વિશ્ર્વના ૧૩૦ ગતિશીલ શહેરોની યાદીમાં હૈદ્રાબાદને પ્રથમ અને બેંગ્લૂરુને દ્વિતીય ક્રમ મળ્યો છે. વૈશ્ર્વિક કક્ષાના એક ક્ધસલ્ટન્ટે આ રિપોર્ટ બહાર પાડ્યો છે. જીડીપી, વૃદ્ધિ, છૂટક વેચાણ અને એરપોર્ટ પેસેન્જર વૃદ્ધિ વિગેરે પાસાઓમાં હૈદ્રાબાદને પ્રથમ, બેંગ્લૂરુ દ્વિતીય, ચેન્નાઈ પાંચમા ક્રમે, દિલ્હી છઠ્ઠા સ્થાને, પૂણે બારમા, કોલકતા ૧૬મા અને મુંબઈને ૨૦મો ક્રમ મળ્યો છે. ગયા વર્ષે બેંગ્લૂરુને પ્રથમ અને હૈદ્રાબાદને બીજો ક્રમ મળ્યો હતો.
વિશ્ર્વના ‘ટોપ ટ્વેન્ટી’ શહેરોમાંથી પોણા ભાગના શહેરો એશિયા પેસિફિક ક્ષેત્રમાં આવેલા છે.
આર્થિક મંદી હોવા છતાં ૨૦૧૯ના ‘ટોપ ટ્વેન્ટી’માં ભારતના સાત શહેરને સ્થાન મળ્યું છે. અહેવાલ બહાર પાડનારી કંપનીના ભારતના સીઈઓ રમેશ નાયરે કહ્યું કે, ‘ભારતીય શહેરોના વિકાસમાં વિદેશી રોકાણકારો રસ લઈ રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નીતિઓમાં સુધારાઓ કરવામાં આવ્યા છે તેના ફળ હવે મળી રહ્યા છે.’
કાર્બન ફૂટપ્રિન્ટ (પ્રદૂષણ) ઘટાડવામાં હૈદ્રાબાદ સહિતના શહેરો શહેરી વાતાવરણમાં મહત્ત્વના બદલાવ દાખલ કરી રહ્યા છે. હૈદ્રાબાદમાં કોરલરૂફનો ઉપયોગ કરી એરકંડિશનિંગની જરૂરિયાતમાં ઘટાડો કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. સૂર્ય-પ્રકાશને પાછો ફેંકવાથી અને આમ ઓછી ગરમી શોષવામાં કોરલરૂફ ઉપયોગી નીવડે છે.
સ્માર્ટ બાઈક અને ઈલેક્ટ્રિક વાહનો અપનાવી હૈદ્રાબાદમાં પ્રદૂષણ સ્તરનો ઘટાડો થઈ રહ્યો છે.
વિશ્વભરમાં અબજો લોકોની આસ્થા જેના પર છે એ સાઇબાબાના જન્મ સ્થળ અને કર્મસ્થળ બાબતે હાલ મહારાષ્ટ્રમાં ભારે વિવાદ વકર્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ થોડા દિવસો પહેલા ઔરંગબાદમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે પરભણી જિલ્લાના પાથરી ગામમાં જ્યાં સાઈ બાબાનો જન્મ થયો છે તેના વિકાસ માટે રુ.100 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઠાકરેની આ જાહેરાત બાદ સાઇબાબાના જન્મસ્થળને લઇને મોટો બખેડો થયો છે. શિરડીમાં તો એટલા પ્રત્યાઘાત પડ્યા છે કે હવે શિરડી આખું ગામ આગામી રવિવાર તા.19 જાન્યુઆરી 2020થી બેમુદતી બંધ પાળવાનું એલાન આપવામાં આવ્યું છે.
ઉધ્ધવ ઠાકરેએ પરભણીના પાથરી ગામમાં જ્યાં સાઇબાબાનો જન્મ થયો છે ત્યાં વિકાસ માટે 100 કરોડ ખર્ચવાની ઘોષણા કરતા ભારે વિવાદ
મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં આવેલા પાથરી ગામ ખાતેનું સાઇબાબાનું મંદિર, શાસ્ત્રો કહે છે કે સાઇબાબાનો જન્મ પાથરી ગામમાં થયો છે અને તેના આધારે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ પરભણીના પાથરી ગામ ખાતે સ્મારક વિકસાવવા માટે રૂ.100 કરોડની યોજનાની જાહેરાત કરી છે.
