CIA ALERT

ગુજરાત Archives - Page 147 of 158 - CIA Live

October 29, 2018
mod.jpg
1min12040

31 ઓક્ટોબર એટલે કે સરદાર જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે. આ પ્રસંગને લઈ પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન મોદી તા.30મી ઓક્ટોબર 2018ને મંગળવારે ગાંધીનગરમાં રાતવાસો કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન રાતવાસો કરશે જેને પગલે ગાંધીનગરમાં સુરક્ષા જડબેસલાક કરી દેવાઈ છે. પીએમ મોદીની સુરક્ષા માટે 800 પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

વડાપ્રધાન કેવડીયા જતા પહેલા ગાંધીનગરમાં 30મીએ રાતવાસો કરીને 31મીએ સવારે હવાઇ માર્ગે કેવડીયા જશે. ગાંધીનગરમાં વડાપ્રધાનની સુરક્ષા માટે પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે અને રીહર્સલ થઈ રહ્યુ છે. પીએમનાં રૂટમાં ઝાડીઓ તથા ગરનાળાઓમાં સર્ચ કરવામાં આવ્યુ હતુ. સુત્રોનાં જણાવ્યાનુંસાર વડાપ્રધાનની સુરક્ષા તથા પ્રોટોકોલ પ્રમાણે 1 આઇજી, 4 એસપી, 10 ડીવાયએસપી, 30 પીઆઇ, 60 પીએસઆઇ, 600 પોલીસ જવાનો, 50 મહિલા પોલીસ, એસઆરપી, ક્યુરઆરટી તથા ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. સાથે સાથે ફાયર બ્રિગેડ તથા મેડીકલ ટીમો પણ તૈનાત રખાશે.

October 27, 2018
dinesh-bambhaniya.jpg
1min5030

દિનેશ બાંભણિયાએ હાર્દિકના ઉપવાસને રાજકીય નાટક ગણાવતા પાસના જ આગેવાન દિનેશ બાંભણિયા સંગીન આરોપ લગાડતા કહ્યું છે કે અનામતનો મુદ્દે ભૂલીને હાર્દિક રાજનીતિ કરે છે. જેડી યુ સાથે મળીને હાર્દિક પટેલ ગુજરાતમાં ત્રીજો મોરચો ઉભો કરવા સક્રિય હોવાનો આક્ષેપ પણ બાંભણિયાએ કર્યો છે.

બાંભણિયાના કહેવા મુજબ હાર્દિક પટેલનું JDU સાથે કનેક્શન છે. જેથી JDUના મહામંત્રીએ હાર્દિકના સારવાર માટે ખર્ચો કર્યો છે. દિનેશે આ મુદ્દે કહ્યું કે, હાર્દિકને કેમ ખબર પડી કે તેને સારવાર લેવા જવું પડશે. બેંગ્લોરમાં હાર્દિકે 3.60 લાખનો ખર્ચ સારવાર પાછળ ખર્ચ્યા છે,જ્યારે મસાજ પાછળ હાર્દિકે 50 હજારનો ખર્ચો કર્યો છે.

એટલું જ નહીં હાર્દિક સારવારના બહાને દિલ્હી આનંદ કરવા ગયો હોવાનો આડકતરો આક્ષેપ પણ બાંભણિયાએ કર્યો છે. દિનેશ બાંભણિયાનું કહેવું છે કે,’આ સિવાય 19 સપ્ટેમ્બરે કિડનીની સારવારના બહાને હાર્દિક દિલ્હી ગયો હતો. અને દિલ્હીમાં ભરપૂર ડાંસ કર્યો હતો તેનો વીડિયો હાલ મારી પાસે છે. તો દિલ્હીમાં પ્રશાંત કિશોર સાથે હાર્દિકની બેઠક થઈ હતી.’

October 27, 2018
rajkot.jpg
1min7190

રાજકોટના 6 ગામના ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 56 જેટલા ખેડૂતોએ એક સાથે આત્મવિલોપનની ચીમકી આપતા ખળભળાટ મચ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષ 2016-17નો મગફળીનો વીમો 123 જેટલા ખેડૂતોને હજી મળ્યો નથી. આ મામલે સરકાર પણ મદદ ન કરતી હોવાની ખેડૂતોની રાવ છે. ખેડૂતોના કહેવા મુજબ વીમાની રકમ અંદાજે દોઢ કરોડ જેટલી થવા જાય છે.

લાંબા સમયથી વીમાની રકમ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે. ગુસ્સે થયેલા ખેડૂતો આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ના દિવસે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આત્મવિલોપનની ચિીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જયેશ રાદડિયા થોડા સમય પહેલા ખેડૂતો સાથે એસબીઆઇ બેંકમાં જઈને બેંક મેનેજરનો કડક ભાષામાં વાત કરીને ચીમકી ઉચ્ચારી હતી કે, જો એક મહિનામાં ખેડૂતોને વીમાની રકમ નહીં મળે તો જેતપુરની અંદર તમામ એસબીઆઈ બેંકને તાળા મારી દેવામાં આવશે.

ગુજરાત સરકારના મંત્રી જયેશ રાદડિયાનું કહેવું હતું કે 150 ખેડૂતોએ સમયસર બેંકને પ્રિમિયમ ભરી દીધું હતું. આ પ્રિમિયમ કોઈ કારણને લીધે બેંક તરફથી વીમા કંપનીને મળ્યું ન હતું. બેંક અને વીમા કંપનીની તકરારમાં ખેડૂતો છેલ્લા 11 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે.

October 27, 2018
mahuva.jpg
1min6910
  • ભાવનગર મહુવાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની હત્યા બાદ મામલો બિચક્યો
  • આગજની, તોડફોડના બનાવો
  • તોફાનીઓને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના 19 સેલ છોડયા
  • મહુવામાં પાંચ દિવસ ઇન્ટરનેટ સેવા બંધ
  • મોરારી બાપુની તલગાજરડા કથા પૂર્વે પૂર્વવત સ્થિતિ સ્થાપવા પોલીસના પ્રયાસો

ભાવનગર મહુવાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની હત્યાનો મામલે તા.26મીની રાતથી આગજની, તોડફોડના બનાવ બન્યા હતાં. તેના પગલે તોફાની ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના 19 સેલ છોડયા હતાં.રાત દરમિયાન દસ જેટલી દુકાનમાં તોડફોડ અને આગ લગાડવા અંગે 45 શખસની અટકાયત કરાઇ હતી. તા.26મી ઓક્ટોબર 2018ના રોજ આખો દિવસ મહુવા ગામ સજ્જડ બંધ રહ્યું હતું કલેકટર દ્વારા પાંચ દિવસ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં હુકમ થયો છે.

ત્રણ દિવસ પહેલા મહુવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરિયાની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ચાર શખસે હત્યા કરી હતી. આ ખૂનના બનાવના પગલે મહુવામાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દરમિયાન 26મીએ રાત્રે લોકોનું ટોળુ રસ્તા ઉપર ઉતરી આવ્યું હતું અને’ હોસ્પિટલ રોડ પર સાજન સજની નામની દુકાનમાં આગ લગાડી હતી. નેસવડ ચોકડી પાસે તોડફોડ કરી હતી. આ ઉપરાંત એક વાહન સળગાવવામાં આવ્યું હતું અને રેંકડી, લારીઓ અને કેબીન, દુકાનોમાં તોડફોડ કરી હતી. પોલીસના કહેવાતા ચાંપતા બંદોબસ્તની પરવા કર્યા વગર ટોળાએ શરૂ કરેલી તોડફોડ અને આગજનીના પગલે પોલીસે તોફાની ટોળા પર કાબુ લેવા માટે ટીયર ગેસના 19 સેલ છોડયા હતાં. એ પછી તોફાન કાબુમાં આવ્યા હતાં.

