બિઝનેસ Archives - Page 87 of 92 - CIA Live

July 20, 2018
DSC05597.jpg
2min7960

આજથી શરૂ થયેલી ટ્રક અને ટ્રાન્સપોર્ટ હડતાળના પહેલા જ દિવસે સુરત સમેત દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતા વિવિધ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે પરથી ટ્રક તેમજ અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો અદ્રશ્ય થઇ ગયા હતા. ટ્રક ડ્રાઇવરોએ હડતાળમાં જોડાઇને પોતાની ટ્રકો સલામત સ્થળે પાર્ક કરી દઇને સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો.

દક્ષિણ ગુજરાત તેમજ સુરતમાંથી પસાર થતા હાઇવે પર ટ્રાન્સપોર્ટ ટ્રક, ટેન્કર વગેરે જોવા નહીં મળતા ટ્રાફિક સાવ જ નહીંવત જોવા મળ્યો હતો. પ્રસ્તુત છે ટ્રક હડતાળની તસ્વીરી ઝલક

July 20, 2018
tax1.jpg
1min9990

ટેક્સ રિટર્ન ભરવા માટે 31 જુલાઈની છેલ્લી તારીખ નજીક આવી રહી છે ત્યારે કેટલાક કરદાતાઓને આંકડાના ગોટાળા કરીને કમાણીની તક દેખાય છે. પોતાની જાતને સીએ તરીકે ઓળખાવતા લેભાગુ લોકો કરદાતાઓને જંગી રિફન્ડ અપાવવાનું વચન આપે છે અને તેના બદલામાં 15 ટકા કમિશન કાપે છે.

આવા લેભાગુ સીએ કરદાતાના રિટર્નમાં ખોટી આવક દર્શાવે છે જેથી 50,000 રૂપિયાથી લઈને બે લાખ સુધીનું રિફંડ મળે છે. તેઓ વ્યક્તિની કરપાત્ર આવકને ઓછી દર્શાવે છે અથવા ચોક્કસ કરકપાત (ડિડક્શન) કે કરમુક્તિ ક્લેમ કરે છે.

આવું કરવું સરળ છે કારણ કે ટેક્સ રિટર્નમાં ડિડક્શન કે એક્ઝેમ્પશનનો ક્લેમ કરવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોતી નથી. મુંબઈ સ્થિત એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે કહ્યું કે, “કરદાતા મેડિકલ વીમો, હોમ લોન, એજ્યુકેશન લોન અથવા પોતાની વિકલાંગતા અથવા આશ્રિતની વિકલાંગતાનો ક્લેમ કરીને ટેક્સ રાહત ક્લેમ કરી શકે છે જેમાં કોઈ પુરાવા આપવાના હોતા નથી.” આ માટે લેભાગુ સીએ રિફંડના 10થી 15 ટકા નાણાં કમિશન ચાર્જ કરે છે.

હજારો કરદાતાઓએ આવા લોકો દ્વારા રિટર્ન ફાઇલ કરી દીધાં હશે અને રિફંડ ક્લેમ કર્યાં હશે. તેમણે માત્ર ફોર્મ 16, આધાર અને બેન્ક ખાતા નંબર આપીને રિટર્ન ભરાવવાનું હોય છે. ઇટીએ આવા એક સીએને ફોર્મ 16 અને બીજી વિગત આપી હતી. પાંચ દિવસની અંદર તેણે રિટર્ન ફાઇલ કરી દીધું જેમાં કરદાતાની આવક ₹1.90 લાખ ઓછી દર્શાવી હતી. તેના આધારે ₹50,000નો રિફંડ પણ ક્લેમ કરવામાં આવ્યો છે.

ટેક્સ રિટર્નમાં દર્શાવેલી ગ્રોસ ઇન્કમ ફોર્મ 16ના આંકડા કરતાં કઈ રીતે ઓછી હોઈ શકે તે પૂછવામાં આવતાં તેણે કહ્યું કે તેણે કેટલાંક એલાઉન્સને ધ્યાનમાં લીધાં હતાં જે સેક્શન ૧૦ હેઠળ કરકપાતને પાત્ર છે પરંતુ ફોર્મ ૧૬માં તેનો ઉલ્લેખ નથી.

જોકે, ટેક્સ નિષ્ણાતો ચેતવણી આપે છે કે રિટર્નનું એસેસમેન્ટ થાય ત્યારે આ વિસંગતતા પકડાઈ શકે છે. અત્યાર સુધી વ્યક્તિના ફોર્મ 26ASમાં ટીડીએસની વિગત આઇટી રિટર્નમાં દર્શાવેલા ટેક્સ સાથે સુસંગત કરવામાં આવતી હતી. હવે ટેક્સ સત્તાવાળાઓ ફોર્મ 16 ચેક કરીને રિટર્નમાં દર્શાવેલી આવક સાથે તેની ચકાસણી કરે છે. તાજેતરમાં બેંગલુરુમાં આ રીતે ટેક્સ રિફંડ મેળવવાનું કૌભાંડ પકડાયું હતું.

July 19, 2018
st2-1.jpg
1min5290

11થી 13 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં એક્ઝિબિશન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટ 2018 યોજાશે. આ સમિટમાં એગ્રીટેક, ફિનટેક, સ્માર્ટ એન્ડ શેર્ડ મોબિલિટી, વુમન સેન્ટ્રિક સોલ્યુશન, મેન્યુફેક્ચરિંગ 4.0, ગવર્નન્સ 2030, મેરીટાઇમ એન્ડ મિલિટરી ઇન્ટેલિજન્સ અને હેલ્થટેક જેવા આઠ ચેલેન્જ યોજાશે. યુકે, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ઊભી કરવા ગુજરાત સરકાર દ્વારા કરાર કરવામાં આવશે અને તે દેશોની બેસ્ટ પ્રેક્ટિસ અહીં લાવવામાં આવશે અને તેના દ્વારા આ દેશોમાં આપણા સ્ટાર્ટઅપને ફંડિંગ મળશે અને તેમને નવું બજાર ઊભું કરવામાં મદદ મળશે.

આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આઇઓટી, બિગ ડેટા અને સાયબર સિક્યોરિટી પર ખાસ ફોકસ રાખવામાં આવશે.

રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રટરી એમ કે દાસે જણાવ્યું હતું કે, “ભારતમાં હાલમાં 5,200 જેટલા ટેક સ્ટાર્ટઅપ છે. તેમાં 1,000ની નોંધણી ગયા વર્ષે થઈ છે. જેને ફંડિંગનું પ્રમાણ અગાઉ કરતાં સાત ટકા વધ્યું છે. ફોરેન ફંડિંગનું પ્રમાણ જેમાં 44 ટકા જેટલું ઊંચું રહ્યું છે.

ગુજરાતે સપ્ટેમ્બર 2017માં ઇઝરાયલ સાથે જોડાણ કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતમાંથી સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ વિવિધ 70થી વધુ સ્ટાર્ટઅપને 22 કરોડ જેવી રકમ ફંડ તરીકે આપી છે અને 200 જેટલી ઇન્કવાયરી આવી છે. આ વખતે સ્ટાર્ટઅપ અને ટેક્‌નોલોજી સમિટમાં મોટી સંખ્યામાં ડેલિગેટ નોંધાવાની 40,000 ફૂટફોલ રહેવાની સંભાવના છે.

આ વખતે સમિટમાં આઠ થીમ પર ગ્રાન્ડ ચેલેન્જ છે તેમાં કુલ ₹3 કરોડ જેટલી ઊંચી રકમ સ્ટાર્ટઅપને ફંડિંગ તરીકે આપવામાં આવશે. ભારતમાં કેટલાક સ્ટાર્ટઅપ આઇટી બેઝ આવ્યા છે. દેશના વિશાળ હિતમાં નાગરિકોને લાભ થાય તેવા વિચારો ધરાવનારા લોકો છે, પરંતુ તેમના આઇડિયા વેરવિખેર છે. આવા લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનો અમારો પ્રયાસ છે.

ભાવિ ટેક્‌નોલોજીને સમસ્યાઓ સાથે જોડીને ઉપાયની દિશામાં આગળ વધી શકાશે. સ્ટાર્ટઅપની સાથે જ ગુજરાતની આઇટી- સોફટવેર કંપનીઓનું એસોસિયેશન ગેસિયાની સાથે યોજાનારી ટેક્‌નોલોજી સમિટમાં આવનારા સીઇઓ સાથે બેઠકો યોજાશે. કેટલાંકને ફંડિંગ પણ મળે તેવા વેન્ચર કેપિટાલિસ્ટ કે નાના રોકાણકારો કે રાજ્યના જ ઉદ્યોગકારોને તેમાં જોડીને ફંડિંગ માટે નવી ઇકો સિસ્ટમ બનાવવાની દિશામાં પહેલ કરવામાં આવશે.

આ સ્ટાર્ટઅપ એન્ડ ટેક્‌નોલોજી સમિટમાં કેનેડા પાર્ટનર કન્ટ્રી છે અને સમિટમાં સ્વિટ્ઝર્લેન્ડ, ઇઝરાયલ, યુકે, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર પણ જોડાશે. આ સમિટમાં અપાનારી ઇનામની રકમ અગાઉ ક્યારેય અપાઈ નથી. યુકેમાં ફંડિંગ મિકેનિઝમ સારી છે, તેમની સાથે ફિક્કી દ્વારા જોડાણ કે સહયોગ કરીશું.

