તા.22મી જુલાઇ 2020ની રાત્રે 8 કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં કોરોનાના નવા 202 કેસો મળી આવ્યા હતા અને કુલ 13 દર્દીઓના મોત નિપજ્યા હતા.
રાજકોટની સ્થિતિ
બુધવાર તા.22મી જુલાઇએ નવા મળેલા કોરોના પોઝીટીવ કેસોમાં રાજકોટ શહેરમાં 43 અને તાલુકાઓમાં 12 મળીને જિલ્લામાં નવા 55 કેસ નોંધાયા હતા.
સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી મળેલા કોરોનાના નવા કેસોમાં ભાવનગરમાં 38, જૂનાગઢમાં 31, જામનગર અને ગીર સોમનાથમાં 13-13, સુરેન્દ્રનગરમાં 22,’ અમરેલીમાં 16, બોટાદમાં 14, નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત છેલ્લા ચોવિસ કલાકમાં રાજકોટમાં 6, જામનગરમાં 4 અને જૂનાગઢમાં 3 દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો.
સૌરાષ્ટ્રમાં વિસ્તારવાઇઝ કેસોની નવા સંખ્યા
રાજકોટમાં 55 કેસ
જૂનાગઢમાં મહિલા કોર્પોરેટર સહિત 31 પોઝિટિવ
જામનગરમાં 13 કેસ
ભાવનગરમાં 38
સુરેન્દ્રનગરમાં 31
અમરેલીમાં 16
બોટાદમાં 14
ગીર સોમનાથમાં 13 નવા કેસ
અમરેલીની સ્થિતિ
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકામાં 5, જાફરાબાદમાં 3, રાજુલામાં 3, લાઠી, દામનગર, ખાંભા, બગસરા અને અમરેલીમાં એક-એક કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંક 259 થયો હતો.
ગુજરાતમાં ચોમાસાની મોસમનો કુલ સરેરાશ ૩૦૦.૭૮ મીમી વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મિમીની સરખામણીએ ૩૬.૨% છે. જોકે વરસાદનું જોર નબળું પડ્યું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. બુધવારે સવારે પૂરા થતા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં માત્ર ૩૩ તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સરહદી તાલુકા વાવમાં નોંધાયો હતો. અહીં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજ્યના અન્ય તાલુકામાં સુરત શહેરમાં ૧૮ મિમી, વડોદરાના પાદરામાં ૧૭ અને કચ્છના નખત્રાણામાં ૧૪ મિમી વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે.
આઇએમડી દ્વારા પી.પી.ટી રજૂ કરી આગામી સમયમાં તા.૨૧ થી ૨૩ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વરસાદ થવાની શકયતા નહિવત છે તેમ જણાવ્યું છે. તા.૨૪મી જુલાઈ-૨૦૨૦ના દિવસે સામાન્ય વરસાદ થઇ શકે છે. કોઇ ભારે વરસાદ થવાની શકયતા જણાતી નથી. તા.૨૫મી જુલાઈ-૨૦૨૦ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની શકયતા છે. તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શકયતા છે.
કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાલુ વર્ષે તા. ૨૦મી જુલાઈ-૨૦૨૦ સુધીમાં અંદાજીત ૬૪.૨૮ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૫૩.૧૩ લાખ હેક્ટર વાવેતર થયું હતું.
આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૭૫.૭૨% વાવેતર થયું છે. જ્યારે રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨૭૦૬૨૮ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૮.૬૦% છે. હાલમાં વરસાદ ન હોઇ જળાશયોમાં કોઇ નોંધનીય આવક નોંધાયેલ નથી અને હાલમાં કોઇ જળાશય એલર્ટ ૫ર નથી.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ મહાનગરોની સાથોસાથ હવે ગ્રામ્ય વિસ્તારોમાં અમર્યાદિત રીતે પ્રસરી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૦૨૦ નવા પોઝિટિવ કેસ મળ્યા છે જ્યારે સારવાર હેઠળના ૨૮ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયા હોવાનું સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ કેસોમાં સૌથી વધારે આઠ મહનગરોના ૫૫૦ કેસ અને ૧૭ મૃત્યુ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૪૬૮ કેસ અને ૧૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે.
