
મુંબઇની અદાલતે મંગળવારે Dt.2/11/21 મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખને છઠ્ઠી નવેમ્બર સુધી ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
રાજ્યના પોલીસ વિભાગ મારફત કથિત રીતે ખંડણી ઉઘરાવવા સાથે સંકળાયેલ નાણાં કૌભાંડના કેસને મામલે ૧૨ કલાકથી વધુ પૂછતાછ કર્યા બાદ ઇડીએ સોમવારે મોડી રાતે દેશમુખની ધરપકડ કરી હતી.
ઇડીએ મંગળવારે Dt.2/11/21 સવારે દેશમુખને અતિરિક્ત સેશન્સ જજ પી. બી. જાધવની ખંડપીઠ સમક્ષ રજૂ કર્યા હતા. સ્પેશિયલ હોલિડે કોર્ટની અધ્યક્ષતા જાધવે કરી હતી.
કોર્ટમાં રજૂ કરવા અગાઉ ઇડી દેશમુખને સરકારી જે.જે. હૉસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લઇ ગઇ હતી.
ભ્રષ્ટાચાર અને સત્તાના દુરૂપયોગના આરોપસર સીબીઆઇએ એનસીપીના ભૂતપૂર્વ પ્રધાન દેશમુખ સામે ૨૧મી એપ્રિલે એફઆઇઆર દાખલ કર્યા બાદ ઇડીએ પોતાની તપાસ શરૂ કરી હતી.
દેશમુખે રાજ્યના ગૃહ પ્રધાનપદના હોદ્દાનો દુરુપયોગ કર્યો હોવાનો અને બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચીન વાઝે મારફત મુંબઇના વિવિધ બાર્સ અને રૅસ્ટોરન્ટ પાસેથી રૂ. ૪.૭૦ કરોડની ખંડણી ઉઘરાવી હોવાનો આરોપ ઇડીએ દેશમુખ સામે ઘડયો છે.
આ મામલે ઇડીએ અન્ય બે વ્યક્તિ સંજીવ પાલાન્ડે (અતિરિક્ત કલેક્ટરની કક્ષાનો અધિકારી, જે દેશમુખના ખાનગી સચિવ તરીકે કામ કરતો હતો) અને કુંદન શિંદે (દેશમુખનો પર્સનલ આસિસ્ટન્ટ)ની પણ ધરપકડ કરી હતી.















