CIA ALERT

ગુજરાત Archives - Page 13 of 158 - CIA Live

April 26, 2025
bangladeshi.jpg
1min359

પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઇ છે ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદ અને સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બંને મોટા શહેરોમાં દરોડા દરમિયાન શહેરમાંથી લગભગ 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. જેમાં અમદાવાદમાંથી 400થી વધુ જ્યારે સુરતમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયતના અહેવાલ મળી રહ્યા છે. આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

6 ટીમ બનાવીને તમામ શંકાસ્પદોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમના દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર સુરતના સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે. જ્યારે અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાંથી 400થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમના શંકાસ્પદ બાંગ્લાદેશી હોવાની જાણકારી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે. જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચઢી ગયાનો દાવો કરાયો છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અગાઉ જ પાકિસ્તાની નાગરિકોને પણ અલ્ટીમેટમ આપી ચૂક્યા હતા. મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની સાથે સાથે આ તપાસમાં એસઓસી, ઈઓડબ્લ્યૂ અને ઝોન 6 હેડક્વાર્ટરની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં 400 થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા.

April 6, 2025
anant-ambani.png
1min364

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 170 કિમીની પદયાત્રા કરી આજે દ્વારકાધીશના દર્શન કર્યા. દ્વારકામાં તમામ જ્ઞાતિ-સમાજ, હૉટેલ એસોસિયેશન, વેપારી મંડળ, સામાજિક સંસ્થાઓ તથા દ્વારકાના સ્થાનિકોએ અનંત અંબાણીને જગતના નાથના નગરમાં વધાવ્યા હતા.

પદયાત્રાના સમાપન બાદ અનંત અંબાણીએ આજે ગોમતિપૂજન કર્યું. શારદાપીઠ ખાતે પાદુકાપૂજનનો પણ લાભ લીધો હતો. અનંત અંબાણીની સાથે તેમના માતા નીતા અંબાણી તથા પત્ની રાધિકાએ પણ ભગવાન દ્વારકાધીશના ચરણમાં શીશ નમાવ્યું હતું. આ પ્રસંગે અંબાણી પરિવાર તરફથી 10 હજાર જેટલા પરિવારના એક લાખ લોકોની પ્રસાદી સેવા કરાઇ. આ ઉપરાંત રામનવમીના પાવન અવસર પર દ્વારકાધીશના દર્શન કરવા આવેલા ભક્તોમાં પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

March 22, 2025
Cia_business_news-1280x936.jpg
1min804

ગુજરાતમાં હાલ ચાલી રહેલી મિલકતોના દસ્તાવેજની નોંધણીમાં ખાસ કરીને ખુલ્લા પ્લોટમાં ક્ષેત્રફળ ઓછું દર્શાવીને ઓછી સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકિત કરાવીને સરકારની તિજોરીને લાખો, કરોડો રૂપિયાનો ફટકો મારવામાં આવી રહ્યો છે. આ પ્રકારનો ફ્રોડ બંધ થાય તે હેતુથી રાજ્યના મહેસૂલ વિભાગે આગામી તા.1લી એપ્રિલ 2025થી મિલક્તોના દસ્તાવેજોની નોંધણીમાં અક્ષાંશ રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવવાની રહેશે અન્યથા દસ્તાવેજની નોંધણી જ નહીં થાય.

મળતી માહિતી મુજબ રાજ્યમાં મિલકતની ખરીદ-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં થતાં નુકસાનને રોકવા માટે નવો નિયમ અમલમાં લાવવામાં આવી રહ્યો છે. નવા નિયમ મુજબ હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોના મુસદ્દા (ખરડા)માં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવાની રહેશે. આ નિયમ 1 એપ્રિલ 2025થી રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગૂ પડશે. જો દસ્તાવેજમાં આ વિગતો નહી હોય તો નોંધણી કરવામાં આવશે નહી.

સરકારના પરિપત્રમાં જણાવ્યા મુજબ ઘણીવાર મિલકતના દસ્તાવેજોમાં બાંધકામ હોવા છતાં દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટના ફોટા રજૂ કરવામાં આવે છે, જેના લીધે સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરીમાં ગેરરીતિ થાય છે અને સરકારને મોટું નુકસાન થઇ રહ્યું છે. સરકારના ધ્યાને આવ્યું છે કે આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા હોવાથી છેતરપિંડીનું પ્રમાણ વધ્યું છે.

