CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 95 of 143 - CIA Live

January 15, 2020
yoga.png
1min5310

સરકારી સંસ્થાઓ કર્મચારીઓ રિફ્રેશ થાય અને એમનો સ્ટ્રેસ ઓછો થાય એ માટે ખાસ પાંચ મિનિટમાં થઇ શકે એવા આસનોની જોવગવાઇ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ યોગાસનો કરવા માટે એમને પાંચ મિનિટનો યોગ બ્રેક અથવા વાય બ્રેક આપવામાં આવશે.

આયુષ મંત્રાલયે મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થા મારફત વિકસિત કરાયેલા યોગાસનો કરવા માટે પ્રયોગાત્મક ધોરણે વાય બ્રેક હાલ આયુષ મંત્રાલયમાં સોમવારથી શરૂ કરવામાં આવ્યો છે.

ટાટા કેમિકલ્સ, ઍક્સિસ બૅંક સહિત ૧૫ જેટલી સંસ્થા અને કંપનીએ આ માટે રસ દાખવ્યો હોવાની વાત આયુષ મંત્રાલયે જણાવી હતી. આ માટે બુકલેટ છાપવામાં આવી છે અને યોગ્ય રીતે આસન કરી શકાય એ માટે ફિલ્મ પણ બનાવવામાં આવી છે. મંત્રાલય કોર્પોરેટ સેક્ટરને આ માટે બધી રીતે મદદ કરશે.

યોગ બ્રેકમાં પાંચ મિનિટમાં કરી શકાય એવા કેટલાક યોગાસનોનો દસેક નિષ્ણાતો દ્વારા વિચારપૂર્વક સમાવેશ કરવામાં આવ્યો છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે યોગા બ્રેક એ યોગ શીખવા માટેનો કોર્સ નથી, પણ એમાં ટૂંકમાં કેટલીક પ્રાથમિક કસરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

January 12, 2020
medical_logo.jpg
1min5200

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં થઇ રહેલા નવજાત બાળકોના મૃત્યુના કેસોમાં ગાજ તબીબો પર પડી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર પર ભીંસ વધારતા એવા સવાલો કર્યા કે જેમાંથી સ્ટાફની કમીની વિગતો બહાર આવી અને તેની સાથે એવી પણ સ્ફોટક માહિતી સપાટી પર આવી કે 2019 યુવક-યુવતિઓ સરકારી કોલેજમાં સસ્તામાં ડોક્ટરી ભણીને બાદમાં વિદેશ ભાગી ગયા છે. ભાગી ગયા એટલા માટે કહેવાય છે કે તેમણે નિયમાનુસાર ઇન્ટર્નશીપ કરવાની હતી એનો ભંગ કરીને તેઓ વિદેશમાં સ્થાયી થઇ ચૂક્યા છે.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં તબીબી શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સરકારમાં સેવા આપવાની નિયત સમય મર્યાદાનો ભંગ કરીને ૨૧૯ ડોક્ટરો વિદેશ જતા રહ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમની પાસેથી રૂ. ૨.૯૪ કરોડની બોન્ડની રકમની વસૂલાત કરવામાં આ‌વી છે. 

સરકારી ખર્ચે સસ્તામાં ભણીને તબીબ બન્યા બાદ સેવા આપ્યા વગર વિદેશ જતા રહે છે તે વધુ એક વખત બહાર આવ્યું છે. વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરીમાં કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારે રાજ્યમાંથી ડોક્ટરો તબીબી અભ્યાસ પૂર્ણ કરીને વિદેશ જતા રહ્યા હોવાના અને બોન્ડની રકમ વસૂલ કરવા અંગેનો સવાલ કર્યો હતો. જેના લેખિત જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર-૨૦૧૮ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં તબીબી શિક્ષણ પૂર્ણ કરીને નિયત સેવા મર્યાદાનો ભંગ કરીને ૨૧૯ ડોક્ટરો વિદેશ જતા રહ્યા છે. જેમની પાસેથી ૨.૯૪ કરોડની બોન્ડની રકમ વસૂલ કરવામાં આવી છે. બાકીના કિસ્સાઓમાં હજુ ૨૧.૧૩ કરોડની રકમ વસૂલ કરવાની કામગીરી ચાલી રહી છે. 

