ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાનું પાક વીમા પ્રીમિયમ ઉઘરાવ્યા બાદ નુકસાન થવા છતાં ખાનગી વીમા કંપનીઓ પૂરતું વળતર ચૂકવતી નહીં હોવાથી ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળતો હતો જેને પગલે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને ફરજિયાત ને બદલે મરજિયાત બનાવવી પડી હતી, પરંતુ હવે ખુદ ભાજપની ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની સમાંતરે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી છે.
જોકે મુખ્ય પ્રધાન રૂપાણીએ આ યોજનામાં સરકાર પોતે જ કિસાને નુકસાન વળતરની સહાય ચૂકવશે. જોકે સરકાર કઇ ખાનગી વીમા કપની પાસેથી આ અંગે વીમો લેશે તેની કોઇ સચોટ ખુલાશો કરવામાં આવ્યો નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે વર્તમાન સીઝન માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને બંધ કરી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અમલની ઘોષણા કરી છે. પોતાના જ પક્ષના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોએ પાક વીમા માટે પ્રીમિયમ ભરી પાક વીમો મળે એવી યોજના શરૂ કરી હતી. એને બદલે રૂપાણીએ સરકારી તિજોરીમાંથી જ તમામ પ્રીમિયમની રકમ ભરવાનું નક્કી કર્યું છે.
દરમિયાન રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાંદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે. પાકવીમા પદ્ધતિમાં ઘણી મુશ્કેલીઓનો સામનો ખેડૂતોએ કરવો પડતો હતો. ૫૬ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને આ યોજનાનો સીધો લાભ મળશે.
રાજ્યમાં 11 ઓગસ્ટ પછી એટલે કે જન્માષ્ટમીના દિવસથી આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સારા પ્રમાણમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
જન્માષ્ટમીથી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં અમદાવાદ સહિત વડોદરા, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ સારા પ્રમાણમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે, પાછલા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં કેટલાક ઠેકાણે સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમા તા.8મી ઓગસ્ટ 2020ને શનિવારે કોરોનાના નવા 380 સહિત આઠ દિવસમાં જ 2418 કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત આ આઠ દિવસમાં જ કોરોનાના 144 દરદીએ સારવાર દરમિયાન દમ તોડયો હતો.
શનિવારના દિવસ દરમિયાન
રાજકોટ શહેરમાં 68, ગ્રામ્યમાં 25 અને અન્ય જિલ્લાના 15 કેસ મળીને નવા 108 કેસ નોંધાતા જિલ્લાનો કુલઆંક 2500ને પાર થયો હતો.
જૂનાગઢમાં 29 નવા કેસ અને 2 મૃત્યુ.
જામનગરમાં 68 કેસ,
ભાવનગરમાં 47,
અમરેલીમાં 33,
ગીર સોમનાથમાં 29,
સુરેન્દ્રનગર અને મોરબીમાં 21-21,
બોટાદમાં 9,
પોરબંદરમાં 8 તથા
દ્વારકામાં 7 નવા કેસ નોંધાયા હતા.
સૌરાષ્ટ્રની સ્થિતિ
રાજકોટ શહેરમાં બપોર સુધીમાં 44 અને સાંજે 24 સહિત ચોવિસ કલાકમાં 68 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાથે શહેરમાં કોરોનાગ્રસ્તોનો કુલઆંક’ 1696 થયો છે. શહેર ઉપરાંત ગોંડલમાં કોરોનાનો હાહાકાર યથાવત રહેતા આજે વધુ 16 કેસ નોંધાયા હતા. આ સાથે તાલુકાનો કુલ આંક 266 થયો હતો. જામકંડોરણામાં નવા ચાર કેસ નોંધાતા તાલુકાનો કુલ આંક 55 થયો હતો. આ સહિત જિલ્લાના તાલુકા-ગ્રામ્ય વિસ્તારમાંથી આજે નવા 25 કેસ નોંધાતા જિલ્લાનો કુલઆંક 2582 થવા પામ્યો હતો. જ્યારે અન્ય જિલ્લાના 15 વ્યક્તિનો રિપોર્ટ પણ રાજકોટમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ચોવિસ કલાકમાં શહેરના 3, ગ્રામ્યના 2 અને અન્ય જિલ્લાના એક એમ કુલ 6 દરદીએ અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે વધુ 78 દરદીએ કોરોનાને મહાત આપી હતી. રાજકોટ સરકારીમાં 307 અને ખાનગી હોસ્પિટલોમાં 253 મળીને હાલ 560 દરદી સારવારમાં છે.
