ભૂસ્ખલન અને બરફવર્ષાને લીધે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સતત બીજા દિવસે પણ બંધ રહ્યો હતો અને જમ્મુના કત્રામાં આવેલા વૈષ્ણોદેવીમાં નવેસરથી બરફવર્ષા થવાને કારણે હૅલિકૉપ્ટર સેવા સ્થગિત કરવી પડી હોવાના સમાચાર મળ્યા હતા.
કાશ્મીરનું પ્રવેશદ્વાર ગણાતી જવાહર ટનલ સહિત જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળે બરફવર્ષા અને રામબન જિલ્લામાં પંથિયાલ-રામસુ વિસ્તારમાં એ સાથે ભૂસ્ખલનના બનાવો નોંધાયા હતા.
ભૂસ્ખલનને લીધે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સાફ કરવાના કામમાં અડચણ ઊભી થઇ હતી. સોમવારે સાંજે થયેલા ભૂસ્ખલનને લીધે વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હોવાથી રામબન અને બનિહાલ વચ્ચે ૬૦૦થી વાહનો અટવાયા હતા.
જવાહર ટનલ વિસ્તારમાં સોમવારથી આઠ ઇંચ બરફ પડયો હતો. દરમિયાન, પંથિયાલ, ડિગડોલે, મારુગ અને મોમપાસી વિસ્તારમાં હાઇવે પર પહાડ પરથી સતત પથ્થરો પડતા રહ્યા હતા.
પ્રશાસનના જણાવ્યા અનુસાર હાઇવે પર વાહનવ્યવહાર શરૂ કરવાનો બધો આધાર હવામાન પર છે. હવામાન સુધરશે અને બરફવર્ષા તથા ભૂસ્ખલન બંધ થશે ત્યારે જ રસ્તો સાફ કરી શકાશે.
દરમિયાન, ખરાબ હવામાન અને બરફવર્ષાને લીધે વૈષ્ણોદેવીના દર્શને જવા માટે હૅલિકૉપ્ટર સેવા સ્થગિત કરવામાં આવી હતી.જોકે, પગપાળા જનાર ભક્તોની શ્રદ્ધામાં એથી ઓટ આવી નહોતી અને અંદાજે ૫૨૦૦ યાત્રાળુ માતાજીના દર્શન પહોંચ્યા હતા.
વિવિધ ટ્રેડ યુનિયને આજરોજ તા.8મી જાન્યુઆરી 2020ને બુધવારે ભારત બંધના એલાનનો વહેલી સવારથી અમલ શરૂ કરી દીધો છે જેને લઇને સમગ્ર ભારતમાં પબ્લિક સેક્ટર બૅંકિંગ અને ટ્રાન્સપોર્ટ સહિત અનેક સેવા ખોરવાય હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે. સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં જાહેર કરવામાં આવેલી હડતાળમાં અંદાજે પચીસ કરોડ લોકો જોડાય રહ્યા છે. જેમ જેમ વર્કિંગ આવર્સ આગળ વધી રહ્યા છે તેમતેમ હડતાળની અસરો સામે આવી રહી છે. આ સવારે 9 કલાકે લખાઇ રહ્યું હતું.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દસ ટોચના ટ્રેડ યુનિયનો, અન્ય ક્ષેત્રની સ્વતંત્ર સંસ્થાઓ અને અસોશિયેશને મળીને ૦૮ જાન્યુઆરી, ૨૦૨૦ના દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવાનું નક્કી કર્યું હતું.
આજે બુધવારની હડતાળ અને પોતાની સેવા પર એની આડઅસર વિશે અનેક બૅંકોએ શૅરબજારને જાણ કરી દીધી છે, આમ છતાં શેરબજાર પર પણ આજની હડતાળની અસર વર્તાય રહી છે.
એઆઇબીઇએ, એઆઇબીઓએ, બીઇએફઆઇ, આઇએનબીઇએફ, આઇબીઓસી અને બીકેએસએમ સહિત બૅંક કર્મચારી અને અધિકારીઓની અનેક સંસ્થાએ હડતાળમાં જોડાય રહ્યા છે.
ડિપોઝિટ અને વિડ્રોઅલ, ચૅક ક્લિયરીંગ જેવી અનેક સેવાઓ પર હડતાળની અસર પડવાની શક્યતા છે. જોકે, ખાનગી ક્ષેત્રની બૅંકોનું કામકાજ યથાપ્રમાણે ચાલતું રહશે.
