
ગુજરાતમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશિયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરતી નથી એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાન રાજ્યના નાગરિકોને આવી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ના દોરવાઈ જવાની અપીલ કરતા એમ પણ કહ્યું છે કે તા. ૧ જૂનથી અનલોક થવાને કારણે રાજ્યમાં જન જીવન પૂર્વવત્ થવા માંડ્યું છે. ઉદ્યોગધંધા રોજગાર અને આર્થિક વાણિજ્યિક ગતિવિધિઓ પણ હવે ધબકતી થવા માંડી છે ત્યારે લોકડાઉન ફરી લાગુ કરવા અંગે રાજ્ય સરકારની કોઈ જ વિચારણા નથી.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે, કોરોના સાથે કોરોના સામે જીવન જીવવાની સાથે રોજ બરોજની ગતિવિધિઓ હવે સામાન્ય થઈ છે ત્યારે ફરીથી લોકડાઉન આવશે તેવી ખોટી અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે પણ જરૂરી છે.


