ભાવનગર જિલ્લામાં નવા 47 કેસ નોંધાતા કુલ આંક 1796 થયો હતો. આજે નોંધાયેલા કેસમાં ભાવનગર શહેરના 16 પુરુષ અને 12 સ્ત્રી એમ કુલ 28 તથા ભાવનગર તાલુકામાં 3, તળાજામાં 5, ઉમરાળા અને વલ્લભીપુરમાં 3-3, પાલીતાણામાં 2 અને મહુવામાં 1 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજે શહેરના 18 અને ગ્રામ્યના 15 મળીને કુલ 33 દરદીને રજા આપવામાં આવી હતી. જિલ્લાના 448 દરદી હાલ સારવારમાં છે.
જામનગરમાં મુખ્યમંત્રીના આગમન સમયે જ કોરોના બોમ્બ ફૂટયો હોય તેમ જિલ્લામાં નવા 68 કેસ નોંધાયા હતા. જેમાં શહેરના 55 અને ગ્રામ્યના 13 કેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરના એક મહિલા, એક વૃદ્ધ તથા ધ્રોલના પ્રૌઢાનુ મૃત્યુ નિપજ્યુ હતુ.
અમરેલી જિલ્લામાં આજે નવા 33 કેસ નોંધાતા કુલ કેસનો આંક 617 થયો હતો. જેમાંથી અત્યારસુધીમાં 392ને રજા અપાઈ ગઈ છે અને હાલ 207 એક્ટિવ કેસ છે.
જૂનાગઢ જિલ્લામાં આજે શહેરના એક અને માંગરોળના એક દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો. ઉપરાંત જૂનાગઢ શહેરના 17, તાલુકાનો 1, કેશોદમાં 5, ભેંસાણમાં 1, માળીયામાં 3, માંગરોળ અને વિસાવદરમાં 1-1 કેસ સહિત કુલ 29 નવા કેસ નોંધાયા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં નવા 29 કેસ નોંધાયા હતા. જેમાં મુખ્ય મથક વેરાવળમાં 11, ઉનામાં 8, તાલાલામાં 4 તથા સુત્રાપાડા અને કોડીનારમાં 3-3 કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ આજે જિલ્લાના 13 દરદીને રજા આપવામાં આવી હતી.
મોરબી જિલ્લામાં શહેરના 20 અને હળવદના 1 સહિત 21 કેસ નોંધાતા કુલઆંક 287 થયો હતો. જેમાંથી આજે વધુ 25 દરદીને ડિસ્ચાર્જ કરવામાં આવતા હાલ એક્ટિવ કેસની સંખ્યા 150 રહી હતી.
બોટાદ જિલ્લામાં શહેરના 6 તેમજ જમાલપર, ખાંભડા, ગઢડાના 1-1 મળીને નવા 9 કેસ નોંધાતા કુલ કેસનો આંક 333 થયો હતો. જેમાંથી આજે વધુ 8 દરદીને રજા આપવામાં આવતા હાલ 72 એક્ટિવ કેસ છે.
પોરબંદર શહેરમાં 5 તથા કુતિયાણામાં 3 સહિત જિલ્લામાં નવા 8 કેસ નોંધાયા હતા. આ સાથે જિલ્લાનો કુલ આંક 249 થયો હતો. જેમાંથી આજે વધુ 25 સાજા થતા હાલ 63 દરદી સારવારમાં છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા 7 કેસ નોંધાયા હતા. જેમાં દ્વારકા શહેરમાં આરોગ્ય સેન્ટરના કર્મચારી સહિત 4, ખંભાળિયામાં દંપતિ અને મીઠાપુરમાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જિલ્લામાં કુલ કેસનો આંક 105 થયો હતો, જેમાંથી હાલ 45 એક્ટિવ કેસ છે.
સુરેન્દ્રનગર તંત્ર દ્વારા કોઈ યાદી જાહેર કરાતી નથી અને વિગતો છુપાવવામાં આવી રહી છે. પરંતુ રાજ્ય સરકારની યાદી મુજબ છેલ્લા ચોવિસ કલાકમાં જિલ્લામાં નવા 21 કેસ નોંધાયા હતા. ચોટીલા વિસ્તારના 34 દરદીઓ પૈકી 31 સાજા થઈ ગયા છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાંજ 22 દરદીને રજા આપવામાં આવી હતી.