દરમિયાન, કેન્દ્ર સરકારે મંત્રાલયો, જાહેર ક્ષેત્રના વિભાગો, સંસ્થાઓ, કંપનીઓ અને બૅંકોને પોતાના કર્મચારીઓને હડતાળમાં ભાગ ન લે એ માટે પ્રેરવાનો અને કામકાજ સરળતાથી ચાલે એ માટે યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.
સરકારી મૅમોરેન્ડમમાં જણાવ્યા અનુસાર વિરોધ દર્શાવીને કે અન્ય કોઇપણ રીતે હડતાળમાં જોડાનાર કોઇપણ કર્મચારી સામે પગાર કાપવાથી માંડીને જરૂરી સખત અનુસાશનાત્મક પગલાં લેવામાં આવશે.
હડતાળની અસર અનેક રાજ્યોમાં પડવાની છે. પશ્ર્ચિમ બંગાળમાં ડાબેરી અને અન્ય પક્ષોના ટ્રેડ યુનિયનોએ કેન્દ્રમાં ભાજપ સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં હડતાળમાં ભાગ લેવાની જાહેરાત કરી છે.
દરમિયાન, કેરળમાં ટ્રેડ યુનિયનોએ રાજ્યના પર્યટન સેક્ટરને હડતાળમાંથી બાકાત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આ આંદોલનને શિવસેના, કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, ડાબેરી પક્ષો, શેતકરી કામગાર પક્ષ જેવા રાજકીય પક્ષે પોતાનો ટેકો જાહેર કર્યો છે.
આ સાથે ૬૦ વિદ્યાર્થી જૂથોએ પણ હડતાળમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે.
બુધવારે 8 જાન્યુઆરી દેશમાં હડતાળ : ૨૫ કરોડ લોકો રસ્તા પર ઉતરશે
સરકારની લોકો વિરોધી યોજનાનો વિરોધ કરવા માટે દસ કેન્દ્રવર્તી ટ્રેડ યુનિયને આઠ જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની હાકલ કરી છે. આ હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાવાની અપેક્ષા છે, એમ તેમણે માહિતી આપી હતી. આઇએનટીયુસી, એઆઇટીયુસી, એચએમએસ, સીઆઇટીયુ, એઆઇયુટીયુસી, ટીયુસીસી, એસઇડબલ્યુએ, એઆઇસીસીટીયુ, એલપીએફ, યુટીયુસી અને વિવિધ શ્રેત્રના સ્વતંત્ર ફેડરેશન અને એસોસિયેશનો આ દેશવ્યાપી હડતાળમાં ભાગ લેશે.
‘અમને આશા છે કે ૮ જાન્યુઆરી, ૨૦૨૦ની આ દેશવ્યાપી હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાશે અને કામગાર-વિરોધી, લોકો-વિરોધી અને રાષ્ટ્રવિરોધી સરકારી નીતિઓને બદલવાની માગણી કરશે.
બીજી જાન્યુઆરીના રોજ કામદારોની મીટિંગમાં કામદારોની માગણી પૂરી કરવામાં શ્રમ મંત્રાલય નિષ્ફળ ગયું છે. સરકારી નીતિઓ અને તેમની કામગીરી જોતા જાણ થાય છે કે તેઓ શ્રમિકોની અવગણના કરી રહ્યા છે,’ એમ ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના આશરે ૬૦ સંગઠન અને કેટલીક યુનિવર્સિટીના ચૂંટાયેલા પદાધિકારીઓએ પણ ફી વધારા અને શિક્ષણના વેપારીકરણનો વિરોધ દર્શાવવા આ હડતાળમાં જોડાવાનું નક્કી કર્યું છે.
ટ્રેડ યુનિયનોએ જેએનયુની હિંસા વખોડી કાઢી હતી અને દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે એક્તા જાહેર કરી હતી.
જુલાઇ, ૨૦૧૫થી એક પણ ઇન્ડિયન લેબર કોન્ફરન્સ ભરવામાં નહીં આવી હોવા સામે, પીએસયુના ખાનગીકરણ સામે અને લેબર લૉના કોડિફિકેશન સામે પણ યુનિયનોએ નારાજગી જાહેર કરી હતી.
‘૧૨ ઍરપોર્ટ ખાનગી પાર્ટીને વેચવામાં આવ્યા હતા. ઍર ઇન્ડિયાનું ૧૦૦ ટકા વેચાણ નક્કી થઇ ગયું છે. બીપીસીએલને વેચવાનો નિર્ણય લેવાઇ ગયો છે. બીએસએનએલ-એમટીએનએલના મર્જરની જાહેરાત કરવામાં આવી છે અને વીઆરએસના નામે ૯૩,૬૦૦ લોકોને નોકરીમાંથી રુખસદ આપવામાં આવી છે,’ એમ તેમણે જણાવ્યું હતું.
દર વર્ષે હજારો કિ.મી. દૂરથી વિદેશી નયનરમ્ય પક્ષીઓ ગુજરાતમાં શિયાળો ગાળવા ચાર મહિના રણમાં પડાવ નાખે છે. પાટડીના રણવિસ્તારમાં એક લાખથી વધુ પક્ષીઓનો અનોખો જમાવડો જામ્યો છે. વેરાન રણમાં દર વર્ષે સાઇબિરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.
આ સિવાય પેંગ્વિન, ફ્લેમિંગો અને પેન્ટાસ્ટોક સહિતના વિદેશી પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે. ગઇ વખતની પક્ષી ગણતરી અનુસાર રણકાંઠામાં ૧૦૦થી વધારે જાતિના ૯૯,૭૪૦ પક્ષીઓ આવેલા નોંધાયા હતા.
ચાલું વર્ષે વેરાન રણના વિવિધ વેટલાઇન વિસ્તારમાં લાખો વિદેશી પક્ષીઓએ ધામાં નાખ્યા છે. રણકાંઠા વિસ્તારમાં પક્ષીઓની સંખ્યા પાંચ આંકડા પાર કરી એક લાખને પણ આંબી જવા પામી છે.
નામશેષ થવાના આરે પહોંચેલા અને કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતા ગીધની સંખ્યા ગુજરાતમાં નોંધપાત્ર રીતે ઘટી છે, જ્યારે રણકાંઠામાં ગીધની સખ્યાં ૪થી વધીને ૮૮એ પહોંચ્યાં બાદ હાલમાં ૪૮એ પહોંચી છે. રણમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શીયાળો ગાળવા આવે છે. ગત વર્ષે છેક લદ્દાખથી આવેલા ૫૦૦થી વધુ બાજપક્ષીઓએ રણમાં ધામાં નાખતા પક્ષીપ્રેમીઓ ઝૂમી ઊઠ્યા હતા.
રાજધાની દિલ્હીને પ્રદૂષણ મુક્ત બનાવવાના પ્રયત્નોના ભાગરૂપે સાંસદ ગૌતમ ગંભીરે લાજપત નગર વિસ્તારમાં પ્રથમ સ્મોગ ટાવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટાવરે ૭૫૦ મીટરની ત્રિજ્યામાં હવાને સાફ કરવાનું શરૂ કરી દીધું છે. આ ટાવર લાજપત નગર ટ્રેડર્સ એસોસિયેશન અને ગૌતમ ગંભીર ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયત્નો દ્વારા બનાવવામાં આવ્યો છે.
ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે, ‘વાયુ પ્રદૂષણનો અંત લાવવો એ મારી પ્રાથમિક્તા છે. હું માત્ર વાત કરવામાં નથી માનતો. ૭૦ કરોડ રૂપિયાના ખર્ચે હાઇ ટૅક મશીનો ખરીદી પૂર્વ દિલ્હીમાં પ્રદૂષણ સામે ઝુંબેશ ચલાવી છે. સ્મોગ ટાવર્સ એ શ્રેષ્ઠ ટૅક્નિક છે. તેમાં એક્ઝઓસ્ટ ફેન એક બાજુએથી પ્રદૂષિત હવા ખેંચે છે અને તેને બદલીને બીજી તરફથી શુદ્ધ હવા છોડે છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સ્તરે છે અને આવા વધુ સ્મોગ ટાવરની દિલ્હીને જરૂર છે.
મળતી માહિતી મુજબ લાજપત નગર માર્કેટ એસોસિયેશન દર મહિને ૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરશે. સ્મોગ ટાવર એ હવાના શુદ્ધિકરણની ફ્રેન્ચ ટૅક્નિક છે. તેની ઊંચાઇ ૨૦ ફૂટ છે. તે દરરોજ ૫૦૦થી ૭૫૦ મીટર ક્ષેત્રમાં અઢી લાખથી છ લાખ ઘનમીટર હવાને સાફ કરશે. આ ટાવર બે કલાકમાં હવાને સાફ કરી ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ૫૦ની ઉપર જવા દેશે નહીં. આને કારણે લાજપત નગર માર્કેટ વિસ્તારની હવા સારી રહેશે અને લોકોને વાયુ પ્રદૂષણ સંબંધી રોગોથી મુક્તિ મળશે.
01/01/2020ના દિવસે જન્મેલા વિશ્વના 17 ટકા નવજાત બાળકો ભારતીય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
યુનિસેફ સંસ્થાએ બુધવાર તા.1લી જાન્યુઆરી 2020ની રાત્રે જારી કરેલી પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એક માહિતી એવી પણ છે કે 2020 કેલેન્ડર વર્ષના પહેલા દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ 67,385 બાળકોએ ભારતમાં જન્મ લીધો છે. 2020ના પહેલા દિવસે બાળ જન્મની આ સંખ્યા સૌથી વધુ વસતિ ધરાવતા ચીન કરતા પણ વધુ છે.
તા.1લી જાન્યુઆરી 2020ના રોજ ભારતમાં 67,385 બાળકોના જન્મની સંખ્યામાં બીજા નંબરે ચીનમાં કુલ 46,299 એ પછી નાઇજીરીયામાં 26,039, ચોથા નંબરે પાકીસ્તાન 16,787, પાંચમાં નંબરે ઇન્ડોનેશીયા 13,020 અને છઠ્ઠા નંબરે અમેરીકામાં 10,452 બાળકોએ તા.1લી જાન્યુઆરી 2020ના રોજ જન્મ લીધો હોવાની ગણતરી છે.
યુનિસેફની પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એમ પણ જણાવાયું છે કે સમગ્ર વિશ્વમાં તા.1લી જાન્યુઆરીએ જન્મ લેનારા બાળકોની સંખ્યા 3,92,078 છે. આ સંખ્યામાં 17 ટકા ફાળો એકલા ભારત દેશનો છે.
એવી પણ રસપ્રદ માહિતી છે કે તા.1લી જાન્યુઆરી 2020ના દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી પહેલા જન્મ લેનાર બાળક ફિજી દેશનું છે અને એવી જ રીતે 1લી જાન્યુઆરી 2020ના દિવસે સૌથી છેલ્લું બાળક અમેરીકામાં જનમ્યું હતું.
યુનિસેફ એવી સંસ્થા છે જે દર નવા વર્ષના દિવસે નવજાત બાળકોના જન્મ તેમજ તેના વિકાસ માટે કાર્ય કરે છે. તેની માહિતીઓ એકત્રીત કરીને તેની જાળવણીના કામમાં વ્યસ્ત સંસ્થા છે.
કેટલાક નિષ્ણાંતો એ આ મુદ્દા પર એમ પણ જણાવ્યું કે વિશ્વના અનેક દેશોમાં અનેક યુગલોએ પોતાના બાળકની જન્મતારીખ 01-01-2020 રાખવા માટે સીઝેરીયન ઓપરેશન્સ કરાવીને બાળકને જન્મ અપાવ્યો છે. આ બાબત હવે સામાન્ય થઇ ગઇ છે કે બાળકની જન્મ તારીખ કોઇક યાદગાર કે આકર્ષક આંકડા ધરાવતા દિવસે થાય એ માટે યુગલો સીઝેરીયનથી જન્મ આપવાની પદ્ધતિ અપનાવી રહ્યા છે.
રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ૧૨ ટકાને બદલે ૧૭ ટકા મોંધવારી ભથ્થુ ૧લી જુલાઇ ૨૦૧૯ની પાછલી અસરથી ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત ખેડૂતોને નુકશાન વળતર માટેની ઓનલાઇન અરજી કરવાની સમય મર્યાદા વધારીને ૧૪મી જાન્યુઆરી સુધી કરવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે રાજ્ય સરકાર ઉપર વાર્ષિક અંદાજે રૂ.૧૮૨૧ કરોડ જેટલુ ભારણ વધશે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ-કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫ાંચ ટકા મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક રૂ.૧૮૨૧ કરોડનું વધારાનું ભારણ પડશે.
જુલાઇ-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધીના છ માસના મોંધવારી ભથ્થાના તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે જેનો નિર્ણય હવે પછીથી કરવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે, રાજય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્ય સરકારના ૨,૦૬,૪૪૭, પંચાયત વિભાગના ૨,૨૫,૦૮૩, અન્ય કર્મચારીઓ ૭૯,૫૯૯ અને ૪,૫૦,૫૦૯ પેન્શનરો મળી, અંદાજિત કુલ ૯,૬૧,૬૩૮ અધિકારીઓ- કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કર્યો છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યમાં ખેડૂતોને પાક નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી કરવાની મર્યાદામાં ૧૪ દિવસનો વધારો કર્યો છે.
ડિસેમ્બર મહિનામાં રૂ. ૧.૦૩ લાખ કરોડ જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ) વસૂલવામાં આવ્યો હોવાની સાથે સતત બીજે મહિને જીએસટીની વસૂલીનો આંક એક લાખ કરોડ રૂપિયાનાં આંકને પાર કરી ગયો હતો.
નવેમ્બરમાં આ આંક રૂ. ૧,૦૩,૪૯૨ કરોડ રહ્યો હતો.
અગાઉ જુલાઈમાં રૂ. ૧.૦૨ લાખ કરોડની વસૂલી સાથે જીએસટીની વસૂલીનો આંક એક લાખ કરોડને પાર કરી ગયો હતો.
વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બરની સરખામણીએ આ વરસે જીએસટીની વસૂલીના આંકમાં ૧૬ ટકાનો વધારો જોવા મળ્યો હતો, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
આયાત મારફતે વસૂલવામાં આવેલા ઈન્ટીગ્રેટેડ જીએસટીને આપણે ધ્યાન પર લઈએ તો ડિસેમ્બર ૨૦૧૯માં કુલ આવકમાં અગાઉના વર્ષના આ જ સમયગાળાની સરખામણીએ નવ ટકાનો વધારો થયેલો જોવા મળ્યો હોવાનું નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
ડિસેમ્બર ૨૦૧૯માં આયાતી માલના આઈજીએસટીમાં જોવા મળેલા ૧૦ ટકાના ઘટાડાની સરખામણીએ નવેમ્બરમાં ૧૩ ટકાનો વધારો જોવા મળ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
ગયા મહિનાની રૂ.૧,૦૩,૧૮૪ લાખ કરોડની જીએસટીની કુલ આવકમાં સીજીએસટી રૂ.૧૯,૯૬૨ કરોડ, એસજીએસટી રૂ. ૨૬,૭૯૨ કરોડ, આઈજીએસટી (આયાત મારફતે એકઠાં થયેલાં રૂ. ૨૧,૨૯૫ કરોડ) સહિત રૂ. ૪૮૦૯૯ કરોડ અને આયાત પરના રૂ. ૮૪૭ કરોડના સેસ સહિત કુલ રૂ. ૮૩૩૧ કરોડ સેસનો સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું.
નિયમિત સૅટલમેન્ટના ભાગરૂપ સરકારે આઈજીએસટીમાંથી રૂ. ૨૧,૮૧૪ કરોડના સીજીએસટી અને રૂ. ૧૫,૩૬૬ કરોડના એસજીએસટીનું સૅટલમેન્ટ કર્યું હોવાનું તેમણે કહ્યું હતું.
ડિસેમ્બર ૨૦૧૯માં નિયમિત સૅટલમેન્ટ કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારને સીજીએસટી મારફતે રૂ. ૪૧,૭૭૬ કરોડ અને એસજીએસટી મારફતે રૂ. ૪૨,૧૫૮ કરોડની આવક થઈ હોવાનું તેમણે કહ્યું હતું.
ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમય માટે સરકારે પ્રતિમાસ રૂ. ૧.૧ લાખ કરોડની જીએસટી વસૂલીનું લક્ષ્ય નક્કી કર્યું છે અને આ લક્ષ્ય સાધવાના પ્રયાસમાં મદદરૂપ થવાની કરદાતાઓને હાકલ કરી છે.
રેલવેએ ૧લી જાન્યુઆરીથી આખા દેશની ટ્રેનોના ભાડામાં વધારો જાહેર કર્યો છે. જોકે, પરાંની ટ્રેનોનું ભાડું યથાવત્ રહેશે, પણ નોન-એસી અને પરાં સિવાયની ટ્રેનોના ભાડામાં કિલોમીટર દીઠ એક પૈસાનો વધારો જાહેર કર્યો છે. નોન-એસી મેઇલ/એક્સ્પ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર બે પૈસા અને એસી માટે પ્રતિ કિલોમીટર ચાર પૈસાનો વધારો રેલવેએ જાહેર કર્યો છે.
શતાબ્દી, રાજધાની અને દુરન્ટો જેવી પ્રીમિયમ ટ્રેનો માટે પણ ભાવવધારો લાગુ પડશે.
દિલ્હી-કોલકાતા રાજધાની એક્સ્પ્રેસ ૧૪૪૭ કિ. મી.નું અંતર કાપે છે અને એને માટે પ્રતિ કિલોમીટર ૪ પૈસાના હિસાબે રૂ. ૫૮ વધારે ચુકવવા પડશે.
રેલવેએ જાહેર કરેલા આદેશ પ્રમાણે આરક્ષણ દર અને સુપરફાસ્ટ ચાર્જિસમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો. આ સિવાય જે ટિકિટ બુક થઇ ગઇ છે, એને આ દરવધારો લાગુ નહીં પડે.
આ અગાઉ ૨૦૧૪-૧૫માં બધા વર્ગની ટિકિટના દરમાં ૧૪.૨ ટકાનો અને ફ્રેઇટ ચાર્જિસમાં ૬.૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સ્પ્રેસ અને સુવિધા એક્સ્પ્રેસ જેવી ઊંચા દરના ભાડાવાળી ટ્રેનો શરૂ કરી હતી.
રેલવેએ જણાવ્યું હતું કે આંશિક ભાવવધારાથી થનાર આવકનો ઉપયોગ રેલવેના આધુનિકીકરણ માટે કરવામાં આવશે. આ નાણાંનો ઉપયોગ વિવિધ સ્ટેશનો અને ટ્રેનોમાં પ્રવાસીઓ માટે નવી સુવિધાઓ ઊભી કરવા માટે કરવામાં આવશે. આ સિવાય સાતમા વેતન આયોગના ભારને લીધે પણ ભાડામાં વધારો કરવો અનિવાર્ય બન્યો હતો.
રોજબરોજ પ્રવાસ કરતા પરાંની ટ્રેનોના પ્રવાસીઓની સ્થિતિનો વિચાર કરીને ભાડું યથાવત્ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવો ભાવવધારો ૧લી જાન્યુઆરી ૨૦૨૦ કે ત્યાર બાદ ખરીદવામાં આવનાર ટિકિટ માટે અમલમાં મુકાશે. આ ભાવવધારાનો કૅટરિંગ ચાર્જિસ પર કોઇ અસર નહીં થાય.
ભારે દેવા હેઠળ દબાયેલી સરકારી એર લાઇન કંપની એર ઇન્ડિયા હવે બંધ થવાના આરે છે. એર લાઇન્સના એક ઉચ્ચ અધિકારી મુજબ આગામી છ મહિના દરમિયાન એર ઇન્ડિયા માટે કોઇ ખરીદદાર નહી મળે તો તેને બંધ કરવી પડશે. તેમના મુજબ નાની રકમની મદદથી હવે એર ઇન્ડિયાનું સંચાલન કરવું મુશ્કેલ બની ગયું છે.
એર ઇન્ડિયા હાલમાં 60 હજાર કરોડ રુપિયાના દેવા હેઠળ છે અને સરકાર તેના વિલીનીકરણની તૈયારીમાં છે. સરકાર પહેલેથી જ તેના સંચાલનને લઇને જાહેરાત કરી ચૂકી છે કે એર ઇન્ડિયાને ચલાવવા માટે વધારે ફંડ આપી નહીં શકે. પરંતુ કંપની તેના અત્યારના સંચાલન માટે નાની રકમની મદદ લઇ રહી છે.
સરકારી આંકડા મુજબ નાણાકીય વર્ષ 2011-12થી લઇને અત્યાર સુધી એર ઇન્ડિયાને 30,520.21 કરોડ રુપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. વર્ષ 2012માં પણ યૂપીએ સરકારના કાર્યકાળમાં એર ઇન્ડિયાને 10 વર્ષના ગાળામાં 30 હજાર કરોડ રુપિયા ફંડ તરીકે આપવાની વાત કરવામાં આવી હતી.
અધિકારી મુજહ એર લાઇને સોવરન ગેરન્ટી ફંડ દ્વારા 2400 કરોડ રુપિયા મેળવવાની માંગ કરી હતી જેથી સંચાલન ખર્ચને મેનેજ કરી શકાય. પરંતુ સરકારે 500 કરોડ રિુપિયાની જ મંજૂરી આપી હતી.
હવે પરિસ્થિતિ એવી છે કે ચાલુ વર્ષના ચોથા ત્રિમાસિકમાં એર ઇન્ડિયા તેની ભાગીદારીના વેચાણ માટે જાહેરાત કરી શકે છે. અધિકારી મુજબ ખરીરદાર મળ્યા પછી પણ લેવડ-દેવડ પૂરી કરવામાં છ મહિનાનો સમય લાગી જશે. પરંતુ આર્થિક સ્થિતિને જોતા સરકારે ખરીદદાર મળવાની આશા નહિવત દર્શાવી છે. અર્થાત આગામી છ મહિનામાં એર ઇન્ડિયા પૂર્ણ રીતે બંધ થાય એવી સંભાવનાઓ છે.
શિવ નાડર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નકલી ચલણી નોટ ઓળખી શકે એવી ઈન્ક (શાહી) વિકસાવી છે.
symbolic photo
શિવ નાડર યુનિવર્સિટીના એક પ્રોફેસર દેબદાસ રેએ કહ્યું કે ‘અમારી સફેદ શાહી સસ્તા પદાર્થોથી બનેલી છે અને દિવસના તડકામાં અને અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ પારખી શકાય છે.’
હાલમાં ઉપયોગમાં લેવાતી સિક્યોરિટી ઈન્કમાં વધુ પદાર્થોનો ઉપયોગ થતો હોવાથી તે મોંઘી પડે છે તેવું સંશોધનકારોએ કહ્યું હતું. સિક્યોરિટી સાઈનેજ, ઈમર્જન્સી રૂટ સાઈલેજ, ટ્રાફિક સાઈનેજ, મેડિકલ ડાયેગ્નોસિસ વગેરે માટે પણ વ્હાઈટ સિક્યોરિટી ઈન્ક ઉપયોગી નીવડી શકે છે. ફ્ક્ત ૪૫ મિનિટમાં ઈન્ક તૈયાર થઈ જતી હોય છે, તેવું તેમણે કહ્યું હતું. એક ગ્રામ ઈન્કની કિંમત પ્રતિ ગ્રામ એક હજાર રૂપિયા છે.
છેલ્લા કેટલાક દશકાથી સિક્યોરિટી ઈન્કનું મહત્ત્વ વધ્યું છે. દિવસના પ્રકાશમાં નોટ અથવા દસ્તાવેજ પર લખેલું વાંચી શકાતું નથી અને અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ જ વાંચી શકાય છે.
જોકે, આ પ્રકારની ઈન્ક મોંઘી પડે છે અને તે ઝેરી હોય છે. નવી ઈન્ક પોલિવિનાઈલ આલ્કોહોલ નામના કેમિકલથી બનેલી હોય છે.
અલ્ટ્રાવાયોલેટ લાઈટ હેઠળ અને તે ન હોય તો પણ આ વ્હાઈટ ઈન્કથી લખાયેલું વાંચી શકાય છે. અત્યારે વપરાતી શાહીથી લખેલું અલ્ટ્રાવાયોલેટ લાઈટ ન હોય તો વાંચી શકાતું નથી. વ્હાઈટ ઈન્કમાં ફોલોરોસેન્સ (નેનો સેક્ધડમાં ચમકે) અને ફોસ્ફોરેસન્સ (માઈક્રો સેક્ધડથી સેક્ધડ – વધુ સમય સુધી ચમકે) એમ બંને ગુડ્સ છે. આથી તેનો ઉપયોગ વિવિધ કાર્ય માટે થઈ શકે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.