CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 142 of 143 - CIA Live

May 25, 2018
rera.jpg
1min10900

ઘર ખરીદનારાઓ માટે વ્યક્તિગત લોનની માંગમાં જ વધારો નથી થયો પરંતુ ડેવલપર્સની લોન પણ વધી છે. રેરાના રક્ષણ સાથે ધિરાણકારો હવે બિલ્ડર્સને લોન આપવા માટે વધુ સારી સ્થિતિમાં છે.

1 જુલાઈ 2017થી મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતનાં રાજ્યોમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ (એક્ટ) લાગુ થયો છે. રિયલ એસ્ટેટ સેક્ટર હાલમાં રેરા, જીએસટી તથા બ્લેકમની સામેનાં પગલાં, ભાવ અને નરમાઈની અસરનો સામનો કરે છે.

રિયલ એસ્ટેટ ડેવલપરને ફાઇનાન્સ કરવામાં એનબીએફસી અને એચએફસીનો બજારહિસ્સો વધીને 60 ટકા થઈ ગયો છે. ચાર વર્ષ અગાઉ રિયલ્ટીને ફાઇનાન્સ કરવામાં આ સંસ્થાઓનો હિસ્સો લગભગ 30 ટકા જેટલો હતો. ડેવલપરને ધિરાણ આપતી સંસ્થાઓમાં એનબીએફસી, એચડીએફસી, ઇન્ડિયાબુલ્સ, જેએમ ફાઇનાન્શિયલ અગ્રેસર છે અને તેઓ ડેવલપરને લોનમાં 20 ટકા હિસ્સો ધરાવે છે.

તેનું મુખ્ય કારણ એ છે કે વધુ રાજ્યો હવે રેરા લાગુ કરી રહ્યાં છે. રેરાની ઇશ્યૂ કરવામાં આવેલી માર્ગદર્શિકા વિશે કેટલીક સ્પષ્ટતા મળ્યા પછી જ ડેવલપર્સે પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. પ્રોજેક્ટ લોન્ચના પ્રમાણમાં વધારો થયો છે.

રેરાનો અત્યાર સુધીમાં અમલ કરવામાં આવ્યો હોય તેવાં રાજ્યોની સંખ્યા વધીને 21 થઈ છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યોએ રેરા અપનાવ્યો છે. આ ઉપરાંત આ રાજ્યોમાં જ એફોર્ડેબલ હાઉસિંગમાં પણ વધારો થયો છે. વ્યક્તિગત હોમ લોન સેગમેન્ટની સરખામણીમાં આ સેગમેન્ટે વધારે ઝડપથી વૃદ્ધિ કરી છે અને તે વધારે સારું માર્જિન પણ ઓફર કરે છે.

એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સે 31 માર્ચ 2018ના રોજ સમાપ્ત થયેલા ચોથા ક્વાર્ટરમાં ₹2,266 કરોડની પ્રોજેક્ટ લોન વિતરીત કરી હતી અને લગભગ 80 ટકાનો વધારો નોંધાવ્યો હતો. તેમની ₹1.66 લાખ કરોડની લોન બૂકમાં ડેવલપર્સને આપવામાં આવેલી લોનનો હિસ્સો લગભગ પાંચ ટકા છે.

પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે મજબૂત બિઝનેસ વૃદ્ધિ નોંધાવી છે અને વાર્ષિક ધોરણે લોનની ફાળવણીમાં 45 ટકા વધારો થયો છે જ્યારે ક્રમિક વૃદ્ધિનો મોટો હિસ્સો કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ દ્વારા પ્રેરિત હતો. એલ એન્ડ ટી ફાઇનાન્સે રિયલ એસ્ટેટ ફાઇનાન્સમાં 56 ટકા વૃદ્ધિ નોંધાવી છે. એચડીએફસી માટે બિન-વ્યક્તિગત લોન બૂકમાં ગયા નાણાકીય વર્ષમાં 17.3 ટકા વૃદ્ધિ થઈ હતી જ્યારે રિટેલ લોનમાં 20 ટકા વધારો નોંધાયો હતો.

સૌથી મોટી મોર્ગેજ ધિરાણકાર એચડીએફસી માટે પણ બિનવ્યક્તિગત લોન બૂકમાં ગયા નાણાકીય વર્ષમાં 17.3 ટકાનો વધારો થયો હતો. જ્યારે રિટેલ લોનમાં 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. એન્ટિક બ્રોકિંગના એનાલિસ્ટ દિગંત હરિયાએ કહ્યું કે, ભવિષ્યમાં નવા પ્રોજેક્ટ લોન્ચ વધવાની શક્યતા છે. રેરાનું પાલન કરતા પ્રોજેક્ટને ધિરાણ કરવામાં ધિરાણકારો રાજી છે.

May 25, 2018
2ndhandmob-1280x720.jpg
1min11880

એપલ અને અને સેમસંગ જેવી મહત્ત્વાકાંક્ષી બ્રાન્ડ્સના ફોન સસ્તામાં ખરીદવાની જબરજસ્ત માંગ હોવાથી આવતાં બે વર્ષમાં ભારતનું સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોનનું માર્કેટ 27 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી જશે.

નિષ્ણાતો અને વિશ્લેષકોને અપેક્ષા છે કે, 2019 અને 2020માં રિફર્બિશ્ડ ફોનનું માર્કેટ જોરદાર વૃદ્ધિ હાંસલ કરશે કારણ કે નવી-નવી કંપનીઓ વર્તમાન ઓનલાઇન માર્કેટપ્લેસિસ પર જોડાઈ રહી છે. એમેઝોન, કેશિફાઇ, શોપક્લૂઝ અને ટોગોફોગો જેવી ઓનલાઇન ચેનલ્સે આ સેગમેન્ટમાં વાર્ષિક વેચાણમાં ધરખમ વૃદ્ધિ કરી છે.

રિફર્બિશ્ડ મોબાઇલ ફોન કેટેગરી વાર્ષિક ધોરણે 400 ટકાના દરે વધી રહી છે અને મોબાઇલ ફોનના એકંદર વેચાણમાં તેનો હિસ્સો 2017માં લગભગ બમણો થઈ ગયો હતો. એમ એમેઝોન ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું. એમેઝોને જણાવ્યું હતું કે, એપલ અને સેમસંગ જેવી મહત્ત્વાકાંક્ષી બ્રાન્ડ્સના ફોન 50 ટકા ઓછી કિંમતે ખરીદવા માંગતા ગ્રાહકોની સંખ્યા વધી રહી હોવાથી આ કેટેગરીમાં હજુ ઘણી સારી વૃદ્ધિ જોવા મળશે.