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક છ દિવસ સુધી ૧૧૦૦થી નીચે રહ્યા પછી ફરીથી ૧૧૦૧ થયો છે એ સાથે કુલ કેસનો આંક ૭૦,૦૦૦ની નજીક એટલે કે ૬૯૯૮૬ સુધી પહોંચી ગયો છે. બીજી તરફ રાજ્યમાં વધુ ૨૩ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયા છે. એમાં સૌથી વધારે સુરત શહેર અને ગ્રામ્ય મળી ૧૦, અમદાવાદ શહેરમાં ૫, વડોદરા શહેરના ૨, જૂનાગઢ અને કચ્છ જિલ્લાના ૨-૨, ગાંધીનગર, અમરેલીના એક એક દર્દીનો સમાવેશ થાય છે.
ચોવીસ કલાકમાં સૌથી વધારે સુરત શહેરમાંથી ૧૮૨ કેસ નવા મળ્યા છે જ્યારે જિલ્લામાં તબક્કાવાર ઘટી રહ્યા છે છતાં નવા ૪૪ કેસ આવ્યા છે બીજી તરફ અનુક્રમે ૬ અને ૪ દર્દીના મૃત્યુ નોંધાયા છે. અમદાવાદમાં ૧૩૯ કેસ નવા ઉમેરાયા છે જ્યારે જિલ્લામાંથી ૧૯ કેસ નવા નોંધાયા છે. શહેરના પાંચ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. આ જ રીતે વડોદરામાંથી ફરીથી ૯૦થી વધારે એટલે કે ૯૨ કેસ નવા નોંધાયા છે અને બે દર્દીના મૃત્યુ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી નવા ૨૧ કેસ ઉમેરાયા છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૦ કેસ નોંધાયા છે જ્યારે વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્યમાંથી ૨૦ કેસ નોંધાયા છે.
રાજકોટ શહેરમાં વધુ ૬૮ કેસ મળી કુલ ૯૩ કેસ નવા નોંધાયા છે. જ્યારે જૂનાગઢ શહેરમાંથી નવા ૧૭ કેસ અને ગ્રામ્યના પંદર કેસ નોંધાયા છે. ગ્રામ્યના વધુ બે દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જામનગરમાંથી ફરીથી ૪૧ કેસ સાથે કુલ ૫૪ કેસ નોંધાયા છે જ્યારે ભાવનગરમાંથી નવા ૨૮ કેસ અને ગ્રામ્યના ૧૯ કેસ નોંધાયા છે. આ બન્ને શહેરોમાં આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હેલ્થ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. હવે આ બન્ને નેતાઓ વિવિધ જિલ્લાઓનો પણ દર સપ્તાહે પ્રવાસ ખેડનાર છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં સૌથી વધારે અમરેલીમાંથી ૩૩ કેસ નવા ઉમેરાયા છે. આ પછી પંચમહાલ જિલ્લામાંથી ૩૧ કેસ, મહેસાણામાંથી ૩૦ કેસ નવા નોંધાયા છે. દાહોદ જિલ્લામાંથી નવા ૨૭ કેસ, ગીર સોમનાથના ૨૬, કચ્છમાંથી ૨૨ કેસ, સુરેન્દ્રનગર ૨૧, મોરબીમાંથી ૨૦ નવા કેસ ઉમેરાયા છે. જ્યારે પાટણ જિલ્લાના ૧૯, વલસાડમાંથી ૧૭, ભરૂચ, નર્મદામાંથી ૧૧-૧૧, ખેડામાંથી ૧૦ કેસ નોંધાયા છે. આમંદ, બોટાદ અને મહીસાગર જિલ્લામાંથી ૯-૯, છોટાઉદેપુર, સાબરકાંઠામાંથી ૮-૮, નવસારીમાંથી ૭, બનાસકાંઠા અને પોરબંદરમાંથી ૫-૫ કેસ, દ્વારકામાં ૪, અરવલ્લી ૩, તાપીમાંથી ૨ અને ડાંગથી એક કેસ નવો ઉમેરાયો છે.
