- ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કયું હતું.
- હવે રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે.
ગ્રાહકોને ઘરે બેઠા ગમે તે સમયે અને ગમે તે ઠેકાણે ફૂડ પહોંચાતી ઓનલાઇન ફૂડ પ્રોવાઇડર કંપનીઓની દાદાગીરી સામે ગુજરાતના હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ બાંયો ચડાવી છે. ઉત્તરાયણ બાદ તેઓ આ કંપનીઓનો બહિષ્કાર કરી તેમને પોતાના ફૂડ આપવાનું બંધ કરી દેશે. આ અંગે ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસો.ની મીટિંગ તા.10મી જાન્યુઆરી 2019ના રોજ અમદાવાદની ગ્રાન્ડ ભગવતી હોટેલમાં મળી હતી. અમદાવાદ સમેત ગુજરાતના મોટા શહેરોની લગભગ તમામ મોટી હોટેલ અને રેસ્ટોરન્ટ ચેઇનના સંચાલકો ઉપસ્થિત રહેશે. રેસ્ટોરન્ટ સંચાલકોની ફરિયાદ છે કે ઝોમેટો અને સ્વીગીએ કોઇ પણ કમિશન વગર જ ફૂડ લેવાનું શરૂ કયું હતું. આજે તેઓ રેસ્ટોરન્ટ પાસેથી ૨૨થી ૨૪ ટકા કમિશન વસૂલી રહ્યા છે. તેના વિરોધમાં તેમનો બહિષ્કાર કરવાનું નક્કી થયું છે.

ઝોમેટો, સ્વીગી, ઉબેર જેવી કંપનીઓ ગ્રાહકો મેળવી આપવાના બદલામાં મોટા પાયે કમિશન વસૂલ કરી રહી છે. લોકોને જેવી ઘરે બેઠા જ મનપસંદ રેસ્ટોરન્ટ કે હોટેલનું ખાવાની ટેવ પડી કે તરત જ આ કંપનીઓ દ્વારા રેસ્ટોરન્ટ અને હોટેલ પાસેથી પહેલા પાંચ ટકા પછી ૯, ૧૨, ૧૫, ૧૯ અને ૨૨ ટકા જેટલું કમિશન વસૂલવાનું શરૂ કરી દેતા રેસ્ટોરેન્ટસ હોટેલ માલિકોની મુશ્કેલી વધી જવા પામી છે.
એક તબક્કે ઓનલાઇન કંપનીઓ પરસ્પર હરિફાઇમાં ગ્રાહકોને ઓર્ડર ઉપર ૫૦ ટકા ડિસ્કાઉન્ટની આપતા થઇ ગયા પરંતુ હોટેલિયર અને રેસ્ટોરન્ટ પાસેથી ૨૨ ટકા કમિશન વસૂલતા હતા. આટલા બધા કમિશનથી કંટાળી રેસ્ટોરન્ટ-હોટેલ સંચાલકોએ સંગઠિત થઇને આવી કંપની સાથે મીટિંગનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે પોતાનો પક્ષ મૂકતાં ચોક્કસ કમિશન નક્કી કરવા કહ્યું હતું.
જોકે, કંપની દ્વારા હજુ પણ કમિશન વધારવામાં આવશે તેવી ધમકી ઉચ્ચારી હતી. તેથી નારાજ હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ ઓનલાઇન કંપનીઓને બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. થોડા સમય પહેલા જ ગુજરાતના હોટેલિયર્સે ઓનલાઇન હોટેલ બુકિંગ કરતી ઓયો અને ગો આઇબીબોની દાદાગીરી સામે બાંયો ચઢાવી હતી. આ કંપનીઓ રૂમ્સ પર હોટલ પાસેથી વધુ પ્રમાણમાં કમિશન માગતા હતા. તેથી હોટેલિયરોએ તેમને રૂમ્સ જ નહીં આપવાનું નક્કી કર્યું હતું.



















