નવા ત્રણ કૃષિ કાયદાઓ સામેનો વિરોધ વધુ ઉગ્ર બનાવતા આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ ૧૮ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યાથી ચાર વાગ્યા સુધી એમ ચાર કલાકના રાષ્ટ્રવ્યાપી ‘રેલરોકો’ આંદોલનની બુધવારે જાહેરાત કરી હતી. ૧૨ ફેબ્રુઆરીથી રાજસ્થાનમાં ટોલ વસૂલી થવા દેવામાં નહીં આવે એવી જાહેરાત આંદોલનની આગેવાની કરી રહેલા સમયુક્ત કિસાન મોરચાએ કરી હતી.
વર્ષ ૨૦૧૯ના પુલવામા ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં ૧૪મીએ કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે તેવું કિસાન મોરચાએ કહ્યું હતું.
દરમિયાન, બીકેયુના નેતા રાકેશ ટિકૈતે બુધવારે ભારપૂર્વક કહ્યું હતું કે આંદોલન કરી રહેલા ખેડૂતોનો આશય કેન્દ્રમાં સરકાર બદલવાનો નથી, પરંતુ સમસ્યાનો ઉકેલ મેળવવાનો છે. આંદોલનને વેગ આપવા અને વધુ વ્યાપક બનાવવા અમારા અનેક નેતાઓ દેશના વિવિધ ભાગમાં જશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જ્યાં સુધી અમારી વાત નહીં માને ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. અમે સત્તામાં પરિવર્તન નથી ઈચ્છતા.
સરકારે તેનું કામ કરવું જોઈએ. અમે માત્ર નવા ત્રણ કૃષિ કાયદા રદ કરવામાં આવે અને એમએસપી અંગે કાયદો લાવવામાં આવે એટલું જ ઈચ્છીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.
નવા વિવાદાસ્પદ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો વચ્ચેની એકતા યથાવત હોવાનું જણાવી તેમણે સરકારને કોઈપણપ્રકારના ભ્રમમાં ન રહેવાની ચેતવણી આપી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચમોલી-ઉત્તરાખંડમાં હિમશિલા તૂટી પડવાથી અને એને કારણે ઋષિગંગા નદીમાં અચાનક આવેલા પૂરથી ઉદ્ભવેલી સ્થિતિ અંગે આજે રાજ્યસભામાં વકતવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની સાથે મળીને રાહત અને બચાવ કાર્ય કરી રહી છે અને જે પણ સહાયની જરૂર હશે એ ઉપલબ્ધ કરવામાં આવશે.
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સહિત જમ્મુ કાશ્મીરના ચાર નિવૃત્ત થનારા સંસદસભ્યોના ભાષણ બાદ ગૃહ પ્રધાને આજે સદનમાં વકતવ્ય આપ્યું હતું અને જણાવ્યું હતું કે ઋષિગંગા નદીમાં અચાનક આવેલા પૂરને લીધે એક સુરંગમાં ફસાયેલા એનટીપીસીની નિર્માણાધીન પરિયોજનાના લગભગ પચીસથી 35 કર્મચારીઓને બહાર કાઢવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અન્ય એક સુરંગમાં ફસાયેલા પંદર જણને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે ચમોલી જિલ્લામાં અલકનંદાની એક સહાયક નદી ઋષિગંગાના ઉપરી વિસ્તારમાં હિમશિલા તૂટવાથી નદીનું જળસ્તર એકાએક વધી ગયું હતું. પૂરને કારણે 13.2 મેગાવૉટ ક્ષમતાની એક જળવિદ્યુત પરિયોજના સંપૂણપણે નષ્ટ થઈ ગઈ છે. ઉપરાંત તપોવનમાં 520 મેગાવૉટ ક્ષમતાની એનટીપીસીની નિર્માણાધીન જળવિદ્યુત પરિયોજનાને પણ મોટું નુકસાન થયું છે.