નવા ૨૬૨૭૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે એનો ગુણાંક પ્રતિ મિલિયન વસતિએ ૪૦૪.૧૮ ટેસ્ટ થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૧૩૫ દર્દીઓ આઇસીએમઆરની ગાઇડલાઇન્સથી ડિસ્ચાર્જ થતાં કુલ સંખ્યા ૫૨,૮૨૭ થઇ છે આ સાથે કુલ રિકવરી રેટ ૭૫.૪૮ ટકા થયો છે. અત્યાર સુધીમાં ૨૬૨૯ દર્દીના મૃત્યુ નોંધાયા છે જ્યારે હાલ ૧૪૫૩૦ એક્ટિવ કેસ છે એમાંથી ૮૨ વેન્ટીલેટર ઉપર અને બાકીના સ્ટેબલ છે
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી બારે મેઘ ખાંગા થયા હોય તે રીતે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, અને રાજકોટમાં અતિભારે વરસાદ પડ્યો છે. સતત મેઘમહેરના કારણે સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીર આવ્યા છે. સૌરાષ્ટ્રના ૩૦થી વધુ ડેમોમાં પાણીની આવક જોવા મળી છે. ભાદર ૧, ન્યારી, આજી અને શેત્રુંજી સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ધોધમાર વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં નદી-નાળા અને ચેકડેમો છલકાયા છે.
સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર ડેમ-૧માં નવા નીરની આવક થઈ છે. ભાદર ડેમ-૧ રાજકોટ, જેતપુર, ગોંડલ, સહિતના શહેરોને પીવાનું પાણી પુરું પાડે છે. ભાદર-૧માં હાલ ૭.૫ ફૂટ નવા નીરની આવક થઈ છે અને હજુ પણ પાણીની આવક થઈ રહી છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે.
ભાદર-૧ હાલ ૪૯.૫ ટકા જેટલો ભરાઇ ગયો છે, જ્યારે ભાવનગરના શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ગારીયાધાર તાલુકામાં, લીલીયા, લાઠી, બગસરા ,બાબરા અને સાવરકુંડલા સહિતના તાલુકાઓમાં ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ત્યારે આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં પાણીની સપાટી ૨૯.૧ ફૂટે પહોંચી હતી.
શેત્રુંજી ડેમ ૩૪ ફૂટે ઓવરફ્લો થાય છે. શેત્રુંજી ડેમની ઉપર અમરેલી પંથકમાં ખોડિયાર ડેમ આવેલો છે. જે હાલમાં ૭૦ ટકા ભરાયેલો છે. જે પ્રકારે સારો વરસાદ વરસી રહ્યો છે તે જોતાં ટૂંક સમયમાં જ ખોડીયાર ડેમ ઓવરફલો થશે. આ ઉપરાંત રાજકોટમાં ધોધમાર વરસાદ પડતા આજી નદી જળ બંબાકાર થઈ છે.
આજી નદીમાં પાણીનો પ્રવાહ વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. રામનાથ પરા, બેડીપરા, ભગવતીપરા સહિત પાંચ જેટલા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને આજી નદીના પટ તરફ ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જરૂર પડે તો લોકોનું સ્થળાતંર કરવા માટે ફાયરના જવાનો તૈયાર છે. અત્યારથી જ નીચાણવાળા વિસ્તારોમાં ફાયર વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી છે.
ગુજરાતમાં શુક્રવારે પણ નવા 1074 કેસ નોંધાયા દર્દીઓની સંખ્યા વધીને 68,885 પર પહોંચી ગઈ છે. તો વધુ 22 મોત સાથે મરણાંક પણ વધીને 2606 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 1370 દર્દી વાયરસ મુક્ત થતાં સાજા થયેલા દર્દીઓનો આંક 51,692 થઈ ગયો છે. આમ, રિકવરી રેટ પણ વધીને 75.04 ટકા થઈ ગયો છે.’