આ પ્રકારની છેતરપિંડી અટકાવવા માટે સંબંધિત કચેરીના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સામાં, ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો ફરજિયાત દર્શાવેલી હોવી જોઇએ. દસ્તાવેજમાં મિલકતના 5*7 સાઇઝના કલર ફોટોગ્રાફ્સમાં એક સાઇડ વ્યૂ અને ફ્રન્ટ વ્યૂ દેખાવવો જોઇએ, તે મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ ચોંટાડવાના રહેશે. ફોટાની નીચે મિલકતનું પૂરું પોસ્ટલ સરનામું લખવાનું રહેશે, અને તેની પર દસ્તાવેજ લખનાર તેમજ લેનાર બંને પક્ષકારોએ સહી કરવી પડશે. જો આવી નોંધ દસ્તાવેજમાં નહીં હોય, તો સબ-રજિસ્ટ્રાર કચેરી તેને નોંધણી માટે ગ્રાહ્ય નહીં ગણે.

સરકારના આ નિર્ણયથી મિલકતની ખરીદી-વેચાણમાં પારદર્શિતા વધશે અને છેતરપિંડીની સંભાવનાઓ ઘટશે. 1 એપ્રિલ, 2025થી શરૂ થતા આ નિયમોનો કડક અમલ કરવા માટે સબ-રજિસ્ટ્રાર કચેરીઓને પણ સૂચના આપવામાં આવી છે.

March 13, 2025
drugs.jpg
1min336

અમદાવાદમાં વિદેશથી એમડી ડ્રગ્સ, ચરસ અને ગાંજાની દાણચોરીની મોટી ઘટના બની છે અને રમકડાંની આડમાં આ કૃત્ય કરવામાં આવી રહ્યું હતું. અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મોટી કાર્યવાહી કરતાં લગભગ 3.45 કરોડની કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વિદેશથી પાર્સલની આડમાં ઓનલાઇન મંગાવેલું ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસથી ઝડપી પાડ્યું હતું. ઉલ્લેખનીય છે અગાઉ પણ ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઈન મંગાવવામાં આવતા ડ્રગ્સના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર હોળી ધૂળેટીના તહેવારોના ટાળે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનને મદદથી વિદેશથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યું છે. જેને લઇને ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ કુરિયર પહોંચ્યા હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી તપાસ કરતાં આ કુરિયરમાં રમકડાંની આડમાં સંતાડેલું 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.

આ ડ્રગ્સમાં ચરસ, હાઇબ્રીડ ગાંજો અને એમ.ડી. ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો થાઇલેન્ડ, કેનેડા અને યુએસએ જેવા દેશોમાંથી ઓર્ડર કરવામાં આવતા હોવાની શંકા છે. આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઓનલાઈન આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું. પરંતુ તેના રિસિવર અંગેની તપાસ ચાલી રહી છે. યુએસએ, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જે સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે.

March 8, 2025
heat-stroke.jpg
1min304

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પવનનું જોર વધ્યું છે. કેટલાક વિસ્તારમાં તો 30થી લઈને 45 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં પણ પવનનું જોર વધીને 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગયું હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.

અચાનક જ ઠંડા પવનની ગતિ વધવાના કારણે તથા પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે તાપમાન પણ ગગડ્યું છે અને ઠંડકનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન હવામાન નિષ્ણાતે આગાહી કરી હતી કે, 9થી 13 માર્ચ દરમિયાન કેટલાક ભાગોમાં હીટવેવની વકી છે અને તાપમાન 40 ડિગ્રી સુધી જઇ શકે છે.

આ દરમિયાન રાજ્યના વિવિધ શહેરના તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી હતી. માર્ચ મહિનાની શરૂઆતથી થોડું તાપમાન વધશે, રાજ્યમાં હીટવેવનો પ્રથમ રાઉન્ડ 9 માર્ચથી ચાલુ થઈ શકે છે અને 13 માર્ચ સુધી ચાલુ રહે તેમ છે. 13 માર્ચ પછી ફરી હવામાનમાં પલટો આવશે. હીટવેવના આ રાઉન્ડમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જશે. આ દરમિયાન આકરો ઉનાળો જોવા મળી શકે છે.

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે જ્યાં 39-40 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબીમાં તાપમાન વધારે ઊંચું જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામમાં તાપમાન 39-40 ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે.

February 22, 2025
NSUI-scam.png
1min319

સુરતના પુણા કેનાલ રોડના રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડીયા એજ્યુકેશન ઉપરાંત ક્રીએટીવ ઇન્સ્ટીટ્યુટ અને એડીટેક ઇન્સ્ટીટ્યુટ ગેરકાયદેસર ચાલે છે તેવી રીલ્સ વાયરલ કરી બાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.1 કરોડની ખંડણી માંગ્યા બાદ રૂ.60 લાખમાં પતાવટ કરવા તૈયાર થઈ રૂ.1.50 લાખ બળજબરીથી પડાવી બાકીની રકમ લેવા આવેલા એનએસયુઆઈના સુરત પ્રમુખ, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ, બે કાર્યકર સહિત પાંચ સારોલી પોલીસના હાથે રંગેહાથ ઝડપાયા હતા.જયારે આ પ્રકરણમાં સામેલ બે ને સારોલી પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ અમરેલી બગસરા ડેરી પિપરીયાના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા ડી માર્ટની પાછળ શાંતિનગર સોસાયટી વિભાગ 2 ઘર નં.145 માં રહેતા 35 વર્ષીય હસમુખભાઇ રમેશભાઇ રફાળીયા પુણા કેનાલ રોડ વનમાળી જંકશન નજીક શેલ આમંત્રણ રેસ્ટોરન્ટ પાસે રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડીયા એજ્યુકેશનના નામે વેબ ડિઝાઇનીંગ, વેબ ડેવલોપમેન્ટ, ગ્રાફીક્સ વિગેરે જેવા સ્કીલ કોર્સ કરાવે છે.ગત પહેલી જાન્યુઆરીના રોજ હસમુખભાઈ ઇન્સ્ટીટ્યુટ પર હાજર હતા ત્યારે ઈન્સ્ટાગ્રામમાં ગેરકાયદેસર ચાલતી પ્રાઈવેટ સ્ટડી સેન્ટરો અને સંલગ્ન યુનિવર્સીટીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના કુલપતિને રજુઆત કરવામાં આવી તેવી પોસ્ટ હતી.બીજા દિવસે તે જ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર તેમનું ઇન્સ્ટીટ્યુટ બોગસ ડિગ્રી તો નથી આપતું તેમ કહી મિતેશ હડીયા સ્વર્ણીમ યુનિવર્સીટીના કોઈ વિદ્યાર્થી સાથે વાત કરતો હોય તેવો ઓડિયો મુકવામાં આવ્યો હતો.

તેના બે દિવસ બાદ હસમુખભાઈના ઇન્સ્ટીટ્યુટમાં મેનેજર લક્ષ્મણભાઈ પ્રજાપતિને અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો અને કોલ કરનારે પોતાની ઓળખ રવિ પુછડીયા તરીકે આપી તમારી સંસ્થાની પોસ્ટ મૂકી છે તે બાબતે સમજવું છે તેથી તમને મળવું છે તેવી વાત કરી હતી.ત્યાર બાદ રવિ અવારનવાર ફોન કરતો હતો અને તે સાથે તે જ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર હસમુખભાઈની ઇન્સ્ટીટ્યુટ ઉપરાંત તેમના મિત્ર કેયુરભાઇ વરસડીયાની ક્રીએટીવ ડીઝાઇન એન્ડ મલ્ટીમીડીયા ઇન્સ્ટીટ્યુટ અને અન્ય મિત્ર ધવલભાઇ લુણાગરીયાની એડીટેક ઇન્સ્ટીટ્યુટ અંગે પણ તે બોગસ હોવાની પોસ્ટ મુકતા હતા.ત્યાર બાદ રવિ વતી અભિષેકે ફોન કરી જો આપણી મીટીંગ થાય તો અમે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તે નહીં કરીએ તેવી વાત કરી હતી.બાદમાં ફરી ફોન કરી તમે બોગસ ડિગ્રી વેચો છો તેવા ખોટા કેસમાં ફસાવી 10 વર્ષ જેલમાં રહેવાની સજા કરાવીશું તેવી ધમકી આપતા હસમુખભાઈ તેમની સાથે મિટિંગ કરવા તૈયાર થયા હતા.

13 જાન્યુઆરીની સાંજે રવિ અને અભિષેક હસમુખભાઈને મળવા સારોલી ઈંડા ગલી પાસે ઓર્બીટ ટાવર નજીક આવ્યા હતા.ત્યાં ત્રણેય સંસ્થા માટે પતાવટ કરવા તેમણે રૂ.1 કરોડની માંગણી કરી હતી.તે પછી પ્રિત ચાવડા, કિશોરસિંહ ડાભીએ ઉધનામાં મિટિંગ કરતા રકઝક બાદ તેઓ રૂ.60 લાખ લેવા તૈયાર થયા હતા.ત્યાર બાદ ધીરેન્દ્ર સોલંકી અને પ્રિત મળ્યા ત્યારે રૂ.1.50 લાખ તેમને આપ્યા હતા.ત્યાર બાદ બાકીના રૂ.58.50 લાખ માટે તેઓ સતત ફોન કરતા હોય હસમુખભાઈએ સારોલી પોલીસ મથકમાં અરજી કરી હતી.આથી પોલીસે ગતરોજ હસમુખભાઈના ઈન્સ્ટીટ્યુટની આગળ ક્રીકેટ બોક્સ બાજુ જવાની ગલી પાસે પ્રિત ચાવડા, રવિ પુછડીયા, મિતેશ હડીયા, ધીરેન્દ્ર સોલંકી અને તુષાર મકવાણા કાર ( નં.જીજે-36-આર-6618 ) માં આવ્યા અને હસમુખભાઈએ તેમને રૂ.5 લાખ ભરેલી બેગ આપી તે સમયે રવિએ બેગમાં રૂ.58.50 લાખ પુરા છે ને તેવું પૂછ્યું તે સાથે જ પોલીસે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.

સારોલી પોલીસે આ અંગે હસમુખભાઈની ફરિયાદના આધારે ખંડણીનો ગુનો નોંધી પાંચેયની ધરપકડ કરી તેમના બે સાથી અભીષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે માહિતી આપતા જણાવ્યું હતું કે ખંડણી માંગતા ઝડપાયેલા એનએસયુઆઈના કાર્યકરો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

ધીરેન્દ્રસિંહ સોલંકી આ પ્રકરણ ચાલતું હતું ત્યારે જ સુરત શહેર એનએસયુઆઈ પ્રમુખ બન્યો હતો

ત્રણ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટને બદનામ કરી રૂ.1 કરોડની ખંડણી માંગતા પોલીસે જે પાંચની ધરપકડ કરી છે તેમાં એનએસયુઆઈના સુરત શહેર પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ મિતેશ ધીરૂભાઈ હડીયા અને બે કાર્યકર રવિ રામજીભાઈ પુછડીયા અને પ્રિત વાઘેશભાઈ ચાવડાનો સમાવેશ થાય છે.તે પૈકી ધીરેન્દ્રસિંહ સોલંકી આ પ્રકરણ ચાલતું હતું ત્યારે જ 23 જાન્યુઆરીના રોજ સુરત શહેર એનએસયુઆઈ પ્રમુખ બન્યો હતો.

એનએસયુઆઈએ પ્રદેશ ઉપપ્રમુખ, સુરત પ્રમુખને સસ્પેન્ડ કર્યા : સભ્ય નથી તે તુષારને પણ સસ્પેન્ડ કરી ભાંગરો વાટ્યો

રૂ.1 કરોડની ખંડણી માંગવાના ગુનામાં ઝડપાતા એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રભારી અંકુશ ભટનાગર અને પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ પ્રદેશ ઉપપ્રમુખ મિતેશ હડીયા, સુરત પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી, બે કાર્યકર રવિ પુછડીયા અને પ્રિત ચાવડાને એનએસયુઆઈમાંથી સસ્પેન્ડ કર્યા હતા.જોકે, જે સભ્ય નથી તે તુષાર મકવાણાને પણ સસ્પેન્ડ કરી ભાંગરો વાટ્યો હતો.