તેમણે જણાવ્યું હતું કે હવે નીચેના વિસ્તારોમાં પૂરનું કોઈ જોખમ નથી. જળસ્તર પણ ઘટી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્યની તમામ એજન્સીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે. સેટેલાઈટથી મળેલી માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે સમુદ્રથી લગભગ 5,600 મીટર ઊંચાઈએ હિમનદીના મુખ પાસેની હિમશિલા તૂટી પડી હતી. એ લગભગ 14 ચોરસ કિલોમીટર જેટલી મોટી હતી. એને કારણે ઋષિગંગાના નીચેના વિસ્તારોમાં અચાનક પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી. ઉત્તરાખંડ સરકાર પાસેથી મળેલી માહિતીના આધારે તેમણે જણાવ્યું હતું કે સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વીસ લોકો મૃત્યુ પામ્યા છે અને છ જણ ઈજાગ્રસ્ત થયા છે.
29 મૃતદેહ મળ્યા, 170 લોકો હજી પણ લાપતા નવી દિલ્હી, તા.9: ઉત્તરાખંડનાં ગ્લેશિયર ફાટતા સર્જાયેલા જળપ્રલય પછી અત્યાર સુધીમાં બચાવ-રાહત કાર્યમાં 29 લોકોનાં મૃતદેહો મળી આવ્યા છે. હજી પણ 170 જેટલા લોકો લાપત્તા છે. તપોવનની સુરંગમાં પણ હજી 3પ લોકો ફસાયેલા છે અને તેમને ઉગારવા માટે યુદ્ધનાં ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે.
એનડીઆરએફ, સેના અને એસડીઆરએફનું સંયુક્ત બચાવ અભિયાન જારી છે. હવે અહીં વિશિષ્ટ મરીન કમાન્ડોની મદદ પણ લેવામાં આવી રહી છે. ઉત્તરાખંડનાં ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે સોમવારની રાત સુધીમાં 26 મૃતદેહો મળી આવેલા અને 171 લોકોનો હજી કોઈ પત્તો લાગ્યો નથી. કાંપ અને કાદવમાં દબાઈ ગયેલી ટનલમાં બચાવદળ વધુ આગળ પહોંચ્યું છે પણ હજી ટનલની સંપૂર્ણ ખોલી શકાઈ નથી. આખી રાત તપોવનની ટનલમાં બચાવ ટુકડીનાં જવાનોએ મહેનત કરી હતી અને કાટમાળ હટાવવાનાં પ્રયાસો જારી છે.’
ફક્ત જીત નહીં, કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ કરીને એક નવો રેકોર્ડ બનાવો : પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ
આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજથી ઝંઝાવતી પ્રચારની શુભ શરૂઆત કરાવતા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે સુરત ખાતે ઉતરાણ અને સરથાણા ખાતે બે જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતુ.
ઉતરાણ અને સરથાણા ખાતે યોજાયેલી જાહેર સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મતદાતાઓ કાર્યકર્તાઓ ને સંબોધન કરતાં આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખૂબ જ શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. 9050 બેઠકો માટે આશરે બે લાખ કરતાં વધુ કાર્યકર્તાઓએ ટિકિટની માગણી કરી હતી. ટિકિટની ફાળવણી ખૂબ જ મુશ્કેલ હતી પરંતુ સુમેળભર્યા વાતાવરણમાં ટિકિટની ફાળવણી થઈ સૌ કાર્યકર્તાઓએ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો.
ભાજપમાં કાંકરીચાળો સુદ્ધા નથી થયો જ્યારે સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવારોની હાર નિશ્ચિત હોવા છતાં પણ ટિકિટની વહેંચણી બાદ કોંગ્રેસમાં તોડફોડ થઈ, ધમાલ થઈ, કોંગ્રેસ કાર્યાલયોને તાળા મારી દેવાની શરમજનક ઘટના સામે આવી. આ ફરક છે ભાજપા અને કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં. ભાજપાનો શિસ્તબદ્ધ કાર્યકતા જ ભાજપાની સાચી મૂડી છે.
