ગુજરાત Archives - Page 58 of 158 - CIA Live

September 23, 2020
corona-gujarat.jpg
1min4990

તા.23મી સપ્ટેમ્બર 2020ના રોજ સવારે પૂરા થયેલા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં નવા ૧૪૦૪ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૬ દર્દીના મૃત્યુ થયા છે. આ સાથે કુલ કેસનો આંક ૧,૨૬,૧૬૯ થયો છે જ્યારે મૃત્યુ આંક વધીને ૩૩૫૫ થયો છે. વધુ ૧૩૨૧ દર્દી સાથે કુલ ડિસ્ચાર્જ થનારની સંખ્યા ૧,૦૬,૪૧૨ થઇ છે જે ૮૪.૩૪ ટકાનો રિવકરી રેટ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૬૪૦૧ છે, આ પૈકી ૯૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૬૩૧૦ સ્ટેબલ દર્દી છે.

કોરોનાથી દેશભરમાં થતા મૃત્યુમાં પંજાબ પછી ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. ગુજરાતમાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યા 3355 થઇ ચૂકી છે.

September 22, 2020
gfsu.png
1min5700

ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને કેન્દ્રિય યુનિવર્સિટી તરીકેનો દરજ્જો આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. આ માટેનું બિલ લોકસભામાં પસાર કરાયું હતું. આ યુનિવર્સિટી માટે કેન્દ્ર સરકાર ૧૦૦ ટકા ગ્રાન્ટ ફાળવશે અને યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર રહેશે. આ ઉપરાંત રાજ્યની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીને આ વિશિષ્ટ દરજ્જો મળતા યુનિવર્સીટીનાં કાર્યક્ષેત્રનો વ્યાપ દેશ અને દુનિયામાં વધશે જેને કારણે તમામ સ્તરે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ, ઝડપી ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને લગતા અનેક કાર્યો થઇ શકશે જેના કારણે રાજ્યમાં ઝીરો ટોલરન્સની રાજ્ય સરકારની નીતિને અને ગુનાખોરી નાથવા માટેની પ્રવૃત્તિઓ ડામવાની રાજ્ય સરકારની નીતિને બળ મળશે. ગુજરાત સ્થિત આ શૈક્ષણિક સંસ્થા ફોરેન્સિક સાયન્સનાં વિષયમાં દેશ-ભરની એક-માત્ર પ્રમુખ સંસ્થા તરીકે સુકાન સંભાળશે. આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળતા કેન્દ્ર સરકાર દ્વારા આ યુનિવર્સિટીને ૧૦૦% ગ્રાન્ટ આપવામાં આવશે.

September 21, 2020
gujarat-vidhansabha.jpg
1min5430

21/9/20 સોમવારથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુસત્ર ૨૧ થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન મળી રહ્યું છે. હાલ કોરોના મહામારી વચ્ચે વિધાનસભામાં ધારાસભ્યના સામૂહિક ટેસ્ટ બાબતે પણ તૈયારી કરી છે. ગુજરાત વિધાનસભામાં આજે તમામ ધારાસભ્યો અને પ્રધાનોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામ નેતાઓના રેપિડ ટેસ્ટ કરાયા હતા. કોરોના ટેસ્ટ માટે કુલ છ ટીમ ફાળવવામાં આવી હતી. ભાજપાના ધારાસભ્યો અને મંત્રીઓ માટે ચાર અને કોંગ્રેસના ધારાસભ્યોના ટેસ્ટ માટે બે ટીમ ફાળવાઇ હતી.

ત્રણ ધારાસભ્ય – ધાનેરાના નાથા પટેલ, દક્ષિણ ગુજરાતના વ્યારાના પુનભાઈ ગામિક અને અમરેલીના વીરજી ઠુમ્મર કોરોના પોઝિટિવ આવ્યા છે.

આજે બંને પક્ષના ધારાસભ્ય દળની બેઠક પહેલા ટેસ્ટ કરાયા હતા. ગુજરાત વિધાનસભા શાસક પક્ષના સભાખંડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતી બેઠક વ્યવસ્થા એક ખુરશી છોડી બીજી ખુરશી પર બેસવાની વ્યવસ્થા કરાઈ છે. એક ખુરશી પર પટ્ટી લગાડવામાં આવશે. ખુરશી ખૂલે નહિ તે રીતે ફિક્સ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસના સત્રમાં ૨૦ બિલો પર ચર્ચાનો નિર્ણય કરાયો છે. હાલના સમયે કોરોના વિશ્વ વ્યાપી પ્રશ્ન છે, તેથી પ્રથમ દિવસે કોરોના બાબતે અઢી કલાક ચર્ચા થશે. ૨૦ બિલ અને સંકલ્પ વગેરે પર કામકાજ સલાહકાર સમિતિમાં નિર્ણય થયો છે. પવિત્ર યાત્રાધામ અંબાજીમાં વધુ સ્વચ્છ અને નોટિફાઇડ બિલ પણ સત્ર દરમિયાન લાવવામાં આવશે.

