CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 125 of 144 - CIA Live

April 29, 2019
water_cut.jpg
1min11160

ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની સ્થિતિ વિકટ બની રહી છે.તેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધુ એક દિવસનો પાણી કાપ લંબાવાયો છે. જેથી હવે દર ચાર દિવસે નગરજનોને પીવાનું પાણી મળશે. આ અંગેની મનપાની યાદીમાં જણાવાયું છે કે,આનંદપુર ડેમમાં હવે દસ દિવસ ચાલે તેટલું જ પાણી છે.નર્મદા યોજનાનું પાણી હજી મળી શકે તેવી સંભાવના નથી. શહેરમાં પ્રાઇવેટ બોર ડુકી ગયા છે. પીવાના પાણીની તીવ્ર તંગી ઉદ્ભવી છે. આવી પરિસ્થિતિમાં પાણી કાપ લંબાવવો જરૂરી બન્યો છે.

April 28, 2019
heatwave.jpg
1min6670

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો ઘાટ સર્જાયો છે. શુક્રવારે 43 ડિગ્રીની આસપાસ રહેલો તાપમાનનો પારો શનિવારે સીધો જ 45થી 48 ડિગ્રી સુધી પહોંચી જતા સમગ્ર રાજ્ય અગનભઠ્ઠીમાં શેકાયું હતું. મોડાસામાં તાપમાનનો પારો 48 ડિગ્રી રહ્યો હતો, જ્યારે અમદાવાદમાં પણ 45 ડિગ્રીની ગરમી વરસતા શહેરના જાહેર માર્ગો પર કરફ્યૂ જેવો માહોલ સર્જાયો હતો.

રાજ્યમાં આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે શનિવારે ગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. ગુજરાતમાં મોડાસામાં સૌથી વધારે તાપમાન 48 ડિગ્રી નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં 45, સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીના બીજા મળતાં આંકડા પ્રમાણે પાંચ શહેરોનું તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.

વાવ 47 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે અને અમદાવાદ-ભૂજ-રાજકોટમાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજ્યના બીજા 5 શહેરમાં તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા 108માં આવતા કોલની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો 44થી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

April 27, 2019
jalsankat.jpg
1min5960

ગુજરાતમાં નર્મદા યોજના આધારિત નર્મદા પાણી પુરવઠા યોજના તેમ જ ડેમ ઊંડા કરવાની કવાયતો બાદ પણ દર વર્ષે ઉનાળાની શરૂઆતમાં અપૂરતા પાણી પુરવઠાની સમસ્યા યથાવત્ રહી છે. અનેક ગામડાઓમાં અત્યારે પણ ટેન્કરથી લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે એટલું જ નહીં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં પીવાની પાણીનો કાપ લગભગ કાયમી બની
ગયો છે.

(સાંકેતિક ફોટો, ગુજરાતના જળાશયોની આવી તળિયા ઝાટક સ્થિતિ જોવા મળી રહી છે. આ સિમ્બોલિક ફોટો છે, ગુજરાતનો નથી)

જળાશયોની સ્થિતિ ચિંતાનું કારણ બની રહી છે. રાજ્યના 204 જળાશયોમાં એકંદરે 34.41 ટકા જળસ્તર છે. જો કે રાજ્યના બે જળાશયો જ એવો છે જેમાં જળસ્તર 70થી 90 ટકા વચ્ચે છે.

રાજ્યના 78 જળાશયો તળિયાઝાટક થઈ ગયા છે, સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર એવી સ્થિતિમાં રાજ્યમાં ચોમાસું આવશે ત્યાં સુધી ગંભીર જળ સંકટનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં હાલ માત્ર 11.32 ટકા જળસ્તર છે. જે ગયા વર્ષે આ સમયગાળામાં સૌરાષ્ટ્રભરના જળાશયોમાં 517 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર હતું જે આ વર્ષે 287 મિલિયન ક્યુબિક મીટર છે. કચ્છમાં પણ સૌરાષ્ટ્ર જેવી જ સ્થિતિ છે. કચ્છના 20 જળાશયોમાં 13.73 ટકા જળસ્તર છે. ગયા વર્ષે આ સમયગાળામાં 51.97 મિલિયન ક્યુબિક મીટર હતું તે આ વર્ષે 45.63 મિલિયન ક્યુબિક મીટર છે. જેમાં ક્રમશ: ઘટાડો નોધાય છે. જ્યારે ઉત્તર ગુજરાતના 4 જિલ્લાના 15 જળાશયોમાં 319 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે 592.52 મિલિયન ક્યુબિક મીટર હતું. હાલ ઉત્તર ગુજરાતમાં માત્ર 16.60 ટકા જળસ્તર છે.

