ઉમરગામ થી મહેમદાબાદ, સમગ્ર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના અમુક ભાગોના બનેલ રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ની ૧૦૫ કલબોના ૧૬૦૦ થી વધુ પ્રતિનિધિઓની હાજરીવાળી ડિસ્ટ્રિકટ કોન્ફરન્સ જોધપુર ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઇ.
રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ના ડિસ્ટ્રિકટ ગવર્નર રોટેરિયન તુષાર શાહ અને ફર્સ્ટ લેડી નેહલબેન શાહના નેતૃત્વમાં આયોજિત થયેલી આ કોન્ફરન્સમાં રોટરી આંતરરાષ્ટ્રીય પ્રમુખના પ્રતિનિધિ તરીકે ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર મેહુલભાઈ રાઠોડ (અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત અન્ય મહાનુભાવોમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજી (વાપી), ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડીરેકટર ડૉ. મનોજ દેસાઈ (બરોડા) ઉપરાંત ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નરશ્રીઓ નિહિર દવે (આણંદ), શ્રીકાંત ઇન્દાની (દોંડાઇચા), સંતોષ પ્રધાન (સુરત), પ્રશાંત જાની (સુરેન્દ્રનગર), અનિષ શાહ (વલસાડ), પિન્કીબેન પટેલ (બરોડા), રુચિર જાની (વાપી), હિતેશ જરીવાલા (સુરત), જતીન ભટ્ટ (બરોડા), પરાગ શેઠ (ભરૂચ), દેવાંગભાઈ ઠાકોર (ભરૂચ), સુરેન્દ્રસિંહ રાજપૂત (સરીગામ), આશિષ રૉય (વાપી), આશિષ અજમેરા (ધુલિયા), ડૉ. નિલાક્ષ મુફતી (વલસાડ), ડિસ્ટ્રિકટ ગવર્નર ઇલેકટ અમરદીપ બુનેટ (ભરૂચ), ડિસ્ટ્રિકટ ગવર્નર (૨૦૨૭-૨૮)-આશિષ પટવારી (ધુલિયા) ઉપરાંત જેમણે પોતાની સમગ્ર સંપત્તિ રોટરીવાદને સમર્પિત કરી દીધી છે તેવા મેક્સિકોના લેડી રોટેરિયન ડેલ (DALE) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્દઘાટન સમારોહના ચીફ ગેસ્ટ દેવદત્ત પટનાયકે “માઈથોલોજી” વિષય પર મનનીય પ્રવચન પ્રસ્તુત કર્યું હતું.
ઇન્દોરના પ્રસિદ્ધ નાદયોગ ગુરુકુલના કલાકારોએ અદ્દભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો, જયારે દેશના ટોચના વાંસળીવાદક તેજસ અને તબલાવાદક મિતાલીજીના સાનિધ્યમાં પ્રસ્તુત થયેલ કાર્યક્રમે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ઉદ્દઘાટન સમારોહ બાદ પર્વતારોહક અજીત બજાજે તેમના અદ્વિતિય સાહસોની સનસનાટીભરી સાહસ કથા પ્રસ્તુત કરી હતી.
ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજીના જીવન અને કવન પર આધારિત વાતોને સૌ વધાવી લીધી હતી.
માનવતા માટે નાણાંનો અવિરત સ્ત્રોત વહેવડાવનાર રોટેરિયન મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અધિવેશનના બીજા દિવસે લેફટનન્ટ કર્નલ કે. જે. એસ. ધિલ્લોને “કહાની : ઝમીર અને ઝનૂન કી” વિષય પર ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર મનોજભાઈ દેસાઈની સાથે રહીને રસપ્રદ પ્રશ્નોત્તરીના સથવારે સૌને અત્યાર સુધી નહિ ખબર હોય તેવી અનેક વાતોને પ્રસ્તુત કરી હતી.
વંદે ભારત ટ્રેનના પ્રેરણાસ્ત્રોત સમા સુધાંશુ મણિએ ઝુમના માધ્યમ દ્વારા “લીડરશીપ અને ઇનોવેશન” વિષય પર અસરકારક વકતવ્ય પ્રસ્તુત કર્યું હતું.
આ અધિવેશનના મુખ્ય આકર્ષણ સમા કેરલના રાજ્યપાલ શ્રી આરિફ મહંમદ ખાને પોતાની વિધ્વત્તાભરી શૈલીમાં “જીવનના મૂલ્યો”ને સમજાવ્યા હતા અને દેશની નામાંકિત સંગીત કલાકાર સન્મુખા પ્રિયાએ અભૂતપૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરીને સૌને ડોલાવી દીધા હતા.
અધિવેશનના ત્રીજા દિવસે જાણીતા ડાયેટિશિયન જીનલ શાહે “આદર્શ જીવનશૈલી” વિષય પર અર્થસભર વાતો પ્રસ્તુત કરી હતી. ખાસ કરીને માણસના આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે કયા પ્રકારના ખોરાકો ખાવા જોઈએ અને કયા પ્રકારના ખોરાકો નહિ ખાવા જોઈએ તે વિષયે ઊંડાણથી સમજ આપી હતી.
હિંદી ફિલ્મ જગતના મહાન હાસ્ય કલાકાર રાકેશ બેદીએ “આપણા સૌના મૂળિયા” (Roots) વિષય પર સતત ૪૫ મિનિટ સુધી અકલ્પનિય પ્રવચન આપ્યું હતું.
રોટરીના મૂળભૂત સાત સિદ્ધાંતો અને તેના અસરકારક પાલનને કારણે સમાજને થઇ રહેલા ફાયદાઓ વિશે વિવિધ વિશેષજ્ઞોએ અર્થસભર વકતવ્યો પ્રસ્તુત કર્યા હતા. જેમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર કમલ સંઘવી સહિત અન્ય મહાનુભાવોનો સમાવેશ થયો હતો.
આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે કોન્ફરન્સ ચેરમેન કેતન પટેલ (વાપી), કોન્ફરન્સ કો-ચેરમેનો શ્રીમતી રાનુબેન અજમેરા (ધુલિયા) અને ચિરાગ ગાંધી (સુરત), કોન્ફરન્સ સેક્રેટરી પંકજ શાહ (વડોદરા), રોટરી કલબ ઓફ સુરત તાપીના પ્રમુખ નિધી પચ્ચીગર (સુરત), ડિસ્ટ્રિકટ સેક્રેટરી રૂપલ દામાણી અને કોન્ફરન્સની સમગ્ર ટીમે નિષ્ઠાવાન પ્રયત્નો કરીને આ કોન્ફરન્સને સફળ બનાવી હતી.
પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. આજે (26 ડિસેમ્બર) તેમની તબીયત લથડી હતી, ત્યારબાદ તુરંત દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. દિવંગત ડૉ. મનમોહન સિંહના પરિવારજનો હોસ્પિટલમાં હાજર છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કર્ણાટકના બેલગામથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા અને વાયનાડ બેઠક પરના સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદી પણ એમ્સ જશે. તો કોંગ્રેસ, ભાજપ, આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. દેશમાં શોકની લહેર પ્રસરી છે. કોંગ્રેસે આવતીકાલના તમામ કાર્યક્રમ રદ કર્યા. એઈમ્સની આસપાસની સુરક્ષામાં વધારો કરાયો.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે. દિલ્હી AIIMS તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કરાયું છે. જેમાં કહેવાયું છે કે, અત્યંત દુઃખ સાથે અમે ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહના 92 વર્ષની ઉંમરે નિધનની માહિતી આપી રહ્યા છીએ. ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ 26 ડિસેમ્બર 2024એ ઘર પર અચાનક બેભાન થઈ ગયા હતા. ઘર પર જ તેમણે હોશમાં લાવવાના પ્રયાસ કર્યા. તેમણે રાત્રે 8:06 વાગ્યે દિલ્હી AIIMSના મેડિકલ ઇમરજન્સીમાં લવાયા હતા. તમામ પ્રયાસો છતાં તેમને બચાવી ન શકાયા અને રાત્રે 9:51 વાગ્યે તેમનું નિધન થઈ ગયું.
રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું
મનમોહન સિંહજીએ અપાર વિદ્વતા અને અખંડિતતા સાથે ભારતનું નેતૃત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજથી રાષ્ટ્રને પ્રેરણા મળી. શ્રીમતી કૌર અને પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના. મેં એક માર્ગદર્શક ગુમાવ્યા છે. આપણામાંના લાખો લોકો જેમણે તેમની પ્રશંસા કરી છે તેઓ તેમને ખૂબ જ ગર્વ સાથે યાદ કરશે.
વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, ‘ભારત પોતાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાંથી એક ડૉક્ટર મનમોહન સિંહજીના નિધન પર શોખમાં છે. સાધારણ પૃષ્ઠભૂમિથી ઉભરીને તેઓ એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી બન્યા. તેઓ નાણામંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દા પર રહ્યા અને વર્ષો સુધી આપણી આર્થિક નીતિ પર ઊંડી છાપ છોડી. સંસદમાં તેમના હસ્તક્ષેપ પણ ખૂબ વ્યવહારુ હતા. આપણા વડાપ્રધાન તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા.’
તેમની બુદ્ધિમતા અને વિનમ્રતા હંમેશા જોવા મળતી હતી: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ડૉ. મનમોહન સિંહજી અને હું ત્યારે નિયમિત રીતે વાત કરતા હતા જ્યારે તેઓ વડાપ્રધાન હતા અને હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો. અમે શાસનને લગતા વિવિધ વિષયો પર ઊંડી ચર્ચા કરતા હતા. તેમની બુદ્ધિમત્તા અને નમ્રતા હંમેશા જોવા મળતી હતી. ડૉ. મનમોહન સિંહ જીના પરિવાર, તેમના અસંખ્ય ચાહકોની સાથે મારી સંવેદના છે. ઓમ શાંતિ.’
આર્થિક સુધારાનાં સૂત્રધાર માનવામાં આવતા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બરના રોજ 1932માં અવિભાજિત ભારતનાં પંજાબ પ્રાંતમાં થયો હતો. મનમોહન સિંહ વર્ષ 2004 થી 2014 સુધી ભારતનાં વડાપ્રધાન રહ્યા હતા. તેમના 10 વર્ષનાં કાર્યકાળ સુધી મૌન રહેવા તેમના પર ગણા સવાલ ઉઠ્યા હતા. જોકે તેમની આ સાદગી જ મોટી વિશેષતા રહી. મનમોહન સિંહ વર્ષ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર રૂપમાં ભારત સરકારમાં સામેલ થયા હતા. ત્યારબાદ 1972માં તેમને નાણા મંત્રાલયનાં આર્થિક સલાહકાર રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. મનમોહન સિંહ પહેલીવાર 1991માં રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેઓએ રાજ્યસભામાં પાંચ વાર અસમ અને 2019માં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મનમોહન સિંહ 1991થી 1996 વચ્ચે ભારતમાં નાણા મંત્રી પણ રહ્યાં. આર્થિક સુધારાની વ્યાપક નિતી શરૂ કરવામાં તેની ભૂમિકાને દુનિયાભરમાં સરાહના મળી. 1991માં જ્યારે ભારતને દુનિયાના બજાર તરીકે ખોલવામાં આવ્યુ ત્યારે મનમોહન સિંહ નાણામંત્રી હતા. મનમોહન સિંહ ભારતના વડાપ્રધાન હતા ત્યારે મનરેગા યોજનાની પણ શરૂઆત કરી હતી. જેને લઇ ગણા ગરીબ લોકોને રોજગાર મળ્યો હતો.
1998થી 2004 સુધી, જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી, મનમોહન સિંહ રાજ્યસભામાં વિપક્ષ નેતા હતા.
1999માં, તેઓએ દક્ષિણ દિલ્હીથી લોકસભાની ચૂંટણી લડી પણ તેને જીત મળી નહીં. ડો. મનમોહન સિંહે 2004ની સામાન્ય ચૂંટણી પછી 22 મેના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા અને 22 મે 2009માં બીજા કાર્યકાળ માટે શપથ ગ્રહણ કર્યાં. તે 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં.
મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહે કોંગ્રેસના શાસન દરમિયાન ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વિપક્ષી નેતાઓ પણ તેમના કામની પ્રશંસા કરતા રહ્યા છે. આ ઉપરાંત 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંકનાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. દેશના અર્થતંત્રના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેનારા મનમોહન સિંહ પ્રથમ વખત 1991માં રાજ્યસભાના સાંસદ બન્યા હતાં. તેઓ 1991થી 1996 સુધી દેશના નાણામંત્રી અને 2004થી 2014 સુધી દેશના વડાપ્રધાન રહ્યાં હતાં. 2019માં બે મહિનાના ગેપ સિવાય તેઓ સતત છ ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1 ઓક્ટોબર 1991થી 14 જૂન 2019 સુધી સતત તેઓ આસામમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્યારબાદ બે મહિનાની ગેપ બાદ રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા હતા. ત્રીજી એપ્રિલે તેમની રાજ્યસભાની ટર્મ પુરી થઇ હતી.
મૃદુભાષી, વિદ્વાન અને વિનમ્ર મનમોહન સિંહની પ્રશંસા તો વિરોધ પક્ષો પણ કરે છે. તેમને મૈાની બાબા કહીને વિપક્ષોએ મશ્કરી પણ ખૂબ કરી છે, પરંતુ ભારતમાં આર્થિક ઉદારીકરણ લાવનાર મનોમહન સિંહને જશ પણ ભરપૂર મળ્યો છે. ભારતમાં ઉદારીકરણ પવન ફૂંકાવો શરૂ થયો તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિંહરાવના શાસનકાળમાં, કે જ્યારે મનમોહન સિંહ નાણાપ્રધાન હતા. 33 વર્ષની રાજકીય કારકિર્દી ધરાવનાર મનમોહન સિંહનું સૌથી મહત્ત્વનું યોગદાન દેશના આર્થિક તંત્રને વિકાસના ટ્રેક પર મુકવાનું હતું.
1990ના દાયકાની શરૂઆતમાં પીએમ નરસિંહરાવ અને એમએમ મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. ઓક્ટોબર 1991માં મનમોહન સિંહ પ્રથમ વાર રાજ્યસભાના સભ્ય બન્યા હતા. રાજ્યસભાના સભ્ય તરીકે છ ટર્મ સુધી રહેનાર મનોહન સિંહ 1999માં દક્ષિણ દિલ્હીની બેઠક પરથી લોકસભાનો જંગ લડયો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. ભાજપના વિજયકુમાર મલ્હોત્રાએ તેમને હરાવ્યા હતા. સોનિયા ગાંધીએ ‘આત્માના અવાજ’ને અનુસરીને વડાંપ્રધાન બનવાની ના પાડી એટલે 2004થી 2014 સુધી મનમોહન સિંહ દેશના વડાપ્રધાન તરીકે કાર્યરત રહ્યા. પોતાની નજર સામે ચાલતા ભ્રષ્ટાચારને તેઓ અટકાવી શક્યા નહોતા તે બાબતે તેમની ટીકા પણ થઈ છે.
કેરોસીનના દીવાના ઝાંખા પ્રકાશમાં ભણી ભણીને વડાપ્રધાનપદ સુધી પહોંચનાર મનમોહન સિંહમાં જોકે રાજકીય કુટિલતા નહોતી. એમની શૈક્ષણિક લાયકાત ખૂબ તેજસ્વી રહી છે. વિશ્વભરના આર્થિક નિષ્ણાતો તેમને માન આપતા હતા. અમેરિકાના ભતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે, મનમોહન સિંહ બોલે છે, ત્યારે વિશ્વ સાંભળે છે. એ વાત અલગ છે કે ભારતના રાજકારણમાં તેમના ખુદના પક્ષના લોકો પણ તેમનું સાંભળતા નહોતા. ભાજપે તેમના મૌન રહેવાના સ્વભાવનો ભરપૂર લાભ ઉઠાવ્યો છે.
રાજ્યસભામાંથી નિવૃત્ત થતા સભ્યોને વિદાય આપતા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ મનમોહન સિંહની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. મોદીએ કહ્યું હતું કે મનમોહનસિંહની કામગીરી ક્યારેય નહીં ભૂલાય. મોદીએ મતદાનના દિવસને યાદ કરતાં કહ્યું હતું કે મનમોહન સિંહે વ્હીલચેરમાં મતદાન કરવા આવીને લોકોને વોટિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમની પત્ની સાથે મનમોહન સિંહના ઘેર જઇને મળ્યા, તેમની લાંબી રાજકીય કારકિર્દીની પ્રશંસા કરીને અભિનંદન આપ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ મનોહનસિંહના ઘેર ગયા હતા અને તેમને મધ્યમવર્ગના હીરો કહીને પ્રશંસા કરી હતી.
આપણે ત્યાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટનો ભરપૂર ઉપયાગ થાય છે. આ કાયદો મનમોહન સિંહના શાસનકાળ દરમિયાન અસ્તિત્ત્વમાં આવ્યો હતો. એવી જ રીતે રાઇટ ટુ ફૂડ, રાઇટ ટુ એજ્યુકેશન પણ મનમોહન સિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન પસાર થયેલા કાયદા છે. ભારતના 14મા વડાપ્રધાન તરીકે એક દાયકા સુધી કાર્યરત રહેનાર મનમોહન સિંહ ભારતની વર્તમાન ગ્રોથ સ્ટોરીનાં મૂળિયાંમાં છે તે ભૂલવું ના જોઇએ.
દેશભરમાં નાતાલની(Christmas 2025)ઉજવણી જોવા મળી હતી. જેમાં ક્રિસમસ નિમિત્તે અનેક સ્થળોએ રોશનીથી અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે અને તેના કારણે શહેરોની સુંદરતામાં પણ વધારો થયો છે. આ દરમિયાન વિવિધ સ્થળોએ ચર્ચ અને બજારો પણ શણગારેલા જોવા મળ્યા હતા અને તેના કારણે લોકોમાં નાતાલનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે ચર્ચમાં સમૂહ પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
જેમાં રાંચીમાં પણ ચર્ચને ક્રિસમસના ખાસ અવસર પર રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ ક્રિસમસ પર આયોજિત સમૂહ સભા માટે આ ચર્ચને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.
જ્યારે બીજી તરફ મુંબઈમાં પણ નાતાલના આગલા દિવસે કોલાબા સ્થિત એક ચર્ચમાં ક્રિસમસ માસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તસવીરમાં લોકો ચર્ચમાં મીણબત્તીઓ પ્રગટાવતા અને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.
પુડુચેરીમાં પણ નાતાલના અવસર પર હાર્ટ બેસિલિકા ચર્ચમાં મધ્યરાત્રિની પ્રાર્થના માટે લોકો એકઠા થયા હતા.ઓડિશાના કટકમાં પણ નાતાલના અવસર પર અવર લેડી ઓફ મોસ્ટ હોલી રોઝરી કેથેડ્રલ ખાતે મધ્યરાત્રિના સમૂહ માટે લોકો પ્રાથર્ના માટે એકત્ર થયા હતા. જ્યારે મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થિત હોલી ટ્રિનિટી ચર્ચને પણ નાતાલના આગલા દિવસે સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી 22 ડિસેમ્બરના રોજ લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક (State Tax Inspector)ની ભરતીને લઈને GPSCના ચેરમેન હસમુખ પટેલે (IPS Hasmukh Patel) પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્ર ફાળવવા બાબતે કરવામાં આવેલા પરિવર્તન અને તેને સલગ્ન બાબતોની માહિતી આપી હતી. તેમણે ઉમેદવારોને નિરાશ થતાં વગર પરીક્ષા આપવા જણાવ્યું હતું.
GPSC દ્વારા આગામી 22 ડિસેમ્બરના રોજ લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક STIની ભરતીમાં કેન્દ્ર ફાળવવામાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આજ સુધી જીપીએસસી દ્વારા ઉમેદવારની પરીક્ષા તેના જિલ્લા કેન્દ્ર પર લેવામાં આવતી હતી. પરંતુ આ વખતે આયોગે તેમાં ફેરફાર કરીને નજીકના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.
આ અંગે આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્ર જિલ્લા બહાર આપવાને કારણે ઉમેદવારોને મુશ્કેલી પડે તે સમજી શકાય તેમ છે. ભૂતકાળમાં પોતાના જિલ્લાના સંપર્કનો ઉપયોગ કરી પરીક્ષામાં ગરબડ કર્યાના બનાવો રાજ્યની કેટલીક પરીક્ષાઓમાં થયેલા છે તેને ધ્યાનમાં રાખી આ પગલું ભરવામાં આવ્યું છે.
આ ઉપરાંત તેમણે ખેદ વ્યક્ત કર્તા કહ્યું હતું કે, ‘ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી જવામાં મુશ્કેલી પડે તે આયોગ તરીકે અમને જરાય પસંદ નથી પરંતુ પરીક્ષાની સલામતી તથા પરીક્ષા સ્વચ્છ રીતે લેવાય તે આયોગની સૌથી મોટી પ્રાથમિકતા છે. ઉમેદવારોને પ્રવાસમાં મુશ્કેલી ના પડે તે માટે ભવિષ્યમાં પરીક્ષા કેન્દ્ર શક્ય હોય ત્યાં સુધી જિલ્લાના મુખ્ય મથકમાં રાખવામાં આવશે તેમ પણ હસમુખ પટેલે જણાવ્યું હતું.
વધુમાં હસમુખ પટેલે જણાવ્યું હતું કે, “STIની ભરતીમાં ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર જિલ્લા બહાર હોય ત્યાં સુધી પહોંચવામાં અનુકૂળતા રહે તે માટે વધારાની એસટી બસો મુકવા માટે આયોગ અને GSRTCના વડા સાથે વાત કરવામાં આવી છે અને GPSC તરફથી જીલ્લા વાઇઝ ઉમેદવારોની સંખ્યા સાથે GSRTC ને પત્ર લખવામાં આવ્યો છે. ઉમેદવારોને અગવડતા ન પડે તે માટે GSRTC દ્વારા વધારાની બસ મુકવામાં આવશે.
હસુમખ પટેલે આ અંગે ગુજરાતની પ્રજા અને સ્વૈછિક સંસ્થાઓને અપીલ કરતાં કહ્યું હતું કે ગુજરાતે કાયમ મદદ કરી છે. લોકરક્ષકની ભરતીની ઉદાહરણ આપતા તેમણે સ્વૈછિક સંસ્થાઓ દ્વરા ઉમેદવારો માટે કરવામાં આવેલ વ્યવસ્થાને બિરદાવી હતી અને આ પરીક્ષામાં પણ સહકાર આપવા માટે અપીલ કરી હતી.
એક રાત જેલમાં વિતાવ્યા બાદ આખરે તેલુગુ સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનને આજે વહેલી સવારે જેલમાંથી છોડવામાં આવ્યો છે. અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ તથા સસરા કંચરલા ચંદ્રશેખર પણ વહેલી સવારે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચી ગયા હતા. નોંધનીય છે કે 13મી ડિસેમ્બરે હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જોકે બાદ હાઇકોર્ટે જામીન આપ્યા હતા.
અલ્લુ અર્જુનને ગઇકાલે સાંજે જ તેલંગાણા હાઇકોર્ટે જામીન આપી દીધા હતા. જોકે જામીનનો આદેશ ઓનલાઈન અપલોડ થઈ શક્યો નહીં જેના કારણે અભિનેતાએ એક રાત જેલમાં જ વિતાવવી પડી. અલ્લુ અર્જુનના વકીલોનું માનવું છે કે અલ્લુ અર્જુનને પરેશાન કરવા માટે જાણી જોઈને આવું કરવામાં આવ્યું છે.
આટલું જ નહીં અલ્લુ અર્જુનના ચાહકો પણ આ કારણે ગુસ્સે ભરાયા હતા અને ગઈ કાલે ચંચલગુડા સેન્ટ્રલ જેલ બહાર દેખાવો શરૂ થઈ ગયા હતા.
અલ્લુ અર્જુનની તેના ઘરેથી જ પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં સાંજે ચાર વાગ્યે લોકલ કોર્ટ સામે હાજર કરવામાં આવ્યો, કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જોકે અભિનેતાએ હાઇકોર્ટમાં અપીલ કરતાં. સાંજે પાંચ વાગ્યે તેલંગાણા હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા.
નોંધનીય છે કે ચોથી ડિસેમ્બરે હૈદરાબાદના સનધ્યા થિયેટરમાં મોટી સંખ્યામાં લોકો અલ્લુ અર્જુનની પુષ્પા 2 મૂવી જોવા ભેગા થયા હતા. એવામાં અલ્લુ અર્જુન પણ ચાહકોને મળવા ત્યાં પહોંચી ગયો. એવામાં નાસભાગ મચી જતાં એક મહિલાનું નિધન થયું હતું.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના 7 કરોડ મેમ્બર્સ માટે સારા સમાચાર છે. શ્રમ સચિવ સુમિતા ડાવરાએ કરેલી જાહેરાત મુજબ, શ્રમ તથા રોજગાર મંત્રાલય વર્તમાનમાં ભારતના કાર્યબળને શ્રેષ્ઠ સેવા આપવા માટે આઈટી સિસ્ટમને શાનદાર બનાવવાની પ્રક્રિયામાં છે. ઈપીએફઓ મેમ્બર્સને 2025માં કેટલીક શાનદાર સુવિધા મળી શકે છે. તેઓ એટીએમ દ્વારા પૈસા ઉપાડી શકશે.
શ્રમ તથા રોજગાર મંત્રાલયના સચિવ સુમિત્રા ડાવરાએ કહ્યું, અમે પીએફની આઈટી સિસ્ટમને સુધારી રહ્યા છીએ. આ પહેલા પણ અમે અનેક સુધારા કર્યા હતા. જેનાથી ક્લેમમાં તેજી આવી છે અને સેલ્ફ ક્લેમમાં વધારો થયો છે. પીએફમાંથી બિનજરૂરી પ્રક્રિયાઓને હટાવી દેવામાં આવી છે. અમારી મહત્ત્વકાંક્ષા અમારા ઈપીએફઓના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમારા બેંકિંગ સિસ્ટમને સમાન સ્તર પર લાવવાની છે. જાન્યુઆરી 2025માં તમને મોટા સુધારા જોવા મળશે. જ્યારે અમારી પાસે ઈપીએફઓમાં આઈટી 2.1 એડિશન હશે ત્યારે દાવેદાર, લાભાર્થી સીધા એટીએમના માધ્યમથી દાવો કરી શકશે. સિસ્ટમ વધુ એડવાન્સ થવાથી તમે કેટલાક અન્ય સુધારા જોઈ શકશો.
જાણકારી મુજબ, ઈપીએફઓ પીએફના પૈસા ઉપાડવા માટે એક નવું કાર્ડ જાહેર કરશે. જેનાથી એટીએમના માધ્યમથી સરળતાથી પૈસા ઉપાડી શકાશે. જોકે કુલ જમા રકમના 50 ટકા રૂપિયા જ ઉપાડી શકાશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના સક્રિય સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 7 કરોડથી વધારે છે.
નોકરી દરમિયાન તમે પીએફ ફંડ આંશિક કે પૂર્ણ રીતે ઉપાડવાની મંજૂરી નથી. જો તમે ઓછામાં ઓછા એક મહિનાથી બેકાર હો તો તમે પીએફ બેલેન્સના 75 ટકા સુધીની રકમ ઉપાડી શકો છો. બે મહિનાની બેરોજગારી બાદ તમે પૂરી રકમ ઉપાડી શકો છો.
નવી દિલ્હીમાં રોયલ થાઈ એમ્બેસીએ 11/12/24, બુધવારે જાહેરાત કરી છે કે ભારતના વિઝીટર્સ માટે થાઈલેન્ડના ઈ-વિઝા ભારતમાં 1 જાન્યુઆરી, 2025થી ઉપલબ્ધ કરાવવા આવશે. થાઇલેન્ડ દૂતાવાસે એ બાબતે પણ માર્ગદર્શિત કર્યા કે ભારતીય પાસપોર્ટ ધારકો ઈ-વિઝા લઈને થાઈલેન્ડમાં 60 દિવસ સુધી રોકાણ કરી શકશે.
થાઇ એમ્બેસીના જણાવ્યા મુજબ, બિન-થાઈ નાગરિકોએ તમામ પ્રકારના વિઝા માટે https://www.thaievisa.go.th વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. અરજદાર પોતે અથવા અન્ય પ્રતિનિધિઓ દ્વારા અરજી કરી શકે છે. જો કે એક વાતનું ધ્યાન રાખવું કે જો કોઈ પ્રતિનિધિ દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજી અધૂરી હશે તો તેના માટે એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલ જવાબદાર રહેશે નહીં. અરજી કઈ રીતે કરવી તેની પ્રક્રિયા ઉપરની વેબસાઇટ પર જોઈ શકાય છે.
એમ્બેસીની નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઑફલાઇન પેમેન્ટ વિકલ્પ દ્વારા અરજી કરનારાઓએ વિઝા ફી ચૂકવવી પડશે. આ માટે સંબંધિત એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલના ઓફલાઈન પેમેન્ટ ઓપ્શન પર વિગતો આપવાની રહેશે. જો કે એ બાબત સ્પષ્ટ છે કે વિઝા ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. વિઝા પ્રક્રિયામાં ફી મળ્યાની તારીખથી લગભગ 14 કાર્યકારી દિવસો લાગી શકે છે.
થાઈલેન્ડ ભારતીય પ્રવાસીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. બેંગકોક, પટાયા, ફૂકેટ, ચિયાંગ માઈ અને કોહ સમુઈ સહિતના સ્થળોએ ભારતીય પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. વર્ષ 2019માં 20 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. માત્ર કોવિડ-19ના ગાળામાં જ પ્રવાસીઓનો ધસારો ઘટ્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો. જો કે તેનો સીધો ફાયદો થાઈલેન્ડને થાય છે.
1990 બેન્ચના રાજસ્થાન કેડરના આઇએએસ મલ્હોત્રાની ત્રણ વર્ષ માટે નિમણૂક કરાઇ નવી દિલ્હી : મહેસૂલ સચિવ (રેવન્યુ સેક્રેટરી) સંજય મલ્હોત્રાની આરબીઆઇના નવા ગવર્નર તરીકે પસંદગી કરવામાં આવી છે. મલ્હોત્રા હાલના આરબીઆઇ ગવર્નર શકિતકાંત દાસની જગ્યા લેશે.
૧૦ ડિસેમ્બરે આરબીઆઇ ગવર્નર શકિતકાંત દાસનું કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યું છે. સંજય મલ્હોત્રા આરબીઆઇના ૨૬મા ગવર્નર હશે. સંજય મલ્હોત્રા ૧૯૯૦ બેન્ચના રાજસ્થાન કેડરના આઇએએસ અધિકારી છે. તેઓ નવેમ્બર ૨૦૨૦માં આરઇસીના ચેરમેન અને એમડી બન્યા હતાં. આ અગાઉ તે ઉર્જા મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરીના પદ પર તૈનાત હતાં.
સંજય મલ્હોત્રા ૧૧ ડિસેમ્બરે આરબીઆઇના નવા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળશે. તેમનો કાર્યકાળ આગામી ૩ વર્ષ માટે હશે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકનું કામકાજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સંભાળે છે. સંજય મલ્હોત્રાને આ કામકાજનો લાંબો અનુભવ છે. તેથી આરબીઆઇના ગવર્નરની રેસમાં તે સૌથી આગળ છે. તેમની પાસે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સ્તરો પર નાણા અને ટેક્સનો લાંબો અનુભવ છે.
પોતાના વર્તમાન કાર્યકાળમાં તે પ્રત્યક્ષ અને પરોક્ષ ટેક્સ સંબધિત નીતિઓ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં હતાં.
સંજય મલ્હોત્રાએ પોતાની એન્જિનિયરિંગની ડિગ્રી આઇઆઇટી, કાનપુરથી લીધી છે. પ્રિંસટન યુનિવર્સિટીમાંથી તેમણે માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. છેલ્લા ૩૦ વર્ષોમાં મલ્હોત્રા વીજળી, ફાઇનાન્સ, ટેક્સેશન, આઇટી અને માઇન્સ જેવા વિભાગોમાં પોતાની સેવા આપી છે.
શક્તિકાંત દાસ છ વર્ષ સુધી આરબીઆઇના ગવર્નર રહ્યાં છ.ે ઉર્જિત પટેલના અચાનક રાજીનામા પછી શકિતકાંત દાસને આરબીઆઇના ગવર્નર બનાવવામાં આવ્યા હતાં.
ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન લગ્નના 29 વર્ષ બાદ પત્ની સાયરા બાનુથી અલગ થવા જઈ રહ્યા છે. રહેમાન અને સાયરાના વકીલે સાર્વજનિક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, દંપતીએ તલાક લેવાનો નિર્ણય લીધો છે. પત્નીના કહેવા પ્રમાણે, તે આ સંબંધમાં ઘણી પીડામાંથી પસાર થઈ રહી હતી, જેને સંભાળવી તેના માટે ખૂબ મુશ્કેલ બની ગઈ છે. તેથી તેણે સંબંધ તોડવાનું નક્કી કર્યું છે.
એઆર રહેમાનના ચાહકો માટે આ આંચકાજનક સમાચાર છે. જાહેર નોંધ મુજબ, દંપતીનો અલગ થવાનો નિર્ણય અચાનક લેવાયેલો નિર્ણય નથી. સાયરા લાંબા સમયના વિચાર અને સમજણ બાદ આ નિષ્કર્ષ પર પહોંચી છે. તેણીએ તેની પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે તે હવે સંબંધોને બચાવી શકશે નહીં.
અખબારી યાદીમાં લખ્યું હતું – લગ્નના ઘણા વર્ષો પછી શ્રીમતી સાયરાએ તેમના પતિ શ્રી એ.આર. રહેમાનથી અલગ થવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. આ નિર્ણય તેમના સંબંધોમાં નોંધપાત્ર ભાવનાત્મક તણાવ પછી લેવાયો છે. એકબીજા પ્રત્યેના ઊંડો પ્રેમ હોવા છતાં, તણાવ અને મુશ્કેલીઓએ તેમની વચ્ચે દરાર પાડી દીધી છે જેને કોઈ પણ પક્ષ હાલના સમયે ઓછી કરી શકવામાં સક્ષમ નથી.
શ્રીમતી સાયરાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેણે પીડા અને વેદનાને કારણે આ નિર્ણય લીધો છે. સાયરા આ પડકારજનક સમયમાં લોકો પાસેથી ગોપનીયતા અને સમજણની વિનંતી કરે છે, કારણ કે તે તેના જીવનના આ મુશ્કેલ પ્રકરણમાંથી પસાર થઈ રહી છે.
દંપતીને ત્રણ બાળકો છે
એઆર રહેમાન અને સાયરાના લગ્ન 1995માં થયા હતા. દંપતીને ત્રણ બાળકો છે – ખતિજા, રહીમા, આમીન. સંગીતકારે કહ્યું હતું કે આ સંબંધ તેની માતાએ નક્કી કર્યો હતો. બંને વચ્ચે ઘણા બધા સાંસ્કૃતિક તફાવત હતા પરંતુ તેમ છતાં તેઓ પોતાના સંબંધોને સારી રીતે જાળવી રહ્યા હતા. સિમી ગ્રેવાલને આપેલા ઈન્ટરવ્યુમાં રહેમાને કહ્યું હતું કે- સાચું કહું તો મારી પાસે દુલ્હન શોધવાનો સમય નહોતો. પરંતુ, મને ખબર હતી કે મારા માટે લગ્ન કરવાનો આ યોગ્ય સમય છે. હું 29 વર્ષનો હતો અને મેં મારી માતાને કહ્યું, ‘મારા માટે કન્યા શોધો.’
ભારતમાં પ્રીમિયમ બ્રાન્ડની પ્રાઇવેટ એરલાઇન્સ તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલી વિસ્તારા એરલાઇન્સ આજે તા.11મી નવેમ્બરને સોમવારે પોતાના વિમાનોની અંતિમ ઉડાનો ભરી રહી છે. આવતીકાલ તા.12મી નવેમ્બરથી વિસ્તારા એરલાઇન્સનું નામોનિશાન મટી જશે અને તેની બધી ઉડાનો એર ઇન્ડિયામાં મર્જ થઇ જશે.
વિસ્તારા સોમવાર, નવેમ્બર 11 ના રોજ તેની પોતાની બ્રાન્ડ હેઠળ તેની અંતિમ ફ્લાઇટનું સંચાલન કરશે, કારણ કે તે એર ઇન્ડિયા સાથે સંપૂર્ણ રીતે એકીકૃત થવાની તૈયારી કરે છે. 12 નવેમ્બરથી, વિસ્તારાની કામગીરી એર ઈન્ડિયા સાથે એકીકૃત થઈ જશે, જે એર ઈન્ડિયા બેનર હેઠળ સિંગલ, કોન્સોલિડેટેડ સેવામાં સંક્રમણને ચિહ્નિત કરશે.
સરકારે એર ઈન્ડિયા-વિસ્તારા મર્જરમાં સિંગાપોર એરલાઈન્સ દ્વારા સીધા વિદેશી રોકાણને મંજૂરી આપી છે, જે એર ઈન્ડિયા બ્રાન્ડ હેઠળ એક સંપૂર્ણ-સેવા કેરિયરમાં તેમના એકીકરણને સુવ્યવસ્થિત કરે છે.
વિસ્તારા, ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ એર ઈન્ડિયા સાથે સંપૂર્ણ રીતે સંકલિત થઈ ગયું છે, જેની માલિકી પણ ટાટા ગ્રૂપની છે. આ મર્જર બે વાહકોને એક છત્ર હેઠળ એકીકૃત કરે છે.
એરલાઇન્સે જાહેરાત કરી હતી કે 3 સપ્ટેમ્બર 2024થી ગ્રાહકો ધીમે ધીમે 12 નવેમ્બર 2024ના રોજ અથવા તે પછીની મુસાફરીની તારીખો માટે વિસ્તારા સાથે બુકિંગ કરવાની ક્ષમતા ગુમાવશે.
નવેમ્બર 2022 માં જાહેરાત કરાયેલ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના વિલીનીકરણના પરિણામે, સોદો પૂર્ણ થયા પછી સિંગાપોર એરલાઈન્સ યુનિફાઈડ એરલાઈનમાં 25.1 ટકા હિસ્સો ધરાવે છે.
વિસ્તારાના સીઈઓ વિનોદ કન્નને જણાવ્યું હતું કે એર ઈન્ડિયા સાથે મર્જરનો ઉદ્દેશ્ય પ્રવાસીઓના સમગ્ર અનુભવને વધારીને ફ્લીટ અને નેટવર્કને વિસ્તૃત કરીને મુસાફરોને વધુ વિકલ્પો પ્રદાન કરવાનો છે.
“એર ઈન્ડિયા અને વિસ્તારાની ક્રોસ-ફંક્શનલ ટીમો ઘણા મહિનાઓથી એરક્રાફ્ટ, ફ્લાઈંગ ક્રૂ, ગ્રાઉન્ડ-બેઝ્ડ સહકર્મીઓ અને સૌથી અગત્યનું, અમારા મૂલ્યવાન ગ્રાહકોને નવી એર ઈન્ડિયામાં શક્ય તેટલી સીમલેસ બનાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે. એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને અગાઉ કહ્યું હતું.
જેમ જેમ વિસ્તારા આજે એર ઈન્ડિયા સાથે મર્જ થાય છે તેમ, ભારતમાં ફુલ-સર્વિસ કેરિયર્સની સંખ્યા છેલ્લા 17 વર્ષમાં પાંચથી ઘટીને એક થઈ ગઈ છે. આ શિફ્ટ 2012 માં વિદેશી સીધા રોકાણના ધોરણોના ઉદારીકરણને અનુસરે છે, જેના કારણે વિસ્તારા અને અન્ય વિદેશી રોકાણવાળી એરલાઇન્સની સ્થાપના થઈ.
વિસ્તારાનું વિલીનીકરણ ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં વિદેશી કેરિયર્સ સાથેના સંયુક્ત સાહસોના લાંબા યુગના અંતનો સંકેત આપે છે.
2012 માં, યુપીએ સરકારે વિદેશી એરલાઇન્સને 49 ટકા સુધી સ્થાનિક કેરિયર્સની માલિકીની મંજૂરી આપી, જેના કારણે એતિહાદ સાથે જેટ એરવેઝ અને વિસ્તારા અને એરએશિયા ઇન્ડિયાની રચના જેવી ભાગીદારી થઈ.
વિસ્તારા, છેલ્લા દાયકામાં એકમાત્ર નવી સંપૂર્ણ-સેવા કેરિયર, 2015 માં શરૂ થઈ. સમય જતાં, કિંગફિશર અને એર સહારા જેવી એરલાઇન્સ ઝાંખી પડી, જ્યારે જેટ એરવેઝ 2019 માં પડી ભાંગી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.