક રીતે સમર્થન આપી રહ્યા છીએ. પરંતુ અમારા માટે એક મોટી તક પણ છે. તેમણે કહ્યું કે ચીને છેલ્લા 3 વર્ષમાં 20 અબજ ડોલરનો ધંધો છોડી દીધો છે. વિયેતનામને તેનો સૌથી વધુ ફાયદો થયો છે.

February 21, 2020
kamalhassan.jpg
1min8620

કમલ હાસનની નવી ફિલ્મના શૂંટિંગ વખતે સેટ પર ક્રેન તૂટી પડતાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં અને નવ જણ ઘાયલ થયા હતા. કમલ હાસને મૃતકોના કુટુંબી અને ઘાયલો માટે એક કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત બુધવારે રાતે થયો હતો. કમલ હાસનની ફિલ્મ ‘ઇન્ડિયન-૨’નાં શૂટિંગ માટે સેટ ઊભો કરતી વખતે ક્રેન તૂટી પડયું હતું. એ વખતે શૂટિંગ ચાલું હતું.

આ દુર્ઘટનામાં સહાયક નિર્દેશક ક્રિશ્ર્ના, કલા સહાયક ચન્દ્રન અને પ્રોડ્કશન સહાયક મધુ મરણ પામ્યા હતા.

ક્રેન ઑપરેટર નાસી ગયો છે, પણ પોલીસે કેસ નોંધી એને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

કમલ હાસન, ફિલ્મની હિરોઇન કાજલ અગરવાલ, ધનુષ અને પ્રોડયુશરોએ આ દુર્ઘટના બદલ દિલસોજી વ્યક્ત કરી હતી. કમલ ઘાયલોને મળવા બુધવારે રાતે હૉસ્પિટલમાં ગયો હતો.

કમલે જણાવ્યું હતું કે પોતે અને ફિલ્મનો ડિરેક્ટર શંકર જો થોડી ક્ષણો અગાઉ ત્યાંથી આઘા ન ખસ્યા હોત તો અમે પણ મરણ પામ્યા હોત. ડિરેક્ટર અને કૅમેરામેન ત્યાંથી આઘા ખસ્યા અને ચાર સેક્ધડ અગાઉ હું મારી હિરોઇન સાથે ત્યાં ઊભો હતો. અમે થોડાક માટે મરતા બચ્યા છીએ અને જો અમે એ વખતે ત્યાંથી થોડાક આઘા ન ખસ્યા હોત તો આજે અમારા વિશે અન્ય કોઇ દિલસોજી વ્યક્ત કરી રહ્યું હોત.

ગુરુવારે ટ્વિટર પર એણે આ અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં અનેક અકસ્માત જોયા છે અને એમાંથી પસાર પણ થયો છું, પણ આ અકસ્માત સૌથી ભયાનક હતો. મેં મારા ત્રણ સહકર્મી ગુમાવ્યા છે.

મારા દુ:ખ કરતા મૃતકોના કુટુંબીઓનું દુ:ખ અનેકગણું હશે અને હું એમના દુ:ખમાં સહભાગી છું.

February 21, 2020
uddhav.jpg
1min6160

મુખ્ય પ્રધાનપદ સંભાળ્યા બાદ ઉદ્ધવ ઠાકરે પહેલીવાર દિલ્હી જઈ રહ્યા છે અને અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી બાદ રચાયેલા નવા સમીકરણો બાદ આ મુલાકાતે સૌના ભવાં ઊંચા કરી દીધા છે. આ મુલાકાત અંગે સત્તાવાર જાહેરાત સેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વિટરના માધ્યમથી કરી હતી.

ઠાકરે અગાઉ માત્ર પ્રોટોકોલ નિભાવવા માટે પુણે ખાતે મોદીને વિમાનમથકે મળ્યા હતા. તે જોતા આ તેમની પહેલી મુલાકાત છે, તેમ કહી શકાય. મુલાકાતમાં ઠાકરે ખેડૂતો માટે તેમ જ રાજ્યના વિવિધ પ્રોજેક્ટ માટે ફંડની વાત કરશે, તેવી વાતો વહેતી થઈ છે, પરંતુ રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર વચ્ચે જોવા મળતા ઉતાર-ચડાવ જોતા આ મુલાકાત જૂના સંબંધોને ફરી તાજાં કરી નવાં સમીકરણોના રૂપમાં સામે આવશે કે શું, તે અંગે તર્કવિતર્ક ચાલી રહ્યા છે. જોકે રાઉતે જણાવ્યું હતુ કે આ માત્ર સદિચ્છા ભેટ છે અને આ મુલાકાત મામલે વધારે ઊંડુ ઉતરવાની જરૂર નથી.

મહારાષ્ટ્ર ઉપરાંત ઝારખંડ, દિલ્હીમાં પણ સત્તા ગુમાવી ચૂકેલા ભાજપ માટે થી જૂનો સાથીપક્ષ ફરી સાથે આવે તે ખૂબ જ મહત્ત્વનું સાબિત થઈ શકે તેમ છે. જોકે આ બન્ને મહાનુભાવોની મુલાકાતના પરિણામો સામે આવતા સમય નીકળી જશે, પરંતુ આજની મુલાકાત રાજકીય વાતાવરણ ગરમાવશે, તે વાત નક્કી છે.

February 20, 2020
chay_makers2-1280x720.jpg
1min21500

વાપીમાં ચા ની દુકાને અનાયાસે મળેલા 2 એન્જિનયરોની 3 Idiots ફિલ્મ જેવી કહાણી

ગમતું કામ કરવું જોઇએ એવી શીખ આપતા થ્રી ઇડિયટ પીક્ચરની સ્ટોરીને પણ ટક્કર મારે એવી જીવતી વારતાં સૂરતમાં ઘટી છે. બે ડિગ્રી ધારી એન્જિનિયરોએ પોતાને ઓછી ગમતી નોકરી છોડીને જેને પીવાનો બહું શોખ છે એ ચા નો સ્ટોલ કહો કે દુકાન કહો કે સ્ટુડીયો શરૂ કર્યો અને તેમને જરાય સંકોચ કે ખચકાંટ નથી. તેમને ચા પીવાની ગમે છે એટલે કામ શરૂ કર્યું. પોતે જ ચા બનાવે છે અને પોતે જ સર્વ કરે છે ચા. વાંચો એન્જિનિયરોની ચા ની કહાણી.

સુરતના બે મિત્રોએ..એક ભાઈનું નામ છે પ્રદીપ જે મિકેનિકલ એંજિનિયર થયેલા છે..કુવૈત, દુબઇની ઘણી મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી કરીને દોઢ લાખ રૂપિયા મહિને કમાતા હતા..અને બીજા છે ગણેશભાઈ જેમને હમણાં જ સિવિલ એંજિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે..પણ નોકરી કરવા કરતા તેઓ પોતાની મહેનતથી રૂપિયા કમાવવા માંગતા હતા..અને એટલે બધી નાનપ બાજુ પર મૂકીને વરાછા મિનીબજારમાં તેમને શરૂ કરી આ ચા ની દુકાન અને નામ રાખ્યું ચાય મેકર્સ-બાય એંજિનિયર્સ..આ બંને એન્જીનિયર જાતે જ ચા બનાવે છે..જાતે જ ચા નો કપ ભરી આપે છે..હીરાની દુકાનોમાં ચાની ડિલિવરી આપવા પણ જાતે જ જાય છે..
(સૂરતના મહિલા પત્રકાર પારુલ મહાડીકની ફેસબુક વોલ પરથી સાભાર)

ઉપરના ફોટામાં યેલો ટીશર્ટમાં છે એ યુવાનનું નામ પ્રદીપ જાદવ છે જે મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે અને મિડલ ઇસ્ટમાં શારજાહ તેમજ દુબઇ નોકરી કરી ચૂક્યા છે. આ યુવાનની સાથે તેના પાર્ટનર કમ ફ્રેન્ડ ગણેશ પંડીત દૂધનાલય છે જે મહારાષ્ટ્રના લાતૂરના છે. આ બન્ને યુવાનો એન્જિનિયર છે, અભ્યાસ પછી સારી નોકરી મળી નહીં. એક દિવસ વાપી સ્ટેશન રોડ પર ગુજરાત ચા નામની ચાની કિટલીએ અનાયાસે બન્નેનો ભેટો થઇ ગયો. બન્નેએ એન્જિનિયરિંગની નોકરી ગમતી ન હોવાની વાતો શેર કરી. બન્ને ચા પીવાના ભારે રસીયા અને વાપીની ચાની દુકાને જ નક્કી કરી લીધું કે ચા બનાવીને વેચવાનો ધંધો શરૂ કરીએ.

આ વાતને માંડ એકાદ વર્ષ થયું હશે. અને આ પ્રદીપ જાદવ અને ગણેશ પંડીત દૂધનાલયએ સૂરતના મિનીબજાર ખાતે ગઇ તા.20મી જાન્યુઆરી 2020ના રોજ ચાય મેકર્સ નામની ચા ની દુકાન શરૂ કરી. એક મહિનામાં આ બન્ને મિત્રોએ શરૂ કરેલી ચાની દુકાન ચાલવા માંડી છે. પ્રદીપ જાદવે સી.આઇ.એ લાઇવને જણાવ્યું કે એક મહિનામાં સારો રિસ્પોન્સ છે અને અમે એન્જિનિયરિંગની નોકરી છોડીને આ ધંધો ચાલુ કર્યો છે અમે ખુશ છીએ. એવું લાગે છે અમારે માણસો રાખવા પડશે કેમકે અમે બે પહોંચી વળતા નથી એટલા ઓર્ડર મળી રહ્યા છે.

એન્જિનિયરોના હાથે બનાવેલી ચા પીવી હોય તો સૂરતના વરાછાના મિની બજારમાં આ દુકાનો જવું પડશે

ચા ની દુકાન શરૂ કરવા માટે સૂરતના વરાછા વિસ્તારમાં મિની બજાર જ કેમ પસંદ કર્યું એવા પ્રશ્નના ઉત્તરમાં પ્રદીપ જાદવે કહ્યું કે થોડો માર્કેટ સરવે કર્યો અને જાણવા મળ્યું કે વરાછા વિસ્તારમાં લોકો ચા પીવાના શોખીન છે તેમજ મિની બજાર સંપૂર્ણ કમર્શિયલ વિસ્તાર છે અને અહીં મોટા ભાગે મશીનની ચા મળી રહી છે. એટલે અમે આ લોકેશન પર દુકાન ભાડે રાખીને ચા નો બિઝનેસ શરૂ કર્યો.

એંજિનિયર્સની ચા જેવી તેવી તો હોય જ નહીં ને પાછી..દાર્જિલિંગથી ફિલ્ટર થઈને આવેલી અને સલ્ફર ફ્રી ખાંડથી બનેલી એક નહીં પણ 9 પ્રકારની ચા અહીં મળે છે. ચાની કિંમત પણ કંઈ વધારે ન સમજતા..વેરાયટી પ્રમાણે 15 રૂપિયાની અંદર એક ચા નો કપ મળી જશે પણ ટેસ્ટ એકદમ હટકે મળશે એની ગેરંટી.
(સૂરતના મહિલા પત્રકાર પારુલ મહાડિકના ફેસબુક વોલ પરથી સાભાર)

10 રૂ.માં સાદી ચા અને 15 રૂ.માં આખો કપ ફ્લેવર્ડ ચા

પ્રદીપ જાદવે સી.આઇ.એ લાઇવને જણાવ્યું કે આપણા ઘરે બને છે તેવી સાદી ચા એક ફુલ કપના રૂ.10 છે જ્યારે ફ્લેવર્ડ ચા ના રૂ.15 આખો કપના રાખ્યા છે. તેમની દુકાનો હોટ ચોકલેટ, ગ્રીન ટી, ગ્રીન હની ટી, રોઝ ટી, લેમન ગ્રીન ટી, લેમન ટી, કોફી વગેરે વેરાઇટી ઉપલબ્ધ છે.

February 20, 2020
uk-visa-1280x720.jpg
1min7430

ઈંગ્લીશ બોલતાં આવડતું હશે તો જ બ્રિટનના વિઝા મળશે. બ્રિટને બુધવારે નવી વિઝા વ્યવસ્થા લોન્ચ કરી છે. ગૃહ સચિવ પ્રીતિ પટેલે બુધવારે બ્રિટનની નવી પોઈન્ટ આધારિત વિઝા પ્રણાલી શરૂ કરવાની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ ભારત સહિત દુનિયાની સૌથી પ્રતિભાશાળી અને સૌથી ઉત્કૃષ્ટ લોકોને બ્રિટન આવવા માટે આકર્ષિત કરવાનો છે. આ નવી વિઝા સિસ્ટમનો ઉદ્દેશ દેશમાં આવતા સસ્તા ઓછા કુશળ શ્રમિકોની સંખ્યામાં કાપ મૂકવાનો છે. બ્રિટન યુરોપીયન સંઘ (ઈયુ)માંથી ગત મહિને બહાર આવ્યા પછી સંક્રમણ કાળના અંત પછી નવી સિસ્ટમ ૧ જાન્યુઆરી, ૨૦૨૧થી લાગુ થશે.

યુકેનાં ગૃહ પ્રધાન પ્રીતિ પટેલે બહુ સારું કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને બ્રિટનમાં આકર્ષવા અને યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમ જાહેર કરી હતી. તેનો અમલ ૨૦૨૧ની પહેલી જાન્યુઆરીથી થશે.

યુકેની વિઝા અને ઇમિગ્રૅશન સિસ્ટમનાં વડાં પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે વિઝાની નવી જોગવાઇ મુજબ યુકે કામ કરવા આવવા ઇચ્છતા વિદેશી કર્મચારીઓને અંગ્રેજી આવડવું જોઇશે અને ‘માન્યતાપ્રાપ્ત સ્પૉન્સર’એ તેઓને કૌશલ્ય ધરાવતી નોકરીની ઑફર કરી હોવી જોઇશે. જો તેઓ આ માપદંડને લાયક હશે તો તેઓને પચાસ પૉઇન્ટ અપાશે.

બ્રિટનમાં કામ કરવા ૭૦ પૉઇન્ટ મેળવવા પડશે

નવી પોસ્ટ બ્રેક્ઝિટ પ્રણાલી કે જે ભારત જેવા યુરોપીયન સંઘ અને બીન યુરોપીયન સંઘના દેશો માટે સમાન રીતે લાગુ થશે, તે પ્રણાલી વિશિષ્ટ કૌશલ્ય, યોગ્યતા, વેતન અને વ્યવસાયો માટે પોઈન્ટ પ્રદાન કરવા પર આધારિત છે, જેમાં માત્ર પૂરતા પોઈન્ટ પ્રાપ્ત કરનારા લોકોને જ વિઝા મળી શકશે. બ્રિટનમાં ભારતીય મૂળના સૌથી વરિષ્ઠ કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘આજે સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. યુકેની નવી પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન પ્રણાલી શરૂ કરીને લોકોની પ્રાથમિકતાઓ સુધી પહોંચી રહ્યા છીએ, જે સમગ્ર પ્રવાસન સંખ્યાને નીચે લાવશે.’

બ્રિટનના વિઝા અને ઈમિગ્રેશન પ્રણાલીના પ્રભારી પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘અમે દુનિયાભરના સૌથી પ્રતિભાશાળી અને સૌથી સારા લોકોને આકર્ષિત કરીશું, અર્થવ્યવસ્થા અને આપણા સમુદાયોને પ્રોત્સાહિત કરીશું અને આ દેશની પૂર્ણ ક્ષમતાને પ્રાપ્ત કરીશું.’ બ્રિટનના ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે નવી વિઝા પ્રણાલી બ્રેક્ઝિટની તરફેણમાં ૨૦૧૬ના જનમત સંગ્રહની સીધી પ્રતિક્રિયા છે, જેને સસ્તા પ્રવાસી શ્રમ પર દેશની નિર્ભરતાને સમાપ્ત કરવા અને સખત સુરક્ષા સાથે પ્રવાસના સમગ્ર સ્તરને ઓછો કરવા માટે એક વોટ તરીકે જોવામાં આવ્યો હતો.

યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમમાં ખાસ કૌશલ્ય, ભણતર કે લાયકાત (ક્વૉલિફિકેશન્સ), પગાર અને વ્યવસાય પર ખાસ ધ્યાન અપાશે.

ગ્લોબલ ટેલેન્ટ સ્કીમની પણ ઘોષણા કરવામાં આવી છે. જેના અનુસાર યુકેમાં ફાસ્ટ ટ્રેક વિઝા, આગામી વર્ષથી યુરોપીયન સંઘના નાગરિકો માટે પણ લાગુ થઈ શકશે, જે વધુમાં વધુ કુશળ વૈજ્ઞાનિકો અને સંશોધકોને નોકરીની ઓફર વિના બ્રિટન આવવાની અનુમતિ આપશે.

પ્રીતિ પટેલે કહ્યું હતું, ‘નવી વિઝા પ્રણાલી અંતર્ગત કોઈ વ્યક્તિ યુકે આવવા માગે છે તો તેમને અંગ્રેજી બોલતા આવડે એ જરૂરી છે અને તેમની પાસે એપ્રુવ્ડ સ્પોન્સરની સ્કીલ્ડ જોબ માટેની ઓફર હોવી જોઈએ. જેના દ્વારા વ્યક્તિને ૫૦ પોઈન્ટ મળી શકે છે. બધુ મળીને ઈમિગ્રન્ટે ૭૦ પોઈન્ટ મેળવવા જરૂરી છે જેના પછી તે યુકેમાં કામ કરવા સક્ષમ બની શકે છે. અન્ય પોઈન્ટ્સ યોગ્યતા, ઓફર કરાયેલું વેતન અને જ્યાં અછત હોય એવા સેક્ટરમાં કામ જેવા મુદ્દે મળી શકે છે.

યુકે યુરોપિયન યુનિયનમાંથી ૨૦૨૦ની ૩૧મી જાન્યુઆરીએ નીકળી ગયું હતું અને તેનો ૧૧ મહિનાનો ટ્રાન્ઝિશન પિરિયડ શરૂ થયો હતો. બ્રેક્ઝિટ પછીની નવી સિસ્ટમમાં યુકે દ્વારા યુરોપિયન યુનિયનના સભ્ય દેશો અને ભારત સહિતના યુરોપની બહારના અન્ય દેશોના નાગરિકોને સમાન ગણવામાં આવનાર છે. યુકેના પ્રધાનમંડળમાંના વરિષ્ઠ પ્રધાનોમાંનાં એક પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે દેશ માટે આજે ઐતિહાસિક સમય છે. હવે આપણે ત્યાં યુકેની નવી પૉઇન્ટ્સ-આધારિત વિઝા સિસ્ટમના અમલથી સારું કૌશલ્ય ધરાવતા વિશ્ર્વભરના નિષ્ણાતો આવવા આકર્ષાશે અને સરેરાશ ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટશે.

February 19, 2020
looplapeta.png
1min8270

બોલીવૂડની પ્રયોગશીલ અભિનેત્રી તાપસી પન્નુ સફળતાના શિખર પર છે. તેની નવી ફિલ્મ ‘થપ્પડ’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. તાપસીની છેલ્લી ફિલ્મ ‘સાંડ કી આંખ’ હતી. હવે તાપસીએ આજે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ કોમેડી-થ્રીલર ફિલમનું નામ’ ‘લૂપ લપેટા’ છે. આ ફિલ્મ 1998ની જર્મન ફિલ્મ ‘રન લોલા રન’ની ઓફિશિયલ રિમેક હશે. લૂપ લપેટા ફિલ્મમાં તાપસીની સાથે તાહીર રાજ ભાસીન જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થશે અને 29 જાન્યુઆરી, 2021ના રિલીઝ થશે. આકાશ ભાટિયા દિગ્દર્શક છે. જ્યારે સોની પિકચર્સ ઇન્ડિયા અને અન્યો મળીને આ ફિલ્મ પ્રોડયુસ કરી રહ્યા છે.

February 19, 2020
NPR_logo.jpg
1min5320

આગામી 1લી એપ્રિલથી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ને અપડેટ કરવાની કવાયત શરૂ થવા જઈ રહી છે જે અંતર્ગત દેશના પ્રથમ નાગરિક તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન સૌથી પહેલું થશે.

રાષ્ટ્રપતિના નામાંકન બાદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ એનપીઆરની સુચિમાં સામેલ થશે. નામાંકન માટે ભારતના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલયે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને તેમના અનુકૂળ સમયની માગ કરી છે.

મીડિયા અહેવાલો પ્રમાણે, 1 એપ્રિલના દિવસે જ દેશના ત્રણેય સર્વોચ્ચ પદાધિકારીઓના ડેટા એનપીઆરમાં સામેલ થઈ જશે તેવી સંભાવના રજિસ્ટ્રાર જનરલ કાર્યાલય વ્યકત કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નામાંકન ગૃહમંત્રી, રજિસ્ટ્રાર જનરલ, જનગણના આયોગ અને જનગણના સંચાલન નિર્દેશકની હાજરીમાં દિલ્હીમાં થવાનું કહેવાય રહ્યું છે. ત્યારબાદ આ જ ટીમ દ્વારા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી મોદીના નામાંકન એનપીઆરમાં કરાશે.

નામાંકન થઈ ગયા બાદ રજિસ્ટ્રાર જનરલ અને જનગણના આયોગ કાર્યાલયનો ઈરાદો એનપીઆરનો મોટાપાયે પ્રચાર કરવાનો છે, જેથી દેશની જનતા સુધી તેનો સંકેત પહોંચી શકે.
એનપીઆર અંતર્ગત 1 એપ્રિલ, 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં દેશના નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે ઘરે ઘરે જઈને વસ્તી ગણતરી કરવાની તૈયારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એનપીઆરનો ઉદેશ દેશના નાગરિકોની વ્યાપક ઓળખ માટે ડેટાબેઝ તૈયાર કરવાનો છે. જેથી સરકારી યોજનાઓ યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકે.