CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 142 of 144 - CIA Live

May 30, 2018
water-recycle.jpg
1min14330

સમગ્ર વિશ્વમાં બે દાયકા પૂર્વેથી જે સિસ્ટમ અમલી બની છે એ વોટર રિસાઇકલ પોલીસીનો અમલ ગુજરાતમા મોડે મોડે પણ, દેર આયે દૂરસ્ત આયે ની રુએ પણ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે મોડે મોડે પણ એક વખત ઉપયોગમાં લેવાયેલા પાણીને શુદ્ધ કરીને તેનો ઉપયોગ પીવાના પાણી સિવાય અન્ય સ્થળો પર કરવા માટેની એક યોજના ઘડી કાઢી છે.

રાજ્યમાં સુરત મહાનગરપાલિકા એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે જેણે સૌ પ્રથમ વખત વોટર રિસાઇકલ પ્રોજેક્ટ સાકાર કરી બતાવ્યો હતો. સુરતમાં ઇન્ડસ્ટ્રીઝમાં વપરાયેલા પાણીને ટર્શરી પ્લાન્ટમાં ટ્રીટ કર્યા બાદ હાલમાં ફરીથી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વોટર રીસાઇકલ પૉલિસીની જાહેરાત કરી છે. રાજ્યમાં પ્રથમવાર વોટર રીસાઇકલ પૉલિસી અમલમાં આવી છે. આ પૉલિસી પ્રમાણે શહેરોનાં ગંદા પાણીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે. ગંદા પાણીને રીસાઇકલ કરી ઇન્ડસ્ટ્રીઝનાં ઉપયોગમાં લેવામાં આવશે.

અમદાવાદમાં આવેલી સાબરમતી નદી રીસાઇકલ વોટરથી ભરાશે. રાજ્યનાં આઠેય મહાનગરો સમેત દરેક મોટા નગરમાં ગંદા પાણી રીસાઇકલ કરીને ફરીથી ઉપયોગ કરવામાં આવશે.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. કે, ગંદા પાણીને શુદ્ધ કરવા 161 એકમો છે. 2030 સુધીમાં 100 ટકા પાણીને શુદ્ધ કરવાની પૉલિસી બનાવવામાં આવી છે. અત્યારે 2600 એમએલડી પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. બે વર્ષમાં 2800 એમએલડી પાણીનાં શુદ્ધિકરણની યોજના છે. જેમાં દરિયાનાં ખારા પાણીને મીઠું બનાવવાનો પણ પ્લાન છે.

May 28, 2018
suratairport.jpg
1min15670

સુરત એરપોર્ટ પર મુસાફરોની સતત વધી રહેલી સંખ્યાને પગલે દેશ – દુનિયાની મોટા ભાગની વિમાની કંપનીઓ સુરત હવાઈ મથકથી પોતાની વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર છે. જા કે, સુરત એરપોર્ટ પર રન-વેની સમસ્યાને કારણે હાલ વિમાની કંપનીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સંદર્ભે મારી અને સુરતના સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ દ્વારા એરપોર્ટ ઓથોરોટી ઓફ ઇન્ડિયાને કરવામાં આવેલી રજુઆતો બાદ હવે સુરત એરપોર્ટ પર ૨૨૮૦ મીટરના રન-વે પરથી વિમાનોને લેન્ડીંગ અને ટેક ઓફ ની પરમીશન મળી ચુકી છે.

આ સંદર્ભે ગત ૧૪મી ફેબ્રુઆરીના રોજ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રને પત્ર લખીને આ સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૨મી માર્ચના રોજ નવી દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત દરમ્યાન પણ બન્ને સાંસદો દ્વારા સુરત એરપોર્ટ પર રન-વેની સમસ્યા સંદર્ભે તેઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને પગલે ડીજીસી દ્વારા એક ટીમ સુરત એરપોર્ટ ખાતે મોકલીને ઇન્સ્પેક્શન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ઈન્સ્પેક્શન બાદ સુરત એરપોર્ટ પર તૈયાર થયેલા ૨૯૦૫ મીટરના રન-વે પૈકી ૨૨૮૦ મીટરના રન-વેના ઉપયોગને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. વેસુ તરફની નડતર રૂપ ઈમારતોના મુદ્દે જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ૬૨૫ મીટરનો રન-વે હાલ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. બન્ને સાંસદોની સફળ રજુઆતને પગલે ડી.જી.સી.એ દ્વારા સુરત એરપોર્ટને વૈશ્વિક સ્તરનું બનાવવા માટે ૪૪૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ડી.જી.સી. દ્વારા સુરત એરપોર્ટ પર ૨૨૮૦ મીટરના રન-વેના ઉપયોગને લીલી ઝંડી આપવાના નિર્ણયને પગલે હવે શહેરીજનોને તેનો સીધો લાભ મળશે.

અત્યાર સુધી માત્ર ૧૯૦૫ મીટરના રન-વેનો ઉપયોગ ટેક ઓફ અને લેન્ડીંગ માટે કરવામાં આવતો હોવાને કારણે એરબસ ૩૧૯ અને ૩૨૦ જેવા મોટા વિમાનો માટે વિમાની કંપનીઓપર લોડ પેનલ્ટી લાગુ કરવામાં આવી હતી જેના કારણે વિમાનમાં ચોક્કસ સીટો ખાલી રાખવી પડતી હતી. જેનો સીધો ભાર શહેરીજનોએ ભોગવવો પડતો હતો. હવે રન-વેના મહત્તમ ઉપયોગને પગલે વિમાની કંપનીઓને પેનલ્ટી લોડમાંથી મુક્તિ મળશે. જેને કારણે વિમાની કંપનીઓ વિમાનની તમામ સીટની ટિકીટો વેચી શકશે. જેના કારણે વિમાની દરમાં પણ ઘટાડો થશે. જેનો સીધો લાભ શહેરીજનોને મળશે. સુરત વિમાની મથકે સતત વધી રહેલા એર ટ્રાફિક અને ઉતારૂઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને મોટા ભાગની વિમાની કંપનીઓ સુરતથી દેશના અન્ય શહેરોને સાંકળતી વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર છે. જ્યારે હવે એરપોર્ટ પર રન-વેની લંબાઈની સમસ્યાનું સમાધાન થતાં એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઈસજેટ માટે સુરતથી દુબઈ અને સુરતથી બેંગકોકની સીધી વિમાની સેવા શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે. આ બંને વિમાની કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી સુરતથી આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર હતી. તેમજ એર એશિયા દ્વારા પણ તૈયારી બતાવામાં આવી છે.

May 28, 2018
high-1280x720.jpg
1min13670

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચસો દિવસમાં બાંધવામાં આવેલા રૂ. ૧૧૦૦૦ કરોડના ૧૩૫ કિ.મી. લાંબા ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસવે (ઇપીઇ)નું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પોતાની સરકારની પ્રાથમિકતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ૨૮,૦૦૦ કિ.મી. લાંબા હાઇવે નેટવર્કના નિર્માણ માટે રૂ. ૩ લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સરકાનું લક્ષ્ય હાઇવે, રેલવે, હવાઇ માર્ગ અને જળ માર્ગ છે. કૉંગ્રેસના રાજમાં ૧૨ કિ.મી. પ્રતિદિન બંધાતા હાઇવે હવે ૨૭ કિ.મી. પ્રતિ દિન બાંધવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ૧૦ કરોડ લોકોએ હવાઇ યાત્રા કરી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાલા માટે રૂ. ૫ લાખ કરોડ ફાળવવા સાથે બજેટમાં કૃષીને લગતા ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા માટે રૂ. ૧૪ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે.

શેરડીના ખેડૂતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે એમને યોગ્ય ભાવ મળે એવાં પગલાં લીધાં છે.

અમારી સરકાર દલિતોના રક્ષણ માટે પ્રતિબધ્ધ છે અને એમને ઝડપી ન્યાય મળી રહે એ માટે ફાસ્ટટ્રેક સુનાવણી માટે ખાસ કોર્ટ બનાવવામાં આવી છે.

યોગી આદિત્યનાથના વખાણ કરતા મોદીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના અસામાજિક તત્ત્વો હવે સામે ચાલીને પોલીસને શરણે આવે છે અને ફરીથી ગેરકાનૂની કામ ન કરવાના સમ ખાઇ રહ્યા છે.

ગંગા સફાઇ કાર્યક્રમ વિશે મોદીએ જણાવ્યું હતું કે રૂ. ૨૧,૦૦૦ કરોડની ૨૦૦થી વધુ યોજનાઓ પર કામ શરૂ કરાયું છે.

વિરોધ પક્ષ ખેડૂતોના મુદ્દે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે અને ખેતરો કોન્ટ્રેક્ટ ખેતી માટે અપાયા હોવાની વાતો ફેલાવે છે, તમારે એના પર ધ્યાન ન આપવું.

ટ્રાંસપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે એક્સપ્રેસવે ૨૭ ટકા પ્રદુષણ ઘટાડશે અને ૪૧ ટકા ટ્રાફિક જામની સમસ્યા દૂર કરશે. ૯૧૦ દિવસની યોજના સામે હાઇવે માત્ર ૫૦૦ દિવસમાં તૈયાર કરવામાં આવ્યો છે.

આવતા વર્ષે માર્ચ સુધીમાં દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે તૈયાર થઇ જશે અને ત્યાર બાદ બંને શહેર વચ્ચેનો પ્રવાસ હાલના અઢી કલાકને બદલે માત્ર ૪૦ મિનિટનો થશે.

May 25, 2018
Rera-India.png
1min14520

રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ (રેરા) આઝાદી પછી ભારતમાં બાંધકામ ક્ષેત્રમાં સૌથી મોટો સુધારો માનવામાં આવી રહ્યો છે. દેશમાં પ્રથમ વખત રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈ નિયમનતંત્ર આવ્યું અને મોટા ભાગના નિષ્ણાતો માને છે કે આ કાયદો ગ્રાહકોને પઝેશન સહિતના મુદ્દે રક્ષણ મળતું થઇ ગયું છે. એકંદરે રિયલ એસ્ટેટ ક્ષેત્રને ઓર્ગેનાઇઝ્ડ બનાવશે તથા સમય જતાં ઉદ્યોગમાં વોલ્યુમમાં વૃદ્ધિ થશે અને ઉદ્યોગ માટે ભંડોળના નવા માર્ગ પણ ખૂલી રહ્યા છે.

ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, બિહાર, ચંદીગઢ અને ઓડિશાએ રેરાના નિયમો નક્કી કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં સોમવારે રેરાના કમિશનરની નિમણૂક થઇ ચૂકી છે અને ત્યાર બાદ હાલના તમામ ચાલુ પ્રોજેક્ટ્સનું તેમાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. રેરાના અમલ સાથે રિયલ એસ્ટેટમાં લોકપ્રિય ‘પ્રિ-લોન્ચ’ સિસ્ટમનો અંત આવવા પામ્યો છે.

રાજ્યોએ 1ઓક્ટોબર 2017 પહેલાં નિયમો નોટિફાઇ કરવાના હતા પરંતુ અનેક રાજ્યોએ હજી સુધી નિયમો બનાવ્યા નથી. ક્રેડાઇના નેશનલ પ્રેસિડન્ટ જક્ષય શાહે જણાવ્યું હતું કે, કેટલાંક રાજ્યોએ હજુ સુધી નિયમો નોટિફાઇ નથી કર્યા, પરંતુ સરકાર સાથેની અમારી વાટાઘાટ દરમિયાન એ સુનિશ્ચિત થયું છે કે તે રાજ્યો આગળ વધી રહ્યાં છે અને અમને અપેક્ષા છે કે આ રાજ્યોમાં ફાઇનલ નિયમો નોટિફાઇ થશે અને રેગ્યુલેટરની પણ નિમણૂક ટૂંક સમયમાં થશે.મધ્યપ્રદેશે રેગ્યુલેટરી ઓથોરિટીની નિમણૂક કરી છે, જ્યારે કેરળ,
રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમે વચગાળાના રેગ્યુલેટરની નિમણૂક કરી દીધી છે.

કેટલાક નિષ્ણાતો માને છે કે રેરાના અમલના કારણે રિયલ એસ્ટેટમાં ભાવવધારો જોવા મળશે. ક્રેડાઇના એક હોદ્દેદારે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ માટે તમામ મંજૂરીઓ મળ્યા બાદ જ વેચાણ ચાલુ કરી શકાશે અને ‘પ્રિ-લોન્ચ’ બંધ થશે. તેના કારણે ડેવલપરોએ વધુ નાણાંનું રોકાણ કરવું પડશે. બિલ્ડરે પ્રોજેક્ટમાં ગ્રાહકો પાસેથી મળતાં નાણાં પૈકી 70 ટકા નાણાં એક અલગ એકાઉન્ટમાં રાખવા પડશે તેથી એકંદરે નવા પ્રોજેક્ટની સંખ્યા પણ ઘટશે અને શરૂઆતમાં સપ્લાય ઘટવાના કારણે પણ ભાવમાં વધારો જોવા મળશે.

રેરાના કારણે ગ્રાહકોને સૌથી મોટો લાભ એ થશે કે ડેવલપરોએ પઝેશન માટે આપેલા વચનને વળગી રહેવું પડશે અને જો તેમાં વિલંબ થશે તો પ્રત્યેક મહિને ગ્રાહકને વ્યાજ ચૂકવવું પડશે. બિલ્ડરોએ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, લીગલ ટાઇટલ ડીડ સહિતના દસ્તાવેજો સાથે રેરા ઓથોરિટીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને તેના આધારે તેમને પ્રોજેક્ટ દીઠ રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે.

રજિસ્ટ્રેશન થયા પહેલાં ડેવલપર કોઈ પણ પ્રકારે પોતાના પ્રોજેક્ટની જાહેરાત નહીં કરી શકે અને ગ્રાહકોને પ્લોટ કે મકાન જોવા માટે આમંત્રણ પણ નહીં આપી શકે. દરેક એડ્વર્ટાઇઝમેન્ટમાં ડેવલપરે રેરા રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરવાનો રહેશે. નિયમનતંત્ર એક વેબસાઇટ પણ બનાવશે અને તેમાં તેની પાસે રજિસ્ટર્ડ થયેલા તમામ પ્રોજેક્ટની માહિતી લોકોને મળશે.

રેરાનો અમલ થયા બાદ પઝેશનના સમયપાલનની ચુસ્તતા ઉપરાંત પાંચ વર્ષ સુધી બાંધકામની ગુણવત્તા માટે પણ ડેવલપર બંધાયેલા રહેશે. પ્રોજેક્ટ પૂર્ણ થયાનાં પાંચ વર્ષ સુધીમાં સ્ટ્રક્ચરલ કે અન્ય કામમાં કોઈ પણ ખામી હોય તો ગ્રાહકો ડેવલપરને જાણ કરી શકશે અને ડેવલપરે 30 દિવસમાં કોઈ વધારાનાં નાણાં વસૂલ્યા વગર તેનો ઉકેલ લાવવાનો રહેશે.

રિયલ્ટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સમય જતાં ઉદ્યોગમાં પારદર્શિતા વધવાથી ભંડોળના વધારે વિકલ્પો ઉપલબ્ધ બનશે અને ગ્રાહકોને રક્ષણ મળવાથી મકાનોની માંગ વધશે.

May 25, 2018
rera.jpg
1min10980

ઘર ખરીદનારાઓ માટે વ્યક્તિગત લોનની માંગમાં જ વધારો નથી થયો પરંતુ ડેવલપર્સની લોન પણ વધી છે. રેરાના રક્ષણ સાથે ધિરાણકારો હવે બિલ્ડર્સને લોન આપવા માટે વધુ સારી સ્થિતિમાં છે.

1 જુલાઈ 2017થી મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતનાં રાજ્યોમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ (એક્ટ) લાગુ થયો છે. રિયલ એસ્ટેટ સેક્ટર હાલમાં રેરા, જીએસટી તથા બ્લેકમની સામેનાં પગલાં, ભાવ અને નરમાઈની અસરનો સામનો કરે છે.

રિયલ એસ્ટેટ ડેવલપરને ફાઇનાન્સ કરવામાં એનબીએફસી અને એચએફસીનો બજારહિસ્સો વધીને 60 ટકા થઈ ગયો છે. ચાર વર્ષ અગાઉ રિયલ્ટીને ફાઇનાન્સ કરવામાં આ સંસ્થાઓનો હિસ્સો લગભગ 30 ટકા જેટલો હતો. ડેવલપરને ધિરાણ આપતી સંસ્થાઓમાં એનબીએફસી, એચડીએફસી, ઇન્ડિયાબુલ્સ, જેએમ ફાઇનાન્શિયલ અગ્રેસર છે અને તેઓ ડેવલપરને લોનમાં 20 ટકા હિસ્સો ધરાવે છે.

તેનું મુખ્ય કારણ એ છે કે વધુ રાજ્યો હવે રેરા લાગુ કરી રહ્યાં છે. રેરાની ઇશ્યૂ કરવામાં આવેલી માર્ગદર્શિકા વિશે કેટલીક સ્પષ્ટતા મળ્યા પછી જ ડેવલપર્સે પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. પ્રોજેક્ટ લોન્ચના પ્રમાણમાં વધારો થયો છે.

રેરાનો અત્યાર સુધીમાં અમલ કરવામાં આવ્યો હોય તેવાં રાજ્યોની સંખ્યા વધીને 21 થઈ છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યોએ રેરા અપનાવ્યો છે. આ ઉપરાંત આ રાજ્યોમાં જ એફોર્ડેબલ હાઉસિંગમાં પણ વધારો થયો છે. વ્યક્તિગત હોમ લોન સેગમેન્ટની સરખામણીમાં આ સેગમેન્ટે વધારે ઝડપથી વૃદ્ધિ કરી છે અને તે વધારે સારું માર્જિન પણ ઓફર કરે છે.

એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સે 31 માર્ચ 2018ના રોજ સમાપ્ત થયેલા ચોથા ક્વાર્ટરમાં ₹2,266 કરોડની પ્રોજેક્ટ લોન વિતરીત કરી હતી અને લગભગ 80 ટકાનો વધારો નોંધાવ્યો હતો. તેમની ₹1.66 લાખ કરોડની લોન બૂકમાં ડેવલપર્સને આપવામાં આવેલી લોનનો હિસ્સો લગભગ પાંચ ટકા છે.

પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે મજબૂત બિઝનેસ વૃદ્ધિ નોંધાવી છે અને વાર્ષિક ધોરણે લોનની ફાળવણીમાં 45 ટકા વધારો થયો છે જ્યારે ક્રમિક વૃદ્ધિનો મોટો હિસ્સો કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ દ્વારા પ્રેરિત હતો. એલ એન્ડ ટી ફાઇનાન્સે રિયલ એસ્ટેટ ફાઇનાન્સમાં 56 ટકા વૃદ્ધિ નોંધાવી છે. એચડીએફસી માટે બિન-વ્યક્તિગત લોન બૂકમાં ગયા નાણાકીય વર્ષમાં 17.3 ટકા વૃદ્ધિ થઈ હતી જ્યારે રિટેલ લોનમાં 20 ટકા વધારો નોંધાયો હતો.

સૌથી મોટી મોર્ગેજ ધિરાણકાર એચડીએફસી માટે પણ બિનવ્યક્તિગત લોન બૂકમાં ગયા નાણાકીય વર્ષમાં 17.3 ટકાનો વધારો થયો હતો. જ્યારે રિટેલ લોનમાં 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. એન્ટિક બ્રોકિંગના એનાલિસ્ટ દિગંત હરિયાએ કહ્યું કે, ભવિષ્યમાં નવા પ્રોજેક્ટ લોન્ચ વધવાની શક્યતા છે. રેરાનું પાલન કરતા પ્રોજેક્ટને ધિરાણ કરવામાં ધિરાણકારો રાજી છે.

May 25, 2018
2ndhandmob-1280x720.jpg
1min11990

એપલ અને અને સેમસંગ જેવી મહત્ત્વાકાંક્ષી બ્રાન્ડ્સના ફોન સસ્તામાં ખરીદવાની જબરજસ્ત માંગ હોવાથી આવતાં બે વર્ષમાં ભારતનું સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોનનું માર્કેટ 27 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી જશે.

નિષ્ણાતો અને વિશ્લેષકોને અપેક્ષા છે કે, 2019 અને 2020માં રિફર્બિશ્ડ ફોનનું માર્કેટ જોરદાર વૃદ્ધિ હાંસલ કરશે કારણ કે નવી-નવી કંપનીઓ વર્તમાન ઓનલાઇન માર્કેટપ્લેસિસ પર જોડાઈ રહી છે. એમેઝોન, કેશિફાઇ, શોપક્લૂઝ અને ટોગોફોગો જેવી ઓનલાઇન ચેનલ્સે આ સેગમેન્ટમાં વાર્ષિક વેચાણમાં ધરખમ વૃદ્ધિ કરી છે.

રિફર્બિશ્ડ મોબાઇલ ફોન કેટેગરી વાર્ષિક ધોરણે 400 ટકાના દરે વધી રહી છે અને મોબાઇલ ફોનના એકંદર વેચાણમાં તેનો હિસ્સો 2017માં લગભગ બમણો થઈ ગયો હતો. એમ એમેઝોન ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું. એમેઝોને જણાવ્યું હતું કે, એપલ અને સેમસંગ જેવી મહત્ત્વાકાંક્ષી બ્રાન્ડ્સના ફોન 50 ટકા ઓછી કિંમતે ખરીદવા માંગતા ગ્રાહકોની સંખ્યા વધી રહી હોવાથી આ કેટેગરીમાં હજુ ઘણી સારી વૃદ્ધિ જોવા મળશે.

ગયા વર્ષે તેમનું વેચાણ ત્રણ ગણું વધ્યું હતું અને આ વર્ષે પણ આવી વૃદ્ધિની અપેક્ષા છે. શોપક્લૂઝે ચાલુ વર્ષના પ્રત્યેક મહિનામાં બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં 5,780 રિફર્બિશ્ડ ફોન વેચ્યા હતા, જે 2017ના વેચાણની સરેરાશ કરતાં ૩૫ ટકા વધારે છે. શોપક્લૂઝે વેચેલા રિફર્બિશ્ડ ફોનમાં નોકિયા અને સેમસંગના ફોનની સંખ્યા વધારે છે.

એવા ઘણા ગ્રાહકો છે જેમનો પહેલો સ્માર્ટફોન હવે જૂનો થઈ ગયો છે અને કોઈ પણ સ્માર્ટફોન ત્રણ વર્ષમાં ત્રણ વખત વેચાઈ રહ્યો છે, એટલે કે એકંદર સ્માર્ટફોનની માર્કેટની સરખામણીએ વોલ્યુમ કદાચ ઓછું હશે પરંતુ તેનું કદ લગભગ 3.5 કરોડ યુનિટનું છે.

સેકન્ડ-હેન્ડ ફોનના માર્કેટમાં વેચાતા 25 ટકા ફોન જ રિફર્બિશ્ડ હોય છે. નિષ્ણાતો જણાવે છે કે, ડેટાનો વપરાશ વધવાથી ફીચરફોન વાપરતા ગ્રાહકોમાં પણ જૂના સ્માર્ટફોનની માંગ વધી રહી છે.

2017માં રિફર્બિશ્ડ સ્માર્ટફોનનું વોલ્યુમ 25 ટકા જેટલું વધ્યું હતું અને ભારતમાં તેનું વેચાણ 1.2 કરોડ યુનિટ્સને પાર કરી ગયું હતું, જેમાં ત્રીજા ભાગનો હિસ્સો એપલ અને સેમસંગના ફોનનો હતો એમ કાઉન્ટરપોઇન્ટ ટેક્‌નોલોજી માર્કેટ રિસર્ચના આંકડા પરથી જાણવા મળે છે.

May 25, 2018
agri.jpg
1min18310

૭૭ વર્ષના વયોવૃદ્ધ ખેડૂત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અન્યોને પ્રેરણા પુરી પાડી રહ્યા છેઃ

સમગ્ર ગ્રીન હાઉસ પ્રોજેક્ટ સોલાર પેનલની પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા ચાલે છેઃ

૪૦ ગુંઠાના ગ્રીન હાઉસમાં કાકડી અને ટામેટાનું વાવેતર કર્યું છેઃ

દક્ષિણ ગુજરાતના ખેડૂતો ‘ગ્રીન હાઉસ’ના કન્સેપ્ટથી પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે.

હાલ સુધી ખેતીનો સંપૂર્ણ આધાર આબોહવા અને કુદરત પર રહેતો હતો. પણ નવા યુગ સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ વધતાં કૃષિક્ષેત્ર પણ જમાના સાથે તાલ મિલાવી રહ્યું છે. હવે કુદરત પર આધાર રાખ્યા વિના ‘ગ્રીન હાઉસ’ના કન્સેપ્ટથી ખેડૂતો પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ જગતનો તાત સમૃદ્ધ થાય તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જંગી ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બને એવા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજય સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત કરી ત્યારથી જ કૃષિ અર્થતંત્રમાં બદલાવ આવ્યો છે. હજારો ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી અપનાવીને પોતાની આવક બમણી કરી છે.
સુરત જિલ્લામાં ગ્રીનહાઉસથી ખેતી કરતા ખેડૂતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. તેનું કારણ છે ગ્રીનહાઉસ-નેટહાઉસ ખેતીથી નિંદામણના અને રોગ-જીવાતોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ઉત્પાદનમાં વધારો. સાથે સાથે પાણીના વપરાશમાં બચત અને મજૂરી ખર્ચમાં પણ લાભ મળે છે. સાદી ભાષામાં કહીએ તો ગ્રીનહાઉસ ટેક્નોલોજી એટલે બંધ કવરમાં વાતાવરણ, તાપમાન અને ભેજ નિયંત્રણની સચોટ વ્યવસ્થા હેઠળ કરાતી નવા જમાનાની ખેતી.

એમ.એસ.યુનિવર્સિટીમાંથી ઈલેકટ્રીક એન્જિનિયરીંગ કરીને ઈલેકટ્રીક એન્જિનિયર તરીકેની નોકરી છોડી નવતર ખેતી કરતા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કદરામા ગામના ૭૭ વર્ષના વયોવૃધ્ધ ખેડૂત લલિતભાઈ નાથુભાઈ પટેલે ખેતીમાં ગ્રીન હાઉસ ટેકનોલોજીથી કાકડીનું માતબર ઉત્પાદન મેળવીને અન્યોને પણ પ્રેરણા પુરી પાડી છે.
સુરત માહિતી ખાતાની ટીમ સાથેની એક મુલાકાતમાં વાત કરતા લલિતભાઈ કહે છે કે, શરૂઆતમાં અમો શેરડી, ડાંગર જેવા પરંપરાગત પાકોની ખેતી કરતા હતા. પરંતુ બદલાતા સમય સાથે આજના આધુનિક અને ઝડપી યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના ચાલે તેમ નથી.
લલિતભાઈ પુત્ર જતીનભાઈ પટેલ સાથે ત્રણેક વર્ષ પહેલા જિલ્લામાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં ગયા હતા. જયાં વૈજ્ઞાનિકોએ આધુનિક ટેકનોલોજી અંતર્ગત ગ્રીન હાઉસ/નેટ હાઉસ વિશેની માહિતી આપી. ત્યાર બાદ પિતા-પુત્રએ બાગાયત ખાતાના અધિકારીઓનો સંપર્ક કર્યો, જ્યાં ગ્રીન હાઉસ-નેટ હાઉસની વિગતો મેળવી. બાગાયતના અધિકારીએ આણંદ જિલ્લામાં યોજાયેલા પ્રેરણા પ્રવાસમાં આવવા જણાવ્યું. જેથી જતીનભાઈએ ૧૫ દિવસ દરમિયાન આણંદ ખાતે પ્રેરણા પ્રવાસ, ટ્રેનિંગ દરમિયાન ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉપરાંત ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં આપવામાં આવતી સબસીડી તથા કેવા વાતાવરણમાં કયું ઉત્પાદન લઈ શકાય તેની પ્રત્યક્ષ મુલાકાત લીધી. પુત્ર જતિનભાઈ સાથે લલિતભાઈએ ચર્ચા કરીને કહ્યું કે, ‘હવે આધુનિક ટેકનોલોજી વિના ચાલે તેમ નથી. સ્વભાવે સાહસિક અને પ્રયોગશીલ એવા પિતા-પુત્રએ તમામ વિગતો મેળવીને પ્રથમ ૨૦ ગુંઠામાં નેટહાઉસ બનાવ્યું. તેમા પ્રથમ પ્રયાસે ૧૩ ટન ખીરા કાકડીનું ઉત્પાદન લીધા બાદ આ જ નેટહાઉસમાં કેપ્સિકમ મરચાનું ઉત્પાદન લીધું, જેમાં સવા લાખના ખર્ચ બાદ કરતા ચોખ્ખો ચાર લાખનો નફો થયો હતો.

સારૂ એવું ઉત્પાદન મળતા હવે ગ્રીન હાઉસમાં કાકડીનું વાવેતર કરવાનો નિર્ધાર કર્યો. ગ્રીન હાઉસ એટલે, પ્લાસ્ટિક અથવા પારદર્શક આવરણવાળું ગૃહ. જેમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે જરૂરી વાતાવરણનું નિયંત્રણ કરી શકાય છે. લલિતભાઈએ ૪૦ ગુઠા જમીનમાં હાઈટેક ગ્રીન હાઉસ તૈયાર કર્યું. જેમાં કુલ ૩૭ લાખના ગ્રીન હાઉસમાં સરકારની ૬૫ ટકા એટલે ૨૪ લાખ જેટલી રકમની સબસીડી પ્રાપ્ત થઈ છે. આ પ્રોજેકટમાં ૨૦ ગુંઠામાં કાકડી અને ૨૦ ગુંઠામાં ટામેટાનું વાવેતર કર્યું છે.
લલિતભાઈ કહે છે કે, કાકડી એ ચાર મહિનાનો પાક છે. અમોએ, જાન્યુઆરી-૨૦૧૮માં એક બીજ ૭ રૂા.ના ભાવે લાવીને કાકડીના ૬ હજાર રોપાઓ તૈયાર કરીને વાવેતર કર્યું. ૪૦ દિવસમાં ઉત્પાદન ચાલુ થયું. સમયાંતરે ૨૫૦ થી ૫૦૦ કિલો કાકડીનું ઉત્પાદન મળે છે. ૩૦૦ થી ૪૦૦ મણદીઠ બજાર ભાવ મળ્યો છે. ચાર મહિના દરમિયાન ૧૪ થી ૧૫ ટન કાકડીનું ઉત્પાદન મળ્યું છે. આમ, રૂ. ૧,૮૦,૦૦૦માં ૪૦ હજારનો ખર્ચ બાદ કરતા ૧.૪૦ લાખનો નફો થયો છે. જ્યારે ટામેટાનું ઉત્પાદન ટુંક સમયમાં શરૂ થઈ જશે. વેચાણની વિશે વાત કરતા તેઓ કહે છે કે, સામાન્ય રીતે કાકડીનો ઉપયોગ કચુંબર-સલાડ બનાવવા હોટેલોમાં વધુ થતો હોઈ તેની ભારે માંગ રહે છે. ગ્રીન હાઉસમાં ઉત્પાદિત કાકડીની ઉચ્ચ ગુણવત્તા હોવાના કારણે માંગ સારી રહે છે.
ગ્રીન હાઉસની વિશેષતા વિશે વાત કરતા લલિતભાઈ કહે છે કે, કાકડીના પાક માટે ૨૫ થી ૨૭ ડિગ્રી તાપમાન અનુકૂળ રહે છે. જેથી અમોએ ગ્રીન હાઉસની ઉપર આઉટર સ્પ્રિંકલર ગોઠવ્યા છે, જે ચાલુ કરતા પાણીનો છંટકાવ થાય છે. જેના કારણે અંદરનું તાપમાન જાળવી શકાય. અંદર પણ ફોગીંગ દ્વારા વાતાવરણને નિયંત્રિત રાખી શકાય છે.
નવાઈની વાત તો એ છે કે, આ સમગ્ર પ્રોજેકટમાં ડ્રીપ ઈરિગેશન પધ્ધતિથી પિયત કરવામાં આવે છે. જેમાં સોલાર પાવર પેનલ મૂકવામાં આવી છે. ૫ એચ.પી.ની મોટર સોલાર પેનલથી ચાલે છે. નાબાર્ડ મારફતે મળતી સોલાર પેનલની યોજનામાં ૫ લાખમાં ૫૦ ટકા સબસીડી મેળવી ઉપરાંત જી.જી.આર.સી. યોજનામાં ૫ લાખના પ્રોજેકટમાં ૭૫ હજાર ભર્યા, જયારે બાકી ૪.૫૦ લાખની સબસીડી પ્રાપ્ત થઈ હોવાનું લલિતભાઈએ કહ્યું હતું. આ પુનઃપ્રાપ્ય ઉર્જા હોવાને કારણે લાઈટ બિલમાંથી તો જાણે કાયમી મુકિત મળી છે. તેઓ ગર્વભેર કહે છે કે, જો હુ આ ઉમરે આટલી મહેનતથી ખેતીમાં સફળતા મેળવી શકું છું, તો યુવા ખેડૂતો ચોક્કસથી ખેતીમાં નવા અભિગમ સાથે પ્રયોગાત્મક પગલા લે તો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. મહાત્મા ગાંધી કહેતા કે, ચીલાચાલુપણું અને નકલ એ ગર્દભનું લક્ષણ છે. આધુનિક ટેકનોલોજી અપનાવીને ચાલીશું તો ઝડપભેર આગળ વધી શકાય છે. ખેતીમાં નાના પાયે કરેલી શરૂઆતનો અંત પણ સુખદ હશે.

May 25, 2018
suda1.jpg
1min12200

૨૦મીએ મુખ્યમંત્રીના હસ્તે રૂા.૩૦.૨૪ કરોડના ખર્ચે નવનિર્મિત ‘સુડા ભવનનું લોકાર્પણ


૧૦૦ kwp સોલાર ઉર્જા પ્લાન્ટથકી વર્ષ દહાડે ૮૧૨૦૦ યુનિટ વિજળીનું ઉત્પાદન થશેઃ

સુરત, શુક્રવાર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ૨૦મીએ વેસુ ખાતે રૂ.૩૦.૨૪ કરોડના ખર્ચે ગ્રીન કન્સેપ્ટથી નવનિર્મિત ‘સુડા ભવન’નું લોકાર્પણ કરવામાં આવશે. ગ્રીન બિલ્ડીંગના માપદંડો પ્રમાણે સુરત શહેરી વિકાસ સત્તામંડળના આ ભવનમાં વરસાદી પાણીનો સંગ્રહ માટે તેમજ પાણીની બચત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બિલ્ડીંગના સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેમાંથી દર વર્ષે આશરે ૮૧૨૦૦ યુનિટ વીજળી મળશે. રીન્યુએબલ એનર્જી અને સૂર્યપ્રકાશના યોગ્ય વપરાશ દ્વારા ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરાયો છે. ભવનમાં વાતાવરણને અનુકુળ એવી બિલ્ડીંગ સામગ્રીનો વપરાશ કરાયો છે.
વરસાદી પાણી માટે હાર્વેસ્ટિંગ સિસ્ટમ, વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ જળની ટાંકી તેમજ ઓવરહેડ પાણીની ટાંકી બાંધવામાં આવી છે. ૧૦૦ kwp ગ્રીડ ટાઈપ એસપીપીની જોગવાઈ સાથે સોલર લાઇટિંગ્સ અને ઊર્જા કાર્યક્ષમતા માટે એલઇડી લાઇટિંગ અને મોશન સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બિલ્ડીંગમાં પાણીનો વપરાશ ઘટાડવા માટે સેન્સર આધારિત નળ અને લો ફ્લો ફિક્સર ફીટ કરાયા છે. જયારે મુખ્ય પ્રવેશદ્વાર પર બાયોમેટ્રિક એક્સેસ કન્ટ્રોલ મૂકવામાં આવ્યું છે. સંપૂર્ણ ભવનમાં સી.સી.ટીવી મોનિટરીંગ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે.

May 25, 2018
smc-1280x853.jpg
1min12730

સૂરતઃ રવિવારઃ- ‘‘જયાં માનવી ત્યાં સુવિધા’’ અને ‘‘વ્યથા નહીં વ્યવસ્થા’’ના મંત્ર સાથે ગુજરાતના શહેરો વર્લ્ડ કલાસ સીટી બને તેવી નેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘‘સ્માર્ટ સિટી સમિટ મેગા ઇવેન્ટ’’ને ખુલ્લી મૂકતા વ્યકત કરી હતી.
શ્રેષ્ઠ તકોના સર્જન થકી ભારત સરકારના ‘સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ દ્વારા નવી પેઢીને અવસર આપવા રાજય સરકારની કટિબદ્ધતા વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ યુવા પેઢી પોતાની નવી બ્રાન્ડ બનાવીને સ્ટાર્ટ અપમાં આગળ વધે તેવો અનુરોધ કર્યો હતો.

રાજયમાં ૪૮ ટકા શહેરી વસ્તી છે ત્યારે આવનારા સમયમાં ૫૦-૫૦ ટકા શહેર-ગ્રામ્યની વસ્તી સમાન થશે. ગુજરાતના ૬ શહેરોને ભારત સરકારે સ્માર્ટ સીટીનો દરજ્જો આપ્યો છે. જેમાં સૂરત ગુજરાત અને સમગ્ર ભારતમાં નંબર વન હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
સમસ્યાનું કેવી રીતે નિરાકરણ થાય, બે કદમ આગળ વધીને આવનારી સમસ્યાનું નિરાકરણ થાય તે જ સાચું સ્ટાર્ટઅપ હોવાનું તેમણે ઉમેર્યું હતું. સૂરત શહેરને ડાયમંડ સીટી, સીલ્ક સીટી, બ્રિજ સીટીની સાથે હવે સ્માર્ટ સીટી તરીકે ઓળખાય છે. બે દશકમાં ઘણો જ બદલાવ સૂરતમાં આવ્યો છે.

 

ભારતભરમાં માત્ર અમદાવાદને વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો મળ્યો છે તેવી જ રીતે સુરત શહેરને પણ સ્માર્ટ સીટી દરજ્જો મળ્યો છે. શહેરોમાં પ્રાથમિક સુવિધા રસ્તા, ડ્રેનેજ, વીજળી, આરોગ્યની સુવિધાઓ પૂરતી હોય તે ઉપરાંત સીટી રહેવાલાયક હોય, સીટીમાં વ્યવસ્થા એવી હોય કે લોકોને કોઈ સમસ્યા વગર ટેકનોલોજીના સહારે સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર પ્રયાસો કરી રહી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
કમાન્ડ કંટ્રોલની વ્યવસ્થાઓ સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સૂરત સીટીમાં પાણી, વીજળી, રસ્તા જેવી અનેકવિધ વ્યવસ્થાઓ એક જ સ્થળે સેન્ટર દ્વારા કમાન્ડ કંટ્રોલ થઈ છે. પોલીસ અને કોર્પોરેશનના સહયોગથી કોઈ પણ સમસ્યા હોય તો એક જ સ્થળેથી તેનું સરળતાથી નિરાકરણ લાવી રહી છે.
આ પ્રસંગે કેન્દ્રીય વાણિજય અને ઉદ્યોગ રાજયમંત્રી શ્રી સી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, ભારતીય યુવાનોના કૌશલ્યનો વિકાસ થાય, ઉદ્યોગ જગત અને અર્થતંત્રને બળ મળે એવા વિવિધ હેતુઓ સાધવાનો પ્રયાસ સ્ટાર્ટ-અપ ઇન્ડિયાના માધ્યમથી થઈ રહ્યો છે. તેમણે ભારતના ૧૦૦ સ્માર્ટ સીટીમાં સૂરતે કામગીરીમાં પ્રથમ નંબર મેળવ્યો છે જે બદલ અભિનંદન આપ્યા હતા. સામાન્ય માનવીને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, વીજળી જેવી સુવિધાઓ મળે તેવા તમામ પાસાઓને સ્માર્ટ સીટીમાં આવરી લેવામાં આવ્યા છે. ૨૦૨૨માં સૌને ઘરનું ઘર મળી રહે તેવા પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે સૌને કટિબદ્ધ બનાવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
આ તકે શ્રી ચૌધરીએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે યુવા પેઢી પાસે જો નવા નવા આઈડિયા હશે તો ભારત સરકાર તેમાં પૂર્ણ સહયોગી બનશે તેવી ખાત્રી તેમણે આપી હતી. ઓછામાં ઓછા સમય અને ખર્ચ દ્વારા નવી વસ્તુઓનું નિર્માણ થાય તે દિશામાં કાર્ય કરવા યુવા સ્ટાર્ટઅપ ઉદ્યોગકારોને તેમણે જણાવ્યું હતું.

સ્ટાર્ટ અપ ફેસ્ટિવલમાં દેશભરના સ્ટાર્ટ અપથી ઉદ્યોગમાં પદાર્પણ કરનાર ૧૦૦ ઉદ્યોગ સાહસિકોઓ પૈકી પસંદ થયેલા શ્રેષ્ઠ સ્ટાર્ટ અપને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે My Surat સિટીઝન એન્ગેજમેન્ટ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ તેમજ સુરત મની કાર્ડ તથા કોફી બુકનું લોન્ચિંગ થયું હતું.
આ પ્રસંગે આરોગ્ય રાજયમંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી, મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા, સાંસદ શ્રી સી.આર.પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો સર્વશ્રી શ્રીમતી ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, વિવેકભાઈ પટેલ, હર્ષ સંઘવી, અરવિંદ રાણા, પ્રવિણભાઈ ઘોઘારી, પૂર્ણેશભાઈ મોદી, કાંતિ બલર, મ્યુ.કમિશનર શ્રી એમ.થેન્નારસન તેમજ ગુજરાત સહિત અન્ય રાજ્યોના સચિવ કક્ષાના અધિકારી, ૫દાધિકારીઓ, મહાનુભાવો, મ્યુ.કમિશનરો, વરિષ્ઠ અધિકારીઓ, મેયરો તેમજ ડેપ્યુટી મેયરો તેમજ દેશભરના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ડેલિગેટ્સ ઉ૫સ્થિત રહ્યાં હતા.

May 25, 2018
suratrupani.jpg
1min12580

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આજે મહાનગરપાલિકાના રૂા.૪૨૯.૬૦ કરોડના વિવિધ પ્રકલ્પોની સૂરતને ભેટ ધરી હતી. આ પ્રકલ્પોમાં રૂા.૩૦.૨૪ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓની સજ્જ નવનિર્મિત ‘સુડા ભવનનું લોકાર્પણ, કોસાડ ખાતે બી.આર.ટી.એસ. બસનો વર્કશોપ, સરથાણા-વાલક ખાતે રૂા.૧૮૩૮ લાખના ખર્ચે વરાછાના સબ ઝોન-B વહીવટી ભવનનું ખાતમુહૂર્ત, શાળાના ભવનનું એકસ્પાન્સન, વાંચનાલય, જળ વિતરણ માટે વોટર સપ્લાયનું કામ જેવા અનેકવિધ કામોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી હતી જેના પગલે આ સરકાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે, કોગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી કહેતા હતા કે, એક રૂપિયો મોકલુ ત્યારે પ્રજા સુધી ૧૫ પૈસા પહોચે છે. વચેટીયાઓ લઈ જતા હતા. જયારે નરેન્દ્રભાઈ મોદી એક રૂપિયો મોકલે છે ત્યારે સવા રૂપિયાનું કામ થાય છે તે જ આ સરકારની ફળશ્રૃતિ છે.
રાજય સરકારે આવનારા સમયમાં ઝડપી નિર્ણયો થકી ટીપી સ્કીમો ૬ મહિનામાં પૂર્ણ કરવાના નિર્ધાર સાથે તમામ નકશાઓ ઓનલાઈન કરીને નવી વ્યવસ્થાના ક્ષેત્રે પર્દાપણ કર્યું છે. સરકાર નિર્ણાયક છે સૂરજ ઉગેને રોજ નવા નિર્ણયો લઈને સરકાર આગળ વધી રહી છે.
સંવેદનશીલ, પારદર્શી નિર્ણયો લઈ પૈસા વગર કામ થતુ નથી તેવી લોકો માનસિકતાને તોડવી છે તેવો દઢ નિર્ધાર વ્યકત કર્યો હતો.
સરકારે લાંચરૂશ્વત વિરોધી બ્યુરો અને કાયદા-વ્યવસ્થાની બાબતમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમ સ્થાન ધરાવે છે.
વર્તમાન સમયે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ૫૦-૫૦ ટકા જનશકિત થઈ રહી છે તેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનો સમતોલ વિકાસ માટેના તમામ નિર્ણયો સરકાર કરી રહી છે. કુદકેની ભુસંકે વિકાસ આગળ વધે તે દિશામાં સતત પ્રયત્નશીલ હોવાનું જણાવીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનો સમતોલ વિકાસ થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે. કોઈ પણ સ્થળે અકસ્માત થાય તો તત્કાલ ઈજાગ્રસ્તને રૂપિયા ૫૦ હજારની સહાય આપીને જીવ બચે તે માટેનો સંવેદશીલ નિર્ણય સરકારે કર્યો છે.
રાજયમાં કંમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ શરૂ થઈ ચૂકી છે. સ્વચ્છતા, ટ્રાફીક, આરોગ્ય, વિજળી, પાણી સહિતની લોકોની સમસ્યા હોય તો એક જ જગ્યાએ તેનો કંટ્રોલ થાય તેવી સુવિધા સુરત મહાનગરપાલિકાએ સાકાર કરી છે.
એરપોર્ટ જેવી સુવિધાઓ હોય તે માટેના સુવિધાયુકત બસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યા છે. રાજયમાં છ બસ સ્ટેન્ડ શરૂ કર્યા છે. અન્ય ૯ નવા સ્ટેશનોનું નિર્માણ થઈ રહ્યું છે. તમામ જિલ્લા કેન્દ્રના બસ સ્ટેશનો એરપોર્ટ જેવા બસ સ્ટેશનો હોય તે માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં રીવોલ્યુવેશન લાવી રહ્યા હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું. અંતરીયાળ વિસ્તારના લોકોને મુશ્કેલી ન પડે તે માટે મીની બસોનો વધારો કરી સાંકળી લેવામાં આવશે.
સુરતે છેલ્લા બે દાયકામાં તમામ ક્ષેત્રે બે કદમ આગળ વધીને ખૂબ વિકાસ સાધી ગુજરાતના સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહ્યું છે ત્યારે ખરા અર્થમાં સૂરત ખૂબસુરત બની રહે તેવી આશા વ્યકત કરી હતી.
આ વેળાએ આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, નાનામાં નાના માનવીને પ્રાથમિક સુખ સુવિધાઓ મળી રહે તે માટે રાજય સરકાર કામ કરી રહી છે. પાણીની સમસ્યાને દેશવટો આપવા માટે રાજય સરકારે જળસંચય અભિયાન ઉપાડયું છે. રાજય સરકારે જ્ઞાતિ-જાતિથી પર રહીને સૌનો સાથ અને સૌના વિકાસના મંત્રને સાર્થક કરી રહી છે.
આ પ્રસંગે રમત ગમત રાજયમંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલ, મેયરશ્રીમતિ અસ્મિતાબેન શિરોયા, સાંસદશ્રી સી.આર.પાટીલ, શ્રીમતિ દર્શનાબેન જરદોશ, ધારાસભ્યો સર્વશ્રી શ્રીમતી ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, વિવેકભાઈ પટેલ, હર્ષ સંધવી, અરવિંદ રાણા, પ્રવિણભાઈ ધોધારી, પૂર્ણેશભાઈ મોદી, કાંતિ બલર, મ્યુ.કમિશનરશ્રી એમ.થેન્નારસન, જિલ્લા કલેકટરશ્રી ધવલ પટેલ, શહેર સંગઠન પ્રમુખશ્રી નીતિનભાઈ ભજીયાવાલા તેમજ મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.