CIA ALERT

ગુજરાત Archives - Page 5 of 157 - CIA Live

January 16, 2026
image-5.png
1min94

ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર અનેક પરિવારો માટે માતમ લઈને આવ્યો છે. ચાઈનીઝ દોરી અને પતંગના કારણે સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં રાજ્યભરમાં કુલ 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાઓમાં સૌથી વધુ 7 મોત સુરતમાં નોંધાયા છે, જ્યારે અમદાવાદ, જંબુસર, અરવલ્લી અને ખંભાતમાં 1-1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

ફ્લાયઓવર પરથી દંપતી અને પુત્રી બ્રિજ પરથી નીચે ખાબક્યા

સુરતના અડાજણ પાટીયા નજીક આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર હૃદયદ્રાવક ઘટના બની હતી. જ્યાં 34 વર્ષીય રેહાન રહીમ શેખ, 30 વર્ષીય પત્ની રેહાના અને 10 વર્ષની પુત્રી આલિશા સાથે બાઈક પર ગાર્ડનમાં ફરવા નીકળ્યા હતા. બ્રિજના વળાંક પર અચાનક પતંગની દોરી આડી આવતા રેહાને બાઈક પરથી સંતુલન ગુમાવ્યું હતું. આ પરિવાર અંદાજે 70 ફૂટની ઊંચાઈએથી બ્રિજ નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં ત્રણેયના કરુણ મોત નીપજ્યા હતા.

સરકાર અને પોલીસ દ્વારા વારંવાર પ્રતિબંધ અને સૂચનાઓ આપવા છતાં ચાઈનીઝ દોરી અને કાચ પાાયેલી ઘાતક દોરીનો ઉપયોગ ચાલુ રહેતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અન્યાની પતંગ કાપવાની મજા અનેક પરિવારો માટે કાયમી સજા સમાન સાબિત થઈ છે.

January 6, 2026
image-3.png
1min143

સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડના જમીન એનએ (બિનખેતી) કરાવવાનું કૌભાંડ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ કૌભાંડ મામલે 4 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં હતા. આજ રોજ આ સમગ્ર મામલાની તપાસ કરવા એસીબી દ્વારા ડીવાયએસપી અને પીઆઇ સહિતના છ અધિકારીઓની એસઆઈટીની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 2 જાન્યુઆરીની સવારે ઈડીએ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેકટર રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી. ઈડીની પ્રાથમિક તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા લગભગ 7 વર્ષમાં ગુજરાતમાં અલગ–અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 6 આઈએએસ અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર, લાંચ, જમીન કૌભાંડ, ટેન્ડર ગેરરીતિ અને નૈતિક અધ:પતન જેવા ગંભીર આરોપોના આધારે સસ્પેન્શન કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત, આણંદ અને જુનાગઢ જેવા જિલ્લાઓમાં કલેક્ટર સ્તરના અધિકારીઓ સામે પગલાં લેવાતા વહીવટી તંત્રની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થયા છે.

ગુજરાત એસીબીના એડિશનલ ડાયરેક્ટર બીપીન આહિરેની અધ્યક્ષતામાં ડેપ્યુટી ડાયરેક્ટર, ડીવાયએસપી અને પીઆઈ સહિત કુલ 6 લોકોની એસઆઇટી બનાવવામાં આવી છે. આરોપીઓ દ્વારા વસાવેલી અપ્રમાણસર મિલકત અને સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંગેની ઝડપી અને નિષ્પક્ષ તપાસ માટે આ એસઆઇટીની રચના ગુજરાત એસીબીના વડા પિયુષ પટેલ દ્વારા કરવામાં આવી છે.

ઈડી દ્વારા કરવામાં આવેલી તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેથી રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી અને અમદાવાદ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટ દ્વારા 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ આપવામાં આવ્યાં હતા. આજે રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ પણ કરી દેવામા આવ્યાં હતાં. આ કેસમાં હજી તપાસ ચાલી રહી છે. ઈડી દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ 1500 કરોડના કૌભાંડમાં અન્ય પણ નામો ખુલે તેવી આશંકાઓ છે. હવે આ કેસની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે.

