
પશ્ચિમ બંગળાના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોરોના વેક્સિનને લઇને એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, તેમના રાજ્યમાં લોકોને કોરોનાની વેક્સિન મફ્તમાં આપવામાં આવશે. સરકાર આની માટે તમામ સ્તર પર વ્યવસ્થા કરી રહી છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન આપવામાં આવશે. વેક્સિનેશનના શરૂઆતના તબક્કામાં પહેલાં સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. એક અનુમાન પ્રમાણે, તેમની સંખ્યા લગભગ ત્રણ કરોડ છે.
બંગાળમાં આ વર્ષે યોજાનારી વિભાનસભાની ચૂંટણી પહેલાં મમતાની આ જાહેરાત મહત્વની માનવામાં આવી રહી છે. વેક્સિન મફ્તમાં આપવાના નિર્ણય અંગે મમતા બેનર્જીએ સરકારી આદેશ પણ જાહેર કરી દીધો છે.
મમતા બેનર્જીએ કહ્યું કે, હું આ જાહેરાત કરતાં ખુશી અનુભવું છે કે અમારી સરકાર રાજ્યના તમામ લોકોને વિના મૂલ્યે કોરોનાની વેક્સીનની સુવિધા આપવાની વ્યવસ્થા કરી રહી છે. મમતા બેનર્જી સરકારની આ જાહેરાત પર ભાજપનું કહેવું છે કે મમતા કેન્દ્ર સરકારના કામની ક્રેડિટ લેવાનો પ્રયાસ કરી રહી છે.
ગયા અઠવાડિયે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, ત્રણ કરોડ ફ્રન્ટ લાઇનર્સને આ વેક્સિન મફ્તમાં આપવામાં આવશે. દેશની બાકીની જનતાને વેક્સિન માટે પૈસા ચૂકવવા પડશે કે કેમ, તે અંગે હજુ ચિત્ર સ્પષ્ટ નથી. કહેવાઇ રહ્યું છે કે, રાજ્ય સરકાર નક્કી કરશે કે તેમના લોકોને મફ્તમાં વેક્સિન મળશે કે પૈસા ચૂકવવા પડશે.