મધ્ય ગુજરાતના જળાશયોમાં 11132 મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે આ જ સમયે 1213 મિલિયન ક્યુબિક મીટર હતું. રાજ્યમાં સારી સ્થિતિ કહી શકાય તેવી મધ્યમાં જોવા મળે છે. અહીં 17 જળાશયોમાં હજુ 48.22 ટકા જળસ્તર છે. પાણી મામલે દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી. 13 જળાશયોમાં 24.19 ટકા જળ છે.

April 26, 2019
sunstroke.jpg
1min110370

સુરત મહાનગરપાલિકાએ દરેક બસ સ્ટેન્ડ, દરેક હેલ્થ સેન્ટર પર ઓ.આર.એસ.ની સુવિધા ઉભી કરી છે

સુરત મહાનગરપાલિકાએ તા.27મી એપ્રિલ 2019ના રોજ શહેર અને આસપાસના વિસ્તારોમાં 44 ડિગ્રી  જેટલો તાપમાનનો પારો ઉંચો જાય તેવી શક્યતા દર્શાવતી એક એડવાઇઝરી જારી કરી છે. શહેરીજનોને અતિશય તાપથી બચીને રહેવા માટે જણાવવામાં આવ્યું છે. સન સ્ટ્રોકને કારણે લૂ લાગવા તેમજ અન્ય મુશ્કેલીઓ ઉપસ્થિત થવાની શક્યતા જોવાય રહી છે.

વાતાવરણની અધિકૃત ભાષામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે ઓરેન્જ એલર્ટ કહેવામાં આવે. અતિશય ગરમી પડે એટલે એને ઓરેન્જ એલર્ટ તરીકેનું સ્ટેટસ આપવામાં આવે છે.

આ પ્રકારની ગરમી શનિવાર, તા.27મી એપ્રિલે પડવાની શક્યતા છે. સુરત મહાનગરપાલિકાની એડવાઇઝરીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તા.28મી એપ્રિલ 2019ને રવિવારે તાપમાનનો પારે 43 ડિગ્રીએ એટલે કે યલો એલર્ટ તેમજ તા.29મી એપ્રિલને સોમવારે તાપમાનનો પારો 41 ડિગ્રી સે. રહેવાની શક્યતા છે.

શહેરીજનોને અતિશય તાપ પડવાની એડવાઇઝરી આપતા સુરત મહાનગરપાલિકાએ નીચે મુજબનું સ્ટેટમેન્ટ પણ જારી કર્યું છે.

વધુમાં તા.26મી એપ્રિલ 2019ના રોજ સુરત શહેરમાં તાપમાનનો પારો આ વખતની સીઝનનો સૌથી હાઇએસ્ટ સ્તરે 42.1 ડિગ્રી પર નોંધાયો હતો. શુક્રવારે ભેજનું પ્રમાણ 20 ટકા જેટલું નીચે ઉતરી ગયું હતું. હવાનું દબાણ 1004.7 મિલીબાર નોંધાયું હતું અને પવનની ગતિ ઉત્તરમાંથી 7 કિ.મી. જેટલી નોંધાઇ હતી. જોકે, સુરતીઓ શુક્રવારની ગરમીથી ત્રસ્ત પોકારી ઉઠ્યા હતા.

શુક્રવારે જ  સુરતીઓ પારાવાર ગરમીથી પરેશાન થઇ ગયા હતા. એવામાં હવે પછીના ત્રણ દિવસ શનિ, રવિ અને સોમવારે ભારે ગરમી પડે તેવી શક્યતાઓ જોવાય રહી છે.

