વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચસો દિવસમાં બાંધવામાં આવેલા રૂ. ૧૧૦૦૦ કરોડના ૧૩૫ કિ.મી. લાંબા ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસવે (ઇપીઇ)નું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પોતાની સરકારની પ્રાથમિકતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ૨૮,૦૦૦ કિ.મી. લાંબા હાઇવે નેટવર્કના નિર્માણ માટે રૂ. ૩ લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સરકાનું લક્ષ્ય હાઇવે, રેલવે, હવાઇ માર્ગ અને જળ માર્ગ છે. કૉંગ્રેસના રાજમાં ૧૨ કિ.મી. પ્રતિદિન બંધાતા હાઇવે હવે ૨૭ કિ.મી. પ્રતિ દિન બાંધવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ૧૦ કરોડ લોકોએ હવાઇ યાત્રા કરી હતી.
એમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાલા માટે રૂ. ૫ લાખ કરોડ ફાળવવા સાથે બજેટમાં કૃષીને લગતા ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા માટે રૂ. ૧૪ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે.
શેરડીના ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે એમને યોગ્ય ભાવ મળે એવાં પગલાં લીધાં છે.

અમારી સરકાર દલિતોના રક્ષણ માટે પ્રતિબધ્ધ છે અને એમને ઝડપી ન્યાય મળી રહે એ માટે ફાસ્ટટ્રેક સુનાવણી માટે ખાસ કોર્ટ બનાવવામાં આવી છે.
યોગી આદિત્યનાથના વખાણ કરતા મોદીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના અસામાજિક તત્ત્વો હવે સામે ચાલીને પોલીસને શરણે આવે છે અને ફરીથી ગેરકાનૂની કામ ન કરવાના સમ ખાઇ રહ્યા છે.
ગંગા સફાઇ કાર્યક્રમ વિશે મોદીએ જણાવ્યું હતું કે રૂ. ૨૧,૦૦૦ કરોડની ૨૦૦થી વધુ યોજનાઓ પર કામ શરૂ કરાયું છે.
વિરોધ પક્ષ ખેડૂતોના મુદ્દે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે અને ખેતરો કોન્ટ્રેક્ટ ખેતી માટે અપાયા હોવાની વાતો ફેલાવે છે, તમારે એના પર ધ્યાન ન આપવું.
ટ્રાંસપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે એક્સપ્રેસવે ૨૭ ટકા પ્રદુષણ ઘટાડશે અને ૪૧ ટકા ટ્રાફિક જામની સમસ્યા દૂર કરશે. ૯૧૦ દિવસની યોજના સામે હાઇવે માત્ર ૫૦૦ દિવસમાં તૈયાર કરવામાં આવ્યો છે.
આવતા વર્ષે માર્ચ સુધીમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે તૈયાર થઇ જશે અને ત્યાર બાદ બંને શહેર વચ્ચેનો પ્રવાસ હાલના અઢી કલાકને બદલે માત્ર ૪૦ મિનિટનો થશે.

















