

આગામી તા.23મી એપ્રિલના રોજ સામાન્ય મતદારો મતદાન કરી શકે તેવી રીતે સર્વિસ વોટર્સ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને ખાસ ઇબેલેટ ઇમેલ દ્વારા મોકલીને તેમનો મત લેવામાં આવશે
સુરત જિલ્લા ચૂંટણી તંત્ર સુરતમાં એક પણ વોટર તેમના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે જડબેસલાક વ્યવસ્થાતંત્ર વિકસાવી રહી છે. તા.23મી એપ્રિલના રોજ સામાન્ય મતદાતાઓ સુપેરે તેમનો મતાધિકાર ઉપયોગ કરી શકે તેની સાથે સર્વિસ વોટર્સ પણ દેશની સેવામાં રહીને પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને ખાસ ઇબેલેટની સુવિધા આપવામાં આવી છે.
કોણ હોય છે સર્વિસ વોટર્સ
સર્વિસ વોટર્સ એટલે કે દેશની સુરક્ષા માટે જુદા જુદા મોરચાઓ, સરહદો પર ફરજ બજાવી રહેલા આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલીટરી ફોર્સ વગેરે તમામ પ્રકારના સૈનિકોને સર્વિસ વોટર્સ ગણવામાં આવે છે. સૈનિકો મતદાનના સમયે પોતાની ફરજ પર દેશમાં જુદા જુદા સ્થળો, સરહદો, મોરચાઓ પર ફરજ બજાવતા હોય છે, તેઓ ભારતના મતદાતા છે અને તેમની પાસે પણ મતાધિકારી છે. ચૂંટણી પંચનું સૂત્ર છે કે કોઇ મતદાતા તેના અધિકારથી વંચિત ન રહેવો જોઇએ. આમ, સૈનિકો દેશ માટે ફરજ બજાવતા હોય તે સ્થળેથી પણ તેમના રહેણાંકના વિસ્તારમાં થનારી ચૂંટણીમાં મતદાન કરી શકે તે માટે તેમને ઇબેલેટ મોકલીને તેમનો મત માગવામાં આવે છે અને સામાન્ય મત ગણતરી સાથે સૈનિકોના મતોની પણ ગણતરી કરવામાં આવે છે.

કલેક્ટર ડો. ધવલ પટેલે આપેલી માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં કુલ 354 સર્વિસ વોટર્સ છે. આ વોટર્સને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તેમના આધિકારીક ઇમેઇલ પર બેલેટ પેપર મોકલવામાં આવશે. બેલેટ પેપર ઉપરાંત અલાયદા ઇમેઇલથી પાસવર્ડ પણ મોકલવામાં આવશે. ઇબેલેટ અને ઇવોટિંગને લગતું આ મટિરીયલ ત્યાંના કમાન્ડિંગ ઓફિસરને મોકલવામાં આવશે. કમાન્ડિંગ ઓફિસરને મળેલા પાસવર્ડના આધારે ઇબેલેટ ઓપન કરી શકાશે અને સર્વિસ વોટર પોતાના મનગમતા ઉમેદવારને મત આપી શકશે. આ સમગ્ર પ્રક્રિયા ગુપ્ત મતદાન થકી જ હાથ ધરાશે. સર્વિસ વોટર સિવાય કોઇપણ આ પ્રક્રિયામાં કોને મત આપ્યો તે જોઇ શકશે નહીં કે તેને પ્રભાવિત કરી શકશે નહીં.
ઇબેલેટ પર સર્વિસ વોટરનું વોટિંગ થઇ ગયા બાદ જે તે કમાન્ડિંગ ઓફિસર સંબંધિત ચૂંટણી અધિકારીને ઇ બેલેટ મોકલી આપશે અને જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે ત્યારે તેની ગણતરી સૌથી પહેલા હાથ ધરવામાં આવશે.
સર્વિસ વોટર્સ માટે ઇલેક્શન કમિશનએ ખાસ વેબસાઇટ તૈયાર કરી છે
સર્વિસ વોટર્સ એટલે કે દેશની સુરક્ષા માટે તૈનાત સૈનિકો, આ સૈનિકો મતદાન કરી શકે તે માટે દેશના ચૂંટણી પંચે ખાસ વેબસાઇટ તૈયાર કરી છે અને આ વેબસાઇટ પર આર્મી, નેવી, એરફોર્સ અને અર્ધસૈન્ય બળ તમામ પ્રકારના પેરામિલિટરી ફોર્સીસ વગેરેમાં ફરજ બજાવતા સૈનિકો, જવાનોને મતદાન કરવા માટેની ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. આ વેબસાઇટનું નામ આ મુજબ http://servicevoter.nic.in/ છે.
સૈનિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સૂત્ર અપાયું, તેરી આવાઝ ભી જરૂરી તેરા વોટ ભી જરૂરી
દેશના ચૂંટણી પંચે ભારતીય સૈનિકો પછી એ કોઇપણ આર્મી, નેવી, એરફોર્સ, પેરામિલીટરી ફોર્સ કોઇપણ શાખામાં ફરજ બજાવતા હોય પ્રત્યેક સૈનિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે અનેક પ્રયાસો કરી રહી છે. આ માટે એક વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન તેમજ સૈનિકોમાં મતદાન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. સર્વિસ વોટર ગણાતા સૈનિકો માટેનું એક સૂત્ર હાલમાં ભારતમાં અતિ પ્રચલિત છે અને એ એ છે કે તેરી આવાઝ ભી જરૂરી, તેરા વોટ ભી જરૂરી….
ગુજરાતમાં બે દિવસથી ગરમીમાં રાહત બાદ સોમવારે એકાએક ગરમીનો પારો ઊંચકાતાં રાજ્યભરમાં લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા હતા. રાજ્યના સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, પાટણ, બનાસકાઠા, ભાવનગર, જૂનાગઢ અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળતાં શહેર અને ગ્રામ્યકક્ષાએ લોકોની સાથે મૂંગા પશુઓ અને પક્ષીઓની હાલત કફોડી થઈ ગઈ હતી અને અનેક જિલ્લાઓમાં ડીહાઈડ્રેશનના બનાવો ઉપરાંત 90 જેટલા લોકો ગરમીથી બેભાન થઈ ગયાના અને પાણીજન્ય બીમારીથી 1250થી વધુ લોકો સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી હીટવેવની સ્થિતિ રહેવાની આગાહી કરી હતી. અમદાવાદમાં ગુજરાતનું સૌથી વધુ તાપમાન 41.5 ડિગ્રી રહ્યું હતું. જોકે લોકોએ 43 ડિગ્રીની ગરમીનો અહેસાસ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચૈત્રના આરંભ સાથે ગરમીમાં બે દિવસથી લોકોને રાહત થતાં લોકોને કાતિલ ગરમીમાંથી છુટકારા બાદ સોમવારના દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો એકાએક ઊંચો જતા અને જિલ્લાઓમાં ગરમીના કારણે જાણે આકાશમાંથી અગનગોળા ફેકાતા હોય તેવો માહોલ સર્જાયો હતો.
જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 41.3 ડિગ્રી, કંડલા એરપોર્ટ ખાતે તાપમાન 40.8 ડિગ્રી અને અમદાવાદમાં તાપમાનનો પારો 41.6 સુધી પહોંચી ગયો હતો. રાજ્યના હવામાન ખાતાએ હજુ પાંચ દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી હતી. જ્યારે અમરેલી, વલસાડ, કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, પાટણ અને મહેસાણા સહિતના જિલ્લામાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચી જતાં જનજીવન પર માઠી અસરો પડી હતી અને આકરી ગરમીને કારણે શહેરો અને જિલ્લાભરમાં લોકોની બીપી, ડીહાઈડ્રેશન, ઝાડા-ઊલટી, જેવી બીમારીનો ભોગ બન્યા હતા જેના કારણે અનેક શહેરી અને જિલ્લાના આરોગ્ય કેન્દ્રોલોકોની ભીડથી ઊભરાઈ રહ્યા છે. જ્યારે મનપાએ અમદાવાદમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને લોકોને કામ સિવાય ઘરની બહાર બપોરના એકથી સાંજના પાંચ નહીં નીકળવા સૂચનો કર્યા હતા. સાથે સાથે ખૂબ જ પાણી પીવાની તેમ જ ખુલ્લામાં વેચાતા ખોરાકો ઉપરાંત બરફના ગોળા ઠંડક માટે ઉપયોગ ન કરવા સૂચનો જારી કર્યા હતા. મનપા દ્વારા શહેરભરમાં ઠેર ઠેર ઠંડા પાણીની પરબો ઊભી કરવામાં આવી હતી. આમ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં તાપમાનનો પારો એકાએક ઊંચકાતા જનજીવન પર માઠી અસરો પડી રહી છે અને ગરમીને કારણે અનેક લોકોની તબિયત બગડવાના બનાવો પણ વધી ગયા છે.