હાલ એવી સ્થિતિ છે કે એક તરફ સાઈબાબાના જન્મસ્થળ પરભણી જિલ્લામાં આવેલા પાથરી ગામ પંથક વિસ્તારના રહેવાસીઓમાં ઉત્સાહ અને ઉમંગ છે તો બીજી તરફ હાલ સાઇધામ તરીકે વિશ્વ વિખ્યાત એવા સાઇબાબાના કર્મસ્થળ અહમદનગરના શિરડીમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
શિરડીમાં રવિવારથી બંધનું એલાન
શિરડીના લોકોનું કહેવુ છે કે મુખ્યમંત્રી
પાથરીને વિકાસ માટે 100ની જગ્યાએ 200 કરોડ આપે તો પણ કોઈ વાંધો નથી પરંતુ તેની ઓળખ સાઈના જન્મસ્થાન
તરીકે ન હોઈ શકે. શિરડીના લોકોનું કહેવું છે કે અહીં આવ્યા બાદ સાઈ બાબાએ ક્યારેય
પોતાનું અસલી નામ, ગામ, જાતી અને ધર્મ અંગે પોતે જ કંઈ બોલ્યા નથી તો પછી આ સર્વધર્મ
સમભાવના પ્રતિક એવા શિરડી સાઈબાબાને કેમ અલગ અલગ જગ્યામાં વહેંચવામાં આવે?
આ બાબતે વિરોધ કરવા માટે માગણી કરતા
શિરડીમાં લોકોએ રવિવારથી અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. શિરડીવાસીઓની
માગણી છે કે સરકાર એ બાબત ચોક્કસ કરે કે સર્વધર્મ સમભાવના પ્રતિક સાઈબાબાના
જન્મસ્થળ અને ધર્મ અંગે હવે પછી આગળ કોઈપણ ઉલ્લેખ કરવામાં ન આવે. જ્યાં સુધી સરકાર
દ્વારા આ મામલે ચોક્કસ પગલા ભરવામાં નહીં આવે ત્યાં સુધી શિરડી આખું ગામ બંધ
રહેશે.
એવું લાગી રહ્યું છે કે ભારતમાં બેંક
હડતાળોની મોસમ ચાલી રહી છે. બેંક કર્મચારીઓના પગાર સુધારણા સંદર્ભની અનેક બેઠકો
વિફળ રહ્યા બાદ હવે ફરીથી ઈન્ડિયન બેંક અસોસિએશન(IBA)એ (આ મહિને બીજી વખત) બેંક હડતાળનું એલાન આપ્યું છે. ઇન્ડિયન બેંકસ
એસોસીએશન IBA દ્વારા આપવામાં આવેલા એલાન અનુસાર આગામી તા.31 જાન્યુઆરી અને તા.1 ફેબ્રુઆરી એમ બે દિવસ ભારતીયો બેંકોમાં કર્મચારીઓ
કામકાજથી અળગા રહીને હડતાળ પાડશે. અગાઉ ચાલુ માસમાં જ ગઇ તા. 8 જાન્યુઆરીએ ભારત બંધમાં પણ 6 બેંકના કર્મચારી યૂનિયન જોડાયા હતા, એ દિવસે
મોટાભાગની બેંકો બંધ રહી હતી.
આ વખતે બેંક હડતાળનો સમય ખુબ મહત્વનો છે.
1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્માલ સીતારમણ બજેટ રજૂ કરશે. તેના એક
દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. બજેટને
લઈને તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે અને સરકાર સામે મંદીની સમસ્યાને દૂર કરવાનો સૌથી
મોટો પડકાર છે.
તા.2 ફેબ્રુઆરીએ રવિવાર છે અને બેંક બંધ
રહેશે. હડતાળને કારણે સતત 3 દિવસ સુધી બેંક બંધ રહેવાથી સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો
કરવો પડશે એમાં શંકાને કોઇ સ્થાન નથી. બેંક હડતાળને કારણે કારણે એટીએમમાં પણ રોકડની
તંગી વર્તાય શકે તેમ છે.
મકરસંક્રાંતિ સમગ્ર ભારતનો તહેવાર છે
પરંતુ, ગુજરાતમાં આ તહેવારે પતંગ ચગાવવાનો રિવાજ પણ વિશ્વભરને ગુજરાતમાં આકર્ષિત
કરે છે, મકરસંક્રાંતિએ ઉજવાતો ગુજરાતના આ પતંગોત્સવના પરીમાણો પણ આઘાતજનક રીતે
બદલાયા છે. 2020નો પતંગોત્સવ ગુજરાતમાં અકસ્માતનો ઉત્સવ બની ગયાની અનુભૂતિ થઇને
રહે છે.
આ વાતની પ્રતીતિ અને હદ તો ત્યારે થઇ કે
14મી જાન્યુઆરીની રાત્રે જાણવા મળ્યું કે પતંગોત્સવના 24 કલાક દરમિયાન રાજ્યમાં
કાર્યરત ઇમરજન્સી મેડીકલ સેવા 108 એમ્બ્લ્યુલન્સને 3478 કોલ્સ મળ્યા અને આ
કોલ્સમાં પતંગના દોરાથી ગંભીર રીતે ઇજા પામેલા રાહદારોઓ, વાહનચાલકોને તત્કાળ
હોસ્પિટલ પહોંચાડવાના હતા, અગાસીઓ, ધાબાઓ પરથી પડવાના હતા, મારામારીમાં ઇજા પામેલાઓને
હોસ્પિટલ પહોંચાડવાના હતા. ખરેખર 2020ની ઉતરાણ (પતંગોત્સવ) અકસ્માતોનો ઉત્સવ બન્યો
હોય એવું એટલા માટે માનવું પડે કેમકે 2019માં પતંગોત્સવના પર્વે 108 એમ્બ્યુલન્સ
સેવાઓના રાજ્યભરમાંથી 3055 કોલ્સ મળ્યા હતા. જેમાં 2020 400 પ્લસ ઇમરજન્સી કોલ્સ
વધુ હતા.
ચોંકાવનારી બાબત તો એ છે કે ઘાતક પતંગના દોરા નહીં વાપરવા અંગે કડકમાં કડક સૂચનાઓ અપાઇ હોવા છતાં એ ધૂમ વેચાયા અને તેના કારણે રાજ્યમાં 186 જેટલા કમનસીબ લોકોના ગળા કપાયા અથવા તો શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. આ તમામ લોકોને 108 એમ્બ્યુલન્સે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ સિવાય ખાનગી દવાખાનાઓમાં ટ્રીટમેન્ટ લેનારા તો કેટલાય હશે. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ આ દોરીએ અનેકને ઈજાગ્રસ્ત કર્યા હતાં.
પારીવારીક ઉત્સવ ઘોંઘાટીયો બન્યો, પાવરફૂલ ડીજેથી વૃદ્ધો આખો દિવસ ત્રસ્ત
ઉતરાયણ પર્વ સામાન્ય રીતે પારીવારીક ઉત્સવ તરીકે ઉજવાતો, પરંતુ, યુવા પેઢીના અણસમજુઓએ અગાસીઓ પર પાવરફૂલ ડીજે મૂકીને આખાને આખા વિસ્તારોને આખો દિવસ બાનમાં લીધા. ખાસ કરીને એપાર્ટમેન્ટોની અગાસીઓ પર એટલા મોટા અવાજે ડીજે મ્યુઝિક સિસ્ટમ પર ઘોંઘાટીયા ગીતો વાગ્યા અને તેને કારણે સમગ્ર વિસ્તાર તો બાનમાં લેવાયો પણ વૃ્દ્ધ નાગરિકોએ આખો દિવસ ભારે તકલીફ વેઠવી પડી હતી. કેટલાક વિસ્તારોમાં તો અગાસીઓ પર જાણે મ્યુઝિક વોર ખેલાયું હોય તે રીતે સામસામા ગીતોના અવાજો અથડાતા, સૂરતીઓને આ માહોલ જાણે ફેસ્ટિવલનો માહોલ લાગ્યો પણ અનેક લોકોને તકલીફ પડી તે વિસરી દેવાયું હતું.
સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝુંબેશના ધજ્જીયા ઉડ્યા
સરકારી તંત્રોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન મૂકવા માટે મહિનાઓથી ઝુબેશો હાથ ધરી. ખાસ કરીને શાકભાજી વેચતા ફેરીયાઓને મોટા પાયે દંડ કરવામાં આવ્યા. બીજી તરફ ઉતરાયણ પર્વે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝુંબેશના તો એવા ધજ્જીયા ઉડ્યા કે ન પૂછો વાત. સૂરતમાં દરેક ચાર રસ્તા પર સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલા રમકડાંઓ વેચાય રહ્યા હતા. વિવિધ આકારના પ્રાણીઓ, કાર્ટૂન પાત્રો એવા પ્લાસ્ટિકમાંથી બનાવેલા હતા કે જેનો કચરો 15મીએ અને 16મીએ દેખાશે. આ તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલા હતા અને ત્યારે સૂરત મહાનગરપાલિકા કે અન્ય કોઇ તંત્રોએ આ ઉપદ્રવ સામે કોઇ કાર્યવાહી કરી નહીં.
સરકારી સંસ્થાઓ કર્મચારીઓ રિફ્રેશ થાય અને એમનો સ્ટ્રેસ ઓછો થાય એ માટે ખાસ પાંચ મિનિટમાં થઇ શકે એવા આસનોની જોવગવાઇ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ યોગાસનો કરવા માટે એમને પાંચ મિનિટનો યોગ બ્રેક અથવા વાય બ્રેક આપવામાં આવશે.
આયુષ મંત્રાલયે મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થા મારફત વિકસિત કરાયેલા યોગાસનો કરવા માટે પ્રયોગાત્મક ધોરણે વાય બ્રેક હાલ આયુષ મંત્રાલયમાં સોમવારથી શરૂ કરવામાં આવ્યો છે.
ટાટા કેમિકલ્સ, ઍક્સિસ બૅંક સહિત ૧૫ જેટલી સંસ્થા અને કંપનીએ આ માટે રસ દાખવ્યો હોવાની વાત આયુષ મંત્રાલયે જણાવી હતી. આ માટે બુકલેટ છાપવામાં આવી છે અને યોગ્ય રીતે આસન કરી શકાય એ માટે ફિલ્મ પણ બનાવવામાં આવી છે. મંત્રાલય કોર્પોરેટ સેક્ટરને આ માટે બધી રીતે મદદ કરશે.
યોગ બ્રેકમાં પાંચ મિનિટમાં કરી શકાય એવા કેટલાક યોગાસનોનો દસેક નિષ્ણાતો દ્વારા વિચારપૂર્વક સમાવેશ કરવામાં આવ્યો છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે યોગા બ્રેક એ યોગ શીખવા માટેનો કોર્સ નથી, પણ એમાં ટૂંકમાં કેટલીક પ્રાથમિક કસરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યની સરકારી હોસ્પિટલોમાં થઇ રહેલા નવજાત બાળકોના મૃત્યુના કેસોમાં ગાજ તબીબો પર પડી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર ભીંસ વધારતા એવા સવાલો કર્યા કે જેમાંથી સ્ટાફની કમીની વિગતો બહાર આવી અને તેની સાથે એવી પણ સ્ફોટક માહિતી સપાટી પર આવી કે 2019 યુવક-યુવતિઓ સરકારી કોલેજમાં સસ્તામાં ડોક્ટરી ભણીને બાદમાં વિદેશ ભાગી ગયા છે. ભાગી ગયા એટલા માટે કહેવાય છે કે તેમણે નિયમાનુસાર ઇન્ટર્નશીપ કરવાની હતી એનો ભંગ કરીને તેઓ વિદેશમાં સ્થાયી થઇ ચૂક્યા છે.
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં તબીબી શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સરકારમાં સેવા આપવાની નિયત સમય મર્યાદાનો ભંગ કરીને ૨૧૯ ડોક્ટરો વિદેશ જતા રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમની પાસેથી રૂ. ૨.૯૪ કરોડની બોન્ડની રકમની વસૂલાત કરવામાં આવી છે.
સરકારી ખર્ચે સસ્તામાં ભણીને તબીબ બન્યા બાદ સેવા આપ્યા વગર વિદેશ જતા રહે છે તે વધુ એક વખત બહાર આવ્યું છે. વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારે રાજ્યમાંથી ડોક્ટરો તબીબી અભ્યાસ પૂર્ણ કરીને વિદેશ જતા રહ્યા હોવાના અને બોન્ડની રકમ વસૂલ કરવા અંગેનો સવાલ કર્યો હતો. જેના લેખિત જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં તબીબી શિક્ષણ પૂર્ણ કરીને નિયત સેવા મર્યાદાનો ભંગ કરીને ૨૧૯ ડોક્ટરો વિદેશ જતા રહ્યા છે. જેમની પાસેથી ૨.૯૪ કરોડની બોન્ડની રકમ વસૂલ કરવામાં આવી છે. બાકીના કિસ્સાઓમાં હજુ ૨૧.૧૩ કરોડની રકમ વસૂલ કરવાની કામગીરી ચાલી રહી છે.
કોંગ્રેસના જ જીતુ ચૌધરીએ સરકારી મેડિકલ કોલેજમાં મંજૂર થયેલી જગ્યાઓમાંથી કરાર આધારીત, માનદ વેતન અને આઉટ સોર્સિંગથી કેટલી જગ્યા છે તેની માહિતી માગતો સવાલ રજૂ કર્યો હતો. આ સવાલના લેખિત જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને રાજકોટની સરકારી મેડિકલ કોલેજમાં વર્ગ-૧થી વર્ગ-૪ સુધીનું કુલ મંજૂર મહેકમ ૩૭૫૪ કર્મચારી-અધિકારીનું છે. તેમાંથી કરાર આધારીત ૧૧, માનદ વેતન અપાતું હોય તેવા ૩ અને આઉટસોર્સથી રાખવામાં આવ્યા હોય તેવા ૮૯૬ કર્મચારી છે. આઉટ સોર્સિંગથી નિમાતા કર્મચારીઓ-અધિકારીઓ ગેરરીતિ આચરે તો તેમની સામે ટેન્ડરની શરતો મુજબ કાર્યવાહી કરવાની થતી હોવાનું પણ જવાબમાં જણાવાયું હતું.
દક્ષિણ-પશ્ર્ચિમી રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન આગળ વધ્યું છે. ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોનું જોર વધતાં અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુતમ તાપમાન ૫થી ૮ ડિગ્રી ગગડતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયા ત્રણ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. આમ ગુરુવારનો દિવસ ઠંડીની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. આગામી ૪૮ કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
રાજ્યમાં બુધવારની સરખામણીએ ગુરુવારે સવારથી જ કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો હતો. અમદાવાદ અને વડોદરામાં ૧૦ ડિગ્રી, ગાંધીનગરમાં ૭ ડિગ્રી, ભુજ, કંડલા ઍરપોર્ટ અને ડીસા-૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન ફૂંકવાના શરૂ થઇ ગયાં હતા.
હવામાન વિભાગ મુજબ હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. આગામી ૫ દિવસ સુધી અમદાવાદના વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. ૧૩ અને ૧૪ જાન્યુઆરીએ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેની સાથે ઠંડા પવન પણ ફૂંકાશે. ૧૫ અને ૧૬ જાન્યુઆરી લઘુતમ તાપમાન ૧૦ અને ૧૧ ડિગ્રી વચ્ચે રહેશે.
વિશ્ર્વમાં ૨૦૨૦માં છ ગ્રહણ જોઈ શકાશે જયારે ભારતમાં ફકત ત્રણ ગ્રહણ જોઈ શકાશે તેવું ઉજ્જેનની જિવાજી ઓબ્ઝર્વેટરીએ ગુરુવારે જણાવ્યું હતું. શુક્રવારની રાતે થનારા ચંદ્રગ્રહણ જોઈ શકાશે તેવું ઓબ્ઝર્વેટરીએ કહ્યું હતું. ૨૦૨૦નું પ્રથમ ગ્રહણ શુક્રવારની રાત્રિના ૧૦.૩૬થી શનિવાર વહેલી સવારે ૨.૪૪ કલાક સુધી ચાલુ રહેશે તેવું જિવાજી ઓબ્ઝર્વેટરીના સુપરિટેન્ડન્ટ ડો. રાજેન્દ્ર પ્રકાશ ગુપ્તે કહ્યું હતું. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી લાઈનમાં ભેગા થતા હોય છે ત્યારે ચંદ્રગ્રહણ આકાર લેતું હોય છે.
2020માં કયું ગ્રહણ ક્યારે
Jan 10–11. Lunar Eclipse (Penumbral)
Jun 5–6. Lunar Eclipse (Penumbral)
Jun 21. Solar Eclipse (Annular)
Jul 4–5. Lunar Eclipse (Penumbral)
Nov 29–30. Lunar Eclipse (Penumbral)
Dec 14. Solar Eclipse (Total)
પાંચમી જૂન અને છ જૂન વચ્ચેની રાત્રિએ વધુ એક ચંદ્રગ્રહણ આકાર લેશે તેવું ડો. રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તે કહ્યું હતું. પાંચમી જુલાઈ અને ત્રીસમી નવેમ્બરે ચંદ્રગ્રહણ થશે જે
ભારતમાં જોઈ શકાશે નહીં તેવું તેમણે કહ્યું હતું. ૨૧મી જૂને સૂર્યગ્રહણ થશે જે ભારતમાં જોઈ શકાશે. ૧૪મી ડિસેમ્બરે સૂર્યગ્રહણ થશે જે ભારતમાં જોવા નહીં મળે તેવું ગુપ્તેએ કહ્યું હતું. ૨૦૧૯માં વિશ્ર્વના વિભિન્ન હિસ્સાઓમાં ત્રણ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થયા હતા.
સંસદીય બાબતોમાં કેબિનેટ સમિતિએ 31 જાન્યુઆરીએ બજેટ સત્ર બોલાવવાની ભલામણ કરી છે. સૂત્રો મુજબ 31 જાન્યુઆરીથી 3 એપ્રિલ વચ્ચે બજેટ સત્ર બે રાઉન્ડમાં
ચલાવવા માટે ભલામણ કરવામાં આવી છે. બજેટ ગત વર્ષની જેમ જ પહેલી ફેબ્રુઆરીએ રજૂ
કરવામાં આવશે.
જણાવી દઈએ કે મોદી સરકાર દરમિયાન સામાન્ય
બજેટને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં રજૂ કરવાની શરૂઆત થઈ છે. આ પહેલા
ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં બેજટ રજૂ કરવાની પરંપરા હતી.
સૂત્રોએ જણાવ્યું કે બજેટ સત્રનો પહેલો
તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે, જ્યારે બીજા તબક્કામાં 2 માર્ચ થી લઈને 3 એપ્રિલ સુધી સંસદ ચાલશે. બજેટ સત્રના બંને તબક્કામાં વચ્ચે સામાન્ય
રીતે એક મહિનાનો સમય રાખવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કે જેથી
સંસદીય સમિતિઓ વિવિધ મંત્રાલયોને ફાળવેલા બજેટનું પરીક્ષણ કરી શકે.
કેન્દ્રીય કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ
બંને સદનના સત્રને ચલાવવાનો આદેશ આપે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના બીજા
કાર્યકાળનું આ પહેલું પૂર્ણ બજેટ હશે.
જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (જીએયુ) ખાતે આયુર્વેદિક સંસ્થાનોનો સમૂહ (ક્લસ્ટર) રચવા માટેનાં પ્રસ્તાવને 08/01/2020 કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. આ સાથે જ તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો પણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ જીએયુ ભારતની પ્રથમ એવી આયુર્વેદિક સંસ્થા બની રહેશે જેને આઈઆઈટી, આઆઈએમનાં સ્તરનો દરજ્જો પ્રાપ્ત થઈ રહ્યો છે.
08/01/2020 વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કૅબિનેટે જામનગર ખાતેની (અ) ઇન્સ્ટિટયૂટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (બ) શ્રી ગુલાબકુંવર આયુર્વેદ મહાવિદ્યાલય અને (ક) ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સીસ (ફાર્મસી યુનિટ સહિત) નામની જામનગર ખાતેની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કૅમ્પસ ખાતેની આયુર્વેદ ઇન્સ્ટિટયૂટ્સના સમૂહને એકત્રિત કરીને ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગરને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો મંજૂર કર્યો હતો અને ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના સ્વસ્થવૃત વિભાગમાં મહર્ષિ પતંજલિ ઇન્સ્ટિટયૂટ ફોર યોગ ઍન્ડ નેચરોપેથી એજ્યુકેશન ઍન્ડ રિસર્ચનો સમાવેશ કર્યો હતો.
કૅબિનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આનાથી આયુર્વેદના શિક્ષણનો દરજ્જો વધશે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માગને અનુલક્ષીને આયુર્વેદમાં વિવિધ અભ્યાસક્રમો ઘડી કાઢવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું હતું કે આનાથી ઇન્સ્ટિટયૂટને આયુર્વેદમાં ત્રીજી પંક્તિની સારસંભાળ વિકસિત કરવામાં મદદ મળશે.
ભારતમાં જાહેર આરોગ્યનું ધ્યાન રાખતી આયુષ્ય પદ્ધતિઓની વધતી ભૂમિકાને જોતાં આ દરજ્જો આપવાથી જાહેર આરોગ્યમાં આયુર્વેદનું મહત્ત્વ વધશે. આયુર્વેદ ચિકિત્સાને મજબૂત બનાવવાથી આરોગ્ય પરનો સરકારી ખર્ચ ઘટશે. કારણ કે આયુર્વેદમાં રોગને અટકાવવાની અને સાજા કરવાની ક્ષમતા હોવાથી તેમાં ઓછો ખર્ચ લાગશે.
હાલ વિશ્વભરમાં આયુર્વેદના જ્ઞાન અને તેની સેવાની માગ વધતી જાય છે. ભારત આયુર્વેદનું ઉદ્ગમ સ્થાન છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.