ડેવલપમેન્ટ Archives - Page 99 of 142 - CIA Live

November 20, 2019
isro.jpg
1min5490

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ ૨૫મી નવેમ્બરે પોતાના કારટોસેટ-૩ ઉપગ્રહ સાથે અમેરિકાના ૧૩ નેનો કમર્શિયલ સેટેલાઇટ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ૧૪ ઉપગ્રહ ભારતના પીએસએલવી-સી૪૭ મારફત આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીહરિકોટા ખાતેના સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી છોડવામાં આવશે.

૨૫મી નવેમ્બરે સવારે ૦૯.૨૮ વાગ્યે ઉપગ્રહોને છોડવામાં આવશે. પૃથ્વીના ફોટા પાડવા માટેની ઉચ્ચ ગુણવત્તાની ક્ષમતા ધરાવતો કારટોસેટ-૩ ઉપગ્રહ ત્રીજી પેઢીનો અત્યંત આધુનિક ઉપગ્રહ છે. આ ઉપગ્રહને પૃથ્વીની ૫૦૯ કિ. મી. ની ભ્રમણ કક્ષામાં તરતો મૂકવામાં આવશે.

November 19, 2019
Digital-Gujarat-1280x549.png
1min5400

સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરાસિંહ પરમારે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભો પારદર્શિતાથી નાગરિકોને સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે આજે સમાજ કલ્યાણ વિભાગની વધુ 13 વ્યક્તિલક્ષી યોજનાઓ ઓનલાઇન કરાઇ છે.

તા.18મી નવેમ્બર 2019ના રોજ ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની 13 યોજનાઓનું ઓનલાઇન લોન્ચિંગ કરતાં મંત્રી શ્રી ઇશ્વરસિંહ પરમારે કહ્યું કે, ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ શિષ્યવૃત્તિ સિવાયની અન્ય યોજનાઓમાં પણ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેન્ક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી આ વ્યક્તિલક્ષી યોજનાનો અમલ પણ ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારને નિર્ણય કર્યો છે.

જેમાં મખ્યત્વે

  • ડો. આંબેડકર આવાસ યોજના,
  • માનવ ગરિમા યોજના,
  • કુંવરબાઇનું મામેરું યોજના,
  • વિદેશ અભ્યાસ લોન,
  • કોમર્શિયલ પાયલોટ લોન,
  • પંડિતદિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના,
  • બસ પાસ યોજના,
  • સાધન સહાય યોજના,
  • સંત સુરદાસ યોજના જેવી યોજનાઓ ઓન લાઇન કરાઇ છે.
    ઉપરોક્ત યોજનામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓ ‘ઇ સમાજ કલ્યાણ’ વેબ સાઇટ મારફત ઓનલાઇન અરજી કરીને સરળતાથી ઝડપી લાભ મેળવી શકશે.

શ્રી પરમારે ઉમેર્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ,  નિયામક, વિકસતી જાતિ કલ્યાણ તથા નિયામક સમાજ સુરક્ષાની કચેરી દ્વારા જુદી જુદી શિષ્યવૃત્તિ તેમજ પ્રજાલક્ષી યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રિ એસ.એસ.સી. તેમજ પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિઓ વર્ષ-2017-18થી ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઇન કરીને ચૂકવવામાં આવે છે.

November 18, 2019
passport-police-verification.jpg
1min7680

પાસપોર્ટ : અરજદારના ઘરે જઇને પોલીસ વેરિફિકેશન કરવાનો નિયમ

પાસપોર્ટ મેળવવા પોલીસ વેરિફિકેશન માટે હવે નાગરિકોને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. જેમાં પોલીસકર્મીઓને અરજદારના ઘરે જઈ અને મોબાઈલ પોકેટકોપ મારફતે એપ્લિકેશન દ્વારા વેરિફિકેશન કરવાની હોય છે. ત્યારે પોલીસકર્મીઓ અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવતા હતા. જેની જિલ્લા પોલીસવડાએ ગંભીર નોંધ લઈ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જગ્યાએ ઘરે જઇ વેરિફિકેશન કરવાના આદેશ આપ્યા હતા.

નિયમ વિરુદ્ધ લોકોને પોલીસ સ્ટેશન બોલાવાઈ રહ્યા હોવાની ફરિયાદો થતાં અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ તમામ પોલીસ સ્ટેશનોને અરજદારના ઘરે જઈ વેરિફિકેશન કરવા માટે સૂચના આપી છે. અધિકારીઓનું માનવું છે કે, જો પોલીસ જ ઘરે જાય તો અરજદારના એડ્રેસનું રુબરુ વેરિફિકેશન ઉપરાંત તે ગુનાઈત પ્રવૃત્તિમાં રોકાયેલો છે કે કેમ તે ચકાસી શકાય.

ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એસસીઆરબી) ગાંધીનગર દ્વારા મોબાઈલ એપ્લિકેશનનું મોનિટરિંગ કરતા પાસપોર્ટ વેરિફિકેશનનું કામ કરતા પોલીસકર્મીઓ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવતા હોવાનું ધ્યાને આવતા જિલ્લા પોલીસવડાએ તેની ગંભીરતાથી નોંધ લઈ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં ન બોલાવવા જણાવ્યું હતું. શહેર પોલીસ કમિશનરે આ બાબતે પરિપત્ર કરી તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને જાણ કરી હતી. જેમાં વેરિફિકેશન કરતા અધિકારીઓને આ બાબતે કડક સૂચના આપી તે મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

November 17, 2019
aadhar.png
1min7480

ભારતમાં આધાર કાર્ડ ધરાવતી કોઇપણ વ્યક્તિ આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ, જાતી માં ફેરફાર કોઇપણ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિશન વગર કરાવી શકશે. આધાર ઓથોરિટીએ તાજેતરમાં નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. આ માટે ફક્ત આધારકાર્ડ લઇને નિર્ધારિત એપોઇન્ટમેન્ટના સમયે આધાર સેન્ટર પર પહોંચી જવાનું રહેશે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ પોતાના તાજેતરના એક ટ્વિટમાં કહ્યું કે ફોટોગ્રાફ, બાયોમેટ્રિક્સ, લિંગ, મોબાઈલ નંબપર તેમજ ઇ-મેલ આઈડીમાં ફેરફાર કરવા માટે કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ્સની જરુરિયાત નથી.

આ ફેરફાર કરવા માટે બસ તમારે તમારું આધાર કાર્ડ લઈને નજીકના આધાર સેન્ટર પર જવાનું છે અને પોતાની ડિટેઇલ અપડેટ કરાવવાની છે. જ્યારે આ 6 સેવાઓમાં તમે તમારા એડ્રેસને ઓનલાઇન અપડેટ અથવા ચેન્જ કરી શકો છો. આ એડ્રેસને ઓનલાઇન ચેન્જ કરવા માટે મોબાઇલ નંબર જરુરી છે. કેમ કે આ માટે OTP તમાર રજીસ્ટર મોબાઇલ નંબર પર જ આવશે.

નવા આધાર કાર્ડની સાથે લોકો જૂના આધાર કાર્ડમાં નામ અપડેટ, એડ્રેસ અપડેટ, મોબાઈલ નંબર અપડેટ, ઈ-મેલ અપડેટ, ડેથ ઓફ બર્થ અપડેટ, જાતી તેમજ બાયોમેટ્રિક્સ અપડેટ કરવા માટે આધાર સેવા કેન્દ્ર પાસેથી એપોઇન્ટમેન્ટ લઈ શકે છએ.

ભારતના નિવાસી કોઈપણ નાગરીક UIDAIની વેબસાઈટ પરથી પણ આ એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. તેમજ UIDAIએ એક યુટ્યુબ વીડિયો પણ શેર કર્યો છે જેમાં આધાર સેવા કેન્દ્રની સેવા પ્રક્રિયા અંગે જણાવવામાં આવે છે.

November 17, 2019
BIS_logo.jpg
1min6550

પીવાનું પાણી શુદ્ધ ન હોવાની આખા દેશમાંથી આવતી ફરિયાદોને ધ્યાનમાં લઇને ચારેય મેટ્રો અને ૧૭ રાજ્યની રાજધાનીના પીવાના પાણીની તપાસમાં મુંબઇના નળનું પાણી સૌથી શુદ્ધ, પણ ૧૭ રાજ્યની રાજધાની અને અન્ય મેટ્રો શહેરોનું પાણી પીવા માટે અસુરક્ષિત હોવાની વાત જાણવા મળી હતી.

આ સર્વેક્ષણ બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ)એ કર્યું હતું.

ગ્રાહકોની બાબતના કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ગુણવત્તાના ૧૧ માપદંડમાં મુંબઇનું પાણી ૧૦૦ ટકા ખરું ઉતર્યું હતું, પણ બાકીના ત્રણ મેટ્રો શહેર દિલ્હી, કોલકાતા અને ચેન્નઇ એમાં નાપાસ થયાં હતાં. તેમાંય દિલ્હીનું પાણી અત્યંત અસુરક્ષિત હોવાની વાત જાણવા મળી હતી.

આ રીતે કરવામાં આવેલા સર્વેક્ષણમાં ૧૭ અન્ય રાજ્યની રાજધાનીના પાણીના સેમ્પલ પર પીવાના પાણી માટેના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (આઇએસ) – ૧૦૫૦૦:૨૧૨ પ્રમાણે તપાસ કરવામાં આવી હતી.

પાસવાને જણાવ્યું હતું કે ૨૦ રાજ્યની રાજધાનીમાંથી પાઇપ દ્વારા પહોંચાડાતા પીવાના પાણીના સેમ્પલ ભેગાં કરવામાં આવ્યા હતા. ગુણવત્તાના ૧૧ માપદંડમાં મુંબઇનું પાણી ૧૧ માપદંડમાં ચોખ્ખું સાબિત થયું હતું, પણ અન્ય શહેરના પાણીમાં એક યા બીજા માપદંડ પ્રમાણે અયોગ્ય જણાયું હતું.

આ સમસ્યાનો ઉપાય આખા દેશમાં પાઇપથી પહોંચાડાતા પીવાના પાણી માટે કડક નિયમ અને કાયદો બનાવવાનો છે. મંત્રાલયે આ મામલે રાજ્ય સરકારોને પત્ર લખીને જાણ કરી છે.

પાઇપના પાણી માટે હાલ ગુણવત્તાનું સ્ટાન્ડર્ડ ફરજિયાત ન હોવાથી એ માટે કોઇ સખત પગલાં લઇ શકાય એમ નથી.

૧૩ રાજ્યની રાજધાનીના પાણીના સેમ્પલ આઇએસ પ્રમાણે અયોગ્ય ઠર્યા હતા.

શુદ્ધતાની દૃષ્ટિએ કયાં શહેરનો કેટલામો ક્રમ આવ્યો:

  • ૧. મુંબઇ.
  • ૨. હૈદરાબાદ.
  • ૩. ભુવનેશ્ર્વર.
  • ૪. રાંચી.
  • પ. રાયપૂર.
  • ૬. અમરાવતી.
  • ૭. શિમલા.
  • ૮. ચંડીગઢ.
  • ૯. ત્રિવેન્દ્રમ.
  • ૧૦. પટના.
  • ૧૧. ભોપાલ.
  • ૧૨. ગુવાહાટી.
  • ૧૩. બેંગલુરુ.
  • ૧૪. ગાંધીનગર.
  • ૧૫. લખનઊ.
  • ૧૬. જમ્મુ.
  • ૧૭. જયપુર.
  • ૧૮. દેહરાદુન.
  • ૧૯. ચેન્નઇ.
  • ૨૦. કોલકાતા.
  • ૨૧. દિલ્હી. 

November 15, 2019
CIA_BMC_pothole_chellenge.jpg
1min16220

મુંબઇ Pothole Challenge : ખાડા નહીં પૂરનાર અધિકારીના પગારમાંથી ઇનામ અપાય છે

Jayesh Brahmbhatt 98253 44944

પાલિકાને રસ્તાના ખાડા અંગેની ફરિયાદ કર્યા બાદ તેનું ૨૪ કલાકની અંદર સમારકામ ન થાય તો ફરિયાદીને ૫૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત બાદ મુંબઈગરાને ૫૦૦ રૂપિયા ઈનામની રકમ મળવાની શરૂઆત થઇ ચૂકી છે.

બૃહદ મુંબઇ મહાનગરપાલિકામાં આ વખતે વરસાદની સીઝન અને એ પછીના દિવસોમાં માર્ગો પર પડેલા ખાડાઓને કારણે અનેક રાહદારીઓ, વાહનચાલકોના મોત નિપજ્યા હતા. લોકોમાં ભારે આક્રોશ હતો. માર્ગો પર ખાડાના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઇ હતી. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પાલિકાએ પોથોલ ચેલેન્જ એક સપ્તાહની યોજના અમલમાં મૂકી હતી. જેમાં મુંબઇ મહાનગરપાલિકા વિસ્તારના કોઈપણ માર્ગ પર કોઇપણ વ્યક્તિ ખાડો જુએ તો તેણે મુંબઇ પાલિકાની પોથોલ ફિક્સીટ નામની એપ્લિકેશન પર તેનો ફોટો અપલોડ કરવાનો રહે છે અને એ ખાડો 24 કલાકમાં ન પૂરાય તો ફોટો અપલોડ કરનાર વ્યક્તિને રૂ.500નું ઇનામ આપવામાં આવે છે. એક સપ્તાહની ચેલેન્જ પૂરી થતા હવે ફોટો અપલોડ કરીને વિજેતા બનેલાઓને રૂ.500નું ઇનામ આપવાનું શરૂ કરાયું છે. ઇનામની રકમ મુંબઇ મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીના ખીસ્સામાંથી એટલેકે પગારમાંથી કાપી લેવામાં આવી રહી છે.

પાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર હજુ ૧૦૦ જેટલા ફરિયાદીને ઈનામ આપવાની પ્રક્રિયા શરૂ છે, જે આ અઠવાડિયાના અંત સુધીમાં ચૂકવી દેવામાં આવશે.

પાલિકા પાસેથી ઇનામની રકમ મેળવનાર અંધેરીના રહેવાસીએ ટ્વિટ કર્યું હતું કે ‘પોથોલ ચેલેન્જ દરમિયાન સમયસર ખાડા ભરવામાં નિષ્ફળ રહેતા પાલિકા પાસેથી ૫૦૦ રૂપિયા મળ્યા છે. આશા રાખું છું કે શહેરના રસ્તાઓને જાળવવામાં તેઓ વધુ સક્રિય બને. આગામી ચોમાસામાં ડિજિટલ માધ્યમથી ઈનામની રકમ ચૂકવામાં આવે તો સારું રહેશે’.

આ ટ્વિટર યુઝરે બીકેસી કામે જતી વખતે સહાર રોડ પર આવેલા ખાડા અંગે ફરિયાદ કરી હતી. તેણે કાર રોકીને ખાડાનો ફોટો લીધો અને તેને પાલિકાના ફિક્સઇટ ઍપ પર અપલોડ કર્યો. આ ખાડાને પૂરવાનું કામ પાલિકાએ કર્યું હતું, પરંતુ તે ૨૪ કલાકની અંદર થયું ન હોવાથી ૫૦૦ રૂપિયાનું ઇનામ અપાયું હતું.

નોંધનીય છે કે પાલિકા દ્વારા પહેલી નવેમ્બરથી સાતમી નવેમ્બર સુધી એક અઠવાડિયાની પોથોલ ચેલેન્જ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ મુંબઈગરાને મોબાઇલ ઍપ હેઠળ ખાડા અંગેની ફરિયાદ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ફરિયાદ કર્યાના ૨૪ કલાકમાં આ ખાડાને પૂરવામાં ન આવે તો સંબંધિત ફરિયાદીને ૫૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરાઇ હતી. આ ઈનામની રકમ સંબંધિત પાલિકા અધિકારીને તેના ખિસ્સામાંથી ચૂકવવાની હતી.

