જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ટેક્સટાઇલ બિઝનેસમાં હિન્દીભાષીઓનું વર્ચસ્વ ઘટાડવા માટે નવી ધરી બની, નામ છે સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન
કેન્દ્રીય મંત્રી અને સુરતને કર્મભૂમિ બનાવનાર લાખો સૌરાષ્ટ્રવાસીઓના હામી એવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજે તા.29મી સપ્ટેમ્બર 2018ના રોજ સુરત આવ્યા છે અને સાંજે 4 વાગ્યે એક એવા સંગઠનને લોંચ કરી રહ્યા છે જે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવી ધરી ઉભી કરશે. હાલમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ મોટેભાગે હિન્દીભાષી, ઉત્તરભારતીયો, રાજસ્થાની વેપારીઓના હાથમાં છે. સ્થાનિક સુરતીઓ તો પહેલેથી જ આ ઉદ્યોગમાં લઘુમતિમાં છે, સ્થાનિક સુરતીઓ કરતા વધુ સંખ્યામાં સૌરાષ્ટ્રવાસી વ્યાપારીઓ, વિવર્સ વગેરે છે. આવી સ્થિતિમાં હવે સૌરાષ્ટ્રવાસીઓએ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગુજરાતીઓના નેજા હેઠળ એક અલગ ચોકો બનાવ્યો છે અને તેનું ઉદઘાટન મનસુખ માંડવીયા કરવાના છે.
સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનની રચનાને ભાજપી નેતાઓ તેમજ ભાજપા સંગઠનના છૂપા આશીર્વાદ પણ છે. ભાજપાના કેટલાક હિન્દી ભાષી નેતાઓ ફક્તને ફક્ત ટેક્સટાઇલ ઉદ્યોગના જોરે, ટેક્સટાઇલ વ્યાપારીઓની સંખ્યાના આધારે પોલિટીકલ માઇલેજ મેળવી જતા હોય છે. આ બાબતને કટટુ સાઇઝ કરવા માટે સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલમાં ટેક્સટાઇલ વ્યાપારીઓ, વિવર્સના અનેક સંગઠનોમાં વરાછાવાસીઓને પ્રતિનિધિત્વ નહીં મળતું હોવા ઉપરાંત જ્યારે પ્રશ્નો સર્જાય રહ્યા છે ત્યારે હિન્દીભાષીઓ એકત્રિત થઇ જતા હોવાના કિસ્સાઓને પગલે સ્થાનિક સૌરાષ્ટ્રવાસીઓએ ટેક્સટાઇલ ટ્રેડર્સનો અલગ ચોકો ઉભો કરવાની જરૂરીયાત પર અમલ કરીને નવું એસોસીએશન જ બનાવી દીધું છે.
આ રહ્યું ઉદઘાટનનું આમંત્રણ કાર્ડ





