જીત નિશ્ચિત છે પરંતુ જીત ભવ્ય કઈ રીતે બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે જણાવ્યુંકે સો ટકા બેઠકો જીતવામાં આપણે બબ્બે વખત રેકોર્ડ નોંધાવ્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 99 માંથી 98 બેઠકો જીતવાનો પણ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરનો રેકોર્ડ છે. પરંતુ હવે જીત નહીં પરંતુ કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ કરીને સુરત ભાજપના કાર્યકર્તાઓએ એક નવો રેકોર્ડ બનાવવો જોઇએ. હવે ફક્ત જીતથી સંતોષ માનવાનો નથી પરંતુ કોંગ્રેસના ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ કરીને જીતને ભવ્ય બનાવવી જોઈએ. પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો સ્વીકાર કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલે જણાવ્યું કે ઘણા બધા કાર્યકર્તાઓ સક્ષમ અને અનુભવી હોવાં છતાંય ટિકિટ ફાળવવાની મર્યાદાના કારણે જ સક્ષમ હોવા છતાં પણ ઘણાં ઉમેદવારોની ટિકિટની ફાળવણી કરી શકાઇ નથી તે બદલ હું તમામ કાર્યકર્તાઓને માફી માગું છું.
સુરતના વિકાસ અંગે અભિપ્રાય વ્યક્ત કરતા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલે જણાવ્યુંકે, સુરતનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના સુશાસન અને સુરત શહેરની જનતાને આભારી છે ત્યારે સુરતના વધુ વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી અનિવાર્ય છે. આથી આગામી ૨૧મી ફેબ્રુઆરી ના રોજ યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે સુરત શહેરની જનતાને ખાસ અનુરોધ કર્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપાનું સૂત્ર ગૂંજી ઉઠશે
તા.21મીએ ગુજરાતની મહાનગરપાલિકાઓમાં અને તા.28મીએ ગ્રામીણ વિસ્તારોમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યન ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ ભાજપાએ પોતનું સત્તાવાર સૂત્ર લોંચ કરી દીધું છે.
‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડિખમ’. ભાજપાનું આ સૂત્રો હવે પછીના 20 દિવસ ગુજરાતભરમાં ગૂંજી ઉઠશે. સૂત્રની સાથે સાથે ગુજરાત ભાજપા પ્રમુખ શ્રી સી.આર. પાટીલે ભાજપાનું ચૂંટણીલક્ષી સોંગ પણ લોંચ કરી દીધું છે.
ચૂંટણી અભિયાન માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના મતદારોને રિઝવવા માટે 40 શોર્ટ ફિલ્મો, 20 એડ ફિલ્મો, 19 જીઆઈએફ અને 22 અલગ-અલગ હોર્ડિંગ્સ પણ તૈયાર કરાવીને સોશ્યલ મિડીયાના માધ્યમથી મતદારો સુધી પહોંચવાનો ઘનિષ્ઠ પ્રયાસ આદરી દીધો છે.
ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આ પ્રસંગે મિડીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે ભાજપના ઘણા મુદ્દાઓનો વિરોધ કર્યો હતો પરંતુ બાદમાં તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા યોજના, રામ મંદિર અને અન્ય મુદ્દાઓમાં સાથે આવી હતી. આ તમામ નિર્ણયો દેશવાસીઓના હિતમાં છે. આગામી ચૂંટણીમાં અમે સ્લોગન, એન્થમ અને હોર્ડિંગ્સ દ્વારા તમામ લોકોને આ નિર્ણયોની ઝાંખી કરાવીશું.
26 જાન્યુઆરીએ કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે, ચક્કાજામની જાહેરાતને પગલે બપોરે 12થી 3 દરમિયાન સાવચેતીના ભાગરૂપે દિલ્હી મેટ્રોના ઘણા સ્ટેશનોના દરવાજા બંધ કરાવી દીધી હતી.
દિલ્હી મેટ્રો રેલ નિગમ (ડીએમઆરસી) પહેલાથી જ એલર્ટ પર હતું. શનિવારે દિલ્હી પોલીસને હાઈએલર્ટ પર રહેવાની સૂચના મળી હતી, પણ ખેડૂતોની સામે તેઓ લાચારી અનુભવતા જોવા મળ્યા હતા.
ઉત્તર ભારતના અનેક શહેરોમાં ખેડૂતોના ચક્કાજામના કાર્યક્રમોને પગલે સામાન્ય જનજીવન ખોરવાય ગયું હતું જોકે, 26મી જાન્યુઆરીની ઘટનાઓ બાદ બોધપાઠ લઇને ખેડૂત અને પોલીસ બન્નેએ સંયમપૂર્વક વર્તીને મોટી અવ્યવસ્થા સર્જવાથી બચ્યા હતા.
દિલ્હીની સુરક્ષામાં 50 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. જેમાં બોર્ડર સહિત વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં દિલ્હી પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ અને અર્ધ સૈનિક દળના જવાનો શામેલ છે. આઇટીબીપી, સીઆરપીએફ અને એઆઈએફને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ સોંપવામાં આવશે. કટોકટીની સ્થિતિમાં ખાસ સેલની SWAT ટીમ અને એનએસજીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહ્યા છે.
Gujarat રાજ્યની 6 મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને જૂનાગઢ મહાનગરની બે બેઠક (પેટા ચૂંટણી)ની ૨૧ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીમાં કુલ ૧,૧૪,૯૯,૬૦૭ મતદાર મતદાન કરીને નક્કી કરશે કે રાજ્યના મહાનગરો પર ભાજપ રાજ કરશે, કોંગ્રેસનું શાસન આવશે કે પછી આપ મેદાન મારી જશે.
આમ તો ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપાના મજબૂત ગઢ મનાય છે. ભાજપના ગઢ ગણાતા મહાનગરોમાં કોંગ્રેસ માટે ગાબડું કેવી રીતે પાડવું તે સૌથી મોટો પડકાર છે ત્યારે આ વખતે મહાનગરોની ચૂંટણીમાં કુલ ૫૪,૩૦૫ જેટલા નવયુવાનો જેઓ ૧૮ વર્ષના છે, તે પણ મહત્ત્વનો ભાગ ભજવશે.
કોંગ્રેસે ૨૦૧૫ની ચૂંટણીમાં ભાજપ શાસિત અનેક જિલ્લા પંચાયતો ઉપર કબજો જમાવ્યો હતો, પરંતુ શહેરી વિસ્તારોમાં ભાજપની મજબૂત પક્કડ છે તેમાં કેવી રીતે કોંગ્રેસ સફળતા મેળવે છે તેની ઉપર આ વખતે તમામની નજર છે. રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદમાં ૨૪.૧૪ લાખ પુરુષ અને ૨૨ લાખ મહિલા મતદારો સાથે કુલ ૪૬.૨૪ લાખ મતદારો છે. આટલા વિશાળ સમુદાય સુધી પહોંચીને કેવી રીતે જે ભાજપ સમર્થિત મતદારો છે તેમને કોંગ્રેસ તરફી કરવા તેની કોંગ્રેસના નેતાઓ માટે આકરી કસોટી થશે. ૧૮ વર્ષ ઉપરના પ્રથમ વખત મતદાન કરનારા મતદારોથી લઇને સંખ્યાબંધ મતદારો જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભાજપના કોઇપણ ઉમેદવાર હોય તેને આંખો બંધ કરીને મત આપે છે. તેમને કોંગ્રેસ માટે મતદાન કરવા સમજાવવા તે કોંગ્રેસની થીન્ક ટેન્ક માટે સૌથી કપરી કામગીરી છે. તો ૮૦ વર્ષથી વધુ વયના મતદારો પણ મહાનગરોમાં મોટી સંખ્યામાં છે.
ખેડૂત સંગઠનોએ 6 ફેબ્રુઆરીએ ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે.
દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શન સ્થળો પર સોમવારથી કિલ્લેબંધી શરૂ કરવામાં આવી હતી. પોલીસે સુરક્ષા વધારી દીધી છે અને બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દીધી હતી. દિલ્હી-ઉત્તરપ્રદેશ સરહદ પર ગાઝીપુરમાં પરિવહનને અવરોધવા અનેક સ્તરના બેરિકેડ્સ ગોઠવાયા છે.
દિલ્હી પોલીસ કમિશ્નર એસ એન શ્રીવાસ્તવે સોમવારે ગાઝીપુર સરહદની મુલાકાત લઈ સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ વિસ્તાર ખેડૂત આંદોલનનું કેન્દ્ર બિન્દુ બન્યું છે. અધિકારીઓના મતે દિલ્હી પોલીસ કમિશ્નરે સુરક્ષાકર્મીઓ સાથે વાતચીત કરી અને તેમના આકરા પરિશ્રમની પ્રશંસા પણ કરી હતી.
કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણને પગલે દિલ્હી પોલીસે સરહદ પર લોખંડી બંદોબસ્ત ખડકી દીધો છે. વધારાનો પોલીસ કાફલો ખડકવા ઉપરાંત બેરિકેડ્સની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. દેખાવના સ્થળો પર અને તેની આસપાસના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોને પગપાળા સરહદ ઓળંગતા રોકવા કાંટાવાળા તાર પણ ગોઠવવામાં આવ્યા છે.
આંદોલન સ્થળની નજીકના વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધ, અધિકારીઓ દ્વારા કથિત કનડગત અને અન્ય મુદ્દાઓ વિરુદ્ધ ત્રણ કલાક સુધી રાષ્ટ્રીય તેમજ સ્ટેટ હાઈવેને જામ કરીને દેશના અન્નદાતાઓ વિરોધ નોંધાવશે.
નગરપાલિકા અને પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.
છ મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.
31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાકાળ વચ્ચે ચૂંટણી યોજાવાની હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ તથા પોલીસને ફેસશિલ્ડ, સેનિટાઈજર તથા માસ્ક પૂરા પાડવામાં આવશે.
મતદાન મથકોએ પણ મતદારો માટે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે. કોરોનાનો ચેપ ન ફેલાય તેની તકેદારીના ભાગ રૂપે માસ્ક અને સેનિટાઈઝર જેવી વ્યવસ્થા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો.
આજરોજ તા.16 જાન્યુઆરીને સવારે સાડા દસ કલાકથી ભારતમાં કોરોના કાળ વચ્ચે વેક્સિન અભિયાન શરૂ થયું છે. એન્ટી કોરોના વેક્સિન અભિયાનની વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે સવારે ૧૦.૩૦ વાગ્યાથી વીડિયો લિંક મારફત શરૂ કરાવ્યું હતું.
એન્ટી કોરોના રસી મૂકવાનો કાર્યક્રમ આખા દેશના બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા ૩૦૦૬ કેન્દ્રમાં આજરોજ તા.16મી જાન્યુઆરી 2021થી શરૂ થયો છે. આ દરમિયાન બધા જ કેન્દ્રો વીડિયો લિંક દ્વારા જોડાયેલા રહ્યા હતા. દરેક કેન્દ્રમાં અંદાજે ૧૦૦ જેટલી વ્યક્તિને રસી મૂકવામાં આવી રહી છે.
આજે તા.16મી જાન્યુઆરીના પ્રથમ દિવસે આશરે 3 લાખ સ્વાસ્થ્યકર્મીઓનું રસીકરણ કરાશે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા અનુસાર દેશમાં એક સાથે 3006 સ્થળે રસીકરણ અભિયાન હાથ ધરાય રહ્યું છે.આ અભિયાન લાંબુ ચાલશે અને તબક્કાવાર દેશની મોટાભાગની વસતીને આવરી લેવામાં આવશે. રોજ સવારે 9થી સાંજે પ સુધી રસીકરણ ચાલશે. સરકાર દ્વારા રસીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. 18 વર્ષ અને તેથી ઉપરની ઉંમરનાને જ રસી આપવામાં આવશે.
ભારતે તાજેતરમાં કોરોનાની બે વેક્સિન (કોવિશીલ્ડ, કોવેક્સિન)ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. દેશના વિવિધ શહેરોમાં વેક્સિનનો કુલ 1.6પ કરોડ ડોઝનો જથ્થો પહોંચી ચૂકયો છે. અગાઉ બે ડ્રાય રનનું સફળતાપુર્વક આયોજન કરાઈ ચૂકયુ છે. વડાપ્રધાન દ્વારા શનિવારે કોવિન (કોવિડ વેક્સિન ઈન્ટેલીજન્સ નેટવર્ક) એપ લોન્ચ કરવામાં આવી હતી. જેના દ્વારા અભિયાન પર દેખરેખ રાખવામાં આવશે. સાતેય દિવસ ર4 કલાક કાર્યરત હોટલાઈન 1057નો આરંભ કરવામાં આવ્યો હતો.
રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને આવરી લેવામાં આવશે જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના સ્વાસ્થ્યકર્મીઓ (ડોકટર, નર્સ, ટેકનીશ્યન, લેબ વર્કર્સ, આઈસીડીએસ) અને કોરોના નિયંત્રણની કામગીરી કરી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સ (પોલીસકર્મીઓ, લશ્કરના જવાનો, હોમગાર્ડ, જેલનો સ્ટાફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્વયંસેવકો, સિવિલ ડિફેન્સ સંસ્થાનો, મનપા કર્મીઓ, રેવન્યૂ કર્મીઓ) સામેલ છે. કોરોના રસીકરણ અભિયાનનો ખર્ચ પીએમ કેર્સ ફંડમાંથી ઉઠાવવામાં આવશે.
રસી મૂકવાના કાર્યક્રમનું આયોજન તબક્કાવાર પ્રાથમિકતા ધરાવતા જૂથના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી મૂકવામાં આવશે.
વર્ધને જણાવ્યું હતું કે ભારતનો પોતાના નાગરિકોને કોરોનાની રસી મૂકવાનો કાર્યક્રમ આખા વિશ્ર્વમાં આ પ્રકારનો સૌથી મોટો કાર્યક્રમ હશે. કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને પ્રકારની રસી સુરક્ષિત છે.
ક્ધટ્રોલરૂમની મુલાકાત દરમિયાન એમણે સ્વાસ્થ્ય મંત્રાલયે ડેવલપ કરેલી કો-વિન (ઑનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ) પ્રણાલીનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ પ્રણાલી દ્વારા તુરંત જ રસીનો સ્ટોક, સ્ટોરેજનું તાપમાન અને વ્યક્તિગત રીતે રસી લેનારની માહિતી મેળવી શકાશે.
આ પ્રણાલી રાષ્ટ્રીય સ્તરે આ કામ માટે નીમાયેલા ખાસ મેનેજરોને રસીની પ્રક્રિયા દરમિયાન મદદ કરશે. તેઓ મેનેજરોને લાભકર્તાએ રસી મુકાવી કે નહીં, આયોજિત સત્ર અને ખરેખર યોજાયેલા સત્ર, કેટલી વેક્સિન વપરાઇ વગેરે માહિતી આપશે.
કેન્દ્ર સરકારે ખરીદેલો ૧.૬૫ કરોડ વેક્સિનનો જથ્થો બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પહેલા તબક્કા માટે મોકલી દેવાયો છે. બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પંદર દિવસમાં વધુમાં વધુ ૧૦ દિવસ કોવિડ-૧૯ના રસીકરણ માટે વાપરવાની સલાહ આપવામાં આવી છે.
સરકારે જણાવ્યા અનુસાર સૌ પ્રથમ અંદાજે એક કરોડ સ્વાસ્થ્યકર્મીઓને, ત્યાર બાદ અંદાજે બે કરોડ ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને ત્યાર બાદ પચાસ વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી મૂકવામાં આવશે. છેવટે પચાસ વર્ષથી ઓછી વયના લોકોને આ રસી મૂકવામાં આવશે.
સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓની રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.
ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને પોતાના અંદાજે ૩.૫ લાખ સભ્યને કોરોના સામેની રસી સ્વૈચ્છિક રીતે લેવા હાકલ કરી હતી કે જેથી વિશ્ર્વના અન્ય લોકો જોઇ શકે કે ભારતની આ બન્ને રસી સલામત અને અસરકારક છે.દેશના ડૉક્ટરોના સંગઠન ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને રસીને લગતા વિજ્ઞાની ડેટા, નિષ્ણાતોની
સમિતિના અહેવાલની વ્યાપક સમીક્ષા કરીને અને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મૅડિકલ રિસર્ચ તેમ જ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશન)ના નિષ્ણાતોની સાથે ચર્ચાવિચારણા કર્યા બાદ પોતાના આશરે ૩.૫ લાખ સભ્યને દેશની સરકારે બહાર પાડેલી કોવિડ-૧૯ સામેની બે રસી લેવા હાકલ કરી હતી.
ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને જણાવ્યું હતું કે અમે ભારતની આ બન્ને રસી સલામત અને અસરકારક હોવાનું વિશ્ર્વને બતાવી આપવા માટે ૧,૮૦૦ સ્થાનિક શાખા ખાતે સ્વૈચ્છિક રીતે રસી લેવા આગળ આવવા અમારા સભ્યોને અનુરોધ કર્યો છે.
ઇન્ડિયન મૅડિકલ એસૉસિયેશને બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય વિજ્ઞાનીઓ, દેશમાંના અત્યાધુનિક દવાના નિષ્ણાતો અને ભારત સરકારે આ બે રસી બહાર પાડવા માટે કરેલું કાર્ય પ્રશંસાપાત્ર છે. આ બન્ને રસી દેશની પરિસ્થિતિ અને વાતાવરણને ધ્યાનમાં રાખીને સાચવવી અને વાપરવી સરળ છે.
તેણે જણાવ્યું હતું કે ભારત અત્યાધુનિક ઔષધના ક્ષેત્રે મહાસત્તા બનવા માટે આગળ વધી રહ્યું છે.
આજે મંગળવાર તા.12મી જાન્યુઆરી 2021ના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્રમાં રહેલી મોદી સરકારને લપડાક આપતા સૂચના આપી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા બીજો આદેશ ના આપવામાં આવે ત્યાં સુધી ત્રણ કૃષિ કાયદાની અમલવારી કરવી નહીં. ત્રણેય કૃષિ કાયદાઓ પર બેમુદતી સ્ટે આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરહદે વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે પડેલી મડાગાંઠને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે કમિટીનું ગઠન કરવા જણાવ્યું છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ એ બોબડેની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, વધુ આદેશ ના અપાય ત્યાં સુધી કૃષિ કાયદાના અમલ પર રોક રહેશે. ખેડૂતોની સમસ્યા માટે સુપ્રીમ કોર્ટની ચાર સભ્યોની કમિટી રચવામાં આવશે.
સુનાવણી ચાલુ રહે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે ખેડૂતોને સહકાર આપવા જણાવ્યું હતું અને કહ્યું હતું કે, કોઈપણ તાકાત તેમને ત્રણ કૃષિ કાયદાને લઈને ચાલી રહેલા ઘમસાણને ઉકેલવા કમિટી રચવાથી રોકી શકે તેમ નથી.
કોર્ટની Modi Governmentને ફટકાર
નવા કૃષિ કાયદાનો વિરોધ કરતી અનેક અરજીઓની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાટાઘાટ જે રીતે આગળ વધી રહી છે, એ નિરાશાજનક છે અને આ મામલે અમે મંગળવારે ચુકાદો જાહેર કરીશું.
સુનાવણી વખતે કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તેઓ એક કમિટી બનાવશે અને જે ખેડૂતો આ કાયદાને ટેકો આપે છે, એમને કમિટી સમક્ષ આવીને આ વાત કહેવા દો. ત્યાં સુધી તમે કૃષિ કાયદાનો અમલ રોકી રાખો.
અમે કોઇપણ કાયદા પર સ્ટે આપવાની તરફેણમાં નથી, પણ એટલું જ કહેવા માગીએ છીએ કે કાયદાનો અમલ હમણાં ન કરો. કૃષિ કાયદા પર સ્ટે તમે આપશો કે અમે પગલું ભરીએ?
ચીફ જસ્ટિસ બોબડે અને જસ્ટિસ એસ. એસ. બોપન્ના તથા વી. રામાસુબ્રમનિયનની ખંડપીઠે જણાવ્યું હતું કે કેટલાક લોકોએ આત્મહત્યા કરી છે, વૃદ્ધો અને મહિલાઓ આંદોલનમાં જોડાયા છે. આ શું ચાલી રહ્યું છે? આ કાયદા સારા હોવાની વાત કરતી હોય એવી એકપણ અરજી અમારી સમક્ષ આવી નથી.
કૃષિ કાયદાના થઇ રહેલા વિરોધનો ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ આર. એમ. લોઢાની આગેવાનીમાં કમિટી બનાવવાનો પ્રસ્તાવ કર્યો હતો.
ખંડપીઠે જણાવ્યું હતું કે તેઓ પોતાનો આદેશ તબક્કાવાર રીતે જાહેર કરશે.
સરકાર અને ખેડૂતો વચ્ચેની આઠમી વાટાઘાટ નિષ્ફળ ગઇ હતી અને હવે ૧૫મી જાન્યુઆરીએ ફરીથી બંને પક્ષના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાવાની છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.