કોણ કોણ પકડાયું

(1) વ્યવસાયે ડોક્ટર મિતેશ ધીરૂભાઈ હડીયા ( ઉ.વ.26, રહે.ઘર નં.65, શીવપાર્ક સોસાયટી, ગીતાંજલી સ્કુલ પાસે, ગોડાદરા નહેર, ગોડાદરા, સુરત. મૂળ રહે.કાતર, તા.રાજુલા, જી.અમરેલી )
(2) ચા નાસ્તાની દુકાન ધરાવતો અને સાથે અભ્યાસ કરતો ધીરેન્દ્રસિંહ મહેંદ્રસિંહ સોલંકી ( ઉ.વ.28, રહે.804, અંબીકાનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સાયણ રોડ, અમરોલી, સુરત. મૂળ રહે.વાંકાબોરડી, તા.શહેરા, જી.પંચમહાલ )
(3) વિદ્યાર્થી રવિ રામજીભાઈ પુછડીયા ( ઉ.વ.28, રહે.એલ-103, સુમન સંગીની, મગોબ, સુરત. મૂળ રહે.જુનાપઢી, તા.કેશોદ, જી.જુનાગઢ )
(4) બેકાર પ્રિત વાઘેશભાઈ ચાવડા ઉ.વ-24 ધંધો-બેકાર રહે-બી/27, વશીકોલોની, ત્રણ રસ્તા પાસે, ઉધના, સુરત. મૂળ રહે.મહેન્દ્રનગર, મોરબી )
(5) એલઆઈસીમાં નોકરી કરતા તુષાર ગોપાલભાઈ મકવાણા ( ઉ.વ.31, રહે.સિધ્ધાર્થ સોસાયટી, ત્રાજપોર ચાર રસ્તા પાસે, મોરબી. મૂળ રહે.રાજપરા, જી.રાજકોટ )

February 20, 2025
gujarat-vidhansabha.jpg
2min338

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. દેસાઈ ચોથું બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષિય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. તેમજ વિકસિત ભારત મિશનમાં ગુજરાતનો સિંહફાળો આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હોવાનું જણાવ્યું છે.

આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.

બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયા

શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ 290 કેન્‍દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે 200 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ એમએસએમઈને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. જેમાં MSME અને સ્ટાર્ટઅપની વિવિધ યોજનાઑ માટે 3600 કરોડ રૂપિયાની જોગવાઈ છે. ટેક્સટાઇલ નીતિના કારણે 5 લાખ લોકોને રોજગાર મળશે. વધુમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાયો માટે બે હજાર કરોડ રૂપિયાની ફાળવણી

નાણામંત્રીએ દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે. આ યોજના હેઠળ 85 હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12 હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ છે.

નાણામંત્રીએ સરકારી આવસને વેગ આપવા પર ફોકસ કર્યું છે. ગુજરાતના ગરીબો માટે ત્રણ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રૂ. 200 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. આવાસ ખરીદવા પર સરકાર 1.70 લાખ રૂપિયા સબસિડી આપશે.

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કર્યું છે. તેમણે ભાષણમાં રાજકોષિય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારત વિઝનને સાકાર કરવા પર ફોકસ કરવા ભાર મૂક્યો છે.

નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાત વિધાનસભામાં 2025-26નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા છે. તેમણે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટિંગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.

બજેટ પહેલા બીજા દિવસે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં દેખાવો કર્યા હતા. વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ દેખાવો કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ હાથકડીઓ અને પોસ્ટર પહેરીને કોંગ્રેસના ધારાસભ્યોએ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોને જે રીતે હાથકડી અને સાંકળ બાંધીને મોકલવામાં આવ્યા હતા તેને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે આ વખતે ગુજરાતનું વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ પર બજેટ ખરું ઉતરશે. દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં દરેકની આશાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.

નાણા મંત્રી કનુભાઈ આ વખતે બજેટમાં લગભગ 11 ટકાનો વધારી શકે છે. જેથી આ વખતનું બજેટ લગભગ પોણા ચાર લાખ કરોડની રકમને આંબી શકે છે. જ્યારે બીજી બાજુ થોડા દિવસ પહેલા જ રાજ્યમાં 9 મહાનગરપાલિકાઓ અને 1 નવા જિલ્લા અંગે જાહેરાત કરવામાં આવી હતી જેને લઇને પણ બજેટમાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી શકે છે.

ગયા વર્ષે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું એ ઐતિહાસિક કુલ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ હતું. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમનું ત્રીજુ બજેટ રજૂ કર્યું હતું.

1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું. ત્યારપછી ગુજરાતનું પહેલું બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. તે સમયે ડૉ. જીવરાજ મહેતા મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હોદ્દો પણ તેમની પાસે જ હતો. ગુજરાતનું પહેલું બજેટ 22 ઓગસ્ટ 1960 ના રોજ અમદાવાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે.