કોરોનાથી સૌથી વધારે ચેપગ્રસ્ત થયેલા સુરત મહાનગરમાંથી નવા ૨૦૧ દર્દીઓ નોંધાયા છે. જ્યારે જિલ્લાઓના નગરો, ગામોમાંથી નવા ૫૫ દર્દી ઉમેરાયા છે. જોકે, છેલ્લા વીસ દિવસથી ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરત શહેરના જ વધુ ૧૨ દર્દી તેમજ જિલ્લાના ૭ મળી ૧૯ દર્દીઓના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે. આ પછી અમદાવાદ મહાનગરમાં નવા ૧૮૧ કેસ મળ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૫ કેસ ઉમેરાયા છે. મહાનગરના વધુ ૩ દર્દીના કોવિડથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.
અમદાવાદની જેમ હવે વડોદરામાં સૌથી સંક્રમિત નાગરવાડામાંથી નવા કેસ ઉમેરાતા ઘટીને નહીવત થયા છે પરંતુ નવા વિસ્તારોમાંથી રોજેરોજ નવા કેસ મળી રહ્યા છે. મહાનગરમાંથી ૬૨ કેસ મળ્યા છે તો જિલ્લાના ૧૮ કેસ નવા આવ્યા છે. મહાનગરમાં એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયાનું જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં જોઇએ તો રાજકોટમાંથી નવા ૪૮ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાંથી ૧૨ કેસ આવ્યા છે. ભાવનગરમાં ૨૨ મળી કુલ ૩૮ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાંથી ૨૦ નવા કેસ અને જિલ્લામાંથી ૧૦ કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં એક એક દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. જામનગર શહેરમાંથી ૧૨ મળી કુલ પંદર કેસ નવા ઉમેરાયા છે.
અમદાવાદમાં કોટ વિસ્તારમાંથી કેસની સંખ્યા નહીવત થઇ ગઇ છે એ જ રીતે પૂર્વમાંથી ધીમે ધીમે કેસ ઘટી રહ્યા છે પરંતુ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં રોજેરોજ કેસની સંખ્યા વધી રહી છે આને કારણે શહેરમાં છેલ્લા દસ દિવસ કરતાં વધુ સમયથી માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયાની સંખ્યા બસ્સોની ઉપર જળવાઇ રહી છે. હવે મહાનગરમાં પોશ ગણાતા બોપલ, ઘુમા, આંબલીનો સમાવેશ થયો હોવાથી એના કેસ ગણાય છે. જ્યારે જિલ્લાના ધોળકા, બાવળા, સાણંદ, દસક્રોઇ, વિરમગામ જેવા તાલુકાના ગામડાઓમાંથી નવા પંદર કેસ ઉમેરાયા છે.
ભરૂચમાં અંકલેશ્વર, વાગરા, જંબુસર સહિતના તાલુકાઓમાંથી રોજેરોજ કેસ આવી રહ્યા છે નવા ૨૭ કેસ ઉમેરાયા છે. તો દાહોદ શહેર અને લીમખેડા સૌથી વધારે સંક્રમિત બન્યા છે. આને લીધે નવા ૨૭ કેસ નોંધાયા છે. મહેસાણામાં વિસનગર, ઊંઝા, બેચરાજી, કડી અને મહેસાણા નગરમાંથી નવા ૨૪ કેસ ઉમેરાયા છે. ગીર સોમનાથ, કચ્છમાંથી ૨૧-૨૧ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ નોંધાયાના ૧૨૫મા (21મી જુલાઇ 2020) દિવસે નવા વિક્રમી ૧૦૨૬ કેસ ઉમેરાતા કુલ આંક અડધા લાખને પાર થઇ ૫૦૪૬૫ સુધી પહોંચી ગયા છે એ જ રીતે છેલ્લા પખવાડિયાથી સતત ઘટી રહેલા મૃત્યુ આંકમાં ચોવીસ કલાકમાં જ એક સાથે ૩૪ દર્દીના કોવિડ-૧૯ના મૃત્યુ થતાં હડકંપ મચી ગયો છે. સૌથી વધારે મૃત્યુ સુરતમાં ૨૧ નોંધાયા છે જ્યારે અમદાવાદમાં ૬ દર્દીના મૃત્યુ જાહેર કરાયા છે.
