સુપર-12 રાઉન્ડ પૂરો થતાની સાથે જ સેમિફાઈનલ માટે ચાર ટીમો નક્કી થઈ ચૂકી છે. ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ છે, જ્યારે ગ્રુપ-2માંથી ભારત અને પાકિસ્તાને પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ચાલો જોઈએ સેમિફાઈનલમાં હવે કઈ ટીમ કોની સામે ટકરાશે.
ભારતની સામે ઈંગ્લેન્ડની ટક્કર ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતે ઝિમ્બાબ્વેને પોતાની છેલ્લી લીગ મેચમાં 71 રને હરાવી ગ્રુપમાં પહેલું સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પાંચ મેચોમાંથી ચાર મેચમાં જીત મેળવી 8 પોઈન્ટ સાથે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું. એવામાં ટેબલ ટોપ કરવાના કારણે ભારતીય ટીમનો સેમિફાઈનલમાં ગ્રુપ-1માં બીજા નંબરે રહેનારી ઈંગ્લેન્ડની ટીમ સામે ટક્કર થશે. તો, જો ટીમ ઈન્ડિયા બીજા સ્થાને રહી હોત તો, આ સેમિફાઈનલમાં તે ન્યૂઝીલેન્ડ સામે ટકરાત. સેમિફાઈનલમાં ભારતીય ટીમ હવે 10 નવેમ્બરે એડિલેડના ઓવલ મેદાનમાં ઈંગ્લેન્ડ સામે રમવા ઉતરશે. આ મેચમાં ભારત જીતશે તો ફાઈનલ માટે મેલબોર્ન જશે. ફાઈનલ મેચ 13 નવેમ્બરે રમાશે.
પાકિસ્તાનની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે ગ્રુપ-2માં ઉલેટફેરના કારણે સેમિફાઈનલમાં પહોંચનારી પાકિસ્તાનની ટીમનો સામનો પહેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે થશે. બંને ટીમોની વચ્ચે આ મેચ 9 નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. પાકિસ્તાનની ટીમ પોતાના ગ્રુપમાં 6 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી છે. જોકે, તે નોકઆઉટ સ્ટેજમાંથી લગભગ બહાર થઈ ચૂકી હતી, પરંતુ નેધરલેન્ડની ટીમે છેલ્લી લીગ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવી ઉલટફેર કરી દીધો. એ કારણે સાઉથ આફ્રિકાની ટીમ પાસે 5 પોઈન્ટ જ રહી ગયા, જેના કારણે તે સેમિફાઈનલમાંથી બહાર ફેંકાઈ ગઈ. તો પાકિસ્તાનની ટીમે બાંગ્લાદેશને પોતાની છેલ્લી મેચમાં હરાવી સેમિફાઈનલની ટિકિટ મેળવી. ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડની ટીમ ટેબલ ટોપર છે. એ કારણે સેમિફાઈનલમાં તેનો સામનો પાકિસ્તાન સામે થશે.
મોરબીની ઘટનામાં આખરે નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવાનો શહેરી વિકાસ વિભાગે આદેશ કર્યો છે. દુર્ઘટના બની ત્યારે સંદીપસિંહે ઓરેવાએ નગરપાલિકાની પરવાનગી વિના જ બ્રિજ ખુલ્લો મુકી દીધો હોવાનું જણાવી હાથ અદ્ધર કરી દીધા હતા. જોકે, ત્યારથી જ એવા સવાલ થઈ રહ્યા હતા કે બ્રિજ પાંચ દિવસ સુધી ખુલ્લો રહ્યો, તેના પર હજારો લોકોની રોજ અવરજવર હતી ત્યાં સુધી નગરપાલિકા શું ઊંઘી રહી હતી? પોલીસે પણ તાજેતરમાં જ સંદીપસિંહ ઝાલાની ચાર કલાક સુધી પુછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન સંદીપસિંહ ઝાલાએ બ્રિજને ફરી ખુલ્લો મુકવામાં રહેલા જોખમની નગરપાલિકાને જાણ હોવાનું પોલીસને જણાવ્યું હોવાની ચર્ચા છે. પોલીસ સમક્ષ સંદીપસિંહે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ઓરેવાએ બ્રિજ ખુલ્લો મુકવા પરવાનગી નથી લીધી તેની પણ તેમને જાણ હતી. બ્રિજ પડ્યો ત્યારે ઝાલાએ દોષનો ટોપલો ઓરેવાના માથે ઢોળી દીધો હતો, અને નગરપાલિકાનો તેમાં કોઈ દોષ ના હોવાનો દાવો કર્યો હતો. જોકે, પોલીસે કરેલી પૂછપરછમાં તેમણે વટાણા વેરી દીધા હતા, અને સ્વીકાર્યું હતું કે નગરપાલિકાને જાણ હતી કે જો બ્રિજ ખુલ્લો મુકાય અને મોટી સંખ્યામાં લોકો તેના પર ભેગા થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે.