સુરતમાં 10, અમદાવાદમાં 3 મોરબી અને વડોદરામાં 2-2 જ્યારે અમરેલી, આણંદ, જામનગર, રાજકોટ અને વલસાડમાં 1-1 મોત થયાં છે.” રાજ્યમાં કુલ 26591 સહિત કુલ્લ 9,30,373 લેબોરેટરી ટેસ્ટ થયા છે. રાજ્યમાં હાલ 14587 એકટિવ કેસ છે’ જેમાં 86 વેન્ટિલેટર પર છે.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં થઇને કુલ 4,84,571 વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે રાજ્યમાં ગણેશ મહોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ આજે વડોદરાના નજીક કંડારી ખાતે 71માં વન મહોત્સવ કાર્યક્રમમાં આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે તેમ વધુમાં ઉમેર્યું હતું.
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે એક માત્ર માર્ગ સોશિયલ ડિસ્ટન્સિંગ છે. સમગ્ર ગુજરાતના ગણેશ મંડળો, પદયાત્રા મંડળો, મુસ્લિમ સંગઠનો દ્વારા કોરોનાની મહામારીમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ મહોત્સવ, તાજિયા સહિત ઓગસ્ટ માસના તમામ નાના-મોટા તહેવારો ઉજવવામાં ન આવે તેવી સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે રાજ્ય સરકારને પણ લાગ્યું કે, તહેવારોમાં લોકો ભેગા થશે તો કોરોના સંક્રમણ વધશે. જેથી ગણેશોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ-મુસ્લિમ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે મંડળો, પરિવારને ગણપતિ બેસાડવા હોય તેઓ પોતાના ઘરમાં બેસાડે અને તેનું વિસર્જન પણ પોતાના ઘરમાં કરે. કોઇ પણ પ્રકારની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તેજ રીતે તાજિયાના પણ જુલૂસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત તરણેરનો મેળો, રામાપીરનો મેળો જેવા કોઇપણ જાહેર તહેવારો સામૂહિક રીતે ઉજવી શકાશે નહીં. જે અંગેનું જાહેરનામું આગામી ટૂંક દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ભાદરવી પૂનમ અંબાજીના મેળા સંદર્ભે પણ પગપાળા સંઘો તરફથી પદયાત્રા નહીં યોજવા માટે રજૂઆતો મળી છે જેને ધ્યાનમાં રાખી કોરોના કાળમાં પગપાળા સંઘ નહીં કાઢવા અને સેવા કેન્દ્રો ન ખોલવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.
ગુજરાતનું મુખ્યમંત્રી તરીકે સૂકાન સંભાળ્યાના પાચમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે શુક્રવારે વિજય રૂપાણીએ ‘આત્મનિર્ભર ગુજરાત’ને કેન્દ્ર સ્થાને રાખતી નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ની જાહેરાત કરી હતી. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને દરકિનારે કરી રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસને આગળ વધારવા, નવી રોજગારીની તકોના સર્જનને લક્ષ્યમાં રાખી આધુનિક ગુજરાત થકી આધુનિક ભારતના નિર્માણનું વિઝન સાકાર થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આ તકે વ્યક્ત કર્યો છે.
‘વન નેશન, વન ટેક્સ’ એટલે કે વેટ રિજીમ લાગુ થયા પછી જાહેર થયેલી વિલંબિત ઔદ્યોગિક નીતિમાં રાજ્ય સરકારે તમામ રોકડ લાભોને બંધ કરી દીધા છે અને એની સામે હવે એસજીએસટીના સાપેક્ષમાં લાભ આપવાનો મોર્ડન વિકલ્પ રજૂ કર્યો છે. આવું પગલું ભરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે તેમ કહી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તેમજ અન્ય વરિષ્ઠ સનદી અધિકારીઓની ઉપસ્થિતિમાં પત્રકારોને માહિતી આપતા રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કોઇપણ કદનું એકમ સ્થાપનારને એના કેપિટલ ખર્ચના ૧૨ ટકાની મર્યાદામાં રોકડ વળતર ચૂકવાશે. આ સિવાયના એસજીએસટીના સાપેક્ષમાં અપાતા વળતરો ડિ લિન્ક કરી દેવાયા છે. આ લાભ રૂ.૪૦ કરોડની ટોચ મર્યાદામાં મહત્તમ ૧૦ વર્ષ સુધી ચુકવાશે. આમાં કોઇપણ ઔદ્યોગિક એકમને લાભ મળશે એ મેગા એકમ, મધ્ય કે સુક્ષ્મ હશે દરેકને એના કેપિટલ ખર્ચના લેખે લાભ મળશે. આ જ રીતે નવા ઉદ્યોગોને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીની માફીને પાંચ વર્ષ સુધી લાભ મળશે.’