આ સિવાય ભાવનગર અને જામનગર મહાનગરોમાં તેમજ ગીર સોમનાથ, પાટણ અને કચ્છ જિલ્લામાં પણ એક એક દર્દીના મૃત્યુ થયા છે. આઠ મુખ્ય મહાનગરોમાંથી ૫૭૬ અને જિલ્લાઓમાંથી ૪૫૦ કેસ નવા ઉમેરાયા છે. આમ, ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વ્યાપક બની રહ્યું છે.
૧૯ માર્ચે રાજ્યમાં કોરોનાના કેસની ગુજરાતમાં વિધિવત એન્ટ્રી થઇ હતી. આ તીવ્ર અને ખતરનાક મીજાજ ધરાવતા વાયરસથી રાજ્યમાં મૃત્યુ પામાનર દર્દીઓની સંખ્યા ૨૨૦૧ થઇ ગઇ છે અલબત્ત, છેલ્લા ચોવીસ કલાકમાં ૭૪૪ દર્દીઓના ડિસ્ચાર્જ સાથે કુલ રિવકર થનાર દર્દીઓની સંખ્યા પણ ૩૬૪૦૩ સુધી પહોંચી છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સુરત મહાનગરમાંથી ૨૨૫ નવા કેસ અને જિલ્લામાંથી ૭૩ કેસ મળી આવ્યા છે જ્યારે શહેરમાં સારવાર હેઠળના ૧૪ દર્દીઓ તેમજ જિલ્લાના ૭ મળી ૨૧ દર્દીઓના મૃત્યુ કોવિડથી થયાનું સરકારે સ્વીકાર્યું છે. અમદાવાદમાં જિલ્લાના ૧૨ કેસ, એક મૃત્યુ તેમજ મહાનગરના ૧૮૭ કેસ અને પાંચ દર્દીના મૃત્યુ મળી કુલ ૧૯૮ કેસ અને ૬ના મૃત્યુ જાહેર કરાયા છે. અલબત્ત, આ બન્ને જિલ્લામાંથી અનુક્રમે વધુ ૧૭૩ તેમજ ૨૦૫ દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.
વડોદરા શહેરમાંથી નવા ૬૦ કેસ સાથે જિલ્લાના મળી કુલ ૭૫ કેસ ઉમેરાયા છે તો રાજકોટમાં ૪૫ સાથે કુલ ૫૮ કેસ નોંધાયા છે. ભાવનગરમાંથી નવા ૨૬ કેસ અને એક દર્દીના મૃત્યુ નોંધાયા છે આ સિવાય જિલ્લામાંથી ૧૨ નવા દર્દી સંક્રમિત હોવાનું જાહેર કરાયું છે. જામનગરમાંથી નવા ૧૬ કેસ આવ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. જિલ્લાના નવા ચાર કેસ નોંધાયા છે. ગાંધીનગર મહનગરમાંથી ૧૨ અને જિલ્લાના ૧૯ કેસ નવા છે જ્યારે જૂનાગઢમાં પાંચ મળી કુલ ૧૨ કેસ ઉમેરાયા છે.
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વલસાડ, નવસારી, પછી હવે દાહોદ જિલ્લામાં એક સાથે ૩૯ કેસ મળી આવ્યા છે. બનાસકાંઠામાંથી ૨૫, સુરેન્દ્રનગરમાંથી ૨૧, પાટણ ૨૦, નર્મદા ૧૯, ગીર સોમનાથ અને મહેસાણા ૧૮-૧૮, નવસારી અને પંચમહાલ ૧૭-૧૭, ભરૂચ ૧૬, ખેડા ૧૪, વલસાડ ૧૩, કચ્છ ૯, આણંદ અને બોટાદ ૮-૮, અમરેલી ૭, મહીસાગર, મોરબીમાંથી ૬-૬, સાબરકાંઠામાંથી ૫, તાપી ૪, પોરબંદરમાંથી ૨ અને અરવલ્લી, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાંથી ૧-૧ કેસ મળ્યો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં ૧૩૬૯૩ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ૫,૬૨,૬૮૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ ૧૧૮૬૧ એક્ટિવ કેસ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૧૭૭૯ સ્ટેબલ છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે દેશભરના દરેક રાજ્યોના આરોગ્ય વિભાગોને પત્ર લખીને જણાવ્યું છે કે વાલ્વાવાળા માસ્કની જગ્યાએ નાગરીકો કપડાના બનેલા ત્રણ સ્તર (ત્રિપલ લેયર) માસ્કનો ઉપયોગ કરીને કોરોના સંક્રમણથી બચી શકે છે.