December 28, 2025
bjplogo.png
2min251

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે(27 ડિસેમ્બર, 2025) પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની સહમતી બાદ આ નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સંગઠનાત્મક નિમણૂકોની મુખ્ય વિગતોનવી ટીમમાં અનુભવી અને યુવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે.

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમમાં 10 ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.

સંગઠનમાં 10 પ્રદેશ ઉપપ્રમુખ, 4 પ્રદેશ મહામંત્રી, 10 પ્રદેશ મંત્રીની નિમણૂક કરાઈ છે. આ સિવાય પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ અને પ્રદેશ મોરચાના પ્રમુખની પણ નવી નવી નિમણૂકો કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના મુખ્ય પદાધિકારીઓની યાદી નીચે મુજબ છે.

10 ઉપપ્રમુખની નિમણૂક

નામ જીલ્લો
જયદ્રથસિંહ પરમાર પંચમહાલ
રમેશ ધડુક પોરબંદર
ભરત પંડ્યા અમદાવાદ જીલ્લો
રાજેશ ચુડાસમા જૂનાગઢ જીલ્લો
નટુજી ઠાકોર મહેસાણા
ગીતાબેન રાઠવા છોટા ઉદેપુર
ગૌતમ ગેડીયા સુરેન્દ્રનગર
અરવિંદ પટેલ વલસાડ
રસિક પ્રજાપતિ વડોદરા જીલ્લો
ઝંખનાબેન પટેલ સુરત શહેર

4 મહામંત્રીની નિમણૂક

અનિરુદ્ધ દવે કચ્છ
ડો. પ્રશાંત કોરાટ રાજકોટ જીલ્લો
અજય બ્રહ્મભટ્ટ ખેડા
હિતેન્દ્રસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર

10 મંત્રીની નિમણૂક

શંકર આંબલિયાર દાહોદ
ડો. સંજય દેસાઈ બનાસકાંઠા
નીરવ અમીન આણંદ
કૈલાશબેન ગામીત તાપી
મુક્તિબેન મયંકકુમાર જોષી મહીસાગર
સોનલબેન સોલંકી વલસાડ
પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ સાબરકાંઠા
સીતાબેન પટેલ મહેસાણા
આશાબેન નકુમ જામનગર
હરજીવન પટેલ બનાસકાંઠા

1 કોષાધ્યક્ષ અને 1 સહ કોષાધ્યક્ષની નિમણૂક

ડો. પરિન્દુ ભગત (કોષાધ્યક્ષ) કર્ણાવતી
મોહન કુંડારીયા (સહ કોષાધ્યક્ષ) મોરબી

કાર્યાલય મંત્રીની નિમણૂક

શ્રીનાથ શાહ અમદાવાદ

મુખ્ય પ્રવક્તા અને મીડિયા ઈન્ચાર્જની નિમણૂક

ડો. અનિલ પટેલ (મુખ્ય પ્રવક્તા) કર્ણાવતી
પ્રશાંત વાળા (મીડિયા ઈન્ચાર્જ) રાજકોટ શહેર

વિવિધ મોરચાના પ્રમુખની નિમણૂક

મોરચો પ્રમુખનું નામ જીલ્લો/શહેર
યુવા મોરચા ડો. હેમાંગ જોશી વડોદરા શહેર
મહિલા મોરચા અંજુબેન વેકરીયા સુરત શહેર
કિસાન મોરચા હિરેન હિરપરા અમરેલી
ઓ.બી.સી. મોરચા માનસિંહ પરમાર ગીર સોમનાથ
એસ.સી. મોરચા ડો. કિરીટ સોલંકી કર્ણાવતી
એસ.ટી. મોરચા ગણપત વસાવા સુરત જીલ્લો
લઘુમતી મોરચા નાહિન કાઝી ભાવનગર શહેર

