સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ધસી આવી તોડફોડ કરી સંતો સાથે ઝપાઝપી કરી હોબાળો મચાવવાના પ્રકરણમાં પુજારીએ 24 હરિભકતો અને મહિલા ભકતો સામે ફરિયાદ આપી હતી. આ બનાવ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મોટા વરાછા લજાંમણી ચોક પાસે આવેલા રાજહંસ ટાવરની સામે મંદિરના પુજારી નિર્દોશચરણદાસજી ગુરૂસ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામીએ હરિભકતો મોટા વરાછા હસુભાઈ ફાચરીયા, ધીરૂભાઈ રબારીકા, ભદ્રેશભાઈ ગજેરા, ભીખુભાઈ ગેવડીયા, પ્રવિણભાઈ દેસાઈ સહિત 24 હરિભકતો તથા મહિલા ભકતો સામે ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે ગત તા.16 જુલાઈથી આજદિન સુધી મંદિરમાં આવી પુજા હોમહવન જેવા ધાર્મિક કૃત્યોમાં ખલેલ પહોંચાડી અપશબ્દો અને ગાળો બોલી સંતો તથા હરિભકતોની ધાર્મિક લાગણી દુભાવી મંદિરમાં તોડફોડ ચોરી કરી સંતો સાથે હાથ ચાલાકી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પુજારીની ફરિયાદના આધારે નિર્દોશચરણદાસજી ગુરૂસ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામીએ આ તમામ 24 સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. અમરોલી પોલીસના એ.કે.કુવાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
તા.18મી ઓગસ્ટે રાજકોટ પ્રાંત અધિકારીએ જિલ્લામાં ત્રણ જગ્યાએ દરોડા પાડીને લાખોનું બાયોડીઝલ જપ્ત કર્યુ હતુ.
સૌરાષ્ટ્રમા વેચાતા ગેરકાયદેસર ડીઝલના કૌભાંડમાં અનેક બાબતો સામે આવે છે. તેમાય કચ્છના બંદરે ઉતરતા વ્હાઇટ ડીઝલનો કાળો કારોબાર સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલુ છે. કચ્છમા ઉતરતું આ ગેરકાયદેસર ડીઝલ જીએસટી સહિત રૂ.70માં લીટર પડે છે. કાયદેસર ડીઝલ 98/99′ રૂપિયા લીટર વેચાય છે.
એક અંદાજ મુજબ રાજકોટ સુરેન્દ્રનગર અને રાજકોટ મોરબી તેમજ જામનગરમાં ખીજડીયા બાયપાસ ઉપરથી છાનેખુણે અથવા અધિકારીઓની દેખરેખમાં મોડસ ઓપરેન્ડીથી આવું ડીઝલ સપ્લાય કરવામાં આવે છે. જેનાથી સરકારની આવકને નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે.
રાત્રે આંટાફેરા કરતી પોલીસની ટીમ આવા ગેરકાયદેસર પંપોમાંથી અમુક સીલ કરે છે અમુક ‘સ્વહિત’માં છાને ખૂણે ચાલવા દે છે. અમુક તો સીલ કરેલા પણ ખુલી જાય છે અથવા એ સીલવાળી પાર્ટી બાજુમાં નવો કાળો કારોબાર શરૂ કરી દે છે.
રાજ્ય સરકારના આદેશ બાદ પણ રાજકોટમાં બાયોડીઝલના એકાદ છૂટપૂટ દરોડો બાદ કરતા કોઈ મોટું રેકેટ કે આવા સમાંતર પમ્પો પકડાયા નથી. કદાચિત પોલીસને આ સંદર્ભે સમય ન મળતો હોય પણ અન્ય વિભાગો જીએસટી, પુરવઠા તેમજ જીપીસીબીના હાથ કેમ નથી પહોચી શકતા તે પણ એક સવાલ છે.
બાયોડીઝલના કારણે કરોડોની ટેકસ ચોરી થાય છે. બાયોડીઝલ બનાવવા માટે વપરાતા કેમિકલો, મિશ્રણ પણ કોઈપણ ટેકસ ભર્યા વિના ઠલવાય છે. જો બાયોડીઝલ પરના આવા કેમિકલ અને બાયોડીઝલનો ટેકસ ગણવામાં આવે તો કરોડોની આવક સરકારને થાય છે. બાયોડીઝલ બધં થાય તો ડાયરેકટ પેટ્રોલ, ડીઝલની ટેકસની કરોડોની આવક સરકારને મળી શકે એ માટે સંભવત: જીએસટીને પણ આવા પમ્પો પર કાર્યવાહીની સૂચના છે. જ્યારે બાયોડીઝલમાં વપરાતા નબળી ગુણવત્તાના પ્રવાહીઓના કારણે હવાઈ પ્રદૂષણ વાહનોના ધૂમાડાથી થાય છે. આવા પ્રવાહી સ્ટોક કરવા, પરવાના, ચાકિંગ સહિતની તેમજ પ્રદૂષણ ઘટાડવાની મુખ્ય જવાબદારી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (જીપીસીબી)ની છે. તેથી બાયોડીઝલના ગોડાઉનો, ફેકટરીઓ, પમ્પો પર કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે.
મુંબઈમાં જુહુ પોલીસે એક અપંગ આરોપીની ધરપકડ કરી છે જે માત્ર એસ્ટીમ કારની ચોરી કરતો હતો. આ પાછળનું કારણ પોલીસને એ જાણવા મળ્યું હતું કે અપંગ હોવાથી તેને માત્ર એસ્ટીમ કાર ચલાવતાં જ ફાવતું હતું અને આજની મૉડર્ન કારનાં લૉક ખોલવાં તેને મુશ્કેલ પડતાં હતાં, જ્યારે એસ્ટીમનું લૉક તે તરત ખોલી શકતો હતો.
૬૦ વર્ષના ફરિયાદી વિલે પાર્લેના ગુલમોહર રોડ પર રહે છે. તેમની એસ્ટીમ કાર જુલાઈના ફર્સ્ટ વીકમાં ચોરી થઈ હતી. એની ફરિયાદ તેમણે જુહુ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં આસપાસના વિસ્તારોમાંથી મળેલાં સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં એક પગે બરાબર ચાલી ન શકતો યુવાન દેખાઈ આવ્યો હતો. એ જ યુવાન બે દિવસ પહેલાં કારપાર્કિંગની જગ્યાએ રેકી કરતો દેખાઈ આવ્યો હતો. એક ફૂટેજમાં મળેલા તેના ફોટોથી વધુ વિગત મેળવતાં તે આરોપી આનંદ હરિજન (૫૨ વર્ષ) હોવાની પોલીસને જાણ થઈ હતું.
જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શ્રીકાંત માનેએ કહ્યું હતું કે ‘આરોપીની અમે ધરપકડ કરીને તેની પૂછપરછ કરી ત્યારે તેણે કાર ચોરી કરવાનો ગુનો કબૂલ કર્યો હતો. તે થોડા સમય પહેલાં જ જેલમાંથી છૂટ્યો હતો અને બહાર આવી તેણે ફરી ચોરીઓ ચાલુ કરી હતી. આ પહેલાં તેના પર ૩૨ કરતાં વધુ ગુના ચોરીના નોંધાયા છે. આમાંના ૧૫ ગુનામાં તેણે એસ્ટીમ કાર ચોરી કરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.’
અશ્લીલ ફિલ્મોના પ્રોડક્શનમાં સામેલ હોવાના આરોપ હેઠળ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની Dt.19/07/2021 સોમવારે ધરપકડ કરાયા બાદ તેને આજે Dt.20/07/2021 કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે રાજ કુન્દ્રાના 23/07/2021 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુંબઈ પોલીસ કમિશનરે રાજ કુન્દ્રા આ કેસમાં મુખ્ય ષડયંત્રકાર હોવાનો દાવો કર્યો છે. ગઈકાલે Dt.19/07/2021 સાંજે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં રાજ કુંદ્રા અને તેના પાર્ટનર્સ વચ્ચે વોટ્સએપ પર થયેલી વાતચીતને મુખ્ય પુરાવા તરીકે રજૂ કરવામાં આવી છે.
બીજી તરફ, આ કેસની આરોપી ગહના વશિષ્ઠે દાવો કર્યો હતો કે આ કોઈ પોર્ન ફિલ્મો નહોતી. એકતા કપૂર, અનુરાગ કશ્યપ, વીભુ અગ્રવાલ સહિતના અનેક ફિલ્મ મેકર્સ બનાવે છે તેવી જ બોલ્ડ ફિલ્મો હતી. નેટફ્લિક્સ અને એમેઝોનની માફક અન્ય એપ્સમાં પણ આ ફિલ્મોને અપલોડ કરવામાં આવી હતી. તેણે આ કેસમાં કોઈપણ કૉમેન્ટ કરતા પહેલા લોકોને તે ફિલ્મો જોવા અપીલ કરતા કહ્યું હતું કે પોલીસ તેનો ખોટો મતલબ કાઢી રહી છે.
મુંબઈ ક્રાઈમ બ્રાંચ ફેબ્રુઆરી 2021માં નોંધાયેલી અશ્લિલ ફિલ્મોના પ્રોડક્શન અને તેમને ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવાની એક ફરિયાદની તપાસ કરી રહી છે. આ સંદર્ભે જ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રાજ કુન્દ્રા પર ઠગાઈ ઉપરાંત અશ્લિલ સામગ્રીનું પ્રોડક્શન અને વિતરણ કરવાના આરોપ લગાવ્યા છે.
અત્યારસુધીની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ફિલ્મો તેમજ ટીવીમાં કામ કરવા માટે આવતા અને સંઘર્ષ કરતા યુવક-યુવતીઓને લઈને આરોપીઓ અશ્લીલ ફિલ્મ બનાવતા હતા, અને તેને અલગ-અલગ પ્લેટફોર્મ પર રિલીઝ કરી તગડી કમાણી કરતા હતા. આ પ્રકારની ફિલ્મોના શૂટિંગ માટે મુંબઈના મડ આયલેન્ડમાં એક બંગલો પણ ભાડે લેવામાં આવ્યો હતો. જોકે, આ ફિલ્મોમાં કામ કરવા માટે ફરજ પાડવામાં આવી હોવાની ફરિયાદો કેટલીક યુવતીઓ દ્વારા કરવામાં આવતા પોલીસ એક્શનમાં આવી હતી.
ફેબ્રુઆરીમાં આ કેસની ઈન્ક્વાયરી શરુ થઈ ત્યારે પણ રાજ કુન્દ્રાનું નામ ખૂલ્યું હતું. જોકે, રાજ કુન્દ્રાએ આ મામલામાં પોતાની કોઈપણ સંડોવણી હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આખરે, પોલીસને તેની સામે પુરાવા પ્રાપ્ત થતાં ગઈકાલે રાજ કુન્દ્રાને પૂછપરછ માટે બોલાવાયો અને રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ બાદ તેને જેજે હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈ પોલીસ કમિશનર ઓફિસમાં તેને આખી રાત ક્રાઈમ બ્રાંચના લોકઅપમાં રખાયા બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.
રાજ કુન્દ્રા સાથે આ કેસમાં કુલ નવ આરોપી છે. જેમાં એક્ટ્રેસ અને મોડેલ ગહના વશિષ્ઠનો પણ સમાવેશ થાય છે, જેની પણ ધરપકડ કરવામાં આવી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, આ કાંડમાં યુકે સ્થિત પ્રોડક્શન કંપની કેનરિનની સંડોવણી બહાર આવી હતી, જેના થકી રાજ કુન્દ્રાનું નામ ખૂલ્યું હતું. પોલીસે કંપનીના એક્ઝિક્યુટિવ ઉમેશ કામતની ધરપકડ કરી હતી, જે રાજ કુન્દ્રાનો પૂર્વ કર્મચારી છે ને તે જ અશ્લીલ સામગ્રી જુદા-જુદા પ્લેટફોર્મ પર પબ્લિશ કરતો હતો.
જે અશ્લીલ વિડીયોને ઓનલાઈન મૂકાતા હતા, તેમનું શૂટિંગ ગહેના વશિષ્ઠ દ્વારા કરવામાં આવતું હતું. પોલીસને એ વાતની પણ શંકા છે કે રાજ કુન્દ્રા કેનરિન નામના પ્રોડક્શન હાઉસમાં હિસ્સો ધરાવતો હોય તો પણ નવાઈ નહીં. મુંબઈ પોલીસના કમિશનર હેમંત નાગરાલેએ જણાવ્યું હતું કે, આ કાંડમાં રાજ કુન્દ્રા મુખ્ય કાવતરાખોર હોવાની શંકા છે.
રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ રિયાલિટી શો સુપર ડાન્સર 4ના શૂટિંગમાં આવવાનું ટાળ્યું હતું. સૂત્રોનું માનીએ તો, શિલ્પા શેટ્ટી શોના શૂટિંગ માટે નહોતી આવી. જોકે, હાલ તેના શૂટિંગનું કોઈ રિશિડ્યૂલિંગ પણ નથી કરવામાં આવ્યું.
કોરોના મહામારીના કારણે હાલ રાજ્યભરના તમામ વોટર પાર્ક અને રિસોર્ટ બંધ છે, ત્યારે વડોદરા જિલ્લાના પાદરાના મહી વોટર રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકોને એન્ટ્રી આપતા પાદરા પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસની ટીમ જોઈને પાણીમાં મજા માણી રહેલા લોકો મોં છુપાવીને ભાગ્યા હતા. પોલીસે ત્રણ લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર બ્રિજ પાસે મહી વોટર રિસોર્ટ આવેલું છે. આ રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકોને એન્ટ્રી આપવામાં આવી હોવાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. આ સમયે પાર્કિંગમાં મોટી સંખ્યામાં વાહનો જોવા મળ્યા હતા. તેથી પોલીસે અંદર દરોડા પાડ્યા હતા. પોલીસને જોઈને રિસોર્ટમાં મજા કરવા આવેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી, તો મહી રિસોર્ટનો સ્ટાફ પણને ડરના કારણે પરસેવો છુટી ગયો હતો.
પોલીસે સિગ્મા ગ્રૂપ સંચાલિત મહિ રિસોર્ટના માલિક શૈલેષ શાહ અને મેનેજર આશિષ પરમાર સહિત 29 સામે ગુનો નોધી 28ની અટકાયત કરી હતી. જ્યારે શૈલેષ શાહને વોન્ટેડ જાહેર કરાયા હતા. અટકાયત કરાયેલા લોકોને પોલીસ મિનિ બસ દ્વારા પાદરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ અંગે વાત કરતાં પોલીસ સ્ટેશનના પીઆઈ કરમુરે જણાવ્યું હતું કે, ’29 લોકો સામે કોરોનાની ગાઈડલાઈન્સના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. મેનેજર આશિષ પરમાર અને 27 મુલાકાતીઓ સહિત 28 લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે રિસોર્ટના માલિક શૈલેષ શાહ વોન્ટેડ છે’.
છત્રસાલ સ્ટેડિયમ મર્ડર કેસમાં વોન્ટેડ અને બે વારના ઓલિમ્પિક મેડલિસ્ટ કુસ્તીબાજ સુશીલ કુમારની રવિવારે 23/5/2021 પોલીસે દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. સુશીલ સાથે અજય કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વાતની પુષ્ટિ સ્પેશ્યલ સીપી-સ્પેશ્યલ સેલ નીરજ ઠાકુરે કરી હતી. ઠાકુરે કહ્યું કે, કુસ્તીબાજ સુશીલ કુમાર અને તેના સાથીની સ્પેશિયલ સેલની ટીમે ધરપકડ કરી છે.
દિલ્હીની રોહિણી કોર્ટે મંગળવારે ઓલિમ્પિકમાં ભારત માટે બે વાર મેડલ જીતી ચૂકેલા અને હત્યા કેસના આરોપી સુશીલની આગોતરી જામીનની અરજી નામંજૂરી કરી હતી. તેનાથી એક દિવસ પહેલા દિલ્હી પોલીસે સુશીલ પર એક લાખ અને સહયોગી અજય પર 50000નું ઈનામ જાહેર કર્યું હતું. ત્યારબાદ તેઓએ આગોતરા જામીનની અરજી કરી હતી.
છત્રસાલ સ્ટેડિયમ ખાતે 4-5 મે દરમિયાન થયેલી હિંસામાં ગ્રીકો રોમન રેસલર સાગરની મોત બાદથી સુશીલ કુમાર ફરાર હતા. એક વિડીયો ફૂટેજ સામે આવ્યા છે જે મેરઠ ટોલ પ્લાઝાના હોવાનું જાણવા મળ્યું છે. સુશીલ કારની આગળની સીટ પર બેઠો જોવા મળે છે, જ્યારે એક શખ્સ કાર ચલાવી રહ્યો છે. ફૂટેજ 6 મેના હોવાનું જણાવાયું છે. પોલીસ તે યુવક અને કારની પણ તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુશીલ હરિદ્વાર સ્થિત એક બાબાની પાસે મદદ માંગવા ગયો હતો.
રેસલર સાગરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સાગરનું મોત નીપજ્યું હતું. લોખંડના સળિયા અથવા ડંડાથી ફટકા મારતા સાગરને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. હોસ્પિટલ પહોંચે તે પહેલા હાલત ઘણી ખરાબ થઈ હતી. સાગરના શરીર પર ઈજાના ઘણા નિશાન મળી આવ્યા છે.
સુશીલ ઉપરાંત દિલ્હી પોલીસે આ હત્યા કેસમાં અજયકુમાર સહરાવતની ધરપકડ કરવા બદલ 50,000 રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. તે રણહૌલાના કોંગ્રેસના કાઉન્સિલર સુરેશકુમાર ઉર્ફે સુરેશ પહેલવાન ઉર્ફે સુરેશ બક્કરવાળાનો પુત્ર છે. અજય દિલ્હી સરકારમાં ફિઝિકલ એજ્યુકેશન ટીચર છે, જે કોન્ટ્રાક્ટ પર હોવાનું જાણવા મળ્યું છે.
સરકારની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા પર મોટો સાયબર હુમલો થયો હતો. તેમાં એરલાઈન્સના મુસાફરોની મહત્વની માહિતીઓ ચોરવામાં આવી હતી. તેમાં પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ સાથે સંલગ્ન માહિતી પણ સામેલ છે. એર ઈન્ડિયાએ જાણકારી આપી છે કે, તેનું SITA PSS સર્વર, જે મુસાફરી કરનારાઓની વ્યક્તિગત માહિતીઓ સ્ટોર અને પ્રોસેસ કરતું હતું, તેના પર સાયબર એટેક થયો હતો.
એર ઈન્ડિયાએ આ સાયબર હુમલાની જાણકારી હવે આપી છે. તેણે કહ્યું કે, આ હુમલો ઓગસ્ટ 2011 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે કરાયો. તેમાં મુસાફરોની માહિતીની ચોરી કરવામાં આવી. તેમાં મુસાફરોના નામ, જન્મની તારીખ, કોન્ટેક્ટ સાથે જોડાયેલી માહિતી, પાસપોર્ટની જાણકારી અને ટિકિટની માહિતી સામેલ છે.
એર ઈન્ડિયાએ આ ઘટના અંગે કહ્યું કે, ‘અમને આ અંગે અમારા ડેટા પ્રોસેસર તરપથી પહેલી વખત આ વર્ષે 25 ફેબ્રુઆરીએ જાણ કરવામાં આવી હતી. અમે એ સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે, આ અંગે અમારા ડેટા પ્રોસેસર તરફથી પ્રભાવિત ડેટાની જાણકારી માત્ર 25-03-2021 અને 5-04-2021એ આપવામાં આવી હતી.’
એરલાઈન્સે એમ પણ કહ્યું કે, આ અંગે તે સ્થિતિની યોગ્ય જાણકારી આપવા ઈચ્છે છે. આ જાણકારી 19 માર્ચે તેની વેબાસાઈટ પર આ અંગે અપાયેલી જાણકારી ઉપરાંતની છે. તેણે કહ્યું છે કે, આ સાયબર હુમલામાં સ્ટાર અલાયન્સ અને એર ઈન્ડિયા ફ્રિક્વન્ટ ફ્લાયર ડેટાની સાથે જ ક્રેડિટ કાર્ડના ડેટાની પણ ચોરી કરાઈ હતી.
સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાના સર્વરને ઓગસ્ટ 2011 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે નિશાન બનાવાયું હતું, આ સાયબર હુમલામાં મુસાફરોના ક્રેડિટ કાર્ડ સહિતની ઘણી મહત્વની માહિતીઓની ચોરી
મહારાષ્ટ્રના ગઢચિરોલીના જંગલમાં મહારાષ્ટ્ર પોલીસના C60 કમાન્ડો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં ૧૩ નક્સલીઓ માર્યા ગયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ગઢચિરોલીના ડીઆઇજી સંદીપ પાટિલના હવાલાથી આ જાણકારી આપી છે.
ગઢચિરોલી જિલ્લાના એટાપલ્લીના જંગલ વિસ્તારમાં શુક્રવારે લગભગ ૧૩ નક્સલીઓના શબ મળ્યા હતા, જ્યાં મહારાષ્ટ્ર પોલીસના C60 કમાન્ડો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. ડીઆઇજી સંદીપ પાટિલ અનુસાર, ઓપરેશન મહારાષ્ટ્ર પોલીસ માટે એક મોટી સફળતા છે અને શક્યતા છે કે અથડામણમાં વધુ નક્સલીઓનો સફાયો થાય.
પાટિલે કહ્યું કે, માહિતીના આધારે પોલીસે જંગલમાં શોધખોળ શરૂ કરી હતી. જેની જાણ નક્સલીઓને થતાં તેમણે પોલીસ પર ગોળીબાર કર્યો હતો. ગઢચિરોલીના એસપી અંકિત ગોયલે જણાવ્યું કે, અથડામણ લગભગ એક કલાક ચાલી હતી, જે બાદ બાકીના નક્સલી જંગલમાં ભાગી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ૧૪ મેના રોજ છત્તીસગઢમાં નક્સલીઓના ગઢ દંતેવાડા વિસ્તારમાં અથડામણ થઇ હતી. પોલીસ જવાનો અને નક્સલીઓ વચ્ચે લગભગ એક કલાક અથડામણ ચાલી હતી, જેમાં એક નક્સલી માર્યો ગયો હતો.
તાપી જિલ્લાનાં વડામથક વ્યારા ખાતે શુક્રવારના રોજ નિસિશ શાહ નામનાં બિલ્ડર પોતાની મોટરસાઇકલ ઉપર પસાર થઈ રહ્યાં હતા ત્યારે વ્યારાનાં શનિ મંદિર ચારરસ્તા ઉપર કારમાં સવાર ચાર અજાણ્યા ઈસમોએ નિસિશ શાહ ઉપર તલવારનાં ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ હતી તાપી જિલ્લા પોલિસ કાફલો ઘટના સ્થળે પોહચી આગળની તપાસ હાથ ધરી છે
તાપી જિલ્લાનાં વ્યારા ખાતે બિલ્ડરનાં વ્યવસાય સાથે સંકળાયેલા નિસિશ મનુભાઈ શાહ જેઓ શુક્રવારે રાત્રે આશરે આઠેક વાગ્યાનાં સુમારે પોતાના ઘરેથી મોટરસાઇકલ પર નીકળી નજીકમાં આવેલા શનિદેવ મંદિર પાસેનાં ચારરસ્તા ખાતે આવેલા તરબૂચવાળાને ત્યાં ઊભા હતાં ત્યાં એક કાર નં.જીજે-5જેપી-2445 નાં ચાલકે જોરથી પોતાની કારથી ટક્કર મારી હતી જેથી નિસિશ શાહ પોતાનાં મોટરસાઇકલ સાથે જમીન પર પડી ગયા અને હજુ ઉઠીને કઈક સમજે એ પહેલાં કારમાં આવેલ ચાર જેટલા ઇસમોએ તલવારો સાથે ઉતરી તલવારોનાં ઘા મારવા લાગ્યા. જેમને રોકવા જતાં તરબૂચ વેચનાર ગણેશ નામનાં ઈસમને પણ પેટમાં તલવાર વાગી હતી અને ગંભીર રીતે ઘાયલ થયો હતો.
બીજી તરફ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ નિસિશ શાહને લોહીલુહાણ કરી દઈ પોતાની કારમાં નાસી છૂટ્યાં હતા. આ ઘટનામાં કારની ટક્કર એટલી જોરથી મારવામાં આવી હતી કે, જેનું બમ્પર છુટુ પડીને ઘટના સ્થળે રહી ગયું હતું. આટલી મોટી ઘટના બનતા સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાંથી નિસિશ શાહને લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાક્રમ બાબતે નગરમાં લોકોને જાણ થતાં લોકટોળા હોસ્પિટલની બહાર ઊમટી પડ્યાં હતા.