 

April 24, 2019
saurashtra.png
1min12420

પોરબંદરમાં નેંધપાત્ર 4.15 ટકા મતદાન વધ્યું જ્યારે જૂનાગઢમાં 3.37 ટકા ઘટયું
અન્ય બેઠકોમાં 2014ની પેટર્ન મુજબ જ થયું મતદાન: ઉમેદવારો અવઢવમાં

વર્ષ 2014 કરતાં આ વખતે કેટલું મતદાન થશે, તેના ઉપર સૌની નજર હતી અને આજે મતદાનના અંતે આંકડાઓ સામે આવતાં રાજકીય તજજ્ઞો પણ વિચારમાં પડી ગયા છે અને ઉમેદવારોમાં પણ મુંઝવણ વધી છે. એક તો મતદારોએ પોતાનું મન કળવા દીધું નથી. 2014ની લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર સરેરાશ પ8.1પ ટકા મતદાન થયું હતું અને આ વખતે મતદાન પૂર્ણ થયા બાદના આંકડા સામે આવતાં સરેરાશ પ8.પ9 ટકા મતદાન થયું હોવાનું તારણ સામે આવ્યું છે. ગયા વખત કરતાં સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર માત્ર અડધો ટકો જ મતદાન વધ્યું છે. આ વખતે નવા-યુવા મતદારો પણ સારી સંખ્યામાં ઉમેરાયા છે છતાં મતદાન જોઈએ એટલું વધ્યું નથી. અલબત્ત, સૌરાષ્ટ્રમાં મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું હતું.
સૌરાષ્ટ્રની સાત બેઠકો ઉપર ગરમી વચ્ચે પણ સવારથી મતદાતાઓ નીકળી પડયા હતા પણ જોઈએ એટલો ઉત્સાહ હતો નહીં. મતદાનનો માહોલ જામ્યો નહોતો છતાં સારું મતદાન થયું હતું. સારી વાત એ છે કે, ગામડાંમાં વધારે મતદાન થયું છે. ટકાવારીની દ્રષ્ટિએ મતદાન વધવું જોઈતું હતું પણ રાજકીય પક્ષોને, ઉમેદવારોને જેટલી આશા હતી, તે ફળીભૂત થઈ નથી. 2014ની પેટર્ન મુજબ જ મતદાન થયું હતું. જો કે, યુવા મતદારો વધ્યા છે પણ મતદાન કરવામાં જોઈએ એવી જાગૃતિ આવી નથી. મોટી ઉંમરના, આધેડ મતદારો જ મતદાન કરતા જોવા મળ્યા હતા. યુવાનો નીકળવા જોઈએ એટલા નહોતા નીકળ્યા.
જામનગરના અહેવાલ મુજબ, જામનગર બેઠકની આજ તા.23 એપ્રિલ 2019ના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવિશંકર અને સંબંધિત અધિકારીઓના નેજા હેઠળ સવારે 7 વાગાથી સાંજે 6 વાગા સુધીમાં આ મતદાન 58.26 ટકા જેટલું થયું હતું.
મતદાન એકંદર શાંતિપૂર્ણ થયું હતું. ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે વર્ષ 2014ની ચૂંટણીમાં 57.80 ટકા મતદાન નોંધાયું હતું. તેનું આ વખતે પુનરાવર્તન થયું હતું અને માત્ર 0.46 ટકા વધુ નોંધાયું હતું. જ્યારે જૂનાગઢના અહેવાલ મુજબ ગયા વખતની સરખામણીમાં ત્રણેક ટકા મતદાન ઘટયું છે. વેરાવળના અહેવાલ મુજબ, જિલ્લામાં સૌથી વધારે સોમનાથ બેઠક ઉપર 70.84 ટકા અને સૌથી ઓછું 58.09 ટકા મતદાન નોંધાયું છે. જૂનાગઢ બેઠક માટે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
સુરેન્દ્રનગર બેઠક માટે ત્રિપાંખીયો જંગ હોવા છતાં, સૌથી વધારે ઉમેદવારો હોવા છતાં રસાકસી થવાની સંભાવના હતી અને રસાકસીના પગલે મતદારો મતદાન કરવા નીકળી પડશે અને ગયા વખત કરતાં વધારે મતદાન થશે, તેવી અપેક્ષા હતી પણ આ વખતે ય મતદારો અકળ રહ્યા હતા અને ગયા વખત જેટલું જ મતદાન થયું હતું. અમરેલીના અહેવાલ મુજબ, અમરેલીના શહેરી વિસ્તારોમાં સારું મતદાન થયું હતું પણ ગ્રામ્ય વિસ્તારમાં નિરાશા છવાઈ હતી. ગામડાંઓમાં ઓછું મતદાન થયું હતું.
અમરેલીમાં વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીની સભા થવા છતાં મતદારોમાં નિરસતા જોવા મળી હતી. જો કે, ગયા વખતની સરખામણીએ માત્ર 1 ટકો મતદાન વધ્યું હતું. આ જ રીતે ભાવનગર, રાજકોટ સહિતની બેઠકમાં ગયા વખત જેટલું જ મતદાન થયું હતું. માત્ર અમુક પોઈન્ટનો જ ફેર હતો. સૌરાષ્ટ્રની સાત બેઠક ઉપર આશ્ચર્યજનક મતદાન થતાં ઉમેદવારો મુંઝાયા છે, રાજકીય તજજ્ઞો પણ વિમાસણમાં છે. હવે, એક મહિના પછી તા.23મી મેએ પરિણામ આવશે.
April 22, 2019
archery-1280x720.jpg
1min8230

