
કિસાન આંદોલન અંગે વિવાદાસ્પદ ટૂલકિટ મામલે બેંગ્લોરની જળવાયુ કાર્યકર્તા દિશા રવિની ધરપકડનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. એક તરફ સત્તાપક્ષ અને વિપક્ષ એકમેક સામે શાબ્દિક વાક્યુદ્ધમાં ઊતર્યાં છે ત્યારે દિલ્હી પોલીસે દિશાની ધરપકડને યોગ્ય ગણાવતાં આજે જણાવ્યું હતું કે’ આ ટૂલકિટ બેહદ સુનિયોજિત રીતે બનાવવામાં આવી હતી અને તેમાં કઈ રીતે કિસાન આંદોલનને સમર્થન આપવું તેની સંપૂર્ણ જાણકારી હતી. વૈશ્વિક પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ દ્વારા અનાયાસે ટ્વિટ કરાયેલી અને પછી ડિલિટ કરવામાં આવેલી આ ટૂલકિટ વકીલ અને કાર્યકર્તા નિકિતા જેકબ અને તેના સાથીઓ શાંતનુ તથા દિશા રવિ દ્વારા બનાવવામાં આવી હતી.
સોમવારે ટૂલકિટ મામલે તપાસ અંગે પત્રકાર પરિષદમાં દિલ્હી પોલીસે કહ્યું કે, ‘11મી જાન્યુઆરીની ઝૂમ બેઠકમાં નિકિતા, શાંતનુ અને દિશા રવિ સામેલ હતા, જેમાં 26 જાન્યુઆરી પહેલાં ટ્વિટર તોફાન સર્જવાનું નક્કી થયું. બેઠકમાં ‘િટ્વટર સ્ટોર્મ’ માટે ‘હેશટેગ’ નક્કી થયું અને યોજના બની.’ તારણ મુજબ કિસાન આંદોલન મુદ્દાને હથિયાર બનાવીને દેશને બદનામ કરવા માટે ટૂલકિટ બનાવાઇ હતી.
દરમ્યાન આ મામલે સરકાર અને વિપક્ષ સામસામે છે અને આરોપ-પ્રતિઆરોપ લગાવાઈ રહ્યા છે. વિપક્ષ વાણી સ્વાતંત્ર્યતા અને યુવા દિશાની ઉમરના મુદ્દે આક્રમક છે. વિપક્ષે 21 વર્ષીય દિશાની ધરપકડને ‘લોકતંત્ર પર હુમલો’ ગણાવી કહ્યું હતું કે ભારતના અવાજને દબાવી શકાય નહીં, તો ભાજપે પોલીસ કાર્યવાહીનો બચાવ કરતાં કહ્યું હતું કે અપરાધ તો અપરાધ છે અને તેને ઉમર સાથે કોઈ લેવાદેવા નથી.
બીજીબાજુ ભાજપના હરિયાણાના મંત્રી અનિલ વિજે ટ્વિટર પર એમ કહીને નવો મોરચો શરૂ કર્યો હતો કે દિશા રવિ હોય કે પછી અન્ય કોઈ, દેશવિરોધનું બીજ જેમના પણ મગજમાં હોય તેમનો નાશ કરવો જોઈએ.
કેન્દ્રીયમંત્રી અને ભાજપના નેતા ગજેન્દ્રાસિંહ શેખાવતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જો ઉમર આધાર હોય તો પછી પરમવીર ચક્રથી નવાજાયેલા સેકન્ડ લેફ્ટિનન્ટ અરુણ ક્ષેત્રપાળ 21 વર્ષની ઉમરમાં શહીદ થયા હતા. હું તેમના પર ગર્વ કરું પરંતુ ટૂલકિટના રૂપમાં દુષ્પ્રચાર ફેલાવનારાઓ પર તો ગર્વ નહીં જ કરું.
દિશા રવિની મુક્તિની માંગમાં જોડાતાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ભાજપ શાસિત સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, બંદૂકો સાથે ફરતા લોકો એક નિ:શત્ર યુવતીથી ગભરાય છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે દેશ આ મુદ્દે ચૂપ રહેશે નહીં.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 21 વર્ષની દિશાની ધરપકડ લોકતંત્ર પરનો અણધાર્યો હુમલો છે. કિસાનોનું સમર્થન કરવું એ કોઈ અપરાધ નથી.
દરમ્યાન, સાયબર સેલના જોઈન્ટ પોલીસ કમિશનર પ્રેમનાથે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે ટૂલકિટના અનેક ક્રીનશોટ ઓપન પ્લેટફોર્મ પર મોજૂદ છે જેની તપાસ કરવામાં આવી”’ રહી છે.
તેમણે કહ્યું કે, આ ટૂલકિટનો સંબંધ ખાલિસ્તાની સંગઠનથી છે. આ ટૂલકિટને ચોથી ફેબ્રુઆરીએ બનાવવામાં આવી હતી.






