કોંગ્રેસના જ જીતુ ચૌધરીએ સરકારી મેડિકલ કોલેજમાં મંજૂર થયેલી જગ્યાઓમાંથી કરાર આધારીત, માનદ વેતન અને આઉટ સોર્સિંગથી કેટલી જગ્યા છે તેની માહિતી માગતો સવાલ રજૂ કર્યો હતો. આ સવાલના લેખિત જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને રાજકોટની સરકારી મેડિકલ કોલેજમાં વર્ગ-૧થી વર્ગ-૪ સુધીનું કુલ મંજૂર મહેકમ ૩૭૫૪ કર્મચારી-અધિકારીનું છે. તેમાંથી કરાર આધારીત ૧૧, માનદ વેતન અપાતું હોય તેવા ૩ અને આઉટસોર્સથી રાખવામાં આવ્યા હોય તેવા ૮૯૬ કર્મચારી છે. આઉટ સોર્સિંગથી નિમાતા કર્મચારીઓ-અધિકારીઓ ગેરરીતિ આચરે તો તેમની સામે ટેન્ડરની શરતો મુજબ કાર્યવાહી કરવાની થતી હોવાનું પણ જવાબમાં જણાવાયું હતું.

January 10, 2020
coldest-day.jpeg
1min4990

દક્ષિણ-પશ્ર્ચિમી રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન આગળ વધ્યું છે. ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોનું જોર વધતાં અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુતમ તાપમાન ૫થી ૮ ડિગ્રી ગગડતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયા ત્રણ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. આમ ગુરુવારનો દિવસ ઠંડીની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. આગામી ૪૮ કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

રાજ્યમાં બુધવારની સરખામણીએ ગુરુવારે સવારથી જ કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો હતો. અમદાવાદ અને વડોદરામાં ૧૦ ડિગ્રી, ગાંધીનગરમાં ૭ ડિગ્રી, ભુજ, કંડલા ઍરપોર્ટ અને ડીસા-૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન ફૂંકવાના શરૂ થઇ ગયાં હતા.

હવામાન વિભાગ મુજબ હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. આગામી ૫ દિવસ સુધી અમદાવાદના વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. ૧૩ અને ૧૪ જાન્યુઆરીએ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેની સાથે ઠંડા પવન પણ ફૂંકાશે. ૧૫ અને ૧૬ જાન્યુઆરી લઘુતમ તાપમાન ૧૦ અને ૧૧ ડિગ્રી વચ્ચે રહેશે.

January 10, 2020
eclipse.png
1min4530

વિશ્ર્વમાં ૨૦૨૦માં છ ગ્રહણ જોઈ શકાશે જયારે ભારતમાં ફકત ત્રણ ગ્રહણ જોઈ શકાશે તેવું ઉજ્જેનની જિવાજી ઓબ્ઝર્વેટરીએ ગુરુવારે જણાવ્યું હતું. શુક્રવારની રાતે થનારા ચંદ્રગ્રહણ જોઈ શકાશે તેવું ઓબ્ઝર્વેટરીએ કહ્યું હતું. ૨૦૨૦નું પ્રથમ ગ્રહણ શુક્રવારની રાત્રિના ૧૦.૩૬થી શનિવાર વહેલી સવારે ૨.૪૪ કલાક સુધી ચાલુ રહેશે તેવું જિવાજી ઓબ્ઝર્વેટરીના સુપરિટેન્ડન્ટ ડો. રાજેન્દ્ર પ્રકાશ ગુપ્તે કહ્યું હતું. સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી લાઈનમાં ભેગા થતા હોય છે ત્યારે ચંદ્રગ્રહણ આકાર લેતું હોય છે.

2020માં કયું ગ્રહણ ક્યારે

  • Jan 10–11. Lunar Eclipse (Penumbral)
  • Jun 5–6. Lunar Eclipse (Penumbral)
  • Jun 21. Solar Eclipse (Annular)
  • Jul 4–5. Lunar Eclipse (Penumbral)
  • Nov 29–30. Lunar Eclipse (Penumbral)
  • Dec 14. Solar Eclipse (Total)

પાંચમી જૂન અને છ જૂન વચ્ચેની રાત્રિએ વધુ એક ચંદ્રગ્રહણ આકાર લેશે તેવું ડો. રાજેન્દ્ર પ્રસાદ ગુપ્તે કહ્યું હતું. પાંચમી જુલાઈ અને ત્રીસમી નવેમ્બરે ચંદ્રગ્રહણ થશે જે

ભારતમાં જોઈ શકાશે નહીં તેવું તેમણે કહ્યું હતું. ૨૧મી જૂને સૂર્યગ્રહણ થશે જે ભારતમાં જોઈ શકાશે. ૧૪મી ડિસેમ્બરે સૂર્યગ્રહણ થશે જે ભારતમાં જોવા નહીં મળે તેવું ગુપ્તેએ કહ્યું હતું. ૨૦૧૯માં વિશ્ર્વના વિભિન્ન હિસ્સાઓમાં ત્રણ સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થયા હતા.

January 9, 2020
sansad.jpeg
1min5630

સંસદીય બાબતોમાં કેબિનેટ સમિતિએ 31 જાન્યુઆરીએ બજેટ સત્ર બોલાવવાની ભલામણ કરી છે. સૂત્રો મુજબ 31 જાન્યુઆરીથી 3 એપ્રિલ વચ્ચે બજેટ સત્ર બે રાઉન્ડમાં ચલાવવા માટે ભલામણ કરવામાં આવી છે. બજેટ ગત વર્ષની જેમ જ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.

જણાવી દઈએ કે મોદી સરકાર દરમિયાન સામાન્ય બજેટને ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં રજૂ કરવાની શરૂઆત થઈ છે. આ પહેલા ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં બેજટ રજૂ કરવાની પરંપરા હતી.

સૂત્રોએ જણાવ્યું કે બજેટ સત્રનો પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે, જ્યારે બીજા તબક્કામાં 2 માર્ચ થી લઈને 3 એપ્રિલ સુધી સંસદ ચાલશે. બજેટ સત્રના બંને તબક્કામાં વચ્ચે સામાન્ય રીતે એક મહિનાનો સમય રાખવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કે જેથી સંસદીય સમિતિઓ વિવિધ મંત્રાલયોને ફાળવેલા બજેટનું પરીક્ષણ કરી શકે.

કેન્દ્રીય કેબિનેટની ભલામણ પર રાષ્ટ્રપતિ બંને સદનના સત્રને ચલાવવાનો આદેશ આપે છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના બીજા કાર્યકાળનું આ પહેલું પૂર્ણ બજેટ હશે.

January 9, 2020
jamnagar_aurvedic.jpg
1min5210

જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (જીએયુ) ખાતે આયુર્વેદિક સંસ્થાનોનો સમૂહ (ક્લસ્ટર) રચવા માટેનાં પ્રસ્તાવને 08/01/2020 કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. આ સાથે જ તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો પણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ જીએયુ ભારતની પ્રથમ એવી આયુર્વેદિક સંસ્થા બની રહેશે જેને આઈઆઈટી, આઆઈએમનાં સ્તરનો દરજ્જો પ્રાપ્ત થઈ રહ્યો છે.

08/01/2020 વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કૅબિનેટે જામનગર ખાતેની (અ) ઇન્સ્ટિટયૂટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (બ) શ્રી ગુલાબકુંવર આયુર્વેદ મહાવિદ્યાલય અને (ક) ઇન્સ્ટિટયૂટ ઓફ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સીસ (ફાર્મસી યુનિટ સહિત) નામની જામનગર ખાતેની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કૅમ્પસ ખાતેની આયુર્વેદ ઇન્સ્ટિટયૂટ્સના સમૂહને એકત્રિત કરીને ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગરને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો મંજૂર કર્યો હતો અને ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના સ્વસ્થવૃત વિભાગમાં મહર્ષિ પતંજલિ ઇન્સ્ટિટયૂટ ફોર યોગ ઍન્ડ નેચરોપેથી એજ્યુકેશન ઍન્ડ રિસર્ચનો સમાવેશ કર્યો હતો.

કૅબિનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આનાથી આયુર્વેદના શિક્ષણનો દરજ્જો વધશે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માગને અનુલક્ષીને આયુર્વેદમાં વિવિધ અભ્યાસક્રમો ઘડી કાઢવામાં મદદ મળશે.
તેમણે જણાવ્યું હતું કે આનાથી ઇન્સ્ટિટયૂટને આયુર્વેદમાં ત્રીજી પંક્તિની સારસંભાળ વિકસિત કરવામાં મદદ મળશે.

ભારતમાં જાહેર આરોગ્યનું ધ્યાન રાખતી આયુષ્ય પદ્ધતિઓની વધતી ભૂમિકાને જોતાં આ દરજ્જો આપવાથી જાહેર આરોગ્યમાં આયુર્વેદનું મહત્ત્વ વધશે. આયુર્વેદ ચિકિત્સાને મજબૂત બનાવવાથી આરોગ્ય પરનો સરકારી ખર્ચ ઘટશે. કારણ કે આયુર્વેદમાં રોગને અટકાવવાની અને સાજા કરવાની ક્ષમતા હોવાથી તેમાં ઓછો ખર્ચ લાગશે.

હાલ વિશ્વભરમાં આયુર્વેદના જ્ઞાન અને તેની સેવાની માગ વધતી જાય છે. ભારત આયુર્વેદનું ઉદ્ગમ સ્થાન છે.

January 9, 2020
airways.jpg
1min4920

વિશ્ર્વની સંખ્યાબંધ વિમાની કંપનીઓએ બુધવારે ઈરાન-ઈરાકના આકાશમાંથી પસાર થતા રૂટનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. ભારત, ફ્રાન્સ, અમેરિકા, રશિયા, હોલેન્ડ, જર્મની, પોલેન્ડ, ઑસ્ટ્રેલિયા, વિયેટનામ, જાપાન, હોંગકોંગ સહિતના દેશોએ ઈરાન-ઇરાકની ઍરસ્પેસ પરથી ઉડ્ડયન નહીં કરવાનું બુધવારે જાહેર કર્યું હતું. ઍરફ્રાન્સના એક પ્રવક્તાએ કહ્યું કે, ‘હવાઈ હુમલાના સમાચાર પછી સાવચેતીના પગલાં તરીકે ઍરફ્રાન્સે ઈરાન, ઈરાક રૂટ પરથી જતી તમામ ફ્લાઈટસ રદ કરવાનો નિર્ણય

કર્યો છે. યુએસ ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશને ઈરાક, ઈરાન, ગલ્ફ ક્ષેત્રની ઍરસ્પેસ પરથી અમેરિકાની વિમાની કંપનીઓની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાની ફેડરલ ઍર ટ્રાન્સપોર્ટ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસની સલામતી સામેના જોખમને ધ્યાનમાં લઈ ઈરાન, ઈરાક, પર્શિયન ગલ્ફ, ઓમાન ગલ્ફની ઍરસ્પેસમાંથી ઉડ્ડયન નહીં કરવાની વિમાની કંપનીઓને ભલામણ કરવામાં આવે છે.

આ ક્ષેત્રની ઍરસ્પેસ યુરોપ અને એશિયા વચ્ચેની ફ્લાઈટસ માટે મહત્ત્વનું કોરિડોર છે. કેએલએમ, લુફથાન્સા, પોલેન્ડની એલઓટી ઍરલાઈને, ઑસ્ટ્રેલિયાની ક્વાન્ટસે, સિંગાપોર ઍરલાઈન્સ, મલયેશિયા ઍરલાઈન્સે, વિયેટનામ ઍરલાઈન્સે, જાપાનની એએનએ અને જેએએલ ઍરલાઈન્સે, હોંગકોંગની કેથેપ પેસિફિક ઍરલાઈન્સે પણ આવો જ નિર્ણય કર્યો હતો.

January 8, 2020
teed-1280x720.jpg
1min5450

ઉત્તર ગુજરાતના ખેડૂતોને તીડના ત્રાસમાંથી ગયા અઠવાડિયે મુક્તિ મળી ગઇ છે. જોકે ખેતીને વ્યાપક નુક્સાન તીડ પહોંચાડી ગયા છે ત્યારે સરકારે સહાયની જાહેરાત કરી છે. કૃષિ મંત્રી આર.સી ફળદુએ કહ્યું હતુ કે, તીડને લીધે 25,222 હેક્ટર વિસ્તારમાં ખેતીને નુકસાન થયું છે. તે માટે રુ. 31.5 કરોડની સહાય કરવામાં આવશે.

ફળદુએ જણાવ્યું હતું કે, તીડથી જે પાક ને 33%થી વધુ નુકસાન થયું છે તે વિસ્તાર માટે હવે જલ્દી સહાયની  જાહેરાત કરવામાં કરશે. થરાદ, વાવ, સુઈગામ અસરગ્રસ્ત વિસ્તાર જાહેર થયો હતો. ત્યાં નુક્સાની પણ વધુ થઇ છે.

બહુ મોટી સંખ્યામાં તીડોના ઝુંડ રાજસ્થાન અને પાકિસ્તાન તરફથી આવતાં હતા અને આ વખતે તીડનું આક્રમણ વિશેષ રહ્યું એમ ઉમેર્યું હતુ. કૃષિ વિભાગના અધિકારીઓએ નુકસાનનો સર્વે પણ કર્યો હતો. બનાસકાંઠા ના 13 અને પાટણના 2 એમ કુલ મળીને 15 તાલુકામાં નુકસાન થયું હતું, તેમણે જણાવ્યું હતું કે “15 તાલુકાના 285 ગામોના ખેડૂતોને પ્રતિ હેક્ટર રુ.18500ની મદદ કરવામાં આવશે.

બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે. કુલ 25,222 હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે તેને રુ.31.5 કરોડ ની સહાય કરવામાં આવશે..11 હજાર ખેડુતોને સહાયતા મળશે પરંતુ તેના માટે ખેડૂતોને અરજી કરવી પડશે.

બનાસકાંઠા, સાબરકાંઠામાં તીડના કરોડોના ટોળાએ આંતક મચાવ્યો હતો અને 6 હજાર હેક્ટર ઉભો પાક સાફ કરી નાખ્યો હતો. કરોડો તીડના ઝુંડ ધામા નાખીને બેઠા હતા અને ખેતીને મોટું નુકસાન કરી નાખ્યું હતું. આ પરિસ્થિતિમાં સરકારે દાવો કર્યો છે કે હવે તીડના ઝુંડ બલુચિસ્તાન તરફ વળી ગયા છે.

એક અંદાજ મુજબ જે તે સમયે બનાસકાંઠા, સાબરકાંઠામાં જે તીડ છે તેની સંખ્યા 3 કરોડથી લઈને 10 કરોડ સુધીની હતી. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે મોટા ઝુંડોને દવાનો છંટકાવ કરીને મારી નાખવામાં સરકારને સફળતા મળી છે.
એક ચોરસ કીલોમીટરમાં દશ કરોડ જેટલા તીડ હોય શકે છે. પંથકમાં દશ થી પંદર કરોડ તીડ હોવાનું અનુમાન હતું. તીડનું એક ટોળું ગણતરીની પળમાં 300 ટન લીલોતરી ખાઈ જાય છે.

January 8, 2020
jkhighway.jpg
1min5690

ભૂસ્ખલન અને બરફવર્ષાને લીધે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સતત બીજા દિવસે પણ બંધ રહ્યો હતો અને જમ્મુના કત્રામાં આવેલા વૈષ્ણોદેવીમાં નવેસરથી બરફવર્ષા થવાને કારણે હૅલિકૉપ્ટર સેવા સ્થગિત કરવી પડી હોવાના સમાચાર મળ્યા હતા.

કાશ્મીરનું પ્રવેશદ્વાર ગણાતી જવાહર ટનલ સહિત જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળે બરફવર્ષા અને રામબન જિલ્લામાં પંથિયાલ-રામસુ વિસ્તારમાં એ સાથે ભૂસ્ખલનના બનાવો નોંધાયા હતા.

ભૂસ્ખલનને લીધે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સાફ કરવાના કામમાં અડચણ ઊભી થઇ હતી. સોમવારે સાંજે થયેલા ભૂસ્ખલનને લીધે વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હોવાથી રામબન અને બનિહાલ વચ્ચે ૬૦૦થી વાહનો અટવાયા હતા.

જવાહર ટનલ વિસ્તારમાં સોમવારથી આઠ ઇંચ બરફ પડયો હતો. દરમિયાન, પંથિયાલ, ડિગડોલે, મારુગ અને મોમપાસી વિસ્તારમાં હાઇવે પર પહાડ પરથી સતત પથ્થરો પડતા રહ્યા હતા.

પ્રશાસનના જણાવ્યા અનુસાર હાઇવે પર વાહનવ્યવહાર શરૂ કરવાનો બધો આધાર હવામાન પર છે. હવામાન સુધરશે અને બરફવર્ષા તથા ભૂસ્ખલન બંધ થશે ત્યારે જ રસ્તો સાફ કરી શકાશે.

દરમિયાન, ખરાબ હવામાન અને બરફવર્ષાને લીધે વૈષ્ણોદેવીના દર્શને જવા માટે હૅલિકૉપ્ટર સેવા સ્થગિત કરવામાં આવી હતી.જોકે, પગપાળા જનાર ભક્તોની શ્રદ્ધામાં એથી ઓટ આવી નહોતી અને અંદાજે ૫૨૦૦ યાત્રાળુ માતાજીના દર્શન પહોંચ્યા હતા.

January 7, 2020
strike.jpg
2min9390

વિવિધ ટ્રેડ યુનિયને આજરોજ તા.8મી જાન્યુઆરી 2020ને બુધવારે ભારત બંધના એલાનનો વહેલી સવારથી અમલ શરૂ કરી દીધો છે જેને લઇને સમગ્ર ભારતમાં પબ્લિક સેક્ટર બૅંકિંગ અને ટ્રાન્સપોર્ટ સહિત અનેક સેવા ખોરવાય હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે. સરકારની લોકવિરોધી નીતિઓના વિરોધમાં જાહેર કરવામાં આવેલી હડતાળમાં અંદાજે પચીસ કરોડ લોકો જોડાય રહ્યા છે. જેમ જેમ વર્કિંગ આવર્સ આગળ વધી રહ્યા છે તેમતેમ હડતાળની અસરો સામે આવી રહી છે. આ સવારે 9 કલાકે લખાઇ રહ્યું હતું.

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દસ ટોચના ટ્રેડ યુનિયનો, અન્ય ક્ષેત્રની સ્વતંત્ર સંસ્થાઓ અને અસોશિયેશને મળીને ૦૮ જાન્યુઆરી, ૨૦૨૦ના દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવાનું નક્કી કર્યું હતું.

આજે બુધવારની હડતાળ અને પોતાની સેવા પર એની આડઅસર વિશે અનેક બૅંકોએ શૅરબજારને જાણ કરી દીધી છે, આમ છતાં શેરબજાર પર પણ આજની હડતાળની અસર વર્તાય રહી છે.

એઆઇબીઇએ, એઆઇબીઓએ, બીઇએફઆઇ, આઇએનબીઇએફ, આઇબીઓસી અને બીકેએસએમ સહિત બૅંક કર્મચારી અને અધિકારીઓની અનેક સંસ્થાએ હડતાળમાં જોડાય રહ્યા છે.

ડિપોઝિટ અને વિડ્રોઅલ, ચૅક ક્લિયરીંગ જેવી અનેક સેવાઓ પર હડતાળની અસર પડવાની શક્યતા છે. જોકે, ખાનગી ક્ષેત્રની બૅંકોનું કામકાજ યથાપ્રમાણે ચાલતું રહશે.

દરમિયાન, કેન્દ્ર સરકારે મંત્રાલયો, જાહેર ક્ષેત્રના વિભાગો, સંસ્થાઓ, કંપનીઓ અને બૅંકોને પોતાના કર્મચારીઓને હડતાળમાં ભાગ ન લે એ માટે પ્રેરવાનો અને કામકાજ સરળતાથી ચાલે એ માટે યોજના તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો.

સરકારી મૅમોરેન્ડમમાં જણાવ્યા અનુસાર વિરોધ દર્શાવીને કે અન્ય કોઇપણ રીતે હડતાળમાં જોડાનાર કોઇપણ કર્મચારી સામે પગાર કાપવાથી માંડીને જરૂરી સખત અનુસાશનાત્મક પગલાં લેવામાં આવશે.