મોરબી નગરપાલિકા બ્રિજ ખુલ્લો મુકવો જોખમી સાબિત થઈ શકે છે તેટલું જ નહીં, પરંતુ તેનું રિનોવેશન યોગ્ય રીતે ના થયું હોવાનું પણ જાણતી હતી. રિનોવેશન બરાબર ના થયું હોવાથી બ્રિજનો ઉપયોગ ભયાનક હોનારત સર્જી શકે છે તે વાત પણ નગરપાલિકાના અધિકારીઓથી છૂપી નહોતી. પોલીસે સંદીપસિંહને પોતે કરેલા દાવાના દસ્તાવેજ સોંપવા જણાવ્યું હતું તેમજ બ્રિજના રિપેરિંગ અને રિઓપનિંગમાં તેમની શું ભૂમિકા હતી તે અંગે પણ સવાલ કર્યા હતા.
આ ઘટનામાં મોરબી પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવાના બે મેનેજર ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ અને ટિકિટબારીના ક્લાર્કનો સમાવેશ થાય છે. જોકે, ઓરેવાનો માલિક જયસુખ પટેલ હજુય ફરાર છે. પોલીસ તેને શોધવા માટે તેની અમદાવાદ તેમજ મોરબી સ્થિત ઓફિસ પર અનેકવાર ચક્કર લગાવી ચુકી છે, પરંતુ જયસુખ પટેલ હજુય હાથ નથી લાગ્યો. જયસુખ પટેલ રાજ્ય બહાર હોવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પોલીસે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ઓરેવાના કર્મચારીઓની કોલ ડિટેઈલ્સ ચકાસવાનું પણ શરુ કર્યું છે.
રવિવાર, તા.30મી ઓક્ટોબર 2022ના સંધ્યાકાળે મોરબીમાં બનેલી ભયાનક અને અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતા અનેક લોકો પુલ નીચે મચ્છુ નદીના પાણીમાં અને પથ્થરો પર ખાબકતા ૧32થી વધુના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને ૫૦થી વધુને ઈજા પહોંચી છે જેમાં કેટલાકની હાલત ગંભીર છે. સોમવારે સવારે અજવાળું થતાં જ બચાવ કામગીરીમાં વેગ આવ્યો હતો. અનેક એજન્સીઓ દ્વારા નદીમાં હજુ પણ મૃતદેહોની શોધખોળ યુદ્ધસ્તર પર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના ગૃહમંત્રી સહિત અનેક અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આખી રાત ઉપસ્થિત રહ્યો હતો.
મચ્છુ નદીમાં દર્દથી કણસતા લોકોને તત્કાલ સારવાર પણ મળી શકી ન હતી અને મહિલા,બાળકો સહિત તરફડીને મોતને ભેટયા હતા. સાત મહિનાથી રિપેરીંગ માટે બંધ રખાયેલ ઝુલતો પુલ હજુ પાંચ દિવસ પહેલા જ વિ.સં.૨૦૭૯ના બેસતા વર્ષના દિવસે જ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે તા.30મી ઓક્ટોબર 2022ને રવિવારે રજાના હોવાથી લોકો સાહજિક હરવા ફરવા નીકળ્યા હતા તેને કારણે પુલ પર સાંજે ચિક્કાર ભીડ હતી ત્યારે પૂલ ધસી પડતા મરણોન્મુખ ચીસોથી મચ્છુ નદી ફરી એક વાર દ્રવી ઉઠી હતી.
નગરપાલિકાએ આ પુલની મરમ્મતનું કામ તથા સંચાલન મોરબીના અજન્તાગુ્રપના જયસુખ પટેલની ઓરેવા કંપનીને સોંપ્યું હતું. રિપેરીંગ માટે સાત મહિનાથી પુલ બંધ હતો અને નૂતન વર્ષના દિવસે કંપની દ્વારા તેને લોકો માટે ખોલવામાં આવ્યો હતો. રિપેરીંગ માટે મોરબી નગરપાલિકાએ આશરે રૂ.૨ કરોડથી વધુ ખર્ચ કર્યો છે.
૪.૬૦ ફૂટ પહોળાઈ અને ૨૩૩ મીટરની લંબાઈ ધરાવતા આ તારના આધારે ઝુલતા રહેતા પુલ પર આજે રજાના પગલે ચિક્કાર ભીડ હતી અને લોકો મોજ માણી રહ્યા હતા ત્યાં જ પોણા સાત વાગ્યે તે વચ્ચેથી ધસી પડયો હતો.
મહિલા,બાળકો સહિત લોકો પુલ પરથી નદીમાં અને કિનારે પથ્થરો પર પટકાયા હતા. મચ્છુ નદીમાં મોટા કાળમીંઢ પથ્થરો છે જેના પર લોકો પછડાઈને તરવાનો પણ પ્રયાસ ન કરી શકે એવી ગંભીર ઈજા સાથે મોતને ભેટયા હતા. બચાવ કાર્ય માટે મોરબીમાં અપુરતી ટીમોને પગલે રાજકોટ,સુરેન્દ્રનગર,કચ્છ સહિત જિલ્લામાંથી એમ્બ્યુલન્સ, તરવૈયા બોલાવાયા હતા, રાજકોટથી ફાયરબ્રિગેડની સાત ટીમ ધસી ગઈ હતી.
ઘટના એટલી ભયાનક અને કરુણ હતી કે લોકો તારના આધારે કલાકો સુધી જીવ બચાવવા લટકતા નજરે પડયા હતા. નદીમાં પાણીમાં અને પથ્થર ઉપર ખૂબ ઉંચાઈથી પટકાયેલા લોકો કણસતાં રહીને મોતને ભેટયા હતા. દુર્ઘટનાના કલાક-બે કલાક સુધી તો મૃત્યુ આંક ઓછો હતો પરંતુ, રાત્રે એકપછી એક લાશો નદીની બહાર આવતી ગઈ ત્યારે અત્યંત કરુણદ્રશ્યો સર્જાયા હતા. સ્થળ પર અને હોસ્પિટલ પર લોકોના હૈયાફાટ આક્રંદથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
ઘટનાની અતિ કરુણતા એ હતી કે જ્યાં મચ્છુ નદીમાં ગંભીર ઈજાથી દર્દથી કણસતાં હતા તે જગ્યાથી ઉપર રસ્તા સુધી લાવવા કોઈ ઝડપી માર્ગ જ ન્હોતો.તેમને હોસ્પિટલે ઝડપથી પહોંચાડવા બચાવકાર્યમાં પણ મૂશ્કેલીઓ આવી હતી.
સ્થળ પર પહોંચેલા મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યા મૂજબ સાંજે ૬.૪૦ વાગ્યે આ ભયાનક દુર્ઘટના ઘટી હતી, પુલ વચ્ચેથી તૂટતા તેના પર રહેલા સેંકડો લોકો નીચે પટકાયા હતા. ટિકીટબારી પર ત્રણસો મુલાકાતીઓની ટિકીટ લેવાઈ હતી. બચાવ કાર્ય તુરંત શરુકરાયું હતું પરંતુ, શરુઆતના એકાદ કલાકમાં મૃત્યુ આંક જાણી ન્હોતો શકાયો અને રાત્રિના સાડા નવ સુધીમાં ૪૦થી વધુ ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. જ્યારે ૬૦થી વધુ લોકોના મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. ઘટનાની સી.એમ.ઓફિસથી તપાસ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આશરે સવા સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોનથી વાત કરી હતી અને ઘટના અંગે ઘેરો શોક વ્યક્ત કરીને બચાવકાર્યમાં લેશમાત્ર કચાશ ન રહે તે માટે તાકીદ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી, આરોગ્યમંત્રી સહિતના મંત્રીઓ આજે ઠેરઠેર યોજાયેલા કાર્યક્રમોને ટૂંકાવીને ઘટનાની જાણ થતા બાદ રાત્રિના સાડા નવ પછી મોરબી ધસી આવ્યા હતા. કેન્દ્ર દ્વારા મૃતકોને રૂ।.બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય જાહેર કરાઈ છે.
પ્રાથમિક રીતે ઝુલતાપૂલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલીટીની પૂરતી ચકાસણીનો અભાવ,ઓવરલોડથી આ ભયાનક દુર્ઘટના સર્જાયાનું તારણ છે. જો કે સી.એમ.કક્ષાએથી આ ઘટનાની તપાસ કરાવાશે.
બેસતા વર્ષના દિવસે ઝૂલતો પુલ શરૂ કરાયો
મોરબીમાં ઝુલતો પુલ છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં હતો. સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે જ ઝુલતો પુલ ખુલ્લો મૂકાયો હતો. દિવાળીના તહેવારોને પગલે ઝુલતા પુલ પર લોકોની ભારે ભીડ ઉમટી હતી. ઓરેવા કંપનીને ઝુલતા પુલના સમારકામ અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી હતી. ઝુલતા પુલની સ્થિતી દયનીય બનતા તેનુ પુઃન સમારકામ કરવામાં આવ્યુ હતું. સમારકામ બાદ પણ ઝુલતો પુલ તૂટી પડયો હતો જેથી સમારકામની કામગીરી સામે પણ સવાલો ઉઠયા છે.
ચાર દિવસમાં ૧૫ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી
મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ છેલ્લા ૭ મહિનાથી બંધ હતો અને તેનું રીનોવેશન કાર્ય ચાલુ હતું. હમણાં જ નૂતન વર્ષના દિવસે સવારે પુલ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો હતો. જે પછી દિવાળીનાં તહેવારો દરમિયાન ચાર દિવસમાં ૧૫૦૦૦થી વધુ લોકોએ ઝુલતા પુલની મુલાકાત લીધી હતી.
મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે લીધો છે.
આજે ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા થકી લોકોને જાણકારી આપતા કહ્યુ હતુ કે, અમને જણાવતા ખુશી થઈ રહી છે કે, પુરુષ અને મહિલા ક્રિકેટરો વચ્ચેનો ભેદભાવ દુર થવા જઈ રહ્યો છે.ક્રિકેટ બોર્ડ જે મહિલા ક્રિકેટરો કોન્ટ્રાક્ટમાં સામેલ છે તેમને પુરુષો જેટલુ જ વેતન આપવા જઈ રહ્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, હવે સમાનતાના નવા યુગમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી જ મેચ ફી મળશે.
ઉલ્લેખનીય છે કે, પુરુષોની ટીમને હાલમાં બોર્ડ એક ટેસ્ટ માટે પંદર લાખ રુપિયા અને એક વન ડે માટે 6 લાખ રુપિયા ચુકવે છે.જ્યારે ટી 20 મેચ માટે 3 લાખ રુપિયા ચુકવાય છે.
પુરુષ અને મહિલાને સમાન પૈસા આપવાની શરુઆત સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કરી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી દિવાળી પહેલાં રાજ્ય સરકારે ગરીબ, શ્રમિક અને મધ્યમવર્ગના પરિવારોને વર્ષમાં એલપીજી ગેસના કુલ બે સિલિન્ડર વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે સીએનજી અને પીએનજીમાં ૧૦ ટકા વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ઘટાડવામાં આવ્યો છે. આ બન્ને નિર્ણયમાં કુલ ૧૬૫૦ કરોડની રાહત આપવામાં આવી છે.
રાહત
રૂપિયા કરોડમાં
વેટ ઘટાડાથી
રૂ. ૧૦૦૦
મફત સિલીન્ડર
રૃા. ૬૫૦
CNG ગ્રાહકો
૧૪ લાખ પૈકી ૪.૫ રિક્ષાચાલકો
CNG માં
કિલો દીઠ રૂ. ૬થી ૭ ઘટશે
PNG માં
ઘનમીટર દીઠ રૂ. ૫થી ૫.૫૦ ઘટશે
PNG ગ્રાહકો
૨૪.૨૧ લાખ
ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને બજેટમાં રાહત થાય તે માટે સરકારે બે મહત્વના નિર્ણય લીધા છે. રાજ્યના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજનામાં વર્ષ દરમ્યાન બે ગેસ સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજનાનો લાભ ૩૮ લાખ પરિવારોને મળશે અને તેના થકી ૬૫૦ કરોડ રૂપિયાની બચત થશે.
રાજ્ય સરકારની એલપીજીપી અને પીએનજી સહાય યોજનાના અંદાજે ૨૦,૦૦૦ જેટલા લાભાર્થીઓ દ્વારા ગેસના સિલિન્ડરની રકમની ચુકવણી કર્યા બાદ રિફિલની પૂરેપૂરી ૧૦૫૦ની રકમ ગ્રાહકમાં બેંક ખાતામાં માત્ર ત્રણ દિવસમાં જમા કરવામાં આવશે.
બીજીતરફ સીએનજી અને પીએનજી ગેસમાં ૧૦ ટકા વેટ ઘટાડવાના કારણે સીએનજી ગેસમાં પ્રતિ કિલો અંદાજે ૬ થી ૭ રૂપિયા તેમજ પીએનજી ગેસમાં પ્રતિ ઘનમીટરે અંદાજે ૫.૦૦ થી ૫.૫૦ રૂપિયાનો ઘટાડો થશે. મંત્રીએ કહ્યું કે આજે ગુજરાતમાં ઘરેલુ ગેસ જોડાણની સંખ્યા ૨૪.૨૧ લાખ તથા સીએનજી સ્ટેશનની સંખ્યા ૮૫૫ છે.
ગુજરાતમાં ૧૪ લાખથી વધુ સીએનજી વાહનધારકો છે જેમાં માલવાહક વાહન, મુસાફર વાહન અને કારચાલકોના વાહનનો સમાવેશ થાય છે. અંદાજે ૪.૫૦ લાખ જેટલા માત્ર સીએનજી રીક્ષાચાલકોનો સમાવેશ થાય છે. પીએનજી અને સીએનજીમાં વેટના દર ઘટાડવાથી ૧૦૦૦ કરોડ રૂપિયાની રાહત થશે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં બદલાવના કારણે નેચરલ ગેસની કિંમતમાં વધારો થયો હોવાથી નાગરિકોને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું ભાન સરકારને થયું છે. હકીકતમાં ચૂંટણી આવતી હોવાથી મોંઘવારીથી બચવા સરકારે આ બન્ને જાહેરાત કરી છે.
દેશના ચૂંટણી પંચે આજે તા.14મી ઓક્ટોબરને શુક્રવારે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી હોઇ, સમગ્ર ગુજરાતમાં રાજકીય તખ્તે ભારે ચહલપહલ સર્જાવા પામી છે.
ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે. તે વિશેની આજે જાણકારી મળી જશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સના એજન્ડા કે જાહેરાત અંગે કોઇ જ જાણકારી આપી નથી.
ગુજરાત અને હિમાચલ પ્રદેશ બન્ને એવા રાજ્યો છે જેની પાંચ વર્ષની ટર્મ ડિસેમ્બર 2022માં પૂર્ણ થઇ રહી છે. ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે. બંને રાજ્યોમાં વર્તમાનમાં ભાજપની સરકાર છે.
ભારતીય વાયુસેના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. આ દિવસે ગાઝિયાબાદનાં હિંડન વાયુસેના સ્ટેશન ખાતે આ કાર્યક્રમ આયોજિત થાય છે. જેમાં સેનાનાં અધિકારીઓ સહિત ઘણાં દિગ્ગજ લોકો હાજરી આપે છે અને આકાશમાં દમદાર વિમાનોનું પ્રદર્શન થાય છે.
ભારતની હવાઈ સીમાઓનું સંરક્ષણ કરતા આપણા સપુતોને બિરદાવતો દિવસ એટલે નેશનલ એરફોર્સ ડે. 8 ઓક્ટોબરના રોજ નેશનલ એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં તેનું આયોજન કરવામાં આવે છે પણ આ વખતે પહેલીવાર તેનું આયોજન ચંડીગઢ ખાતે કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, અંગ્રેજોના સમયમાં કેવી રીતે ભારતીય વાયુસેનાની શરૂઆત થઈ, કેવી રીતે ભારતીય જવાનો વાયુસેનામાં જોડાયા, રોયલ સર્વિસ હેઠળ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો અને ત્યારબાદ દેશ આઝાદ થતાં ભારતીય વાયુસેનાનું ફરી નિર્માણ કરવામાં આવ્યું તેનો ઈતિહાસ રોચક છે. દેશના દરેક નાગરિકને ગર્વ થાય તેવા ભારતીય વાયુસેનાના ઈતિહાસ અને વર્તમાન ઉપર એક નજર કરીએ.
ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે
1925 દરમિયાન ઈન્ટર વોરની સ્થિતિ ચાલતી હતી. આ દરમિયાન બ્રિટિનને વધારે સારા સૈનિકો અને પાઈલટ્સની જરૂર જણાઈ હતી. તે સમયે જનરલ રસ એન્ડ્રુ સ્કીનના વડપણ હેટળ સિમલા ખાતે એક સમિતિની રચના કરાઈ અને ભારતીય સૈન્યનાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી. સમયાંતરે બેઠકો થતી ગઈ અને એરફોર્સમાં ભારતીયોના જોડાણની શક્યતાઓ શોધાવા લાગી. 1927માં સ્કીન કમિટિ દ્વારા ભારતીય કેડેટ્સને ફાઈંગ ઓફિસર તરીકે બ્રિટિશ એરફોર્શમાં જોડવાની ભલામણ કરવામાં આવી. 1928માં આ દિશામ કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારબાદ તબક્કાવાર તાલિમ અને આયોજનો સાથે 8 ઓક્ટોબર 1932માં રોયલ ઈન્ડિયન એરફોર્સ સ્થાપના કરવામાં આવી. પાંચ ભારતીય કેડેટ્સને સૌથી પહેલાં એરફોર્સમાં કમિશન્ડ કરવામાં આવ્યા હતા. હરિશચંદ્ર સિરકર, સુબ્રતો મુખરજી, ભુપેન્દ્રસિંહ, ઐઝાદ બક્ષ અવાન તથા અમરજીતસિંહ એમ પાંચ લોકોને પોસ્ટિંગ અપાયું હતું. ત્યારબાદ જે.એન. ટંડનને છઠ્ઠા ઓફિસર તરીકે લોજિસ્ટિકની ડ્યૂટી સોંપાઈ હતી. સમયાંતરે સુબ્રતો મુખરજી આઈએએફના પહેલાં ચીફ એર સ્ટાફ પણ બન્યા હતા. કરુણ ક્રિષ્ન મજુમદાર જેમને જમ્બો પણ કહેતા હતા તેઓ ભારતના પહેલાં પાઈટલ હતા જેમને ડિસ્ટિંગ્વિશ્ડ ફ્લાઈંગ ક્રોસનો ખિતાબ મળ્યો હતો.
ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં સ્થિત હિંડન વાયુસેના સ્ટેશન એશિયામાં સૌથી મોટું છે. ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવ્યા ત્યારથી તેમનું ધ્યેય વાક્ય ‘नभ: स्पृशं दीप्तम्’ નાં રસ્તે ચાલે છે. જેનો અર્થ થાય છે કે ‘ગર્વ સાથે આકાશને આંબવું’. વાયસેનાનાં આ ધ્યેય વાક્યને ભગવત ગીતાનાં 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાનો રંગ વાદળી, આસમાની વાદળી અને સફેદ છે. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો હોય છે, જે વાયુસેનાના પ્રતીકથી અલગ હોય છે, જેના પહેલા રાષ્ટ્રધ્વજ એક ચતુર્થમાં રહે છે. મધ્યમાં એક વર્તુળ છે જેમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોનો સમાવેશ થાય છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો છે. આજે રાજ્યના ૭૩ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગ જિલ્લાના સુબિરમાં બે કલાકમાં સૌથી વધુ ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી ચાર દિવસ વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં આજે ડાંગના સુબિરમાં સાંજે ૪ થી ૬ એમ બે કલાકમાં જ બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય આજે જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં ખેડાના માતર, સુરતના ઉમરપાડા, આણંદના તારાપુર-પેટલાદ, ખેડાના મહેમદાવાદ-કઠલાલ-મહુધા, નર્મદાના ગરૃડેશ્વર, સાબરકાંઠાના પ્રાંતિજ, ગાંધીનગરના માણસા, પંચમહાલના કલોલ, અરવલ્લીના મેઘરજ, નર્મદાના નાંદોદ, વડોદરાના દેસરનો મુખ્યત્વે સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ ત્રણ દિવસ વરસાદી માહોલ રહી શકે છે. જેમાં વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે જ્યારે રાજ્યમાં અન્યત્ર હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.
ચોમાસું વિદાય લેવાની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યાં જ વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કૃષિ નિષ્ણાતોના મતે કાપણીની અવસ્થામાં હોય તેવા તમામ પાકને આ વરસાદથી ભારે નુકસાનનો સામનો કરવો પડશે. જે પાકને નુકસાન થઇ શકે તેમાં કપાસ, મગફળી, ડાંગર, મકાઇ, બાજરી, તલ, સોયાબિનનો સમાવેશ થાય છે. હજુ વરસાદ પડે અને ખેતરમાં પાણી ભરાયેલા રહે તો પાક કોહવાઇ જાય તેવી પણ ભીતિ સેવાઇ રહી છે. વરસાદથી કપાસ કાળું પડવું-રૃ ખરી પડવું, અન્ય પાકમાં ઉત્પાદન ઘટ-ગુણવત્તા ઘટની સમસ્યા નડે તેવી સંભાવના છે.
દરમિયાન આજે અમદાવાદમાં ૩૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી ૩ દિવસ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અનેક વિસ્તારમાં સાંજે વરસાદ પડયો હતો.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટી દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા છે. કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી જતાં 27 લોકોના મોત થયા છે. કોરથા ગામના રહેવાસી શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર ટ્રોલીમાં ફતેહપુરમાં ચંદ્રિકા દેવી મંદિરે ગયા હતા. તેમાં 50 જેટલા શ્રદ્ધાળુઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દર્શન કરીને પરત ફરતી વખતે સાઢ અને ગંભીરપુર ગામ વચ્ચે રસ્તાના કિનારા પર આવેલા તળાવમાં ટ્રોલી પટલી ગઈ હતી જેમાં 27 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઘણા લોકોને ઈજા થઈ છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે. જોકે મૃતકોની સંખ્યા હજી વધી શકે છે.
મીડિયા અહેવાલ પ્રમાણે કોરથામાં બાળકનું મુંડન કરાવવા માટે તેના માતા-પિતા સંબંધીઓ સાથે ગયા હતા. પિતા જ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. મુંડન વિધી પૂરી કર્યા બાદ પરત ફરતી વખતે ભદેઉ ગામની સામે પાણી ભરેલા તળાવમાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ હતી. અડધા કલાક સુધી ટ્રોલી બહાર કાઢી શકાઈ ન હતી. બાળક, માતા અને પિતા ત્રણેયનું પણ મોત થયું હતું. આ સાથે જ સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે ટ્રેક્ટર ચાલક સ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતો. જ્યાં ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ ત્યાં પાણી ભરેલું હતું. જેના કારણે ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર મોટા ભાગના લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગીએ ટ્વિટ કરી હતી કે, જનપદ કાનપુરમાં બનેલી દુર્ઘટના અત્યંત હ્રદયદ્રાવક છે. જિલ્લા અધિકારી તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અને યુદ્ધના ધોરણે રાહત કાર્ય અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે મરનારાઓમાં 11 મહિલા અને 11 બાળકો પણ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના અંગે શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ પણ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તોને 50000-50000 રૂપિયાની આપવાની જાહેરાત કરી છે. ઘટનાની જાણ થયા બાદ બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને પીએચસી અને કાનપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે તેમણે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવાની સાથે ગુજરાતને વધુ એક હાઈસ્પિડ ટ્રેનની ભેટ આપી છે.
ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાને ગાંધીનગર-મુંબઈ રૂટ માટેની વંદે ભારત ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આ સુવિધાઓ મળશે
– GSM અથવા GPRS
– ટચ-ફ્રી સ્લાઈડિંગ ડોર
– સીસીટીવી કેમેરા
– પેસેન્જર ઈન્ફોર્મેશન સેન્ટર
– વેક્યૂમ બાયોટોયલેટ્સ
– સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
– 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
– વાઈફાઈની સુવિધા
– દિવ્યાંગો માટે વિશેષ ટોયલેટ્સ
KAVACH ટેક્નિકથી સજ્જ પ્રથમ વંદે ભારત ટ્રેન
ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેનમાં પહેલી વખત ‘KAVACH’ (ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાશે. આ ટેક્નિકને ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે, જેના કારણે તેનો ખર્ચ ઘણો ઓછો છે.
આધુનિક ટેક્નિકની વાત કરીએ તો આ ટ્રેનમાં વધુ સારા ટ્રેન નિયંત્રણ વ્યવસ્થાપન માટે લેવલ-II સેફ્ટી ઈન્ટિગ્રેશન સર્ટિફિકેશન, કોચની બહાર રિયર વ્યૂ કેમેરા સહિત 4 પ્લેટફોર્મ સાઈડ કેમેરા, તમામ કોચમાં ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ અને ઈલેક્ટ્રિકલ ક્યૂબિકલ્સ તેમજ શૌચાલયોમાં એરોસોલ આધારિત ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેસ સિસ્ટમ જેવા બહેતર અગ્નિશામક સુરક્ષા ઉપાયો વાપરવામાં આવ્યા છે.
વડાપ્રધાન બપોરે 11:30 કલાકે કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ મેટ્રો રેલના પહેલા ફેઝને લીલી ઝંડી આપશે. સાથે જ તેઓ કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોમાં સવારી કરશે. બપોરે 12:00 કલાકે તેઓ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સભાને સંબોધશે અને સાંજે 5:45 કલાકે અંબાજી પહોંચશે.
અંબાજીમાં તેઓ 7,200 કરોડથી પણ વધુના કામોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. બાદમાં સાંજે 7:00 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરીને સાંજે 7:45 કલાકે ગબ્બર ઉપર મહાઆરતીમાં હાજરી આપશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.