તીરંદાજીના વર્લ્ડ કપ માટે કૉલમ્બિયા જવા તૈયાર થયેલી ભારતના ૨૩ તીરંદાજોની ટીમ વિમાન મોડું થવાને કારણે આર્ચરી વર્લ્ડ કપમાં ભાગ લેવા માટેની મુદત ચૂકી ગઈ હતી. એ સાથે, વિશ્ર્વકપમાં ભાગ લેવાનું તેમનું સપનું રોળાઈ ગયું હતું.

સિનિયર રિકર્વ અને કમ્પાઉન્ડ ટીમોએ શનિવારે સવારે દિલ્હીથી ઍમ્સ્ટરડેમ જતી રૉયલ ડચ ઍરલાઇનની ફ્લાઇટ (કેએલએમ ૮૭૨)માં બેસવાનું હતું, પરંતુ ‘કામકાજને લગતા મુદ્દાઓને કારણે’ એ ફ્લાઇટ બે કલાક ત્રેપન મિનિટ મોડી થઈ હતી. ઍમ્સ્ટરડેમ ઍરપોર્ટ પર પહોંચવા માટે તેઓ વધુમાં વધુ સવા કલાક મોડા આવત તો ચાલી જાત, પરંતુ ફ્લાઇટ લગભગ ત્રણ કલાક મોડી થઈ હતી. તેઓ સમયસર ઍમ્સ્ટરડેમ પહોંચી ગયા હોત તો ત્યાંથી બોગોટાની ફ્લાઇટમાં બેસીને કૉલમ્બિયાના મેડેલિન ખાતે પહોંચ્યા હોત, પણ તેમનો એ પ્રવાસ રદ થયો હતો.

April 22, 2019
tiktok1.jpg
1min26930

આજકાલ ટીવી છાપાઓ અને સામયિકોમાં ટીક ટોકની બહુ ચર્ચા કરવામાં આવે છે, પણ આ ટીક ટોક છે શું? આ પ્રશ્ર્ન બધાને કદાચ થતો હશે અને તેમાં હું પણ અપવાદ નથી. નવી પેઢીના યુવાન-યુવતીઓ કે ટીનએજર્સને કદાચ એમ લાગે કે આટલી સામાન્ય વાત કોઈને સમજાતી નથી કે ટીક ટોક શું છે કે જ્યારે ૨૦૧૮માં ૬૬ કરોડ અને ૩૦ લાખ વખત આ ઍપને ડાઉનલોડ કરવામાં આવેલ હતું જે સંખ્યા ઈન્સ્ટાગ્રામના ડાઉનલોડ કરવા કરતા પણ વધારે છે અને આ કુલ ૬૬ કરોડ ૩૦ લાખ ડાઉનલોડમાંથી ૪૦ ટકા તો માત્ર ભારતમાં જ કરવામાં આવેલ છે! અમેરિકામાં ૨૦૧૮માં સૌથી વધારે ડાઉનલોડ ઍપમાં ટીકટોક પ્રથમ ક્રમાંકે હતું. આટલો મોટો ક્રેઝ આ ચાઈનીઝ વીડિયોઍપનો છે જેમાં યુઝર્સના શોર્ટ વીડિયો એકબીજા સાથે શેર કરી શકાય છે.