અગાઉ ટેક સ્ટાર્ટઅપમાં યુકે આઠમા નવમા ક્રમે હતું તે હાલમાં ત્રીજા ક્રમે છે, તેવા સંજોગોમાં ઇઝરાયલની જેમ યુકે-સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ કરાર કરીને આપણે ત્યાં ઊભી કરવા પ્રયત્ન કરી સ્થાનિક સ્ટાર્ટઅપને નવી રાહ ચીંધવામાં આવશે અને તેમને આ દેશોમાં તક અને બજાર બંને મળશે.”

રાજ્યની આઇટી-ટેક કંપનીઓ તેમની ટેક્‌નોલોજી-સર્વિસિસ રજૂ કરશે. રાજ્યમાં એસએમઇનો મોટો બેઝ અને આઇટી કંપનીઓ બંને ભેગા થઈ વધુ સારી સેવા આપવા અને નેક્સ્ટ જેન ટેક્‌નોલોજીમાં કેવી રીતે કામ કરે તેના પર ભાર મૂકશે. કંપનીઓ તેમની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કે રોબોટિક્સને સ્થાનિક ઉદ્યોગોમાં કેવી રીતે પ્રાથમિકતા અપાય તેના પર પણ ફોકસ કરવામાં આવશે.

વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ સમિટમાં જે ગ્રાન્ડ ચેલેન્જ યોજાશે તેમાં વિવિધ આઠ કેટેગરીના 44 સ્ટાર્ટઅપને પસંદ કરવામાં આવશે અને તેમને ₹3 કરોડ પ્રાઇઝ મની અપાશે. પ્રથમ આવનારને ₹25 લાખ, દ્વિતીયને ₹27 લાખ, તૃતીયને ₹25 લાખ અને પછીના 12 વિજેતાઓને ₹12 લાખ આપવામાં આવશે. આ ઉપરાંત, માત્ર આઇડિયા રજૂ કરનારને પણ ₹10,000 આપવામાં આ‌વશે. રેડી પ્રોડક્ટ ધરાવનારાને પણ ₹નવ લાખનું ઇનામ મ‌ળશે.

July 19, 2018
bc1-1.jpg
1min10470

બેન્કોની લોન ભર્યા વગર દેશ છોડીને ભાગી જતા પ્રમોટર્સને અટકાવવા માટે પગલાં નક્કી કરવા કેન્દ્ર સરકારે કમિટીની સ્થાપના કરી છે. અત્યાર સુધીમાં નીરવ મોદી અને વિજય માલ્યા જેવા હાઈ-પ્રોફાઇલ કેસ પરથી બોધપાઠ લઇને અને ભવિષ્યમાં આવા કેસોનું પુનરાવર્તન ન થાય તે માટે હાથ ધરવામાં આવેલી આ કવાયતમાં ડ્યુઅલ સિટિઝનશિપ (બેવડું નાગરિકત્વ) ધરાવતા પ્રમોટર્સ પર ચાંપતી નજર પણ રાખવામાં આવશે.

ફાઇનાન્શિયલ સર્વિસિસના સચિવ રાજીવ કુમારના વડપણ હેઠળની આ કમિટીમાં RBI, ગૃહમંત્રાલય, વિદેશમંત્રાલય, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી) અને CBIના પ્રતિનિધિઓનો પણ સમાવેશ થશે. આ કમિટી વર્તમાન કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે કે નહીં તેની ભલામણ કરશે. નાણામંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે અન્ય દેશનું નાગરિકત્વ ધરાવતા હોય અને તેની વિગતો જાહેર ન કરી હોય તેવા પ્રમોટર્સ પર અમે ધ્યાન કેન્દ્રિત કરીશું. આવા પ્રમોટર્સની કંપની જો બેન્કનો હપતો ભરવામાં ડિફોલ્ટ થઈ હશે તો સરકાર આવા પ્રમોટર્સની વિદેશમાં જવાની યોજનાઓની માહિતી પણ માંગી શકે છે એમ અધિકારીએ જણાવ્યું હતું.

કોઈ કંપની/પ્રમોટર લોનમાં ડિફોલ્ટ થાય તો બેન્ક દ્વારા તેને નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA)માં વર્ગીકૃત કરવામાં ઘણો સમય લાગે છે અને ત્યાં સુધીમાં તો લેભાગુ પ્રમોટર આવી લાંબી પ્રક્રિયાનો લાભ ઉઠાવીને કૌભાંડ કરીને વિદેશ છટકી જાય છે. જરૂરી નથી કે આપણે આવા પ્રમોટર્સને સમયસર અટકાવી શકીશું પરંતુ જ્યારે કોઈ પ્રમોટર કે કંપની અંગે ઇન્ટેલિજન્સ એજન્સીઓ કે બેન્કો તરફથી નેગેટિવ રિપોર્ટ્સ આપવામાં આવે તો સરકાર આવા કિસ્સામાં તેમની ટ્રાવેલિંગની અને અન્ય વિગતોની માંગણી કરી શકશે.