ગુજરાત વિધાનસભામાં આ બજેટ સત્ર લગભગ દોઢ મહિનો ચાલશે. જેમાં વિપક્ષે પણ સરકારે ઘેરવાની તૈયારી કરી રાખી છે જેમાં વિપક્ષ દ્વારા જમીન કૌભાંડ, ખ્યાતિકાંડ, ભરતી કાંડ સહિતના વિવિધ મુદ્દે સરકારે ઘેરવાનો પ્રયાસ કરશે.

આ વખતે કનુભાઈ દેસાઈ પર રજૂ કરવામાં આવનારા સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પ્રથમ દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. જ્યારે બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.

February 18, 2025
bjp_vs_congress.jpg
1min361

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી બાદ પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતાં 13 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. ત્યારે ભાજપ ખાતું ખોલાવી શકી ન હતી. મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સૂપડા સાફ થઇ ગયા છે. પરિણામો જાહેર થતાં સલાયા ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ ખોલાવી શકી નથી. 

સલાયા નગર પાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થતાં ફરી એકવાર સલાયાની જનતાએ કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. દિલ્હીમાં સફાયો થયા બાદ સલાયામાં આમ આદમી પાર્ટીનો જાદૂ જોવા મળ્યો છે. સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં 13 બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી કોંગ્રેસને આકરી ટક્કર આઈ છે, જ્યારે  15 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો પરચમ લહેરાવ્યો છે. તો બીજી તરફ ભાજપ ખાતું પણ ખોલાવવામાં નિષ્ફળ રહી હતી. સલાયાની જનતાએ ભાજપના ગાલ પર તમતમતો તમાચો ચોડ્યો છે. પરિણામો બાદ સલાયા ભાજપના નેતાઓ ભૂગર્ભમાં ઘૂસી ગયા છે.  ભૂતકાળમાં સલાયા નગરપાલિકાના ઇતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ રાજ કર્યું છે. છેલ્લે સલાયા નગરપાલિકામાં કોંગ્રેસના હાથમાં સત્તા હતી. સલાયાની પ્રજાએ સતત બીજીવાર કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે. આ પરિણામો પરથી ફલિત થાય છે કે સલાયાની પ્રજા કોંગ્રેસ અથવા અન્ય પક્ષને પસંદગી કરી શકે છે પરંતુ ભાજપ તો કોઇપણ ભોગે ન જોઇએ. ઉલ્લેખનીય છે કે સલાયામાં 7 વોર્ડની 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિતના 98 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. 

February 11, 2025
SS_Logo_Red-1280x986.png
2min992

Jayesh Brahmbhatt 98253 44944

ત્રણ વર્ષના સ્નાતકો માટે બે વર્ષનો B.Ed ચાલુ રહેશે; ફક્ત ચાર વર્ષ ઓનર્સની ડિગ્રીધારક સ્નાતકો અને અનુસ્નાતક માટે જ 1 વર્ષના ટૂંકા સમયગાળાનો બી.એડ. પ્રોગ્રામ

ટીચીંગ પ્રોફેશનલ્સ માટે કેન્દ્ર સરકાર નીતિમાં મોટા ફેરફાર લાવી રહી છે, રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ (NCTE) એક વર્ષના B.Ed અને M.Ed કાર્યક્રમોને પુનઃસ્થાપિત કરવા માટે તૈયાર છે, નવા ડ્રાફ્ટ નિયમોનો ભાગ, આ ફેરફાર 2026-27 થી અમલમાં આવશે, જે ફરી એકવાર પાત્ર ઉમેદવારો માટે શિક્ષણ કારકિર્દી માટે ટૂંકા માર્ગો ઓફર કરશે.

