તા.22 જૂન 2018
ગુજરાતમાં એક તરફ દમણ અને રાજસ્થાન તરફથી આવતા દારૂને રોકી નહીં શકતા નશાબંધી વિભાગે દારૂની સત્તાવાર પરમીટ ધરાવતા લોકો પર ભીંસ વધારવા માંડી છે. દારૂની નવી પરમિટ આપવાની તો બંધ કરી દેવાઇ છે તો બીજી તરફ તાજેતરમાં નિવૃત અને પૂર્વ સૈનિકોને આઝાદીના સમયથી મળતી દારૂની પરમિટ પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકી દેતા હવે નિવૃત સૈનિકો પણ કચવાય રહ્યા છે.

ગુજરાતમાં વસતા નિવૃત સૈનિકોને આઝાદી પહેલાથી જ દારૂની પરમીટ આપવામાં આવે છે. નિવૃત સૈનિકોએ બજારમાંથી દારૂ ખરીદવાનો હોતો નથી. તેમને સૈનિકોની કેન્ટીનમાંથી જ દારૂની ખરીદી કરવાની હોય છે. દારૂની પરમિટને કારણે જ દારુનું સ્મગલિંગ થઇ રહ્યું હોવાનું માનતા અધિકારીઓના ઇશારે રાજ્ય સરકારે નિવૃત સૈનિકોને આ પ્રકારે દારૂ ની પરમીટ ગત માર્ચ 2018થી જ રદ કરી દીધી છે.
સરકારની નશાબંધી નીતિના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં વસતા નિવૃત સૈનિકોમાં પડ્યા છે. નિવૃત સૈનિક સંગઠનોનું કહેવું છે કે રાજ્ય સરકાર દ્વારા નવી નશાબંધીની જાહેરાત થાય તે પહેલા જ નિવૃત સૈનિકોની દારૂની પરમીટ આશ્ચર્યજનક રીતે બંધ કરી દેવાઇ છે.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે નિવૃત સૈનિકોએ ધરણા યોજીને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો. નિવૃત સૈનિકોએ સરકારની નશાબંધી નીતિની પણ આકરી ટીકા કરી હતી.ગુજરાતમાં નશાબંધી નીતિનો અમલ કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. છતાં પણ સરકાર કઈ કરી શકતી નથી.
પૂર્વ સૈનિકોની દારૂની પરમીટ રદ કરવાનો ગુજરાત સરકારને કોઈ અધિકાર નથી આ કેન્દ્ર સરકારનો વિષય છે. જો રાજ્ય સરકાર દ્વારા પૂર્વ સૈનિકોની દારૂની પરમીટ પુન: શરૂ નહીં કરાય તો તેમના દ્વારા જલદ આંદોલન કરવામાં આવશે, એવું પૂર્વ સૈનિકોએ નિવેદનમાં જણાવ્યું હતું.