આવા પ્રમોટર્સ અંગે જો કોઈ શંકાસ્પદ માહિતી મળે અને તેઓ કાયદાનો ભંગ કરતા હોવાના સંકેત મળે તો તેમના ટ્રાવેલિંગ પર માત્ર પ્રતિબંધ લગાવી શકાશે અથવા તેમના પાસપોર્ટ સસ્પેન્ડ થઈ શકશે.” એમ અધિકારીએ સમજાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા અને નીરવ મોદીના કિસ્સા બાદ બેન્કોએ આ‌વા સંભવિત જોખમ ટાળવા માટે જંગી માત્રામાં લોન લેનારા પ્રમોટર્સના પાસપોર્ટની વિગતો પણ માંગી હતી.

નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે ₹14,000 કરોડનું કૌભાંડ કર્યું હોવાના આરોપ છે જ્યારે કિંગફિશર એરલાઇન્સના સ્થાપક વિજય માલ્યા સામે પણ ₹૯,૦૦૦ કરોડના કૌભાંડના આરોપો છે. આ બે હાઈ-પ્રોફાઇલ ડિફોલ્ટર સિવાય પણ દેશના ઘણા પ્રમોટર્સને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે.

વિવિધ અહેવાલો મુજબ, બેન્કોને ₹7,000 કરોડ નહીં ચૂકવનારી કંપની વિન્સમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી લિના પ્રમોટર જતિન મહેતા અને તેમના પત્નીએ ભારતીય નાગરિકત્વ છોડીને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના નાગરિક બની ગયા છે.

સરકારે સંસદના આગામી સત્રમાં ‘ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ, 2018’ પસાર કરાવવાના પ્રયાસ પણ કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીને ‘ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ’ જાહેર કરવા માટે કોર્ટમાં અરજી કરેલી છે.

July 17, 2018
pop.jpg
1min6150

મલ્ટિપ્લેક્સ ઉદ્યોગ અત્યારે ઝડપભેર વૃદ્ધિ કરી રહ્યો છે અને આવકના નવા સ્રોત ઊભા કરવાના વિકલ્પો શોધી રહ્યો છે તેવા સમયે બહારથી ખાદ્ય સામગ્રી લાવવાની છૂટ મળશે તો ઉદ્યોગ માટે ‘એન્ટિક્લાઇમેક્સ’ જેવી સ્થિતિ સર્જાશે અને તેમાં પણ મહારાષ્ટ્ર સરકારે મલ્ટીપ્લેક્સીસ અને સિનેમા ગૃહોમાં બહારનો નાસ્તો લઇ જવા અંગે આપેલી પરવાનગીનો વાઇરસ દેશના દરેક રાજ્યોમાં ઝડપભેર ફેલાય તેવી વકી છે. આવી સ્થિતિમાં એક સામાન્ય પોપકોર્નથી શરૂ થયેલો વિવાદ મલ્ટીપ્લેક્સીસ માલિકોની કમાણી છીન્નભીન્ન કરી દે તો નવાઇ નહીં. જો વિવિધ રાજ્યો મલ્ટિપ્લેક્સ કંપનીઓને ખાણીપીણીનું વેચાણ MRP પ્રમાણે કરવાની ફરજ પાડશે અને બહારથી ખાદ્ય ચીજવસ્તુઓ લાવવાની છૂટ આપશે તો કંપનીઓની કમાણીમાં આગામી મહિનાઓમાં નીચી વૃદ્ધિ થશે.

મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જનારા દર્શકો માટે પોપકોર્ન એક સામાન્ય નાસ્તો છે પરંતુ મલ્ટિપ્લેક્સ કંપનીઓ માટે તે કમાણીનો મોટો સ્રોત છે. ગઇ તા.13મી જુલાઇ 2018ને શુક્રવારે મહારાષ્ટ્ર સરકારે મલ્ટિપ્લેક્સમાં બહારથી નાસ્તો લઈ જવાની છૂટ આપતાં PVR અને આઇનોક્સ લીઝરના શેર અનુક્રમે 13 ટકા અને 5.4 ટકા ઘટ્યા હતા. તા.16મી જુલાઇએ પણ આ બંને કાઉન્ટર્સમાં વેચવાલી જળવાઈ રહી હતી અને આઇનોક્સનો શેર 5.1 ટકા ઘટીને ₹11.95એ જ્યારે PVRનો શેર 5.06 ટકા ઘટીને ₹1,153એ પહોંચી ગયો હતો. સિનેમાગૃહો અને મલ્ટીપ્લેક્સીસની કુલ આવકમાં ફૂડ & બેવરિજ (F&B) બિઝનેસનો હિસ્સો 26 ટકા જેટલો ઊંચો હોવાથી મલ્ટિપ્લેક્સ કંપનીઓને ફિલ્મ હિટ જવાની ચિંતા કરતાં પોપકોર્ન સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કેટલું વધ્યું તેની ચિંતા રહે છે.