હડતાળની અસર અનેક રાજ્યોમાં પડવાની છે. પશ્ર્ચિમ બંગાળમાં ડાબેરી અને અન્ય પક્ષોના ટ્રેડ યુનિયનોએ કેન્દ્રમાં ભાજપ સરકારની આર્થિક નીતિઓના વિરોધમાં હડતાળમાં ભાગ લેવાની જાહેરાત કરી છે.

દરમિયાન, કેરળમાં ટ્રેડ યુનિયનોએ રાજ્યના પર્યટન સેક્ટરને હડતાળમાંથી બાકાત રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

આ આંદોલનને શિવસેના, કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, ડાબેરી પક્ષો, શેતકરી કામગાર પક્ષ જેવા રાજકીય પક્ષે પોતાનો ટેકો જાહેર કર્યો છે.

આ સાથે ૬૦ વિદ્યાર્થી જૂથોએ પણ હડતાળમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો છે.

બુધવારે 8 જાન્યુઆરી દેશમાં હડતાળ : ૨૫ કરોડ લોકો રસ્તા પર ઉતરશે

સરકારની લોકો વિરોધી યોજનાનો વિરોધ કરવા માટે દસ કેન્દ્રવર્તી ટ્રેડ યુનિયને આઠ જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની હાકલ કરી છે. આ હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાવાની અપેક્ષા છે, એમ તેમણે માહિતી આપી હતી. આઇએનટીયુસી, એઆઇટીયુસી, એચએમએસ, સીઆઇટીયુ, એઆઇયુટીયુસી, ટીયુસીસી, એસઇડબલ્યુએ, એઆઇસીસીટીયુ, એલપીએફ, યુટીયુસી અને વિવિધ શ્રેત્રના સ્વતંત્ર ફેડરેશન અને એસોસિયેશનો આ દેશવ્યાપી હડતાળમાં ભાગ લેશે.

‘અમને આશા છે કે ૮ જાન્યુઆરી, ૨૦૨૦ની આ દેશવ્યાપી હડતાળમાં ૨૫ કરોડ લોકો જોડાશે અને કામગાર-વિરોધી, લોકો-વિરોધી અને રાષ્ટ્રવિરોધી સરકારી નીતિઓને બદલવાની માગણી કરશે.

બીજી જાન્યુઆરીના રોજ કામદારોની મીટિંગમાં કામદારોની માગણી પૂરી કરવામાં શ્રમ મંત્રાલય નિષ્ફળ ગયું છે. સરકારી નીતિઓ અને તેમની કામગીરી જોતા જાણ થાય છે કે તેઓ શ્રમિકોની અવગણના કરી રહ્યા છે,’ એમ ૧૦ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના આશરે ૬૦ સંગઠન અને કેટલીક યુનિવર્સિટીના ચૂંટાયેલા પદાધિકારીઓએ પણ ફી વધારા અને શિક્ષણના વેપારીકરણનો વિરોધ દર્શાવવા આ હડતાળમાં જોડાવાનું નક્કી કર્યું છે.

ટ્રેડ યુનિયનોએ જેએનયુની હિંસા વખોડી કાઢી હતી અને દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે એક્તા જાહેર કરી હતી.

જુલાઇ, ૨૦૧૫થી એક પણ ઇન્ડિયન લેબર કોન્ફરન્સ ભરવામાં નહીં આવી હોવા સામે, પીએસયુના ખાનગીકરણ સામે અને લેબર લૉના કોડિફિકેશન સામે પણ યુનિયનોએ નારાજગી જાહેર કરી હતી.

‘૧૨ ઍરપોર્ટ ખાનગી પાર્ટીને વેચવામાં આવ્યા હતા. ઍર ઇન્ડિયાનું ૧૦૦ ટકા વેચાણ નક્કી થઇ ગયું છે. બીપીસીએલને વેચવાનો નિર્ણય લેવાઇ ગયો છે. બીએસએનએલ-એમટીએનએલના મર્જરની જાહેરાત કરવામાં આવી છે અને વીઆરએસના નામે ૯૩,૬૦૦ લોકોને નોકરીમાંથી રુખસદ આપવામાં આવી છે,’ એમ તેમણે જણાવ્યું હતું.