September 20, 2020
corona-gujarat.jpg
1min4900

છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ સુરતમાંથી નવા ૨૮૧ કેસ, અમદાવાદમાંથી ૧૭૮ કેસ, રાજકોટ ૧૫૧, વડોદરા ૧૩૮, જામનગર ૧૨૬ નવા કેસ નોંધાય છે જ્યારે ગાંધીનગરમાંથી ૪૩ કેસ, ભાવનગરમાંથી ૪૧, જૂનાગઢમાંથી ૩૫ કેસ નવા નોંધાયા છે. આ સિવાય જિલ્લાઓમાં જોઇએ તો ઉત્તર ગુજરાતના મહેસાણામાંથી એક સાથે ૬૯ કેસ અને બનાસકાંઠમાંથી ૪૪ કેસ નવા ઉમેરાયા છે. આ સિવાય પંચમહાલમાંથી ૩૦, અમરેલીમાંથી ૨૯ કેસ નોંધાયા છે.

મોરબી જિલ્લામાંથી ૨૮ કેસ, કચ્છ ૨૬, ભરૂચમાંથી ૨૪ કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાંથી ૨૩, મહીસાગરમાંથી ૧૬, દાહોદ અને ગીર સોમનાથમાંથી ૧૫-૧૫ કેસ નવા નોંધાયા છે. દેવભૂમિ દ્વારકામાંથી ૧૪, સાબરકાંઠામાંથી ૧૩, ખેડા, નર્મદા, સુરેન્દ્રનગરમાંથી ૧૨-૧૨ કેસ ઉમેરાયા છે. જ્યારે તાપી અને આણંદ જિલ્લામાંથી ૧૦-૧૦ કેસ આવ્યા છે. બોટાદમાંથી ૯, છોટાઉદેપુર અને નવસારીમાંથી ૮-૮ કેસ, પોરબંદરમાંથી ૫, અરવલ્લી અને વલસાડમાંથી ૨-૨ અને ડાંગમાંથી ૧ નવો કેસ નોંધાયો છે.

કોરોનાના સંક્રમણમાં રાજ્યમાં સતત બીજા દિવસે અને સપ્ટેમ્બર મહિનામાં આઠમી વખત નવા ૧૪૩૨ કેસનો વિક્રમ સર્જાયો છે. આ સાથે વધુ ૧૬ દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. અલબત્ત, અગાઉ સુરત અને અમદાવાદમાં કોરોનાના દાખલ થયેલા દર્દીઓના મૃત્યુને લઇ થતી હોબાળો હવે રાજકોટ પછી ગાંધીનગરમાં પણ સર્જાયો છે. આ મુદ્દે સરકાર મૌન છે, પરંતુ રાજકોટમાં ચોવીસ કલાકમાં વીસથી વધુ અને ગાંધીનગરમાં પંદરથી વધુ દર્દીના મૃત્યુ થયા છે. જોકે, સત્તાવાર રીતે સરકારે રાજકોટ અને ગાંધીનગરમાં એક એક દર્દીના મૃત્યુ થયાનું જાહેર કર્યું છે. આ સિવાય સુરતમાં કુલ પાંચ, અમદાવાદ ૩, વડોદરા અને ભાવનગરમાં ૨-૨, કચ્છ અને અમરેલીમાં ૧-૧ દર્દીના કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું છે.

September 19, 2020
rupani-1280x789.jpg
1min4990

ગુજરાતનાં નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હિલર-થ્રી વ્હિલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કરી છે.

આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ-૯થી લઇને કોલેજ સુધીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હિલર ખરીદવા સરકાર ૧ર હજાર રૂપિયાની સહાય આપશે. આ સહાય-સબસિડી ૧૦ હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહિ, વ્યકિતગત અને સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હિલર ખરીદીમાં પણ ૪૮ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. સાથોસાથ બેટરી સંચાલિત વાહનોના ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા ૫૦ લાખની યોજના પણ રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે.