December 23, 2025
image-23.png
1min127

અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ ઉત્તરાયણ પહેલાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાં પાડવામાં આવેલા દરોડાના તાર છેક દાદરા નગર હવેલી સુધી પહોંચ્યા હતા. બાદમાં એસ.ઓ.જીની ટીમે દાદરા નગરમાં ધમધમતી ગેરકાયદે ચાઇનીઝ દોરી બનાવતી કંપનીને પણ ઝડપી પાડી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 52,000 જેટલી પ્રતિબંધિત ફિરકીઓ અને મશિનરી સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ ઓપરેશનની શરૂઆત વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં થયેલા દરોડાથી થઈ હતી. સાણંદના રણમલ ગઢ ગામના સીમમાંથી 7.48 લાખની 1872 રીલ સાથે ચાર શખસો, બાવળાની ફેક્ટરીમાંથી 12.91 લાખની 3864 ફિરકી સાથે એક શખસ અને કોઠ પાસે આઈસર ગાડીમાંથી 12.15 લાખના મુદ્દામાલ સાથે બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આણંદ ટાઉન પોલીસ સાથે મળીને 2.01 લાખની 672 ફિરકી પણ જપ્ત કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે પ્રતિબંધિત દોરીનો આ જથ્થો વાપીના વિરેનકુમાર બાબુભાઈ પટેલ દ્વારા મોકલવામાં આવતો હતો.

તપાસના અંતે SOGની ટીમે દાદરા નગર હવેલી ખાતે આવેલી ‘વંદના ઇન્ડસ્ટ્રીઝ’ પર દરોડો પાડ્યો હતો, જ્યાં ગેરકાયદે સિન્થેટિક (ચાઈનીઝ) દોરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. અહીંથી પોલીસે 1.50 કરોડની કિંમતની 43,192 રીલ અને 50 લાખની મશીનરી તથા રો-મટીરિયલ સીઝ કર્યું છે. આમ, અલગ-અલગ સ્થળોએથી કુલ 1.82 કરોડની કિંમતની 52,000 ફિરકીઓ અને વાહનો-મોબાઈલ સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે પ્રતિબંધિત દોરીના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

December 22, 2025
image-20.png
1min146

રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)એ એક વિવાદસ્પદ નિર્ણય લીધો હતો. જે મુજબ બિલ્ડરને પ્રોજેક્ટ પર લીધેલી લોનની વિગતો જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતાના નિયમોમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરતા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની માહિતી પ્રદર્શિત કરવા અંગેના તેના તાજેતરના નિર્દેશમાં સુધારો કર્યો હતો.

નવા જાહેર કરાયેલા ઓર્ડર 112-A હેઠળ, ડેવલપર્સ માટે હવે ફરજિયાત ઓન-સાઇટ ઇન્ફોર્મેશન બોર્ડ પર પ્રોજેક્ટ લોનની ચોક્કસ રકમ મુખ્ય રીતે દર્શાવવી જરૂરી રહેશે નહીં. આથી, સંભવિત ખરીદદારો હવે પ્રમોટર દ્વારા લેવામાં આવેલી પ્રોજેક્ટ લોનની રકમ જાણી શકશે નહીં.

આ પહેલા 1 ડિસેમ્બર 2025ના રોજ અમલી થયેલી નિયમ મુજબ, બિલ્ડરોએ તમામ વિગતો ફરજિયાત દર્શાવવાની હતી. તેનો હેતુ ઘર ખરીદનારાઓને સશક્ત બનાવવાનો હતો. જે મુજબ બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો ધરાવતા મોટા વોટરપ્રૂફ બોર્ડ લગાવવા જરૂરી હતા. આ બોર્ડ પર માત્ર RERA રજીસ્ટ્રેશન નંબર અને મંજૂર કરાયેલા પ્લાન જ નહીં, પરંતુ લોનની વિગતો અને RERA કલેક્શન બેંક એકાઉન્ટ નંબર સહિતની પ્રોજેક્ટની ચોક્કસ નાણાકીય સ્થિતિ દર્શાવવાનું નક્કી કરાયું હતું. ઓથોરિટીએ અગાઉ નોંધ્યું હતું કે જ્યારે ખરીદદારોને આ ઝીણવટભરી વિગતો ફક્ત સત્તાવાર RERA પોર્ટલ પર શોધવી પડતી હતી, ત્યારે તેઓ ઘણીવાર મૂંઝવણ અનુભવતા હતા.

20 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવેલા સુધારા બાદ, સાઇટ પરના ફરજિયાત બોર્ડના નમૂનામાંથી પ્રોજેક્ટ લોનની રકમની યાદી આપવાની જરૂરિયાત સ્પષ્ટપણે દૂર કરવામાં આવી છે. બિલ્ડરોએ હજુ પણ પ્રોજેક્ટ લોન દ્વારા નાણાકીય સહાય મેળવેલ છે કે કેમ અને ધિરાણ આપનાર સંસ્થાનું નામ જેવી વિગત ફરજિયાત દર્શાવવી પડશે, પરંતુ પ્રમોટર દ્વારા લેવામાં આવેલી પ્રોજેક્ટ લોનની રકમ નહીં લખવામાં આવે.

આ ફેરફારનો અર્થ એ છે કે જે સંભવિત ગ્રાહકો સંપૂર્ણ નાણાકીય જોખમ અથવા ડેવલપરના દેવાના પ્રમાણનું મૂલ્યાંકન કરવા માંગતા હોય, તેમણે હવે ચકાસણીની જૂની પદ્ધતિઓ પર પાછા ફરવું પડશે. લોનની ચોક્કસ રકમ જાણવા માટે, ખરીદદારોએ ગુજરાત RERA ની વેબસાઇટ અથવા તેની કચેરીની મુલાકાત લેવી પડશે, અથવા સાઇટ બોર્ડ પર ફરજિયાત રહેલા સ્કેનેબલ QR કોડનો ઉપયોગ કરવો પડશે.

રિયલ એસ્ટેટના નિષ્ણાતો સૂચવે છે કે, QR કોડ અને પ્રાથમિક ખુલાસાઓ દ્વારા સાઇટ-લેવલની પારદર્શિતા સુધારવાનો પ્રાથમિક ધ્યેય અકબંધ છે, પરંતુ આ વિશિષ્ટ સુધારો ઘર ખરીદનારાઓને અગાઉ આપવામાં આવેલા ‘એક નજરે જોઈ શકાય તેવી વિગતો’ (at-a-glance due diligence) ને મર્યાદિત કરી શકે છે.

December 19, 2025
SIR.png
1min107

ગુજરાતમાં SIRની પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. ડ્રાફ્ટ યાદી પ્રમાણે ગુજરાતમાં અત્યારે કુલ 4 કરોડ 34 લાખ મતદારની નોંધણી થઈ છે. એસઆઈઆર પ્રક્રિયા બાદ 73 લાખ 73 હજાર 327 મતદારો કમી કરવામાં આવ્યાં છે. આ સાથે 9 લાખ 69 હજાર 661 મતદારો તેના સરનામે મળ્યાં જ નથી.

3,81,470+40 ડુપ્લીકેટ મતદારોના નામ દૂર કરાયા, 40, 25,553 મતદારોનું કાયમી સ્થળાંતર કર્યું હોવાનુ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 18,07,278 મૃતક મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે.

તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદી છે કે નહીં?

ડ્રાફ્ટ મતદાર યાદીમાં તમારૂ નામ જોવા માટે http://ceo.gujarat.gov.in,વોટર પોર્ટલ voters.eci.gov.in, ECINET App, BLO પાસેથી અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી જોઈ શકાશે.

અહીં તમામ ડ્રાફ્ટ મતદાર યાદી અપલોડ કરવામાં આવી છે. પરંતુ આમાં વિગતો બધી પીડીએફ દ્વારા અપલોડ કરવામાં આવ્યાં છે. જેથી તમારૂ નામ શોધવામાં સમલ લાગી શકે છે.

નામ દાખલ કરવા માટે ફોર્મ નં. 6 ભરવાનું રહેશે

જો ડ્રાફ્ટ મતદાર યાદી તમારૂ નામ ન હોય તો નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે. આ સાથે જો કોઈ ભૂલ હોય તો ડિક્લેરેશન સાથે ફોર્મ નંબર 8 ભરીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે.

આ યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો હોય તો તમે ફોર્મ નંબર 7 ભરીને અરજી કરી શકો છો. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ મતદાર યાદીમાં 5,08,43,219 મતદારો નોંધાયા હતા. જેમાં ગુજરાત રાજ્યમાંથી એક મેગા સિટી જેટલા એટલે 73,73,110 મતદારોને રદ્દ કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં નવેમ્બર મહિનાથી એસઆઈઆરની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાન રાજ્યમાં ડુપ્લિકેટ, મૃત્યુ પામેલા લોકો અને કાયમી સ્થાળાંતર કરી ગયેલા લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે. નોટિસ બાદ સુનાવણી અને ચકાસણી પૂર્ણ થયા પછી તમામ લાયક મતદારોનો સમાવેશ તારીખ 17/02/2026ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં જાહેર કરવામાં આવશે.

December 16, 2025
image-13.png
1min275

કિંજલ દવે સામાજિક બહિષ્કાર મુદ્દે ; કહ્યું, ‘સાટા પ્રથાની હું પીડિત છું, હજી બાળ લગ્ન થાય છે, ’

Kinjal Dave Video On Social Boycott : કિંજલ દવે ધ્રુવિન શાહ સાથે સગાઇ કરતા તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાની અટકળો સામે આવી છે. આ મુદ્દે કિંજલ દવે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમા તેણે દિકરીના અધિકાર, સાટા પ્રથા, બાળ લગ્ન અને સામાજીક કુરિવાજો વિશે વાત કરી છે.

કિંજલ દવે સગાઇ બાદ હવે સામાજિક બહિષ્કાર મુદ્દે ચર્ચામાં છે. અન્ય જ્ઞાતિમાં સગાઇ કરવાના મામલે કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થવાના સમાચાર વહેતા થયા છે. આ દરમિયાન ગુજરાતી સિંગર કિંજલ દવે એ પહેલીવાર મૌન તોડ્યું છે. કિંજલ દવે એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયામાં કિંજલ દવે દીકરી માટે જીવનસાથી નક્કી કરવાના અધિકારી, બાળ લગ્ન વિશે વાત કરી છે. ઉપરાંત વીડિયોમાં સામાજીક બહિષ્કારનો મુદ્દો અને અસામાજીક તત્વોને દૂર કરવા બ્રહ્મસમાજને વિનંતી કરી છે.

કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર !

કિંજલ દવે એ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઇ કર્યા બાદ તેના પરિવારના સામાજીક બહિષ્કાર કરવાનો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, તાજેતરમાં બ્રહ્મ સમાજ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક યોજાઇ હતી. જેમા કિંજલ દવેના પરિવારનો સામાજીક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત સામાજીક બહિષ્કૃત વ્યક્તિને પોતાને ત્યાં આવકારનાર લોકો સામે પણ કડક પગલાં લેવાશે.

સામાજીક બહિષ્કાર મુદ્દે કિંજલ દવે એ મૌન તોડ્યું

બ્રહ્મસમાજ દ્વારા પરિવારના સામાજીક બહિષ્કારા મુદ્દે કિંજલ દવે મૌન તોડતા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કિંજલ દવે કહે છે, મારા સગપણને લઈને અનેક ચર્ચાઓ અને તર્કવિતર્કો ચાલતા હતાં જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી. કારણ કે તે વાત મારા સુધી સીમિત હતી. હવે આ વાત મારા પરિવાર સુધી આવી ગઈ છે જેથી મારે બોલવું પડશે. બ્રહ્મ કન્યા હોવાનું મને ગૌરવ છે જેને હું શબ્દોમાં નહીં વર્ણવી શકું. મને અઢારેય વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. સમાજમાં કહેવાતા કેટલાક અસામાજિક તત્વો છે કે જેઓ આજના આધુનિક યુગમાં દીકરીઓ માટેના નિયમો નક્કી કરશે.

મારા પરિવાર સામે કોમેન્ટ કરશો તો કાયદેસરના પગલાં લઈશ

વીડિયોમાં કિંજલ દવેએ કહ્યું છે કે, દીકરીઓને આજે આગળ વધવાની પાંખો મળી છે તેને કાપવાની વાતો છે. આજે દીકરીઓ રણમેદાનમાં છે. આર્મીમાં છે ત્યારે દીકરીઓને આજે તેનો લાઈફ પાર્ટનર નક્કી કરવાનો અધિકાર નથી? કહેવાતા મોડર્લ સમાજમાં અમુક લોકો દિકરીઓની મર્યાદા નક્કી કરશે. સમાજમાં બે ચાર અસામાજિક તત્વો છે જે દીકરીઓની પાંખો કાપવાનો પ્રયાસ કરે છે તેને દૂર કરો નહીં તો આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. હવે જે પણ લોકો મારા પરિવાર સામે કોમેટ કરશે તેમની સામે હું કાયદેસરના પગલાં લઈશ. ઓપરેશન સિંદૂરમાં બે દિકરીઓએ દેશને ગૌરવ અપાવ્યું છે.

હું સાટા પ્રથાની પીડિત છું, હજી બાળ લગ્ન થાય છે : કિંજલ દવે
હું એવા પરિવારમાં જઇ રહી છું, જે ભક્તિમય છે, તેના પરિવારના લોકો અને પાર્ટનરે હું જેવી છું તેવી જ મને આદર સત્કારથી સ્વીકારે છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર અને નવકાર મંત્રના જાપ થાય છે ત્યાં હું જઇ રહી છું. એટલે હું તમામ બ્રહ્મ શક્તિઓ જેઓ શિક્ષિત અને વિન્રમ છે તેમને વિનંતી કરું છે કે, કે આવા બે ચાર અસામાજીક તત્ત્વો છે જે દિકરીની પાંખો કાપવાની વાતો કરે છે, આપણો સમાજ ક્યાંયનો નહીં કરે. જો તમે દિકરાનું સારુ ઇચ્છતા હોવ તો તેમના શિક્ષણ વિશે વાત કરો, નાની દિકરીઓ પર બળાત્કાર થાય છે, તેમના વિશે વાત કરો, દિકરીની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો, હજી જુના 18મી 17મી સદીના જુના રિવાજો આપણા સમાજમાં ચાલે છે, હજી કેટલા બાળ લગ્ન થાય છે, જેની આપણે બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે, જેની પીડિત હું પણ છું, જેની તમને બધાને ખબર છે. દિકરીના પૈસા લેવામાં આવે છે, દિકરીને ઘુંઘટામાં રાખો છો.

પરિવાર અને પિતા પર વાત આવશે ત્યારે ભગવાનને પણ છોડવાની તાકાત છે : કિંજલ દવે

કિંજલ દવે વીડિયોમાં કહે છે કે, જ્યારે મારા પરિવાર અને પિતા પર વાત આવશે ત્યારે ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું, એ દીકરી છું. બરાબર છે, આપ સૌને નમ્ર વિનંતી છે, જેવી રીતે દરેક દીકરી નવા જીવનની શરૂઆત કરે છે, તેમ મેં પણ શરૂઆત કરી છે, આને કોઇ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. એવા અસામાજીક તત્વો જેઓ સમાજ માંથી નાતબહાર કરવાની વાત છે તેમને કોઇ 5000 ની નોકરીયે પણ રાખવા કોઇ તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલા. તમામ બ્રહ્મશક્તિઓ અને સમજણ વ્યક્તિઓ છે તેમને મારી નમ્ર વિનંતી છે કે, આવા અસામાજીક તત્વોને સમાજ માંથી દૂર કરો. જેથી દિકરીઓ ડરે નહીં, તેમની પ્રતિભા આગળ આવે અને સમાજનો વિકાસ થાય. જય માતાજી, જય મહાદેવે.

કિંજલ દેવનો મંગેતર ધ્રુવિન શાહ કોણ છે?

કિંજલ દવે એ 6 ડિસેમ્બરના રોજ ધ્રુવિન શાહ સાથે સગાઇ કરી છે. ગુજરાતી સિંગરે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરી સગાઇની જાણકારી આપી હતી. ધ્રુવિન શાહ બિઝનેસમેન અને એક્ટર છે. ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને નજીકના પ્રિયજનોની હાજરીમાં સગાઇ કરી છે.

December 1, 2025
image.png
1min110

છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) ની 928 બોટલો જપ્ત કરી, જેમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવાનો વધુ એક કથિત પ્રયાસનો પર્દાફાશ થયો છે.

શુક્રવારે 28/11/25 છોટા ઉદેપુર જિલ્લા પોલીસે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીનો નવો કિમીયો નિષ્ફળ બનાવ્યો છે. છોટા ઉદેપુર પોલીસે એમ્બ્યુલન્સ જેવી બનાવેલી મારુતિ વાનને અટકાવી અને સ્ટ્રેચર નીચે છુપાવેલી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) ની 928 બોટલો જપ્ત કરી, જેમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવાનો વધુ એક કથિત પ્રયાસનો પર્દાફાશ થયો છે.

શુક્રવારે વહેલી સવારે સિહોદ જનતા ચોકડી પાસે ગુજરાત રજીસ્ટ્રેશન નંબર ધરાવતી મારુતિ વાનની રાહ જોતા પાવી જેતપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ રાહ જોઈ રહ્યા હતા. શંકાસ્પદ એમ્બ્યુલન્સ આવી, જેના પર ગુજરાત સરકાર અને 108 ઇમરજન્સી તેમજ અન્ય તબીબી પ્રતીકો લખેલા હતા. તેની બારીઓ લીલા રંગના હોસ્પિટલના પડદાથી ઢંકાયેલી હતી, પોલીસ અધિકારીઓએ ડ્રાઇવરને બાજુ પર રોકવાનો સંકેત આપ્યો. જોકે સૂચનાઓનું પાલન કરવાને બદલે ડ્રાઇવર પોલીસ ચેકપોસ્ટથી આગળ ભાગી ગયો, જેના પરિણામે પોલીસે ઝડપી ગતિએ પીછો કર્યો હતો.

એમ્બ્યુલન્સને રોકતા પોલીસે દર્દીઓ માટેના સ્ટ્રેચર નીચેથી 928 વિદેશી દારીની બોટલો મળી આવી અને તેને લીલા રંગના હોસ્પિટલના કપડાથી ઢાંકી દેવામાં આવી હતી. જોકે ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.

હાલમાં પાવી જેતપુર પોલીસે ફરાર એમ્બ્યુલન્સ ચાલક અને આ દારૂના કન્સાઇનમેન્ટ પાછળ સંકળાયેલા મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

November 22, 2025
image-16.png
1min104

ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સીંગતેલ ઉપરાંત કપાસીયા તેલ, પામોલીન, વનસ્પતિ ઘીના ભાવ પણ બેફામ વધારો થયો છે. ખાદ્યતેલના વધતા ભાવ લોકોથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અમદાવાદ ખાતે સીંગતેલ (નવો ડબ્બો)નો ભાવ અમદાવાદ ખાતે 15 કિલો સીંગતેલ નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2600, ઉપરમાં રૂપિયા 2650 રહ્યા હતા. જ્યારે સીંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2400 રહ્યા હતા.

સીંગતેલ સહિત અન્ય ખાદ્યતેલના ભાવમાં વધારો

અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2250 અને ઊંચામાં રૂપિયા 2350 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2280 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2250 રહ્યો હતો.

પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2150

અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2150, કોપરેટ રૂપિયા 5800, સરસીયુ મોળું રૂપિયા 2470, સરસીયુ તીખુ રૂપિયા 2600 રહ્યા હતા. 15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2280, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2100, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 700થી રૂપિયા 730 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 750થી રૂપિયા 790 વચ્ચે રહ્યો હતો.

November 8, 2025
image-2.png
1min130

કમોસમી વરસાદન માર સહન કરી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે રૂ. 10,000 કરોડનું જંગી પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોના ઊભા પાકને થયેલા પારાવાર નુકસાનને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારે શુક્રવારે સાંજે આ નિર્ણય સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર જાહેર કર્યો હતો.

અગાઉ મુખ્ય પ્રધાને કૃષિ, મહેસૂલ અને નાણા વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી. જોકે અગાઉ પણ તેમણે સતત બેઠકો કરી પરિસ્થિતિ સમીક્ષા કરી હતી. હવે સરકાર પેકેજના માપદંડો, જોગવાઈઓ વગેરેને અંતિમ રૂપ આપી દરેક પાત્ર ખેડૂતને સહાય મળી રહે તે પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરશે.

માવઠા બાદ સરકારે સર્વે કર્યો હતો અને મુખ્ય પ્રધાન સહિત કેબિનેટના પ્રધાનોએ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. એક અહેવાલ પ્રમાણે લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16 હજાર ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે.

મુખ્ય પ્રધાને તેમના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.

આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.

રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.

આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.

અગાઉ રાજ્ય સરકારે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી.