CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 20 of 143 - CIA Live

October 28, 2022
bcci_logo.jpg
1min447

મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લીધો છે.

આજે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા થકી લોકોને જાણકારી આપતા કહ્યુ હતુ કે, અમને જણાવતા ખુશી થઈ રહી છે કે, પુરુષ અને મહિલા ક્રિકેટરો વચ્ચેનો ભેદભાવ દુર થવા જઈ રહ્યો છે.ક્રિકેટ બોર્ડ જે મહિલા ક્રિકેટરો કોન્ટ્રાક્ટમાં સામેલ છે તેમને પુરુષો જેટલુ જ વેતન આપવા જઈ રહ્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, હવે સમાનતાના નવા યુગમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી જ મેચ ફી મળશે.

ઉલ્લેખનીય છે કે, પુરુષોની ટીમને હાલમાં બોર્ડ એક ટેસ્ટ માટે પંદર લાખ રુપિયા અને એક વન ડે માટે 6 લાખ રુપિયા ચુકવે છે.જ્યારે ટી 20 મેચ માટે 3 લાખ રુપિયા ચુકવાય છે.

પુરુષ અને મહિલાને સમાન પૈસા આપવાની શરુઆત સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કરી હતી.

October 18, 2022
cng.png
1min448

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી દિવાળી પહેલાં રાજ્ય સરકારે ગરીબ, શ્રમિક અને મધ્યમવર્ગના પરિવારોને વર્ષમાં એલપીજી ગેસના કુલ બે સિલિન્ડર વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે સીએનજી અને પીએનજીમાં ૧૦ ટકા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ઘટાડવામાં આવ્યો છે. આ બન્ને નિર્ણયમાં કુલ ૧૬૫૦ કરોડની રાહત આપવામાં આવી છે.

રાહતરૂપિયા કરોડમાં
વેટ ઘટાડાથીરૂ. ૧૦૦૦
મફત સિલીન્ડરરૃા. ૬૫૦
CNG ગ્રાહકો૧૪ લાખ પૈકી ૪.૫ રિક્ષાચાલકો
CNG માંકિલો દીઠ રૂ. ૬થી ૭ ઘટશે
PNG માંઘનમીટર દીઠ રૂ. ૫થી ૫.૫૦ ઘટશે
PNG ગ્રાહકો૨૪.૨૧ લાખ

ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને બજેટમાં રાહત થાય તે માટે સરકારે બે મહત્વના નિર્ણય લીધા છે. રાજ્યના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજનામાં વર્ષ દરમ્યાન બે ગેસ સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજનાનો લાભ ૩૮ લાખ પરિવારોને મળશે અને તેના થકી ૬૫૦ કરોડ રૂપિયાની બચત થશે.

રાજ્ય સરકારની એલપીજીપી અને પીએનજી સહાય યોજનાના અંદાજે ૨૦,૦૦૦ જેટલા લાભાર્થીઓ દ્વારા ગેસના સિલિન્ડરની રકમની ચુકવણી કર્યા બાદ રિફિલની પૂરેપૂરી ૧૦૫૦ની રકમ ગ્રાહકમાં બેંક ખાતામાં માત્ર ત્રણ દિવસમાં જમા કરવામાં આવશે.

બીજીતરફ સીએનજી અને પીએનજી ગેસમાં ૧૦ ટકા વેટ ઘટાડવાના કારણે સીએનજી ગેસમાં પ્રતિ કિલો અંદાજે ૬ થી ૭ રૂપિયા તેમજ પીએનજી ગેસમાં પ્રતિ ઘનમીટરે અંદાજે ૫.૦૦ થી ૫.૫૦ રૂપિયાનો ઘટાડો થશે. મંત્રીએ કહ્યું કે આજે ગુજરાતમાં ઘરેલુ ગેસ જોડાણની સંખ્યા ૨૪.૨૧ લાખ તથા સીએનજી સ્ટેશનની સંખ્યા ૮૫૫ છે.

ગુજરાતમાં ૧૪ લાખથી વધુ સીએનજી વાહનધારકો છે જેમાં માલવાહક વાહન, મુસાફર વાહન અને કારચાલકોના વાહનનો સમાવેશ થાય છે. અંદાજે ૪.૫૦ લાખ જેટલા માત્ર સીએનજી રીક્ષાચાલકોનો સમાવેશ થાય છે. પીએનજી અને સીએનજીમાં વેટના દર ઘટાડવાથી ૧૦૦૦ કરોડ રૂપિયાની રાહત થશે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં બદલાવના કારણે નેચરલ ગેસની કિંમતમાં વધારો થયો હોવાથી નાગરિકોને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું ભાન સરકારને થયું છે. હકીકતમાં ચૂંટણી આવતી હોવાથી મોંઘવારીથી બચવા સરકારે આ બન્ને જાહેરાત કરી છે.

October 14, 2022
stc_election.png
1min489

દેશના ચૂંટણી પંચે આજે તા.14મી ઓક્ટોબરને શુક્રવારે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી હોઇ, સમગ્ર ગુજરાતમાં રાજકીય તખ્તે ભારે ચહલપહલ સર્જાવા પામી છે.

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે. તે વિશેની આજે જાણકારી મળી જશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સના એજન્ડા કે જાહેરાત અંગે કોઇ જ જાણકારી આપી નથી.

ગુજરાત અને હિમાચલ પ્રદેશ બન્ને એવા રાજ્યો છે જેની પાંચ વર્ષની ટર્મ ડિસેમ્બર 2022માં પૂર્ણ થઇ રહી છે. ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે. બંને રાજ્યોમાં વર્તમાનમાં ભાજપની સરકાર છે. 

October 8, 2022
airforce.jpg
1min671

ભારતીય વાયુસેના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.  આ દિવસે ગાઝિયાબાદનાં હિંડન વાયુસેના સ્ટેશન ખાતે આ કાર્યક્રમ આયોજિત થાય છે. જેમાં સેનાનાં અધિકારીઓ સહિત ઘણાં દિગ્ગજ લોકો હાજરી આપે છે અને આકાશમાં દમદાર વિમાનોનું પ્રદર્શન થાય છે.

ભારતની હવાઈ સીમાઓનું સંરક્ષણ કરતા આપણા સપુતોને બિરદાવતો દિવસ એટલે નેશનલ એરફોર્સ ડે. 8 ઓક્ટોબરના રોજ નેશનલ એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં તેનું આયોજન કરવામાં આવે છે પણ આ વખતે પહેલીવાર તેનું આયોજન ચંડીગઢ ખાતે કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, અંગ્રેજોના સમયમાં કેવી રીતે ભારતીય વાયુસેનાની શરૂઆત થઈ, કેવી રીતે ભારતીય જવાનો વાયુસેનામાં જોડાયા, રોયલ સર્વિસ હેઠળ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો અને ત્યારબાદ દેશ આઝાદ થતાં ભારતીય વાયુસેનાનું ફરી નિર્માણ કરવામાં આવ્યું તેનો ઈતિહાસ રોચક છે. દેશના દરેક નાગરિકને ગર્વ થાય તેવા ભારતીય વાયુસેનાના ઈતિહાસ અને વર્તમાન ઉપર એક નજર કરીએ.

ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે

1925 દરમિયાન ઈન્ટર વોરની સ્થિતિ ચાલતી હતી. આ દરમિયાન બ્રિટિનને વધારે સારા સૈનિકો અને પાઈલટ્સની જરૂર જણાઈ હતી. તે સમયે જનરલ રસ એન્ડ્રુ સ્કીનના વડપણ હેટળ સિમલા ખાતે એક સમિતિની રચના કરાઈ અને ભારતીય સૈન્યનાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. સમયાંતરે બેઠકો થતી ગઈ અને એરફોર્સમાં ભારતીયોના જોડાણની શક્યતાઓ શોધાવા લાગી. 1927માં સ્કીન કમિટિ દ્વારા ભારતીય કેડેટ્સને ફાઈંગ ઓફિસર તરીકે બ્રિટિશ એરફોર્શમાં જોડવાની ભલામણ કરવામાં આવી. 1928માં આ દિશામ કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારબાદ તબક્કાવાર તાલિમ અને આયોજનો સાથે 8 ઓક્ટોબર 1932માં રોયલ ઈન્ડિયન એરફોર્સ સ્થાપના કરવામાં આવી. પાંચ ભારતીય કેડેટ્સને સૌથી પહેલાં એરફોર્સમાં કમિશન્ડ કરવામાં આવ્યા હતા. હરિશચંદ્ર સિરકર, સુબ્રતો મુખરજી, ભુપેન્દ્રસિંહ, ઐઝાદ બક્ષ અવાન તથા અમરજીતસિંહ એમ પાંચ લોકોને પોસ્ટિંગ અપાયું હતું. ત્યારબાદ જે.એન. ટંડનને છઠ્ઠા ઓફિસર તરીકે લોજિસ્ટિકની ડ્યૂટી સોંપાઈ હતી. સમયાંતરે સુબ્રતો મુખરજી આઈએએફના પહેલાં ચીફ એર સ્ટાફ પણ બન્યા હતા. કરુણ ક્રિષ્ન મજુમદાર જેમને જમ્બો પણ કહેતા હતા તેઓ ભારતના પહેલાં પાઈટલ હતા જેમને ડિસ્ટિંગ્વિશ્ડ ફ્લાઈંગ ક્રોસનો ખિતાબ મળ્યો હતો.

ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં સ્થિત હિંડન વાયુસેના સ્ટેશન એશિયામાં સૌથી મોટું છે. ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવ્યા ત્યારથી તેમનું ધ્યેય વાક્ય ‘नभ: स्पृशं दीप्तम्’  નાં રસ્તે ચાલે છે. જેનો અર્થ થાય છે કે ‘ગર્વ સાથે આકાશને આંબવું’. વાયસેનાનાં આ ધ્યેય વાક્યને ભગવત ગીતાનાં 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાનો રંગ વાદળી, આસમાની વાદળી અને સફેદ છે. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો હોય છે, જે વાયુસેનાના પ્રતીકથી અલગ હોય છે, જેના પહેલા રાષ્ટ્રધ્વજ એક ચતુર્થમાં રહે છે. મધ્યમાં એક વર્તુળ છે જેમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોનો સમાવેશ થાય છે.

October 8, 2022
rainingujarat-1.jpg
2min473

સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો છે. આજે રાજ્યના ૭૩ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગ જિલ્લાના સુબિરમાં બે કલાકમાં સૌથી વધુ ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી ચાર દિવસ વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં આજે ડાંગના સુબિરમાં સાંજે ૪ થી ૬ એમ બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય આજે જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં ખેડાના માતર, સુરતના ઉમરપાડા, આણંદના તારાપુર-પેટલાદ, ખેડાના મહેમદાવાદ-કઠલાલ-મહુધા, નર્મદાના ગરૃડેશ્વર, સાબરકાંઠાના પ્રાંતિજ, ગાંધીનગરના માણસા, પંચમહાલના કલોલ, અરવલ્લીના મેઘરજ, નર્મદાના નાંદોદ, વડોદરાના દેસરનો મુખ્યત્વે સમાવેશ થાય છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ ત્રણ દિવસ વરસાદી માહોલ રહી શકે છે. જેમાં વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે જ્યારે  રાજ્યમાં અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.

ચોમાસું વિદાય લેવાની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યાં જ વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કૃષિ નિષ્ણાતોના મતે કાપણીની અવસ્થામાં હોય તેવા તમામ પાકને આ વરસાદથી ભારે નુકસાનનો સામનો કરવો પડશે. જે પાકને નુકસાન થઇ શકે તેમાં કપાસ, મગફળી, ડાંગર, મકાઇ, બાજરી, તલ, સોયાબિનનો સમાવેશ થાય છે. હજુ વરસાદ પડે અને ખેતરમાં પાણી ભરાયેલા રહે તો પાક કોહવાઇ જાય તેવી પણ ભીતિ સેવાઇ રહી છે. વરસાદથી કપાસ કાળું પડવું-રૃ ખરી પડવું, અન્ય પાકમાં ઉત્પાદન ઘટ-ગુણવત્તા ઘટની સમસ્યા નડે તેવી સંભાવના છે.

દરમિયાન આજે અમદાવાદમાં ૩૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અનેક વિસ્તારમાં સાંજે વરસાદ પડયો હતો.

ગુજરાતમાં શુક્રવારે ક્યાં વધારે વરસાદ?

તાલુકો જિલ્લો  વરસાદ

સુબિર  ડાંગ    ૩.૦૦

માતર  ખેડા    ૨.૨૫

ઉમરપાડા      સુરત   ૨.૦૦

મહેમદાવાદ    ખેડા    ૧.૭૫

કઠલાલ ખેડા    ૧.૫૦

ગરૃડેશ્વર        નર્મદા  ૧.૫૦

પ્રાંતિજ સાબરકાંઠા      ૧.૨૫

માણસા ગાંધીનગર      ૧.૨૫

કલોલ  પંચમહાલ      ૧.૨૫

October 2, 2022
kanpur.jpg
1min501

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટી દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા છે. કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી જતાં 27 લોકોના મોત થયા છે. કોરથા ગામના રહેવાસી શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર ટ્રોલીમાં ફતેહપુરમાં ચંદ્રિકા દેવી મંદિરે ગયા હતા. તેમાં 50 જેટલા શ્રદ્ધાળુઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દર્શન કરીને પરત ફરતી વખતે સાઢ અને ગંભીરપુર ગામ વચ્ચે રસ્તાના કિનારા પર આવેલા તળાવમાં ટ્રોલી પટલી ગઈ હતી જેમાં 27 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઘણા લોકોને ઈજા થઈ છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. જોકે મૃતકોની સંખ્યા હજી વધી શકે છે.

મીડિયા અહેવાલ પ્રમાણે કોરથામાં બાળકનું મુંડન કરાવવા માટે તેના માતા-પિતા સંબંધીઓ સાથે ગયા હતા. પિતા જ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. મુંડન વિધી પૂરી કર્યા બાદ પરત ફરતી વખતે ભદેઉ ગામની સામે પાણી ભરેલા તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ હતી. અડધા કલાક સુધી ટ્રોલી બહાર કાઢી શકાઈ ન હતી. બાળક, માતા અને પિતા ત્રણેયનું પણ મોત થયું હતું. આ સાથે જ સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે ટ્રેક્ટર ચાલક સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતો. જ્યાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ ત્યાં પાણી ભરેલું હતું. જેના કારણે ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર મોટા ભાગના લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગીએ ટ્વિટ કરી હતી કે, જનપદ કાનપુરમાં બનેલી દુર્ઘટના અત્યંત હ્રદયદ્રાવક છે. જિલ્લા અધિકારી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અને યુદ્ધના ધોરણે રાહત કાર્ય અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે મરનારાઓમાં 11 મહિલા અને 11 બાળકો પણ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના અંગે શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ પણ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તોને 50000-50000 રૂપિયાની આપવાની જાહેરાત કરી છે. ઘટનાની જાણ થયા બાદ બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને પીએચસી અને કાનપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

September 30, 2022
vande-bharat.jpeg
2min492

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેમણે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવાની સાથે ગુજરાતને વધુ એક હાઈસ્પિડ ટ્રેનની ભેટ આપી છે.

ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાને ગાંધીનગર-મુંબઈ રૂટ માટેની વંદે ભારત ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આ સુવિધાઓ મળશે

– GSM અથવા GPRS

– ટચ-ફ્રી સ્લાઈડિંગ ડોર

– સીસીટીવી કેમેરા

– પેસેન્જર ઈન્ફોર્મેશન સેન્ટર

– વેક્યૂમ બાયોટોયલેટ્સ

– સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ

– 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર

– વાઈફાઈની સુવિધા

– દિવ્યાંગો માટે વિશેષ ટોયલેટ્સ

KAVACH ટેક્નિકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન

ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેનમાં પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.

આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઈન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઈડ કેમેરા, તમામ કોચમાં ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઈલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો વાપરવામાં આવ્યા છે.

વડાપ્રધાન બપોરે 11:30 કલાકે કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલના પહેલા ફેઝને લીલી ઝંડી આપશે. સાથે જ તેઓ કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં સવારી કરશે. બપોરે 12:00 કલાકે તેઓ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધશે અને સાંજે 5:45 કલાકે અંબાજી પહોંચશે.

અંબાજીમાં તેઓ 7,200 કરોડથી પણ વધુના કામોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. બાદમાં સાંજે 7:00 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરીને સાંજે 7:45 કલાકે ગબ્બર ઉપર મહાઆરતીમાં હાજરી આપશે.

September 25, 2022
5g.jpg
1min599

દેશમાં 5G સર્વિસ 1લી ઓક્ટોબરથી લોંચ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી ઓક્ટોબરના રોજ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવા લોંચ કરશે. મીડિયા અહેવાલો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં એશિયાના સૌથી મોટા ટેકનોલોજી એક્ઝિબિશન ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાનો શુભારંભ કરાવશે.

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને એશિયામાં સૌથી મોટો ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ફોરમ માનવામાં આવે છે. તેને સંયુક્ત રીતે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (Dot) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. 5Gની ઝડપ (સ્પીડ) 4G કરતાં 10 ગણી વધારે હશે. તેમા મોટા વિડિયો ગણતરીની સેકન્ડમાં જ ડાઉનલોડ કરી શકાશે. તેની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક ફિલ્મને ડાઉનલોડ કરવામાં 4G નેટવર્ક પર છ મિનિટનો સમય લાગે છે,જે 5G નેટવર્ક પર આ કામ ફક્ત 20 સેકન્ડમાં જ થઈ જશે.

અત્યાર સુધી દેશમાં લોકો 4G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. હવે 5Gના આગમન બાદ લોકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળવા લાગશે. તેનાથી સમય બચશે તેમ જ અનેક એપ્લિકેશનનો સરળતાથી ઉપયોગ કરી શકાશે. 5Gની મદદથી ગ્રાહકોનો અનુભવ અગાઉની તુલનામાં ઘણો સારો રહેશે, તે એક વર્ગ કિલોમીટરમાં આશરે એક લાખ સંચાર ઉપકરણોને સપોર્ટ કરશે.

5Gના આગમન બાદ મોબાઈલની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ જશે. 5Gની સ્પીડ 4G કરતાં 10 ગણી વધારે છે. 5Gના આગમનને લીધે ઓટોમેશન વધી જશે. અત્યાર સુધી બાબત ફક્ત શહેરો પૂરતી મર્યાદિત હતી તે ગામો સુધી પહોંચી જશે. ઈન્ટરનેટ ઓફ શિંગ્સ તથા ટેકનોલોજી IOT તથા રોબોટીક્સની ટેકનોલોજીને નવી પાંખ મળશે. દેશના અર્થતંત્રને ફાયદો થશે અને ઈ-ગવર્નન્સનું વિસ્તરણ થશે. કારોબાર, શિક્ષણ, હેલ્થ તથા કૃષિ ક્ષેત્ર જેવા સેક્ટરમાં ક્રાંતિ આવશે. 4G નેટવર્ક પર સરેરાશ ઈન્ટરનેટ સ્પીડ 45MBPS હોય છે પણ 5G નેટવર્ક પર તે વધીને 1000 MBPS સુધી પહોંચી જશે.

September 24, 2022
weather-forecast.jpg
1min538

હવામાન વિભાગે ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત ૧૭ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જારી કર્યો છે.

હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગણા, ઓડિશા, બિહાર, પશ્વિમ બંગાળ સહિત ૧૭ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી હતી. કેટલાક રાજ્યોમાં યેલ્લો એલર્ટ પણ જારી કર્યો છે. 

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા દેશના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર અને મધ્યપ્રદેશમાં સર્વાધિક વરસાદ થાય એવી શક્યતા છે. 

September 22, 2022
raid.jpg
1min466

આજે તા.22મી સપ્ટેમ્બર 2022ને ગુરુવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ EDએ આતંકવાદ સામેના અભિયાન અંતર્ગત 10થી વધુ રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડીયા સાથે સંકળાયેલા સેંકડો લોકો પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સીઓએ 10 જેટલા રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના પદાધિકારીઓના આવાસ અને કાર્યાલયો ખાતે દરોડા પાડ્યા છે. આ દરમિયાન 100થી પણ વધારે કેડરની ધરપકડ પણ કરવામાં આવી છે. આ પ્રકારની કાર્યવાહી બાદ પાર્ટીના કાર્યકરોએ કર્ણાટક અને કેરળમાં ભારે વિરોધ નોંધાવ્યો છે.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ટેરર ફન્ડિંગ, ટ્રેઈનિંગ કેમ્પ યોજવામાં સામેલ લોકોના આવાસ અને સત્તાવાર સ્થળોએ તલાશી હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં NIAની કાર્યવાહી ચાલુ છે. તપાસ એજન્સીઓએ 10થી પણ વધારે રાજ્યોમાં પ્રદેશ પોલીસ સાથે મળીને 100થી પણ વધારે કેડર્સની ધરપકડ કરી છે. તે સિવાય એનઆઈએએ તમિલનાડુમાં પણ કોઈમ્બતૂર, કુડ્ડલોર, રામનાદ, દિંડુગલ, થેની અને થેનકાશી સહિતના અનેક સ્થળોએ પીએફઆઈના પદાધિકારીઓના આવાસ ખાતે દરોડો પાડ્યો છે. તે સિવાય રાજધાની ચેન્નાઈમાં પીએફઆઈના પ્રદેશ હેડક્વાર્ટર ખાતે પણ તપાસ ચાલુ છે.

તપાસ એજન્સીઓએ પીએફઆઈના પ્રદેશ અને જિલ્લા સ્તરીય નેતાઓના ઘરે દરોડો પાડ્યો છે. સાથે જ મલપ્પુરમ જિલ્લાના મંજેરી ખાતે પાર્ટીના ચેરમેન સલામ પર પણ સકંજો કસાયો છે. સલામ સામેની કાર્યવાહીના વિરોધમાં પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન હાથ ધર્યું છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રવિવારે પણ આંધ્ર પ્રદેશના વિભિન્ન જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન પીએફઆઈના સદસ્યોને પુછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ હિંસા ભડકાવવા અને ગેરકાયદેસર ગતિવિધિઓ સાથે સંકળાયેલા કેસ અંતર્ગત કાર્યવાહી કરી હતી. તે દરમિયાન એનઆઈએના અધિકારીઓની 23 ટીમોએ નિઝામાબાદ, કુર્નૂલ, ગુંટૂર અને નેલ્લોર જિલ્લામાં આશરે 38 સ્થળોએ તપાસ હાથ ધરી હતી.