ડ્રાફ્ટ નિયમો 2025 ને NCTE ની તાજેતરની સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યા હતા અને પ્રતિસાદ મેળવવા માટે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

2014માં બદલાવ થયો હતો
દાયકાઓ સુધી એક વર્ષ ચાલતા B.Ed અને M.Ed કાર્યક્રમોને NCTE (માન્યતા ધોરણો અને પ્રક્રિયા) નિયમો હેઠળ 2014 માં લંબાવીને બે વર્ષ કરવામાં આવ્યા હતા. 2015 માં સંસદમાં એક પ્રશ્નના જવાબમાં, તત્કાલીન માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે B.Ed અભ્યાસક્રમ 2014 ના નિયમો હેઠળ સુધારવામાં આવ્યો હતો જેમાં યોગ શિક્ષણ અને જાતિ અભ્યાસ સહિતના નવા મોડ્યુલોનો સમાવેશ થાય છે, અને 20 અઠવાડિયાની ઇન્ટર્નશિપ રજૂ કરવામાં આવી હતી. “તેની ગુણવત્તા સુધારવા માટે, B.Ed. કાર્યક્રમનો સમયગાળો વધારવામાં આવ્યો છે જેથી તે વધુ વ્યાવસાયિક અને કડક શિક્ષક શિક્ષણ કાર્યક્રમ બની શકે,” સંસદમાં જવાબમાં જણાવાયું હતું.

શિક્ષક શિક્ષણ માટે ધોરણો નક્કી કરતા આ નિયમોમાં ત્યારથી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી.

જોકે, એક વર્ષના B.Ed અને M.Ed કાર્યક્રમોના પુનર્જીવનનો અર્થ એ નથી કે બે વર્ષના કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યા છે. એક વર્ષનો M.Ed કાર્યક્રમ પૂર્ણ-સમયનો હશે, જ્યારે બે વર્ષનો પાર્ટ-ટાઇમ કોર્સ શિક્ષકો અને શિક્ષણ વહીવટકર્તાઓ જેવા કાર્યરત લોકોને ઓફર કરવામાં આવશે, એમ NCTEના ચેરમેન પંકજ અરોરાએ જણાવ્યું હતું.

ડ્રાફ્ટ નિયમો મુજબ, એક વર્ષના B.Ed કાર્યક્રમ માટે, ફક્ત તે જ લોકો પાત્ર બનશે જેમણે ચાર વર્ષનો ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા અનુસ્નાતક કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. NCTEના ચેરમેન પંકજ અરોરાએ જણાવ્યું હતું કે તે ત્રણ વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી ધારકો માટે એક વર્ષનો બી.એડ. કાર્યક્રમ ઉપલબ્ધ થશે નહીં, અને આવા વિદ્યાર્થીઓ માટે, બે વર્ષનો B.Ed કાર્યક્રમ ચાલુ રહેશે.

“2015 માં શરૂ થયેલ બે વર્ષનો M.Ed કાર્યક્રમ, શિક્ષક શિક્ષણ અથવા યુવાન વિદ્યાર્થીઓમાં શિક્ષણના શિસ્તને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શક્યો નથી. ઘણી સંસ્થાઓમાં, બેઠકો ખાલી પડી રહી હતી અને અભ્યાસક્રમમાં તે રીતે સુધારો થયો ન હતો જે રીતે તે હોવો જોઈએ. સંશોધન ઘટક ઉપરાંત, M.Ed અભ્યાસક્રમમાં ફિલ્ડ-વર્ક ઘટક અને સમુદાય જોડાણ ઘટક હશે,” અરોરાએ જણાવ્યું હતું.

“૨૦૧૪ સુધી એક વર્ષના B.Ed અને M.Ed અભ્યાસક્રમો શિક્ષક શિક્ષણના મુખ્ય કાર્યક્રમો હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના પ્રકાશમાં આ કાર્યક્રમોનું પુનરુત્થાન છે. NEP સાથે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ લાયકાત માળખું લઈને આવ્યું છે. આમાં, સ્તર ૬.૫ પર, એક વર્ષની માસ્ટર્સ ડિગ્રી હોઈ શકે છે. અમારા વિદ્યાર્થીઓ ચાર વર્ષના ITEP (સંકલિત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ) અથવા ચાર વર્ષના સ્નાતકની ડિગ્રી અને એક વર્ષના B.Ed પછી સ્તર ૬.૫ પર હશે,” અરોરાએ જણાવ્યું.

ITEP, ચાર વર્ષના કાર્યક્રમ (BA B.Ed/ B.Sc B.Ed/ B.Com B.Ed), ૨૦૨૩-૨૪ શૈક્ષણિક સત્રથી ૫૭ સંસ્થાઓમાં પાયલોટ મોડમાં શરૂ કરવામાં આવ્યો હતો. તે એવા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેમણે ધોરણ ૧૨ પૂર્ણ કર્યું છે. ૨૦૨૫-૨૬ સત્રથી, ITEP હવે પાયલોટ મોડમાં રહેશે નહીં અને તે શિક્ષક શિક્ષણનો નિયમિત કાર્યક્રમ હશે, એટલે કે સંસ્થાઓ આ વર્ષથી આ અભ્યાસક્રમ ઓફર કરવા માટે માન્યતા મેળવી શકે છે, અરોરાએ જણાવ્યું. તેમણે કહ્યું કે, ૨૦૨૫-૨૬ સત્રથી ચાર વિશિષ્ટ ITEP કાર્યક્રમો – ITEP યોગ, શારીરિક શિક્ષણ, સંસ્કૃત શિક્ષણ અને કલા શિક્ષણ – પણ ઓફર કરવામાં આવશે.

૨૦૧૪ના નિયમોમાં ચાર વર્ષના BA/B.Sc B.Ed માટે જોગવાઈ હતી, જે હવે ITEPમાં પરિવર્તિત થઈ ગઈ છે. તેમણે ત્રણ વર્ષના સંકલિત B.Ed- M.Ed કાર્યક્રમની પણ જોગવાઈ કરી હતી, અને આ અંગે NCTE એ હજુ સુધી નિર્ણય લીધો નથી. “અમે બાકીના કાર્યક્રમો વિશે પછીથી નિર્ણય લઈશું,” અરોરાએ કહ્યું.

“ધોરણ ૧૨ પછી, જો કોઈ વ્યક્તિ શાળા શિક્ષક બનવાનું નક્કી કરે છે, તો ITEP છે. જો તેઓ ત્રણ વર્ષ સ્નાતક થયા પછી નક્કી કરે છે, તો બે વર્ષના B.Ed નો વિકલ્પ છે. “પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા ચાર વર્ષના ગ્રેજ્યુએશન કોર્સ પછી, એક વર્ષનો બી.એડ. ઓફર કરવામાં આવી રહ્યો છે. આ ત્રણેય કાર્યક્રમો સંપૂર્ણપણે અલગ ઉમેદવારો માટે છે. કોઈપણ વ્યક્તિ, કોઈપણ તબક્કે, જે શિક્ષણમાં આવવા તૈયાર છે, તેને યોગ્ય કાર્યક્રમ આપવો જોઈએ. NEP હેઠળ નવા શાળા શિક્ષણ માળખા મુજબ આ કાર્યક્રમોમાં ચાર વિશેષતાઓ પણ હશે – પાયાના, પ્રારંભિક, મધ્યમ અને માધ્યમિક શાળા સ્તરો,” તેમણે કહ્યું.

February 8, 2025
hit_and_run_accidents-1280x672.png
1min369

કાર ચાલકે ડિવાઇડર કૂદાવી છ લોકોને અડફેટે લીધાં, બે ભાઈઓનું ઘટનાસ્થળે જ નિપજ્યું મોત

ગુજરાતના સુરતમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે (7 ફેબ્રુઆરી) મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતા કારચાલકે કાર ડિવાઈડર કૂદાવીને એક બાદ એક છ વાહનોને અડફેટે લીધા હતાં. અકસ્માતમાં બે સગા ભાઈના મોતની ખબર સામે આવી રહી છે. જોકે, અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

સુરતના આઉટર રિંગરોડ પર લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર શુક્રવારે (8 ફેબ્રુઆરી) મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો. બાદમાં પૂરપાટ ઝડપે આવતી આ ગાડી ડિવાઈડર કૂદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેટે લીધા હતાં. જેમાં બે સગા ભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. સમગ્ર મામલે આસપાસના લોકોએ એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીના આગળના ભાગ આખો તૂટી યો હતો. આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂકો બોલાઈ ગયો હતો. ગાડીનો નંબર GJ 05-RF-0317 નોંધવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, અકસ્માત દરમિયાન ગાડીમાં ચાર લોકો સવાર હતાં. જેમાંથી એક શખસને સ્થાનિકોએ ત્યારે જ પકડી લીધો હતો. જોકે, કાર ચાલક સહિત અન્ય બે ફરાર થઈ ગયાં હતાં. બાદમાં સ્થાનિકો દ્વારા જ સમગ્ર મામલે પોલીસને જાણ કરી આ શખસને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. હાલ, સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.