સિમ્બોલિક ફોટો. કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે માસ્ક પર ઉપરોક્ત દર્શાવેલા ફોટો જેવા કોઇપણ પ્રકારના વાલ્વ કે એર ફિલ્ટર લગાડેલા હોય તો એ સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે. આવા માસ્ક નહીં પહેરવા માટે દેશભરમાં જનજાગૃતિ લાવવામાં આવી રહી છે.
હાલમાં વાલ્વવાળા માસ્ક અંગે નાગરીકોમાં ભારે ગેરસમજ પ્રવર્તી રહી છે. ઘણાં લોકો વાલ્વવાળા માસ્કને સુરક્ષિત ગણી રહ્યા છે. ઘણાં ફેશનમાં વાલ્વવાળા માસ્ક પહેરે છે. હકીકતમાં વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકી નહીં પણ ફેલાવી શકે તેટલા જોખમી છે.
વાલ્વવાળા માસ્કમાં જ્યારે એ પહેરનાર વ્યક્તિ શ્વાસ બહાર કાઢે છે ત્યારે વાલ્વ ખુલ્લા થઇ જાય છે અને જો એ પહેરનાર વ્યક્તિ એસિમ્ટમેટિક વાઇરસ કરીયર હોય તો અનેક લોકોને એ સંક્રમિત કરી શકે. આમ વાલ્વવાળા માસ્ક સંક્રમણને રોકતા નથી પણ ફેલાવી જરૂર શકે છે.
દેશના આરોગ્ય મંત્રી ડૉ.હર્ષ વર્ધને ટ્વીટ કરીને અનુરોધ કરવો પડ્યો
वाल्व लगे #N95#Mask#COVID19 के प्रसार को रोकने में सक्षम नहीं ! छिद्रयुक्त श्वसन यंत्र लगा N-95 मास्क कोरोना वायरस के प्रसार को रोकने के लिए अपनाए गए नियमों के विपरीत है।सभी से आग्रह है कि कपड़े से बने Triple layer mask का इस्तेमाल करें व अन्य को इसके प्रति प्रोत्साहित भी करें। pic.twitter.com/1PpBbxeLLB
કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને વાલ્વવાળા એન-95 માસ્ક પહેરવાની વિરુદ્ધ ચેતવણી જાહેર કરીને જણાવ્યું છે કે, આનાથી વાયરસનો ફેલાવો અટકતો નથી. અને કોવિડ-19 મહામારીને રોકવા માટે લેવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયમાં સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર રાજીવ ગર્ગે રાજ્યોને સ્વાસ્થ્ય અને ચિકિત્સા શિક્ષણ બાબતના પ્રધાન સચિવોને પત્ર લખીને જણાવ્યું છે કે, સામે આવ્યું છે કે સ્વાસ્થ્યકર્મીઓને જગ્યાએ લોકો એન-95 માસ્કનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે, ખાસ કરીને જેમાં વાલ્વ હોય છે.
તેમણે જણાવ્યું છે કે, તમારા ધ્યાનમાં લાવવામાં આવે છે કે વાલ્વવાળા એન-95 માસ્કો કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની વિરુદ્ધ છે કેમકે માસ્ક બહારથી આવતા વાયરસને રોકી શકતો નથી. આને ધ્યાનમાં રાખીને હું તમને અપીલ કરું છું કે તમામ સંબંધિત લોકોને આદેશ આપે કે તેઓ ફેસ/ માઉથ કવરના ઉપયોગનું પાલન કરે અને એન-95 માસ્કના ખોટા ઉપયોગને રોકે.
આજે શ્રાવણ માસના પહેલા દિવસ તા.21મી જુલાઇ 2020ના રોજ 6 કરોડની વસતિ ધરાવતા ગુજરાત રાજ્યમાં કોરોના કેસોનો આંકડો 50,000 કેસોની સંખ્યાને આંબી જશે. તા.20 જુલાઇ 2020ની સાંજે 8 કલાકે ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા 49,439 હતી. ગુજરાતમાં હાલ દૈનિક 900 પ્લસ નવા કેસોની સરેરાશને જોતા આજરોજ તા.21મી જુલાઇ 2020ના રોજ ગુજરાતમાં કોરોના કેસોનો આંકડો 50 હજારને પાર પહોંચી જશે.
ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ હવે વકરી રહી છે, છેલ્લા ચાવીસ કલાકમાં ૧૨૩૬૯ ટેસ્ટ દ્વારા નવા ૯૯૮ પોઝિટિવ દર્દી મળી આવ્યા છે આ સાથે રાજ્યના કુલ કેસનો આંક ૪૯૪૩૯ સાથે અડધા લાખને આંબવાની તૈયારીમાં છે.
એક જ દિવસમાં વધુ ૨૦ દર્દીઓના કોરોના સંક્રમણને લીધે મૃત્યુ થયા છે. એમાં સૌથી વધારે સુરતમાં કુલ ૧૧ દર્દીના મરણ કોરોનાથી થયાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. અલબત્ત, નવા સંક્રમિત દર્દીઓનો આંક નિયંત્રિત રીતે ૨૮૪નો જાહેર કરાયો છે. અમદાવાદમાં કુલ ચાર દર્દીના મૃત્યુ સાથે નવા ૧૮૩ કેસ ઉમેરાયા છે.
ચોવીસ કલાકમાં ૭૭૭ દર્દીઓને ડિસ્ચાર્જ અપાતા કુલ રિકવર થનારનો આંક ૩૫૬૫૯ થયો છે. અલબત્ત, રાજ્યમાં કુલ મૃત્યુ આંક ૨૧૬૭ થયો છે.
આ બન્ને સંક્રમિત મહાનગરો-જિલ્લા પછીના ક્રમે આવતા વડોદરા શહેરમાંથી નવા ૬૦ દર્દીઓ મળી આવ્યા છે અને વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૮ કેસ આવ્યા છે. જોકે, સારવાર હેઠળના મહાનગરના દર્દીઓ પૈકી બેના મૃત્યુ થયાનું રાજ્યના હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે. આ જ રીતે નવસારીમાં બે દર્દી અને એક ગીર સોમનાથના દર્દીનું કોરોનાથી મૃત્યુ જાહેર કરાયું છે.
રાજકોટ શહેરમાંથી નવા ૪૦ કેસ મળ્યા છે જ્યારે વિવિધ તાલુકાંથી ૧૬ દર્દીઓ સંક્રમિત થયા હોવાનું જાહેર કરાયું છે. ભાવનગર શહેરમાંથી ૨૬ મળી કુલ ૪૨ કેસ નવા ઉમેરાયા છે. જામનગરમાં કુલ ૨૨ કેસ આવ્યા છે એમાં શહેરમાંથી ૧૩ કેસ છે. ગાંધીનગરમાં કુલ ૨૦ કેસમાં ૧૨ ગ્રામ્ય વિસ્તારના છે. જૂનાગઢમાં પણ ગ્રામ્ય વિસ્તારના ૧૩ કેસ સાથે કુલ ૧૯ કેસ નોંધાયા છે.
જિલ્લાઓમાં સૌથી વધારે કેસ મહેસાણામાં વીસનગર, ઊંઝા, બેચરાજી, કડીમાંથી મળી નવા ૨૬ કેસ જાહેર કરાયા છે. ભરૂચમાં વાગરા, જંબુસર, અંકલેશ્વર, વાલીયામાંથી ૨૨ કેસ ઉમેરાયા છે. સુરેન્દ્રનગર શહેર ઉપરાંત મુળી, પાટડી, ધ્રાંગધ્રામાંથી નવા ૨૦ કેસ, પાટણ અને વલસાડમાંથી નવા ૧૭-૧૭ કેસ આવ્યા છે.
મહાનગરોમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં વધતાં જતાં ચેપને નાથવા માટે હવે સ્થાનિક સ્તરે લોકોએ સ્વૈચ્છાએ લોકડાઉનનો અમલ શરૂ કર્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સંક્રમિત મહાનગરો, વિસ્તારોમાંથી આવનારાઓને ચેકનાકાઓ ઉપર ચેક કર્યા પછી પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. પાંચ જિલ્લાઓમાં અમદાવા, વડોદરા, સુરત તેમજ અન્ય રાજ્યોમાંથી આવનારાઓને ફરજિયાત ૧૪ દિવસ હોમ કોરન્ટાઇન રહેવાની શરતે જ પ્રવેશ અપાય છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં વિવિધ મેળા, શિવ મંદિરોમાં વિશિષ્ટ પૂજા દર્શનના કાર્યક્રમોને પણ મોકુફ રાખવામાં આવ્યા છે. રાજ્યના ઘણાં મોટા મંદિરોએ સંક્રમણની સ્થિતિને ધ્યાને લઇ હમણાં મંદિરો બંધ રાખવાની જાહેરાત કરી છે.
અમદાવાદ પછી સુરત અને વડોદરાની જેમ હવે રાજ્યભરમાંથી ધનવંતરી રથ દ્વારા શંકાસ્પદોના હેલ્થ ચેકઅપ, એન્ટીજન ટેસ્ટ જેવી કામગીરીને યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. અલબત્ત, હજુય લોકો સોશીયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જેવી સામાન્ય બાબતોને અપનાવતા નથી એના કારણે સ્થિતિ દિવસે દિવસે વધારે કથળી રહી છે.
આ જ કારણે ગીરસોમનાથ, કચ્છ અને તાપી જેવા જિલ્લાઓમાંથી એક જ દિવસમાં નવા ૧૬-૧૬ કેસ આવ્યા છે તો પંચમહાલમાંથી નવા પંદર કેસ, અમરેલી, ખેડા, બનાસકાંઠામાંથી ૧૩-૧૩ કેસ મળ્યા છે. દાહોદ શહેર અને લીમખેડામાંથી નવા ૧૨ કેસ આવ્યા છે. મહીસાગરમાંથી ૧૧, નવસારીમાંથી ૧૦, બોટાદ, મોરબીમાંથી ૯ કેસ મળ્યા છે. નર્મદામાં ૭, આણંદ અને સાબરકાંઠામાંથી ૬-૬, અરવલ્લીના ૫, દેવભૂમિ દ્વારકાના ૩, છોટાઉદેપુર અને પોરબંદરમાંથી ૧-૧ કેસ નવા ઉમેરાયા છે.
આમ, હાલ રાજ્યમાં ૧૧૬૧૩ એક્ટિવ કેસ છે એમાં ૭૫ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૧૫૩૫ સ્ટેબલ છે.
ગુજરાત ભાજપના પ્રમુખ પદે જીતુ વાઘાણીના અનુગામી તરીકે તાત્કાલિક અસરથી સુરત ભાજપના કદાવર નેતા અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની પસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જયપ્રકાશ નડ્ડાએ કરી છે.
સી.આર. પાટીલની પહેલી પ્રતિક્રિયા
દક્ષિણ ગુજરાતમાં ભાજપના મોટા નેતા તરીકે સી.આર.પાટીલનુ નામ જાણીતું છે. આ અંગે સી.આર. પાટીલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીએ એક કાર્યકર્તામંથી પ્રમુખ બનાવાની તક આપી છે. હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું.’
ગુજરાતની 7 વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપે જીતુ વાઘાણીની જગ્યાએ નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દીધી છે. ભાજપના અનેક નેતાઓમાં આ નિર્ણયને પગલે સન્નાટો મચી ગયો છે.
વડોદરા જિલ્લા વહિવટી તંત્રની હદમાં આવતા કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર તા.31મી જુલાઇ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શ્રાવણ માસમાં અહીં ભારે ભીડ થતી હોઇ, તા.19મી જુલાઇએ જિલ્લા કલેક્ટરેટના અધિકારીઓએ મંદિરની મુલાકાત લઇને આજે તા.20મી જુલાઇથી આતા.૩૧મી સુધી મંદીરના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત કુબેર ભંડારી ભગવાનના દર્શન માટે અમાસ નું મહત્વ રહેલું છે. દેશવ્યાપી લોકડાઉનનાને કારણે છેલ્લા ચાર મહિના પછી અમાસના દર્શન બંધ હતા. હવે શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે દર્શનનો લાભ ભાવિક ભક્તોને મળી રહે તે માટે કવાયત શરૂ કરી દેવામાં આવી હતી.
અમાસ અને શ્રાવણ મહિના ને ધ્યાનમાં રાખીને કુબેર ભંડારી ટ્રસ્ટ’ના સંચાલકોએ રાજ્ય સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી તમામ વ્યવસ્થા નું આયોજન કર્યું હતું.
પણ રાજ્ય સરકારની સૂચનાને ધ્યાનમાં રાખી કુબેર ભંડારી દર્શના ટ્રસ્ટી મંડળ તાત્કાલિક તેનો અમલ શરૂ કર્યો હતો. આજથી મંદિરના દ્વાર તારીખ ૩૧ જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. આજે અમાસની પૂર્વે દર્શન માટે આવતા અનેક ભાવિક ભક્તો રાજ્ય સરકારના અચાનક નિર્ણયને કારણે મંદિરે દર્શન કર્યા સિવાય ડેલીએ હાથ દઇ પરત ફરવાનો વારો આવ્યો હતો.
કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યા જણાવ્યું છે કે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે આવતીકાલે અમાસના દર્શન અને શ્રાવણ મહિના દરમિયાન રાજ્ય સરકારની સૂચના પ્રમાણે તારીખ ૩૧ જુલાઈ સુધી કુબેર ભંડારી મંદિર ભાવિક ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા છે તેમજ પૂજા વિધિ કે પછી અન્ય ધાર્મિક વિધિ પણ મંદિર ખાતે કરવામાં આવશે નહીં સાથે સાથે ધર્મશાળા અને ભંડારો પણ બંધ રહેશે.
કોરોના સંક્રમણથી પ્રભાવિત ગુજરાતના ૩૩ પૈકી આઠ મહાનગરો સહિત કુલ ૩૨ જિલ્લાઓમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૯૬૫ પોઝિટિવ કેસ મળી આવ્યા છે બીજી તરફ સારવાર હેઠળ રહેલા વધુ ૨૦ દર્દીઓના કોવિડ-૧૯ના કારણે મૃત્યુ થયા હોવાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.
આ કેસને રોકેટ ગતિ આપનાર સુરત મહાનગરમાં નવા ૨૦૬ કેસ અને ૬ દર્દી તેમજ જિલ્લામાંથી નવા ૭૯ કેસ તથા ૩ દર્દી મળી કુલ ૨૮૫ કેસ નવા ઉમેરાયા છે જ્યારે કુલ ૯ દર્દીઓએ સંક્રમણને લીધે દમ તોડ્યો છે. અમદાવાદમાં પણ એક પખવાડિયા સુધી સંક્રમિત દર્દીઓનો આંક બસ્સોની નીચે રહ્યા પછી રવિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વધુ ૨૧૨ કેસ ઉમેરાયા છે એમાં મહાનગરના ૧૮૬ છે જ્યારે શહેરના જ વધુ છ દર્દીઓના મૃત્યુ જાહેર કરાયા છે.
અન્ય મહાનગરોમાં જોઇએ તો વડોદરામાં કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંક શહેર અને જિલ્લાના કેસોના ઉતારચડાવ વચ્ચે ૭૦-૮૦ કેસની વચ્ચે લાંબા સમયથી સ્થિર છે. વડોદરાના જુદા જુદા વિસ્તારમાંથી નવા ૬૭ કેસ મળ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૨ કેસ ઉમેરાયા છે. રાજકોટ શહેરના ૩૮ કેસ મળી કુલ ૪૯ કેસ આજે ઉમેરાયા છે. ભાવનગર શહેરમાં નવા ૨૫ કેસ નોંધાયા છે તો એક દર્દીનું મૃત્યુ જાહેર કરાયું છે. ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૦ નવા કેસ ઉમેરાયા છે. જૂનાગઢમાં એકાએક રફતાર ઘટીને ૧૫ કેસની રહી છે. બીજી તરફ જામનગર સિટીના ૭ મળી કુલ ૧૦ કેસ નોંધાયા છે એમાં જિલ્લામાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્રના અન્ય એક ગીર સોમનાથમાં નવા બે કેસ મળ્યા છે, પરંતુ એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
ગાંધીનગર જિલ્લામાંથી નવા ૨૪ મળી કુલ ૩૦ કેસ ઉમેરાયા છે. આ કેસ ગાંધીનગર તાલુકાના ગામડાઓ, દહેગામ, માણસા અને કલોલ તાલુકામાંથી ઉમેરાયા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.