રાતના દસ વાગ્યાથી શરૂ થયેલા તોફાન સવારે ચાર વાગ્યાની આસપાસ કાબુમાં આવ્યા હતાં. આ છ કલાક દરમિયાન દસ જેટલી દુકાનમાં તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી. જેમાં મોબાઇલ ફોન, કપડા, કરિયાણા વગેરેની દુકાનોનો સમાવેશ થાય છે. આ તોફાનના પગલે આજે શુક્રવારે મહુવા ગામ સજ્જડ બંધ રહ્યું હતું.’ હાલમાં ભારેલ અગ્નિ જેવી સ્થિતિ છે. એસઆરપીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ તોફાનના પગલે જિલ્લા કલેકટરે એક જાહેરનામુ બહાર પાડીને મહુવામાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવા બંધ કરાવી છે.

શાંતિ માટે અપીલ: મહુવામાં ફરી ફેલાયેલી તંગદિલીના પગલે જિલ્લા પોલીસ વડા, ધારાસભ્યો અને રાજકીય આગેવાનોએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. આવતીકાલથી તલગાજરડામાં મોરારીબાપુની કથા શરૂ થઇ રહી છે ત્યારે તંત્ર કડક હાથે કાર્યવાહી કરે તેવી લોકમાગણી ઉઠી છે.

October 26, 2018
sci_fic1.jpg
1min8310

પહેલી ગુજરાતી SCI-FI ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’નું ટીઝર પોસ્ટર રીલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના પોસ્ટરમાં ફક્ત એક વ્યક્તિનો હાથ દર્શાવાયો છે. આ હાથના કાંડા પર ઘડિયાળ બાંધેલી છે. અને ઘડિયાળની અંદર સમયની સાથે સાથે ફરી એનો એ જ હાથ દેખાયા કરે છે. પોસ્ટર જોયા બાદ ફિલ્મ ટાઈમ ટ્રાવેલ પર હોય તેવું લાગી રહ્યું છે. તો એક શક્યતા ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાની ગુજરાતી રિમેક હોવાની પણ છે.

આ ફિલ્મમાં RJ ધ્વનિત લીડ રોલમાં છે. તો ધ્વનિતની સાથે કિંજલ રાજપ્રિયા અને સ્મિત પંડ્યા છે. તો ઉત્કર્ષ મઝુમદાર, રાગી જાની અને અર્ચન ત્રિવેદી જેવા દમદાર એક્ટર્સની હાજરી પણ છે. ફિલ્મને ફૈઝલ હાશ્મી, ભાર્ગવની સાથે મોહસીને લખી છે. ફૈઝલ હાશ્મીએ જ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ટ્વાઈલાઈટ પ્રોડક્શનના બેનર હેઠળ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

જો કે ફિલ્મના ડિરેક્ટર ફૈઝલ હાશ્મીના કહેવા પ્રમાણે,’શોર્ટ સર્કિટ’ કોઈ ફિલ્મની રિમેક કે કૉપી નથી. આ એક ઓરિજિનલ સ્ટોરી છે. ફિલ્મ એક કમ્પ્યુટર એન્જિનિયરની સ્ટોરી છે. ફિલ્મનો હીરો કોઈ ટ્રેપમાં ફસાય છે પછી તેમાંથી કેવી રીતે બહાર નીકળે છે, પોતાની સમસ્યાઓ સામે લડતા સામાન્ય વ્યક્તિની આ સ્ટોરી છે. ફિલ્મ આ સંઘર્ષની વાત કરે છે.’ જો કે આ બધામાં ટેક્નોલોજી કેવી રીતે મદદ કરે છે, ફિલ્મમાં શું થાય છે તે જાણવા માટે ફિલ્મ જ જોવી પડશે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ધીમેધીમે પીક પકડી રહી છે. મસાલા અને કોમેડી ફિલ્મ્સની સાથે સાથે હવે ઈન્ડસ્ટ્રીમાં નવા એક્સપેરિમેન્ટ પણ થઈ રહ્યા છે. ‘ઢ’ અને ‘રેવા’ જેવી ડિફરન્ટ ટાઈપ્સની ફિલ્મો પણ દર્શકોને પસંદ પડી છે. ત્યારે હવે ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર આવશે પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ.

October 25, 2018
banner-sea.jpg
1min9550

દહેજ-ઘોઘો વચ્ચે રો-રો ફેરી સર્વિસ આડે સતત વિધ્નો આવી રહ્યા છે. અગાઉ નરેન્દ્ર મોદીએ ફક્ત મુસાફરો માટેની દહેજ-ઘોઘા વચ્ચેની રો-રો ફેરી સર્વિસ શરૂ કરી હતી. એ પછી તેને બંધ કરીને માલવાહક ટ્રક, વાહનો સમેત મુસાફરોને લઇ જતી રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાનું આયોજન પૂરું કરીને ગઇ તા.12મી ઓક્ટોબર 2018ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદઘાટિત કરવાનું આયોજન હતું, પણ તૈયારીઓ પૂરી ન થઇ શકતા એ તા.27મી ઓક્ટોબર 2018ના રોજ એટલે કે બે દિવસ બાદ કરવાનું આયોજન હતું. હવે તા.27મી ઓક્ટોબરે પણ રો-રો ફેરી સર્વિસ શરૂ થવા સામે પ્રશ્નો ઉપસ્થિત થયા છે કેમકે આજરોજ તા.25મી ઓક્ટોબર 2018ના રોજ ટ્રાયલ દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી અને શીપ સાથેની સેફ્ટી બોટ ડૂબી જતા 7 લોકો ડુબ્યા હતા જેમાંથી 6ને બચાવી લેવાયા છે જ્યારે એક વ્યક્તિ ઘટનાના કલાકો પછી પણ મળી આવી ન હતી.

  • 12 ઓક્ટોબર 2018ના રોજ બીજા વખતનું ઉદ્ઘાટન થવાનું હતું જે મૌકુફ રહ્યું
  • તા.27 ઓક્ટોબર 2018ના રોજ ત્રીજી વખત ઉદ્ધાટન થવાનું હતું એ પણ હવે અનિશ્ચિતકાલિન મૌકુફ

દહેજ ઘોઘા રોરો ફેરીમાં વાહનો પણ લઈ જઈ શકાય તેવું વિશાળ જહાજ સામેલ કરવામાં આવ્યું છે. દહેજ-ઘોઘા રોરો ફેરીની શીપ સાથે રહેલી સેફ્ટી બોટ આજે તા.25મી ઓક્ટોબર 2018ના રોજ દરિયામાં અચાનક શીપથી છૂટી પડી ગઇ હતી અને કર્મચારીઓ હજુ કંઇ સમજે એ પહેલા તો એ દરિયાનાં પાણીમાં ઉંધી વળી ગઈ હતી. આ બોટમાં ૭ લોકો સવાર હતા. જેમાંથી ૬ લોકોને બચાવી લેવાયા છે. પરંતુ હજી પણ એક કર્મચારી લાપતા છે. જેની મરિન પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

October 25, 2018
statue-of-unity.jpg
1min11150

લગભગ 11 હજાર જેટલા આમંત્રિતોની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે તા. 31 ઓક્ટોબર 2018ના દિવસે ખુદ સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર જ હાજર નહીં રહે તેવી શક્યતા છે. 78 વર્ષના ગૌતમભાઈ અને તેમની પત્ની વડોદરામાં રહે છે. પણ તેમનો પુત્ર કેદાર અમેરિકામાં સ્થાયી થયો હોવાથી તેઓ વડોદરા અને અમેરિકા વચ્ચે આવન જાવન કરતા રહે છે. હાલમાં પણ તેઓ અમેરિકા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૧૫ દિવસથી સીએમઓ દ્વારા આ સમારોહમાં ગૌતમભાઈ અને તેમના પત્ની હાજર રહે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પણ તેમનો  સંપર્ક થઈ રહ્યો નથી. વલ્લભ વિદ્યાનગરમાં રહેતા સરદાર પટેલના ભત્રીજા મનુભાઈ પટેલના પુત્ર ભુપેન્દ્ર પટેલનુ કહેવુ છે કે તેમનો કોન્ટેક્ટ કરવાના અમારા પરિવારના તમામ પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે.

ગૌતમભાઈ આ કાર્યક્રમમાં હાજર રહે તેવુ લાગતુ નથી. એમ પણ જાહેર સમારોહથી તેઓ દુર રહેવાનુ જ પસંદ કરે છે. જોકે  સરદાર પટેલ પરિવારના બીજા ૩૦ સભ્યો લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહેશે. સરદાર પટેલ પરિવારના તમામ સભ્યોને ગોલ્ડ પાસ આપવામાં આવ્યા છે જેથી તેઓ પીએમ સહિતના વીવીઆઈપીઓની સાથે બેસી શકે.

