મુંબઈની હાઇ-સિક્યુરિટીવાળી આર્થર રોડ જેલમાં ૭૭ કેદી તથા જેલના કર્મચારીઓ સહિત ૧૦૩ જણની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી હોવાનું મેડિકલ રિપોર્ટમાં જણાયું હતું.

જેલના જે કેદીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તેમને નજીકની હોસ્પિટલોમાં પાઠવાયા હોવાનું અધિકારીએ કહ્યું હતું.કોરોના વાઇરસને કારણે આર્થર રોડ જેલ સહિત આઠ જેલને આઇસોલેટેડ કરવામાં આવી હતી અને લોકડાઉન દરમિયાન જેલના સ્ટાફ સહિત અંદરની કોઇ પણ વ્યક્તિને જેલની બહાર નહીં જવા દેવાનો તથા નવી વ્યક્તિને જેલમાં પ્રવેશવા ન દેવાનો આદેશ અપાયો હતો.
જોકે તકેદારી રાખવામાં આવી હોવા છતાં આર્થર રોડ જેલના કેદીઓ અહીંના રસોઇયાના સંપર્કમાં આવ્યા હતા અને તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો, એવું કહેવાય છે. મુંબઈ મહાનગરપાલિકાની મદદથી આ તમામ કેદીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવશે.