November 13, 2019
CIA_Live_Logo_New2.jpg
2min6770

MBBS પછીના DNB કોર્સીસ માટે અલગથી CET (પરીક્ષા) નહીં લેવાય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતમાં મેડીકલ ગ્રેજ્યુએશન MBBS કર્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીની મર્યાદિત બેઠકો ઉપલબ્ધ હોઇ, અનેક સંસ્થાઓ ખાસ કરીને મોટી હોસ્પિટલ્સ દ્વારા તબીબોની કારકિર્દીમાં વેલ્યુ એડીશન થાય એ માટે ત્રણ વર્ષ સુધીની અવધિ ધરાવતા પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસ ચલાવવામાં આવી રહ્યા છે જેને ડીએનબી કોર્સ કહેવાય અને આ કોર્સીસનું સઘળું સંચાલન Diplomate National Board (DNB) દ્વારા કરવામાં આવે છે.

DNB post MBBS કોર્સમાં પ્રવેશ માટે દેશભરમાં સેટ (કોમન એન્ટ્રન્સ એકઝામ) લેવામાં આવતી હતી. પરંતુ, આ વખતથી એટલે કે 2020થી DNB સેટ પરીક્ષા સ્ક્રેપ કરવામાં આવી છે. હવે પછી DNB સેટ પરીક્ષા નહીં લેવામાં આવે એવી સ્પષ્ટતા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા કરવામાં આવી છે.

દેશભરના તબીબો ખાસ કરીને મેડીકલ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા એમ.બી.બી.એસ. ઉમેદવારો જોગ જણાવવામાં આવ્યું છે કે જે તબીબો DNB સેટ આપવા માંગતા હોય તેમણે DNB સેટ હવે લેવાવાની નથી અને નીટ પી.જી. 2020નું એપ્લિકેશન ફોર્મ ભરવું. નીટ પીજી 2020ના સ્કોરના આધારે જ Diplomate National Board (DNB) હેઠળના અભ્યાસક્રમોમાં પ્રવેશનું મેરીટ લિસ્ટ તૈયાર થશે.

Diplomate National Board (DNB) પોસ્ટ એમબીબીએસ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ-પીજી જ ફરજિયાત

નીટ પીજી-2020ની ઓનલાઇન એપ્લિકેશન તા. 21મી નવેમ્બર 2019 સુધી કરી શકાશે

તબીબો માટે સારા સમાચાર : ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ

સૂરતના જાણીતા ઓપ્થેલમોલોજિસ્ટ અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે MBBS પછીના DNB કોર્સીસ કરનારા કે કરવાની ઇચ્છા ધરાવતા તબીબો માટે ગુડ ન્યુઝ છે. પહેલા તો ગુડ ન્યુઝ એ છે કે એમ.બી.બી.એસ. ઉમેદવારોએ નીટ પીજી. અને ડી.એન.બી. સેટ બન્ને પરીક્ષાઓ આપવી પડતી હતી. હવે બન્ને કોર્સ માટે એક જ પરીક્ષા આપવી પડશે. બીજા ગુડ ન્યુઝ એ છે કે MBBS પછીના DNB કોર્સ સફળતાપૂર્વક પાસ કરનારા તબીબોને અધ્યાપકની નોકરી માટે લાયક ગણવાનું શરૂ કરવામાં આવ્યું છે.

We Published this before….

November 12, 2019
congress-ncp-shiv-sena-_201911127053.jpg
4min5210

શિવસેના સત્તા સ્થાપવાનો દાવો કરવામાં નિષ્ફળ ગયા બાદ રાજ્યપાલે ત્રીજા નંબરે રહેલી નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ને મોડી રાતે આમંત્રણ આપ્યું હતું અને તેમને ૨૪ કલાકની મુદત આપી હતી. ભાજપ બાદ સેના પણ સરકાર સ્થાપવાનો દાવો કરવામાં નિષ્ફળ જતા રાજ્યમાં રાજક્ીય કટોકટી કાયમ રહી હતી. એનસીપીનું સમર્થન હોવા છતાં કૉંગ્રેસનું સમર્થન મેળવવામાં નિષ્ફળ ગયેલી શિવસેનાનું તેમના પક્ષ પ્રમુખ બાળ ઠાકરેની ૧૭ નવેમ્બરના પુણ્યતિથિએ શિવસેનાના મુખ્ય પ્રધાન શપથ લે તેવું સપનું પડી ભાંગ્યું હતું. બદલાયેલી પરિસ્થિતિમાં સરકારની સ્થાપના માટે કૉંગ્રેસ અને એનસીપીના વિધાનસભ્યોની સંયુક્ત બેઠકનું આયોજન આજે કરવામાં આવ્યું છે

દિવસ દરમિયાન શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની અનેક બેઠકો બાદ પણ સરકાર બનાવવાની મડાગાંઠ ઉકેલાઈ શકી નહોતી. સેના નિષ્ફળ ગયા બાદ એનસીપીને રાજ્યપાલનું આમંત્રણ મળ્યું હતું અને તેમને ૨૪ કલાકની મુદત મળી હતી, તેથી આજે શું થાય છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે ત્યારે આકો દિવસ હાઈ ડ્રામા સર્જાયો હતો. ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ શિવસેનાના કેન્દ્રીય પ્રધાન અરવિંદ સાવંતે રાજીનામું આપ્યું હતું. તો દિવસ દરમિયાન ર્કૉંંગ્રેસ, એનસીપી, શિવસેના અને ભાજપનો બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો.