બાઈટ ડાન્સ: બાઈટ ડાન્સ એ ચીનનું સાશિયલ મીડિયા ગ્રુપ છે કે જેણે સપ્ટેમ્બર, ૨૦૧૬માં ટીક ટોક વીડિયો ઍપ બજારમાં મૂકેલો હતો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સપ્ટેમ્બર, ૨૦૧૭માં ટીક ટોકમાં યુઝર ૩ થી ૧૫ સેક્ધડનો મ્યુઝિકલ વિડિયો બનાવી શકે છે. રોજના કરોડોથી વધારે વીડિયો ૧૫૦ માર્કેટમાં ૭૫ ભાષાઓમાં જોવાય છે.

જેમ જેમ ટીક ટોક વધારે ડાઉનલોડ થવા લાગ્યું અને નવા નવા વીડિયો શેર થવા લાગ્યા ત્યાર પછી આમાં પણ બદી પેસી ગઈ અને અશ્ર્લીલ ચેનચાળા કરતા અને અશોભનીય બીભત્સ વીડિયોનું ગાંડપણ ટીનએજર્સમાં થવા લાગ્યું અને જેમ ટીવીમાં ટીઆરપી વધે તે ટીવીવાળાને ગમે તેમ ટીક ટોકની ડાઉનલોડ સંખ્યા વધવાનું ઍપના પ્રણેતાને ગમવા લાગ્યું, પણ હાલમાં જ ભારતમાં મદ્રાસ હાઈ કોર્ટે ગૂગલ અને એપલને તેના પ્લે સ્ટોરમાંથી ટીકટોકને કાઢી નાખવાનું કહેલ છે અને સુપ્રીમકોર્ટે પણ મદ્રાસ હાઈકોર્ટના જજમેન્ટ સામે સ્ટે આપવાનો ઈનકાર કરેલ છે. તેથી હાલમાં ભારતમાં ટીક ટોક ગૂગલ અને એપલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ નહીં થઈ શકે. ટીક ટોક બેન્ડ કરવાનું કારણ છે કે કોઈ તેને રેગ્યુલેટ નથી કરતું તેથી સમાજ અને દેશ માટે તેનો ઉપયોગ સુરક્ષા માટે એક મોટો ખતરો છે.

જાન્યુઆરી, ૨૦૧૯માં અમેરિકાની “પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સ તેના રિસર્ચ પેપરમાં જણાવેલું છે કે ટીક ટોક પશ્ર્ચિમના દેશો માટે એક મોટું સિક્યોરિટી રિસ્ક છે. રિસર્ચ પેપર ઉમેરે છે કે પશ્ર્ચિમના દેશોના યુઝર્સમાં આર્મફોર્સના સૈનિકો પણ સામેલ છે જે આ ઍપના પ્રોગ્રામના કારણે તેની ઈમેજિસ, લોકેશન અને બાયોમેટ્રિક ડેટા ટીક ટોકની ચીની માલિક કંપનીને પાસ ઓન કરી શકે છે અને ત્યાંથી તે ચીની સરકાર અને આર્મી પાસે પહોંચી શકે, કારણ કે ચીનની કોઈ કંપની એટલી સ્વતંત્રતા ધરાવતી નથી કે સરકારને ડેટા શેર કરવાની ના પાડી શકે! પીટરર્સનનું રિસર્ચ તો ત્યાં સુધી કહે છે કે ટીક ટોકનો સોશિયલ મીડિયા ઉપર ફેલાવો કોઈ પણ દેશમાં વિદેશી દખલ દઈને લોકોનું માનસ ભરમાવીને સરકાર ઊથલાવવા સુધી થઈ શકે તેમ છે.

૩ જુલાઈ, ૨૦૧૮ના ઈન્ડોનેશિયન સરકારે ટીક ટોકને તેના બીભત્સ વીડિયોના ફેલાવાના કારણે યુવા પેઢીના ભાવિને બચાવવા બેન્ડ કરેલ છે. નવેમ્બર, ૨૦૧૮માં બાંગલાદેશે પણ આજ કારણથી બેન્ડ કરેલ છે.

આમ ટીકટોકના અંકુશહીન ડાઉનલોડના કારણે વિશ્ર્વભરના દેશો ચિંતામાં છે. અમેરિકામાં તો ચીની ફાઈનાન્સ કંપની “એન્ટ ફાઈનાન્સને નેશનલ સિક્યોરિટી થ્રેટના કારણે “મનીગ્રામને ટેઈકઓવર કરવાની પરમિશન નથી આપી અને ભારતમાં આજ ચીની એન્ટ ફાઈનાન્સ કંપની બહુ પ્રચલિત પૅટીએમમાં બહુ મોટું મૂડીરોકાણ કરેલ છે! “ડેઈલી હંટ એ ભારતમાં બહુ વપરાતું ન્યૂઝઍપ છે, જેમાં સમાચારોના ઍલર્ટ આવતા હોય છે. આ ડેઈલી હંટમાં ૨૫ ટકા રોકાણ ચીની કંપનીનું છે અને ડેઈલી હંટના વપરાશ મનગમતા સમાચારો ફેલાવવા થઈ શકે તેમ છે.

સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં ઍપના ડેવલોપમેન્ટ અને કોમર્શિયલ એક્સ્પ્લોઈટેશનમાં બહુ નાણાંની જરૂર પડે છે અને તેથી જ ચીની કંપનીઓ તેના નાણાંના જોરે ભારતમાં લોકલ કંપનીઓ સાથે જોડાઈ છે, પણ તેમાં નેશનલ સિક્યોરિટી જોખમમાં મુકાવાની શક્યતા નકારી શકાય તેમ નથી તેવું દિલ્હીસ્થિત “ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશનનું કહેવું છે.

આમ ટીક ટોકનું બેન્ડ થવું કદાચ યુવા પેઢીને પસંદ ના પણ આવે અને સરકારને તેઓ ક્ધઝર્વેટિવ ગણે, પણ સૌની ફરજ છે કે તેઓને સમજાવે કે ચરિત્ર ભ્રષ્ટ થતું અટકાવવામાં અને રાષ્ટ્રીય સલામતીના હિતમાં જ્યાં સુધી ટીક ટોકને સંપૂર્ણ રીતે રેગ્યુલેટ ન કરી શકાય ત્યાં સુધી તેનું બેન્ડ થવું યુવા પેઢી અને રાષ્ટ્રના હિતમાં છે, કારણ કે કોઈ પણ સમાજનું ચારિત્ર્યઘટન અને દેશની સલામતી હંમેશાં પ્રથમ ક્રમાંકે જ હોય છે.

April 18, 2019
voting.jpg
1min5610

ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા, દ્રમુક નેતા દયાનિધિ મારન, એ. રાજા, કનિમોઝી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર, ભાજપના નેતા હેમા માલિની, બસપાના દાનિશ અલી જેવા દિગ્ગજ નેતાઓના ભાવિ દાવ પર લાગ્યા

લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયામાં 11મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં શંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ હવે આજરોજ તા.18મી એપ્રિલ 2019ને ગુરૂવારે સવારે 8 વાગ્યાથી દેશની લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન શરૂ થઇ ચૂક્યું છે. આરંભના કલાકોમાં મતદાન સાવ મંદ ગતિએ ચાલી રહ્યાના પ્રાથમિક અહેવાલો મળ્યા હતા.
બીજા તબક્કામાં આજે તા.18મી એપ્રિલના રોજ દેશના 12 રાજ્યો અને કેદ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીને આવરી લેતી 96 સીટ પર મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં કુલ 1644 ઉમેદવારોનાં ભાવી આજે ગુરુવારે સાંજે 5 કલાકે ઇવીએમમાં કેદ થઈ જશે.
આજે બીજા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન યોજાનાર છે તે પૈકી તમિળનાડુમાં સૌથી વધારે 38 સીટો પર મતદાન થનાર છે. કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 10, ઉત્તરપ્રદેશમાં આઠ, આસામ, બિહાર અને ઓરિસ્સામાં પાંચ પાંચ સીટો પર મતદાન થનાર છે. આવી જ રીતે છત્તિસગઢ અને બંગાળમાં ત્રણ ત્રણ સીટ પર મતદાન થનાર છે. જમ્મુ કાશ્મીરમાં બે સીટ પર મતદાન થનાર છે. મણિપુર, ત્રિપુરા અને પોન્ડીચેરીમાં એક એક સીટ પર મતદાન શરૂ થયાના અહેવાલો મળ્યા હતા. ચૂંટણી પ્રચારનો મંગળવારના દિવસે અંત આવ્યો હતો.
April 18, 2019
Farmers-Suiciding.jpg
1min5840

લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ત્યારથી મરાઠવાડામાં 91 ખેડૂતે આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. ખેડૂતોનું જીવનધોરણ સુધારવા માટે લોનમાફીથી પેન્શન આપવા સુધીનાં આશ્ર્વાસનો પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યાં છે, પરંતુ આ જ સમયગાળા દરમિયાન આત્મહત્યા કરી રહેલા ખેડૂતો સંદર્ભે રાજકીય પક્ષો એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર નથી. ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી 14 એપ્રિલ સુધીમાં 220 ખેડૂતે આત્મહત્યા કરી છે.

148 ખેડૂતને સરકારી મદદ આપવામાં આવી હોવા છતાં 54 પ્રકરણ અપાત્ર ઠર્યા હતા. 18 પ્રકરણની તપાસ ચાલી રહી છે. માત્ર માર્ચ મહિનામાં જ 69 ખેડૂતે આત્મહત્યા કરી હોઈ છેલ્લા પખવાડિયામાં અંદાજે બાવીસ ખેડૂતની આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. દરમિયાન નાગઠાણે સ્થિત ખેડૂત ભિકાજી ઉર્ફે જગદીશ સંપત શેળકે (42)એ દેવાથી કંટાળી મંગળવારે બપોરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. શેળકેએ સાડાત્રણ લાખ રૂપિયાની લોન લીધી હતી.

લોનમાફીનો લાભ ન મળતાં છ ટકાને બદલે બાર ટકા વ્યાજદરે લોન ભરવાનો વારો આવતાં હતાશામાં શેળકેએ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.

April 14, 2019
cm-helicopter-1280x720.jpg
1min7340

છ સીટવાળું રૂ. 54 કરોડનું હૅલિકૉપ્ટર 2011માં તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ માટે ખરીદવામાં આવ્યું હતું.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હૅલિકૉપ્ટરને ખરીદવા માટે કોઈ કંપની આગળ ન આવતા ટેન્ડર ભરવાની સમયમર્યાદા વધારવી પડી છે. મુખ્ય પ્રધાનના હૅલિકૉપ્ટર માટે કોઈ કંપની સત્તાવાર રીતે આગળ આવી ન હતી. બે કંપનીઓએ માત્ર પૂછપરછ કરી હતી. આ હૅલિકૉપ્ટર સાથેનો ફડણવીસનો અનુભવ સારો રહ્યો નથી.

ફડણવીસ અને સરકારી અધિકારીઓ હૅલિકૉપ્ટરમાં બેઠા હતા ત્યારે તે ઑવરહેડ વાયરમાં અટવાઇ ગયું હતું અને વિમાનને અચાનક લેન્ડ કરવાની ફરજ પડી હતી. સદ્ભાગ્યે કોઈ અઘટિત ઘટના ઘટી ન હતી.

છ સીટવાળું રૂ. 54 કરોડનું હૅલિકૉપ્ટર 2011માં તત્કાલીન મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ માટે ખરીદવામાં આવ્યું હતું. 2017માં અકસ્માત બાદ આ હૅલિકૉપ્ટરને વેચવા કાઢવામાં આવ્યું છે.