નિસિશ શાહના પરિવારને જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અચાનક આવું બનવાથી સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારજનોનાં આક્રંદથી સમગ્ર માહોલમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. સમગ્ર ઘટનાક્રમ બાબતે તાપી પોલીસ દ્વારા આસપાસનાં તમામ વિસ્તારનાં જિલ્લાઓમાં કારનો નંબર આપી નાકાબંધી કરી દેવા માટે જણાવાયું હતું તેમજ આ ઘટના સ્થળની નજીકમાં આવેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ જોતાં પ્રાથમિક તારણમાં મહિન્દ્રા કંપનીની ટીયુવી કાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
મુળ મધ્ય પ્રદેશના વતની એવા આ આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી સુરતમાં અલગ – અલગ વિસ્તારોમાં દિવસ દરમ્યાન રેકી કરીને મોડી રાત્રે ઘટનાને અંજામ આપી નાસી છૂટતા હતા. શહેરના મોટા વરાછા ખાતે લેક ગાર્ડન પાસે કોમ્બિંગ દરમ્યાન ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયેલી આ કુખ્યાત ટોળકી વિરૂદ્ધ માત્ર સુરત શહેરમાં જ 14 ગુન્હા નોંધાયેલા છે. આ સિવાય રાજ્યના અમદાવાદ – આણંદ સહિતના અન્ય શહેરોમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 1.50 લાખ રૂપિયાના સોના – ચાંદીના દાગીના સહિત કુલ્લે 3.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સુરત પોલીસ કમિશ્નરે આજે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ઝડપાયેલા તમામ આરોપીઓ છેલ્લા ચાર મહિનાથી સુરતના અમરોલી બ્રીજ પાસે આવેલ ખુલ્લા પ્લોટ પર શ્રમિકોનો વેશ ધારણ કરીને વસવાટ કરતા હતા. કોઈને શંકા ન થાય તે માટે આરોપીઓ પૈકી દેવા પારધી, રુકેશ ચોટલી, સચિન પારધી, કાલુ અને રાજકુમાર નામના ઈસમો શહેરના વિવિધ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બ્હાને રેકી કરતા હતા. અલગ – અલગ વિસ્તારોમાં રેકી કર્યા બાદ આ પાંચેય ઈસમો સાંજે સાતેક વાગ્યા સુધી પોતાની ટોળકી પાસે પરત પહોંચી જતા હતા અને બાદમાં આખે આખી ટોળકી રાત્રિના આઠેક વાગ્યા સુધી નક્કી કરેલા લોકેશન પર પહોંચી જતા હતા. જ્યાં આ ટોળકી નક્કી કરેલા લોકેશનની આસપાસ આવેલ અવાવરૂ જગ્યામાં છુપાઈ જતા હતા. રાત્રે દોઢથી બે વાગ્યાના સુમારે આ આરોપીઓ પોતાના તમામ કપડા કાઢીને માત્ર ચડ્ડી – બનિયાન પહેરી લુંગીમાં ઘરફોડ માટેના સાધનો છુપાવીને નક્કી કરેલા બંગલા પર ત્રાટકતા હતા.
તમામ આરોપીઓએ આ ધાડ દરમ્યાન પોત – પોતાની કામગીરી વ્હેંચી લેતા હતા. જેમાં બંગલાની બારીના ખિલ્લા પેચીયાથી ખોલવાનું કામ રાજકુમા્ર, દેવા પારધી અને ગજરાત કરતા હતા જ્યારે રુકેશ ચોટલી અને કાલુ નામના ઈસમો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડવાનું કામ કરતા હતા. આ સિવાય અન્ય આરોપીઓ બંગલાની આસપાસ ઉભા રહીને વોચ રાખતા હતા. આ દરમ્યાન જો કોઈ કુતરા કે માણસો આવી ચઢે તો ગિલોલથી તેઓને ભગાડી દેતા હતા. ધાડને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ પુનઃ નક્કી કરેલા સ્થળે પહોંચી જતા જ્યાં પેન્ટ – શર્ટ પહેરીને સવાર થવાની રાહ જોતા હતા. લોકોની અવર – જવર શરૂ થતાં આ તમામ આરોપીઓ ભીડમાં ચાલતા ચાલતા અમરોલી બ્રીજ પાસે આવેલા ખુલ્લા પ્લોટ પર એકઠા થઈ જતા હતા. જ્યાં ધાડમાંથી મળેલા મુદ્દામાલનો સરખે હિસ્સે વહેંચી લેતા હોવાનું જાણવા મળ્યું છે.ક્રાઈમ બ્રાંચ દ્વારા આજે આરોપીઓની ધરપકડ બાદ જણાવવામાં આવ્યું હતું કે, આ ગેંગ દ્વારા માત્ર સુરતમાં જ નહીં રાજ્યના અમદાવાદ, આણંદ, ખેડા, ડીસા, વલસાડ, બરોડા, નવસારીમાં ધાડ પાડવામાં આવી હતી. આ સિવાય આ ગેંગ દ્વારા મુંબઈ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પંજાબ ખાતે પણ અલગ – અલગ શહેરોમાં ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્યા હતા. જેની તલસ્પર્શી તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાંચના હાથે આજે ઝડપાયેલા આરોપીઓ મુળ મધ્ય પ્રદેશના અલગ – અલગ જિલ્લાના રહેવાસીઓ છે. જો કે, છેલ્લા ઘણા સમયથી આ ટોળકી દ્વારા સુરત શહેરમાં ધામા નાખવામાં આવ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલી આ ટોળકીની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન સુરત શહેરમાં જ 14 સ્થળે ધાડ પાડી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના પોશ વિસ્તારમાં આવેલા બંગ્લાઓને ટાર્ગેટ કરીને ધાડ પાડતી ગેંગની ધરપકડ દરમ્યાન પોલીસે આજે છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ તમામ આરોપીઓ પણ મુળ મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. વોન્ટેડ જાહેર કરવામાં આવેલા આરોપીઓમાં રૂકેશ ઉર્ફે ચોટલી સુરેશ પારઘી, દેવા રૂપા પારઘી, સચીન ભલ્લા ભીલ, ગજરાજ, મોન્ટી નંદુ પારઘી અને કાલાનો સમાવેશ થાય છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા આ તમામ આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે.
ધાડપાડુ ગેંગના આરોપીઓ ખુબ જ શાતિર હોવાની સાથે સાથે પોતાના કામની પણ લાયકાત મુજબ વ્હેંચણી કરતા હતા. આ ગેંગના 10 સભ્યો પૈકી ત્રણ સભ્યો મકાનની બારીની ગ્રીલ ખોલતા જ્યારે બે સભ્યો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડવાની કામગીરી કરતા હતા. આ સિવાયના તમામ આરોપીઓ ટાર્ગેટ કરવામાં આવેલા મકાનની આસપાસ ઉભા રહીને ધાડને અંજામ આપનારા સભ્યોને ચેતવતા હતા. આ દરમ્યાન કુતરા કે અન્ય કોઈ ઈસમ આવી પહોંચે તો તેને ગિલોલમાં પથ્થર મુકીને મારવાનું શરૂ કરી દેતા. ઉલ્લેખનીય છે કે, લાખ્ખો રૂપિયાની ધાડને અંજામ આપનારાઓ દ્વારા ઘરફોડના સાધનો સિવાય માત્ર ગિલોલનો જ હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના પોશ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બ્હાને આખો દિવસ રેકી કર્યા બાદ જે બંગલાને ટાર્ગેટ કરવામાં આવ્યો હોય ત્યાં રાત્રે આઠ વાગ્યા પહેલા આ ટોળકી પહોંચી હતી. બંગ્લાની આસપાસ આવેલા અવાવરૂ સ્થળે કપડાં બદલીને આ ટોળકી છુપાઈને બેસી રહેતી. મોડી રાત્રે 1.30 વાગ્યા બાદ આ ટોળકી ચડ્ડી – બનિયાન પહેરીને ધાડની ઘટનાને અંજામ આપતા હતા. આ દરમ્યાન ધાડમાં મળેલ મુદ્દામાલ એકઠો કરીને આરોપીઓ રસોડામાં પ્રવેશ કરતા હતા અને જે કંઈ ભોજન બચ્યું હોય તે ખાઈ લેતા હતા. આ દરમ્યાન ઘરનો કોઈ સભ્ય જાગી જાય તો તેના પર પથ્થરથી હુમલો કરતા હતા.
ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને આ ટોળકી પોતાના વતન જવા માટેની કવાયત હાથ ધરી હતી. જો કે, ક્રાઈમ બ્રાંચે આ સંદર્ભે જાણ થતાં જ અલગ – અલગ ટીમો બનાવીને બાતમીવાળા સ્થળો પર કોમ્બિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે દરમ્યાન આ તમામ આરોપીઓ મોટા વરાછા ગામ ખાતે આવેલા લેક ગાર્ડન પાસે ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોના – ચાંદીના દાગીના સહિત રોકડા રૂપિયા અને ઘરફોડ ચોરીના સાધનો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.