ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે પ્રથમ દિવસે સરકારને ઘેરવા માટે કૉંગ્રેસે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. કૉંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરોએ વિધાનસભા તરફ કૂચ કરી હતી. જેની સામે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે અમારી સરકારે ઘણાં મહત્ત્વના કાર્યો કર્યા છે. અને હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોવાથી બે દિવસ બાદ ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું.

ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભામાં કૉંગ્રેસ જુદા જુદા વિષયો પર વિરોધ કરે છે. ખેડૂતોનું નામ આગળ કરી કૉંગ્રેસ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. અમારી કામગીરી સામે કૉંગ્રેસ ભૂતકાળની સરખામણી કરે. અમે 22 વર્ષમાં એક પણ વખત ખેડૂતો પર લાઠીચાર્જ કે ગોળીબાર કર્યો નથી. જ્યારે કૉંગ્રેસે ખેડૂતોની રેલી પર અત્યાચાર કર્યા હતા. કૉંગ્રેસે ખેડૂતોને અત્યાચાર સિવાય કશું આપ્યું નથી. કૉંગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું પણ નર્મદા યોજના મામલે કંઈ કર્યું નથી. સૌરાષ્ટ્રના છેવાડાના ગામ સુધી અમે પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. હાલ ખેડૂતોને મહત્તમ પાણી પહોંચે તેવા અમારા પ્રયત્નો રહ્યાં છે. ડ્રીપ ઈરિગેશન પદ્ધતિમાં 70થી 80 ટકા સબસિડી ખેડૂતોને આપી છે. કૉંગ્રેસને સાચી રીતે ખેડૂતોના પ્રશ્ર્ન ઉકેલવામાં રસ નથી પરંતુ કઈ રીતે રાજકીય લાભ લઈ શકે તે જ તરફ કામ કરે છે. તેઓ આવું કરીને રાજ્યની શાંતિ ડહોળી રહ્યાં છે.


