વિવિધ નવ ટાસ્ક ફોર્સની રચના કરી વિવિધ ક્ષેત્રના લોકો પાસેથી સૂચનો મેળવીને તૈયાર કરાયેલી આ નવી નીતિમાં નવી રોજગારીની તકો, વિવિધ ક્ષેત્રમાં વેલ્યુ એડિશન, આધુનિક ટેકનોલોજી અપનાવી ૪.૦ ઔદ્યોગિક ઉત્પાદક્તામાં વધારો, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ભાર મુકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવા પર ભાર મુક્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યનો વિકાસ હાલની સ્થિતિ મુજબ યથાવત્ રહે તો નવી ઔદ્યોગિક નીતિમાં સરેરાશ રૂ.૮૦૦૦ કરોડનો આઉટ લે એટલે કે ખર્ચ થવાનો અંદાજ છે.
વૈશ્વિક રોકાણોના વલણો, સર્વાંગી મુલ્યવૃદ્ધિત ચેઇન્સને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત, નિકાસ, કેન્દ્ર સરકારની નીતિઓને ધ્યાને રાખી વિવિધ પંદર ક્ષેત્રને થ્રસ્ટ એરિયા તરીકે પસંદ કર્યા છે, તેમ કહી રૂપાણીએ ઉમેર્યું કે, આ પંદર થ્રસ્ટ એરિયાને કોર સેક્ટર અને સનરાઇઝ સેક્ટર્સ તરીકે બે ભાગમાં વિભાજિત કર્યા છે.
ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું હબ છે એટલે એમાં આવતા ઇલેક્ટ્રિકલ અને ઇન્ડસ્ટ્રિયલ મશીનરી, ઓટોમોટિવ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, નિયત વિસ્તારમાં કેમિકલ્સ વગેરે ક્ષેત્રોને કોર સેક્ટરમાં સમાવેશ કરાયો છે જ્યારે ટેકનોલોજીકલ પ્રગતિમાં નોંધપાત્ર ફાળો આપી શકે અને સાતત્યપૂર્ણ આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે તેવા ક્ષેત્રોમાં ઇલેક્ટ્રિક વાહનો, વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, ઇકો ફ્રેન્ડલી કોમ્પોસ્ટેબલ મટિરિયલ્સ, ઇન્ડસ્ટ્રી ૪.૦ ઇક્વિપમેન્ટ્સ, સોલાર, વિન્ડ ઇક્વિપમેન્ટ અને નિકાસ આધારિત એકમોને સનરાઇઝ સેક્ટરમાં સમાવિષ્ટ કર્યા છે. આ થ્રસ્ટ સેક્ટર્સને ઔદ્યોગિક નીતિના એક હિસ્સા તરીકે ઇન્ક્રિમેન્ટલ ઇન્સેન્ટીવ આપવામાં આવશે.
નવા એકમોને સરકારી જમીન નિયત સ્થળે ઉપલબ્ધતાના આધારે ફાળવશે. આ જમીન પચાસ વર્ષ માટે લીઝ ઉપર અપાશે અને એનું બજાર કિંમતના ૬ ટકા લેખે ઉદ્યોગકારે ભાડું ચુકવવાનું રહેશે. સરકાર આવા એકમોને બેંકમાંથી લોન લેવા માટે પણ મદદ કરશે, તેમ કહી મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નીતિમાં લઘુ, મધ્ય અને સુક્ષ્મ, નાના એકમોને પણ વિશેષ લાભ થાય એમનો પણ પ્રોત્સાહન મળે એની કાળજી રાખવામાં આવી છે. આવા એકમોને ઇન્ટરેસ્ટ સબસિડી પણ ચૂકવાશે. એમને પેટન્ટ આધારિત ટેકનોલોજી મેળવવા માટે પહેલી વખત સરકાર આ નીતિ હેઠળ આર્થિક સહાય ચૂકવશે.