ગયા વર્ષે તેમનું વેચાણ ત્રણ ગણું વધ્યું હતું અને આ વર્ષે પણ આવી વૃદ્ધિની અપેક્ષા છે. શોપક્લૂઝે ચાલુ વર્ષના પ્રત્યેક મહિનામાં બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં 5,780 રિફર્બિશ્ડ ફોન વેચ્યા હતા, જે 2017ના વેચાણની સરેરાશ કરતાં ૩૫ ટકા વધારે છે. શોપક્લૂઝે વેચેલા રિફર્બિશ્ડ ફોનમાં નોકિયા અને સેમસંગના ફોનની સંખ્યા વધારે છે.

એવા ઘણા ગ્રાહકો છે જેમનો પહેલો સ્માર્ટફોન હવે જૂનો થઈ ગયો છે અને કોઈ પણ સ્માર્ટફોન ત્રણ વર્ષમાં ત્રણ વખત વેચાઈ રહ્યો છે, એટલે કે એકંદર સ્માર્ટફોનની માર્કેટની સરખામણીએ વોલ્યુમ કદાચ ઓછું હશે પરંતુ તેનું કદ લગભગ 3.5 કરોડ યુનિટનું છે.

સેકન્ડ-હેન્ડ ફોનના માર્કેટમાં વેચાતા 25 ટકા ફોન જ રિફર્બિશ્ડ હોય છે. નિષ્ણાતો જણાવે છે કે, ડેટાનો વપરાશ વધવાથી ફીચરફોન વાપરતા ગ્રાહકોમાં પણ જૂના સ્માર્ટફોનની માંગ વધી રહી છે.

2017માં રિફર્બિશ્ડ સ્માર્ટફોનનું વોલ્યુમ 25 ટકા જેટલું વધ્યું હતું અને ભારતમાં તેનું વેચાણ 1.2 કરોડ યુનિટ્સને પાર કરી ગયું હતું, જેમાં ત્રીજા ભાગનો હિસ્સો એપલ અને સેમસંગના ફોનનો હતો એમ કાઉન્ટરપોઇન્ટ ટેક્‌નોલોજી માર્કેટ રિસર્ચના આંકડા પરથી જાણવા મળે છે.

May 25, 2018
agri.jpg
1min18180

૭૭ વર્ષના વયોવૃદ્ધ ખેડૂત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અન્યોને પ્રેરણા પુરી પાડી રહ્યા છેઃ

સમગ્ર ગ્રીન હાઉસ પ્રોજેક્ટ સોલાર પેનલની પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા ચાલે છેઃ

૪૦ ગુંઠાના ગ્રીન હાઉસમાં કાકડી અને ટામેટાનું વાવેતર કર્યું છેઃ

દક્ષિણ ગુજરાતના ખેડૂતો ‘ગ્રીન હાઉસ’ના કન્સેપ્ટથી પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે.

હાલ સુધી ખેતીનો સંપૂર્ણ આધાર આબોહવા અને કુદરત પર રહેતો હતો. પણ નવા યુગ સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ વધતાં કૃષિક્ષેત્ર પણ જમાના સાથે તાલ મિલાવી રહ્યું છે. હવે કુદરત પર આધાર રાખ્યા વિના ‘ગ્રીન હાઉસ’ના કન્સેપ્ટથી ખેડૂતો પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ જગતનો તાત સમૃદ્ધ થાય તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જંગી ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બને એવા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજય સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત કરી ત્યારથી જ કૃષિ અર્થતંત્રમાં બદલાવ આવ્યો છે. હજારો ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી અપનાવીને પોતાની આવક બમણી કરી છે.
સુરત જિલ્લામાં ગ્રીનહાઉસથી ખેતી કરતા ખેડૂતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. તેનું કારણ છે ગ્રીનહાઉસ-નેટહાઉસ ખેતીથી નિંદામણના અને રોગ-જીવાતોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ઉત્પાદનમાં વધારો. સાથે સાથે પાણીના વપરાશમાં બચત અને મજૂરી ખર્ચમાં પણ લાભ મળે છે. સાદી ભાષામાં કહીએ તો ગ્રીનહાઉસ ટેક્નોલોજી એટલે બંધ કવરમાં વાતાવરણ, તાપમાન અને ભેજ નિયંત્રણની સચોટ વ્યવસ્થા હેઠળ કરાતી નવા જમાનાની ખેતી.

એમ.એસ.યુનિવર્સિટીમાંથી ઈલેકટ્રીક એન્જિનિયરીંગ કરીને ઈલેકટ્રીક એન્જિનિયર તરીકેની નોકરી છોડી નવતર ખેતી કરતા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કદરામા ગામના ૭૭ વર્ષના વયોવૃધ્ધ ખેડૂત લલિતભાઈ નાથુભાઈ પટેલે ખેતીમાં ગ્રીન હાઉસ ટેકનોલોજીથી કાકડીનું માતબર ઉત્પાદન મેળવીને અન્યોને પણ પ્રેરણા પુરી પાડી છે.
સુરત માહિતી ખાતાની ટીમ સાથેની એક મુલાકાતમાં વાત કરતા લલિતભાઈ કહે છે કે, શરૂઆતમાં અમો શેરડી, ડાંગર જેવા પરંપરાગત પાકોની ખેતી કરતા હતા. પરંતુ બદલાતા સમય સાથે આજના આધુનિક અને ઝડપી યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના ચાલે તેમ નથી.
લલિતભાઈ પુત્ર જતીનભાઈ પટેલ સાથે ત્રણેક વર્ષ પહેલા જિલ્લામાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં ગયા હતા. જયાં વૈજ્ઞાનિકોએ આધુનિક ટેકનોલોજી અંતર્ગત ગ્રીન હાઉસ/નેટ હાઉસ વિશેની માહિતી આપી. ત્યાર બાદ પિતા-પુત્રએ બાગાયત ખાતાના અધિકારીઓનો સંપર્ક કર્યો, જ્યાં ગ્રીન હાઉસ-નેટ હાઉસની વિગતો મેળવી. બાગાયતના અધિકારીએ આણંદ જિલ્લામાં યોજાયેલા પ્રેરણા પ્રવાસમાં આવવા જણાવ્યું. જેથી જતીનભાઈએ ૧૫ દિવસ દરમિયાન આણંદ ખાતે પ્રેરણા પ્રવાસ, ટ્રેનિંગ દરમિયાન ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉપરાંત ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં આપવામાં આવતી સબસીડી તથા કેવા વાતાવરણમાં કયું ઉત્પાદન લઈ શકાય તેની પ્રત્યક્ષ મુલાકાત લીધી. પુત્ર જતિનભાઈ સાથે લલિતભાઈએ ચર્ચા કરીને કહ્યું કે, ‘હવે આધુનિક ટેકનોલોજી વિના ચાલે તેમ નથી. સ્વભાવે સાહસિક અને પ્રયોગશીલ એવા પિતા-પુત્રએ તમામ વિગતો મેળવીને પ્રથમ ૨૦ ગુંઠામાં નેટહાઉસ બનાવ્યું. તેમા પ્રથમ પ્રયાસે ૧૩ ટન ખીરા કાકડીનું ઉત્પાદન લીધા બાદ આ જ નેટહાઉસમાં કેપ્સિકમ મરચાનું ઉત્પાદન લીધું, જેમાં સવા લાખના ખર્ચ બાદ કરતા ચોખ્ખો ચાર લાખનો નફો થયો હતો.

સારૂ એવું ઉત્પાદન મળતા હવે ગ્રીન હાઉસમાં કાકડીનું વાવેતર કરવાનો નિર્ધાર કર્યો. ગ્રીન હાઉસ એટલે, પ્લાસ્ટિક અથવા પારદર્શક આવરણવાળું ગૃહ. જેમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે જરૂરી વાતાવરણનું નિયંત્રણ કરી શકાય છે. લલિતભાઈએ ૪૦ ગુઠા જમીનમાં હાઈટેક ગ્રીન હાઉસ તૈયાર કર્યું. જેમાં કુલ ૩૭ લાખના ગ્રીન હાઉસમાં સરકારની ૬૫ ટકા એટલે ૨૪ લાખ જેટલી રકમની સબસીડી પ્રાપ્ત થઈ છે. આ પ્રોજેકટમાં ૨૦ ગુંઠામાં કાકડી અને ૨૦ ગુંઠામાં ટામેટાનું વાવેતર કર્યું છે.
લલિતભાઈ કહે છે કે, કાકડી એ ચાર મહિનાનો પાક છે. અમોએ, જાન્યુઆરી-૨૦૧૮માં એક બીજ ૭ રૂા.ના ભાવે લાવીને કાકડીના ૬ હજાર રોપાઓ તૈયાર કરીને વાવેતર કર્યું. ૪૦ દિવસમાં ઉત્પાદન ચાલુ થયું. સમયાંતરે ૨૫૦ થી ૫૦૦ કિલો કાકડીનું ઉત્પાદન મળે છે. ૩૦૦ થી ૪૦૦ મણદીઠ બજાર ભાવ મળ્યો છે. ચાર મહિના દરમિયાન ૧૪ થી ૧૫ ટન કાકડીનું ઉત્પાદન મળ્યું છે. આમ, રૂ. ૧,૮૦,૦૦૦માં ૪૦ હજારનો ખર્ચ બાદ કરતા ૧.૪૦ લાખનો નફો થયો છે. જ્યારે ટામેટાનું ઉત્પાદન ટુંક સમયમાં શરૂ થઈ જશે. વેચાણની વિશે વાત કરતા તેઓ કહે છે કે, સામાન્ય રીતે કાકડીનો ઉપયોગ કચુંબર-સલાડ બનાવવા હોટેલોમાં વધુ થતો હોઈ તેની ભારે માંગ રહે છે. ગ્રીન હાઉસમાં ઉત્પાદિત કાકડીની ઉચ્ચ ગુણવત્તા હોવાના કારણે માંગ સારી રહે છે.
ગ્રીન હાઉસની વિશેષતા વિશે વાત કરતા લલિતભાઈ કહે છે કે, કાકડીના પાક માટે ૨૫ થી ૨૭ ડિગ્રી તાપમાન અનુકૂળ રહે છે. જેથી અમોએ ગ્રીન હાઉસની ઉપર આઉટર સ્પ્રિંકલર ગોઠવ્યા છે, જે ચાલુ કરતા પાણીનો છંટકાવ થાય છે. જેના કારણે અંદરનું તાપમાન જાળવી શકાય. અંદર પણ ફોગીંગ દ્વારા વાતાવરણને નિયંત્રિત રાખી શકાય છે.
નવાઈની વાત તો એ છે કે, આ સમગ્ર પ્રોજેકટમાં ડ્રીપ ઈરિગેશન પધ્ધતિથી પિયત કરવામાં આવે છે. જેમાં સોલાર પાવર પેનલ મૂકવામાં આવી છે. ૫ એચ.પી.ની મોટર સોલાર પેનલથી ચાલે છે. નાબાર્ડ મારફતે મળતી સોલાર પેનલની યોજનામાં ૫ લાખમાં ૫૦ ટકા સબસીડી મેળવી ઉપરાંત જી.જી.આર.સી. યોજનામાં ૫ લાખના પ્રોજેકટમાં ૭૫ હજાર ભર્યા, જયારે બાકી ૪.૫૦ લાખની સબસીડી પ્રાપ્ત થઈ હોવાનું લલિતભાઈએ કહ્યું હતું. આ પુનઃપ્રાપ્ય ઉર્જા હોવાને કારણે લાઈટ બિલમાંથી તો જાણે કાયમી મુકિત મળી છે. તેઓ ગર્વભેર કહે છે કે, જો હુ આ ઉમરે આટલી મહેનતથી ખેતીમાં સફળતા મેળવી શકું છું, તો યુવા ખેડૂતો ચોક્કસથી ખેતીમાં નવા અભિગમ સાથે પ્રયોગાત્મક પગલા લે તો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. મહાત્મા ગાંધી કહેતા કે, ચીલાચાલુપણું અને નકલ એ ગર્દભનું લક્ષણ છે. આધુનિક ટેકનોલોજી અપનાવીને ચાલીશું તો ઝડપભેર આગળ વધી શકાય છે. ખેતીમાં નાના પાયે કરેલી શરૂઆતનો અંત પણ સુખદ હશે.

May 25, 2018
suda1.jpg
1min12050

૨૦મીએ મુખ્યમંત્રીના હસ્તે રૂા.૩૦.૨૪ કરોડના ખર્ચે નવનિર્મિત ‘સુડા ભવનનું લોકાર્પણ


૧૦૦ kwp સોલાર ઉર્જા પ્લાન્ટથકી વર્ષ દહાડે ૮૧૨૦૦ યુનિટ વિજળીનું ઉત્પાદન થશેઃ

સુરત, શુક્રવાર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ૨૦મીએ વેસુ ખાતે રૂ.૩૦.૨૪ કરોડના ખર્ચે ગ્રીન કન્સેપ્ટથી નવનિર્મિત ‘સુડા ભવન’નું લોકાર્પણ કરવામાં આવશે. ગ્રીન બિલ્ડીંગના માપદંડો પ્રમાણે સુરત શહેરી વિકાસ સત્તામંડળના આ ભવનમાં વરસાદી પાણીનો સંગ્રહ માટે તેમજ પાણીની બચત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બિલ્ડીંગના સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેમાંથી દર વર્ષે આશરે ૮૧૨૦૦ યુનિટ વીજળી મળશે. રીન્યુએબલ એનર્જી અને સૂર્યપ્રકાશના યોગ્ય વપરાશ દ્વારા ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરાયો છે. ભવનમાં વાતાવરણને અનુકુળ એવી બિલ્ડીંગ સામગ્રીનો વપરાશ કરાયો છે.
વરસાદી પાણી માટે હાર્વેસ્ટિંગ સિસ્ટમ, વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ જળની ટાંકી તેમજ ઓવરહેડ પાણીની ટાંકી બાંધવામાં આવી છે. ૧૦૦ kwp ગ્રીડ ટાઈપ એસપીપીની જોગવાઈ સાથે સોલર લાઇટિંગ્સ અને ઊર્જા કાર્યક્ષમતા માટે એલઇડી લાઇટિંગ અને મોશન સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બિલ્ડીંગમાં પાણીનો વપરાશ ઘટાડવા માટે સેન્સર આધારિત નળ અને લો ફ્લો ફિક્સર ફીટ કરાયા છે. જયારે મુખ્ય પ્રવેશદ્વાર પર બાયોમેટ્રિક એક્સેસ કન્ટ્રોલ મૂકવામાં આવ્યું છે. સંપૂર્ણ ભવનમાં સી.સી.ટીવી મોનિટરીંગ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે.

May 25, 2018
smc-1280x853.jpg
1min12640

સૂરતઃ રવિવારઃ- ‘‘જયાં માનવી ત્યાં સુવિધા’’ અને ‘‘વ્યથા નહીં વ્યવસ્થા’’ના મંત્ર સાથે ગુજરાતના શહેરો વર્લ્ડ કલાસ સીટી બને તેવી નેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘‘સ્માર્ટ સિટી સમિટ મેગા ઇવેન્ટ’’ને ખુલ્લી મૂકતા વ્યકત કરી હતી.
શ્રેષ્ઠ તકોના સર્જન થકી ભારત સરકારના ‘સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ દ્વારા નવી પેઢીને અવસર આપવા રાજય સરકારની કટિબદ્ધતા વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ યુવા પેઢી પોતાની નવી બ્રાન્ડ બનાવીને સ્ટાર્ટ અપમાં આગળ વધે તેવો અનુરોધ કર્યો હતો.

રાજયમાં ૪૮ ટકા શહેરી વસ્તી છે ત્યારે આવનારા સમયમાં ૫૦-૫૦ ટકા શહેર-ગ્રામ્યની વસ્તી સમાન થશે. ગુજરાતના ૬ શહેરોને ભારત સરકારે સ્માર્ટ સીટીનો દરજ્જો આપ્યો છે. જેમાં સૂરત ગુજરાત અને સમગ્ર ભારતમાં નંબર વન હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સમસ્યાનું કેવી રીતે નિરાકરણ થાય, બે કદમ આગળ વધીને આવનારી સમસ્યાનું નિરાકરણ થાય તે જ સાચું સ્ટાર્ટઅપ હોવાનું તેમણે ઉમેર્યું હતું. સૂરત શહેરને ડાયમંડ સીટી, સીલ્ક સીટી, બ્રિજ સીટીની સાથે હવે સ્માર્ટ સીટી તરીકે ઓળખાય છે. બે દશકમાં ઘણો જ બદલાવ સૂરતમાં આવ્યો છે.

 

ભારતભરમાં માત્ર અમદાવાદને વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો મળ્યો છે તેવી જ રીતે સુરત શહેરને પણ સ્માર્ટ સીટી દરજ્જો મળ્યો છે. શહેરોમાં પ્રાથમિક સુવિધા રસ્તા, ડ્રેનેજ, વીજળી, આરોગ્યની સુવિધાઓ પૂરતી હોય તે ઉપરાંત સીટી રહેવાલાયક હોય, સીટીમાં વ્યવસ્થા એવી હોય કે લોકોને કોઈ સમસ્યા વગર ટેકનોલોજીના સહારે સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર પ્રયાસો કરી રહી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
કમાન્ડ કંટ્રોલની વ્યવસ્થાઓ સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સૂરત સીટીમાં પાણી, વીજળી, રસ્તા જેવી અનેકવિધ વ્યવસ્થાઓ એક જ સ્થળે સેન્ટર દ્વારા કમાન્ડ કંટ્રોલ થઈ છે. પોલીસ અને કોર્પોરેશનના સહયોગથી કોઈ પણ સમસ્યા હોય તો એક જ સ્થળેથી તેનું સરળતાથી નિરાકરણ લાવી રહી છે.
આ પ્રસંગે કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ રાજયમંત્રી શ્રી સી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતીય યુવાનોના કૌશલ્યનો વિકાસ થાય, ઉદ્યોગ જગત અને અર્થતંત્રને બળ મળે એવા વિવિધ હેતુઓ સાધવાનો પ્રયાસ સ્ટાર્ટ-અપ ઇન્ડિયાના માધ્યમથી થઈ રહ્યો છે. તેમણે ભારતના ૧૦૦ સ્માર્ટ સીટીમાં સૂરતે કામગીરીમાં પ્રથમ નંબર મેળવ્યો છે જે બદલ અભિનંદન આપ્યા હતા. સામાન્ય માનવીને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, વીજળી જેવી સુવિધાઓ મળે તેવા તમામ પાસાઓને સ્માર્ટ સીટીમાં આવરી લેવામાં આવ્યા છે. ૨૦૨૨માં સૌને ઘરનું ઘર મળી રહે તેવા પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે સૌને કટિબદ્ધ બનાવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ તકે શ્રી ચૌધરીએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે યુવા પેઢી પાસે જો નવા નવા આઈડિયા હશે તો ભારત સરકાર તેમાં પૂર્ણ સહયોગી બનશે તેવી ખાત્રી તેમણે આપી હતી. ઓછામાં ઓછા સમય અને ખર્ચ દ્વારા નવી વસ્તુઓનું નિર્માણ થાય તે દિશામાં કાર્ય કરવા યુવા સ્ટાર્ટઅપ ઉદ્યોગકારોને તેમણે જણાવ્યું હતું.

સ્ટાર્ટ અપ ફેસ્ટિવલમાં દેશભરના સ્ટાર્ટ અપથી ઉદ્યોગમાં પદાર્પણ કરનાર ૧૦૦ ઉદ્યોગ સાહસિકોઓ પૈકી પસંદ થયેલા શ્રેષ્ઠ સ્ટાર્ટ અપને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે My Surat સિટીઝન એન્ગેજમેન્ટ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ તેમજ સુરત મની કાર્ડ તથા કોફી બુકનું લોન્ચિંગ થયું હતું.
આ પ્રસંગે આરોગ્ય રાજયમંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી, મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા, સાંસદ શ્રી સી.આર.પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો સર્વશ્રી શ્રીમતી ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, વિવેકભાઈ પટેલ, હર્ષ સંઘવી, અરવિંદ રાણા, પ્રવિણભાઈ ઘોઘારી, પૂર્ણેશભાઈ મોદી, કાંતિ બલર, મ્યુ.કમિશનર શ્રી એમ.થેન્નારસન તેમજ ગુજરાત સહિત અન્ય રાજ્યોના સચિવ કક્ષાના અધિકારી, ૫દાધિકારીઓ, મહાનુભાવો, મ્યુ.કમિશનરો, વરિષ્ઠ અધિકારીઓ, મેયરો તેમજ ડેપ્યુટી મેયરો તેમજ દેશભરના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ડેલિગેટ્સ ઉ૫સ્થિત રહ્યાં હતા.

May 25, 2018
suratrupani.jpg
1min12420

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આજે મહાનગરપાલિકાના રૂા.૪૨૯.૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોની સૂરતને ભેટ ધરી હતી. આ પ્રકલ્પોમાં રૂા.૩૦.૨૪ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓની સજ્જ નવનિર્મિત ‘સુડા ભવનનું લોકાર્પણ, કોસાડ ખાતે બી.આર.ટી.એસ. બસનો વર્કશોપ, સરથાણા-વાલક ખાતે રૂા.૧૮૩૮ લાખના ખર્ચે વરાછાના સબ ઝોન-B વહીવટી ભવનનું ખાતમુહૂર્ત, શાળાના ભવનનું એકસ્પાન્સન, વાંચનાલય, જળ વિતરણ માટે વોટર સપ્લાયનું કામ જેવા અનેકવિધ કામોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી હતી જેના પગલે આ સરકાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે, કોગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા હતા કે, એક રૂપિયો મોકલુ ત્યારે પ્રજા સુધી ૧૫ પૈસા પહોચે છે. વચેટીયાઓ લઈ જતા હતા. જયારે નરેન્દ્રભાઈ મોદી એક રૂપિયો મોકલે છે ત્યારે સવા રૂપિયાનું કામ થાય છે તે જ આ સરકારની ફળશ્રૃતિ છે.
રાજય સરકારે આવનારા સમયમાં ઝડપી નિર્ણયો થકી ટીપી સ્કીમો ૬ મહિનામાં પૂર્ણ કરવાના નિર્ધાર સાથે તમામ નકશાઓ ઓનલાઈન કરીને નવી વ્યવસ્થાના ક્ષેત્રે પર્દાપણ કર્યું છે. સરકાર નિર્ણાયક છે સૂરજ ઉગેને રોજ નવા નિર્ણયો લઈને સરકાર આગળ વધી રહી છે.
સંવેદનશીલ, પારદર્શી નિર્ણયો લઈ પૈસા વગર કામ થતુ નથી તેવી લોકો માનસિકતાને તોડવી છે તેવો દઢ નિર્ધાર વ્યકત કર્યો હતો.
સરકારે લાંચરૂશ્વત વિરોધી બ્યુરો અને કાયદા-વ્યવસ્થાની બાબતમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમ સ્થાન ધરાવે છે.
વર્તમાન સમયે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ૫૦-૫૦ ટકા જનશકિત થઈ રહી છે તેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનો સમતોલ વિકાસ માટેના તમામ નિર્ણયો સરકાર કરી રહી છે. કુદકેની ભુસંકે વિકાસ આગળ વધે તે દિશામાં સતત પ્રયત્નશીલ હોવાનું જણાવીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનો સમતોલ વિકાસ થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે. કોઈ પણ સ્થળે અકસ્માત થાય તો તત્કાલ ઈજાગ્રસ્તને રૂપિયા ૫૦ હજારની સહાય આપીને જીવ બચે તે માટેનો સંવેદશીલ નિર્ણય સરકારે કર્યો છે.
રાજયમાં કંમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ શરૂ થઈ ચૂકી છે. સ્વચ્છતા, ટ્રાફીક, આરોગ્ય, વિજળી, પાણી સહિતની લોકોની સમસ્યા હોય તો એક જ જગ્યાએ તેનો કંટ્રોલ થાય તેવી સુવિધા સુરત મહાનગરપાલિકાએ સાકાર કરી છે.
એરપોર્ટ જેવી સુવિધાઓ હોય તે માટેના સુવિધાયુકત બસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યા છે. રાજયમાં છ બસ સ્ટેન્ડ શરૂ કર્યા છે. અન્ય ૯ નવા સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. તમામ જિલ્લા કેન્દ્રના બસ સ્ટેશનો એરપોર્ટ જેવા બસ સ્ટેશનો હોય તે માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં રીવોલ્યુવેશન લાવી રહ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું. અંતરીયાળ વિસ્તારના લોકોને મુશ્કેલી ન પડે તે માટે મીની બસોનો વધારો કરી સાંકળી લેવામાં આવશે.
સુરતે છેલ્લા બે દાયકામાં તમામ ક્ષેત્રે બે કદમ આગળ વધીને ખૂબ વિકાસ સાધી ગુજરાતના સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહ્યું છે ત્યારે ખરા અર્થમાં સૂરત ખૂબસુરત બની રહે તેવી આશા વ્યકત કરી હતી.
આ વેળાએ આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, નાનામાં નાના માનવીને પ્રાથમિક સુખ સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર કામ કરી રહી છે. પાણીની સમસ્યાને દેશવટો આપવા માટે રાજય સરકારે જળસંચય અભિયાન ઉપાડયું છે. રાજય સરકારે જ્ઞાતિ-જાતિથી પર રહીને સૌનો સાથ અને સૌના વિકાસના મંત્રને સાર્થક કરી રહી છે.
આ પ્રસંગે રમત ગમત રાજયમંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ, મેયરશ્રીમતિ અસ્મિતાબેન શિરોયા, સાંસદશ્રી સી.આર.પાટીલ, શ્રીમતિ દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો સર્વશ્રી શ્રીમતી ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, વિવેકભાઈ પટેલ, હર્ષ સંધવી, અરવિંદ રાણા, પ્રવિણભાઈ ધોધારી, પૂર્ણેશભાઈ મોદી, કાંતિ બલર, મ્યુ.કમિશનરશ્રી એમ.થેન્નારસન, જિલ્લા કલેકટરશ્રી ધવલ પટેલ, શહેર સંગઠન પ્રમુખશ્રી નીતિનભાઈ ભજીયાવાલા તેમજ મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

May 25, 2018
sujlam.jpg
1min13500

આગામી ચોમાસા પહેલાં રાજ્યમાં પાણીની અછતને પહોંચી વળવાના ઉદ્દેશથી ૧લી મે એ રાજ્ય સરકારે પ્રારંભ કરેલા જળ અભિયાન લોકભાગીદારીનો મહાયજ્ઞ બન્યો છે, ત્યારે સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓએ આગળપડતી ભૂમિકા ભજવી સુમુલ ડેરીની આગેવાનીમાં આજે દાનની સરવાણી વહાવતાં માત્ર ૨૪ કલાકના સમયમાં જ રૂ. એક કરોડનું માતબર અનુદાન આપી જળ અભિયાનમાં સરકાર સાથે સહકારનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. આ અનુદાનની મદદથી નવી પારડી, વાડી અને બુટવાડા ગામના તળાવોને ઊંડા ઉતારી બ્યુટીફિકેશન કરી પ્રવાસનધામરૂપે વિકસાવવામાં આવશે.
સુરત જિલ્લાની વિવિધ મધ્યસ્થ અને નાગરિક સહકારી બેંકો, જીનીંગ મિલો, બજાર સમિતિ, દૂધ ઉત્પાદક સંઘો, સુગર ફેકટરીઓ જેવી સહકારી સંસ્થાઓએ સામાજિક જવાબદારીના ભાગરૂપે જળ અભિયાનમાં માત્ર એક દિવસના રેકોર્ડ સમયમાં જ સુજલામ સુફલામ જળ અભિયાનમાં રૂ.૧ કરોડનું દાન આપ્યું હતું. નવી પારડી ગામે આયોજિત સમારોહમાં દાનના ચેકો સહકાર, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલને અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ત્રણે ગામોના તળાવ ફરતે બ્યુટીફિકેશન કરવામાં આવશે. જેમાં વોક-વે, લોન, બેસવાની બેંચ અને સોલાર લાઈટની સુવિધાથી સજ્જ કરી રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. આ વેળાએ નવી પારડી ગામે સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે તળાવના રિનોવેશનના કામનું ખાતમૂહુર્ત કરાયું હતું.
નવી પારડી ખાતે ચેક અર્પણ સમારોહમાં મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક નાગરિક માટે પાણીનું મહત્વ સમજી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી જળ અભિયાનમાં સહભાગી બનવાનો આ સુયોગ્ય અવસર છે. દક્ષિણ ગુજરાતને ઉકાઈ કાકરાપાર ડેમના કારણે એટલી પાણીની અછત વર્તાતી નથી જેટલી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વર્તાય છે.
શ્રી પટેલે ચોમાસા પહેલા પાણીની અછત ન પડે તેનું આગોતરું આયોજન કરી ટૂંકાગાળામાં જ ૧૧૦૦૦ હજાર લાખ ઘનફૂટ પાણીની વધારાની સંગ્રહ ક્ષમતાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક હોવાનું જણાવી જો આજથી જ પાણીની ઉપયોગિતાને નજરઅંદાજ કરવામાં આવશે તો હવે એ દિવસો દૂર નથી કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના મુદ્દે લડાશે એવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રએ વિશ્વસ્તરે નામના મેળવી છે. સુમુલ અને જિલ્લાની સહકારી સંસ્થાઓ લોકહિતના કોઈ પણ કાર્યોમાં હરહંમેશ યોગદાન આપતી રહે છે. જળ અભિયાનમાં પણ અગ્ર ભૂમિકા ભજવી એક કરોડનું માતબર અનુદાન આપવા બદલ તેમણે સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આવી સંસ્થાઓના નિ:સ્વાર્થ સહયોગથી જળઅભિયાનને નવું બળ મળ્યું છે એમ શ્રી પટેલે ઉમેર્યું હતું.
સુમુલ ડેરીના ચેરમેનશ્રી રાજુભાઈ પાઠકે પ્રાસંગિક ઉદબોધન કરી સુજલામ સુફલામ જળ-અભિયાનના પ્રણેતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના પાણીના દુકાળને ભૂતકાળ બનાવવાના મિશનને પૂર્ણ કરવા સર્વને સહભાગી થવા અનુરોધ કર્યો હતો. માત્ર એક જ દિવસના ટૂંકા સમયમાં એક કરોડનું અનુદાન આપ્યું છે, ત્યારે જિલ્લાનું સહકારી ક્ષેત્ર જળ અભિયાનમાં હંમેશ માટે અગ્રેસર રહેશે. જનશક્તિના માધ્યમથી જળશક્તિના નિર્માણના સંકલ્પ સાથે આ અભિયાનને સહકારી ક્ષેત્રનો સમ્પૂર્ણ સહયોગ હોવાનું જણાવી સરકાર જો પાણી બચાવવા આ ભગીરથ કાર્ય કરી રહી હોય, ત્યારે સહકારી સંસ્થાઓની પણ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની ફરજ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવાડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ, ગુજરાત કૃષિ કલ્યાણ બોર્ડના ચેરમેન શ્રી રમણભાઈ જાની, સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંકના વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દિલીપસિંહ રાઠોડ, સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રિતેશ વસાવા, પારડીના સરપંચ શ્રીમતી ભાનુબેન, કામરેજ પ્રાંત શ્રી વાઘેલા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનમાં સહકારી સંસ્થાઓનું યોગદાન
• સુમુલ ડેરી: રૂ.૧૦ લાખ
• સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપ.બેન્ક: રૂ.૧૦ લાખ
• સુરત પીપલ્સ કો.ઓપ.બેંક: રૂ.૧૦ લાખ
• સુટેક્ષ કો.ઓપ.બેંક: રૂ.૧૦ લાખ
• સુરત જિલ્લા સહકારી સંઘ: કો.ઓપ.બેંક: રૂ. ૦૩ લાખ
• ગુજરાત સ્ટેટ ફુડ એન્ડ માર્કેટિંગ ફેડરેશન: રૂ.૦૫ લાખ
• બાબેન ખેડૂત સહકારી જીનિંગ મિલ: રૂ.૦૫ લાખ
• વરાછા કો-ઓપરેટિવ બેન્ક: રૂ. ૨.૫૧ લાખ
• સુરત મર્કન્ટાઇલ કો.ઓપ.બેંક: રૂ. ૨.૫૧ લાખ
• સર્વોદય સહકારી બેંક: રૂ. ૨.૫૦ લાખ
• કામરેજ ફૂડ એન્ડ વેજીટેબલ સહકારી સંઘ: રૂ. ૧.૫૧ લાખ
• ખેડૂત ખરીદ-વેચાણ સહકારી સંઘ, બારડોલી : રૂ.૫ લાખ
• બારડોલી જનતા કો-ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી: રૂ. ૨ લાખ
• પુરુષોત્તમ ફાર્મર્સ, જીનિંગ એન્ડ પ્રોસેસિંગ મિલ: રૂ. ૧ લાખ
• અખંડ-આનંદ કો.ઓપ.બેન્ક: રૂ.૧ લાખ
• નેશનલ કો-ઓપ. બેંક: ૧.૫૧ લાખ

May 24, 2018
millionares.jpg
1min13330

ભારતમાં અત્યારે વિશ્ર્વના ત્રીજા ક્રમાંકે મોટી સંખ્યામાં અબજોપતિ છે અને હવે પછીના એક દાયકામાં આ ક્લબમાં ૨૩૮ જેટલા વધારે અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતા અબજોપતિનો વધારો થશે, તેવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આફ્રએશિયા બૅન્ક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂના જણાવ્યા મુજબ ભારતમાં અત્યારે ૧૧૯ જેટલી અબજોપતિ વ્યક્તિઓ છે, જે ૨૦૨૭ સુધીમાં વધીને ૩૫૭ પર પહોંચવાની આશા છે.

આગામી દસ વર્ષમાં ભારતમાં ૨૩૮ અબજોપતિનો ઉમેરો થશે જ્યારે ચીનમાં ૪૪૮નો ઉમેરો થશે. ૨૦૨૭ સુધીમાં અમેરિકામાં એ આંકડો ૮૮૪નો થઈ જશે, ત્યાર પછી ચીનમાં ૬૯૭ અને ભારતમાં એ આંક કુલ ૩૫૭ પર પહોંચશે.

એક અબજ યુએસ ડૉલર કે તેથી વધારેની અસક્યામતો ધરાવનારાઓનો સમાવેશ આ ધનાઢય વ્યક્તિઓમાં કરવામાં આવે છે. આગામી દસ વર્ષમાં જે દેશોમાં અબજોપતિ માલેતુજારોનો વધારો થશે તેમાં રશિયન ફેડરેશનમાં ૧૪૨, યુનાઈટેડ કિંગ્ડમમાં ૧૧૩, જર્મનીમાં ૯૦ અને હોંગકોંગમાં ૭૮ની આશા રખાય છે.

વિશ્ર્વભરમાં હાલમાં ૨,૨૫૨ અબજોપતિ છે અને ૨૦૨૭ સુધીમાં એ સંખ્યા ૩,૪૪૪ પર પહોંચશે. કુલ અસક્યામતોને સંબંધ છે ત્યાં સુધી ભારત વિશ્ર્વમાં છઠ્ઠા ક્રમનો દેશ છે, જ્યાં અબજોપતિઓ ૮,૨૩૦ અબજ યુએસ ડૉલરની કુલ મિલકતો ધરાવે છે.

અમેરિકામાં સૌથી વધારે અસક્યામતો ધરાવતા અબજોપતિ છે, ત્યાંના અબજોપતિ કુલ ૬૨,૫૮૪ અબજ યુએસ ડૉલરની મિલકતો ધરાવે છે. ત્યાર પછી ૨૪,૮૦૩ અબજ યુએસ ડૉલરની મિલકતો સાથે ચીનનો નંબર આવે છે અને ત્રીજા નંબર પર ૧૯,૫૨૨ અબજ યુએસ ડૉલરની અસક્યામતો સાથે જાપાન આવે છે.

ભારતમાં અસક્યામતો ઊભી કરવા માટે જે પરિબળો મદદરૂપ થશે તેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, સારી શૈક્ષણિક પદ્ધતિ, આઈટી ક્ષેત્રે રોબસ્ટ આઉટલૂક, બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સિસિંગ રિયલ એસ્ટેટ, હેલ્થકેર અને મીડિયા સેક્ટરની મદદથી દસ વર્ષમાં બસો ટકા પરિણામ મેળવી શકાશે તેવું અહેવાલ જણાવે છે.

દરમિયાન, આગામી દસ વર્ષમાં વિશ્ર્વસ્તરે ૫૦ ટકા અસક્યામતોમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે, જે ૨૦૨૭ સુધીમાં ૩૨૧ ટ્રિલ્યન યુએસ ડૉલરની થશે. ઝડપથી વિકસતી વેલ્થ માર્કેટ્સમાં શ્રીલંકા, ભારત, વિયેતનામ, ચીન અને મોરેશિયસને ગણી શકાય તેવું અહેવાલમાં જણાવાયું છે. (પીટીઆઈ)

May 24, 2018
baroda_court.jpg
1min14660

અમદાવાદની ભદ્ર ખાતે તૈયાર થઇ રહેલી નવ માળની મલ્ટીસ્ટોરીડ સેશન્સ કોર્ટનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે, આગામી 4 મહિનામાં કોર્ટના ફર્નિચર સહિતની જગ્યાનું કામ પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ તે વકીલોને બેસવા ફાળવી દેવાશે.  નવ નિર્મિત નવ માળની સેશન્સ કોર્ટમાં ગ્રાઉન્ડ તથા ફર્સ્ટ ફ્લોર વકીલોની બેઠક વ્યવસ્થા હશે. બીજા માળે સ્મોલકોઝ કોર્ટ, ત્રીજા માળે સિવિલ કોર્ટ અને ચોથા માળથી સેશન્સ કોર્ટ કાર્યરત થશે. નવમા માળે કોન્ફરન્સ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે વકીલો અને પક્ષકારો માટે 8 લિફ્ટની વ્યવસ્થા કરાઇ છે. જૂની સેશન્સ કોર્ટ ખાતે પાર્કિંગ માટે મોટા પ્રશ્નો હતો પરંતુ નવી કોર્ટમાં જિલ્લા પંચાયતની સામે મેઇન ગેટ હશે અને આસપાસના કંપાઉન્ડમાં 250 જેટલી કાર પાર્ક થઇ શકશે ઉપરાંત હજાર જેટલા ટુ વ્હીલર જ્યારે જજ અને જ્યુડિશિયલ ઓફિસરો માટે ભોંયરામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ ખાતે પણ પક્ષકારો તથા અન્ય લોકો પાર્કિંગ કરી શકશે. જે માળ પર કોર્ટ આવેલી હશે તે તમામ માળ પર વકીલોને બેસવા માટે (વેઇટિંગરૂમ) ઉપરાંત અસીલો, પોલીસ, કેદી માટે પણ બેસવા માટે ખુરશી, પંખા, ઠંડુ પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જૂની સેશન્સ કોર્ટમાં કોર્ટ રૂમ નાના હતા અને તેમાં બેઠક વ્યવસ્થા મર્યાદિત હતી. પરંતુ નવી સેશન્સ કોર્ટમાં દરેક કોર્ટમાં 50થી 60 લોકો બેસી શકે તે માટે ખુરશીની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે કેદીઓ માટે પણ અલગ જગ્યાની ફાળવણી કરાઇ છે. ઉપરાંત પેપર લેસ કોર્ટ બનાવવા માટે દરેક કોર્ટમાં લેપટોપ અને વાઇફાઇ મળે તે માટે અલગ પોર્ટની અલાયદી વ્યવસ્થા છે. આ ઉપરાંત કેદીને વીડિયો કોન્ફરન્સથી રજૂ કરી શકાય તે માટે વિીડિયો કોન્ફરન્સ માટે પણ જુદી વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

નવી સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં વકીલોને યોગ્ય વ્યવસ્થા માટે અત્યારથી જ કવાયત હાથ ધરાઈ છે. નવ માળની નવી સેશન્સ કોર્ટ વકીલો, અસીલો, પોલીસ, જજ, કેદી સહિતના લોકો માટે વિશેષ આધુનિક સુવિધાથી સજ્જ હશે. જેમાં વાઇફાઇ, વીડિયો કોન્ફરન્સ, બેસવાની વ્યવસ્થા સહિતના મુદ્દાઓને સમાવેશ થાય છે.

સેશન્સ કોર્ટ ભદ્ર ખસેડાતા ફેમિલી કોર્ટ (હાલ જ્યાં સેશન્સ કોર્ટ કાર્યરત છે)માં ભીડ ઘટશે.

 

May 24, 2018
gujcmdcm.jpg
1min17290

રાજ્ય સરકાર દ્વારા સરકારી પડતર જમીન વિવિધ હેતુ માટે આપવામાં આવે છે તેની જે કિંમત છે તેની ફોર્મ્યુલામાં ફેરફાર કરવા માટે વિચારણા ચાલી રહી છે. હાલ પડતર જમીનની જે બજાર કિંમત હોય તેના કરતા પડતર જમીનની કિંમત વધુ આવતી હોય તેવું અનેક કિસ્સામાં જોવામાં આવ્યું છે જેથી જાહેર હેતુ માટે જે જમીન આપવામાં આવે છે તેની કિંમત વધી જતી હોય છે. તેને લઇને કિંમત ઘટાડવા રાજ્ય સરકારના મહેસૂલી વિભાગથી લઇને નિર્ણયકર્તાઓમાં વિચારમંથન શરૂ થયું હોવાની વિગતો જાણવા મળી છે. રાજ્ય સરકારની માલિકીની મનાતી પડતર જમીનની જે કિંમત નક્કી કરતી હાલની ફોર્મ્યુલામાં શું ફેરફાર કરી શકાય તે માટે સરકારમાં ઉચ્ચ સ્તરે વિચારણા ચાલી રહી છે. આ માટે બેઠકોના દોર ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં આ માટે લીલી ઝંડી મળ્યા બાદ સરકારી પડતર જમીન માટે નવી કિંમત નક્કી કરવામાં આવી શકે છે.

સરકાર દ્વારા પડતર જમીન હોય તે વિવિધ હેતુ માટે આપવામાં આવતી હોય છે. જેમાં શૈક્ષણિક હેતુથી કેટલાક ટ્રસ્ટ દ્વારા જમીનની માગણી થતી હોય છે. ધાર્મિક અને સામાજિક પ્રવૃતિ માટે પણ સરકાર પાસે પડતર જમીનની માગણીઓ આવતી રહેતી હોય છે. તે ઉપરાંત સરકારના પોતાના બોર્ડ-નિગમોના કામકાજ માટે પણ આવી જમીન આપવામાં આવતી હોય છે. જો કે આવી જમીનની કિંમત નક્કી કરતી વખતે એ ધ્યાન પર આવ્યું છે કે સરકારી ફોર્મ્યુલા મુજબ જંત્રી પ્રમાણે જે રકમ નક્કી કરવામાં આવેલી છે તે જે તે સ્થળે આવેલી જમીનની બજાર કિંમત કરવા વધુ હોય છે. તેના કારણે સરકારને જમીનની કિંમત વધુ થતી હોવાની રજૂઆતો પણ કેટલીક સંસ્થાઓ દ્વારા મળતી હોય છે.