- મહાત્મા મંદિર ખાતેથી ૬ સપ્તાહ માટે ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ લોન્ચ કરવામાં આવ્યું
- રાજ્યમાં વર્ષ ૨૦૧૮માં ૯૦૧ પ્રાઇમરી, ૨૦૦૩ સેકન્ડરી ખરીદદારો અને ૩૩૨૧ વેચાણકારોએ નોંધણી કરાવી : કુલ રૂા.૨૪૬ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કરાયા

રાજ્ય સરકારના તમામ વિભાગો હવેથી કોઇપણ ખરીદી ગવર્નમેન્ટ ઇ-માર્કેટ પ્લેસ GeM દ્વારા કરશે તેમ, આજે મહાત્મા મંદિર ખાતેથી ૬ સપ્તાહ માટે GeM ના લોન્ચિંગ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંગે જણાવ્યું હતું. GeM ના પ્લેટફોર્મ સિવાય કોઇપણ વસ્તુની ખરીદી કરવાની જરૂરિયાત જણાશે તો તે અંગે જે તે વિભાગે ઉદ્યોગ વિભાગ પાસે તે અંગેની મંજૂરી લેવી પડશે. જેટલા વધુ ખરીદનાર અને વેચનાર આ GeM માં જોડાશે તેટલું આ પ્લેટફોર્મ સફળ થશે જેથી તેને પ્રાધાન્ય આપવું જરૂરી છે તેમ મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યુ હતું.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગર્વમેન્ટ ઈ-માર્કેટપેલેસ (GeM) બાબતે જાગૃત્તિ ફેલાય તેવા ઉદ્દેશથી સમગ્ર દેશમાં 6 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર સુધી ઝુંબેશ હાથે ધરવામાં આવી છે. જેમાં વર્કશોપ, રોડ-શો, ઈવેન્ટ્સ અને અન્ય માહિતી, શિક્ષણ અને સંચારની પ્રવૃત્તિઓ સહિત ખરીદદારો અને વેચાણકારોની નોંધણીનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે GeM ના CEO શ્રી રાધા ચૌહાણે GeM અંગેની વિગતો રજૂ કરીને તેનાથી થનારા ફાયદા જણાવ્યા હતા. GeM ના પ્લેટ ફોર્મ થકી સરકારી વિભાગોને ખરીદીમાં પારદર્શિતા અને ઝડપ આવશે તેમ પણ તેમણે કહ્યુ હતું.
શ્રીમતી રાધા એસ ચૌહાણે જણાવ્યું કે, જાગરૂકતાના સમયગાળા દરમિયાન જી.આઇ.એમ. પર કેન્દ્રીય, રાજ્ય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ઑન-બોર્ડિંગ અને ખરીદીમાં વધારો કરવા માટે ગ્રાહક નોંધણી ડ્રાઇવ પણ લોંચ કરવામાં આવી છે. વધારાના વર્ગોમાં ઑન-બોર્ડિંગ માટે વિક્રેતા રજિસ્ટ્રેશન ડ્રાઇવની પણ શરૂઆત થઈ રહી છે. અને તેમણે એમ પણ જણાવ્યું કે કેન્દ્રીય પ્રધાનો, રાજ્યો અને તેમની એજન્સીઓ, સરકારી કચેરીઓ સહિત, જીઈએમ પર ઑન-બોર્ડિંગ માટે કી વિક્રેતાઓની સૂચિને શેર કરવા સાથે કાર્યરત કરવામાં આવશે. શ્રી રાધા ચૌહાણે ઉપસ્થિત અધિકારી અને વેપારીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી તમામને GeM ની પદ્ધતિ અંગે માહિતગાર કર્યા હતા.
GeM નો મુખ્ય ઉદ્દેશ કોમન ગુડ્ઝ એન્ડ સર્વિસ માટેની સુવિધાઓ વન-સ્ટોપ ઓનલાઈન માર્કેટ પ્લેસ પૂરી પાડવાનો છે. GeMનો ઉદ્દેશ સરકારી પદ્ધતિઓને સંપૂર્ણપણે પારદર્શી બનાવવાનો અને તેની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. અહિં તમામ ટ્રાન્ઝેક્શન સલામત અને સુરક્ષિત રહે છે.
કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટરશ્રી સુરેશ પ્રભુએ આ ઝુંબેશને વિશે જણાવ્યું હતું કે, GeM ના ઉપયોગથી ઓછા દરે, ઓછા સમયમાં વધારે સારી ગુણવત્તા પ્રાપ્ત થશે. જેનો મુખ્ય ઉદ્દેશ જટીલ પદ્ધતિઓની સામે પબ્લિક પ્રોક્યોરમેન્ટનું સરળીકરણ કરવાનો છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં 901 પ્રાઈમરી અને 2003 સેકન્ડરી ખરીદદારો અને 3640 વેચાણકારો અને સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા ઓનલાઈન પરચેઝ માટે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બર સુધીમાં 3321 વેચાણકારો દ્વારા કુલ રૂ. 246.53 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પણ કરવામાં આવ્યા છે.
આ આખી પ્રક્રિયા દ્વારા કેન્દ્ર સરકારના મીનીમમ ગવર્નમેન્ટ, મેક્સીમમ ગવર્નન્સના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા માટે જાહેર વહીવટમાં ભ્રષ્ટ્રાચાર બંધ થાય તેમજ પારદર્શીતા વધારવાનો છે. આ ઉપરાંત ડિઝીટલ ઈન્ડિયાના ઉદ્દેશ કેશલેશ, કોન્ટેક્ટલેસ, પેપરલેસ ટ્રાન્ઝેક્શન વધારવાનો ઉદ્દેશ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી ૨૦૧૬માં વડાપ્રધાનશ્રી દ્વારા વિવિધ સરકારી વિભાગો/સંગઠનો/ પીએસયુ માટે સામાન્ય વપરાશના માલ અને સેવાઓની ઓનલાઈન પ્રાપ્તિની સુવિધાને આવશ્યક બનાવવા માટે જીઈએમ એસપીવી વન-સ્ટોપ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (જીઈએમ) સ્થાપવાનું નક્કી કરાયું હતું. જીઇએમ મારફતે ખરીદી દ્વારા સામાન્ય નાણાકીય નિયમોમાં નવાો નિયમ નંબર ૧૪૯ ઉમેરીને નાણા મંત્રાલય દ્વારા સરકારી યુઝરને અધિકૃત અને ફરજિયાત બનાવવામાં આવ્યા છે.
ઉદ્યોગ કમિશનર શ્રી મમતા વર્માએ સ્વાગત પ્રવચન કર્યુ હતું તેમજ એડિશનલ કમિશનર શ્રી એચ.જે. વ્યાસે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે રાજ્ય સરકારના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ,ઉદ્યોગપતિઓ, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને GeMની પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી.