મંગળવારે મોડી રાત્રે ખેડૂતોનાં આ આંદોલનને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. દિલ્હીમાં પ્રવેશ મેળવ્યા બાદ ખેડૂતોએ સીધા કિસાન ઘાટ પહોંચીને કિસાન ક્રાંતિ યાત્રાને પૂર્ણ કરી હતી.
ખેડૂત આંદોલનનાં નેતા ચૌધરી ચરણ સિંહનાં સ્મારક કિસાન ઘાટ પહોંચીને ખેડૂતોએ પોતાની હડતાળ પાછી લેવાની જાહેરાત કરી હતી. જો કે, હજી સુધી ખેડૂતોની માંગણીઓ પર સરકાર તરફથી કેવી પ્રતિક્રિયા કરવામાં આવી છે તે અંગેની કોઈ ખાસ જાણકારી નથી મળી રહી. ભારતીય કિસાન સંઘનાં અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું, ‘૨૩ સપ્ટેમ્બરનાં રોજ શરૂ થયેલી ‘કિસાન ક્રાંતિ યાત્રા’ કિસાન ઘાટ પહોંચીને પૂર્ણ કરવામાં આવી.’ તેમણે કહ્યું કે, ’દિલ્હી પોલીસે અમને રાજધાનીમાં પ્રવેશવાની પરવાનગી નહતી આપી જેનાં કારણે અમારે પ્રદર્શન કરવું પડ્યું. અમારો હેતુ આ યાત્રાન પૂર્ણ કરવાનો હતો જે હવે પૂર્ણ થઈ ગયો છે. અને હવે અમે અમારા ગામ પરત ફરી રહ્યાં છે.’
- -ખેડૂતોને ૬૦ વર્ષની ઉંમર બાદ પેન્શન મેળવવાની માંગ
- – ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’માં કેટલાક ફેરફાર કરવાની માંગ
- – શેરડીની કિંમતોની ચૂકવણી ઝડપથી કરવા અંગેની માંગ
- – ખેડૂતોનાં દેવા માફ કરી દેવાની માંગ
- – ખેતી કરવા માટે ખેડૂતોને વીજળી મફતમાં આપવાની માંગ
- – ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ પર વ્યાજ મુક્ત લોન આપવાની માંગ
- – જંગલી પશુઓનાં ત્રાસથી ખેડૂતોનાં પાકને બચાવવા માટેની માંગ
- – દરેક પાકની ખરીદી કરવાની માંગ
- – ‘કિસાન સ્વાભિમાન કમિટી’નો રિપોર્ટ લાગૂ કરવાની માંગ
એ પૂર્વે તા.2જી ઓક્ટોબર 2018ના રોજ પ્રકાશિત સમાચાર
- 11 મુદ્દા પર વાત થઈ, જેમાંથી 7 સરકારે માની છે, પરંતુ 4 મુદ્દા પર હજી ઉકેલ નથી આવ્યો
- ટ્રેક્ટરને એનજીટીના આદેશમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે
- ખેડૂતોની જીએસટીને લઈ જે માગ છે, તેને જીએસટી પરિષદમાં મૂકાશે

દિલ્હીને અડીને આવેલા ગાઝીપુરમાં ખેડૂતો પોતાના આંદોલનને લઈ અડગ છે. કૃષિપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ખેડૂતો સાથે વાત કરી તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે. શેખાવતે ખેડૂતો સાથેની વાતચીતમાં કહ્યું કે પીએમ મોદીએ ખેતીને મનરેગામાં સામેલ કરવા માટે 6 સીએમની એક પેનલ બનાવવાની જાહેરાત કરી છે.
શેખાવતનું કહેવું છે કે ખેડૂતોની મોટા ભાગની માગ માની લેવાઈ છે. ટ્રેક્ટરને એનજીટીના આદેશમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. NGTએ પોતાના એક આદેસમાં ખેતી માટે 10 વર્ષથી જૂના ટ્રેક્ટરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચુકાદાનો ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. તો શેખાવતના કહેવા મુજબ ખેડૂતોની જીએસટીને લઈ જે માગ છે, તેને જીએસટી પરિષદમાં મૂકવામાં આવશે.

બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં યોગીએ કહ્યું, ‘છેલ્લા ચાર વર્ષથી પીએમ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની દરેક મુશ્કેલીનો ઉકેલ શોધવા પ્રયત્ન કરી રહી છે. દેશની આઝાદી બાદ મોદી સરકાર સૌથી સંવેદનશીલ સરકાર છે.’
સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાતચીત વિશે ભારતીય કિસાન સંઘના પ્રવક્તા યુદ્ધવીર સિંહે કહ્યું,’હકીકતમાં 11 મુદ્દા પર વાત થઈ, જેમાંથી 7 સરકારે માની છે, પરંતુ 4 મુદ્દા પર હજી ઉકેલ નથી આવ્યો. સરકારનું કહેવું છે કે આગામી બેઠકમાં તેનું સમાધાન શોધી શકાશે, કારણ કે આ મુદ્દા આર્થિક છે.’
તો ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ રાકેશ ટિકૈતે પણ કહ્યું,’સરકારની દાનત સાફ નથી. અમારી કોઈ પણ માગ પૂરી નથી થઈ. વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે. સરકાર દાવો કરી રહી છે કે ખેડૂતોની માગ મનાઈ છે, પણ આવું કશું નથી.’
ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતોનો કાફલો દિલ્હી પહોંચ્યો હતો. જો કે યુપી દિલ્હી બોર્ડર પર પોલીસે બેરિકેડિંગ કરી ખેડૂતોને રોકવાની કોશિશ કરી. પરંતુ ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો. આ દરમિયાન પોલીસે વોટર કેનની મદદથી ખેડૂતોને વિખેરવાનો પ્રયાસ કર્યો, તો ટિયર ગેસના સેલ પણ છોડાયા.




