October 24, 2018
organic-farming.jpg
1min16070

સુરતના આંગણે તા.25મી ઓક્ટોબર 2018ના રોજ બાગાયતી પાકોમાં સજીવ ખેતી વિષય પર એક અત્યંત ઉપયોગી સેમિનાર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાઇ રહ્યો છે. આ સેમિનારના નિષ્કર્ષનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવશે.

કૃષિ રસાયણોના અતિરેકથી જમીન, પાણી, હવા અને ખોરાકના પ્રદૂષણો વધ્યા છે અને પર્યાવરણના પરિબળો અસમતોલ થતાં ઉભા થયેલા પ્રશ્નોનો એક માત્ર ઉકેલ સજીવ ખેતી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નવસારી કૃષિ યુનિવર્સિટી, ગુજરાતના બાગાયત ખાતું અને ગુજરાત બાગાયત વિકાસ પરિષદ, આણંદના સંયુક્ત ઉપક્રમે બાગાયતી પાકોમાં સજીવ ખેતી ઉપર એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો છે.

આ સેમિનાર તા.25મી ઓક્ટોબર 2018ના રોજ સવારે 8.30 કલાકથી શરૂ કરીને સાંજે 6 કલાક સુધી ચાલશે. અઠવા કૃષિ ફાર્મ, કલામંદિર જ્વેલર્સની પાછળના ભાગે આવેલા અસ્પી શકીલમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ ખાતે આ એક દિવસીય સેમિનારમાં અધ્યક્ષ સ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.જે. ડાંગરીયા ઉપસ્થિત રહેશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એન.સી. પટેલ આ સેમિનારનું ઉદઘાટન કરશે. જ્યારે ગુજરાત રાજ્યના બાગાયત નિયામક શ્રી ડો.પી.એમ. વઘાસીયા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના શ્રી મથુરભાઇ સવાણી, ઉદ્યોગપતિ શ્રી દેવરાજભાઇ આર. મુંજાણી અને અસ્પી, મલાડ-મુંબઇના શ્રી શરદભાઇ પટેલ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.