એનસીપી પ્રમુખ શરદ પવારને મળ્યા બાદ તેમનું સમર્થન મળતા શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે ફોન પર ચર્ચા કરી હતી. કહેવાય છે કે ઉદ્ધવે સોનિયા ગાંધીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સમર્થન આપવા માટે બહુ મનાવાની કોશિશ કરી હતી. દિલ્હીમાં પણ કૉંગ્રેસની બેઠક પર બેઠક થઈ હતી. તો મુંબઈમાં એનસીપીની બેઠક થઈ હતી. આ દરમિયાન સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા સમર્થન આપવા માટે જયપુરમાં મોકલવામાં આવેલા મહારાષ્ટ્રના વિધાનસભ્યો સાથે પણ ચર્ચા કરી હતી.

આ દરમિયાન એનસીપીની મુંબઈમાં બેઠક પૂરી થયા બાદ પોતાનો નિર્ણય જાહેર કરવાની પણ હતી. જોકે કૉંગ્રેસે પોતાનો નિર્ણય લંબાવી દેતા એનસીપીએ પણ પોતાની પત્રકાર પરિષદ રદ કરી હતી. એનસીપી પ્રવકતા નવાબ મલિકે કહ્યું હતું કે જયાં સુધી કૉંગ્રેસ પોતાની ભૂમિકા નક્કી નહીં કરે ત્યાં સુધી એનસીપી પણ પોતાની ભૂમિકા જાહેર નહીં કરે કહીને કૉંગ્રેસ અને એનસીપી એકમતે પોતાનો નિર્ણય જાહેર કરશે એવું કહ્યું હતું. કૉંગ્રેસની દિલ્હીમાં મોડી રાતે યોજાયેલી બેઠક પૂરી થઈ હતી. ત્રણ કલાકની બેઠક બાદ પણ કૉંગ્રેસ શિવસેનાને સમર્થન આપવું કે નહીં તે બાબતે કોઈ નિર્ણય લઈ શકી નહોતી.

આ દરમિયાન ૨૪ કલાકની મુદત પૂરી થાય તે પહેલા શિવસેના રાજ્યપાલને મળવા પહોંચી ગઈ હતી. એનસીપીનું સમર્થન હતું પણ કૉંગ્રેસે પત્ર મોકલ્યો હતો, પણ શિવસેનાએ સમર્થન આપવાનો ઉલ્લેખ કર્યો નહોતો. તેથી ભાજપ બાદ શિવસેનાને પણ નિરાશ થવું પડ્યું હતું.

——————————————–

રાજ્યપાલે સરકાર બનાવવા માટે એનસીપીને પણ આમંત્રણ આપ્યું હોવાની સત્તાવાર માહિતી એનસીપી પ્રવક્તા નવાબ મલિકે આપી હતી અને કૉંગ્રેસ સાથે સ્થિર સરકાર સ્થાપવા અંગે ચર્ચા પણ કરી હોવાનું જણાવ્યું હતું.

રાજભવનમાં એનસીપીનું પ્રતિનિધિત્વ અજીત પવાર કરશે. તેમની સાથે છગન ભુજબળ સહિત જયંત પાટીલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ રાજભવનમાં જવાની તૈયારી કરી રહ્યા છે. રાજ્યપાલે અમને શું કામ આમંત્રિત કર્યા છે એ અંગે કશું ખબર નથી. અમે ફક્ત રાજ્યપાલના આદેશનું પાલન કરી રહ્યા છીએ, એવું પવારે કહ્યું હતું.

કૉંગ્રેસના નેતા માણિકરાવ ઠાકરેએ પુષ્ટી આપી કે એનસીપી અને કૉંગ્રેસનો સમર્થનનો પત્ર રાજ્યપાલને મળ્યો નથી.

કૉંગ્રેસના પૃથ્વીરાજ ચવ્હાણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર રચવા મુદ્દે એનસીપી અને શિવસેના સાથે ચર્ચા શરૂ છે.

શિવસેનાના નેતાઓએ મુલાકાત લીધા બાદ રાજભવને નિવેદન જારી કર્યું કે શિવસેના સરકાર બનાવવા ઇચ્છે છે, પરંતુ તે સમર્થનનો પત્ર સોંપી શકી નહીં.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુને મીડિયાને જણાવ્યું કે એનસીપી સાથેની આગળની ચર્ચા મંગળવારે કરાશે.

૭.૪૦ રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે સરકાર રચવાની હોવાથી અમે બે દિવસનો સમય માગ્યો હતો, પરંતુ રાજ્યપાલે અમને સમય ન આપ્યો.

ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીએ નિવેદન જારી કર્યું કે કૉંગ્રેસ પ્રેસિડન્ટે શરદ પવાર સાથે ચર્ચા કરી છે. પક્ષ એનસીપી સાથે આ મુદ્દે વધુ ચર્ચા કરશે.

મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ મુદ્દે બે કલાકની ચર્ચા બાદ સોનિયા ગાંધીના નિવાસસ્થાનેથી કૉંગ્રેસના નેતાઓ એ.કે.એન્ટોની અને અહેમદ પટેલે વિદાય લીધી.

સૂત્રો અનુસાર એનસીપીએ માગણી કરી છે કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન પદ અજિત પવારને આપવામાં આવે.

વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે શિવસેનાના પ્રતિનિધિઓ સાથે રાજભવન ખાતે પહોંચ્યા અને રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે ચર્ચા શરૂ થઇ.

શિવસેનાને સમર્થન આપાવાની વિચારણા હોવાથી કૉંગ્રેસ સમર્થનનો પત્ર આપશે એવા અહેવાલ આવ્યા.

૬.૦૫ સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના કૉંગ્રેસના વિધાનસભ્યો શિવસેનાને સમર્થન આપવા માટે તૈયાર હોવાથી કૉંગ્રેસ શિવસેનાને બહરાથી સમર્થન આપવાનું વિચારી રહી છે.

કૉંગ્રેસના પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રના કૉંગ્રેસ પક્ષના વિધાનસભ્યો સાથે ફોન પર વાત કરી તેમ જ શરદ પવાર સાથે પણ ચર્ચા કરીને શિવસેનાને સમર્થન આપવાની ઇચ્છા દર્શાવી.

મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસનું સમર્થન માગ્યું.

સૂત્રોના દાવા અનુસાર ઉદ્ધવ ઠાકરેએ કૉંગ્રેસના પ્રેસિડન્ટ સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી.

સૂત્રો અનુસાર સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી શિવસેના સાથે જોડાવવાના વિરોધમાં છે, જયારે મહારાષ્ટ્ર કૉંગ્રેસ ઉદ્ધવ ઠાકરેના પક્ષને ટેકો આપવાના મૂડમાં છે.

નવી દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસસ્થાન ખાતે મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતૃત્ત્વ એ.કે.એન્ટોની અને અહમદ પટેલ સાથે ચર્ચાનો દોર શરૂ.

શિવસેનાના નેતા અરવિંદ સાવંતે આદિત્ય ઠાકરેની પ્રશંસા કરી.

શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતની તબિયત લથડતા તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા.

મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે મહારાષ્ટ્ર કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દિલ્હી પહોંચ્યા.

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અને લોકસભાના સાંસદ ગૌતમ ગંભીરે શિવસેના પર ટીકા કરતા જણાવ્યું કે મહારાષ્ટ્રમાં માત્ર ૫૬ બેઠકો જીતીને શિવસેના મુખ્ય પ્રધાન પદ ન મેળવી શકે.

શિવસેનાના ઉદ્ધવ ઠાકરેથી મળ્યા બાદ શરદ પવારે મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપવાની ચર્ચા અંગે સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી.

મહારાષ્ટ્ર કૉંગ્રેસના અમુક વિધાનસભ્યો, જે હાલમાં રાજસ્થાનમાં છે તેમણે અજમેર શરીફ દરગાહની મુલાકાત લીધી.

મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની બેઠક પૂર્ણ થઇ.

કેન્દ્રીય પ્રધાન અરવિંદ સાવંતે પ્રધાનપદથી રાજીનામું આપ્યા બાદ બપોરે ૧.૩૩ વાગ્યે પત્રકાર પરિષદને સંબોધી હતી. ચૂંટણી પૂર્વે કરેલા વાયદાઓથી બીજેપી પાછળ હટી રહી છે. મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપન માટે ભાજપ-સેના વચ્ચે ૫૦-૫૦ ફોર્મ્યુલા નક્કી થયો હતો. તેથી હું દિલ્હીમાં કામ કરું એ યોગ્ય ન હોવાને કારણે મેં પ્રધાનપદેથી રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે, એવું તેમણે જણાવ્યું હતું.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાજસ્થાનના જયપુર રિસોર્ટથી દિલ્હીમાં યોજાયેલી પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે રવાના થયા હતા.

દોઢ કલાકથી ચાલી રહેલી એનસીપીની બેઠક ખતમ થયા બાદ એનસીપી પ્રવક્તા નવાબ મલિકે જણાવ્યું હતું કે, કૉંગ્રેસના વિધાનસભ્યો શિવસેનાની સરકાર બનાવવાની નીતિને સમર્થન આપશે.

સોનિયા ગાંધીના નિવાસસ્થાને રાજ્યના વરિષ્ઠ નેતાઓની બેઠક ખતમ થઇ. કૉંગ્રેસના ૪૦ વિધાનસભ્યોએ આ મુદ્દે સમર્થન આપ્યું હતું.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના વિધાનસભ્યો સાથે બેઠક કરી હતી અને શિવસેના સરકાર રચશે અને ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બનશે, એવું તેમણે બેઠકમાં કહ્યું હતું.

મહારાષ્ટ્રમાં ભાજપે કેવી રીતે સત્તા સ્થાપી અને કોના સહકારથી સ્થાપી એ ભાજપ ભૂલી ગઇ છે, પણ કર્મ જુએ છે, એવું ટ્વિટ શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કર્યું હતું.

કૉંગ્રેસ-એનસીપીનું સમર્થન મળી ગયું છે એ અમારું સરકાર રચવા તરફ પહેલું પગલું છે, એવું સંજય રાઉતે માતોશ્રી પહોંચીને પત્રકાર પરિષદને સંબોધીને ઘોષણા કરી હતી.

કેન્દ્રીય પ્રધાન અને શિવસેનાના નેતા અરવિંદ સાવંતે પ્રધાનપદ છોડવાનો નિર્ણય ટ્વિટરના માધ્યમથી જાહેર કર્યો હતો.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયાના નિવાસસ્થાન દિલ્હીમાં સીડબલ્યૂસી (કૉંગ્રેસ વર્કિંગ કમિટી) માટે ગયા હતા. આ બેઠકમાં કેસી વેણુગોપાલ, અહેમદ પટેલ અને મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ થાય છે.

શરદ પવારે કૉંગ્રેસ સાથે રાજ્યની રાજકીય સ્થિતિ વિશે ચર્ચા-વિચારણા કરી

સંજય રાઉતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભાજપને કારણે મહારાષ્ટ્રને રાજકીય કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજેપીને અમારી સાથે રહેવામાં કોઇ રસ ન હોવાનો આરોપ લગાવ્યો હતો.

૯.૦૦- કૉંગ્રેસ નેતા સંજય નિરુપમે રાજ્યમાં ફરી એક વાર ચૂંટણી થાય તેવા અણસાર વ્યક્ત કર્યા હતા.

November 9, 2019
tweeter.jpg
2min8900

રામજન્મભૂમિ પર ‘સુપ્રીમ’ ચુકાદો આવે એ પહેલાની અપ ટુ ડેટ ઇન્ફર્મેશન

તા.9-11ની સવારે 10.30 કલાકે સુપ્રીમ કોર્ટ 70 વર્ષથી ચાલી આવતા અયોધ્યા કેસ પર ચુકાદો સંભળાવે એની પૂર્વ સંધ્યાથી દેશભરમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે સઘન બંદોબસ્ત ગોઠવી દીધા છે.

દેશના તમામ રાજ્યોમાં પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓને એલર્ટ મોડ પર કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં તા.11મી સુધી સ્કુલ કોલેજ બંધ જાહેર કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં તા.9મી નવેમ્બર 2019ના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ જાહેર કરવામાં આવી છે.

અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટ શનિવારે ઐતિહાસિક નિર્ણય આપવા જઇ રહી છે. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં બીજી સૌથી લાંબી સુનાવણી છે. સતત 40 દિવસ બંધારણીય બેઠક અને મેરાથન સુનવણી પછી 16 ઓક્ટોબરે નિર્ણય સુરક્ષિત કરવામાં આવ્યો હતો. 

વડાપ્રધાન શ્રી મોદીએ 3 ટ્વીટ કરીને દેશમાં શાંતિ જાળવી રાખવા અપીલ કરી

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ચુકાદો સંભળાવશે

અયોધ્યા જમીન વિવાદના મામલે સુનાવણી કરનાર બંધારણીય બેચમાં સીજેઆઇ રંજન ગોગોઇ સિવાય ચાર અન્ય જજ છે. જેમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડી. વાઇ. ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીર સામેલ છે. 

સોશ્યલ મિડીયા પર ચોમેર અયોધ્યા

Rashtriya Swayamsevak Sangh (RSS) Chief Mohan Bhagwat to address the media at 1 pm today, following Supreme Court judgment in #Ayodhya land case.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ શ્રી મોહન ભાગવત આજે તા.9મી નવેમ્બર 2019ના રોજ બપોરે 1 વાગ્યે પત્રકાર પરીષદ મારફતે દેશને સંદેશો આપશે. આજે તેઓ આર.એસ.એસ.ના મુખ્ય પદાધિકારીઓને પણ મળવાના છે.

History of the Case

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં અલાહાબાદ વડી અદાલતે ૨૦૧૦માં આપેલા ચુકાદાને પડકારતી ૧૪ અપીલો સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. અલાહાબાદ વડી અદાલતે ચાર સિવિલ સૂટ્સના અનુસંધાનમાં ૨૦૧૦માં આપેલા ચુકાદામાં અયોધ્યાની રામજન્મભૂમિની મનાતી ૨.૭૭ એકર જમીન ત્રણ પક્ષો – સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વચ્ચે વહેંચી દેવાનો આદેશ આપ્યો હતો.

અગાઉ નીચલી અદાલતમાં પાંચ લૉ સૂટ્સ ફાઇલ કરવામાં આવ્યા હતા. એમાં એક અરજી ૧૯૫૦માં ગોપાલસિંહ વિશારદે વિવાદાસ્પદ સ્થળે હિન્દુઓને પૂજા કરવાના અધિકારના ઉપયોગની છૂટ આપવાની માગણી સાથે કરી હતી. એ જ વર્ષમાં વિવાદાસ્પદ સ્થળે પૂજા કરવાનો અધિકાર યથાવત્ રાખતાં ગર્ભગૃહ (હવે તોડી પડાયેલા માળખા)માં રાખવાની છૂટ આપવાની માગણી કરતી અરજી પરમહંસ રામચંદ્રદાસે કરી હતી. એ અરજી પછીથી પાછી ખેંચવામાં આવી હતી.

૧૯૫૯માં નિર્મોહી અખાડાએ ૨.૭૭ એકર વિવાદાસ્પદ જમીન પર પૂજા-અર્ચનાના અને મૅનેજમેન્ટના અધિકાર માગતી અરજી નીચલી અદાલતમાં કરી હતી. ત્યાર પછી ૧૯૬૧માં ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે વિવાદાસ્પદ જગ્યા પર માલિકી અધિકાર (ટાઇટલ રાઇટ)ની માગણી કરતી અરજી કરી હતી. ૧૯૮૯માં ‘રામલલા વિરાજમાન’ તરફથી ‘નિકટના મિત્ર’ અને અલાહાબાદ વડી અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ દેવકીનંદન અગ્રવાલ તથા રામજન્મભૂમિએ વિવાદાસ્પદ જમીનની માલિકી (ટાઇટલ રાઇટ)ની માગણી સાથે અરજી (લૉ સૂટ) કરી હતી. તેમણે એ ભૂમિ ભગવાન રામના નામની હોવાની અને એ જ રૂપે એનું ‘કાનૂની અસ્તિત્વ’ હોવાની દલીલના આધારે એ અરજી કરી હતી. ત્યાર પછી ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે વિવાદાસ્પદ માળખું તોડી પડાતાં થયેલાં કોમી રમખાણોને પગલે એ બધી અરજીઓ ન્યાયદાન માટે અલાહાબાદ વડી અદાલતમાં મોકલવામાં આવી હતી.

અલાહાબાદ વડી અદાલતે એ અરજીઓ પર ૨૦૧૦માં આપેલા ચુકાદા વિરુદ્ધ કરવામાં આવેલી અરજીઓ બાબતે અદાલતની બહાર સમાધાનની મધ્યસ્થીના પ્રયાસો નિષ્ફળ જતાં એ અરજીઓની સુનાવણીની આખરી કાર્યવાહી આ વર્ષની છઠ્ઠી ઑગસ્ટે સર્વોચ્ચ અદાલતમાં રોજિંદા ધોરણે શરૂ કરવામાં આવી હતી. સુનાવણીમાં મધ્યસ્થી માટેની ત્રણ સભ્યોની સમિતિના અહેવાલને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. એ સમિતિમાં ન્યાયમૂર્તિ એફ.એમ.આઇ. કલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઑફ લીવિંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શ્રી રવિશંકર તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી તથા મધ્યસ્થીકાર ઍડ્વોકેટ શ્રીરામ પાંચુનો સમાવેશ હતો. ચાર મહિનાની મધ્યસ્થીની પ્રક્રિયાના અંતે એ અહેવાલ આપવામાં આવ્યો હતો. મધ્યસ્થીની એ પ્રક્રિયાનું કોઈ પરિણામ ન આવતાં અદાલતે સુનાવણીમાં આગળ વધવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

November 9, 2019
Ayodhya-Verdict.jpg
1min5260

સાત દાયકાથી ચાલ્યા આવતાં દેશનાં સર્વોચ્ચ સંવેદનશીલ ધાર્મિક અને રાજકીય, અયોધ્યા વિવાદમાં આજે તા.9મી નવેમ્બર 2019 સવારે 10.30 કલાકે દેશની સર્વોચ્ચ અદાલત અંતિમ અને ઐતિહાસિક ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ શ્રી ગોગોઈ સમેત 5 ન્યાયાધીશોની બનેલી બેંચ દ્વારા ચુકાદો આપવામાં આવે એ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને સતર્ક રહીને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની તાકીદ કરી દીધી હતી.

રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈનાં નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠ આજે તા.9મી નવેમ્બર 2019ની સવારે આપવાની હોવાથી તા.8મીને શુક્રવારની રાતથી જ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ કોઈપણ અપ્રિય ઘટના આકાર ન પામે એના માટે બંદોબસ્ત ગોઠવવા માંડી હતી.

બીજીબાજુ બન્ને પક્ષકારો તરફથી પણ અપીલ કરવામાં આવી હતી કે, ચુકાદો ભલે કોઈના પણ પક્ષે આવે પરંતુ દેશમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહેવા જોઈએ.

અયોધ્યા વિવાદમાં પહેલીવાર 18પ3માં હિંસા થયેલી અને ત્યાર પછીથી જ આ વિવાદ વધુ ઘટ્ટ બનતો ગયો હતો. 188પમાં વિવાદ પહેલીવાર જિલ્લા અદાલતમાં પહોંચ્યો હતો. નિર્મોહી અખાડાનાં મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટમાં મસ્જિદ પરિસરમાં મંદીર બનાવવાની અપીલ કરેલી પણ અદાલતે તેને ખારિજ કરી નાખી હતી. ત્યારપછી વર્ષો સુધી આ મામલે કાનૂની અને રાજકીય દાવપેંચ ચાલતા રહ્યા છે. 1992માં હિન્દુવાદી કાર્યકરોએ 16મી સદીની બાબરી મસ્જિદનો ધ્વંશ કરી નાખ્યો હતો.

સતત 40 દિવસ સુધી એકધારી સુનાવણી બાદ 16મી ઓક્ટોબરે સીજેઆઈ ગોગોઈ, જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ડી.ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભુષણ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની સદસ્યતા ધરાવતી બંધારણીય ખંડપીઠે ચુકાદો અનામત રાખી લીધો હતો.

શુક્રવાર તા.8મી નવેમ્બર 2019ની સાંજ સુધી અયોધ્યા વિવાદનો ચુકાદો ક્યારે આવશે તે અસ્પષ્ટ હતું. બધાં એટલું ચોક્કસ જાણતાં હતાં કે સીજેઆઈ ગોગોઈ 17 નવેમ્બરે સેવાનિવૃત્ત થાય તે પહેલા આ મામલાનો નિકાલ થઈ જશે. સીજેઆઈ ગોગોઈનાં અનુગામી જસ્ટિસ બોબડેએ અયોધ્યા કેસને દુનિયાનાં સૌથી મહત્વનાં કેસ પૈકી એક ગણાવ્યો હતો.