ઇતિહાસમાં પહેલી વખત એ ઘટના બનશે કે જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં
જ વિશ્વપ્રસિદ્ધ કૃષ્ણમંદિર, દ્વારકાના દ્વાર લોકો માટે બંધ રહેશે. કોરોના વાયરસનો
ચેપ ન ફેલાય તે માટે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ચાર દિવસ દ્વારકા મંદિર બંધ
રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતનો સૌથી મોટો જન્માષ્ટમીનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે ભગવાન કૃષ્ણના ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ વખતે કૃષ્ણ જન્મના ઉત્સવો રદ છે. તેવામાં ગુજરાતના સુપ્રસિદ્ધ દ્વારકા મંદિરને પણ જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારાકાનું મંદિર જન્માષ્ટમીના ચાર દિવસ 10થી 13 ઓગસ્ટ દરમિયાન બંધ રહેશે.
મંદિરમાં ભક્તોની ભીડ ન ઉમટે તેના કારણે દ્વારકા મંદિરને ચાર દિવસ
બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો મંદિર ખુલ્લુ રાખવામાં આવે તો ભક્તોની
ભીડ ઉમટે અને તેનાથી કોરોનાના ચેપનું જોખમ વધી જાય તેને ધ્યાનમાં રાખતા જિલ્લા
કલેક્ટરે આ નિર્ણય લીધો છે. તેથી 10થી 13 ઓગસ્ટ દરમિયાન દ્વારકા મંદિર બંધ રહેશે.
દ્વારકા મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે પરંતુ મંદિરમાં
નિયમિત રીતે પૂજા-આરતી થતી રહેશે. જોકે, ભક્તો માટે રાહતની
વાત એ છે કે મંદિરની અંદર થનારી આરતીનું સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં
આવશે. આ ભક્તો સોશિયલ મીડિયા પર આરતીનો લાભ લઈ શકશે.
અનલોક-3ના છઠ્ઠા દિવસે ગુજરાતના 33 જિલ્લામાં કોરોનાના સંક્રમિતના 1034 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 67 હજારને પાર કરીને 67811 થયો છે. આજે ગુજરાતમાં 8 શહેરોમાં 555 અને ગ્રામ્ય વિસ્તારમાં 479 કેસ નોંધાવવા પામ્યા છે. વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના વધુ 27 દર્દીના મૃત્યુ નિપજવા પામ્યા છે. જેને લઈને ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીનો આંક 2584 થયો છે. બીજીબાજુ વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 917 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 50 હજારને પાર કરીને 50322 થયો છે આને લઈને ગુજરાતમાં ડિસ્ચાર્જ દર્દીનો આંક વધીને 74.21% થયો છે. રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે. જેમાં 82 વેન્ટિલેટર પર છે.
વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલા 1034 કોરોના સંક્રમિત કેસમાં આજે પણ સુરત પ્રથમ સ્થાને છે. સુરત શહેરમાં 184 અને ગ્રામ્યમાં 54 મળીને કુલ 283, અમદાવાદ શહેરમાં 137′ અને ગ્રામ્યના 14 મળીને કુલ 151, વડોદરામાં 118, રાજકોટમાં 90, જૂનાગઢ અને ભાવનગરમાં 44-44, ગાંધીનગરમાં 32, મહેસાણામાં 34, જામનગરમાં 28, કચ્છમાં 27, ખેડામાં 21, અમરેલી અને પંચમહાલમાં 20-20, ભરૂચમાં 19, સુરેન્દ્રનગરમાં 18, વલસાડમાં 16, ગીર સોમનાથમાં 15, મોરબી અને સાબરકાંઠામાં 14-14, બોટાદમાં 12, દાહોદ અને મહીસાગરમાં 11-11, નવસારીમાં 9, પાટણમાં 7, આણંદ અને નર્મદામાં 6-6, બનાસકાંઠા અને તાપીમાં 2-2 જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાવા પામ્યા છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કુલ 27 કોરોના દર્દીઓએ તેમના જીવ ગુમાવ્યા છે. તેમાં સૌથી વધુ સુરતમાં 9, અમદાવાદ અને રાજકોટમાં 5-5, વડોદરામાં 3, કચ્છમાં 2 જ્યારે મહેસાણા, વલસાડ અને જામનગરમાં 1-1 વ્યક્તિના મૃત્યુ નોંધાવા પામ્યા છે. જેને લઈને ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 2584 થયો છે.
વિતેલા 24 કલાક દરમિયાન રાજ્યમાં કુલ 24569 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 9,03,782 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ 14905 એક્ટિવ કેસ છે. જેમાં 82 વેન્ટિલેટર પર અને 14823 સ્ટેબલ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.