

પશ્ર્ચિમ બંગાળના કોલકાતામાં એક તબીબ ઉપર જીવલેણ હુમલો થયો તેના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત શાખાના સેક્રેટરીએ 17મી જૂનના સોમવારે ગુજરાતના ડૉક્ટરો હડતાળ ઉપર ઊતરવાનું એલાન અપાયું હતું.
સુરતનું ચિત્ર
સુરતની વાત કરીએ તો સુરતના તબીબ અગ્રણી ડો. વિનોદ સી. શાહે સી.આઇ.એ. સાથે વાતચીતમાં જણાવ્યું હતું કો કોલકાત્તામાં તબીબ થયેલા જીવલેણ હુમલાનો અમે સૌ સુરતના તબીબ આલમ વખોડી કાઢીએ છીએ. આ ઘટનાને અનુસંધાને તાજેતરમાં સુરત કલેક્ટરશ્રીને મેમોરેન્ડમ આપી દેવામાં આવ્યું હતું.
ગુજરાતમાં તબીબોની સ્ટ્રાઇકના ભાગરૂપે સોમવાર, તા.17મી જુને સુરત શહેરના લગભગ 99 ટકા તબીબો અને હોસ્પિટલ્સ કામકાજથી અળગા રહેશે. 500થી વધુ હોસ્પિટલ્સ પણ કાર્યરત નહીં રહીને પોતાનો વિરોધ દર્શાવશે.
ડો.વિનોદ શાહે કહ્યું હતું કે સુરતના તબીબોની માગણી છે કે એસોલ્ટ ઓન ડોક્ટર્સના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે આવા સંજોગોમાં રાજ્યવાર નહીં બલ્કે દેશમાં તબીબોના રક્ષણ માટે એક સમાન કોમન કાયદો બને અને તેનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવે.

(Symbolic Photo)
ગુજરાતનું ચિત્ર
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના સેક્રેટરીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સોમવારે સવારે છ વાગ્યાથી બીજા દિવસે સવારે છ વાગ્યા સુધી આ હડતાળ ચાલશે. પણ આ હડતાળમાં ઈમરજન્સી સેવાને કોઈ અસર નહીં થાય, માત્ર નોન-ઈમર્જન્સી સેવાને હડતાળ લાગુ પડે તે રીતે હશે.
17મી જૂને એસોસિયેશન સાથે સંકળાયેલા 28 હજાર ડોક્ટરો હડતાળ પાડશે. તમામ મેમ્બર્સને આ સંદર્ભે જાણ કરાઈ હતી. ઘટનાના વિરોધમાં અમદાવાદમાં ડોક્ટરોની મિટિંગ યોજવામાં આવી હતી. ડૉક્ટરોએ વડા પ્રધાન અને દેશના ગૃહપ્રધાનને ઈ-મેઈલ કરી ડોક્ટરો ઉપર થતાં હુમલા રોકવા માટે રાષ્ટ્રીય સ્તરે કાયદામાં હૉસ્પિટલ હુમલા માટે ઓછામાં ઓછા સાત વર્ષની સજાની જોગવાઈ હોવી જોઈએ તેવી માગણી કરાઈ હતી.
Date: 16-6-2019 To, All Local branches Presidents & Secretaries, All State Working Committee members. Dear Doctor,
1. The withdrawal of services on Monday, June 17th, 2019 for 24 Hours between 06:00 AM to 06:00 AM (next day) is hereby reconfirmed and reiterated. Everyone is requested to strengthen the agitation.
2. All health care institutions across the sectors are requested to participate.
3. All doctors in all sectors are requested to participate.
4. Emergency and casualties should function normally.
5. Already admitted inpatients should be cared for as usual.
6. All the local branches are directed to give a press statement regarding withdrawal of all non-essential services (especially O.P.D.). Model press statement will follow.
7. All local branches shall report in realtime with photographs at imagsb@gmail.com
8. Associated activities like Protest Marches, Public Meetings etc. can be held as per local exigency.
9. Posters and social media postings can be customised to local needs and prepared at local branches level.
10. Students of all medical colleges should be involved through IMA MSN and respective local branches.
11. IMA JDN and the state branches should coordinate will all Resident Doctors Associations and Junior Doctors.
12. Local Branches should request and involve all Government Doctors organisations.
13. Local branches should request and involve Local chapters of all speciality organisations.
14. Local branches and IMA HBI should involve all Hospital and Nursing Home Organisations.
Thanking You Yours sincerely, Dr. S.S. Vaishya Dr. Kamlesh Saini President Hon. State Secretary G.S.B. I.M.A. G.S.B. I.M.A.
ગુજરાતને માથેથી માંડ ટળેલું વાવાઝોડું ‘વાયુુ’ 16મી જૂને કદાચ પાછું ફરીને કચ્છ પર 17 અથવા 18મી જૂને ત્રાટકવાની શક્યતા અર્થ સાયન્સ મંત્રાલયે જાહેર કરી હતી. અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે વાવાઝોડું ‘વાયુુ’ 16મી જૂને કદાચ પાછુ ફરે એવી શક્યતા છે અને 17 કે 18મી જૂને કચ્છ પર ત્રાટકવાની શક્યતા સર્જાઇ છે. જોકે, વાવાઝોડાની તીવ્રતા ઘટી જશે, પણ તોય એ કિનારા પર વાવાઝોડા સાથે અથડાશે. આ મામલે ગુજરાત સરકારને વાવાઝોડાની આડઅસર વિશે જાણ કરી દેવાઇ છે અને સરકાર ફરી એકવાર સાબદી થઇ છે. વાવાઝોડું ‘વાયુુ’ અગાઉ ગુરુવારે ગુજરાત પહોંચવાનું હતું, પણ બુધવારે રાતે એની દિશા બદલાઇ હતી. જોકે એ ગીર, સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદર નજીકથી પસાર થયું હતું.

પ.બંગાળમાં સાથી ડૉક્ટર પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરો પરત્વે એકતા દર્શાવવા ઈન્ડિયન મૅડિકલ અસોસિયેશન (આઈએમએ)એ શુક્રવારે ત્રણ દિવસનું રાષ્ટ્રવ્યાપી વિરોધપ્રદર્શન આરંભ્યું હતું અને બિનજરૂરી આરોગ્ય સેવા પાછી ખેંચી લઈ 17મી જૂને હડતાળની હાકલ કરી છે.
હૉસ્પિટલોમાં આરોગ્ય સેવાનું કામ કરતા કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવતી હિંસા પર લગામ તાણવા કાયદો ઘડી કાઢવાની પણ આઈએમએએ નવેસરથી માગણી કરી છે અને તેમાં નિયમોનો ભંગ કરનારને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ હોવી જોઈએ એમ જણાવ્યું છે.
ડૉક્ટરો પર અવારનવાર કરવામાં આવતા હિંસક હુમલાઓની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આઈએમએએ કાળી પટ્ટી પહેરી, ધરણા કરી, શાંતિપૂર્ણ રીતે સરઘસ કાઢી આજે અને આવતીકાલે પણ દેશભરમાં વિરોધપ્રદર્શન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને તમામ અસોસિયેશનોને તેમાં સહભાગી થવાની વિનંતી કરી છે.
કોલકાતાસ્થિત એનઆરએસ કૉલેજ ખાતે ટોળાં દ્વારા ડૉ. મુખરજી પર કરવામાં આવેલા હિંસક હુમલાની ઘટનાને આઈએમએએ વખોડી કાઢી હતી અને ઘટનાને મામલે રાજ્ય સરકાર તરફથી દૃષ્ટાંતરૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી હતી.
પ.બંગાળના તમામ રેસિડન્ટ ડૉક્ટરોની યોગ્ય માગણીઓ કોઈપણ પ્રકારની શરત વિના સ્વીકારવામાં આવવી જોઈએ, એમ આઈએમએના સેક્રેટરી જનરલ આર. વી. અશોકને કહ્યું હતું.

કોલકાતાના ડૉક્ટરોની હડતાળને ટેકો જાહેર કરવા અને તેમના પરત્વે એકતા વ્યક્ત કરવા મુંબઈના 2800 સહિત મહારાષ્ટ્રના 4500 કરતા પણ વધુ ડૉક્ટરોએ પણ એક દિવસની હડતાળ પાડી હતી. હૈદરાબાદ અને તેલંગણામાં જૂનિયર ડૉક્ટરોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
જયપુરમાં એસએમએસ સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરોએ કાળીપટ્ટી અને હૅલ્મેટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનના ડૉક્ટરોએ પણ પ્રતીકાત્મક હડતાળમાં ભાગ લીધો હતો.
રાયપુરમાં અંદાજે 400 જેટલા ડૉક્ટરોએ રાજ્યની સૌથી મોટા ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ હૉસ્પિટલમાં સવારે 8:00 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી હૉસ્પિટલના પરિસરમાં વિરોધપ્રદર્શન કર્યું હતું.
અનેક ડૉક્ટરો એક દિવસની હડતાળ પર ઊતરી જતા પણજીસ્થિત ગોવા મૅડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ સહિતની રાજ્યની હૉસ્પિટલોની સેવા આંશિક રીતે ખોરવાઈ ગઈ હતી. ચંડીગઢમાં 1200 તો કોઈમ્બતુરમાં 100 ડૉક્ટરોએ ધરણા કર્યા હતા તો મહિલા ડૉક્ટરો પણ આ વિરોધપ્રદર્શનમાં જોડાઈ હતી.
દરમિયાન, દેશભરના ડૉક્ટરોના આ પગલાંની સીધી અસર દર્દીઓ પર પડી હતી. હજારો દર્દીઓની સારવાર રખડી પડી હતી. દર્દીઓનો આર્તનાદ અસહ્ય હતો. જીવ બચાવનારાઓ જ જીવ લેવા બેઠા છે એવું દર્દીઓના સગાંઓ બોલી રહ્યા હતા. ડૉક્ટરોએ પેશન્ટોને રીતસર વૅન્ટીલેટર પર રાખ્યા છે. દર્દીઓનું દર્દ કોણ સમજશે? એવો આક્રોશ જોવા મળ્યો હતો.
પ્રધાન મંત્રી કિસાન પેન્શન યોજનામાં ખેડૂતે દર મહિને ફક્ત રૂ. 100 ભરવાના રહેશે અને સરકાર પણ એટલા જ રૂપિયા એલઆઇસીને આપશે.

18-40 વર્ષની વયના નાના અને મધ્યમ ખેડૂતો આ યોજનામાં ભાગ લઇ શકશે. તેઓ જ્યારે 60 વર્ષના થશે ત્યારે એમને દર મહિને રૂ. 3000નું પેન્શન જીવનભર આપવામાં આવશે. મોદી 2.0 સરકારે પોતાની પહેલી કેબિનેટ બેઠકમાં પહેલા ત્રણ વર્ષ દરમિયાન પાંચ કરોડ લાભકર્તા માટે પીએમ કિસાન યોજનાને મંજૂરી આપી હતી. આ માટે સરકારને દર વર્ષે રૂ. 10,774.5 કરોડનો ખર્ચ થશે. કેન્દ્રીય કૃષી પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ યોજના વિશે જાગૃતિ ફેલાવવા અને ખેડૂતોને આ યોજનામાં સામેલ કરવાની વિનંતી કરી હતી.
ભારત પાસે પોતાનું ઍર સ્પેસ સ્ટેશન અવકાશમાં સ્થાપવાની તૈયારી કરી રહ્યું હોવાની વાત ઇસરોના પ્રમુખ કે સિવાને જાહેર કરી હતી.
એમના કહેવા પ્રમાણે આ રીતે ભારત વધુ માનવોને અવકાશમાં મોકલી શકશે. આ વિશે એમણે આપેલી રસપ્રદ માહિતીમાં જણાવ્યું હતું કે અમે ગગનયાન કાર્યક્રમ શરૂ કર્યો છે. લાંબા ગાળાની યોજના પ્રમાણે અમે ભારતનું અલાયદુ ઍર સ્પેસ સ્ટેશન બનાવીશું. ભારત આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઇએસએસ) સાથે નહીં જોડાય.
અમે ચન્દ્ર અને ધૂમકેતુ પર માનવ મોકલવાના આંતરરાષ્ટ્રીય મિશનમાં સહભાગી થઇશું. સ્પેસ પ્રોગ્રામ માટે અમારી પાસે સ્પષ્ટ યોજના છે. આપણું સ્પેસ સ્ટેશન ઘણું નાનું હશે. અમે નાનકડું મોડ્યુલ મોકલીશું અને એનો ઉપયોગ માઇક્રોગ્રેવિટી પરીક્ષણ કરવા માટે કરવામાં આવશે. આપણા સ્પેસ સ્ટેશનનું વજન વીસ ટન જેટલું હશે.
જોકે, એમણે એ વાત સ્પષ્ટ કરી હતી કે સ્પેસ સ્ટેશન બનાવીને તેઓ સ્પેસ પર્યટન શરૂ કરવા નથી માગતા. ગગનયાન મિશન બાદ 2022 સુધીમાં તેઓ સરકારને મંજૂરી માટે અરજી મોકલશે તથા આ યોજના પૂર્ણ થતા પાંચથી સાત વર્ષનો સમય લાગશે.

સ્કાયમેટ મુજબ ‘વાયુ’ વાવાઝોડાનું સિસ્ટમ દરિયામાં ચાલુ જ રહેશે, પરંતુ જમીન તેને નબળું પાડી રહી છે. હાલમાં કેટેગરી 2નું વાયુ વાવાઝોડું નબળું પડી કેટેગરી 1 માં પરિણમી શકે છે. જોકે તેમ છતાં 135થી 145કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ વધીને 175 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.
વાયુ’ વાવાઝોડાંને પહેંચી વળવા માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી છે અને બચાવકાર્ય માટે એનડીઆરએફની ટીમો સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદમાં તૈનાત કરવામાં આવી છે. તમામ બંદરો ઉપર બે નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં બહારના રાજ્યોમાંથી પણ એનડીઆરએફના જવાનો તૈનાત કરાયા છે. જ્યાં વાવાઝોડાંની સૌથી વધારે અસર થવાની સંભાવના છે તેવા ગામોના લોકોનું સ્થળાંતર કરાયું છે અને અન્ય ગામોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ માછીમારોને બોટ સાથે પરત બોલાવી લેવાયા છે. જો કે, પોરબંદરની 1પ બોટ અને 4પ બોટ હજી પણ દરિયામાં હોવાનું જાણવા મળ્યું છે.’ લોકોનું સ્થળાંતર કરવાની તૈયારી સાથે શાળાઓની ઈમારતો ખાલી રાખવામાં આવી છે અને સંખ્ય-ાબંધ એસ.ટી.બસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

મોરબીમાં કાર્યવાહી
વાવાઝોડાની સંભવિત અસરના પગલે મોરબી જિલ્લામાં નવલખી દરિયાકાંઠાના 39 ગામના 5900થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, તો 160થી વધુ બોટ અને 4000 જેટલા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઇ છે. એનડીઆરએફની ટીમને મોરબીમાં તૈનાત કરાઇ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 800 આસપાસની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. તો હાલ અમરેલીના દરિયામાં મોજા ઉંચે ઉછળી રહ્યા છે. વાવાઝોડાના પગલે ગીર સોમનાથના 40 ગામોને એલર્ટ કરાયા છે. સૂત્રાપાડાના 7, ઉનાના 17, કોડીનાર અને વેરાવળના 8-8 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. ભાવનગરના દરિયાકાંઠાના 34 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહુવા અને તળાજાના આશરે 17 થી 18 ગામ પર તંત્ર નજર રાખી રહ્યું છે.’ આ માટે એનડીઆરએફની ટીમને મહુવા ખાતે મોકલવામાં આવશે. તો બીજી તરફ જોડીયા અને જામનગર ખાતે પણ એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.
કચ્છની સ્થિતિ
‘કચ્છમાં જખૌ બંદર પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જખૌ બંદર પર માછીમારોને સચેત કરી દેવામાં આવ્યા છે. એનડીઆરએફની બે ટીમ જખૌ બંદર પર તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ તંત્ર તરફથી અલંગના કામદારોને ચેતવણી આપવામાં આવી છે. તેમજ અલંગ શીપ બ્રેકિંગ યાર્ડને બંધ રાખવા આદેશ કરાયા છે. વાવાઝોડાના જોખમને પગલે મજુરોને વ્યવસ્થિત અને સલામત સ્થળે ખસેડવા માટે તંત્રએ પૂરતી તૈયારી કરી લીધી છે. ગાંધીનગરની બે એનડીઆરએફની ટીમ નલિયા અને કંડલા જશે. દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની સ્થિતિ મુજબ લોકો અને વહીવટી તંત્રને સૂચિત કરાશે.
અમરેલી
અમરેલીના અહેવાલ મુજબ 700 જેટલી બોટ જાફરાબાદ લાંગરી દેવામાં આવી છે. જાફરાબાદના 11, રાજુલાના 12 સહિત 23 ગામોને હાઈએલર્ટ’ કરવામાં આવ્યા છે. 60 એસ.ટી.બસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. મોરબીથી મળતા અહેવાલ મુજબ, મોરબી જિલ્લાના કુલ 348 ગામ પૈકી 39 ગામો અને તેના પ3પ3 નાગરિકોના સ્થળાંતર માટેની તમામ તૈયારી કરી લેવાઈ છે. આ માટે 48 સ્કૂલો અને પાંચ આશ્રય સ્થાનો જેવા કે કોમ્યુનિટી હોલ, જ્ઞાતિ-સમાજની વાડી વગેરે ખાલી રાખવામાં આવ્યા છે. સિરામિક એસોસિએશનને તકેદારી માટે અપિલ કરી છે. મોરબીનું ફાયર બ્રિગેડ 40ના સ્ટાફ સાથે સ્ટેન્ડ ટુ થઈ ગયું છે. ફાયર બ્રિગેડના વિનયભાઈ ભટ્ટ, ડી.ડી.જાડેજા સહિતનો સ્ટાફ પરિસ્થિતિને પહેંચી વળવા તૈનાત છે.
જામનગરમાં સ્થિતિ
જામનગરથી મળતા અહેવાલ મુજબ, કલેક્ટર રવિશંકર રજા ઉપર ગયા હતા પણ રજા રદ્દ કરીને તે પરત આવી ગયા છે અને તમામ સ્થિતિની સમીક્ષા કરી છે. જામનગર અને જોડીયા માટે એનડીઆરએફની બે ટીમ આવી પહેંચી છે. માછીમારોને પણ તકેદારી રાખવા સૂચના અપાઈ છે. પોરબંદરમાં વાવાઝોડાંમાં લોકોને મદદ કરવા માટે પોરબંદર જિલ્લા યુવા ભાજપના કાર્યકર્તાઓ ખડેપગે રહેશે અને આ માટે એક મિટીંગ પણ કરી હતી. પોરબંદરમાં પાલિકા તંત્ર પણ સુસજ્જ છે. પાલિકાના ચીફ ઓફિસર હુદડે લોકોને જર્જરિત મકાનોથી દૂર રહેવા, સમુદ્રથી દૂર રહેવા સૂચના આપી છે. અહીં લોકોને સલામત સ્થળે ખસેડવા માટે સેલ્ટર હોમ, શાળા, કોલેજના બિલ્ડીંગો વગેરેમાં સહયોગ આપવા કલેક્ટર મુકેશ પંડયાએ ટ્વીટ કરીને અનુરોધ કર્યો હતો.
પોરબંદરની ચોપાટી બંધ
ખંભાળીયાના અહેવાલ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને મિટીંગ મળી હતી જેમાં તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરના માર્ગદર્શનમાં એક્શન પ્લાન તૈયાર કરાયો છે અને ત્રણ આશ્રય સ્થાનો આરક્ષિત રખાયા છે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો તમામ સ્થળોએ મોકુફ રાખવામાં આવ્યા છે. વાવાઝોડાંને પગલે કોડીનારનું તંત્ર પણ એલર્ટ બન્યું છે. કોડીનાર, માઢવાડ, કોટડા, વેલણ, મૂળ દ્વારકા સહિતની દરિયાઈ પટ્ટીના ગામોના લોકો સાથે સતત સંપર્ક થઈ રહ્યો છે.
જૂનાગઢના હાલ
જૂનાગઢથી મળતા અહેવાલ મુજબ, જૂનાગઢનું વહિવટી તંત્ર સાબદું બની ગયું છે. એનડીઆરએફની એક ટીમ જૂનાગઢ પહોંચી છે જ્યારે એક ટીમને કેશોદ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. માંગરોળ તાલુકાના ખોડાદા, શેરીયાજ, આરેણા, શાપુર, માંગરોળ, લોએજ, આંત્રોલી જેવા ગામોમાં અને માળીયા હાટીનાના ગામોમાં સતર્કતા રાખવામાં આવી રહી છે.
બોટાદમાં પણ ડિઝાસ્ટરની મિટીંગ કલેક્ટરની અધ્યક્ષતામાં મળી હતી.
દીવમાં પણ ભારે પવન અને ભારે વરસાદની આગાહીના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. દીવમાં તમામ તંત્રના અધિકારીઓની રજા રદ્દ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની સાથે કોસ્ટગાર્ડ પણ સ્ટેન્ડબાય રહેશે. દીવમાં કંટ્રોલરૂમ નંબર 0287પ 2પ2081, 2પ2111 આપવામાં આવ્યા છે.ભાવનગરમાં પણ તંત્ર એલર્ટ છે અને શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. હાલમાં ઘો-ઘો ફેરી સર્વિસ બંધ કરવામાં આવી છે.
સુરતમાં એલર્ટ
સુરતમાં ગણેશ બિચ અને ડુમસ બિચ જવાના રસ્તે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. માંગરોળના અહેવાલ મુજબ, તમામ 14પ2 બોટ અને પ3પ નાની હોડીઓ પાછી ફરી ગઈ છે. વાવાઝોડાંની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ આવી પહેંચી છે. વડોદરાના અહેવાલ મુજબ, વડોદરાથી એનડીઆરએફની 11 ટીમ સૌરાષ્ટ્ર માટે રવાના કરી દેવામાં આવી છે. આ તમામ ટીમ આધુનિક સાધનોથી સજ્જ છે. મહારાષ્ટ્રના પુણે અને ભટીંડાથી પણ પાંચ ટીમો આવી છે. દરમિયાન જામનગર જિલ્લાના 2પ ગામોમાંથી લોકોને સ્થળાંતર કરવા 100 એસ.ટી. બસ મૂકવામાં આવી છે.
હૈદરાબાદથી એનડીઆરએફની બે ટુકડી 30 ટન સામગ્રી સાથે રવાના થઈ છે. તેમજ સંરક્ષણની ત્રણેય વિંગને એલર્ટ કરવા સાથે જરૂર પડયે લોકોની મદદ માટે હેલિકોપ્ટર પણ તૈયાર રખાયું છે. અમરેલી જિલ્લા કલેકટરે રાજુલાના 13 અને જાફરાબાદના 10 મળી 23 ગામોને હાઈએલર્ટ જાહેર કર્યા છે.
ભાવનગરમાં 33 ગામો હાઇ એલર્ટ પર
ભાવનગર આસિસ્ટન્ટ કલેકટર ડો. રાજેન્દ્ર પટેલે તળાજા, ધોધા, મહુવાના 33 ગામો હાઈએલર્ટ પર જાહેર કર્યા છે. કાળા તળાવ, હાથબ, નર્મદ, કોળિયાક, જસવંતપુર, ગણેશગઢ વગેરે ગામોનો સમાવેશ થાય છે. દરિયાકિનારાના હાઈએલર્ટવાળા ગામડાઓમાં બપોરબાદ સ્થળાંતર કરાવવામાં આવશે. અલંગ શીપ યાર્ડમાં શ્રમિકો પાસે જહાજોનું કટીંગ નહીં કરાવવા આદેશ અપાયો છે.
ગુજરાતના મહેસુલી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના દરિયા કાંઠે આવેલા 500થી વધુ ગામોને ખાલી કરાવાયાં છે અને સવા બે લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પંકજ કુમારે એવી પણ માહિતી આપી છે કે મધરાતથી જ પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવશે.
વાવાઝોડું ગુજરાત તરફ વધારે નજીક આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડું વેરાવળથી 280 કિલોમિટર દૂર છે.
તા.12મી જુનની બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં વાયું વાવાઝોડું ગુજરાતના પોરબંદરના દરિયાકિનારાથી અંદાજે 360 કિલોમિટર દૂર છે. વાવાઝોડું દ્વારકા અને વેરાવળ વચ્ચેના દરિયાકિનારે ગુરુવારે બપોર બાદ ત્રાટકશે. વાવાઝોડાની તીવ્રતા વધી છે અને તે હવે અતિ તીવ્ર સાયક્લોનમાં ફેરવાઈ ગયું છે.
વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકશે ત્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 155થી 165 કિલોમિટરની હશે.
ગુજરાતમાં મોડી સાંજથી જ વાયું વાવાઝોડાની અસર થવા માંડી છે. ગુજરાતમાં વાવાઝોડાં પહેલાં દરિયાકિનારે પવનની ગતિ વધવા લાગી છે. કોડીનાર, સોમનાથ, દીવ, પોરબંદર વગેરે જગ્યાએ છુટોછવાયો વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. સોમનાથ અને દ્વારકામાં દરિયો વધારે તોફાની બની રહ્યો છે, અહીં ઊંચા ઊછળતાં દરિયાનાં મોજાં જોઈ શકાતા હોવાના રિપોર્ટસ મળ્યા હતા. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વાવાઝોડામાં પવનની ગતિ કલાકના 155 કિલોમિટર સુધીની હોઈ શકે છે.
અરબી સમુદ્રમાં વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે અને સમુદ્રી વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન ખાતાની આગાહીને પગલે ગુજરાતમાં ‘એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. મંગળવાર સવારથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં એનડીઆરએફના 15 ટીમ તૈનાત કરી દેવામાં આવશે. સૈન્ય, નૌકાદળ અને કોસ્ટગાર્ડને એલર્ટ કરવામાં આવશે. અરબી સમુદ્રમાં વેરાવળથી 930 કિમી દૂર દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થશે. જેને લઇને સૌરાષ્ટ્રના દરેક બંદરો પર ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ આપી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી હતી. 12થી 14 જૂન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના બંદરો પર હોડીઓ લાંગરી દેવાની કાર્યવાહી માછીમારો દ્વારા હાથ ધરવામાં આવી હતી. હવામાન ખાતાની આગાહી અનુસાર તા. 11-6-2019 થી તા. 14-6-2019 દરમ્યાન અરબી સમુદ્રમાં લો પ્રેસર ઉદભવવાની શક્યતા છે. જે 70થી 80 કિ.મી. ઝડપે પવન ફુકાવાની શક્યતા છે.
દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થઈ શકે છે જેના કારણે જાફરાબાદ, ઊના, વેરાવળ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના બંદરો પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને સાવચેત રહેવાની તાકીદ પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છ સહિતના જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે.
વાવાઝોડાની શક્યતાના પગલે ગીર-સોમનાથ જિલ્લાનાં તમામ તાલુકાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તકેદારીનાં ભાગરૂપે રાઉન્ડ ધી ક્લોક તાલુકા કંટ્રોલ રૂમ કાર્યરત કરી નાયબ મામલતદારને હાજર રાખી જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવા આવશે. માછીમારો જો દરિયામાં હોય તો બોલાવી લેવા અને દરિયો ન ખેડવા હવામાન ખાતાએ સૂચના આપી છે. અત્યારે 930 કિલોમીટર દૂર પ્રેસર સર્જાવાની વાત સામે આવી છે.
અરબી સમુદ્રમાં લો પ્રેસરના કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક પણ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત બંદરોને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. મોટાભાગની બોટો પણ જાફરાબાદ બંદરે પહોંચી ગઇ છે. પોરબંદર અને દ્વારકા સહિતના દરિયા કાંઠાના કલેક્ટરો અને મહેસૂલ વિભાગ દ્વારા વિશેષ સૂચના આપવામાં આવી રહી છે. સંભવિત તકેદારીના પગલાં લેવા અને એનઆરડીએફની ટીમો જરૂર પડે તૈનાત કરવાની પણ સૂચના અપાઇ છે.