September 19, 2020
mital_sojitra.jpg
1min6630

સુરતની મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રા (Mittal Sojitra)એ અનુકરણીય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે. તા.17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસે સમગ્ર દેશમાં ઉજવાય રહ્યો હતો ત્યારે સુરતના મહિલા ચિત્રકાર મિતલ સોજીત્રાએ 70 બાળકોને દત્તક લીધા હતા. એક મહિલાએ આ પ્રકારે અનુકરણીય અને અનોખી પહેલ કરી છે.

સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ક્રુષ્ણકુમાર સિંહ પ્રાથમિક શાળાના 70 વિધાર્થીઓ જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તેમની જરૂરિયાતની વસ્તુઓ માટે મિતલ સોજીત્રા અને તેમના સહયોગી વર્ષા અલગીયા તેમને સહાયભૂત થશે. દત્તક લેવાનો અર્થ અહીં એ છે કે 70 બાળકોના શિક્ષણ, સ્ટેશનરીથી માંડીને જરૂરિયાતની દરેક વસ્તુમાં મદદ કરવામાં આવશે.

https://www.facebook.com/photo?fbid=3462476700486021&set=pcb.3462490277151330

પોતાનો અભિગમ સ્પષ્ટ કરતા મિતલ સોજિત્રાએ જણાવ્યું હતું કે

વિદ્યાર્થીઓને સરકારી શાળામાંથી જરૂરીયાતની વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ અમુક સામગ્રી એવી હોય છે જે આપવામાં આવતી ન હોય. તેમજ અમુક વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે જરૂરી વસ્તુઓ ખરીદી શકતા નથી. જેથી તેમના વિકાસમાં અડચણો ઉભી થાય છે. વિદ્યાર્થીઓના વિકાસમાં અડચણ ઉભી ન થાય એટલા માટે જ બે બાળકોનો આધાર બનાવનું નક્કી કર્યું અને આ પહેલ શરૂ કરી છે.

મિતલ સોજીત્રા જાણીતા ચિત્રકાર છે. તેમણે “બેટી બચાઓ બેટી પઢાવો”નું  127 ફૂટ લાંબુ પેઇન્ટિંગ બનાવી ગિનીસ બુકના રેકૉર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે. આવનારા સમયમાં તેઓ નરેન્દ્ર મોદીની બાયોગ્રાફી પણ લોન્ચ કરવાના છે. જેમાં તેમના નાનપણથી લઈને અત્યાર સુધીના 100 ચિત્રો હશે સાથે જ તેના વિશેની માહિતી આપવામાં આવશે.

September 19, 2020
School-kids-with-heavy-bags.jpg
1min441

કોરોનાનાં કપરા કાળમાં શાળાની ફીનો મુદ્દો ખાનગી શાળાઓ, સરકાર અને છાત્રોનાં વાલીઓ માટે જટિલ કોયડો બની ગયો છે. હાઈ કોર્ટનાં આદેશને પગલે ગુજરાત સરકારે શાળા સંચાલકોને ફીમાં રાહતની ભલામણો કરી હતી. જેનો શાળાઓએ અસ્વીકાર કરી નાખેલો. જેને પગલે રાજ્ય સરકારને ફરીથી ગુજરાત હાઈ કોર્ટનાં દ્વારે જવું પડેલુ અને આ વખતે સરકારની હાલત વધુ કફોડી બની ગઈ છે. હાઈ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે આ મામલે નિર્ણય લેવા માટે રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં સરકાર અદાલતમાં આવે તે ખેદજનક છે. આમ હવે વાલીઓ અને શાળા સંચાલકોમાંથી કોની માગણીનો પક્ષ લેવો અને કેવો વચલો માર્ગ કાઢવો તેની દ્વિધામાં સરકાર ઘેરાઈ ગઈ છે.

ગુજરાત હાઇ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કરી દીધું છે કે, રાજ્ય સરકાર પાસે આ મામલે નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા છે. આથી હવે ગુજરાત સરકાર જે ફી નક્કી કરશે તે ફી સંચાલક મંડળે સ્વીકારવી પડશે. ગુજરાતમાં શાળાઓની ફી મામલે ગુજરાત સરકાર તરફથી હાઇ કોર્ટમાં કરવામાં આવેલી અરજીનો આજે હાઇ કોર્ટે નિકાલ કર્યો છે. આ સાથે જ હાઇ કોર્ટે કહ્યું છે કે, કોરોના કાળ દરમિયાન શાળાઓની ફી નક્કી કરવા માટે સરકાર પાસે પૂરી સત્તા છે.

મહત્ત્વનું છે કે, કોરોના કાળમાં સ્કૂલ અને કોલેજો બંધ હોવાથી ગુજરાત વાલી સંચાલક મંડળે સ્કૂલોને ફીમાં રાહત આપવાની માગણી કરી હતી. જોકે, સંચાલકો તૈયાર ન થતાં આ મામલે સંચાલક મંડળે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદમાં રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને સ્કૂલો ન ખૂલે ત્યાં સુધી સંચાલકો ફી નહીં ઉઘરાવી શકે તેવી જાહેરાત કરી હતી. સરકારના આ પરિપત્રના વિરોધમાં સંચાલક મંડળ હાઇ કોર્ટમાં ગયું હતું. આ મામલે હાઇ કોર્ટે સરકારનો પરિપત્ર રદ કરી નાખ્યો હતો અને સ્કૂલ સંચાલકો અને સરકારને સાથે બેસીને આ મામલે કોઈ નિરાકરણ લાવવાનો આદેશ કર્યો હતો. જે બાદમાં સરકાર તરફથી સ્કૂલ સંચાલકોને ફીમાં 25 ટકાનો ઘટાડો કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, સ્કૂલ સંચાલકોએ આ વાત સ્વીકારી ન હતી અને તેઓ સ્કૂલ ફીમાં કરેલો 10 ટકાનો વધારો જ જતો કરવા માટે રાજી થયા હતા. આ મામલે ગુજરાત સરકારે ફરીથી હાઇ કોર્ટમાં અરજી કરી હતી.

રાજકોટ શહેર સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનાં પ્રમુખ અજય પટેલે પણ ચુકાદાને શિરોમાન્ય ગણાવતા કહ્યું હતું કે, વાલીઓને ન્યાયતંત્ર અને સરકાર ઉપર પૂરો વિશ્વાસ છે. સરકાર હવે બધાનું હિત ધ્યાને રાખીને યોગ્ય નિર્ણય લેશે તેવી આશા રાખવામાં આવે છે.

September 17, 2020
Schoolsclosed4.jpg
1min5880

16/9/20 મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખૂલે. કેન્દ્ર સરકારે અનલોક 4માં ધોરણ 9થી 12ના વર્ગો શરુ કરવા મંજૂરી આપી છે. જોકે, તે ફરજિયાત નહીં પરંતુ મરજિયાત છે. તેવામાં ગુજરાત સરકારે કોરોનાની હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. કેબિનેટે એવું પણ નક્કી કર્યું છે કે ભવિષ્યમાં રાજ્યમાં કોરોનાના કેસો ઘટે ત્યારે જ સ્કૂલો ખોલવા અંગે નિર્ણય લેવાશે.

Indiana schools closed for rest of academic year

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર 9થી 12ના વર્ગો શરુ કરવા મરજિયાત છે. તેવામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે સ્કૂલો બંધ જ રાખવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સામાન્ય રીતે 15 જૂનથી સ્કૂલો ખૂલી જતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે હજુ સુધી સ્કૂલો નથી ખૂલી અને વિદ્યાર્થીઓને ઓનલાઈન જ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

September 16, 2020
Remya-Mohan-IAS-GJ-Indian-Bureaucracy.jpg
1min5440

કોરોનાનો કહેર સમાજના દરેક લોકો પર એકધારો વરસી રહ્યો છે. આજરોજ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન પણ કોરોના સંક્રમિત થતા કલેક્ટર કચેરી અને અધિકારીગણમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

કલેક્ટર રેમ્યા મોહન છેલ્લા છ મહિનાથી એકધારા કોરોનાને કાબુમાં લેવા દોડધામ કરી રહ્યા હતા. આજે પણ કોરોના સંદર્ભે યોજાયેલી બેઠક બાદ તેમની તબિયત પ્રતિકુળ જણાઈ હતી. ગળામાં બળતરા થતા તેમણે કોરોનાનો એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટીવ આવ્યો હતો. તેમણે કોરોનાની પ્રાથમિક સારવાર સરકારી હોસ્પિટલમાં લીધી હતી અને બાદમાં હોમ આઈસોલેટ થયા હતા.

કલેક્ટરને કોરોનાના હળવા એ સિમ્ટોમેટિક લક્ષણો જણાયા છે. નાદુરસ્તી છતાં રજા પર ઉતરવાને બદલે કલેક્ટરે 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન પીરીયડ દરમિયાન ઘરેથી જ વહીવટી કામગીરી કરવાનો નિર્ધાર કર્યો છે. તેમજ તેમની સાથે તાજેતરમાં સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો છે.

સમાજના એક પછી એક પ્રતિષ્ઠિત લોકોને સંક્રમિત કરતા કોરોનાએ આજે જાણીતા વકીલ અને રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનીલભાઈ દેસાઈને પણ સંક્રમિત કર્યા છે. તેમને કોરોનાના હળવા લક્ષણો છે અને હોમ ક્વોરન્ટાઈન થયા છે.

ગઈકાલે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયા કોરોના પોઝિટીવ જાહેર થયા હતા. નોંધનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં જિલ્લા બેંકમાં વડી કચેરીમાં પ સહિત વિવિધ ર00 જેટલી શાખામાં કુલ 18 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.  

September 15, 2020
sabji_market-1280x720.jpg
1min5620
file photo

કોરોનાને કારણે કામધંધાની ગતિ ધીમી પડી ગઈ હોવાથી આર્થિક મંદી પણ ઊભી થઈ છે, લોકોની આવકમાં ઘટાડો થયો છે, પગાર પણ કપાઈને મળી રહ્યા છે ત્યારે આવી આર્થિક સ્થિતિ વચ્ચે શાકભાજીના અચાનક વધી ગયેલા ભાવે સુરતીઓને ચિંતામાં મૂકી દીધા છે.

ગૃહિણીઓનું મન્થ્લી બજેટ કોરોનાને કારણે પહેલાં જ હલબલી ગયું છે અને છેલ્લા બારેક દિવસથી શાકભાજીના ભાવમાં ૧૦થી ૧૫ ટકા હોલસેલ માર્કેટમાં વધારો થતાં બજેટ કઈ રીતે જાળવવું એ સમજાઈ નથી રહ્યું. જોકે રાહતની એ વાત પણ છે કે કદાચ વીસેક દિવસ પછી આ ભાવ નીચે જઈ શકે એવી શક્યતા છે, પરંતુ નવરાત્રિમાં પાછા ભાવ વધી શકે એ શક્યતાને પણ નકારી શકાય એમ નથી.

કોરોના અને એને કારણે થયેલા લૉકડાઉનને લીધે વેપારીઓને રૂપિયાની કમાણી નથી અને નોકરિયાત પાસે ક્યાં તો નોકરી નથી અને ક્યાં તો નોકરીમાં કપાતી સૅલેરીમાં કામ કરવું પડે છે ત્યારે શાકભાજીના ભાવમાં થયેલો તોતિંગ વધારો પડેલા પર પાટુ જેવો છે. આમાં ખરો મરો થાય છે મિડલ-ક્લાસનો.

શાકભાજીના ભાવમાં અચાનક થયેલા વધારા વિશે વાત કરતાં સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના આગેવાને જણાવ્યું હતું કે ‘લૉકડાઉન પહેલાં માર્કેટમાં 400 પ્લસ જેટલી ટ્રકો દરરોજ આવતી હતી, પરંતુ હાલમાં 250 ટ્રક જ આવી રહી છે. હાલમાં વરસાદને લીધે સારો માલ ઓછો અને ખરાબ માલ વધુ આવી રહ્યો હોવાથી છેલ્લા ૧૦-૧૨ દિવસથી અચાનક શાકભાજીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો હોલસેલ માર્કેટમાં વધારો થયો છે. અચાનક પડી રહેલા વરસાદને કારણે પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.’

એપીએમસી માર્કેટમાં શાકભાજીના ભાવ વધતાં રીટેલ માર્કેટમાં અનેક ઠેકાણે ગ્રાહકો પાસેથી મન ફાવે એ ભાવ વસૂલાઈ રહ્યા છે. ટમેટાં ૫૦થી ૭૦ રૂપિયા કિલો, ફ્લાવર ૪૦થી ૭૦ રૂપિયા કિલો, કોથમીર ૩૦ રૂપિયા ઝૂડી એ રીતે મન ફાવે એવા ભાવ ગ્રાહકો પાસે લેવાઈ રહ્યા છે. ગ્રાહકો નાછૂટકે વધુ ભાવ ચૂકવીને પણ શાકભાજી ખરીદવા મજબૂર છે.