October 24, 2018
DARSHAN_naik.jpg
1min6140
  • તલાટી કમ મંત્રીઓ પોતાની લાગણી અને માંગણીઓ સંતોષાય એ માટે દર્શન દેસાઇની સહાનુભૂતિ
  • જર્જરિત પશુ દવાખાના નવા બનાવવા તેમજ તત્કાલિત અસરથી રિપેરિંગ કરવા દર્શન દેસાઇની રજૂઆત
  • કીમમાં અદ્યતન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવા માટે દર્શન દેસાઇની માગણી
  • ભાંડૂત ખાતે સુરત મનપાની પ્રપોઝ્ડ ડિસ્પોઝલ સાઇટ આવે તે પહેલા રોકથામ કરવા દર્શન દેસાઇની માગ
  • જિલ્લા પંચાયત વિસ્તારમાં બોગસ તબીબો સામે નક્કર કામગીરી કરવા માટે દર્શન દેસાઇની આક્રમક રજૂઆતો
આજ રોજ યોજાયેલી સુરત જિલ્લા પંચાયત ની સામાન્ય સભા માં જિલ્લા પંચાયત સભ્ય શ્રી દર્શન ભાઈ નાયક દ્વારા આરોગ્ય, સિંચાઈ, શિક્ષણ, રસ્તા, મકાનો વગેરે વિભાગોને સ્પર્શતા પાયાના 18 જેટલા લોકપ્રશ્નોની કરેલી આક્રમક રજૂઆતોને પગલે શાસકોમાં સન્નાટો મચી ગયો હતો. દર્શન દેસાઇએ એક પછી એક એવા પ્રશ્નો ઉઠાવ્યા હતા કે અધિકારીઓના મોઢા સિવાય જવા પામ્યા હતા. દર્શન દેસાઇએ કહ્યું કે લોકોના કામો નહીં થાય ત્યાં સુધી તેઓ અાક્રમકતાથી રજૂઆતો કરતા રહેશે અને લોકોને સ્પષ્ટ ચિતાર આપશે કે કયા અધિકારી કે પદાધિકારીને કારણે કામો થતા નથી.
જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં દર્શન દેસાઇએ રજૂ કરેલા મહત્વના પ્રશ્નોમાં
(૧) ખાસ કરીને બોગર્સ ડોક્ટરો અને ચોર્યાસી તાલુકા માં પ્રાથમિક આરોગ્ય કેદ્રો અને PM કરવાની બાબતમાં સભામાં ધારદાર રજુઆત કરવામાં આવી જેના  અનુસંધાન માં જિલ્લા પંચાયતના સાથી સભ્યો એ પણ આરોગ્યની નબળી કામગીરી ને ચિંતા વ્યક્ત કરી અને તત્કાલ પગલાં લેવા રજુઆત કરી હતી.
(૨) ધનસુખભાઈ પટેલ દ્વારા ઓલપાડ તાલુકાના ભાંડૂત ગામેં શહેર નો  ઘન કચરો નાખવા ના વિરોધ માં મુકાયેલ ઠરાવ ને નામંજુર કરતા દર્શન ભાઈ નાયક દ્વારા સુરત જિલ્લા ના તમામ  ગામડા ના લોકો ની લાગણી ને માન આપવા ખાતર કોઈ પણ  ગામ માં શહેર નો કચરો ન નાખવો જોઈએ એવી ધારદાર રજુઆત કરવામાં આવી અને આ રજુઆત ધ્યાન માં લઇને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા સરકાર માં  લેખિત રજુઆત કરવાંની ખાત્રી આપવામાં આવી હતી.
(3) કીમ ગામે વસ્તી વધતા જે હાલમાં  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલે છે તેને અધતન બનાવી કમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવાની રજુઆત કરવામાં આવી હતી.
(૪) સુરત જિલ્લા ના તલાટી કમ મંત્રીઓ પોતાની લાગણી અને માંગણીઓ સંતોષાય એ માટે હડતાલ પર ઉતર્યા છે સાચા અર્થ માં ગામડાના વિકાસ અને  લોકો ની સેવામાં એમનો મોટો  ફાળો છે તો તેમની માગણી સંતોષાય તે માટે આજની સુરત જિલ્લા પંચાયતની સભામાં પ્રમુખ સ્થાનેથી ઠરાવ કરવાની માગણી દર્શન ભાઈ નાયક દ્વારા કરવામાં આવી હતી.
(5) સુરત જિલ્લા માં જુના જર્જરિત પશુ દવાખાના નવા બનાવવા તેમજ તત્કાલિત અસર થી રિપેરિંગ કરવા માટે જિલ્લા ના પશુપાલકો ના હીતમાં રજુઆત કરવામાં આવી હતી.

 

October 23, 2018
guj.jpg
1min5610

ગુજરાતમાં આ વર્ષે મોટાભાગના તાલુકાઓમાં પૂરતો વરસાદ ન વરસતા તળાવ-નદી નાળા અને ડૅમો ખાલીખમ છે ત્યારે હવે પીવાનાં પાણી અને સિંચાઇ માટે એક માત્ર નર્મદા નીરનો જ મોટો વિકલ્પ બચ્યો છે. અગાઉ કચ્છના તમામ 10 તાલુુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા બાદ આજે વધુ 250 મિ.મી.થી ઓછો સરેરાશ વરસાદ વરસ્યો હોય તેવા તમામ 51 તાલુકાને પણ સરકારે અછતગ્રસ્ત જાહેર કરતા ઉનાળાના દિવસોમાં પરિસ્થિતિ ગંભીર બને તેવી સ્થિતિ સર્જાઇ છે. સરકારે અછતગ્રસ્ત 51 તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને તત્કાળ નહીં પણ ડિસેમ્બર મહિનાથી સરકાર સહાય મળશે, કારણ કે સરકારે આગોતરી અછત જાહેર કરી છે. અછતગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં કચ્છના તમામ 10, પાટણના આઠ, બનાસકાંઠાના 9, મહેસાણાના ચાર, સુરેન્દ્રનગરના સાત, રાજકોટના બે, મોરબીના ચાર, દેવભૂમિ દ્વારકાના બે, ભાવનગરના એક, અમદાવાદના ત્રણ, જામનગરના બે તાલુકાનો સમાવેશ થાય છે.

અછતગ્રસ્ત 51 તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને તત્કાળ નહીં પણ ડિસેમ્બર મહિનાથી સરકાર સહાય મળશે

  • કચ્છના તમામ 10 તાલુુકાને અછતગ્રસ્ત
  • પાટણના 08
  • બનાસકાંઠાના 09
  • મહેસાણાના 04
  • સુરેન્દ્રનગરના 07
  • રાજકોટના 02
  • મોરબીના 04
  • દેવભૂમિ દ્વારકાના 02
  • ભાવનગરના 01
  • અમદાવાદના 03
  • જામનગરના 02

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સરકારના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજ્યમાં 250 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાયા છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ.3000 કરોડ થી વધુ ચુકવણું થશે આનો અમલ પહેલી ડિસેમ્બર-2018 થી થશે. આ 51 અછતગ્રસ્ત તાલુકાઓમાં ખેડૂતોને હેક્ટરદીઠ 6800 રૂપિયા સહાય અપાશે તેમજ વધુમાં વધુ બે હેક્ટર સુધી સહાય ચુકવાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે 125 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની પદ્ધતિ હતી. કેન્દ્ર સરકારના ધોરણોને અનુસરીને ગુજરાત સરકારે પણ 125 મિ.મી. સુધીના વરસાદને બદલે 250 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ તાલુકાના ગામોમાં ખેડૂતોએ જે વાવેતર કર્યું હોય અને જે ખર્ચ થયું હોય તેમાં ભારત સરકારના ધારાધોરણ મુજબ હેક્ટરદીઠ રૂ.6800 સહાય આપવાનો નિર્ણય કર્યો છે અને વધુમાં વધુ આ સહાય 2 હેક્ટર સુધી ચુકવવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, આ અછતગ્રસ્ત તાલુકાઓમાં પશુપાલકોને પણ ઓછા વરસાદને કારણે ઘાસચારો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે અને પશુ સાચવવાનું મોંઘું પડતું હોય છે તેથી આવા અબોલ પશુઓને સાચવવા અને પશુપાલકોને મદદરૂપ થવા જ્યાં જ્યાં ઢોરવાડા ઊભા કરવામાં આવશે તથા પાંજરાપોળ અને ગૌશાળામાં જે પશુઓ રાખવામાં આવે છે તેમને સાચવવામાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા પશુદીઠ રૂ.25 ની મદદ કરવામાં આવે છે તેમાં વધારો કરીને મોટા પ્રમાણમાં પશુઓને ઢોરવાડામાં મૂકવામાં આવે ત્યારે તેના સંચાલકોની માંગ આવ્યેથી બે મહિના માટે મોટા પશુદીઠ રૂ.70 ની સહાય આપવામાં આવશે. જેના કારણે જે બે મહિના મોટા પ્રમાણમાં આ સંસ્થાઓ પશુઓને સાચવશે ત્યારે તેમને રૂ.70 ની સહાય મળવાના કારણે તેમનું ભારણ ઘટશે. આ બે મહિના સિવાયના બાકીના સમયમાં હાલ જે રીતે પશુદીઠ રૂ.25 ની સહાય આપવામાં આવે છે એ યથાવત ચાલુ રહેશે. અત્યારે જે પશુપાલકો પોતાના ઘરે ગાય-ભેંસ જેવા પશુઓ રાખે છે તેમને બે રૂપિયા કિલોના ભાવે જે ઘાસ આપવામાં આવે છે તે પ્રમાણે હવે આ અછતગ્રસ્ત જાહેર કરેલા 51 તાલુકાઓમાં પણ પશુદીઠ રૂ. બે કિલોના ભાવે ઘાસ અપાશે. આ અછત રાહતનો અમલ તા.01.12.2018 થી કરવામાં આવશે. આ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો, પશુપાલકો માટે રૂ.3000 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે.