જયેશ બ્રહ્મભટ્ટ
સ્વચ્છતાના પ્રખર હિમાયતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ જેનું વૈશ્વિક સ્તરે ઐતિહાસિક મૂલ્ય છે, એવા ગુજરાતના પોરબંદરમાં સ્વચ્છતાની પરિસ્થિત દયાજનક છે. સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધાના તા.22 જૂનના રોજ જાહેર થયેલા પરીણામોમાં ગાંધીબાપૂના જન્મસ્થળ પોરબંદરનો નંબર 225મો છે. કમનસીબી તો એ છે કે 2017ના સ્વચ્છ સર્વેક્ષણમાં પોરબંદરનો નંબર 184મો હતો જેમાં વધુ 41 નંબર પછડાઇને 2018માં પોરબંદર દેશના સ્વચ્છ શહેરોમાં 225માં નંબરે સરકી ગયું છે.

સમગ્ર વિશ્વના લોકો ગાંધીબાપૂમાંથી સ્વચ્છતાની પ્રેરણા લઇ રહ્યા છે. ભારતમાં સ્વચ્છ ભારત મિશનના સિમ્બોલ તરીકે મહાત્મા ગાંધી બાપૂના ચશ્માને સ્થાન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તેમજ સ્થાનિક રાજકારણીઓએ રાષ્ટ્રપિતાના જન્મ સ્થળને સ્વચ્છ રાખવામાં જરૂર ચૂક કરી છે.

સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત છેલ્લા 11 મહિના દરમિયાન જે તે શહેરમાં થયેલી કામગીરીના આધારે નિર્ણય લેવાય છે જેમાં પોરબંદર ખાતે શૌચાલયોના નિર્માણ, કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવાની પ્રક્રિયા, સ્વચ્છતા જાગૃતિ વગેરે બાબતોમાં પોરબંદર નગરપાલિકાની કામગીરી કંગાળ રહેવા પામી છે. 2016માં તો પોરબંદરએ સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગ જ લીધો ન હતો. 2017માં એ 184 નંબર પર આવ્યું હતું.

























