સોશિયલ મીડિયાએ જેમની રાજનીતિને એક નવી જ દિશા આપી અને જેમણે સોશિયલ મીડિયાને શત્ર બનાવીને ભારતીય રાજકારણમાં એક નવા યુગનો આરંભ કરાવ્યો તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક ચોંકાવનારી વાત કરતાં ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તેઓ હવે ફેસબૂક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાને અલવિદા કરવા વિચારી રહ્યા છે. મોદીએ આ સંભાવના વ્યક્ત કરવા સાથે જ તેમનાં ચાહકો અને સમર્થકોમાં આઘાતની લાગણી ફરી વળી હતી.

તેમણે 2 માર્ચે ટ્વિટર ઉપર લખ્યું હતું કે, આ રવિવારથી હું ફેસબૂક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા છોડવાનું વિચારું છે. તેમણે સાથે એમ પણ ઉમેર્યુ હતું કે, તેઓ પોસ્ટ કરતાં રહેશે. તેમણે આ જાણકારી પોતાનાં વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ ઉપરથી આપી હતી. તેમણે આ ટ્વિટર કર્યાની ગણતરીની મિનિટોમાં જ તે 10000થી વધુ વખત રિટ્વિટ થઈ ગયું હતું. લોકો તેમને પોતાનાં નિર્ણય ઉપર ફેરવિચાર કરવાં અપીલો કરવાં લાગ્યા હતાં.
મોદી સોશિયલ મીડિયા ઉપર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વૈશ્વિક નેતાઓ પૈકી એક છે. તેઓ પત્રકાર પરિષદ યોજીને લોકો સુધી પહોંચવાને બદલે સોશિયલ મીડિયાથી લોકોનાં સીધા સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. મન કી બાત રેડિયો કાર્યક્રમ પણ તેમનાં આ અભિગમનો જ એક હિસ્સો છે.


