બોમ્બે હાઈ કોર્ટે થોડા મહિના અગાઉ ચુકાદો આપ્યો હતો કે, મલ્ટિપ્લેક્સની અંદર ફૂડ આઇટમ અને બોટલ્ડ વોટરનું વેચાણ MRP પ્રમાણે જ થવું જોઈએ. ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારે આના સંદર્ભમાં નીતિ ઘડવાની અને 1 ઓગસ્ટથી MRP કરતાં વધારે ભાવ લેવા પર પ્રતિબંધનો કાયદો અમલી કરવાની જાહેરાત કરી હતી.

મલ્ટિપ્લેક્સ ઉદ્યોગની કુલ આવકમાં F&B સેગમેન્ટનો હિસ્સો જબરજસ્ત વધ્યો છે. 2012-’13માં આ બિઝનેસ દ્વારા મલ્ટિપ્લેક્સ ઉદ્યોગને 19 ટકા આ‌વક થતી હતી, જે હવે 25થી 26 ટકા થઈ ગઈ છે. આની સામે ટિકિટના વેચાણથી થતી આવક 2011-’12માં 62 ટકા હતી, જે ઘટીને 56 ટકા થઈ ગઈ હતી. એક અંદાજ પ્રમાણે, મલ્ટિપ્લેક્સ કંપનીઓ F&Bના વેચાણ પર 75 ટકા જેટલું ઊંચું ગ્રોસ માર્જિન મેળવે છે. ટિકિટના ટકામાં સરેરાશ F&B ખર્ચ 2011-’12માં 28 ટકા હતો, જે 2016-’17માં વધીને 41 ટકા થયો હતો.

ભારતના મલ્ટિપ્લેક્સ ઉદ્યોગમાં PVR અને આઇનોક્સ લીઝરનું પ્રભુત્વ છે અને F&B વસ્તુઓ માટે અતિઊંચા ભાવ વસૂલવાને કારણે બંનેને જોરદાર ફાયદો પણ થયો છે. મલ્ટિપ્લેક્સમાં ટિકિટ કરતાં પોપકોર્નના એક ટબનો ભાવ બેથી ત્રણ ગણો હોય છે.

2011-’12માં PVRને F&B સેગમેન્ટમાંથી ₹92.85 કરોડની આવક થતી હતી, જે 2016-’17માં છ ગણી વધીને ₹580 કરોડ થઈ હતી.

July 13, 2018
gst.jpg
1min15610

સેનિટરી નેપકીન, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમની વસ્તુઓ વગેરે પર તા.21 જુલાઇએ મળનારી મિટીંગમાં જીએસટી ઘટાડવા અંગેનો નિર્ણય લેવાશે

જીએસટી કાઉન્સિલની આગામી ૨૧મી જુલાઈએ બેઠક મળશે, જેમાં વધુ કેટલીક વસ્તુઓ પર રેટ ઘટાડવામાં આવશે. ખાસ કરીને જે વસ્તુ પર જીએસટીથી ખાસ આવક નથી તેના રેટ ઘટાડાશે.

આવી વસ્તુઓમાં સેનિટરી નેપકીન, હેન્ડીક્રાફ્ટ અને હેન્ડલુમની વસ્તુઓ અને કેટલીક સેવાઓનો સમાવેશ થાય છે. વિવિધ ઉદ્યોગ સંગઠનો અને હિતધારકો સરકાર સમક્ષ જીએસટી ઘટાડવાની માગણી કરી રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય સંબંધિત ક્ષેત્ર અને રોજગારનું સર્જન કરે તેવા બિનસંગઠિત ક્ષેત્રમાંથી આવી માગણી વધુ પ્રમાણમાં થઇ રહી છે.

લોકોને મોટા પાયે સીધી સ્પર્શે તેવી વસ્તુઓ પર અને જેમના પર રેટ ઘટાડવાથી સરકારને થતી આવક પર ખાસ અસર નહીં થાય તેવી વસ્તુઓ પર રેટ ઘટાડાશે.

મોટાભાગની હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ્સ તથા સેનિટરી નેપકીન પર હાલમાં 12 ટકા જીએસટી લાગુ છે. આ વસ્તુઓ પર જીએસટી શૂન્ય કરી દેવાની માગણી થઈ રહી છે.
જીએસટી કાઉન્સિલની જાન્યુઆરી-2018માં મળેલી બેઠકમાં 54 સેવાઓ અને 29 વસ્તુઓ પર જીએસટીના દર ઘટાડવામાં આવ્યા હતા. તે અગાઉ નવેમ્બર-2017માં 178 વસ્તુઓને સૌથી વધુ 28 ટકાના સ્લેબમાંથી હટાવીને તેમના પરના ટેક્સ ઘટાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત તમામ રેસ્ટોરન્ટ્સ પર જીએસટી ઘટાડીને પાંચ ટકા કરી દેવાયો હતો. માત્ર સ્ટાર હોટેલો પર જ વધુ જીએસટી લાગુ છે. જીએસટીના પ્રથમ વર્ષ 2017-18માં સરકારને ટેક્સ પેટે ₹7.41 લાખ કરોડની આવક થઇ હતી. જીએસટી જુલાઇ 2017માં લાગુ પડ્યો હતો. સરેરાશ માસિક કલેક્શન ₹89,885 કરોડ હતું. એપ્રિલ મહિનામાં કલેક્શન ₹1.03 લાખ કરોડને સ્પર્શ્યું હતું. મેમાં તે ₹94,106 કરોડ અને જૂનમાં ₹95,610 કરોડ હતું.

July 12, 2018
sensex-up.jpg
1min5430

બોમ્બે સ્ટોક એક્ષચેન્જનો બેન્ચમાર્ક સેન્સેક્સ આજરોજ તા.12 જુલાઇ 2018ના દિવસે સૌપ્રથમ વાર 36,600ની સપાટી કૂદાવતા નવી ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. અગાઉ ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં સેન્સેક્સમાં 36,400ની ઓલટાઈમ હાઈ સપાટી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ ખુલતામાં જ 250 પોઈન્ટના ઉછાળા સાથે 36,500 કૂદાવી ગયો હતો.

તા. 12મી જુલાઇએ સવારે 11.15 કલાકે બીએસઈમાં 330 પોઈન્ટ વધીને સેન્સેક્સ 36,597ની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શ્યો હતો. ડોલર સામે રૂપિયો રીકવર થતા તેમજ અર્થતંત્રમાં ઝડપી સુધારાના આશાવાદે ચોતરફી તેજી ફરી વળતા બેન્ચમાર્કે 36,627 પોઈન્ટની રેકોર્ડ નવી ટોચ બનાવી હતી.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી આંક પણ 11,000ની મનોવૈજ્ઞાનિક સપાટીને પાર કરી ગયો હતો. જૂન મહિનાના યુએસ જોબ ડેટા અપેક્ષા કરતા સારા જાહેર થયા હોવાથી બજારમાં તેજીનો ઉન્માદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત વર્લ્ડ બેન્ક દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતીય અર્થતંત્ર વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બન્યું હોવાના અહેવાલ અને વૈશ્વિક તેમજ સ્થાનિક ફંડોની ઓલરાઉન્ડ લેવાલીને પગલે તેજી આવતા સેન્સેક્સે નવી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી.

શેરબજારની રેલીમાં તમામ સેક્ટર ઈન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. બીએસઈ ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.25થી 2.50 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. સ્મોલ કેપ અને મિડ કેપ આંકમાં પણ એક ટકાની મજબૂતી રહી હતી.

July 10, 2018
noida.jpg
1min7540

મોદી સરકારની ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલ અંતર્ગત આદરેલી કામગીરીમાં ફોન ઉત્પાદકની બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમાંકનું ફોન ઉત્પાદક બન્યું છે. ચાર વર્ષ અગાઉ ભારતમાં મોબાઇલ ઉત્પાદન કરતા હોય તેવા માત્ર બે કારખાનાં હતાં તેની સંખ્યા વધીને 120ની થઈ ગઈ છે. તે પૈકી 50 કારખાના ફક્ત નોએડામાં જ છે.

ભારતની રાજધાની દિલ્હીના સીમાડે આવેલા નોએડા ખાતે વિશ્ર્વની સર્વાધિક મોટા ફોન ઉત્પાદન કારખાનાની સંખ્યામાં વધારો થયો હોવાથી સીધે સીધી ચાર લાખ રોજગારી ઊભી થઈ છે. આવા કારખાના, પ્લાન્ટ તેમ જ સવલતો સ્થાપવામાં કરાતું રોકાણ ભારતના દક્ષિણ કોરિયા જેવા દેશો સાથેના આર્થિક તથા વ્યાવસાયિક સંબંધોમાં ભારે મહિમાવંતા નીવડે છે.

ભારતમાં 40 કરોડ સ્માર્ટફોન વપરાશમાં લેવાય છે તેમ જ 32 કરોડ લોકો બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ભારત ડિજિટલ ક્રાંતિ ભણી આગેકૂચ કરી રહ્યું છે.

સ્માર્ટફોન બજારમાં સેમસંગ વિશ્ર્વનેતા છે. તેનું રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હબ ભારતમાં છે તથા હવે ઉત્પાદનનો બેઝ પણ છે જ.

મોદી અને દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂને જાએ ઈને ઉપભોક્તા વિજાણુ બજારના માંધાતા સેમસંગે 9મી જુલાઈએ નોઈડા ખાતે વિશ્વના સર્વાધિક મોટા મોબાઈલ ફોન કારખાનાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનાથી 2020 સુધીમાં હેન્ડસેટ ઉત્પાદન ક્ષમતા બમણી થઈને 12 કરોડ યુનિટના આંકને આંબી જશે.

કોરિયાની કંપનીના સેમસંગના નોઇડા ખાતે તા.9મી જુલાઇએ ઉદઘાટિત થયેલા કારખાના જેવા પ્લાન્ટથી 2000 ભારતીય માટે નવી નોકરી ઊભી થશે.  આ કારખાનાંમાં બનેલા સ્માર્ટ ફોનની મધ્ય પૂર્વના દેશોમાં અને આફ્રિકામાં નિકાસ કરવામાં આવશે.

July 9, 2018
dollarvsrupeee.jpg
1min6990

ડોલરમાં સતત મજબૂતાઈ, વિદેશી રોકાણપ્રવાહનો અભાવ અને ક્રૂડના ભાવમાં વૃદ્ધિની ચિંતાથી રૂપિયો ચાલુ સપ્તાહે ઘટીને 70 થવાનો અંદાજ બેન્કર્સે વ્યક્ત કર્યો છે. જોકે, RBI સ્થાનિક કરન્સીને ટેકો આપશે. ઉલ્લેખનીય છે કે, રૂપિયો 28 જૂને ડોલર સામે 69.10ની અત્યાર સુધીની નીચી સપાટીએ સ્પર્શ્યો હતો. તા.5 જુલાઇને ગુરુવારે તે 68.95 અને તા.6 જુલાઇને શુક્રવારે 68.87ના મથાળે બંધ રહ્યો હતો.

રૂપિયો થોડા સમય માટે 70ના સ્તરે પહોંચશે, પણ ત્યાં લાંબો સમય ટકે તેવી શક્યતા નથી.” એક બેન્ક ટ્રેઝરરના જણાવ્યા અનુસાર જે કંપનીઓને વિદેશી વેપારી ઋણ (ECB) ચૂકવવાનું છે તે પણ ડોલર એકત્ર કરી રહી છે. અન્ય એક બેન્કરે જણાવ્યું હતું કે, “RBI રૂપિયાને 69.30ના સ્તરની નીચે નહીં જવા દે. જોકે, આ સ્તર તૂટશે તો સ્થાનિક ચલણ ઝડપથી 70ને સ્પર્શશે.”

બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ક્રૂડના ઊંચા ભાવને કારણે રાજકોષીય ખાધ વધવાની ચિંતા તેમજ ઓઇલ કંપનીઓ અને આયાતકારો તરફથી ડોલરની માંગની અસરને કારણે રૂપિયો દબાણમાં રહેશે.

રિઝર્વ બેન્કે હંમેશા જણાવ્યું છે કે, રૂપિયા માટે તેણે કોઈ ટાર્ગેટ નક્કી કર્યું નથી, પણ ચલણની વોલેટિલિટીને અંકુશમાં રાખવા તે ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગિરી કરે છે. 29 જૂનના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ 406.058 અબજના સ્તરે હતું, જે RBI માટે ઘણું અનુકૂળ સ્તર છે.

વિશ્લષકોના જણાવ્યા અનુસાર ચીન અને અમેરિકા વચ્ચે ‘ટ્રેડ વોર’ના કારણે તમામ એશિયન કરન્સી પર દબાણ વધ્યું છે, પણ રૂપિયાનું પ્રદર્શન અત્યાર સુધીમાં સૌથી ખરાબ રહ્યું છે. ટ્રેડ વોરની ચિંતાના કારણે ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોના પ્રવાહમાં પણ ઘટાડો નોંધાયો છે.

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચના અહેવાલ મુજબ RBI દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિ થાય ત્યારે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો છે. RBIએ 6 જૂને રેપો રેટ વધાર્યો ત્યારથી રૂપિયો 1.9 ટકા ઘટ્યો છે.

July 5, 2018
cry1.jpg
1min6680

જયેશ બ્રહ્મભટ્ટ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતની બેંકોને એક નિર્દેશ આપ્યો હતો કે તા.5મી જુલાઇ 2018ના દિવસે કામકાજના કલાકો પૂરા થાય ત્યાં સુધી કોઇપણ પ્રકારની ક્રિપ્ટોકરન્સીને સ્પર્શતા વ્યવહારો કરી શકાશે. એ પછી ભારતની કોઇપણ બેંક બીજી સૂચના ન મળે ત્યાં સુધી કોઇપણ ક્રિપ્ટોકરન્સીના કોઇપણ પ્રકારના વ્યવહારો કરી શકશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલી આ અવધિ આજે પૂરી થઇ ચૂકી છે. હવે પછી ભારતની કોઇપણ બેંક કોઇપણ પ્રકારના ક્રિપ્ટોકરન્સીને સંબંધિત કોઇપણ વ્યવહાર કરી શકશે નહીં. જોકે, અહીં સ્પષ્ટતા એ કરવાની કે ક્રિપ્ટોકરન્સી પર રિઝર્વ બેંક દ્વારા કોઇ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી બલ્કે બેંકોને ક્રિપ્ટોકરન્સી અંગેનું કામ કરવા પર રોક મૂકવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે રિઝર્વ બેંક થોડા સમયમાં ક્રિપ્ટોકરન્સી અંગેના કામો અંગે દિશાનિર્દેશ બહાર પાડશે.

ક્રિપ્ટોકરન્સી અંગેના વ્યવહારો કરવા અંગે રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતીય બેંકોને આપેલી એક અવધિ તા.5મી જુલાઇ 2018ના બેંકિંગ કામકાજના કલાકો પૂર્ણ થવા સાથે પૂર્ણ થઇ ગઇ છે

ક્રિપ્ટો કરન્સી પર રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ કોઇ પ્રતિબંધ નથી મૂક્યો, પણ બેંકોને અન્ય નીતિ નક્કી ન થાય ત્યાં સુધી ક્રિપ્ટોકરન્સી અંગેના કોઇપણ વ્યવહારો નહીં કરવા માટેની સૂચના આપી દીધી છે

અત્યાર સુધી એવું હતું કે કોઇપણ વ્યક્તિ ક્રિપ્ટોકરન્સી જેમ કે બીટ કોઇનની લે-વેચ ચોક્કસ એક્ષચેન્જ પરથી કરી શકતી હતી. આ પ્રક્રિયામાં બેંક સામેલ એટલા માટે હતી કે લે-વેચની રકમ જે તે એક્સચેન્જ સાથે સંકળાયેલી બેંક દ્વારા જ કરી શકાતી હતી. પણ હવે જુદા જુદા એક્સચેન્જ સાથે સંકળાયેલી હોવા છતાં બેંકો ક્રિપ્ટોકરન્સીનું કશું પણ કામ આજથી નહીં કરી શકે.

હવે શું થશે

ક્રિપ્ટોકરન્સીનું ડિલિંગ કરતા એક્સચેન્જીસ હવે કોઇપણ પ્રકારની ક્રિપ્ટોકરન્સી લે-વેચ કરવા માગતા લોકોને ફક્ત બીજા લે-વેચ કરનારાઓ સાથે મેળાપ કરાવી આપશે. જેને પીઅર ટુ પીઅર કહેવામાં આવે છે. પીઅર ટુ પીઅરમાં કોઇ વ્યક્તિ કોઇ ક્રિપ્ટોકરન્સીની લે-વેચ કરી શકશે પરંતુ, તેને નાણાં મળી શકશે નહીં કે તેના અકાઉન્ટમાં જમા થઇ શક્શે નહીં.

જેમની પાસે ક્રિપ્ટોકરન્સી છે અને તેમણે તેનું વેચાણ કરવું હશે તો જોખમી પરિબળો જેમકે બ્લેક માર્કેટમાં બેનંબરી કારોબાર કરતા લોકો થકી તેનું વેચાણ કરવું પડશે જે અસલામત ગણાશે.

ક્રિપ્ટોકરન્સીના એક્સચેન્જો કે ક્રિપ્ટોકરન્સી કંપનીઓને હવે પછી બેંકો લોન પણ નહીં આપી શકે અગર તો તેઓ કોઇપણ બેંકમાં કોર્પોરેટ અકાઉન્ટ પણ ચલાવી નહીં શકે.

સૌથી વ્યાપક અસર ક્રિપ્ટોકરન્સીના ધંધામાં નવા પ્રવેશનારાઓની થાય તેમ છે. ક્રિપ્ટોકરન્સીના ધંધાની ઝાકમઝોળથી અંજાઇને જેમણે આ ધંધામાં આવવું છે તેમણે ક્રિપ્ટોકરન્સી હવે પછી એક્સચેન્જ થકી નહીં પણ મોટાભાગે જોખમી પીઅર ટુ પીઅર સિસ્ટમથી ખરીદવી પડશે.

ભારતમાં હજુ પણ કેવી રીતે શક્ય બનશે ક્રિપ્ટોકરન્સીનો વેપાર

ભારતમાં હજુ પણ જો કોઇએ ક્રિપ્ટોકરન્સીનો વેપાર કરવો હશે તો તેઓ પે-પલ થકી અમેરિકન ડોલરમાં ચૂકવણી કરીને ખરીદી શક્શે અગર તો વેચી શકે તેમ છે. જોકે, આ પદ્ધતિ ખર્ચાળ નિવડે છે કેમકે પે-પલને તેના વ્યવહારુ ખર્ચ તેમજ અન્ય છુપા ખર્ચ ખરીદનારા કે વેચનારાઓએ ભોગવવા પડે છે અને આથી જ આ પદ્ધતિ ખર્ચાળ નિવડે છે.