on the website :
https://www.artistuniteindia.com/2019/03/joint-statement-by-film-makers.html
બોલીવુડ એક્ટર નસીરુદ્દીન શાહ સહિત થિયેટર અને આર્ટ સાથે જોડાયેલી 600થી વધુ હસ્તીઓએ ભાજપને મત ન આપવા માટે અપીલ કરી છે. તમામ હસ્તીઓએ એક પત્ર લખી કહ્યું કે મત આપીને ભાજપ અને તેના સાથીઓને સત્તામાંથી બહાર કાઢો. અપીલ કરનારાઓમાં અમોલ પાલેકર, નસીરુદ્દીન શાહ, ગિરિશ કાર્નાડ, એમકે રેના અને ઉષા ગાંગુલિ જેવી ચર્ચિત હસ્તીઓનો પણ સમાવેશ છે.
આ તમામ લોકોએ ભારપૂર્વક કહ્યું કે ભારત અને તેના બંધારણની કલ્પના જોખમમાં છે. ભાજપે મત ન આપો. આ પત્ર ગુરુવારે પ્રકાશિત કરાયો હતો. તેને 12 ભાષાઓમાં તૈયાર કરીને આર્ટિસ્ટ યુનાઈટેડ ઇન્ડિયા વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.
આ પહેલા 100થી વધુ ફિલ્મ મેકર્સે આગામી લોકસભા ચૂંટણીઓમાં ભાજપને મત ન આપવાની અપીલ કરી હતી. અહેવાલ મુજબ અપીલ કરનાર ફિલ્મ નિર્માતાઓની યાદીમાં મલયાલમ નિર્દેશક આશીક અબુ, આનંદ પટવર્ધન, સુદેવન, દિપા ધનરાજ, ગુરવિંદર સિંહ, પુષ્પેન્દ્ર સિંહ અને પ્રવીણ મોરછલે જેવા ફિલ્મ નિર્માતાઓ સામેલ હતા.

‘ઇલેકશન ડ્યૂટી’ ખાનગી શાળાના શિક્ષકોને લાગુ થતી ન હોવાની કબૂલાત કેન્દ્રીય ચૂંટણી પંચે બુધવારે તા.3 એપ્રિલ 2019ના રોજ મહારાષ્ટ્ર-મુંબઇ હાઈ કોર્ટેમાં કરી હતી, પરિણામે ખાનગી શાળાના શિક્ષકોને મોટી રાહત મળી છે.

લોકસભાની ચૂંટણી દરમિયાન ખાનગી સ્કુલોના શિક્ષકોને તેમજ બિન અનુદાનિત શાળાઓના શિક્ષકોને આડેધડ રીતે ચૂંટણી લક્ષી કામગીરી સોંપવામાં આવી હતી, જેની સામે મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષક મહાસંઘે દાખલ કરેલી અરજી પર ન્યાયાધીશ અભય ઓક અને ન્યાયાધીશ મનોજ સંકલેની ખંડપીઠ સામે સુનાવણી શરૂ હતી.
ચૂંટણીઓ નજીક આવતા જ રાજ્યભરના સરકારી કર્મચારીઓ સાથે શિક્ષકોને પણ ચૂંટણી પંચ કામે લગાડે છે. આ વખતે પણ ચૂંટણી પંચે બિન અનુદાનિત શાળાના પહેલાથી ચોથા ધોરણના શિક્ષકોની યાદી માગી હતી. તેના વિરોધમાં બિન અનુદાનિત શાળા મહાસંઘે મુંબઈ
હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. નિયમ અનુસાર માત્ર અનુદાનિત શાળાના શિક્ષકોને જ ચૂંટણીના કામ માટે બોલાવી શકાય છે, કારણ કે આ શાળાને સરકાર પાસેથી અનુદાન મળે છે. જોકે, દર વર્ષે ખાનગી શાળાના શિક્ષકોને પણ ચૂંટણીના કામમાં ઘસેડવામાં આવે છે, તે ખોટું હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો હતો.
ઓછા વ્યાજદર અને સ્થિર ભાવને લીધે મુંબઇ દેશના સાત મુખ્ય શહેરોમાં ઘર ખરીદવા સસ્તા હોવાનો મત એક સંસ્થાએ જાહેર કર્યો હતો.
સંસ્થાના વાર્ષિક અહેવાલ પ્રમાણે 2018માં ઘર ખરીદવા માટે સૌથી વાજબી શહેર હૈદરાબાદ હતું, ત્યારબાદ કોલકાતા અને પૂણેનો આવ્યો હતો.

આ સર્વેક્ષણ 2011થી 2018 વચ્ચે સાત શહેરો (મુંબઇ, દિલ્હી એનસીઆર, બૅંગલુરુ, ચેન્નઇ, પૂણે, હૈદરાબાદ અને કોલકાતા)માં ગૃહ ઋણ માટેનો વ્યાજદર, સરેરાશ કૌટુંબિક આવક અને 1000 સ્કે. ફૂટ ઘરના ભાવના આધારે કરવામાં આવ્યું હતું.
સર્વેક્ષણમાં એ જોવામાં આવ્યું હતું કે આ સાતેય શહેરોમાં સરેરાશ કૌટુંબિક આવક સાથે ઋણ લઇને લોકો એ વખતના 1000 સ્કે. ફૂટના ઘર ખરીદી શકે એમ હતું કે નહીં અને એવું જણાયું હતું કે ફક્ત 2013માં હૈદરાબાદમાં જ એવી સ્થિતિ હતી. જોકે, 2018 સુધીમાં મુંબઇને બાદ કરતા બાકી બધા જ શહેરોમાં ઋણ લઇને ઘર ખરીદી શકાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વાજબી ગૃહ ઋણ અને સ્થિર ભાવની મદદથી 2014 બાદ શહેરોમાં ઘર ખરીદી શકાય એવી સ્થિતિ ઊભી થઇ હતી. સંસ્થાના મતે આવતા ત્રણ વર્ષ સુધી આ સાતેય શહેરોમાં ઘર ખરીદવાની ક્ષમતામાં વધારો નોંધાશે.
રાજકોટ સિવાય મોટા ભાગના સૌરાષ્ટ્રમાં બે-ત્રણ દિવસે એક વખત પાણી આપવાનું શરૂ થઇ ચૂક્યું છે
એક તરફ સૌરાષ્ટ્રમાં ચૂંટણીની ગરમી અને ઉનાળાની ગરમી જોવા મળી રહી છે, અને બહુમતિ લોકોમાં આ બન્ને મુદ્દાઓ પર ભારે ચર્ચા છેડાયેલી જોવા મળે છે પરંતુ, સૌરાષ્ટ્રમાં સૌથી વિકટ ઉનાળો દસ્તક દઇ રહ્યો છે તેના પરત્વે લોકો સાવ અજાણ બની રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થતાં જ અભૂતપૂર્વ જળસંકટ ઉદભવ્યું છે. સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 103 જળાશયો પૈકી 90 જળાશયો સાવ તળિયાઝાટક થઈ ગયા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને બાદ કરતાં આઠેય જિલ્લાના મુખ્ય મથકો પર બે-ત્રણ દિવસે માત્ર એક વાર પાણી વિતરણ થઈ રહ્યું છે. જળાશયો તળિયાઝાટક થઈ જતાં સૌથી વધુ કફોડી સ્થિતિ ગામડાંઓની થઈ છે. હજુ તો ઉનાળો શરૂ જ થયો છે ત્યાં 350થી વધુ ગામડાંઓમાં ટેન્કર દોડાવવાનો વારો આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી ડેમ ઉપરાંત, જામનગરના રણજીતસાગર ડેમમાં નર્મદાના નીર ભરવામાં આવ્યા છે અને હજુ ચોમાસાને ચાર મહિનાની વાર છે ત્યારે હાલ આઠ જિલ્લાના 90 જેટલા નાના મોટા ડેમ ખાલીખમ થઈ ગયા છે.
સૌરાષ્ટ્રના લોકો દ્વારા આ 90 ડેમને સૌની યોજના દ્વારા ફરીથી પાણી છલોછલ કરવા તંત્ર પાસે માગ કરવામાં આવી રહી છે. ઉનાળાની શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્ત્રોત ખાલીખમ થવા લાગ્યા છે, ત્યારે ખેતીને પણ ભારે નુકસાન થવાની દહેશત ઊભી થઈ છે. જે જળાશયોમાં પાણી બચ્યું છે તે પણ વધુમાં વધુ એક માસ ચાલે તેટલું જ છે.
જામનગર-જૂનાગઢમાં આંતરા દિવસે પીવાનું પાણી આપવામાં આવી રહ્યુ છે .જ્યારે રાજકોટમાં પ્રતિદિન 20 મિનિટ અને 17 ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યુ છતાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. તેમ જ પોરબંદર 3 દિવસે 30 મિનિટ અને પાંચ ગામડાંમાં ટેન્કરથી પાણી વિતરણ કરાય છે. મોરબી એકાંતરે અડધી કલાક જ્યારે ત્યાંના 14 ગામડામાં ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત વેરાવળ, જૂનાગઢ, અમરેલી, જામનગર અને ખંભાળિયામાં ત્રણ દિવસે પાણી હાલમાં મળી રહે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારો શરૂ થતાં બે-ત્રણ દિવસે ટેન્કરો દોડાવવાના શરૂ કરી દેવાયા છતાં પીવાનું પાણી ગામડાઓમાં પૂરતું મળતું નથી. લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.
તાપ્તી ગંગા એક્સપ્રેસના ચાર યાત્રિક ઘવાયા, જાનહાની ટળી :

![]()
બિહારમાં બે માસમાં બીજી ટ્રેન દુર્ઘટનાબિહારમાં બે મહિનામાં બીજી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. બિહારના છપરામાં આજે સવારે 9 વાગ્યા આસપાસ રેલ અકસ્માત સર્જાયો હતો. છપરા-બલિયા નજીક તાપ્તી ગંગા એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર યાત્રિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. અકસ્માતના બનાવને પગલે રેલ્વે દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ.
બિહારના હાજીપુરમાં ગત તા.3 ફેબ્રુઆરીએ આનંદવિહાર- રાધિકાપુર સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં સાત યાત્રીઓના મૃત્યુ નીપજ્યા હતા અને ઘણાને નાની-મોટી ઇજા પહોચી હતી. આજે સવારે સુરત-છપરા રૂટની 19046 નંબરની તાપ્તી ગંગા એક્સપ્રેસ છપરાથી નીકળી હતી. 45 મીનીટની સફર પુર્ણ કર્યા બાદ ટ્રેન ગૌતમ સ્થાન સ્ટેશને પહોંચતા જ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેનની સ્પીડ વધુ ન હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ ચાર યાત્રીક ઘાયલ થતા તેઓને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો અને હાલ છપરા-બલિયા રૂટ પર ટ્રેનની આવન-જાવન પર રોક લગાવી દેવામાં આવી છે. તાપ્તી ગંગા એક્સપ્રેસ દરરોજ સવારે છપરાથી ઉપડીને બલિયા, ઉમ, વારાણસી, સતના, જબલપુર, ખંડવા થઇને આશરે 34 કલાકના સમયાંતરે સુરત પહોંચે છે.

મે માસમાં તાલાલા મેંગો માર્કેટ શરૂ થતા કેરીની સીઝન જામશે
કેસર કેરીનો સ્વાદ લેવા માટે વધારે રૂપિયા ચુકવવા તૈયાર રહેવું પડશે, કારણ કે કેસર કેરીના ગઢ ગણાતા તાલાલામાં હવામાન પરિવર્તનથી પાકને ભારે નુકસાન થયું છે. હવે તેની અસરથી પાક ઓછો આવવાની સંભાવના છે. એપ્રિલ માસના અંતે કે મે માસમાં તાલાલા મેંગો માર્કેટમાં હરાજી શરૂ થયા પછી ખરી આવક થશે. અત્યારે બજારમાં થોડી થોડી આવક થઇ છે. જૂનાગઢમાં ગઇકાલે 100 બોક્સની આવક થતા રુ. 1000-1200માં 10 કિલોનું બોક્સ વેચાયું હતુ.